આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી;
રૂપાળું એક નામ, હવે બોલવું નથી.

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું,
કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી.

પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી.

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.

– સૈફ પાલનપુરી

માનવ સંબંધોમાં ઘણી વાર સૌથી ઊંડાં સત્યો બોલાતાં નથી; એ તો આંખના ઇશારે, સ્મિતના સહારે, અને હૈયાના ધબકારે જીવાતાં રહે છે. કવિ સૈફ પાલનપુરી ગુજરાતી ગઝલનું ગૌરવવંતું નામ છે. તેમની ગઝલોએ ગુજરાતી ભાષાને રળિયાત કરી છે. તેમની ઉપરની ગઝલમાં કશું ન બોલવાનું કહીને તેઓ ઘણું બધું બોલી ગયા છે. ખરી કવિતાની એ જ તો મજા હોય છે, ઓછા શબ્દોમાં વધુ વાત. આમ પણ મૌનથી ગંભીર વાણી બીજી એક્કે નથી હોતી.

ઘણીવાર એવો સમય પણ આવે છે, જ્યારે શબ્દો ભારરૂપ લાગે છે. ત્યારે લોકો નજરથી કામ લે છે, કારણ કે નજરમાં દંભ કે દલીલ નહીં દિલગિરી હોય છે. અહીં “બોલવું નથી”નો અર્થ મૌન રહેવા સાથે નથી. બોલવું નથી એ શબ્દોમાં જ ઘણું બધું બોલાય છે. કેટલાક અનુભવો શબ્દોમાં આવતાંની સાથે જ તેમની પવિત્રતા ગુમાવી બેસે છે. જેમ કોઈ જૂના પત્રને વારંવાર ખોલવાથી એની સુગંધ ધીમે ધીમે ઓછી થવા લાગે છે, તેમ કેટલીક યાદો શબ્દોમાં પરોવીએ ત્યારે તેની માસૂમિયત મુરઝાઈ જાય છે. કવિ પોતાની માસૂમિયતને મુરઝાવા દેવા માગતા નથી, એટલા માટે જ તેઓ કહે છે કે અમારે કશું બોલવું નથી, અમે તો અમારી આંખોથી જ એ ગમતું નામ ઉચ્ચારીશું, તેને શબ્દોમાં નહીં લાવીએ.

યુવાની અને સાહસને સીધો સંબંધ છે. ઝવેરચંદ મેઘાણીએ લખેલું, “ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમકા પર યૌવન માંડે આંખ.” યુવાન શરીરમાં ઘોડા જેવો થનગનાટ હોય છે. તે અજાણ્યાં સાહસો કરવા માટે સદાય તત્પર રહે છે. કવિએ અહીં એક ‘રેશમી’ સાહસ વિશે વાત કરી છે. જેનો સીધો સંકેત પ્રણય તરફ છે. કવિએ રેશમનું રૂપક બહુ સમજી-વિચારીને વાપર્યું છે. રેશમ નરમ હોય છે, આકર્ષક હોય છે, પરંતુ ખૂબ જ સંવેદનશીલ પણ હોય છે; જરાક અમથા ઘસારાથી તેની સપાટી ખરડાઈ જાય છે. યુવાનીમાં કરાયેલા નિર્ણયો ઘણી વાર એવા જ હોય છે — જુસ્સાદાર, ઉલ્લાસભર્યા, અને ક્યારેક નિર્દોષ અહંકારથી છલોછલ. તે સમયમાં માણસ ગમે તેવા મોટા જોખમ પણ સહેલાઈથી લઈ લે છે, એને લાગે છે કે દુનિયા એની માટે જ છે. પણ પછી, જ્યારે સમયની ધૂળ નીચે બેસી જાય, ત્યારે સમજાય છે કે દરેક સાહસનું પરિણામ ચમકદાર નથી હોતું. કવિએ ‘કેવું મળ્યું ઇનામ’ જેવા ભાવ દ્વારા એક વ્યંગ વ્યક્ત કર્યો છે.

દુનિયા ઘણીવાર દરેક લાગણીને બજારના ત્રાજવે તોલે છે. પરંતુ હૃદયના વ્યવહારોમાં આ ગણિત ચાલતું નથી. કવિ ‘ચૂકવી દીધાં છે દામ’ કહે છે, પરંતુ અહીં કોઈ સોદો થયો નથી, એક ઊંડો અનુભવ જીવી લેવાયો છે. એવો અનુભવ, જેનું મૂલ્ય રૂપિયા કે ચીજવસ્તુઓમાં આંકી ન શકાય. પણ પોતાના અંતરાત્માના કોઈ કિંમતી હિસ્સાથી અંકાય.

કવિ અંતિમ શેરમાં કહે છે કે સામેની વ્યક્તિની નજર નીચી થઈ ગઈ છે, હવે બોલવાનો કોઈ અર્થ નથી. શબ્દો હરામ હોય ત્યા શું બોલવું. પ્રણયમાં શરમથી નજર ઢળી જાય છે, જ્યારે વ્યવહારુ જીવનમાં કશુંક એવું કામ કરી નાખીએ, જે નહોતું કરવા જેવું, તો પણ નજર નીચી ઢળી જાય છે. સંબંધોમાં એક તબક્કો એવો પણ આવે છે, જ્યાં એકબીજાને કંઈ કહેવાનું નથી હોતું, છતાં બધું સમજાઈ જતું હોય છે. કવિએ સંબંધોના ગૌરવ અને સન્માનનું મહત્વ પણ સૂક્ષ્મ રીતે રજૂ કર્યું છે. કેટલીક લાગણીઓની સુંદરતા એમાં જ હોય છે કે તે અધૂરી રહી જાય.

લોગઆઉટઃ

જરૂરતથી વધારે બોલવું સારું નથી,
અને હૈયું ગમે ત્યાં ખોલવું સારું નથી.
- સલીમ દેખૈયા

એક આશિકનું દિલ – એક છરી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

મારો અવાજ તારા લગી ન પહોંચે
તો એમાં ઉમેર પડઘો –
પૌરાણિક કથાઓનો પડઘો.
અને એમાં ઉમેર –
એક રાજકુમારી
અને રાજકુમારીમાં ઉમેર –
તારું રૂપ
અને તારા રૂપમાં ઉમેર –
એક આશિકનું દિલ
અને ઉમેર આશિકના દિલમાં-
એક છરી.

– અફઝલ અહમદ સૈયદ

પ્રેમમાં મળતી પીડાની વાત વર્ષોથી કહેવાઈ રહી છે, અને આજે પણ કહેવાય છે. આ વ્યથા એવી છે જેને ક્યારેય કાટ નથી લાગતો, દરેક યુગમાં આ દર્દ નવી રીતે ઊભરાય છે. પેઢીઓ બદલાય છે, સમાજ બદલાય છે, રીત અને રિવાજો પણ સ્વરૂપ બદલે છે. પૌરાણિકતા આધુનિકતામાં ઢળે, પરંતુ પ્રેમનું દર્દ એનું એ જ. એની એ જ આહ, એનો એ જ કણસાટ, ને ટીસ પણ એની એ જ.

વર્ષો પહેલાં મીરાંબાઈએ કહ્યું હતું, “જો મૈં ઐસા જાનતી પ્રીત કિજે દુઃખ હોય, નગર ઢંઢેરા પીટતી પ્રીત ન કીજે કોઈ.” મીરાંએ વર્ષો પહેલાં ઢંઢેરો પીટી દીધો હતો કે પ્રેમમાં પારાવાર વ્યથા છે. અનેક આશિકો, ઘાયલો પણ પોતાના દર્દનાં ગીતો ગાઈ ચૂક્યાં છે, પણ હૃદય પ્રેમમાં પડવાથી વાજ નથી આવતું. જોકે, પ્રેમમાં પડવાની ક્રિયામાં જ ‘પડવું’ શબ્દ આવી જાય છે. જ્યાં પડવાનું નિશ્ચિત હોવા છતાં, એક લાગણી એવી છે, જે વારંવાર પડવા ઝંખે છે. જેમ પતંગાને ખબર છે કે અંધકારમાં ચમકતી જ્યોત પાસે જવાથી તેનું મૃત્યુ નિશ્ચિત છે, છતાં તે જાય છે, પોતાના દેહને સમર્પિત કરે છે અને બળી મરે છે. પ્રણયભંગ થયેલા પ્રત્યેક વ્યક્તિઓ આ પતંગા જેવા હોય છે, ફર્ક એટલો જ, પતંગા બળીને ખાખ થઈ જાય છે, જ્યારે પ્રેમીઓ બાહ્ય રીતે તો જીવંત હોય છે, અંદરથી રાખ થઈ ગયા હોય છે.

જિગર મુરાદાબાદીનો આ શેર પ્રેમ કેટલો અઘરો છે, તે ગહનતાથી વ્યક્ત કરે છે,
ये इश्क़ नहीं आसाँ बस इतना समझ लीजे,
एक आग का दरिया है और डूब के जाना है

આગનો મહાકાય દરિયામાં ડૂબીને સામે પાર પહોંચવું સંભવ નથી. પ્રેમની સફર આગના દરિયામાં ડૂબીને આગળ વધતી સફર છે. આગની જાણ હોવા છતાં હૃદયમાં કોઈ એવું અજાયબ તત્ત્વ હોય છે, જે અગ્નિમાં ખાબકે છે, જાતને હોમી દે છે.

અફઝલ અહમદ સૈયદે પ્રેમની પીડાને ન સમજનાર વ્યક્તિને — પોતાની પ્રેયસીને ઉદ્દેશીને લખ્યું છે. એક રીતે તો તેઓ એમ કહેવા માંગે છે કે જા, તને મારું દર્દ નહીં સમજાય. મારી અંદર એક ટીસ ઊઠી રહી છે, હું ચીસો પાડી રહ્યો છું, પરંતુ મારી વ્યથાનો એક શબ્દ સુધ્ધાં તારા કાન સુધી નથી પહોંચી રહ્યો. પોતાની વ્યથા સમજાવવા માટે કવિ એક તરકીબ અપનાવે છે. કહે છે, જો મારો અવાજ તારા સુધી ન પહોંચતો હોય તો અવાજમાં પડઘો ઉમેર. પર્વતો સામે પાડેલી ચીસ દૂર સુધી પડઘાતી હોય છે. અને પર્વતોમાં હોય છે તીક્ષ્ણ અને બરછટ પથ્થરો. આ રીતે તે પોતાની પ્રેયસીને પણ પથ્થર સમાન ગણી રહ્યા હોય તેમ બને. પથ્થરોના કાનમાં અવાજ ક્યાંથી પહોંચે, હા, પડઘાય ખરો. પરંતુ આ પડઘો માત્ર એક પ્રતિધ્વનિ નહીં, જૂની-પુરાણી કથાઓનો પડઘો બને તેવું તેઓ ઇચ્છે છે. આવો પડઘો તેમને કેમ પાડવો છે? એ તો આપણે એ પૌરાણિક કથાને સમજીએ તો ખ્યાલ આવે.

કથામાં એક રાજકુમારી છે, અને એ રાજકુમારીમાં પ્રેયસીને પોતાનું રૂપ ઉમેરવાનું કહે છે. બીજા અર્થમાં કવિ કહે છે એ રાજકુમારી એટલે સ્વયં તું. અને તારી પર આવી ગયેલું એક આશિકનું દિલ, એક પ્રેમીનું હૃદય અને એ પ્રેમી એટલે હું. અને પછી એ પ્રેમીના હૃદયાં ભોંકાયેલી એક છરી. બસ આટલું ધાર એટલે આપોઆપ મારી હાલત તને સમજાઈ જશે.

કવિ સીધી રીતે કહેવા નથી માગતા કે મારા હૃદયમાં પ્રણયભંગનું એક ધારદાર ખંજર ભોંજાયેલું છે, એ તો કથા રચે છે, પોતાની પ્રેયસીને ધારવા કહે છે અને ધારણાની કેડી પર લઈ જઈને દર્દના ભોંકાયેલા કાંટાનો પરિચય કરાવવા માગે છે.

કવિ અફઝલ અહમદ સૈયદ સમકાલીન ઉર્દૂ કવિ અને અનુવાદક છે, શાસ્ત્રીય અને આધુનિક ઉર્દૂ અભિવ્યક્તિમાં તેમની નિપુણતા માટે જાણીતા છે. 1946માં ભારતના ગાઝીપુરમાં જન્મેલા આ કવિ 1976થી કરાચી, પાકિસ્તાનમાં રહે છે.

લોગઆઉટઃ

દર્દને ગાયા વિના રોયા કરો,
પ્રેમમાં જે થાય છે જોયા કરો.
– કૈલાસ પંડિત

વાવ્યા પહેલાં ફળને માટે દોડું વૃક્ષની કને

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ઘણી ઉતાવળ મને,
વાવ્યા પહેલાં ફળને માટે દોડું વૃક્ષની કને,

મૂળ શોધું પણ મળે નહીં, આભાસી ઝૂલે ડાળ;
મહોર મંજરી વગર શું મળશે ફળની પૂરી ભાળ?
કોઈ જાણતલ મને બતાવો, ભટકું વન ઉપવને!!
ઘણી ઉતાવળ મને!!

મનની માયાજાળમાં ઉગ્યા વૃક્ષે વૃક્ષે પાન,
ગ્રન્થ ગ્રન્થનાં પાન ઉકેલ્યાં તોય ન આવ્યું ભાન,
કોઈ કહે કે કોઈ વેળા આવું તો ભૈ બને,
ઘણી ઉતાવળ મને!

– વિનોદ ગાંધી

વિનોદ ગાંધીએ સરળ શબ્દોમાં ગહન કાવ્ય લખ્યું છે. ઉતાવળ માનવીની સૌથી જૂની બીમારી છે. તેની દવા મળતી નથી, પરંતુ સમજ આવી જાય તો કાબૂ મેળવી શકાય. માણસ ચાલતો થયો ત્યારથી જ દોડવા લાગ્યો છે. દોડવાનું કારણ પગમાં શક્તિ આવી તેથી નહીં, પરંતુ મનમાં અશાંતિ આવી તેથી. આજે આ ઉતાવળ માત્ર સમય બચાવવા માટે નથી રહી; તે જીવન બચાવવાની ઉતાવળ બની ગઈ છે.

આપણે પરિણામ માટે એટલા આતુર છીએ કે પ્રક્રિયા બોજો લાગે છે. બીજ વાવવાની પ્રક્રિયા લાંબી, પાણી આપવું કંટાળાજનક, અને રાહ જોવી તો રીતસર ગુનો લાગે છે. માણસને હવે વૃક્ષ નહીં, સીધું ફળ જોઈએ છે. એ પણ તાજું, ચમકદાર અને મીઠું. પણ કુદરત પાસે ‘તરત’ નામનો કોઈ વિભાગ નથી. કુદરત માત્ર ‘ક્રમ’ ઓળખે છે. જ્યાં ક્રમ તૂટે ત્યાં ખોટી અપેક્ષા જન્મે છે, અને અપેક્ષાના પાયામાં દુઃખ હોય છે.

આજના માણસને મૂળ જેવી મજબૂતાઈ જોઈએ, પણ માટી ખોદવા તૈયાર નથી. તેને ડાળીઓમાં લટકતો આભાસ ગમે છે. ઉપરથી સુંદર, હવામાં ઝૂલતો, દૂરથી આશ્વાસન આપનારો. મૂળિયાં તો અંધારામાં હોય છે, ગંદકીમાં, માટીમાં, જ્યાં હાથ ગંદા થાય, નખ કાળા પડે. ત્યાં ઉતાવળ કામની નથી; ત્યાં તો ધીરજ જોઈએ, સહનશીલતા જોઈએ. આપણે તો પ્રકાશમાં ઊભા રહીને અંધારાની માંગ કરીએ છીએ.

મન એક અજીબ જંગલ છે. ત્યાં દરેક વિચાર એક વૃક્ષ છે, અને દરેક વૃક્ષ પર હજારો પાન. માણસ પાન ગણવામાં આખું જીવન કાઢી નાખે છે, પણ વૃક્ષ સમજાતું નથી. ગ્રંથો ખોલે છે, અધ્યાય વાંચે છે, પાન પલટે છે, પરંતુ ભાન આવતું નથી. કારણ એ નથી કે ગ્રંથ ખોટો છે; કારણ એ છે કે વાંચનમાં ઉતાવળ છે. શબ્દો આંખે ચઢે છે, પરંતુ મનમાં ઉતરતા નથી. વાંચન કોઈને બતાવી દેવા માટે નહીં, પણ પોતાને દીપાવી દેવા માટે હોય છે.

સમજ એક ફૂલ જેવી છે. તે ત્યારે જ ખીલે છે જ્યારે સમય આવે. પહેલાં કળી આવે, પછી મહોર, પછી સુગંધ. જો કોઈ સીધું સુગંધ માગે અને કળી તોડે, તો સુગંધ પણ નહીં મળે અને ફૂલ પણ મરી જશે. જીવનમાં આપણે એ જ કરીએ છીએ. સમજ આવે એ પહેલાં જ નિર્ણય લઈ લઈએ છીએ, પરિપક્વતા આવે એ પહેલાં જ ઉપદેશ આપવા લાગી જઈએ છીએ, અનુભવ થાય એ પહેલાં જ અભિપ્રાય બાંધી લઈએ છીએ. પછી કહીએ છીએ કે જીવન કડવું છે.

જીવન કોઈ સ્પર્ધા નથી. જીવન તો એક યાત્રા છે. ઉતાવળા કદાચ જલદી પહોંચે, પણ અસંતોષ સાથે; સમજદાર ધીમા, પણ સંતોષ સાથે પહોંચે છે. જે વહેલો ફળ તોડે તે કાચું ખાય છે; જે રાહ જુએ છે તેને મીઠાશ મળે છે. પણ રાહ જોવી સહેલી નથી, કારણ કે રાહ જોવામાં અહંકાર ભૂખ્યો રહે છે. અહંકારને તરત જોઈએ.

આજના સમયની સૌથી મોટી ટ્રેજેડી એ છે કે આપણે બનવા કરતાં દેખાવા વધારે ઉત્સુક છીએ. મૂળ મજબૂત કરવા કરતાં ડાળીઓ ફેલાવવાની ઉતાવળ છે. પરિણામે થોડો પવન આવે તો બધું ઢળી પડે છે. મજબૂતી અંદરથી આવે છે, અને અંદર સુધી પહોંચવા માટે સમય લાગે છે. કોઈપણ સાચું પરિવર્તન ધીમું હોય છે, એટલું ધીમું કે બહારથી દેખાતું નથી. તેથી જ આપણે એને શંકાની નજરે જોઈએ છીએ.

ઉતાવળ માણસને ક્યારેક ખૂબ બુદ્ધિશાળી લાગે છે. તેને લાગે છે, હું ઝડપી છું, સ્માર્ટ છું. પરંતુ ઉતાવળ ઘણીવાર ડરનું એક સ્વરૂપ હોય છે. એવો ડર કે બીજો આગળ ન નીકળી જાય. આ ડર આપણને અંદરથી ખોખલા કરે છે. શાંતિ ડર વગર આવે છે, અને ડર દૂર કરવા માટે સમય સાથે મિત્રતા કરવી પડે. ધૈર્ય એ હાર નથી; ધૈર્ય એ સમજણની શરૂઆત છે.

ઉતાવળથી બચવું એટલે જીવનને નકારી નાખવું નહીં, પરંતુ જીવનને એની ગતિએ સ્વીકારવું. જ્યારે માણસ આ સ્વીકાર શીખી જાય છે, ત્યારે તે ભટકતો નથી. તેને કોઈ રાહ બતાવનારની જરૂર રહેતી નથી, કારણ કે તેનું મન પોતે જ માર્ગ બની જાય છે. અને ત્યારે જ, કોઈ એક શાંત ક્ષણે, તેને ખબર પડે છે જે ફળ માટે તે દોડતો હતો, તે તો હંમેશાં તેની અંદર જ હતું.

લોગઆઉટઃ

ધીરે ધીરે રે મના, ધીરે સબકુછ હોય;
માલી સીંચે સૌ ઘડા, ઋતુ આયે ફલ હોય
– કબીર

લોકશાહીના પેટમાં સત્તાની ગાંઠ

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ગઈ કાલે
લોકશાહીના પેટમાં સખત દુખાવો ઊપડ્યો.
ડૉક્ટરે તપાસીને કહ્યું:
'પેટમાં સત્તાની ગાંઠ છે'.
– ફિલિપ ક્લાર્ક

લોકશાહી એવું શરીર છે જેમાં દેશની પ્રજાનું રુધિર વહે છે. કાયદો અને સંવિધાન તેનું હાડ છે, લોકહિત તેની માંસમજ્જા છે. તેમાં સામાન્ય પ્રજાથી લઈને શિખર પર બેસેલા તમામને સમાન હકની ખાતરી આપવામાં આવે છે. શરીરનું દરેક અંગ ખૂબ મહત્ત્વનું છે, આંખ હોય કે કાન, હાથ હોય કે પગ, પીઠ હોય કે છાતી, હૃદય હોય કે મગજ. શરીરમાંથી કંઈ પણ ઓછું થાય તો તરત શરીર જવાબ આપવા માંડે. લોકશાહી કોઈ જીવતું શરીર ન હોવા છતાં, તેની પણ આંતરિક વ્યવસ્થા છે, તેની પણ પાચનશક્તિ છે. આ વ્યવસ્થામાં ગરબડ થાય ત્યારે પેટમાં દુખાવો ઊપડે.

લોકશાહીના પેટમાં દુખાવો ત્યારે ઊપડે, જ્યારે બાગડોર સંભાળનારને પ્રશ્ન પૂછવાનું અશોભનીય કે અપ્રાસંગિક ગણાવા લાગે. વધારે પડતું ગળપણ ડાયાબિટિસ કરી નાખે છે. શાસકોને માત્ર પોતાનાં ગળ્યાં ગળ્યાં વખાણ સાંભળવામાં જ રસ હોય, પ્રજાના પ્રશ્નોમાં જરા પણ રસ ન હોય, ત્યારે એ વખાણ અંદર ખાને ડાયાબિટિસની શરૂઆત હોય છે. પણ કમનસીબ એ કે એ ડાયાબિટિસ લોકશાહીને થાય છે. સરકાર સાથેની અસમહતી જ્યારે દેશદ્રોહ ગણાવા લાગે ત્યારે સમજી જવું કે લોકશાહીના પેટમાં સત્તાની ગાંઠ છે.

સત્તાની ગાંઠ એકાએક નથી થઈ જતી. તે ધીમે ધીમે વિકસે છે, અને એ વિકાસની પ્રક્રિયા ઘણીવાર દેખાતી નથી, કારણ કે તેને સામાન્ય ગણી લેવામાં આવે છે. કોઈ પણ માણસને નાનકડી બીમારી થાય ત્યારે તે ધ્યાન નથી આપતો, સમય જતાં એ બીમારી મોટા રોગનું સ્વરૂપ ધારણ કરે છે. નાનકડી ગાંઠને ફોલ્લી સમજીને અવગણી દેતો માણસ કેન્સરને નોતરી બેસે છે. લોકશાહીના દેહમાં આવી અનેક ફોડલીઓ છે, ગુમડાંઓ છે અને એ ગૂમડાં ગંભીર ગાંઠ બની ગયાં છે.

જ્યારે શાસક પોતાને પ્રજાનો પ્રતિનિધિ નહીં, પરંતુ પ્રજાથી ઉપર માનવા લાગે ત્યાં ગાંઠની શરૂઆત થાય છે. શરૂઆતમાં આ ગાંઠ નાની હોય છે, અસ્વસ્થતા ઊભી કરતી નથી. પરંતુ સમય જતાં, તે લોકશાહીના આંતરિક અવયવોને દબાવતી જાય છે — સંસ્થાઓને, ન્યાયપ્રણાલીને, મીડિયાને, શિક્ષણને. કવિ ફિલિપ ક્લાર્કે માત્ર બેચાર પંક્તિમાં જ ખૂબ ગંભીર અને ઊંડી વાત કરી નાખી છે. કોઈ પણ સમયે પ્રાસંગિક લાગે તેવી આ કવિતા માત્ર સત્તાને જ નહીં, લોકોને પણ પ્રશ્ન કરે છે કે લોકશાહીના પેટમાં સત્તાની ગાંઠ થવા પાછળ ક્યાંક પોતે પણ જવાબદાર નથીને?

લોકશાહીના પેટમાં દુખાવો ત્યારે ઊપડે છે, જ્યારે સંસ્થાઓ પોતાની ભૂમિકા ભૂલી જાય, ન્યાય ખરડાય, અન્યાય માથું ઊંચકે. માહિતી પ્રચાર બની જાય, શિક્ષણ જ્ઞાનને બદલે અનુસરણ શીખવે વગેરે. લોકશાહી માટે આ બધું આંતરિક રોગનાં લક્ષણો છે. આ દુખાવો રસ્તા પર ઊતરે ત્યારે આપણે તેને અશાંતિ કહીએ છીએ, કોર્ટમાં પહોંચે ત્યારે તેને ભાર ગણીએ છીએ, અને ઘરમાં ચર્ચા બને ત્યારે ટાળીએ છીએ. પરંતુ હકીકતમાં, આ દુખાવો લોકશાહીની ચેતવણી છે.

લોકશાહી એટલે By the people, For the people & Of the people હોવું જોઈએ, પરંતુ આજે તે વાત કંઈક આવી થઈ ગઈ છે, Buy the people, Floor the people, Off the people.

સત્તાની ગાંઠ મોટી ત્યારે થાય, જ્યારે સત્તાને પડકારવાનો વિચાર પણ અસ્થાને લાગે. જ્યારે એક વિચારધારા, એક પક્ષ અથવા એક વ્યક્તિ પોતાને દેશ સમાન માનવા લાગે ત્યારે લોકશાહીનું સ્વરૂપ બદલાય છે. દેશ એક જીવંત, બહુસ્તરીય વ્યવસ્થા છે; તેને એક અવાજમાં સમેટવાનો પ્રયાસ એ લોકશાહીના પેટ પર દબાણ છે. આ દબાણ લાંબા સમય સુધી ચાલે તો ગાંઠ વિકસે છે અને પછી દુખાવો અનિવાર્ય બને છે. આ દુખાવાની સૌથી કટુ વાત એ છે કે તેમાં પ્રજાની પણ ભૂમિકા હોય છે. લોકશાહીમાં રોગ માત્ર ઉપરથી નથી આવતો; જ્યારે નાગરિક પોતાની જવાબદારીને માત્ર મતદાન સુધી મર્યાદિત કરે, જ્યારે ખોટી વાત સાંભળીને પણ “મને શું?” કહે, ત્યારે તે ગાંઠને પોષણ પૂરું પાડે છે. લોકશાહી માત્ર શાસકોથી બનેલી નથી; તે નાગરિકોના વિવેકથી જીવંત રહે છે. વિવેકની કમી ગાંઠને મજબૂત બનાવે છે.

લોકશાહીના પેટમાં દુખાવો કોઈ દુર્ઘટના નથી; તે સંકેત છે. જેમ શરીર દુખાવા દ્વારા આપણને ચેતવે છે, તેમ લોકશાહી પણ પોતાની પીડા દ્વારા સમાજને ચેતવે છે. આ પીડાને દબાવવી નહીં, પરંતુ સમજવી જોઈએ. પેનકિલર દુખાવો ઓછો કરે છે, રોગ નહીં. લોકશાહીને પણ તરત શાંતિ આપતી દવાઓ નહીં, પરંતુ લાંબા ગાળાનો ઉપચાર જોઈએ.

લોકશાહીનું પેટ ખાલી ન રહેવું જોઈએ, પણ અતિભરેલું પણ નહીં. ખાલી પેટમાં ભૂખ ઉદ્ભવે છે અને અતિભરેલા પેટમાં ગાંઠ. સંતુલન જ તંદુરસ્તી છે. પ્રશ્ન પૂછવાનો અધિકાર, અસહમત થવાની સ્વતંત્રતા, અને સત્તાને જવાબદાર રાખવાની હિંમત આ ત્રણે મળીને લોકશાહીને સ્વસ્થ રાખી શકે. જ્યારે લોકશાહીના પેટમાં દુખાવો ઊપડે, ત્યારે તેને અવગણવો નહીં, કારણ કે એ દુખાવો આખરે આપણો જ હોય છે.

લોગઆઉટઃ

લોક હો, લોકોપયોગી તો બને;
બોલવાથી લોકશાહી થાય નૈ.
– અશોક વાવડિયા

એકનું એક લગાતાર જીવ્યા કરવાનું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

એકનું એક લગાતાર જીવ્યા કરવાનું.
બીજું શું હોય નવું યાર, જીવ્યા કરવાનું,

ઝીણું ઝરમર કે મુશળધાર જીવ્યા કરવાનું,
જીવવું એ જ છે પડકાર, જીવ્યા કરવાનું.

રોજ ખીલે છે, ખરે છે એ ફૂલોને જોઈ,
સાવ છોડીને અહંકાર જીવ્યા કરવાનું.

જિંદગી છે તો શરૂઆત ગમે ત્યાંથી થશે,
જિંદગીને જ કરી પ્યાર જીવ્યા કરવાનું,

આખરે કોણ નડ્યું, કેમ નડ્યું, છોડ બધું,
સાચવી સહેજ સદાચાર જીવ્યા કરવાનું.

– આર. બી. રાઠોડ

મરીઝનો શેર છે-
નવીનતા પ્રાણપોષક છે નવીનતાને ન ઠુકરાવો,
જુઓ કુદરત તરફથી શ્વાસ પણ જૂના નથી મળતા.

જેણે જેણે નવીનતા ઠુકરાવી તે સમયની ગર્તામાં ક્યાંય ધકેલાઈ ગયા. વર્ષો પહેલા જ્યારે ટીવી શોધાયું ત્યારે અમુક લોકો તેને ઇડયટ બોક્સ કહીને હસતા હતા. એક નાનકડા બોક્સ સામે જોઈને બેસી રહેવાનું, આ કેવું મૂર્ખા જેવું લાગે છે! આજે ભાગ્યે જ કોઈ ઘર એવું હશે, જ્યાં ટીવી નહીં હોય. જ્યારે કશુંંક નવું થાય એટલે અમુક લોકો વરોધ કરવા આવી જ જશે. કુદરત પોતે પણ દરરોજ નવી રીતે આપણી સમક્ષ આવે છે, આપણે તેને જોવા માટેની આંખ વિકસાવવી પડે છે. પ્રકૃતિ રોજ પોતાને પરિમાર્જિત કરે છે. રોજ સૂર્ય નવો અજવાસ લઈને આવે છે, સાંજ નવો અર્થ આપીને ઢળે છે. પવનની લહેરીઓ રોજેરોજ દિશા બદલતી રહે છે, વૃક્ષો પર રોજ નવી લીલાશ ઊભરાય છે, રોજ પર્ણો ખરે છે, નવાં ઊગે છે. ખીલવું, મુરઝાવું આપણા જીવનનો મહત્ત્વનો ભાગ છે.

બહુ ઓછા લોકોની જિંદગી રોજ નવી વાર્તા બનીને ઊગે છે; મોટાભાગના લોકોની જિંદગી એક જ રસ્તા પર ચાલતી રહે છે. આ એકધારાપણામાં સૌથી મોટો ભ્રમ એ છે કે આપણે નવીનતાની રાહ જોયા કરીએ છીએ. હકીકતમાં નવીનતા કોઈના દરવાજે ટકોરા મારતી નથી; એને હાથ પકડીને અંદર લાવવી પડે છે.

કવિ બી.કે. રાઠોડે રોજેરોજ જીવાતી એકધારી જિંદગીની વ્યથાને પોતાની કવિતા સહજ રીતે વણી લીધી છે. એમની કવિતામાં વ્યથા છે અને વિચાર પણ. ઊંડાણ છે અને આઘાત પણ. એકનું એક નિરંતર જીવ્યા કરવાનું હોય છે, તેમાં ઇચ્છવા છતાં ઘણી વાર કોઈ ફેરફાર આવતો નથી. કવિએ એટલા માટે જ કદાચ વ્યથિત અવાજે કહ્યું હશે, ‘બીજું શું હોય નવું યાર’. જીવન પોતે જ એક પડકાર છે. આપણે સંંસારરૂપી નભોમંડળમાં વિરહરતાં વાદળો છીએ. ધરતી, આકાશ, અને પવનની દિશા જોઈને વરસવાનું છે, ક્યારેક ધીમું, ક્યારેક મૂશળધાર.

આપણે જ આપણું નાવિન્ય ઊભું કરવાનું છે. એક જ દીવો દરરરોજ રાત્રે બળે છે, છતાં એની જ્યોતનું કંપન રોજ અલગ હોય છે. ક્યારેક શાંત, ક્યારેક તીવ્ર, એમ, એક જ કામ, એક જ જવાબદારી, એક જ સંબંધમાં પણ જુદી જુદી ભાવનાઓની જ્યોત પ્રગટાવી શકાય છે. પ્રશ્ન એ નથી કે જિંદગીમાં શું નવું બન્યું; પ્રશ્ન એ છે કે આપણે જૂનામાં કેટલું નવું ઉમેર્યું.

એકધારાપણું એ કાચા લોખંડ જેવું છે. એને તપાવીને આકાર આપો તો એમાંથી તલવાર પણ બની શકે અને ટાંકણી પણ. નાના નાના ફેરફારોથી જિંદગીમાં મોટાં પરિવર્તનો આવે છે. જેમ્સ ક્લિઅરે લખેલી ‘એટોમિક હેબિટ’ પુસ્તક ખાસ વાંચવા જેવું છે. રસ્તામાં કોઈ મળે તો તેને સ્મિત આપવું, પ્રેમથી વાતો કરવી, ગુસ્સો ગળી જવો, અંદરની અકળામળને પ્રસન્નતામાં બદલી નાખવી, આ બધા મોટા ક્રાંતિકારી પરિવર્તનો નથી, પણ આ જ નાના ફેરફારો જિંદગીના સ્વાદમાં મીઠાશ ઉમેરે છે.

વૃક્ષો પર નવાં પાંદડાં આવે, જૂનાં ખરે. રોજ નવી કળી ફૂટે, તેમાંથી ફૂલ ખીલે અને સાંજ પડતાં તો કરમાઈને આથમી જાય. આપણી નીયતિ પણ કંઈક આવી જ છે – ખીલવું અને ખરવું. પ્રકૃતિ આપણને સંકેતથી સમજાવે છે. તેની સમજણની શરણાઈ આપણા અંતરાત્મામાં ગૂંજે તો જિંદગીની કપરી લડાઈ પણ સરળ થઈ જાય.

આપણે મોટે ભાગે પોતાની જાતને વાયદા આપતા રહીએ છીએ, આટલું થઈ જાય એટલે નિરાંત, પછી શાંતિથી જીવીશું. પરંતુ એ શાંતિ ક્યારેય આવતી નથી. જીવવાનું કામ કોઈ ખાસ દિવસ કે સમય માટે નિશ્ચિત નથી હોતું. એ તો પ્રત્યેક ક્ષણે કરવાની પ્રવૃત્તિ છે. જિંદગીને પ્રેમ કરવાની શરૂઆત કોઈ ભવ્ય ઘટનાથી નથી થતી; એ તો રોજના નાનકડા સ્વીકારથી થાય છે.

જીવ્યા કરવું એટલે સતત ગણતરી બંધ કરવી. કોણ નડ્યું, કેમ નડ્યું, આ પ્રશ્નો જીવનની ઊર્જાને ખાઈ જાય છે. નદી પાછળ વળીને નથી જોતી, એમ આગળ વધવા માટે બધું છોડવાનું શીખવું પડે છે. માનવતા, અને પોતાની જાત સાથેની પ્રામાણિકતા એ જ જીવનના સાચા સાથી છે. એકધારાપણામાંથી ભાગવાનો કોઈ રસ્તો નથી; હા, એને અર્થપૂર્ણ ચોક્કસ બનાવી શકાય. જિંદગી કદાચ રોજ એક જેવી જ રહેશે, પણ જો આપણે જીવવાની રીત બદલીએ, તો એ રોજ નવી લાગશે.

લોગઆઉટઃ

જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
– મરીઝ

એ કહે, હું રાજા તું રાણી, ને હું આખ્ખી પાણી પાણી,

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

એ કહે, હું રાજા, તું રાણી, ને હું આખ્ખી પાણી પાણી,
તું તો અંગેઅંગ સમાણી, ને હું આખ્ખી પાણી પાણી.

પાસે આવી ધીરેથી કહે, બહુ સુંદર લાગે છે તું,
ને મહેંદીની ભાત વખાણી, ને હું આખ્ખી પાણી પાણી.

પાછો કહે છે તારાય વિશે, તારા રૂપ વિશે સુણેલું,
આજે બહુ જ નજીકથી જાણી, ને હું આખ્ખી પાણી પાણી.

પહેલા એણે ચાંદા સાથે ,મારું મુખ સરખાવ્યુ ને કહે,
આજ શિતળતા બે-બે માણી, ને હું આખ્ખી પાણી પાણી.

એક દી એના ખિસ્સામાંથી, પાકીટ પડી ગયું નીચે તો,
મારી ત્યાં તસ્વીર દેખાણી, ને હું આખ્ખી પાણી પાણી.

મેંય વખાણી એની ગઝલો એનું કારણ એવું આપ્યું,
કે તમને જોતા જ લખાણી, ને હું આખ્ખી પાણી પાણી.

– મીના વ્યાસ

ગમતી વ્યક્તિ સાથે ઊભા રહીએ ત્યારે એવું લાગે કે આપણું શરીર, મન અને અસ્તિત્વ બધું જ ઓગળતું જાય છે. જાણે શાંત સરોવરમાં એક પથ્થર પડ્યો હોય. તેનાં વલયો આપણને અંદર સુધી હલાવી નાખતાં હોય છે. એ ક્ષણોમાં કોઈ મોટી ઘટના નથી થતી, કોઈ ધમાકેદાર સ્વીકાર નથી થતો, કોઈ શપથ કે વચન નથી લેવાતું; ત્યાં તો માત્ર નજરો હોય છે, નરમ ધબકારા હોય છે અને એ અદૃશ્ય લાગણી હોય છે, જે આપણને અંદરથી ભીંજવી નાખે. પ્રેમ ઘણી વાર શોરગુલ સાથે નથી આવતો નથી. એવી રીતે આવે છે, જેમ વહેલી સવારે સૂર્યકિરણ બારીમાંથી અંદર પ્રવેશે. તે કોઈને જગાડતું નથી, પણ બધું પ્રકાશિત કરી નાખે છે. પ્રેમનું કામ પ્રકાશિત કરવાનું છે.

કવયિત્રી મીના વ્યાસની ગઝલ પ્રેમનાં મર્માળું મોજાં માફક હૃદયમાં ઉછળતી રહે છે. તેમાંથી ઊભાં થતાં વલયો મનમાં મહોબ્બતની મીઠી વીણા વગાડ્યા કરે છે. પ્રિયજન સાથેનું મિલન, વાતચીત અને તેના દ્વારા મળતી પ્રસંશાં… આ બધું અંતરનાં આંગણામાં રંગોળી કરી આપે છે. જે વ્યક્તિ જીવ જેવી વહાલી હોય, એ જ આવીને મળે, બે મીઠી વાત કરે, વખાણે, વળી એના પાકિટમાં આપણો ફોટો પણ જોવા મળે, તો પાણી પાણી થઈ જ જવાયને!

પ્રેમમાં મજાની વાત એ છે કે આપણને આપણા વિશે નવું જાણવા મળે છે. આપણે પોતાના અસ્તિત્વ તરફ જુદી નજરે જોઈએ છીએ. પહેલાં જે સામાન્ય લાગતું હતું, એ અચાનક વિશેષ બની જાય છે. ક્યારેક કોઈ નજીક આવીને ધીમેથી વાત કરે ત્યારે એ ધીમા શબ્દોમાં કોઈ જાદુ નથી હોતો, પણ એ નિકટતામાં એક ઊંડો અર્થ હોય છે. એ ક્ષણોમાં આપણા ભાવો વાત કરે છે—પાંપણના પલકારા, હળવું સ્મિત, હોઠ સુધી આવીને અટકી ગયેલો શબ્દ… બધું જ અવ્યક્ત હોવા છતાં લાગણીઓ વ્યક્ત કર્યા કરે છે.

પ્રેમ નામનું પુષ્પ ખીલે, તેની મહેક હૃદયનાં આંગણામાં પથરાય પછી મન કેવું પાણી પાણી થઈ જતું હોય છે તેની વાત કવિએ બહુ સરસ રીતે આલેખી છે. એક પ્રેમિકા પોતાના પ્રેમીને મળે, પ્રથમ તો આ મળવું એ જ ઉત્સવ હોય છે, તેમાં વળી પ્રિય પાત્ર દ્વારા પ્રસંશા પ્રાપ્ત થાય, એ તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય. જેના પર હૈયું ઓળઘોળ હોય એ જ મીઠા શબ્દોની સરવાણી વહાવે તો કાનમાં અમૃત રેડાતું હોય એવો અનુભવ થાય. અને આ અમૃત તો આયખાભર સાથે રહે છે. તેની મીઠાશ મનમાં મહોર્યા કરે છે. મુખને શીતળ ચંદ્ર સાથે સરખાવે ત્યારે ત્યાં માત્ર ઉપમા નથી હોતી—લાગણી હોય છે. એ લાગણી મુખ પર ચાંદની બનીને પથરાય છે. તેની શીતળતા બબ્બે વ્યક્તિઓને અનુભવાય છે, ચંદ્ર વિશે સરખાવનારને અને સ્વયં ચંદ્ર બની જનાર વ્યક્તિને.

પ્રેમ કોઈ ભવ્ય ઘટના નથી, પરંતુ દિવ્ય ઘટના જરૂર છે. પ્રેમમાં ‘પડવા’ની ઘટના ખરેખર તો ઊભા થવાની ઘટના હોય છે. વ્યવહારુ જીવન આપણને પાડે છે, ઢસડે છે, ઘાયલ કરે છે, પરંતુ પ્રેમ એ ઘાવ પર મલમ લગાડે છે. સ્વજનો અને હિતેચ્છુઓ આપણને જિવાડે છે, પરંતુ પ્રેમ આપણને જીવંત બનાવે છે. પ્રેમમાં નજર મળવા માત્રથી વ્યક્તિ પાણી પાણી થઈ જાય છે. અને એ પાણીની છાલક આજીવન રહેતી હોય છે.

લોગઆઉટઃ

હું પાણી પાણી થઈ ગયો છું તમને જોઈને ,
ને જ્યાં તમે ઊભા છો એ બાજુ જ ઢાળ છે .
– વિકી ત્રિવેદી

જિંદગીમાં કંઈક તો બદલાવ હોવો જોઈએ

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

આમ તો જગમાં બધુ કેવું સરસ બદલાય છે
આ નદી બદલાય છે પણ ક્યાં તરસ બદલાય છે
જિંદગીમાં કંઈક તો બદલાવ હોવો જોઈએ
વાત એ સમજાવવા માટે વરસ બદલાય છે.
– કિરણસિંહ ચૌહાણ

નવું વર્ષ કોઈ દિવસ નગારાં વગાડીને આવતું નથી. તે તો ધીમે પગલે ચુપચાપ આવે છે. જેમ શિયાળાની સવારમાં ધુમ્મસ રસ્તા પર ઉતરે, કોઈ અવાજ વગર. જૂનું વર્ષ પણ એવી જ શાંતિથી વિદાય લે છે; ન કોઈ વિદાયસભા, ન કોઈ ભાષણ. બસ, થોડા પડછાયા છોડીને, થોડાં સ્મરણોની ગડી વાળીને.

વર્ષનું બદલાવું એ કેલેન્ડરની પાનખર નથી; એ તો મનની ઋતુ બદલાય તેવું છે. ક્યારેક મનમાં ફૂલ ખીલે છે, તો ક્યારેક એ જ ડાળ પર મૌન બેસી જાય છે. ગયા વર્ષે તમે ઘણું ગુમાવ્યું હશે. કોઈ ગમતી વ્યક્તિ, કોઈ સ્વપ્ન, કોઈ વિશ્વાસ, સંબંધ, કદાચ પોતાનો જ એક અંશ. અને કદાચ ઘણું મેળવ્યું પણ હશે… અનુભવ, સમજ, થાક, સહનશક્તિ. વર્ષ કદી ખાલી હાથે નથી જતું; પ્રશ્ન માત્ર એટલો જ છે કે આપણે તેની થેલીમાં શું જોઈ રહ્યા છીએ.

જૂનું વર્ષ ઘણીવાર કોઈ પુરાણા ઘર જેવું લાગે છે, જ્યાં જૂનું સ્મિત નિરંતર પડઘાતું હોય છે, પણ છત પરથી વસવસાઓની ધૂળ પણ ખરતી હોય છે. આપણે એ ઘરને છોડીએ ત્યારે દરવાજા પર ઊભા રહીને પાછું જોઈએ છીએ. એ વખતે મન કહે છે, “હજી થોડું રોકાઈ જાઉં,” અને કોઈ અંદરથી કહે છે, “હવે આગળ વધ.” આ બે અવાજ વચ્ચે જ મનુષ્ય ઊભો રહે છે… ન પૂરો ભૂતકાળમાં, ન પૂરો ભવિષ્યમાં.

નવું વર્ષ કોઈ ચમત્કાર લઈને નથી આવતું. એ કોઈ જાદુઈ દરવાજો નથી, જ્યાં પગ મૂકતાં જ દુઃખ ગાયબ થઈ જાય. તે તો એક ખાલી પાનું છે, જેમ વહેલી સવારે રસ્તો સાફ હોય, પણ પગલાં તો આપણાં જ પડવાનાં હોય. કેટલીક વાર આપણે એ પાનાં પર બહુ જ ઉતાવળે લખી નાખીએ છીએ; ક્યારેક તો ભૂતકાળની શાહી હજુ સુકાઈ પણ નથી હોતી, અને નવા શબ્દો ઉમેરવા માંડીએ છીએ. પછી પ્રશ્ન કરીએ છીએ કે શા માટે અક્ષરો ગૂંચવાઈ ગયા?

સમય આપણને કશું શીખવાડતો નથી, એવું લાગે છે; તે માત્ર આપણને સામે ઊભા રાખે છે… આપણા જ પ્રતિબિંબ સાથે. જે પોતાનું પ્રતિબિંબ જોવાની હિંમત રાખે છે, એ શીખી જાય છે. જે આંખો મીંચી લે છે, એ ફરી ફરી એ જ વળાંક પર અટવાઈ જાય છે. વર્ષ બદલાય છે, પણ માણસ ત્યાં જ ઊભો રહે છે, જો તે અંદરથી આગળ ન વધે.

નવા વર્ષની શરૂઆત ઘણીવાર સંકલ્પોથી થાય છે. જેમ કોઈ નદી પાસે ઊભા રહીને આપણે કહીએ, “આ વખતે હું વહેતા શીખીશ.” પણ નદી આપણને શીખવાડતી નથી કે કેવી રીતે વહેવું; તે તો બસ વહે છે. વહેવાની કળા આપણે પોતે શીખવી પડે છે… પથ્થરો સાથે અથડાઈને, કિનારા શોધતાં, ક્યારેક ડૂબીને. કદાચ આ જ જીવનનું સૂક્ષ્મ રહસ્ય છે: શીખડાવેલું જ્ઞાન નહીં, પણ અનુભવથી ઊપજેલી સમજ.

જૂનું વર્ષ આપણને એક દર્પણ આપી જાય છે. તેમાં આપણા ડર દેખાય છે અને આપણાં સપનાં પણ. કેટલાક ડર આપણે સાથે લઈ જઈએ છીએ, કારણ કે તે આપણને સાવધાન રાખે છે. કેટલાક સપનાં આપણે છોડીને આવીએ છીએ, કારણ કે તે હવે આપણા બરનાં નથી રહ્યાં હોતાં. જીવન કદાચ આ જ છે… છોડતા શીખવું અને રાખતા શીખવું, બંને વચ્ચે સંતુલન સાધવું.

નવું વર્ષ વચન નથી આપતું કે બધું સારું જ થશે. પણ તે એક તક આપે છે—શાંતિથી શ્વાસ લેવાની, પાછું જોયા વિના આગળ વધવાની, અને પોતાને ફરી એક વાર પૂછવાની કે, “હું જે છું, તે પૂરતું છે?” આ પ્રશ્નનો જવાબ કદાચ હા કે ના નથી; કદાચ એ એક લાંબી ચુપ્પી છે, જેમાંથી ધીમે ધીમે સમજ જન્મે છે.

અને અંતે, વર્ષ બદલાય ત્યારે ફટાકડા ફૂટે કે ઘડિયાળમાં બાર વાગે, બધું બહારનું છે. અંદર તો એક નાનો દીવો પ્રગટે છે, જે કહે છે: “હજી બધું પૂરું થયું નથી.” એ દીવો જ આપણને ચાલવા પ્રેરે છે, કારણ કે જીવન કોઈ દોડ નથી, કોઈ સ્પર્ધા નથી; તે તો એક યાત્રા છે. જ્યાં દરેક પગલું, ભલે ધીમું હોય, પોતે જ એક પ્રાર્થના બની જાય છે.

આથી, નવા વર્ષને આવકારો કોઈ શોરબકોર વગર, કોઈ તામજામ વિના. એને બેસવા દો તમારા મનના ઓટલા પર. અને જ્યારે તે પૂછે, “તમે શું ઈચ્છો છો?”ત્યારે કોઈ મોટું વચન ન માગશો. માત્ર એટલું કહો: “હું સાચેસાચું જીવવા માંગું છું.”

લોગઆઉટઃ

કંઈક યાદો લઈ અને વીત્યું વરસ,
જોત જોતામાં નવું આવ્યું વરસ,
હાસ્ય આપ્યું, તો ભીંજાઈ આંખ પણ,
ને ફરીથી સ્વપ્ન કંઈ લાવ્યું વરસ.’’
– નયન દેસાઈ

ઘાટઘાટનાં વાસણ ઘડિયાં

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ઘાટઘાટનાં વાસણ ઘડિયા, એની માથે કાંઠા ચડિયા,
એ વાસણમાં રંગો ભરવા,કોણ ઊભું છે લઇને ખડિયા?

રંગ તણો રંગારો કેવો? કેવી પીંછી, કેવા રંગો!
ઘાટેઘાટે ફેર છતાંયે એક સરીખાં રાખ્યાં અંગો,
કાન, ગાન ને વાન ઘડીને, સાન ભાનને સાથે જડિયાં,

જેવો જેનો ઘાટ ઘડાયો એ પરમાણે તે પરખાશે,
જેને લાગ્યો તેજ ટકોરો, એ સૌથી પ્હેલાં વ્હેચાશે,
અંતે પાછા મૂળ જગા એ ભળી ગયા તે કદી ના રડિયા.

– ભરત વાઘેલા

કવિ જયંત પાઠકે ઈશ્વરને ચિતારા તરીકે આલેખીને લખ્યું-
“અજબ મિલાવટ કરી, ચિતારે રંગપ્યાલીઓ ભરી!
એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતીપટથી પ્હાડ,
ઘટ્ટ નીલિમા નરી, ચિતારે રંગપ્યાલીઓ ભરી!

ઈશ્વરે જગતનું સર્જન કેવી રીતે કર્યું, કઈ રીતે જંગલ રચાયા, કેવી રીતે પહાડ? તેની કલ્પના જયંત પાઠકે પોતાની કવિતામાં સરસ રીતે કરી છે. જયંત પાઠક મૂળ તો પ્રકૃતિના કવિ, આદિવાસીનું તીણું તીર તેમનો શબ્દ સારી રીતે નાણી શકતો હતો. ઈશ્વરને કોઈએ ચિતારો કહ્યો, કોઈએ રંગારો, તો કોઈએ કુંભાર. પરંતુ દરેકમાં સર્જકસ્થાને પરમતત્ત્વને બેસાડ્યું છે. કોઈ પણ ધર્મ લો, જગતના સર્જન પાછળ દરેકે અગમ શક્તિને કારણભૂત ગણી છે. તેને તમે ભગવાન કહો કે ગોડ, અલ્લાહ કહો કે ઈસુ.અંતે બધું એક જ છે. આપણી સમજણ પ્રમાણે આપણે તેમને ઉલ્લેખ્યા.

નરસિંહ મહેતા કહે છે તેમ, ઘાટ ઘડિયા પછી નામરૂપ ઝૂઝવા. સોનું તો એક જ છે, તેનો આકાર ભીન્ન છે.

કવિ જગતને નિહાળે છે, અને પોતાની અનુભૂતિનું અત્તર રેડી, સમજણના સૂર છેડી, શબ્દની માળા ગૂંથે છે. કવિ ભરત વાઘેલાએ આપણા જીવનનાં સર્જન પાછળ કયું તત્ત્વ કામ કરે છે, કોણ આપણને ઘાટઘૂટ આપે છે, કોણ રંગરૂપ આપે છે, તે બાબતે સીધે નિર્દેશ નથી કરતા, પ્રશ્ન કરે છે. તેમની કવિતામાં જીવન, સર્જન, સમાનતા, ભીન્નતા, સર્જન અને વિલયના સંકેતો છે.

કુંભાર એક જ માટીમાંથી વાસણ બનાવે છે, પરંતુ દરેકના ઘાટ અલગ હોય છે. સંસાર એક ચાકડો છે, આપણે બધા ચાકડે ચડેલા છીએ. કુંભાર જ્યારે માટલું ઘડે, ત્યારેે એક હાથે બહારથી થપાટો મારે છે, પણ બીજા હાથ વડે અંદરથી ટેકો પણ આપે છે. જ્યારે જીવનમાં વિપરિત સ્થિતિ આવી જાય, સંજોગોની કપરી લાતો વાગવા માંડે ત્યારે સમજી જવું કે ઈશ્વર આપણને ઘાટ આપી રહ્યા છે. આપણને તેમના દ્વારા મારવામાં આવેલી લાત અનુભવાય છે, પણ તેમણે આપેલો ટેકો નહીં. એ ટેકાનું તેજ અનુભવતા થઈ જઈએ તો ભાગ્યની લપડાક એટલી વરવી નહીં લાગે.

દરેક મનુષ્યનો બાહ્ય દેખાવ અલગ હોય છે, આંખ, નાક, કાન, હાથ, પગ બધાના આકાર ભિન્ન છે, પણ અંતરાત્મા તો એક જ હોય છે. જેમ એક વૃક્ષનાં બીંજ સમાન હોય છે, પરંતુ તેમાંથી ઊગતાં વૃક્ષોનો ફેલાવો અલગ. થડ, ડાળી અને મૂળ સુધ્ધાંનો વિસ્તાર દરેકનો પોતાનો હોય છે, મનુષ્ય પણ આ બીજ જેવો હોય છે.

કવિને પ્રશ્ન થાય છે કે જીવનમાં રંગો પૂરનાર રંગારો કેવો હશે, તેની પીંછી કેવી હશે, કયા ખડિયામાં તેમણે આપણને ઘૂંટ્યા હશે, તેના રંગો શામાંથી બનાવવામાં આવ્યા હશે? એક રીતે જોવા જઈએ તો સફળતા-નિષ્ફળતા, સુખ-દુઃખ, માન-અપમાન આ બધાં જ જીવનના રંગો છે. આ બધા જ રંગો આપણે અસ્તિત્વના વાસણમાં ઘોળીએ છીએ. કોઈના જીવનમાં આનંદનો રંગ વધારે હોય છે, કોઈના જીવનમાં સંઘર્ષનો.

આપણે ત્યાં એવી પણ માન્યતા છે, જે માનવી જેટલું સહન કરી શકે, ઈશ્વર તેને તેટલું જ દુઃખ કે સુખ આપે છે. જ્યારે વધારે પડતી મુશ્કેલી આવે ત્યારે સમજી જવું કે ઈશ્વરે આપણને વિશેષ સહનશક્તિ આપી છે. જ્યારે અનહદ સુખ આવે ત્યારે પણ એમ સમજવું કે પ્રભુએ સુખને વહન કરવાની તાકાત આપી છે. કેમ કે માત્ર દુઃખ નહીં, સુખને સહન કરવાની હામ પણ હોવી જરૂરી છે.

બધા વાસણોનો અંતિમ મુકામ માટી છે. આપણા અસ્તિત્વનું વાસણ પણ એક દિવસ માટીમાં એ જ માટીમાં ભળી જવાનું છે, જેમાંથી તે સર્જાયું. અવિનાશ વ્યાસે કહ્યું છે તેમ, આપણે સહુ રાખનાં રમકડાં છીએ.

લોગઆઉટઃ

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
- અવિનાશ વ્યાસ

પગલું મૂકતાં ઘડીક હું તો બીધો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

પથ એવો તો જાય છે સીધો,
પગલું મૂકતાં ઘડીક હું તો બીધો.

આટલી ડોલતી ડાળ, એને પણ એક ના વાંક-વળાંક,
જેમ વહું તેમ હરખભર્યો ચડતો વ્હાલો થાક;
નેન ભરીને નીરખું નદી તેમ તે એને પીધો…

જલમાં તર્યો, આભમાં ઊડયો, લસર્યો રેશમી ઢાળ,
પગલું ધરું હું જ હવે કે પવન ભરતો ફાળ?
કોઈ અજાણ્યા જનને જાવું? સ્હેજ ઈશારો કીધો!

– પ્રિયકાન્ત મણિયાર

કવિ હર્ષ બ્રહ્મભટ્ટનો સુંદર શેર છે-
એ ગમે ત્યારે ગબડવાનો જ છે,
એના રસ્તામાં કોઈ ઠોકર નથી.

જેણે મુશ્કેલીઓનો માર નથી ખાધો, એ સરળતાને પચાવી નથી શકતો. સીધો સપાટ રસ્તો ક્યારેક ખરબચડા માર્ગ કરતા વધારે મોટી મુશ્કેલીઓ ઊભી કરતો હોય છે.

પ્રિયકાન્ત મણિયાર સસ્તાની સરળતા બતાવે છે, તો સાથે તેની ભયાનકતા તરફ પણ આંગળી ચીંધે છે. રતન ટાટાએ એક વખત કહેલું, સૌથી મોટું જોખમ એ છે કે કોઈ જોખમ ન લેવું. જે રસ્તામાં અડચણ ન હોય બધું સરસ-સરસ હોય એ રસ્તો તમને ક્યાંય લઈ જતો નથી. લાંબો પ્રવાસ કરવો હોય અને તો જોખમોની તૈયારી રાખવી જ પડે.

જે માર્ગમાં અડચરણ નથી, તે માર્ગ વધારે અડચણરૂપ હોય છે. કશી મુશ્કેલી વિના મોટી ઉપલબ્ધિ મળી જાય તો એ મોટી મુશ્કેલીને મોકલવામાં આવેલું નિમંત્રણ છે. જે હીરો ઘસાતો નથી તે ચમક નથી પામતો. બાગમાં માળીની માવજતથી મોટા થયેલાં વૃક્ષો અને જંગલમાં પોતાની મેળે પાંગરેલા વૃક્ષોમાં જમીન આસમાનનો ફર્ક હોય છે.

કવિ પ્રિયકાન્ત મણિયાર જણાવે છે કે રસ્તો એટલો સીધો હતો કે પગલું મૂકતાની સાથે મને ડર લાગ્યો કે આમાં કોઈ સમસ્યા તો નહીં હોયને. કેમ કે જીવનના માર્ગ એટલા સરળ નથી હોતા, જેટલા આપણે સમજીએ. ડગલે ને પગલે આફતોના અણીદાર કાંટા ખીલાની જેમ ખોડાયેલા હોય છે. તેની પર ચાલીને પગને લોહીલુહાણ કરવા પડે છે. ઠેરઠેર ખુવારીના ખાડા હોય છે, તેમાં પછડાવું પડે છે. વિવિધ વળાંકો, અવરોધો અને સમસ્યાઓથી ટેવાયેલા હોય તેમને અચાનક સીધો રસ્તો મળે તો ભય લાગે જ.

કમલ હસન અભિનિત ‘પુષ્પક’ ફિલ્મમાં, તે એક એવી વસ્તીમાં રહેતો હતો, જ્યાં અનેક પ્રકારનો ઘોંઘાટ હોય. પછી તે એક એવા સ્થાને રહેવા જાય છે, જ્યાં શાંતિ છે, આરામ છે. પરંતુ તેને ઊંઘ જ નથી આવતી. કેમ કે તેના કાન કર્કશ અવાજોથી ટેવાયેલા હોય છે. આખરે તે એ વસ્તીમાં જઈને એ દેકારો એક ટેપમાં રેકોર્ડ કરે છે, રાતે ઊંઘતી વખતે તેને સાંભળે છે, જેથી ઊંઘ આવે. સમસ્યાથી ટેવાયેલા માણસને અચાનક મુશ્કેલી વગરનો રસ્તો મળે તો તેના પગ અચાનક ડગમગવા લાગે છે. સુખ તેને સદતું નથી, તેને ઊલટાની ચિંતા થવા લાગે છે કે અરે, મારા ભાગ્યમાં આવું ક્યાંથી, આમ સહેલાથી મને આટલું બધું મળી જાય એ વાતમાં કોઈ માલ જ નથી. નક્કી ક્યાંક ગરબડ ગોટાળો છે.

કવિએ ડોલતી ડાળનું રૂપક બહુ સમજીને પ્રયોજ્યું છે. ડાળમાં કોઈ વાંકવળાંક નથી, છતાં તે ડોલે છે, તેમ જીવનમાં ક્યારેક કશી ખોટ હોતી નથી, છતાં અંદરથી અસ્થિરતા લાગે છે. માણસનો મૂળ સ્વભાવ ચિંતા અને દ્વિદ્ધાનો છે. એટલા માટે જ લોકો ચિંતન, નિર્વિચારની સ્થિતિને પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરતા રહેતા હશે. જિંદગી તો અનેક દ્વંદ્વથી ભરી છે, જીવતા રહેવાનો અર્થ છે — યુદ્ધ. જાત સાથે અને જગત સાથે.

લોગઆઉટઃ

હર વખત જીતી જવાની આ શરત મુશ્કેલ છે,
શ્વાસ સાથે હાથતાળીની રમત મુશ્કેલ છે.
માહ્યલા ! તું છોડી દે એવી મમત મુશ્કેલ છે,
રાખવો રાજી તને આખો વખત મુશ્કેલ છે.
– હરીશ ઠક્કર

જેણે કર્યા છે ઘાવ, એ કંઈ પારકા નથી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કોની કરૂં હું રાવ, એ કંઈ પારકા નથી;
જેણે કર્યા છે ઘાવ, એ કંઈ પારકા નથી.

દરિયો તો ખેર કોઈનો થાતો નથી મગર,
જેણે ડુબાવી નાવ, એ કંઈ પારકા નથી.

હારી ગયાનું એટલે તો દુઃખ નથી મને,
જીતી ગયા જે દાવ, એ કંઈ પારકા નથી.

મારી કતલનો દોષ, અને એમના ઉપર?
કરવા દે દિલ! બચાવ, એ કંઈ પારકા નથી.

એ શકય છે કે થોડાં ઘણાં પારકાં હશે,
બેફામ કિન્તુ સાવ એ કઈ પારકાં નથી.

– બરકત વિરાણી ‘બેફામ’

બરકત વિરાણી ‘બેફામ’ની ગઝલોએ ગુજરાતી સાહિત્યની બરકત વધારી છે. તેમની ગઝલમાં મૃૃત્યુનું સત્ય અનેક વાર પડઘાય છે. પરંતુ જીવનની કડવી વાસ્તવિકતાને ઉલ્લેખવાનું પણ તે ચૂક્યા નથી. તેમની ઉપરોક્ત ગઝલમાં આપણને જીવનનું તીખું, સચોટ અને દુઃખદ સત્ય વરતાય છે. જીણવટપૂર્વક નિરીક્ષણ કરશો તો સમજાશે કે ઊંડા ઘા પારકા માણસો નથી આપતા. જેને આપણે પોતાના માન્યા હોય, જેની ખાતર કોઈ પણ હદ સુધી જવાની આપણી તૈયારી હોય, જેની માટે મોત પણ વહાલું કરવાની આપણી તૈયારી હોય, તેવી વ્યક્તિ તરફથી મળથો આઘાત મૃત્યુથી પણ બદતર હોય છે. બેફામસાહેબ આ સત્યને બહુ સારી રીતે જાણે છે.

આપણી દુઃખતી નસ નજીકના માણસો જ જાણતા હોય છે. તેથી જ્યારે પણ મુશ્કેલી આવે, એ નસ દબાવાનું કામ સૌથી પહેલા અંગત સ્વજનો જ કરતા હોય છે. એવે વખતે ફરિયાદ પણ કોને કરવાની? વાડામાં વાવેલા ચીભડાંના રક્ષણ માટે ચારે તરફ વાડ બનાવવામાં આવે છે, જેથી કોઈ વ્યક્તિ, કે પ્રાણી આવીને નુકસાન કે ચોરી ન કરે. પણ જેને રક્ષણ કરવા માટે રાખ્યા હોય એ જ ભક્ષણ કરવા માંડે — વાડ પોતે ચીભડાં ગળે તો કોને કહેવું. ઘણાં સ્વજનો આ વાડ જેવાં હોય છે, બહારથી લાગે કે રક્ષણ કરી રહ્યા છે, પણ અંદરથી ચીભડાં ગળતી વાડ જેવાં હોય છે. આવી દુઃખદ પરિસ્થિતિની રાવ પણ કોઈને નથી કરાતી, કેમ કે આપણને ખબર હોય છે, ચીભડાં કોણ ગળી ગયું છે.

દરિયાઈ મુસાફરીમાં અનેક તોફાનો, ઝંઝાવાતોનો સામનો કરવો પડે છે. કાબેલ વ્યક્તિઓ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મહાસાગર પાર કરી લે છે, પણ જે વહાણમાં આપણે બેઠા હોઈએ, તે વહાણમાં આપણો જ સાથીદાર આપણને ડુબાડવાનો હોય, તો પછી બચવાનો કોઈ રસ્તો નથી રહેતો. દરિયાના તોફાનમાંથી તો તોય બચી શકાય — સ્વજન દ્વારા કરવામાં આવતા છળ બાદ ગમે તેટલું તોતિંગ અને શક્તિશાળી વહાણ હોય, ડૂબ્યા સિવાય છૂટકો નથી.

પરાજય દુઃખ નથી આપતો, પરાજયનું કારણ દુઃખ આપે છે. જે બાજુમાં બેઠા હોય એમનો હાથ સૌથી પહેલાં આપણા સુધી પહોંચતો હોય છે. આપણને પાડવામાં તેમની ભૂમિકા જ સૌથી વધારે હોય છે. દૂરના માણસો તો જોશે, ઈર્ષા કરશે, કદાચ ગુસ્સો પણ કરશે, પણ આપણને પાડવામાં તો નજીકનાઓ જ હશે.

હૃદય એ જ તોડી શકે, જે હૃદયમાં રહેતા હોય. પીડા એ જ આપે જે પોતાના હોય. આઘાત એ જ આપે જે અંગત હોય. વ્યથા એ જ દે, જે વહાલા હોય. બહારનાની તો એટલી હેસિયત હોય જ નહીં કે એ આપણને દુઃખી કરી શકે. બહુ બહુ તો એ આપણને હેરાન કરી શકે, એ હેરાનગતિ તો પારકા માણસથી દૂર જતા રહીએ તો આપોઆપ ટળી જાય, પણ પોતાના માણસોએ આપેલાં દુઃખ, તેમનાથી ગમે તેટલા દૂર થઈએ, પીછો છોડતાં જ નથી.

કવિ બરકત વિરાણીએ એ વાત વાતને બહુ સચોટ રીતે વ્યક્ત કરી છે. રાજેશ વ્યાસ મિસ્કીને પણ આ વાત બહુ ગંભીરતાથી કરી છે.

લોગઆઉટઃ

સાવ જુઠું જગત કોઈ તારું નથી,
મૂક સઘળી મમત કોઈ તારું નથી.

કોણ કોનું? અને એય પણ ક્યાં લગી?
છે બધું મનઘડત કોઈ તારું નથી.

જે પળે જાણશે સોંસરો સળગશે,
આ બધી છે રમત કોઈ તારું નથી.

કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી,
છેક સુધી સતત, કોઈ તારું નથી.

કઈ રીતે હું મનાવું તને બોલ મન,
બોલ, લાગી શરત કોઈ તારું નથી.

કોઈ એકાદ જણ, એય બેચાર પળ,
કે અહીં હરવખત કોઈ તારું નથી.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

વ્હાલમ, આવોને પળવાર!

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

તમે અમારા તિમિર ઘૂંટેલાં નયણાંનો ઝબકાર,
વ્હાલમ, આવોને પળવાર!
તમે અમારા તરસ મઢેલા કંઠ તણો ચિત્કાર,
વ્હાલમ, આવોને પળવાર!

તમે કહો તો પળભર જીવતા ઝાકળ થઈને ગાશું,
તમે કહો તો પગલે પગલે ધૂળ બની પથરાશું;
આવો નહિ તો આપો અમને આવ્યાનો અણસાર,
વ્હાલમ, આવોને પળવાર!

સાંકળ ભેગી છાતી ખખડે, પ્રગટી ઉઠે પ્રાણ,
પછી અજંપો બાથ ભીડીને રોજ થતો મહેમાન;
આંખ્યું અંતે પથ્થર થાશે, અમે થશું પગથાર…
વ્હાલમ, આવોને પળવાર!

– પ્રહલાદ જાની ‘તન્હા’

પ્રતીક્ષા — રાહ જોવી એ પ્રેમમાં મળતી સજા નથી, પણ પ્રેમનો એક રંગ છે. જેના વડે હૃૃદયના કેનવાસ પર રંગોળી કરવાની હોય છે. પ્રતીક્ષા અંતરના ઊંબરે દીવો મૂકવાની ઘટના છે, એ દીવાના અજવાળે રાહ જોનાર તો રોશન થાય જ છે, પણ જેની પ્રતીક્ષા છે, એના અંતરમાં પણ ઉજાસ થતો હોય છે. પ્રતીક્ષાના સરોવરની સપાટી પર આવકાર રૂપી તરાપા તર્યા કરે છે, પણ તેના તળિયે અનહદ વ્યથાનો લાવા ધરબાયેલો છે. લોકોને તરાપા દેખાય છે, જળની ચળકતી સપાટી દેખાય છે, પરંતુ અંદર ધરબાયેલો લાવા નહીં,

પ્રતીક્ષા પ્રણયની પરીક્ષા છે, અને પ્રતિજ્ઞા પણ. તેમાં આશા છે, નિરાશા પણ. ક્યારેક પ્રતીક્ષા પ્રેમરૂપી મુગટમાં મોરપિચ્છ જેમ શોભે છે, તો વળી ક્યારેક એ જ પ્રતીક્ષા હદયમાં ખીલા જેમ ભોંકાય પણ છે. કવિ પ્રહલાદ જાની ‘તનહા’એ વહાલમના પળભર અણસારને પામવા પગથાર થઈ જવા સુધીની તૈયારી બતાવી છે.

ઘણી વાર પ્રેમનું ઊંડાણ મિલન કરતા વિશેષ મિલનની ઇંતેઝારીમાં હોય છે. મંજિલ કરતા સફરમું મહત્ત્વ વધી જતું હોય છે. મિલન ઝંખના પ્રેમી મળતા પહેલા હજારો વાર વિચારે છે કે, આમ વાત કરીશું, તેમ કહીશું, પણ ખરેખર મળવાનું થાય તો એક શબ્દ સુધ્ધાં યાદ આવતો નથી. મરીઝે લખ્યું છે,
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

પ્રહલાદ જાનીની કવિતામાં વર્ણવાયેલ કાવ્યનાયિકા અથવા નાયક મિલન ઝંખે છે. રાહ જોઈ જોઈને તેની આંખે અંધારના ઓળા ઊતરવા લાગ્યા છે. તેની આંખોએ અંધકાર બરોબર ઘૂંટ્યો છે. તેમાં પ્રિય પાત્રનું આગમન અંધારી રાતે અચાનક થતા ઝબકાર જેવું છે. અને આ ઝબકાર પામવા માટે તે ઝાકળ થવા પણ તૈયાર છે, એવું ઝાકળ જેનું જીવન માત્ર સૂર્યના ઊગવા સુધી જ હોય છે, જેવો પૂર્વમાંથી સૂર્ય ઊગે, કિરણો ધરતી પર પડે કે તરત ઝાકળનું અસ્તિત્વ મટી જાય છે. કવિને ખબર છે, આ ઝાકળનું આયુષ્ય લાંબું નથી, પરંતુ જો પ્રિયતમની કિરણ ઝલક સાંપડતી હોય તો અમને ઝાકળ થવું પણ મંજૂર છે. એ જે રસ્તેથી આવવાના હોય તે રસ્તાની ધૂળ બનીને હું મારી જાત પાથરવા આતુર છું. તે છતાં પણ ન આવી શકે તેમ હોય તો વાંધો નહીં, માત્ર આવવાનો અણસારો આપી દો. આ અણસારો પણ અમારા માટે જીવાદોરી સમાન છે.

આપણે ત્યાં એક સુંદર શબ્દ છે — ભવસાગર. ભવ અર્થાત આખું જીવન અને સાગર અર્થાત દરિયો, સમુદ્ર. જીવનરૂપી આ વિશાળ સમુદ્રમાં કોઈની પ્રતીક્ષા દીવાદાંડી સમાન હોય છે. દરિયાની જેમ જીવનમાં પણ અનેક તોફાનો આવે છે, વાવાઝોડા ફુંકાય છે. એકાએક વીજળી ત્રાટકી પડે છે, ઝંઝાવાતો બધું હતું ન હતું કરી નાખે છે. આવા સમયે અંધકાર અને વ્યથાના વમળોમાં ઘેરાઈ જઈએ છીએ, કશું જ દેખાતું નથી, સૂજતું નથી. ત્યારે પેલી દીવાદાંડી દૂરથી પ્રકાશ ફેંકે છે. કવિએ કદાચ એટલા માટે જ કહ્યું હશે - આવો નહિ તો આપો અમને આવ્યાનો અણસાર.

ઘરની સાંકળ પણ ખખડે તો છાતીમાં સણકો ઊપડે છે કે એ આવ્યાં હશે? પરંતુ દ્વાર ઊઘાડીને જોઈએ તો કશું હોતું નથી, સિવાય કે હવા. કૈૈફ ભોપાલીનો એક અદ્ભુત શેર છે-
કૌન આયેગા યહાં, કોઈ ન આયા હોગા,
મેરા દરવાજા હવાઓને હિલાયા હોગા.

પ્રતીક્ષાના શિખર પર પહોંચ્યા પછી ક્યારેક એવું પણ લાગવા માંડે છે કે હવે કોઈ આવનાર નથી, રાહ જોઈને આંખો સૂકી પથ્થર જેવી થઈ જાય છે. કદાચ આ સમય, એ જ ખરી કસોટીનો સમય હોય છે.

લોગઆઉટઃ

આવકારો આ ઝરણ પામી ગયાં,
પ્હાડમાંથી સાંભળી જાગી ગયાં.
આવનારા કોઈ નવતર માફ કર,
આવનારા જે હતા આવી ગયા.
– રાવજી પટેલ

ગમે તે જીતશે, હારશે જનતા

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

લોકશાહીમાં ભલે જીતે ગમે તે પક્ષ પણ,
એટલું નક્કી કે જનતા હારવાની હોય છે.
- કિશોર બારોટ

આપણા દેશના નેતાઓ ખૂબ સેવાભાવી છે. પોતાના પક્ષમાં ટિકિટ ન મળે તો બીજા પક્ષમાંથી ચૂંટણી લડશે, પણ ધરાર સેવા કરીને જ રહેશે. આવા સેવાભાવી લોકો ચૂંટણીના પડઘમ વાગતાની સાથે પોતાની ચિલ્ડ એસી ઑફિસમાંથી નીકળીને સેવકોના કાફલા સાથે અંતરિયાળ વિસ્તારોમાં નીકળી પડે છે — પ્રજાનો વિકાસ કરવા માટે. કેમેરા, રિપોર્ટરો અને ખાસ માણસો સાથે. ક્યાં ક્યાં શું શું કમી છે, તેને કેમ નિવારી શકાય અને પ્રજાનું કઈ રીતે ભલું કરી શકાય તે વાત તેમને ચૂંટણી આવવાના થોડા સમય પહેલા સાધુને આત્મજ્ઞાન લાધે, તેમ લાધે છે. પછી રાતોરાત વાયદાના પરબીડિયાંઓ છપાય છે. પબ્લિકમાં લાભોની લહાણી થાય છે. નવી નવી યોજનાની લોલીપોપો વહેંચાય છે. અને લોકો હોંશેહોંશે ચૂસે છે પણ ખરા. પણ જેવી જીત થાય — બધું સાડા ચાર વર્ષ માટે ક્યાંક ભોંયમાં ભંડારાઈ જાય છે, જેમ બર્ફીલા પ્રદેશમાં વસતા નાનાં પ્રાણીઓ બરફ પડવાની શરૂઆત થાય એટલે હુંફાળી જગ્યાએ છુપાઈ જાય તેમ. પછી ઠંડી ઋતુ જાય, બરફ ઓગળે એટલે આપોઆપ બહાર નીકળે. બસ આ જ ચક્ર વર્ષોથી ચાલ્યા કરે છે.


શેખાદમ આબુવાલાએ લખ્યું છે-
રાજનીતિને કરી કેટલી ખૂબીથી શહીદ,
રાજ રાખીને તમે નીતિની ગરદન કાપી.

નીતિનું ગળું કાપીને રાજ કરાનારા શાસકો પાસે આપણે વિકાસ અને ન્યાયની આશા રાખીએ છીએ. ખરી દાદ તો આટઆટલા નિષ્ફળ ગયા પછી પણ નેતાઓ પાસે આશા રાખીનારી પબ્લિકને આપવી જોઈએ. નેતાઓ તો જીતીને પોતાનો વિકાસ કરી લે છે, પણ પ્રજા બાપડી એ જ ધૂળિયા રસ્તા, ગટરો, કચરાના ઢગલા, અને ગંદકીમાં સબડ્યા કરે છે. તેમની માંગણી અને લાગણી ધૂળ ને ધાણી થઈ જાય છે. તેમણે કરેલી રજૂઆતો અને અરજીઓને કોકે સ્ટેચ્યુ કહ્યું હોય તેમ, જ્યાં હોય ત્યાં જ ચોંટી જાય છે. નથી હાલતી, ચાલતી, આગળ વધતી. અરે એ અરજીઓ તો કોઈને દેખાતી પણ નથી. લોકો નોકરી માટે, સુવિધા માટે, ઝઝૂમ્યા કરે છે. તેમને ખબર છે કે કશો ખાસ ફેર પડવાનો નથી, છતાં આશા રાખે છે કે કશુંક બદલાશે. મત આપીને રાજી થાય છે.

કિશોર બારોટે સહજ રીતે, પણ કડવા સત્ય જેવી વાત કરી છે. પક્ષ કોઈ પણ જીતે, નેતા ગમે તે જીતે, પણ હાર તો બિચારી પબ્લિકની જ થાય છે. જે સત્તામાં નથી તે નીતિ, પ્રામાણિકતા, સેવાભાવ, કાયદા અને વાયદાની વાતો કરશે. એમને સાંભળીને આપણને પણ થાય કે આ માણસ જો ચૂંટાઈ જાય તો ધરતીને સ્વર્ગ બનાવવાથી કોઈ રોકી શકવાનું નથી. અને નવાઈની વાત તો એ કે એ માણસ ચૂંટાઈ પણ જાય, પણ પેલું સ્વર્ગ ક્યાંય દેખાય નહીં જ નહીં ને. એ તો હતું ત્યાં ને ત્યાં જ — ધારણામાં જ રહે છે.

દરેક મંદિરમાં દીવો ધરવો પડે છે, બાધા-આખડીઓ કરવી પડે છે, તપ, પૂજા, આરાધના કરવા પડે છે, ત્યારે પ્રભુની કૃપા સાંપડે છે. આપણી સરકારી કચેરીઓ આવાં જ મંદિરો છે. જ્યાં સુધી લાંચરુશ્વતનો દીવો ન પ્રગટે ત્યાં સુધી કચેરીમાં બેઠેલા દેવતાઓની આંખો ખૂલતી નથી. જ્યાં સુધી પગાર સિવાયની એક્સ્ટ્રા કમાણીના રૂપિયાનો ખણખણતો અવાજ તેમના કાનમાં ન પડે, તેમની અંદર પ્રસન્નતાનો પારો ચડતો જ નથી. તમે ગમે તેટલા સાચા હોવ, ગમે તેટલા લીગલી પેપર્સ હોય, બધું જ કાયદા મુજબ હોય છતાં, તમારે રૂપિયાનો રૂડો દીવો તો ધરવો પડશે, તો જ શાસકદેવ પ્રસન્ન થશે, અને તેમને આશીર્વાદ મળે.

રાવજી પટેલની પ્રસિદ્ધ કવિતા મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, કાવ્યમાં એક પંક્તિ આવે છે, “મારી વેલ શંગારો વીરા, શગને સંકોરો, રે અજવાળા પહેરી ઊભા શ્વાસ…” સરકારી કામની વેલ શણગારવી હોય તો શગ નહીં, વગ વાપરવી પડે છે. તો જ કાગળિયામાં અજવાળા થાય છે. બાકી તમે તૂટીને ત્રણ થઈ જાવ, અંધારા ઊલેચી નહીં શકો.

લોગઆઉટઃ

‘તપ’ નહીં પણ ‘વગ’ પ્રભુનું ડોલતું આસન કરે,
આ હકીકત જે ન સમજે તે ભજનકીર્તન કરે.
– ‘મસ્ત હબીબ સારોદી’ (મુલ્લા રમૂજી)

ફળીનાં બાંકડે હાંફ્યા કરે મકાન

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ચાલ્યા કરે હળુ હળુ થાક્યા કરે મકાન,
અંતે ફળીનાં બાંકડે હાંફ્યા કરે મકાન.

ઊડી ગયા છે જ્યારથી ટહુકા વિદેશમાં,
બે ચાર લીલી ડાળખી માંગ્યા કરે મકાન.

પોતું કરેલ ઓસરી; ધોયા વગરના પગ,
એકાદ પગલું ફર્શ પર વાંછ્યા કરે મકાન.

નક્કી કશુંક તો હતું સામેની બારીએ,
અમથું સવાર-સાંજ ના તાક્યા કરે મકાન.

જે નેમપ્લેટ પર હતો એ જણ ગયો છે ક્યાં?
મૂંગી હજાર અટકળો બાંધ્યા કરે મકાન.

— પારુલ ખખ્ખર

ગુજરાતી ભાષામાં એક સુંદર ભજન છેઃ જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. શરીર ભાડાનું મકાન છે, અને મકાન ખંડેર થાય છે. પણ ખંડેર થતા પહેલાં તેમાં અનેક ઉમંગો જિવાય છે, રંગો છલકાય છે. સંબંધોની સુવાસ પથરાય છે. અનુભવનું નાણું એકઠું થાય છે. એ નાણાના જોરે જ આપણી આંતરિક સમૃદ્ધિ કે પાયમાલી નિશ્ચિત થતી હોય છે. પારૂલ ખખ્ખરે ઈંટ-પથ્થરના મકાનને પ્રતિક બનાવી ઉંમરની અમુક અવસ્થાઓને ખૂબ બારીકાઈથી કંડારી છે.

વૃદ્ધાવસ્થા જીવનની અંતિમ અવસ્થા છે, પણ અંત નથી. ત્યાં કાયા જીર્ણ થાય છે, માયા તો એટલી જ યુવાન હોય છે, જેટલી પહેલા હતી. શરીર થાકે છે, પણ મન તો અગાઉ જેટલું જ ઊર્જામય હોય છે. જે મકાન કાયમ હર્યુંભર્યું રહેતું હોય, ત્યાં એકએક સન્નાટો સુસવાટા મારવા માંડે ત્યારે ઉદાસી સિવાય બીજું શું બચે? વૃદ્ધાવસ્થાએ પહોંચેલ વ્યક્તિએ જીવનભર જે ચાર દીવાલોમાં શ્વાસ લીધા હોય, સપનાં ઉછેર્યાં હોય તે સપનાંને પાંખો આવતા દૂર જઈ વસે ત્યારે થાકેલા દેહ સાથે ફળિના ઓટલા પર બેસીને એમની સાથેની યાદો વાગોળ્યા સિવાય બીજો કશો હોય પણ ક્યાંથી! તેમાં શરીરના હાંફની સાથે મનનો થાક પણ હોય છે. કોઈ નથી-નો વસવસો પણ હોય છે. તેમની આંખો સતત ઝંખ્યા કરતી હોય છે કે ઊડી ગયેલાં પંખીઓ માળામાં પાછાં આવે, ફરીથી મકાન હર્યું ભર્યું થાય, ફરીથી ટહુકાઓથી રેલાય.

ફળિયાની ધૂળમાં રમતાં બાળકો ગમે ત્યારે ઘરમાં દોડી આવે, તેમનાં ધૂળમાટીમાં રજોટાયેલી નાની પગલીઓથી ઘરને મેલુંદાટ કરી મૂકે. હજી કચરાંપોતાં કરીને માંડ નવરાં થયા હોઈએ ત્યાં તો ઘર ઘર હતું ન હતું થઈ જાય. ત્યારે ચીડ તો ચડે, પણ જ્યારે એ બાળકો ચાલ્યાં જાય, ઘર ખાલી થઈ જાય, ત્યારે સ્વચ્છ ઘર ખાવા દોડે. મન સતત ઝંખ્યા કરે કે ક્યારે એ તોફાની પગલાંઓ પાછાં આવે અને ઘરને મેલું કરે. તેમના કિલ્લોલથી ભરી દે. જે ઘર બાળકોનાં માટીવાળા ગંદા પગથી ખરડાય છે, તે ઘર ખૂબ નસીબદાર છે.

મકાન માત્ર અભાવનું સાક્ષી નથી હોતું, તે ભાવ અને ભાવનાની છબીઓ પણ ઝીલે છે. એક ઘરમાં ધબકતું યુવાન હૈયું સામેના ઘરની બારીના ધબકારા પોતાની છાતીમાં ઝીલતું હોય છે. કારણ-અકારણ આંખો એ બારી તરફ દોરવાઈ જાય છે. શરીર ભલે ગમે ત્યાં હોય, મન ચોવીસે કલાક એ બારીની આસપાસ જ હોય છે.

જે ઘરમાં વર્ષો સુધી જીવ્યા હોઈએ તે ઘરનું ફર્નિચર નહીં, ભીંતનો કણેકણ આપણને ઓળખતો હોય છે. ઘરમાં અન્ય કોઈ હોય ન હોય, ખાલી દીવાલને જોઈને પણ સાંત્વના મળતી હોય છે. પણ જ્યારે ઘરમાં જ કોઈ ન હોય તો ભીંતો બાપડી સાંત્વના પણ કોને આપે? મકાનમાં — જિવાયેલી જિંદગીની ઊર્જા હોય છે. એ ઊર્જાના ચાલ્યા જવાથી નિર્જીવ ભીંતો સુધ્ધા વસવસો અનુભવતી હોય, પણ તેને વાચા નથી કે વ્યક્ત કરી શકે. એને વ્યક્ત કરવા માટે તો પારૂલ ખખ્ખર જેવા સજ્જ કવિઓ જોઈએ.

લોગઆઉટઃ

પથ્થરને ઈંટનું ભલે પાકું મકાન છે,
એ ઘર બને ન ત્યાં સુધી કાચું મકાન છે.

વાતોનાં છે વિસામાને મીઠા છે આવકાર,
પૂછે છે પગરવો મને કોનું મકાન છે?

મારા મકાનનું તને સરનામું આપું, લખ,
ખુલ્લા ફટાક દ્વાર તે મારું મકાન છે.

તારા જ ઘર સુધી મને કેડી લઈ ગઈ,
પહેલા હતું જ્યાં ઘર ત્યાં તો ઊચું મકાન છે.

કોયલ કમાડે આવીને ટહુક્યાં કરે છે રોજ,
અફ્સોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.

એક બે ફલાગેં બહાર હું જઈ શકું છું પણ,
ભીતરની ભીંત ઠેકતા લાંબું મકાન છે.

- ગૌરાંગ ઠાકર

નદી જેવા લોકોને મળવા, નદીકિનારે જઈશ

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

જે મારા ઘરે ક્યારેય નહીં આવે,
તેમને મળવા હું તેમની પાસે જઈશ

એક છલકાતી નદી ક્યારેય નહીં આવે મારા ઘરે
નદી જેવા લોકોને મળવા, નદીકિનારે જઈશ
થોડુંક તરીશ, થોડો ડૂબી જઈશ.

પહાડ, ટેકરા, મેદાનો, તળાવો,
અસંખ્ય વૃક્ષો, ખેતરો…
ક્યારેય સામેથી નહીં આવે મારા ઘરે

ખેતર-ખળા જેવા લોકોને મળવા
ગામેગામ, વન-ગલીઓમાં જઈશ

જે નિરંતર કામમાં ડૂબેલા છે તેમને
નવરાશ માફક નહીં,
એક જરૂરી કામ માફક મળતો રહીશ
તેને હું મારી એકમાત્ર અંતિમ ઇચ્છાની જેમ
સૌથી પહેલી ઇચ્છા ગણીશ

- વિનોદ કુમાર શુક્લ

કાચની બોતલમાં નદીનું પાણી ભરીને, રોજ તેને જોવાથી નદીને નિહાળવાનું સુખ પ્રાપ્ત થતું નથી. આપણે રોજ પોતાની જાતને સંજોગો નામની બોતલમાં બંધ કરીને મુક્તિનું ગીત ગાઈએ છીએ. આપણે જ બનાવેલી સાંકળથી આપણે બંધાઈ જઈએ છીએ. નવાઈની વાત એ છે કે તેની ખબર પણ નથી હોતી. આ સાંકળ ક્યારેક નોકરી સ્વરૂપે હોય છે, ક્યારેક જવાબદારી રૂપે, ક્યારેક પરંપરા, પ્રથા, રિવાજો રૂપે પણ હોય. જોકે એવું નથી કે નોકરી, જવાબદારી આ બધું જરૂરી નથી, કહેવાનો અર્થ એટલો જ કે એ સાંકળ ન બનવી જોઈએ. એ સાંકળને તોડવા માટે જ આપણે બહાર નીકળવું જરૂરી છે. મિત્રો, સ્વજનો, પર્વતો, નદીઓ, ખેતરો, વૃક્ષો સુધી જવું જરૂરી છે. વિનોદ કુમાર શક્લ આપણને એ જ જણાવે છે કે રાહ જોઈને બેસી ન રહો કે મારી પાસે કોઈ આવે, કોઈ મને સમજે, કોઈ મારી માટે કશુંક કરે. વિનોદ કુમાર શુક્લ એટલે ‘દિવાર મેં એક ખિડકી રહેતી થી’ નવલકથાના સિદ્ધહસ્ત લેખક, જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત સર્જક. અનેક હૃદયસ્પર્શી કાવ્યોના રચયિતા.

આપણને ખબર પણ નથી હોતી, પણ આપણે રોજ, ધીમે ધીમે, આપણા દૃષ્ટિકોણને રંગીએ છીએ. પરિણામે અમુક વર્ષો પછી આપણી આંખ મોટાભાગની ચીજોને આપણે રંગેલા દૃષ્ટિકોણથી જુએ છે. જેમ, કાયમ બારીમાંથી જોનારને આકાશ ચોરસ લાગે છે. તેની વિશાળતા પામવા માટે ઘરમાંથી નીકળીને આકાશ તરફ નજર કરવી પડે છે.

એક નદી વહે છે ત્યારે માત્ર પાણીનો પ્રવાહ નથી ખેંચતી. તે માર્ગમાં આવતા દરેક પથ્થર,વૃક્ષ અને નાનામાં નાના રજકણને પણ ભીનાશપૂર્વક સ્પર્શે છે. તેનો પ્રવાહ અને ગતિ એ જ તેનું જીવન છે, અને સ્પર્શ તેની અનુભૂતિ. જો થંભી જાય તો પાણી કોહવાવા લાગે. વહેતા રહેવામાં જ તેની સુંદરતા છે. પ્રકૃતિની દરેક ચીજ એક ગતિમાં છે. તમે કંઈ નહીં કરો તો પણ સમય આગળ ધપવાનો જ છે, સાંજ પડવાની જ છે, અંધાર ઘેરાવાનો જ છે, સૂર્યનુંં અજવાળું પથરાવાનું જ છે. આ બધું થાય છે, કેમ કે પૃથ્વી નિરંતર ગતિમાં છે. ગતિ એ જ જીવન છે. આપણે સ્થાયી થઈ જઈએ ત્યારે ન રહે છે ગતિ, ન રહે છે અનુભૂતિ. જિંદગીના પ્રવાહને નિરંતર વહેતો રાખવા માટે, નિરંતર કશુંં નવુંં કરતા રહેવું પડે છે.

દરેક અનુભવ સામે ચાલીને આવતો નથી, ક્યારેક આપણે તેમના તરફ જવું પડે છે. શહેરમાં જીવતો માણસ ઘણી વાર ભૂલી જાય છે કે જીવન ખેતરમાં ઊગે છે, જંગલોમાં શ્વાસ લે છે, અને નદીરૂપે ગાય છે. આ ત્રણ ચીજો બાદ કરીએ તો કશું બચતું નથી. ખેતરમાં ઊગતા અનાજ વિના નથી ચાલવાનું, કે નથી વૃક્ષો વિના જીવન સંભવ, પાણી વગર તો જિંદગીની કલ્પના પણ ન કરી શકાય. આ બધું જાણતા હોવા છતાં આપણે રોજ કોંંક્રિટની સેંકડો ઊંચી બિલ્ડિંગો ચણવામાં વ્યસ્ત છીએ. વૃક્ષો કાપીને ડામર પાથરવામાં મગ્ન છીએ.

મનુષ્ય હોવાની સૌથી મહત્ત્વપૂર્ણ કડી એ છે કે તે બીજા પાસે જાય — વ્યક્તિ પાસે, ખેતરો, જંગલો, પહાડો, નદીઓ, ખીણો પાસે… નવા અનુભવો પાસે. જીવનના અંતે કદાચ જો મનમાં કંઈ ઊભરાતુંં હોય તે માત્ર અનુભવો છે, કોને મળ્યા,કોની સાથે રહ્યા, શું કામ કર્યુંં, કેવા સંબંધો બાંધ્યા… અંતિમ ક્ષણે આ બધું જ સાક્ષીભાવે આંખ સામે તરવરતું રહે છે. જ્યારે કોઈને સમજાઈ જાય કે દરેક મિલન એક સાધના છે, દરેક કામ એક પ્રાર્થના, દરેક યાત્રા એક પરિક્રમા, તો જીવન ખૂબ સરળ થઈ જાય.

જ્યારે પણ જિંદગી સ્થિર થવા લાગે, બધું થંભી જાય, કોઈ આસપાસ ન હોવાની અનુભૂતિ થાય, ત્યારે સમજી જવું કે ચાલવાનો સમય થયો છે. કોઈકની પાસે જવાનો સમય થયો છે.

લોગઆઉટઃ

મેં નદીને જીવવાની રીત પૂછી’તી,
એ કશું બોલી નહીં, વહેતી રહી ખળખળ.
- જાતુષ જોશી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

જીવન એક અદૃશ્ય સંગીત છે, જે સતત વાગતું રહે છે, ક્યારેક ધીમું, ક્યારેક ઉગ્ર, ક્યારેક રોમેન્ટિક, ક્યારેક વિયોગી, ક્યારેક આનંદિત, ક્યારેક કરૂણ. કોઈ ક્ષણ નિષ્ક્રિય નથી; પૃથ્વી પર ચાલેલું દરેક પગલું જીવતા હોવાની સાબિતી છે. દરેક શ્વાસ, દરેક ઝરમર, દરેક ટીપું, દરેક અંધકાર પોતાની અંદર કોઈ ગુપ્ત સંદેશ લઈને આવે છે. વૃક્ષનું પ્રત્યેક પર્ણ સુધ્ધાં કશુંક કહી રહ્યું હોય છે, આપણા બરછટ બહેરાં કાન એને સાંભળે ન સાંભળે, પ્રકૃતિ સાંભળતી હોય છે. પવન તેની લાગણી પિછાણતો હોય છે. દરેક ક્ષણ અને દરેક રજકણ સુધ્ધાં પોતાનો આગવો અર્થ ધરાવે છે, તેને જોવા માટેની આંખ હોવી જરૂરી છે.

નિરાશામાં ગરકાવ થયેલા માણસ સામે ગમે તેટલું અર્થસભર જીવન મૂકો, તેને બધું વ્યર્થ જ લાગશે. તેને મન વરસાદનો રોમાંચ શું, કે શું તાજી ખીલતી કૂંપળની હળવાશ? તેને મન નવજાત શિશુએ કરેલું સ્મિત પણ દુર્ઘટના સમાન હોય છે. તેને નથી ગમતા પંખીના ટહુકા કે ઝરણાનું ખળખળ. તે નિરાશાની ખાઈમાં એટલો ઊંડો દટાઈ ગયો હોય છે કે આસપાસનું કશું જ દેખાતું નથી. તેની આંખો ચારેબાજુ દુઃખ, છળ,અને ભ્રમણા રૂપી અંધકારને જ જુએ છે. તેની આંખો એ ગાઢ અંધકાર સામે ખુમારીથી પ્રગટી રહેલા દીવાનું અજવાસભર્યું યુદ્ધ નથી જોઈ શકતી, તેના કાન બાળકનું ખીલખીલાટ નથી સાંભળી શકતા. તેને નથી સ્પર્શતી વરસાદની ભીનાશ સુધ્ધાં. તે પ્રકૃતિના સંદેશાને વાંચવા માટેની ઋજુતા ગુમાવી ચૂક્યો હોય છે. કેમ કે તે પોતે જ પોતાની આસપાસ એક અદૃૃશ્ય દીવાલ ચણી લીધી હોય છે, જ્યાં સુધી આ સંકુચિતતાની, નિરાશાની, અહમની દીવાલ છે, ત્યાં સુધી સવાલ છે. દીવાલ તૂટશે, ઉત્તર આપોઆપ ધસી આવશે — હળવા પવનની લહેરખી માફક. પછી આપોઆપ પંખીના કલરવથી લઈને સૂકા પર્ણ સુધ્ધામાં એક સંદેશ વંચાશે — જિંદગીનો હર્યોભર્યો, અર્થસભર સંદેશ.

મૃત્યુ અંતિમ મુકામ ન હોઈ શકે, શક્ય છે એ નવોન્મેશની શરૂઆત પણ હોય. સંભવ છે કે મૃત્યુ આપણને નવપલ્લવિત કરવા માટેની વિધિ હોય, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં લઈ જવાની કેડી. જેમ જીર્ણ વસ્ત્રો તૂટતાં આપણે નવાં ધારણ કરીએ છીએ, તેમ, શક્ય છે કે આપણી અંદરની કોઈ ઊર્જા નવું સ્વરૂપ ધારણ કરવા માટે મૃત્યુની વિધિમાંથી પસાર થતી હોય. જીવન સતત પોતાનાં આવર્તન બદલે છે, પાનખરનાં પાંદડાં જેમ જમીન પર પડે છે, પણ એ જ પાંદડાં માટીને પોષણ આપે છે, જેથી ફરી નવા અંકુર ફૂટે. આ ચક્રમાં એક અનંત સત્ય છુપાયેલું છે, કોઈ પણ વસ્તુ નાશ પામતી નથી, એ માત્ર રૂપ બદલે છે, અવાજ બદલે છે, આકાર બદલે છે.

પ્રત્યેક નવજાત શિશુના પ્રથમ રુદનમાં એક દિવ્ય સંદેશ હોય છે. એ કહે છે કે જીવન ફરી આવી ગયું છે, ફરી લડવા, ફરી પ્રેમ કરવા, ફરી સ્વપ્ન જોવા. મરણનું શાંત સ્મિત પણ એ જ કહે છે, “હું જતો નથી, ફક્ત સ્વરૂપ બદલું છું.” જ્યારે આપણા આકાશમાં સૂર્ય ઊગી રહ્યો હોય, ત્યારે, એ જ ક્ષણે, પૃથ્વીના કોઈ ખૂણે, કોઈની માટે સૂર્ય આથમી રહ્યો હોય છે. આપણાં સ્થાન અને સ્થિતિ આપણા પ્રકાશ અને અંધકાર નક્કી કરે છે. જીવનમાં હંમેશાં પ્રકાશ અને અંધકાર હોય જ છે, બસ આપણે ક્યાં છીએ તે આપણે જોવાનું છે. આટલું સમજાય તો તો દરેક ક્ષણ આપણા માટે શિક્ષક બની જાય. દુઃખ પછી દુઃખ ન રહેતા; એ અનુભૂતિનું સ્વરૂપ ધારણ કરે. આનંદ પછી ક્ષણિક નથી રહેતો; એ શાશ્વત બની જાય છે. જીવન માત્ર જીવવા પૂરતું નથી રહેતું, એ યાત્રા બની જાય છે.

લોગઆઉટઃ

જરા કાન દઈને સાંભળજો આ પર્વતની
ભીતર ભીતર ક્યાંક કશીક તૈયારી ચાલે,
પ્હેલાં લીલીછમ ઘટનાઓ પછી અચાનક
ખળખળ વ્હેતા જળની એક સવારી ચાલે.
- કૃષ્ણ દવે

હજી હિમ્મત નથી પડી હેઠી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી,
તોય ક્યાં જિંદગીની ગડ બેઠી.

ભોંયભેગો ભલે થયો છું હું,
હજી હિમ્મત નથી પડી હેઠી.

સૌના જીવનના પ્રશ્નપત્ર અલગ,
એમાં ચાલે નહીં નકલ બેઠી.

મન છલોછલ છે એની યાદોથી,
એમાં ગમગીની કઈ રીતે પેઠી?

હું જ્યાં બે પાંદડે થયો ન થયો,
ઋતુ બદલાઈ, પાનખર બેઠી.

– હેમંત પૂણેકર

જિંદગી એક એવું પાત્ર છે, જેમાં સુખની સુગંધ છે, તો દુઃખની કડવાશ પણ. તેમાં સ્મિતની શરણાઈ સંભળાય છે, તો રુદનની વીણા પણ. ત્યાં આશાનું અમી છે, નિરાશાની ખાઈ પણ. ઘણી વાર આનંદ અને વ્યથા એક જ ટ્રેનના બે પાટાની જેમ સાથોસાથ ચાલતી હોય છે — વર્ષો સુધી. પરંતુ જીવનનું વાદ્ય વાગતું રહે છે, ક્યારેક મધુર, ક્યારેક કરૂણ, પણ હંમેશાં જીવંત. તેના તાલ, રાગ, લયની ગડ બેસે ત્યાં તો જીવનનું ગીત સમાપ્ત થવા આવ્યું હોય છે. કવિએ આ વાતને કેટલી સરળ, છતાં ધારદાર રીતે સમજાવી દીધી છે. અચ્છા કવિની એ જ તો નિશાની છે, કલમના આછા લસરકે એવું ચિત્ર દોરી આપે કે તમે તેમાં પોતાનો વ્યાપ શોધી શકો. હેમંત પૂણેકરની કલમમાં એ તાકાત છે કે તે માનવમનના ઊંડાણમાં ડૂબકી મારીને આનંદ અને વલોપાતને શબ્દોમાં પરોવી શકે.

જ્યાં સુખ કે દુઃખ નથી, ત્યાં જીવન નથી. પછી એ માનવ હોય કે પશુ, વૃક્ષ સુધ્ધાં ટાઢ, તડકો, વરસાદ, વાવાઝોડા અને પાનખર વેઠે છે. આ બધું વેઠ્યા પણ પણ જીવનનું વાદ્ય સૂરમાં વાગતું રહે તે જરૂરી છે. ઘણી વાર દુઃખ એ દંડ નહીં, દિક્ષા સાબિત થતું હોય છે. જે માણસે વ્યથાની આગમાં પોતાની જાતને તપાવી હોય તે બીજાના દુઃખ સામે નિર્વિકાર નથી થઈ શકતો. તેના હૃદયમાં એક અદૃશ્ય કરૂણા જન્મ્યા વિના નથી રહી શકતી. અને આ કરૂણા જ તેની માનવતાને મુઠ્ઠી ઊંચી બનાવેા છે. વિપરિત સંજોગોના સણસણતા તીર ઝીલીને પણ સ્મિતપૂર્વક અડગ ઊભા રહેવું તે કુરુક્ષેત્રના યુદ્ધમાં સાહસપૂર્વક લડતા યોદ્ધાથી જરાકે કમ નથી. જિંદગી ભલે થાકે, જુસ્સો ન થાકવો જોઈએ. ખલીલ ધનતેજવીએ લખેલું,
વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરણું ઊખડી જાય તો કહેજે મને,
જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કહેજે મને.

થાક એ જીવનનો ભાગ છે, પડાવ છે. આપણે જે રસ્તે ચાલી રહ્યા છીએ, ત્યાં અગાઉ કોણ ચાલી ગયું, કેવા મુકામ હાંસલ કર્યા, એ જોઈને આપણી મુસાફરી નક્કી કરતા હોઈએ છીએ. ક્રિકેટ રમનાર વ્યક્તિ સચિન, ધોની, કોહલી જેવા બનવાની આશા રાખે. ગાયક બનવા ઇચ્છતા માણસો લતા, કિશોર, રફી, અરિજિત જેવા સિંગર બનવાનું ધ્યેય, એક્ટર બનવા ઇચ્છતી વ્યક્તિ અમિતાભ, શાહરૂખ, સલમાન બનવાની હામ રાખે. પણ એ સમજવું જરૂરી છે કે આપણે જેમને ધ્યેય બનાવીએ છીએ, તે બધાના જીવનના પ્રશ્નપત્રમાં પૂછાયેલા પ્રશ્નો અલગ હતા, તમારા અલગ. પરીક્ષા કોઈ પણ હોય, પ્રશ્નો સમજવા જરૂરી છે. ક્ષેત્ર ભલે એક હોય, ભલે એકસરખું કાર્ય હોય, છતાં તમારા પ્રશ્નો એ બીજાના પ્રશ્નો કરતાં હંમેશાં અલગ હોવાના, તમારા પ્રશ્નો માત્ર તમારા જ હોવાના. તેને સમજવા પડશે, તો જ સરખો જવાબ આપી શકાશે.

આપણી પ્રિય વ્યક્તિથી અલગ થઈ જઈએ ત્યારે સ્વાભાવિક છે તેની યાદોની અલાયદી ગલીઓમાં મન આપોઆપ ફરવા જતું રહે છે. હૃદય રાતદાડો છલકાતું રહે છે તેનાં સ્મરળનાં ઊછળતાં મોજાંથી. મિલનની આશા મુખ પર એક મીઠું સ્મિત પણ લઈ આવે છે. પરંતુ ક્યારેક ક્યાંક આછી તિરાડમાંથી ચુપાચાપ અભાવ અને ઉદાસી પણ પ્રવેશી જતા હોય છે. જેની આપણને પોતાને પણ ખબર નથી રહેતી હોતી. કદાચ, પ્રિય વ્યક્તિથી દૂર રહેનાર વ્યક્તિની આ જ નિયતિ હશે. અને નિયતિનાં નાણાથી જ તો જીવન પોતાનું મૂલ્ય આંકતું હોય છે. સંજોગોના સિક્કા ઊછળતા હોય છે. શું સુખ, શું દુઃખ, શું સ્વજન, શું દુર્જન, પોતાનું-પરાયું, સફળતા-નિષ્ફળતા, સંબંધ-નિર્બંધ, ઉત્સવ-શોક આ બધું સમજીએ ત્યાં સુધીમાં જીવનનું વટવૃક્ષ પાનખરથી ઘેરાઈ ગયું હોય છે. આપણા વૃક્ષત્વ પર આવી બેસેલા પંખીઓ, ટહુકાઓ, ફૂલ, ફળને સમજીએ ત્યાં સુધી ડાળીઓ જીર્ણ થવા લાગે છે, મૂળ મજબૂતાઈ ગુમાવવા લાગે છે. કદાચ આ જ જીવન છે, જેને દરરોજ શીખવું પડે છે.

લોગઆઉટઃ

સત્ય પીરસો છો ત્યારે ધ્યાન રહે,
સામાએ તે પચાવવાનું છે.
કોને છોડે છે દુઃખ કદી ‘હેમંત’?
દુઃખને તારે જ છોડવાનું છે.
– હેમંત પૂણેકર

અંધકારના અંગ ઉપર દે તેજ-થીગડું સીવી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

નાનકડી ઓ દીવી
અંધકારના અંગ ઉપર દે તેજ-થીગડું સીવી

ના માગું કે રાત મહીંથી પળમાં કરી દે દિન
કે રેલાવી દે શીતળ ચાંદની રાત બનાવ રંગીન
હું તો એટલું જ કહું છું બાપુ સવાર સુધી જા જીવી
નાનકડી ઓ દીવી

છો ને ઊછળે વિશ્વ આવરી તિમિર તણા આ લોઢ
તારી તેજ આંગળીએ વળગી દેખીશ જરૂર પરોઢ
શ્રદ્ધાની અંજલિએ મારે વસમી વેદનાઓ પીવી
નાનકડી ઓ દીવી

- જયંત પલાણ

ભારતીય ભાષાના ગૌરવસમા કવિ રવીન્દ્રનાથ ટાગોરનું એક સુંદર કાવ્ય છે. તેનો ભાવાર્થ કંઈક એવો છે કે- સાંજનો સમય છે, સૂર્ય આથમી રહ્યો છે. આથમતી વેળાએ ચિંતિત નજરે તે ધરતીને પૂછે છે કે મારા આથમ્યા પછી ધરતીને કોણ પ્રકાશ આપશે? કોણ મારી ગેરહાજરીમાં કર્તવ્ય નિભાવશે અવનિને અજવાળવાનું? આ પ્રશ્ન સાંભળીને સૌ સ્તબ્ધ થઈ જાય છે, બધાનાં મોં કાળાં પડી જાય છે. એવે વખતે ક્યાંક ખૂણામાં પડેલું એક નાનકડું કોડિયું બોલી ઊઠે છે, હે પ્રભુ, મારી એટલી બધી ત્રેવડ નથી કે જગત આખાને રોશન કરી શકું, પણ હું જ્યાં છું તે ખૂણાને અજવાળવા માટે મારાથી થાય તે બધું કરી છૂટીશ.

આપણી ચેતના પણ એક દીવા જેવી છે. ભલે જગતને ના અજવાળી શકીએ, જ્યાં છીએ તે એક ખૂણાને રોશન કરી શકીએ તોય આપણા હોવાનું સાર્થક થાય. રાજેન્દ્ર શુક્લએ લખ્યું છે,
“એક ને એક જ સ્થળે મળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે,
પિંડ ક્યાં પેટાવવા પડીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે!”

જયંત પલાણે એક નાનકડી દીવીનું દર્શન કરાવીને આપણી સામે કેટલી બધી શક્યતાઓ અજવાળી આપી છે. એક નાની દીવી પ્રગટે ત્યારે ગમે એટલો ગાઢ અંધકાર કેમ ન હોય, તેને પરાસ્ત કરે છે. એક નાનકડી હથોડી પણ મહાકાય પર્વતને તોડી નાખવા સક્ષમ હોય છે. નાનકડી દીવડી જાણે છે કે પ્રકાશ ગમે તેટલો વિશાળ આકારથી નહીં, સાહસથી પ્રગટે છે. આપણા અસ્તિત્વનું કોડિયું કપરા સંજોગો સામે સાહસપૂર્વક બળે છે, ત્યારે આપોઆપ અજવાળું પ્રગટે છે.

જીવનમાં કોડિયા જેવો એક સારો મિત્ર હોય તો જિંદગીભર અજવાળાની કમી નથી વરતાતી. પણ આપણે હંમેશાં એવું ઇચ્છીએ છીએ કે કોઈક આપણા માટે બળે, કોઈ બીજું કોડિયું થઈને આપણને રોશન કરતું રહે. જેના સહારે આપણે ગાઢ અંધકારને હરાવતા રહીએ, પણ ક્યારેય એવું નથી વિચારતા કે આપણે કોઈકના માટે કોડિયું થઈ શકીએ. કેમ કે તેમ કરવામાં બળવાની તૈયારી રાખવી પડે છે, જે નથી હોતી. આપણી ઝંખના અજવાળા પૂરતી સીમિત હોય છે. પ્રકાશ જોઈએ છે, પણ બળવું નથી. કોક આપણને રોશન કરે તેવી કામના સાથે અંધારા ખૂણામાં બેસી રહીએ છીએ. આમ કરવા પાછળનું એક કારણ એ છે કે આપણામાંથી અજવાળું લઈ લીધા પછી નકામા કોડિયાની જેમ ફેંકી દેનારા માણસો આસપાસમાં ઓછા નથી. કોડિયું થવામાં બળવાની તૈયારી તો રાખવી પડે છે, પરંતુ તેલ પત્યા પછી, વાટ બળી ગયા પછી, ફેંકાવાની તૈયારી પણ રાખવી પડે છે.

દીવાળી આપણને શીખવે છે કે દુઃખોને ફટાકડાની જેમ ફોડી નાખો, દર્દનો ધુમાડો કરી નાખો. અને જિંદગીને મિઠાઈને જેમ વહેંચો. એક દીવડા જેવા બનો, કેમ કે તેનો પ્રકાશ ક્યારેક નથી જોતો સારું નરસું, ઊંચું-નીચું, મારું તારું. દીવાને તમે ઉકરડા પર પ્રગટાવો કે સોનાના મહેલમાં — અજવાળું જ આપવાનો છે. જગ્યા જોઈને પ્રગટે તે દીવો નહીં, દીવાનો ભ્રમ હોય છે. અંધકાર ગમે તેટલી તાકાત બતાવે, પણ એક દીવા સામે તે હંમેશાં લાચાર હોય છે.

લોગઆઉટઃ

અંધકારની વેલ પર
ખીલે છે એક કળી
તે કળી પ્રકાશની.
– દુર્ગાચરણ પરિડા | અનુ. ભોળાભાઈ પટેલ

મેં જાણ્યું હોત કે પ્રેમ આટલો જંગલી છે તો…

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

જો મેં જાણ્યું હોત કે
પ્રેમ આટલો જંગલી છે
તો મેં પ્રેમના મકાનના દરવાજા
બંધ કરી દીધા હોત !
પીટીને, બરાડ્યો હોત ‘દૂર રહેજો !’
પણ હું મકાનમાં છું… અસહાય…

- રૂમી (અનુવાદઃ સુરેશ દલાલ)

પ્રેમ અગ્નિકુંડમાં ઊગેલા ફૂલ જેવો છે, તેમાંથી તમને મહેક તો મળશે, પણ તેને પામવામાં દાઝવાની તૈયારી રાખવી પડશે. રુમીની ઉપરોક્ત કાવ્યપંક્તિઓ વાંચીને તરત મીરાં યાદ આવે-
जो मैं ऐसा जानती, प्रीत करे दुख होय,
नगर ढिंढोरा पीटती, प्रीत ना करिये कोई।

આ જ મીરાંએ એમ પણ લખેલું, “પ્રેમની પ્રેમની પ્રેમની રે, મુને વાગી કટારી પ્રેમની રે…” પ્રેમ મીઠી છરી જેવો હોય છે, તે હૃદયની આરપાર ઊતરી જાય તો પુષ્કળ પીડા થાય છે, પરંતુ એ પીડાના ઊંડાણમાં ક્યાંક કોઈ મીઠું દર્દ પણ હોય છે. દર્દમાં રહેલી એ મીઠાશ જ વારંવાર પ્રેમ તરફ ખેંચે છે. ફૂલમાંથી મધુરસ ગ્રહણ કરનાર ભમરાને ખબર છે કે પુષ્પ બડાઈ જશે, તો હું અંદર કેદ થઈ જઈશ. પરંતુ તે મધુરસને નથી છોડી શકતો. કમળમાં કેદ થઈ ગયેલા ભમરો કમળની પાંદડી તોડીને બહાર નથી આવતો, તે એમાં જ પ્રાણ ત્યાગે છે. પ્રેમ જીવ સાથે જડાઈ ગયેલું તત્ત્વ છે.

માણસો પ્રેમ કરે છે, ત્યારે માત્ર કોઈ વ્યક્તિને નહીં, એક વિચારને પ્રેમ કરે છે. એવી કલ્પનાને, જે કલ્પના તેમણે પોતાની ભીતર ઊછેરી હોય છે. અને સામેના પાત્રમાં એ કલ્પનાને સાકાર થતી જુએ છે. પ્રેમમાં મોટું દુઃખ વ્યક્તિ બદલાઈ જાય તેનું નથી હોતું, પણ એનું હોય છે કે આપણી કલ્પના ભાંગી પડી. આપણી શ્રદ્ધા એળે ગઈ. શ્રદ્ધાનું મરવું એ કોઈ પ્રિયજનના મૃત્યુ કરતાં પણ વિશેષ દુઃખદ હોય છે. પ્રણયનો માર્ગ કાંટાળો છે. ડગલે ને પગલે દુઃખ છે. સંઘર્ષ છે, વ્યથા છે, છતાં તેનાથી બચવું સંભવ નથી. જેમ રાત્રીના અંધકારમાં અજવાસને જોઈને પતંગું જ્યોતને સ્પર્શવા લલચાય છે, તેમાં જ બળીને પ્રાણ ત્યાગે છે, છતાં તેના તરફ આકર્ષાય છે, તેમ આપણે માનવીઓ પણ, દાઝવાની સંભાવનાથી પૂરા પરિચિત હોવા છતાં, પ્રેમના પ્રકાશ તરફ આકર્ષાયા કરીએ છીએ.

ઘણા લોકો કહે છે કે પ્રેમમાં પડવું મૂર્ખતા છે. પરંતુ એ મૂર્ખતા જ આપણને ખરા મનુષ્ય બનાવે છે. પ્રેમમાં રહેલી પીડા જ આપણને અંદરથી જાગૃત કરે છે. પ્રેમની આગથી શેકાઈને જ આપણે વધારે પક્વ થતા હોઈએ છીએ. પ્રેમ કુંભારના હાથ જેવો હોય છે, જે તમને વારંવાર ટપલીઓ મારીને આકાર આપે છે, ઘાટ આપે છે. તમે તમારા અસ્તિત્વના પીંડને એક આકારમાં ઢાળી શકો છો — જેમ કુંભાર માટલાને. પછી એ આકારમાં તમારા અંદરનું અમૃત એકઠું થાય છે.

પ્રેમમાં હુંપણાને સ્થાન નથી. ત્યાં હું અને તું, તારું અને મારું — ન હોઈ શકે. ત્યાં બે વ્યક્તિ સંભવ જ નથી. ત્યાં એટલી જગા જ નથી બે વ્યક્તિ સમાઈ શકે. એક વાર કૃષ્ણએ રાધાને હળવા મજાકમાં પૂછ્યું, હું તારા જીવનમાં ક્યાં છું? રાધાએ કહ્યું, “તમે તો મારા રોમેરોમમાં છો.” કૃષ્ણએ ફરી પૂછ્યું, “તો ક્યાં નથી?” રાધાએ કહ્યું, “મારા નસીબમાં.” પછી રાધાએ પૂછ્યું, “કૃષ્ણ તમે પ્રેમ મને કર્યો, પણ લગ્ન તો રુક્મણિ સાથે કર્યા, આવું કેમ?” ત્યારે કૃષ્ણએ જવાબ આપ્યો, “રાધા, લગ્ન માટે બે વ્યક્તિની જરૂર પડે. અને આપણે તો એક જ છીએ.”

લોગઆઉટઃ

પ્રેયસીના દ્વાર પર પ્રેમીએ ટકોરા કર્યા,
અંદરથી અવાજ આવ્યો, કોણ?
દરવાજાની બહાર ઊભી રહેલી વ્યક્તિ બોલી, ‘હું છું’
અંદરથી અવાજ આવ્યો,
‘આ ઘર હું અને તું, બંનેને સાચવી શકે તેમ નથી.’
બંધ દરવાજો બંધ જ રહ્યો.
પ્રેમી આખરે થાકીને જંગલ તરફ ચાલ્યો ગયો.
ત્યાં જઈને તેણે પ્રેમીને પામવા ખૂબ તપ કર્યું, પ્રાથનાઓ કરી, ઉપવાસ કર્યા.
અનેક દિવસો પછી એ પાછો ફર્યો
ફરીથી તેણે પ્રેમીકાનું દ્વાર ખખડાવ્યું.
ફરીથી એ જ પ્રશ્ન, ‘કોણ છો?’
પ્રેમીએ જવાબ આપ્યો, ‘તું’
અને તરત જ દરવાજો ખૂલી ગયો.

- રુમી

ઝળુંબે સૂર્ય, દેશી નળિયે ને રેલાય ચાંદરડું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ઝળુંબે સૂર્ય, દેશી નળિયે 'ને રેલાય ચાંદરડું,
અહો..! આ ખોરડેથી ઓરડે ઝિલાય ચાંદરડું!

કદી સીધું પડે, ત્રાસું પડે, શૈશવથી શું પકડાય?
હથેળી જ્યાં ઝીલે, મુઠ્ઠીમાં ભાગી જાય ચાંદરડું!

ખૂણે અંધારિયે આ કોણ બેઠું છે, ખૂણો પાળી?
'ઉતારે સોગ!' એવી લાલચે લલચાય ચાંદરડું!

જુઓ જ્યાં ત્યાં થયાં છે ફલેટ, ધાબાબંધ આવાસો,
ખપેડો કે ના નેવા-મોભ! શું દેખાય, ચાંદરડું?

'સિકંદર' ત્યાં..ભલે ઘર નાનું પણ જલસો હશે મોટો!
કે રે' અફળાતું, દી' આખો, છે ઠેબા ખાય ચાંદરડું!

- સિકંદર મુલતાની

ફ્રીજ આવતા માટલાં ગયાં. માટલાંની સાથે વપરાતી બીજી કેટલીયે ચીજો પણ ગઈ. આખું પાણિયારું જ ગાયબ થઈ ગયું. તેની સાથે બુઝારું, દેગડું, ઘડો, હેલ, માણ, મટકી, ગોળી, હાંડો, હાંડી, જેવા અનેક શબ્દો પણ અદ્રશ્ય થવા માંડ્યા. કવિ રાજેશ મિસ્કીને તો આવી ભુલાતી ચીજોને ગઝલમાં ખૂબ માર્મિક રીતે વ્યક્ત કરી છે.
ક્યાં ગયા ચકચકતાં બેડાં પાણિયારાં ક્યાં ગયાં?
ફ્રીઝવાસીઓ! તરસના એ સહારા ક્યાં ગયાં?
વીજળી ન્હોતી ઘરેઘર માણસાઇના દીવા,
કોળિયાં બળતાં હતાં જે એકધારાં ક્યાં ગયા?

‘ચાંદરણું‘ પણ આવો જ, ભુલાતો જતો શબ્દ છે. ધાબાવાળાં ઘર બનવા લાગ્યાં તો નળિયામાંથી તડકાનું કિરણ ઘરમાં પડતું અને નાની બંગડી જેવા આકારનું પ્રકાશનું વર્તુળ રચાતું, એ વર્તુળ, તકકાની લાકડી જેવું લાગતું. આ તડકીલું ટપકું એ જ ચાંદરણું. અંદરના આછા અંધારામાં દિવસના સમયે છતમાં પડેલા કાણામાંથી ઘરમાં પડતો તડકો અનોખું સૌંદર્ય રચતો. કદાચ એની સુંદરતાને લીધે જ તેને ચાંદરણા જેવો સરસ શબ્દ મળ્યો છે.

કવિ સિકંદર મુલતાનીએ પોતાની ગઝલમાં વિસરાઈ ગયેલા ચાંદરણાને ફરી જીવંત કર્યું છે. ગામનાં કાચાં મકાનો, છત પર લાંબા વાંસ, ને ઉપર દેશી નળિયાં. એ દેશી નળિયાં પર સૂર્ય ઝળુંબે ત્યારે છતની કોઈ તિરાડમાંથી ઘરમાં પડતું કિરણ — જાણે સૂરજ ઘરમાં ઢોળાઈ રહ્યો હોય એવું લાગે, જાણે કાણામાંથી તડકાની ધાર થતી હોય, સૂરજ ઢોળાઈ રહ્યો હોય. સૂરજની દિશા મુજબ એ ચાંદરણું પણ સ્થાન બદલતું રહે. સવારે ત્રાંસુ લાગતું ચાંદરણું બપોરે ઊભું થઈ જતું, સાંજે વળી જુદી દિશામાં પહોંચી જતું. ઘણા અનુભવી વૃદ્ધો તો આ ચાંદરણાનું સ્થાન જોઈને સમય પણ કહી દેતા કે કેટલા વાગ્યા હશે. ઝાડનાં પર્ણો વચ્ચેથી ચળાઈને આવતો તડકો ઝાડ નીચે ચાંદરણાની સુંદર ચાદર રચતો. બાળકો તો ખોબો ધરીને તેને ઝીલવા પ્રયત્ન કરતા. ચાંદરણાના સ્થાને બિલોરી કાચ મૂકી અગ્નિ ઉત્પન્ન કરવા મથતાં. પછી કશુંક મોટો વૈજ્ઞાનિક પ્રયોગ કર્યાનો ગર્વ પણ લેતા. હવે ચાંદરણા સાથેની બાળસહજ રમતો જતી રહી, કેમકે ચાંદરણાં જ નથી રહ્યાં.

વિધવા થયેલી સ્ત્રી સોગ પાળતી, નિરંતર ઘરમાં એક ખૂણામાં એકલા રહેવાનું થતું, ત્યારે ચાંદરણું તેનો મૂક સાથી બનતું. તે વખતે તે માત્ર ઘરને જ નહીં, તેની ઓકલતાને પણ અજવાળું પૂરું પાડતું.

ધાબાવાળા ધર બનતાની સાથે મોભ, મોભારો, ટોડલા પણ ગયા. મોભ પરથી જ મોભી શબ્દ બન્યો. ઘરની ડિઝાઈન બદલાતા મોભ શબ્દનું મોભીપણું પણ ઓસર્યું. હવે વિવિધ ફ્લેટના લીધે ઘરની કેટલીક દેશી નામાવલીનું સૌંદર્ય હતું તે સૌંદર્ય હવે અદ્રશ્ય થઈ ગયું. હવે તો ધીમે ધીમે ઓસરી, ઊંબરો, આંગણું જેવા શબ્દોનો ઉપયોગ પણ ઘટવા માંડ્યો છે. કદાચ આ સમયની જરૂરિયાત હશે. કશું સ્થાયી નથી, સિવાય પરિવર્તન.

કવિ સિકંદર મુલતાનીએ ‘ચાંદરણા‘ની ગઝલ રચીને તેની સાથે જોડાયેલાં કેટલાંક મર્મસ્થાનો તરફ અંગુલિનિર્દેશ કર્યો છે.

કવિ લાભશંર ઠાકરે ‘ચાંદરણું’ શીર્ષકથી જ એક સુંદર કવિતા લખી છે, જેમાં ઑફિસમાં કામ કરતા અચાનક ટેબલ પર ચાંદરણું પડે છે, અને એ ચાંદરણું જૂની સ્મરણગલીમાં લઈ જાય છે. અનેક યાદો તાજી થાય છે. એ કાવ્યથી વિરમીએ.

લોગઆઉટઃ

હું વ્યસ્ત હ્યાં ટેબલ પે કચેરીમાં
ત્યાં
આવી પડ્યું ચાંદરણું રૂપેરી.
મૂગું મૂગું એ હસીને મને ક્યાં
તેડી ગયું દૂર? - પ્રદોષવેળા
ઝૂકેલ શો ઘેઘૂર આંબલો, ને
વહી જતી પાછળ રમ્યઘોષા
નદી; ભરીને જલ-કેશ ભીના
કપોલની શી સુરખી ભીની ભીની! –
જતી હતી તું; નીરખી મને ને
અટકી જરા; ચાંદરણું રૂપેરી
ગર્યું નીચે ઘેઘૂર વૃક્ષમાંથી
ભીના ભીના રક્તકપોલની પરે...
આજે હશે ક્યાં અહ કેવી
જાણું ના...
જો ક્યાંકથી આ કવિતા કદીયે
વાંચે ભલા તો લઈ તું જજે હવે
(નદીતટે વૃક્ષ નીચે ઊભેલા
કુમારને જે દીધ તેં) રૂપેરી
ભીનું ભીનું ચાંદરણું.....

- લાભશંકર ઠાકર