ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
નાનકડી ઓ દીવી
અંધકારના અંગ ઉપર દે તેજ-થીગડું સીવી
ના માગું કે રાત મહીંથી પળમાં કરી દે દિન
કે રેલાવી દે શીતળ ચાંદની રાત બનાવ રંગીન
હું તો એટલું જ કહું છું બાપુ સવાર સુધી જા જીવી
નાનકડી ઓ દીવી
છો ને ઊછળે વિશ્વ આવરી તિમિર તણા આ લોઢ
તારી તેજ આંગળીએ વળગી દેખીશ જરૂર પરોઢ
શ્રદ્ધાની અંજલિએ મારે વસમી વેદનાઓ પીવી
નાનકડી ઓ દીવી
- જયંત પલાણ
ભારતીય ભાષાના ગૌરવસમા કવિ રવીન્દ્રનાથ ટાગોરનું એક સુંદર કાવ્ય છે. તેનો ભાવાર્થ કંઈક એવો છે કે- સાંજનો સમય છે, સૂર્ય આથમી રહ્યો છે. આથમતી વેળાએ ચિંતિત નજરે તે ધરતીને પૂછે છે કે મારા આથમ્યા પછી ધરતીને કોણ પ્રકાશ આપશે? કોણ મારી ગેરહાજરીમાં કર્તવ્ય નિભાવશે અવનિને અજવાળવાનું? આ પ્રશ્ન સાંભળીને સૌ સ્તબ્ધ થઈ જાય છે, બધાનાં મોં કાળાં પડી જાય છે. એવે વખતે ક્યાંક ખૂણામાં પડેલું એક નાનકડું કોડિયું બોલી ઊઠે છે, હે પ્રભુ, મારી એટલી બધી ત્રેવડ નથી કે જગત આખાને રોશન કરી શકું, પણ હું જ્યાં છું તે ખૂણાને અજવાળવા માટે મારાથી થાય તે બધું કરી છૂટીશ.
આપણી ચેતના પણ એક દીવા જેવી છે. ભલે જગતને ના અજવાળી શકીએ, જ્યાં છીએ તે એક ખૂણાને રોશન કરી શકીએ તોય આપણા હોવાનું સાર્થક થાય. રાજેન્દ્ર શુક્લએ લખ્યું છે,
“એક ને એક જ સ્થળે મળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે,
પિંડ ક્યાં પેટાવવા પડીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે!”
જયંત પલાણે એક નાનકડી દીવીનું દર્શન કરાવીને આપણી સામે કેટલી બધી શક્યતાઓ અજવાળી આપી છે. એક નાની દીવી પ્રગટે ત્યારે ગમે એટલો ગાઢ અંધકાર કેમ ન હોય, તેને પરાસ્ત કરે છે. એક નાનકડી હથોડી પણ મહાકાય પર્વતને તોડી નાખવા સક્ષમ હોય છે. નાનકડી દીવડી જાણે છે કે પ્રકાશ ગમે તેટલો વિશાળ આકારથી નહીં, સાહસથી પ્રગટે છે. આપણા અસ્તિત્વનું કોડિયું કપરા સંજોગો સામે સાહસપૂર્વક બળે છે, ત્યારે આપોઆપ અજવાળું પ્રગટે છે.
જીવનમાં કોડિયા જેવો એક સારો મિત્ર હોય તો જિંદગીભર અજવાળાની કમી નથી વરતાતી. પણ આપણે હંમેશાં એવું ઇચ્છીએ છીએ કે કોઈક આપણા માટે બળે, કોઈ બીજું કોડિયું થઈને આપણને રોશન કરતું રહે. જેના સહારે આપણે ગાઢ અંધકારને હરાવતા રહીએ, પણ ક્યારેય એવું નથી વિચારતા કે આપણે કોઈકના માટે કોડિયું થઈ શકીએ. કેમ કે તેમ કરવામાં બળવાની તૈયારી રાખવી પડે છે, જે નથી હોતી. આપણી ઝંખના અજવાળા પૂરતી સીમિત હોય છે. પ્રકાશ જોઈએ છે, પણ બળવું નથી. કોક આપણને રોશન કરે તેવી કામના સાથે અંધારા ખૂણામાં બેસી રહીએ છીએ. આમ કરવા પાછળનું એક કારણ એ છે કે આપણામાંથી અજવાળું લઈ લીધા પછી નકામા કોડિયાની જેમ ફેંકી દેનારા માણસો આસપાસમાં ઓછા નથી. કોડિયું થવામાં બળવાની તૈયારી તો રાખવી પડે છે, પરંતુ તેલ પત્યા પછી, વાટ બળી ગયા પછી, ફેંકાવાની તૈયારી પણ રાખવી પડે છે.
દીવાળી આપણને શીખવે છે કે દુઃખોને ફટાકડાની જેમ ફોડી નાખો, દર્દનો ધુમાડો કરી નાખો. અને જિંદગીને મિઠાઈને જેમ વહેંચો. એક દીવડા જેવા બનો, કેમ કે તેનો પ્રકાશ ક્યારેક નથી જોતો સારું નરસું, ઊંચું-નીચું, મારું તારું. દીવાને તમે ઉકરડા પર પ્રગટાવો કે સોનાના મહેલમાં — અજવાળું જ આપવાનો છે. જગ્યા જોઈને પ્રગટે તે દીવો નહીં, દીવાનો ભ્રમ હોય છે. અંધકાર ગમે તેટલી તાકાત બતાવે, પણ એક દીવા સામે તે હંમેશાં લાચાર હોય છે.
લોગઆઉટઃ
અંધકારની વેલ પર
ખીલે છે એક કળી
તે કળી પ્રકાશની.
– દુર્ગાચરણ પરિડા | અનુ. ભોળાભાઈ પટેલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો