લેબલ અંતરનેટની કવિતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અંતરનેટની કવિતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મૃત્યુ પહેલા દીકરીને....

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

મઝધારમાં ડૂબી રહ્યું હો વ્હાણ, દીકરી,
એવું જ મારું જીવવું તું જાણ, દીકરી!

હું ક્યાં રમી શકું છું તારી સાથ સ્હેજ પણ
શય્યામાં થનગને છે મારા પ્રાણ, દીકરી!

મારા વિના તું જીવવાનું લાગ શીખવા
ટૂકું છે બહુ મારું અહીં રોકાણ, દીકરી!

ભૂલી નથી શક્તો હું ઘડીકે ય કોઈને,
જબરું છે બહુ કુટુંબનું ખેંચાણ, દીકરી!

સાકાર હું કરતો હતો એક સ્વપ્ન આપણું,
એમાં પડ્યું છે અધવચે ભંગાણ, દીકરી!

જો પ્રાર્થના કરે તો તું એમાં ઉમેરજે:
મારું પ્રભુ પાસે બને રહેઠાણ, દીકરી!

– જગદીશ વ્યાસ

૪૭ વર્ષની ઉંમરે કેન્સરને લીધે અવસાન પામનાર કવિએ પોતાની દીકરીને સંબોધીને આ ગઝલ લખેલી. કવિ જગદીશ વ્યાસની આ ગઝલ વાંચતી વખતે શય્યા પર પડેલા એક પિતા દેખાય છે, મૃત્યુ ધીમેધીમે તેમની નજીક આવી રહ્યું છે અને તેની બાજુમાં નાનકડી દીકરી ઊભી છે.

કવિ પોતાના જીવનને ડૂબતા વહાણ સાથે સરખાવે છે. તે એક દૃશ્ય બતાવે છે, મઝધાર અને તેમાં ડૂબતું વહાણ. પિતા દીકરીને પોતાની વિદાય સમજાવવા માટે મૃત્યુની ભાષા નહીં, રૂપકની ભાષામાં વાત કરે છે.

પરંતુ આ ગઝલની સૌથી કરુણ બાબત મૃત્યુ નથી. કરુણ બાબત છે અધૂરું રહી જતું પિતૃત્વ. નાનકડી દીકરીને પિતા પાસેથી શું જોઈએ? કોઈ વારસો, મિલકત કે બોધપાઠ? ના, તેને તો રમવું છે. પપ્પાની આંગળી પકડીને બહાર જવું છે. કોઈ ઢીંગલી બતાવવી છે. ફરિયાદ કરવી છે. બાળકનો પ્રેમ બહુ સરળ હોય છે, તેને માત્ર સમય જોઈએ છે. અને માણસ જ્યારે મૃત્યુની નજીક પહોંચે ત્યારે તેને પહેલી વાર સમજાય છે કે દુનિયાની સૌથી મોંઘી વસ્તુ સમય જ હતો.

પિતા પથારીમાં છે. શરીર ઊઠી શકતું નથી, પરંતુ પ્રાણ ‘થનગને’ છે. આ એક શબ્દ આખી પરિસ્થિતિને અસહ્ય બનાવી દે છે.

પિતા પોતાની દીકરીને દુનિયાનો સૌથી અઘરો પાઠ શીખવી રહ્યા છે, ‘મારા વિના જીવવાનું શીખ.’ એક ક્રૂર, છતાં કેટલું વહાલભર્યું વાક્ય! સામાન્ય રીતે પિતા દીકરીને સાઇકલ ચલાવતાં, રસ્તો ઓળંગતાં, વસ્તુઓ સાચવતાં, દુનિયાથી સાવચેત રહેતાં શીખવે છે. પણ અહીં એક પિતા પોતાની દીકરીને પોતે ન હોય એવી દુનિયામાં જીવતાં શીખવવા માગે છે. મૃત્યુ નજીક આવે ત્યારે માણસને પોતાના મરવાનું દુઃખ ઓછું અને પોતાના પછી જીવતા રહેનારાઓની ચિંતા વધારે થતી હોય છે. કદાચ પ્રેમની આ જ છેલ્લી અવસ્થા છે.

માણસની સૌથી મોટી ગેરસમજ કદાચ એ જ છે કે તે ‘રોકાણ’ને ‘માલિકી’ માની બેસે છે. આપણે કહીએ છીએ મારું ઘર, મારી જમીન, મારી કાર, મારું કુટુંબ, મારું જીવન. પરંતુ એક દિવસ એવો આવે છે જ્યારે મારું મટી જાય છે ને ‘મરું‘ રહી જાય છે. મૃત્યુ માણસને શરીરમાંથી બહાર લઈ જઈ શકે, સંબંધોમાંથી નહીં. માણસ એકલો જન્મે છે અને એકલો જાય છે એવું કહેવાય છે; પરંતુ માણસ એકલો જાય છે ખરો? તેની સાથે કેટકેટલું જતું રહે છે, અને પાછળ કેટકેટલું રહી જાય છે!

દરેક પિતા દીકરી માટે ઘણાં સ્વપ્ન જોતા હોય છે. દીકરી મોટી થશે. ભણશે. સફળતા મેળવશે. લગ્ન કરી નવજીવન શરૂ કરશે. પણ આ પિતાને ખબર છે કે એ બધાં દૃશ્યોમાં તે નહીં હોય. દીકરી મોટી થશે, પરંતુ તેને જોનાર આંખો નહીં હોય. દીકરી જીતશે, પણ પીઠ થાબડનાર હાથ નહીં હોય. દીકરી પાનેતર પહેરશે, પણ વહાલથી નિરખતી પિતાની આંખો નહીં હોય.

કેટલી વિચિત્ર વાત છે મૃત્યુ માત્ર ભવિષ્યથી વંચિત નથી કરતું; તે પ્રિયજનો સાથે જોવાયેલા સપનાથી પણ વંચિત કરે છે. મૃત્યુ આવે ત્યારે માત્ર માણસ નથી મરતો; તેની સાથે અનેક અધૂરાં ભવિષ્યો પણ મરી જાય છે. પહેલાં પિતાનું રહેઠાણ ઘર હતું; હવે પ્રભુ પાસે થશે. સરનામું બદલાશે, સ્નેહ નહીં.

આ ગઝલ વાંચ્યા પછી એક અસ્વસ્થ કરતો વિચાર મનમાં રહે છે. આપણે આપણા સ્વજનો સાથે એવું વર્તીએ છીએ જાણે આપણી પાસે અખૂટ સમય છે. બાળક કહે, ‘પપ્પા, રમો ને!’ આપણે કહીએ, ‘પછી.’ પત્ની કહે, ‘થોડી વાર બેસો.’ આપણે કહીએ, કામ કરી લઉં. માતા ફોન કરે, તો કહીએ, વ્યસ્ત છું.’ મિત્ર મળવાનું કહે, આપણે પછી કહીએ. આપણું આખું જીવન ‘પછી’ નામના એક એવા ખાતામાં જમા થતું રહે છે, જેની કોઈ ગેરંટી નથી. એક દિવસ પૈસા, ઘર, પ્રતિષ્ઠા, સિદ્ધિની દોડમાં જીવન ખતમ થઈ જાય છે, પણ ‘પછી’ નથી આવતું.

જીવનની સૌથી મોટી વિડંબના મૃત્યુ નથી; જે જીવવાનું હતું તે જીવ્યા વિના મરી જવું તે છે. જગદીશ વ્યાસની આ ગઝલ આપણને મૃત્યુથી ડરાવતી નથી. તે આપણને જીવન તરફ ધકેલે છે.

લોગઆઉટઃ

દીકરીએ પ્હેરતાં પ્હેરી લીધાં
મારાં ચંપલ, માપ ખોટું નીકળ્યું
એનું પગલું, સ્હેજ મોટું નીકળ્યું
– ઉદયન ઠક્કર

શિષ્ટતાના પાટિયા સામે અસંસ્કારી વિદ્રોહ

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

હર સુંવાળા શબ્દ પર પેશાબ કર,
બેધડક પેશાબ કર, પેશાબ કર.

હો બુઝુર્ગી બોર્ડ – ‘મૂતરવું નહીં’-
એ જ સ્થળ પર તાઉમર પેશાબ કર.

શ્વેત અધિવેશન થશે કર્બુર જરા,-
મંચ પર તું રાત ભર પેશાબ કર.

આ પરબ! આહા પરબ! ઓહો પરબ!
મન થયે શામોસહર પેશાબ કર.

બાઅદબ મધુમેહિયા સાહિત્ય પર
યૂરિયાથી તરબતર પેશાબ કર.

– શિલ્પીન થાનકી

કેટલીક કવિતાઓ સુગંધ ફેલાવે, કેટલીક આંખ ભીની કરે; કેટલીક આપણને આપણા સમયની દુર્ગંધનો અનુભવ કરાવે. કવિ જ્યારે વ્યવસ્થાની દુર્ગંધને ઓળખી લે ત્યારે તેની પર ઢાંકપિછોડો નથી કરતો, પણ તે જેવી હોય તેવી આપણી સામે ધરી દે છે. શિલ્પીન થાનકીએ આજથી પિસ્તાળીસ વર્ષ પહેલાં લખેલી આ ગઝલ આજે પણ એટલી જ સટીક લાગે છે.

તેમની ભાષા કદાચ અશિષ્ટ લાગી શકે, પણ તેમાં શિષ્ટતાના નામે ચાલતી સદીઓ જૂની છેતરપિંડી સામેનો વિદ્રોહ છે. અહીં ‘પેશાબ’ કોઈ શારીરિક ક્રિયા નથી; તે બનાવટી પવિત્રતાનો અસ્વીકાર છે. કવિ આ ગઝલ દ્વારા પાખંડનાં પડ ઉખાડે છે. કવિનું નિશાન એ સૌંદર્ય છે, જે ઘાવની ઉપર ગુલાબ મૂકીને, પછી ગુલાબની ચર્ચામાં ઘાવને ભુલવાડવાનું કામ કરે છે. સમાજ અશિષ્ટતાથી ડરે છે. લોકો ગાળ બોલનારને અસંસ્કારી કહે છે, પરંતુ સેંકડોની જિંદગી રફેદફે કરી નાખનારને માનનીય કહીને મંચ પર બેસાડે છે. સૌથી મોટી કરુણતા એ છે કે અપરાધ કરતાં અપરાધનું ઉચ્ચારણ વધારે અશ્લીલ માનવામાં આવે છે. આપણને ગંદકી સામે વાંધો નથી; ગંદકી બતાવતી આંગળી સામે વાંધો છે. અન્યાય ગમે તેવો ચાલશે, પણ અન્યાય સામેનો અવાજ શિષ્ટ હોવો જોઈએ! જાણે આગને સૂચના આપવામાં આવી રહી હોય કે ઘર સળગાવે, પણ ધુમાડો શિસ્તપૂર્વક કરે!

બુઝુર્ગ શુબ્દ અહીં ઉંમર માટે નહીં, પણ વ્યવસ્થાથી ઊભા થતા અંતરાય માટે છે. પરંપરા મૂળ આપે ત્યાં સુધી વાંધો નથી, પણ પગમાં સાંકળ બાંધે ત્યારે તે પૂજવા જેવી નહીં, તપાસવા જેવી બની જાય છે. જોકે માણસે દરેક પ્રતિબંધનો વિરોધ ન કરવો જોઈએ; પ્રથમ પ્રતિબંધનું કારણ જાણવું જોઈએ. કારણ વિનાનું આજ્ઞાપાલન જડતાને દૃઢ બનાવે છે. ક્રાંતિ સૂત્ર બોલવાથી જન્મતી નથી; સૂત્રની કિંમત ચૂકવવાથી જન્મે છે. ક્ષણિક બળવો તસવીર બને, આજીવન બળવો ઇતિહાસ.

કવિ સાહિત્યનાં ‘શ્વેત અધિવેશન’ સુધી પહોંચે છે. શ્વેત અર્થાત્ સ્વચ્છતાનો દાવો. પરંતુ દરેક સફેદ પડદો ચોખ્ખાઈનું પ્રતીક નથી હોતો; કેટલાંક પડદાઓ પર લોહીના ડાઘ વધુ સ્પષ્ટ દેખાય છે. બહારથી ધોળાં દેખાતાં અધિવેશનોની અંદર કાળી ગણતરીઓ ચાલતી હોય છે. કોણ મંચ પર બેસશે, કોની પ્રશંસા થશે, કોને પુરસ્કાર મળશે, કોનું મૌન ખરીદાશે અને કોનો અવાજ અટકાવી દેવાશે. મંચ વિચારને ઊંચાઈ આપવા માટે હોય છે, પણ ઘણીવાર એ માણસને ઊંચો કરીને વિચારને નીચો કરી દે છે.

જે મંચ માત્ર પરસ્પર પ્રશંસાનાં પુષ્પો જ વહેંચે, તે સાહિત્યનો ઉત્સવ નહીં, અહંકારની ઉજવણી બની જાય છે. ત્યાં દરેક વ્યક્તિ શિરોમણિ હોય છે અને સત્ય ક્યાંક ખૂણામાં બેઠું હોય છે. સાચો સર્જક મંચને નહીં; મંચ પરથી બોલાતા સત્યને પવિત્ર માને છે. મંચ ભવ્ય હોવો જરૂરી નથી, મંચ પરથી બોલાયેલો શબ્દ દિવ્ય હોવો જોઈએ. જ્યાં સત્ય બોલવા માટે મુહૂર્ત જોવામાં આવતું હોય ત્યાં અસત્ય સત્તા પર બેસી જાય છે.

વધારે પડતી મીઠાશ ડાયાબિટિસ નોતરે છે. સાહિત્યમાં પણ જ્યારે પ્રશંસા, પીઠથાબણ પ્રવૃત્તિ અને ખોખલા સૌજન્યની મીઠાશ વધી જાય ત્યારે કલાની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. અતિમીઠું સાહિત્ય સમાજના ઘા ભરી શકતું નથી; ઊલટાનું ઘાવ રુઝતા અટકાવે છે. ભાષા દરેક દુઃખને શણગારવા લાગે, વિસંગતિને રૂપકોમાં છુપાવવા લાગે અને સત્તા સામે નમવા લાગે ત્યારે સમજવું કે સાહિત્યની નસોમાં ખાંડ વધી ગઈ છે. એવા સાહિત્યને કડવી પ્રામાણિકતા જોઈએ. સમાજ જે વસ્તુને કચરો કહે છે, કુદરત ત્યાં ફૂલ ઉગાડે છે. સાહિત્યનો વિદ્રોહ પણ એવો જ હોવો જોઈએ, દુર્ગંધને ઢાંકે નહીં, તેને રૂપાંતરિત કરે.

જોકે વિદ્રોહનો અર્થ દરેક મૂલ્યને અપમાનિત કરવાનો નથી. સાચો બળવાખોર મંદિર તોડતો નથી; મંદિરમાં ચાલતા વેપારને પડકારે છે. તે વડીલને નકારતો નથી; વડીલપણાની આડમાં જીવતી જડતાને નકારે છે. તે સાહિત્યનો તિરસ્કાર કરતો નથી; સાહિત્યના નામે ચાલતા અહંકારનો ધિક્કારે કરે છે. સાચું સાહિત્ય હંમેશાં સુગંધિત નથી કરતું; ક્યારેક તે આપણને આપણી જ દુર્ગંધનો પરિચય કરાવે છે.

લોગઆઉટઃ

કદી પૂછે જો કોઈ મારી ‘આખરી ખ્વાહિશ’
કહું કે ‘કરવો છે પેશાબ આ હયાત ઉપર!’
– ભાવેશ ભટ્ટ

વાડ ઊભી કરવાથી પવન રોકાતો નથી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

કેવી રીતે આ વાડના વશમાં પવન રહે?
વાદળ તો વરસે એમ ઉભયનું જતન રહે;
સરહદની આ લકીર જરૂરી ભલે ને હોય,
સરહદની બંને બાજુ મહેકતું ચમન રહે!

– રઈશ મનીઆર

આજનો માણસ વિકસિત યુગમાં જીવે છે, અને વિભાજિત યુગમાં પણ. દેશોની સરહદો પહેલાં હતી, આજે પણ છે, પરંતુ આજે મનની સરહદો વધારે ઊંડી છે. આજે ભાઈચારાના વાઘા પહેરીને નફરત ફરી રહી છે. પહેલાં વાડ જમીનમાં પર હતી, હવે સંબંધોમાં છે. પહેલાં નકશા વહેંચાતા, આજે માણસો વહેંચાય છે. આવી ઘડીમાં આ કવિતા આશ્વાસન જેવી છે.

વાડનું કામ રક્ષણ કરવાનું છે, મતભેદ કરવાનું નહીં. જ્યારે વાડ જીવનનું કેન્દ્ર બની જાય, ત્યારે માણસ પોતે જ પોતાનો કેદી બની જાય છે. માણસે પહેલા ઘરની આસપાસ વાડ ઊભી કરી, પછી સમાજની, પછી ધર્મની, પછી ભાષાની, પછી વિચારધારાની. અંતે એવું બન્યું કે ચારેબાજુ વાડ જ વાડ રહી ગઈ અને વહાલ ખોવાઈ ગયું. આજે લોકો વિચાર, વસ્તુ કે વાણી, બધી જગાએ વાડ બાંધવા લાગ્યા છે. એટલા માટે જ આજે દુનિયાને વિજેતાઓ કરતાં વધારે સંરક્ષકોની જરૂર છે. એવા લોકોની જરૂર છે જેઓ પોતાના હિસ્સાનું સુખ વહેંચી શકે.

સોશિયલ મીડિયાએ આપણને જોડ્યા ઓછા અને જુદા વધુ કર્યા છે. વિચારોની જગ્યાએ પક્ષો ઊભા થયા છે. સંવાદની જગ્યા વિવાદે લઈ લીધી છે. કોઈ આપણાં જેવું ન વિચારે તો આપણે તેને શત્રુ ગણી લઈએ છીએ. આ જ કારણે સુવિધા વધી હોવા છતાં સ્નેહ ઘટ્યો છે.

વાદળનું સૌંદર્ય એમાં નથી કે તે ક્યાંથી ઊઠ્યું; એમાં છે કે તે ક્યાં વરસ્યું. વાદળ જ્યારે વરસે ત્યારે પોતાનું પાણી કોઈ એક ખેતર માટે સાચવી રાખતું નથી. તેને ખબર છે કે તરસનો કોઈ ધર્મ નથી હોતો. કુદરતનું દરેક દાન સમાન હોય છે; અસમાનતા તો માણસની રચના છે.

આ કવિતાની સૌથી મોટી શક્તિ તેની છેલ્લી પંક્તિમાં છે. સરહદ વ્યવસ્થા માટે જરૂરી છે. પરંતુ સરહદ એવી ક્યારેય ન હોવી જોઈએ કે તે સુગંધને રોકી દે. આપણે સમજવું જોઈએ કે કાયદા દેશોને બચાવે છે, અને કરુણા દુનિયાને. નકશા રાષ્ટ્રો બનાવે છે, પરંતુ પ્રેમ માનવતા.

આજના વિશ્વને હથિયારો કરતાં વધુ હૃદયોની જરૂર છે. ટેક્નોલોજી કરતાં વધુ વિશ્વાસની જરૂર છે. વિકાસ કરતાં વધુ સહઅસ્તિત્વની જરૂર છે. કારણ કે જ્યારે માણસ માણસને મળવાનું બંધ કરે છે, ત્યારે માનવતા મરવાનું શરૂ થાય છે.

કદાચ આ જ કારણે કવિતાઓ સદીઓ સુધી જીવતી રહે છે. કારણ કે તે કોઈ પક્ષની નથી હોતી, કોઈ સીમાની નથી હોતી. કવિતા પવન જેવી હોય છે, એ જ્યાં પહોંચે ત્યાં થોડી ઠંડક મૂકી જાય છે. કદાચ જીવનનો સાચો અર્થ પણ એટલો જ છે કે પોતાની ઓળખ જાળવી રાખીને બીજા સુધી સુગંધની જેમ પહોંચતા રહેવું. કારણ કે દુનિયાને આજે સરહદો કરતાં, શાંતિની વધુ જરૂર છે.

કવિ સરહદની જરૂરિયાત સ્વીકારે છે. દરેક દેશને સુરક્ષા જોઈએ. દરેક ઘરને દરવાજો જોઈએ. દરેક સમાજને વ્યવસ્થા જોઈએ. જરૂર મુજબની સરહદ રહે તો ભલે રહે, પણ માનવતાની સુગંધ અટકવી ન જોઈએ. વ્યવસ્થા રહે, પણ વહાલ ન મરી જવું જોઈએ. રાષ્ટ્રપ્રેમ રહે, પણ માનવપ્રેમ ખતમ ન થવો જોઈએ. દેશપ્રેમ માનવપ્રેમને જડમૂળથી ઉખાડી ફેંકવો ન જોઈએ કેમકે ગોળી પહેલા માણસને વાગે છે પછી દેશને.

દુનિયામાં સરહદો રહે તો રહે, પરંતુ માણસની અંદરનું ચમન ક્યારેય સૂકાઈ ન જવું જોઈએ. કારણ કે જ્યાં સુધી બંને બાજુ ફૂલ ખીલતા રહેશે, ત્યાં સુધી આશા જીવતી રહેશે. અને જ્યાં સુધી આશા જીવતી રહેશે, ત્યાં સુધી માનવતા હારશે નહીં.

લોગઆઉટઃ

ઓ હિંદ! દેવભૂમિ! સંતાન સૌ તમારાં!
કરીએ મળીને વંદન! સ્વીકારજો અમારાં!

હિંદુ અને મુસલ્મિન : વિશ્વાસી, પારસી, જિન:
દેવી! સમાન રીતે સંતાન સૌ તમારાં!

પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી:
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં!

રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર: સંતાન સૌ તમારાં!

વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા! સંતાન સૌ તમારાં!

સૌની સમાન માતા, સૌએ સમાન તેથી:
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં!

ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં!

– કવિ કાન્ત

અનહદ અપાર વરસે!

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું? અનહદ અપાર વરસે!

ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે!

ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળોય સાર વરસે!

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે!

છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂરને ઘુઘવતો એવો ખુમાર વરસે!

– નયના જાની

વરસાદ અને પ્રેમ સરખા હોય છે. એક વાદળરૂપે બહાર બંધાય, એક સ્નેહરૂપે ભીતર. એકને પવન ખેંચી લાવે, બીજાને સ્મરણ. એક વીજળીના ચમકારે ઓળખાય, બીજું આંખના પલકારે. એકનો ગડગડાટ ગામ સાંભળે, બીજાનો હૃદય. ક્યારેક બંને વરસાદ એકસાથે આવે છે. બહારનો વરસાદ બારી ખખડાવે અને ભીતર કોઈનું વહાલ વીણા વગાડે. બહારની છાલક શરીરને ભીંજવે, અંદરની ધાર અસ્તિત્વને. પછી માણસ નક્કી કરી શકતો નથી કે તેની પર વાદળ વરસે છે વહાલ.

કવયિત્રી નયના જાનીએ ઉપરોક્ત કવિતામાં ધોધમાર, અનહદ, અપાર વરસતા વહાલ અને વરસાદથી ભાવકોને ભીંજવ્યા છે.

માણસનું હૃદય સમુદ્ર જેવું હોય છે. તેમાં લાગણીની નદી ભળે છે. રોજિંદા જીવનમાં તેનો ખ્યાલ આવતો નથી. માણસ કામ કરતો રહે, બોલતો રહે અને દુનિયાના હિસાબો કરતો રહે. પણ કોઈ ક્ષણે અંદર ભરાયેલું બધું બાષ્પ બનીને ઊંચે ચડે છે. હૃદયના નભમાં વાદળો બંધાય છે. પછી સ્મરણનો પવન ફુંકાય છે, કોઈનો અવાજ વીજળીની જેમ ચમકે છે, અને અંદર સચવાયેલો સમુદ્ર વરસાદ બનીને પાછો આવે છે.

વરસાદ શરીર પરથી વહી જાય, પણ વહાલ ક્યાંથી વહે? તે આંખમાં આવે તો આંસુ થાય, હોઠ પર આવે તો સ્મિત, હાથમાં આવે તો સ્પર્શ અને પ્રતીક્ષામાં આવે તો ઝંખના. સ્વરૂપ બદલાતાં રહે છે, પરંતુ ભીનાશ એ જ રહે છે.


પ્રથમ વરસાદમાં ધરતીમાંથી આવતી સુવાસ આકાશની નહીં, ધરતીએ લાંબા સમયથી સાચવેલી તરસની હોય છે. વરસાદ તો માત્ર એને જગાડે છે. પ્રેમમાં પણ આવું જ બને છે. કોઈ માણસ આપણામાં પ્રેમ મૂકતો નથી; તે આપણી અંદર વર્ષોથી સૂતેલી સ્નેહક્ષમતાને જગાડે છે. આપણે સમજીએ કે આ સુગંધ તેના આવવાથી જન્મી. હકીકતમાં એ આપણી જ ધરતીમાં દટાયેલી હોય છે.

વહાલનો વરસાદ અકળ હોય છે, કેમકે લાગણી બુદ્ધિના રસ્તે ચાલતી નથી. બુદ્ધિ પૂછે કે, અત્યારે શા માટે? આટલું શા માટે? એ જ વ્યક્તિ માટે શા માટે? હૃદય પાસે આ પ્રશ્નોના ઉત્તર હોતા નથી. વાદળને પૂછીએ કે આ જ જગ્યાએ કેમ વરસવું છે, તો કદાચ તે પણ જવાબ નહીં આપી શકે. વરસાદ કે વહાલ બંનેને માત્ર વરસતાં આવડે છે.

બહારના વરસાદથી બચવા માણસે રેઇનકોટ, છત્રી વગેરે શોધ્યાં. અંદરના વરસાદથી બચવા વ્યસ્તતા, તર્ક, વિસ્મરણ વગેરે શોધ્યાં. પણ કેટલાંક ચોમાસાં સામે આવરણ ટકતાં નથી. તમે કામમાં ડૂબો તો એ કાગળની વચ્ચે કોઈના નામની જેમ ઊગી આવે. ભીડના અવાજોમાંથી કોઈ પરિચિત સૂર બનીને સંભળાય. ઊંઘો તો સ્વપ્નના દરવાજેથી પ્રવેશે; જાગતા રહો તો પ્રતીક્ષા બનીને પધારે.

અંતે કોઈ ક્ષણે માણસ છત્રી બંધ કરી દે છે, બહારની પણ અને અંદરની પણ. તે પોતાના અસ્તિત્વના દરવાજા ખોલીને ઊભો રહે છે. પહેલાં તે ભીંજાય છે. પછી ન્હાય છે. પછી ડૂબે છે. છેવટે તણાય છે. વહાલના પ્રવાહમાં પોતાની જાતને વહેવા દે છે. કેમકે પ્રેમમાં ‘ડૂબવું’નો અર્થ તરવું થાય છે. ટીપું સમુદ્રમાં પડે ત્યારે એમ કહી શકાય કે ટીપું ખોવાઈ ગયું, પણ બીજી રીતે જોઈએ તો એ જ ક્ષણે ટીપું સમુદ્ર થઈ ગયું હોય છે.

હૃદય ભાષા નહીં ભાવ સાંભળે છે. એ નકારનો અર્થ હકાર કરી શકે, અને હકારનો અર્થ સ્વીકાર. પરંતુ વહાલનો અર્થ કબજો નથી. વાદળો ધરતી પાસેથી પાણીનો હિસાબ માગતાં નથી. પ્રેમ જ્યારે હિસાબ રાખવા માંડે ત્યારે વેપાર બની જાય છે. મેં આટલું આપ્યું, તેં કેટલું આપ્યું? મેં તારી રાહ જોઈ, તેં મારી કેટલી જોઈ? આવા હિસાબો વહાલના ઝરણાને નાળામાં ફેરવી નાખે છે. સ્નેહનું ગગન પૂછતું નથી; તે વરસે છે, કારણ કે વરસ્યા વિના તેને પોતાના ભરાવામાંથી મુક્તિ મળતી નથી.

છલકાઈ જવું નબળાઈ નથી, ભરપૂરતાનું પ્રમાણ છે. પરંતુ અહીં માત્ર છલકાવાની નહીં, છોળ થઈ જવાની વાત છે. પ્રેમની પરાકાષ્ઠા કદાચ એ છે કે માણસ પોતે વહાલ થઈ જાય.

લોગઆઉટઃ

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ,
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં!
– આદિલ મન્સૂરી

રોટલી સાથે રમતો ત્રીજો માણસ

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

एक आदमी
रोटी बेलता है
एक आदमी रोटी खाता है
एक तीसरा आदमी भी है
जो न रोटी बेलता है, न रोटी खाता है
वह सिर्फ़ रोटी से खेलता है
मैं पूछता हूँ-
'यह तीसरा आदमी कौन है ?'
मेरे देश की संसद मौन है।

- धूमिल

ખેતરથી શરૂ થયેલી રોટલીની સફર બજાર, મિલ, ગોદામ, દુકાન અને રસોડું પાર કરીને થાળી સુધી પહોંચે છે. આ લાંબી સફરમાં કોઈ રોટલી વણે છે, તો કોઈ ખાય છે. કોઈ એવો પણ છે, જે ભૂખ્યો નથી છતાં લાખો લોકોની ભૂખને આંગળીએ નચાવે છે. ધૂમિલની આ કવિતા એ ત્રીજા માણસના ચહેરા પરથી નકાબ હટાવવાનો પ્રયાસ કરે છે.

રોટલી વણવાનો અર્થ માત્ર રસોડામાં બેસીને લોટને આકાર આપવાનો નથી. તેની પાછળ દેશનો આખો શ્રમજીવી વર્ગ ઊભો છે. છતાં કરુણતા એ છે કે જે હાથ સૌથી વધુ રોટલી બનાવે છે, એ જ ખાલી પેટે સૂઈ જાય છે. અનાજ ઉગાડનાર ખેડૂત દેવામાં ડૂબે છે, મકાનો બનાવનાર મજૂર ઝૂંપડામાં સબડે છે. ઉત્પાદન કરનારો માણસ સમૃદ્ધિ સર્જે છે, પરંતુ સમૃદ્ધિની ચાવી હંમેશાં કોઈ બીજાના ખિસ્સામાં રહે છે.સમાજની અસમાનતા મહેલ અને ઝૂંપડી વચ્ચે નહીં, બે થાળીઓ વચ્ચે દેખાય છે. એક થાળીમાં રોટલી વધે છે, બીજીમાં ભૂખ.

રોટલી બનાવનાર અને ખાનાર સિવાય ત્રીજો માણસ પણ છે, જે અનાજના ભાવ નક્કી કરે છે, ગોદામોને તાળાં મારે છે, બજારમાં અછત ઊભી કરે છે, સબસિડીની જાહેરાત કરે છે, યોજનાઓનાં નામ બદલે છે અને ચૂંટણી આવે ત્યારે ગરીબની થાળીમાં મૂકેલી રોટલી સાથે પોતાનો ફોટો પડાવે છે. તે જાણે છે કે ભૂખ માણસની સૌથી મોટી મજબૂરી છે. એટલે તે રોટલીને અધિકાર નહીં, ઉપકાર બનાવી દે છે. જે હકથી મેળવી જોઈએ, તે રોટલી માટે હાથ જોડવા પડે છે.

ત્રીજો માણસ કોઈ વ્યક્તિ નથી. એ વૃત્તિ છે, વ્યવસ્થા છે, એક એવું જાળું છે જેમાં વેપારીનો લોભ, વચેટિયાની ચાલાકી, અમલદારની ઉદાસીનતા અને રાજકારણીની સત્તાલાલસા છે. ક્યારેક, એ માણસ અનાજ સંઘરી રાખતો સંગ્રહખોર છે, ક્યારેક મજૂરી કાપતો માલિક, ક્યારેક ગરીબીના આંકડા સાથે રમતો અધિકારી અને ક્યારેક ભૂખને ચૂંટણીના ભાષણમાં વાપરતો નેતા. તેનો ચહેરો બદલાતો રહે છે, પરંતુ વૃત્તિ એ જ રહે છે. તે રોટલીને ક્યારેક વચન બનાવે છે, ક્યારેક જાહેરાત, ક્યારેક યોજના, ક્યારેક ધર્મ અને ક્યારેક મતપેટી.

આ ત્રીજો માણસ કોણ છે તે રોટલી વણનાર અને ખાનીર બંને જાણે છે. છતાં પ્રશ્ન પૂછવો જરૂરી છે, કેમકે અન્યાયની ભીંતમાં ગાબડું પાડવા માટે પ્રશ્ન હથિયાર સમાન છે.

જ્યાં પ્રશ્ન નાગરિકની ભૂખનો હોય, ત્યાં સત્તાનું ચૂપ રહેવું તટસ્થતા નથી. આગ લાગે ત્યારે પાણી ધરાવનાર ઊભો રહીને જોયા કરે તો તે માત્ર દર્શક રહેતો નથી; આગનો ટેકેદાર બની જાય છે. રોટલી સાથે રમતા માણસ વિશે પૂછવામાં આવે ત્યારે સત્તામાં બેઠેલા જવાબ ન આપે, ત્યારે તેનું મૌન જવાબ બની જાય છે.

લોકશાહી માઇકમાંથી નહીં, છેલ્લી હરોળમાં બેઠેલા માણસની થાળીમાંથી સંભળાય છે. થાળી ખાલી હોય ત્યારે સંસદનાં ભરપૂર ભાષણો ખોખલાં લાગે છે. જે માણસ દેશ બનાવે છે તે નિર્ણય લેતો નથી અને જે નિર્ણય લે છે તે દેશ બનાવનાર માણસના દુઃખથી અજાણ હોય છે. એક માણસ જમીન પર ઝૂકીને બી વાવે છે, બીજો ફાઈલ પર ઝૂકીને ભાવ નક્કી કરે છે. પહેલાની પીઠ પર પરસેવો છે, બીજાના ટેબલ પર ફાઇલ. પરંતુ રોટલી કોને કેટલી મળશે એનો નિર્ણય ફાઇલ કરે છે, પરસેવો નહીં. અહીંથી જ ત્રીજો માણસ જન્મે છે.

આ કવિતા આપણને ત્રીજા માણસની ઓળખ પૂછતી નથી; તે આપણું સ્થાન પણ પૂછે છે. અન્યાય માત્ર ગુનેગારના કારણે નહીં; આસપાસના લોકોની નિષ્ક્રિયતાના કારણે પણ બળુકો બને છે. જ્યારે કોઈ મજૂરને યોગ્ય વેતન ન મળે, ખેડૂતને પાકનો ભાવ ન મળે, કોઈ બાળક ભૂખ્યું સૂઈ જાય, અને આપણે એને માત્ર સમાચાર સમજીને આગળ વધી જઈએ ત્યારે સંસદનું થોડું મૌન આપણી અંદર પણ ઊગે છે. દેશની પ્રગતિ ઊંચી ઇમારતો, પહોળા રસ્તાઓથી નહીં, પણ ગરીબ માણસની થાળીથી માપવી જોઈએ. કારણ કે જે વિકાસ ભૂખ્યા માણસ પાસેથી પસાર થઈ જાય છે, તે વિકાસ નહીં, શોભાયાત્રા છે.

જ્યાં સુધી રોટલી વણનારને રોટલી નહીં મળે, જ્યાં સુધી ભૂખને મતમાં અને અનાજને નફામાં ફેરવવામાં આવશે, ત્યાં સુધી આ કવિતા જૂની નહીં થાય. દરેક યુગમાં ત્રીજો માણસ નવા કપડાં પહેરીને આવશે, નવી ભાષા બોલશે અને પોતાના ખેલને વિકાસનું નામ આપશે.

લોગઆઉટઃ

તાવડી પર ધૂળ ચડતી જાય છે,
ઝૂંપડી માટીમાં ભળતી જાય છે.
સૂર્ય સાથે ભૂખ ઊગતી જાય છે,
ને અમર આશા ય મરતી જાય છે.
— મધુસૂદન પટેલ

મારું જીવન વંદા જેવું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

પૂછો તો સબ ચંગા જેવું,
મારું જીવન વંદા જેવું

કેટલી લીધી એક્ઝામો ને કેટલાં ભર્યા ફોર્મ ખબર નહીં
ખોલે એવો થાય ધડાકો, પેપર છે કે બોમ્બ ખબર નહીં
કરિયર લાગે કાવતરું ને ફ્યૂચર લાગે ફંદા જેવું
મારું જીવન વંદા જેવું

સાપ વસે છે સિસ્ટમમાં ને સમાજ પાછળ ભમરો છે,
હાલતા ચાલતા એક જ લમણું. 'જોબ મળી કે નવરો છે?'
બેઉ વગાડે વારા ફરતી મંદિરના કોઈ ઘંટા જેવું
મારું જીવન વંદા જેવું

મહિના બે મહિનામાં મારો બધ્ધો ગુસ્સો થૂંકી દઉં છું,
નેતાએ આપેલી ગૌરવની ગોળી લઈ ઊંઘી જઉં છું,
માનું છું તલવાર, મગર છે ધાર વગરના રંધા જેવું,
મારું જીવન વંદા જેવું

– દર્શન દક્ષા

આ કવિતામાં આજના લાખો યુવાનોની ભારે વ્યથા દબાયેલી છે. ‘વંદો’ અહીં એક એવી જિંદગીનું પ્રતીક છે જેને કોઈ પસંદ કરતું નથી. જેને વારંવાર કચચવાના પ્રયત્નો થાય છે, છતાં તે બચી જાય છે અને ફરી દોડવા લાગે છે. આજના યુવાનનું જીવન કંઈક આવું જ છે. સપનાં કચડાય છે, અરજીઓ નકારાય છે, પરિણામો અટવાય છે, ભરતીઓ રદ થાય છે, છતાં બીજા દિવસે તે ફરી નવી જાહેરાત શોધે છે, નવું ફોર્મ ભરે છે અને ફરીથી આશાનો એક નાનો ટુકડો ખિસ્સામાં મૂકી આગળ વધે છે.

પહેલાં શિક્ષણને સફળતાની ચાવી કહેવામાં આવતું હતું. હવે યુવાનોના હાથમાં ચાવીઓનો આખો ઝૂડો છે. ડિગ્રી, ડિપ્લોમા, સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ, કમ્પ્યુટર કોર્સ, ભાષાકૌશલ્ય… પરંતુ કયું તાળું કઈ ચાવીથી ખૂલશે, તેની કોઈ ખાતરી નથી. એક સમય હતો જ્યારે પરીક્ષાનું પેપર જ્ઞાન માપવાનું સાધન ગણાતું; હવે ઉમેદવારને સતત ચિંતા હોય છે કે પેપર ફૂટશે તો નહીં? પરિણામ અટવાશે તો નહીં? બોમ્બનો ધડાકો એક ક્ષણમાં બધું તોડી નાખે છે, જ્યારે અનિશ્ચિત પરીક્ષાનું પેપર ધીમે ધીમે ઉમેદવારનાં કેટલાંય વર્ષોને તોડે છે.

કરિયરનો અર્થ સામાન્ય રીતે ઉજ્જવળ આવતીકાલ સાથે જોડાય છે, પરંતુ હવે કરિયર એક કળણ જેવું થઈ ગયું છે, જેમાં માણસ જેટલો બહાર નીકળવા પ્રયત્ન કરે એટલો વધુ ફસાય છે. આજે એક સામાન્ય નોકરી માટે હજારો અરજીઓ આવે છે. યુવાનને કહેવામાં આવે છે કે કૌશલ્ય વધારો. તે કૌશલ્ય વધારે છે. પછી કહેવામાં આવે છે અનુભવ જોઈએ. તે પૂછે કે તક વગર અનુભવ ક્યાંથી લાવવો? જવાબમાં ફરી નવો કોર્સ, નવી ફી અને નવું પ્રમાણપત્ર તેની સામે મૂકવામાં આવે છે. આ રીતે કરિયર સીડી રહેતું નથી, ગોળગોળ ફેરવતી ભુલભુલામણી બની જાય છે. ભવિષ્ય ફંદા જેવું એટલા માટે લાગે છે કે દરેક આશા સાથે કોઈ શરત બાંધેલી છે અને દરેક તકની પાછળ અનિશ્ચિતતા.

સિસ્ટમ બહારથી નિષ્પક્ષ દેખાય છે, પરંતુ અંદર વિલંબ, ગેરવહીવટ, ઓળખાણ અને અસમાન તકોથી ખદબદે છે. ઉમેદવારને ખબર જ પડતી નથી કે તેની મહેનતને કયો સાપ ડંખી ગયો છે. બીજી બાજુ સમાજ ભમરાની જેમ સતત કાનમાં ગણગણ્યા કરે છે. નોકરીનું શું? ક્યાં સુધી બેસી રહીશ? ઘંટ એક બાજુથી વાગે તો બીજી બાજુ ઝૂકે અને બીજી બાજુથી વાગે તો પહેલી તરફ ઝુકે. યુવાનોની સ્થિતિ પણ આવી જ છે. સિસ્ટમ તેને એક તરફથી આઘાત આપે છે, સમાજ બીજી તરફથી.

સફળતા વિશે સૌ વાતો કરે છે, પરંતુ કોઈ એમ પૂછતું નથી કે સતત નિષ્ફળતાઓ પછી તું અંદરથી કેવો છે. તારાં સપનાં તારાં જ છે કે સમાજે તને આપેલાં છે? આપણો સમય સાંભળવામાં ગરીબ અને સલાહ આપવામાં સમૃદ્ધ છે. આપણે વિરોધને પણ ક્ષણિક બનાવી નાખ્યો છે.

નેતાએ આપેલી ‘ગૌરવની ગોળી’ લઈને ઊંઘી જવાની વાત ધારદાર છે. માણસના વર્તમાનમાં સુખ ન હોય ત્યારે તેને ભૂતકાળનું ગૌરવ પીરસવામાં આવે છે. રોજગાર નથી, તો કહેવાશે કે તું મહાન સંસ્કૃતિનો વારસદાર છે. આવક નથી, તો કહેવાશે કે દેશ વિશ્વમાં ગૌરવ મેળવે છે. પોતાના દેશ, ભાષા, સંસ્કૃતિ અને ઇતિહાસ માટે ગર્વ હોવો સ્વાભાવિક છે. પરંતુ જ્યારે એ ગૌરવનો ઉપયોગ ઘેનમાં લઈ જતી ગોળી તરીકે કરવામાં આવે એ ખતરનાક છે.

આ પેઢી ઓનલાઈન ફોર્મ ભરે છે, ઓફલાઇન લાઇનોમાં ઊભી રહે છે, તે વિશ્વ સાથે જોડાયેલી છે, પણ પોતાના ભવિષ્યથી કપાયેલી છે. તેની પાસે માહિતીનો મહાસાગર છે, પણ તરવા માટે હોડી નથી. જે દિવસે ગૌરવની ગોળીને બદલે રોજગારનો રસ્તો અને ઉપદેશને બદલે અધિકાર આપવામાં આવશે, એ દિવસે કદાચ આ વંદાઓ ફંદામાંથી બહાર આશે.

લોગઆઉટઃ

“પગ તળે કચડાતો નાનામાં નાનો કીડો પણ એક દિવસ પ્રતિકાર કરે છે; અને પોતાનાં બચ્ચાંને બચાવવા કબૂતર પણ ચાંચ ઉગામે છે.”
— વિલિયમ શેક્સપિયર

એક ચોમાસું તારા વિનાનું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

એક ચોમાસું કે, તું તું-થી સભર;
એક ચોમાસું કે, હું મારા વગર.

એક ચોમાસું કે, ઉનાળાઉં હું;
એક ચોમાસું કે, તું છે તરબતર!
એક ચોમાસું કે, તું બસ પર્ણ-પર્ણ;
એક ચોમાસું કે, હું છું પાનખર.
એક ચોમાસું કે, તું અલકાપુરી,
એક ચોમાસે હું રામાદ્રિ ઉપર!

– કરસનદાસ લુહાર

ટૂંકી બહેરની આ ગઝલ પરીક્ષા કરે તેવી છે. બહેર ટૂંકી છે, વળી આગળના ત્રણ શબ્દો બધી જ પંક્તિઓમાં સરખા છે, કવિતાનું કૌવત બતાવવા માટે પાછળ માંડ ગણ્યાગાંઠ્યા અક્ષરો રહે છે, એવી સ્થિતિમાં કવિતાનું મોતી લઈને બહાર આવવું મુશ્કેલ હોય છે. પણ કરસનદાસ લુહાર જેવા સક્ષમ કવિને આ કૌવત હાથવગું છે.

કવિ અહીં દરેક પંક્તિમાં ‘એક ચોમાસું’ એમ કહે છે. પણ એ એક ચોમાસું નથી. કવિ જે ચોમાસાની વાત કરે છે, તે આભમાંથી ઝરમરતા પાણીની નહીં, પણ બે હૈયામાંથી ઝરમર વરસતી સરવાણીની વાત છે. કવિતામાં બે પાત્રો છે - તું અને હું. જેમાં એકની સ્થિતિ સભર છે, બીજું ખાલીખમ. એક તરબતર છે, તો બીજું પાત્ર સૂકું ભઠ. એક લીલોતરીથી છલકાય છે, તો બીજું પાનખરમાં તરડાય છે. આ તું અને હું એટલે કોઈ પ્રેમી યુગલ.

પ્રેમમાં ઘણી વાર એવું થાય છે કે માણસ પોતાનું જીવન જીવતો નથી, સામેની વ્યક્તિને જીવવા લાગે છે. પછી એક દિવસ એવું બને છે કે પોતાની અંદર પોતે જ બચતો નથી. અને જાતને ભૂલી જવું ખૂબ જોખમી હોય છે. કેમકે જે દિવસે સામેની વ્યક્તિ દૂર થઈ જાય, ત્યારે માત્ર સંબંધ નથી તૂટતો, ઘણું બધું તૂટતું હોય છે.

અહીં કાવ્યનાયક અર્થાત્ પ્રેમી અંદરથી બળી રહ્યો છે. તેની અંદર કાળઝાળ ઉનાળો છે. જ્યારે સામેનું પાત્ર તો તરબતર થઈ રહ્યું છે. તેના જીવનમાં વરસાદ છે. અહીં કવિ કોઈ આરોપ લગાવતા નથી. તે માત્ર એક હકીકત રજૂ કરે છે. એક જ સંબંધમાં બે લોકોની લાગણીઓનો સમય ઘણીવાર એકસરખો હોતો નથી.

પ્રેમિકાના જીવનમાં હરિયાળી છે, પર્ણોથી છલકાય છે. પરંતુ પ્રેમીના જીવનમાંથી લીલોતરી ગાયબ થઈ ગઈ છે. પાનખરનો અર્થ માત્ર એકલતા નથી. પાનખર એટલે ધીમે ધીમે અંદરથી ખાલી થવું. એક પછી એક આશા ખરી પડવી. પ્રેમ અધૂરો રહી જાય, ત્યારે માણસ રાતોરાત તૂટી પડતો નથી. તે પાનખર બને છે. ધીમે ધીમે ખરતો જાય છે. ઉજ્જડ બનતો જાય છે.

અંતિમ પંક્તિમાં કવિ પ્રેમ અને પ્રેમની પરિસ્થિતિ વિશે કાલિદાસના ‘મેઘદૂતમ’નો સંદર્ભ આપે છે, પણ વાત પોતાની જ કરે છે.

અલકાપુરીમાં યક્ષની પ્રિયા રહે છે. ત્યાં સૌંદર્ય છે, સમૃદ્ધિ છે, ઉજાસ છે. રામાદ્રિ ઉપર શાપિત યક્ષ રહે છે. તેની પાસે માત્ર વિરહ છે. તે પોતાની પ્રેમિકાને મળી શકતો નથી. તેથી મેઘને દૂત બનાવીને પ્રેમિકાને સંદેશો મોકલે છે.

એક ચોમાસું કે, તું અલકાપુરી,
એક ચોમાસે હું રામાદ્રિ ઉપર!

પ્રેમિકા અલકાપુરી જેવી સ્થિતિમાં છે… પ્રકાશમાં, પૂર્ણતામાં, પોતાના નવા આકાશમાં. અને પ્રેમી રામાદ્રિ પર બેઠેલા યક્ષ જેવો છે. તેને મળવાનો રસ્તો નથી. તેની પાસે માત્ર યાદો છે. પ્રતીક્ષા છે. વરસાદ છે, જેમાં તે દર વર્ષે એક ચહેરાને શોધ્યા કરે છે. વિરહ એ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનું અંતર વ્યક્ત નથી કરતો હોતો.

આ કવિતાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ક્યાંય કડવાશ નથી. પ્રેમી એવું નથી કહેતો કે "તું બેવફા હતી." તે એમ પણ નથી કહેતો કે હું સાચો હતો. તે માત્ર એટલું જ કહે છે, આપણાં ચોમાસાં જુદાં હતાં. સંજોગોએ તને અલકાપુરી બનાવી દીધી અને મને રામાદ્રિ પર્વત.

આ કવિતા બે પ્રેમીઓની લાગણીઓની અસમાનતાનો દસ્તાવેજ છે. આ કવિતા વાંચીને વરસાદ ભલે યાદ આવતો હોય, પરંતુ તેનાથી પણ વધારે યાદ આવે છે - કોઈનું સાથે ન હોવું.

લોગઆઉટઃ

દુર્ભાગ્ય બીજું હોય શું એનાથી વધારે?
સંગાથમાં તું હોય ને વરસાદ ન આવે.
– ગૌરાંગ ઠાકર

સિટી વિનાના સિનયર સિટિઝન

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

અહીં અમેરિકામાં નિવૃત્ત થયેલી
વૃદ્ધ થતી જતી વ્યક્તિઓની આંખમાં
એક જ પ્રશ્ન ડોકાયા કરે છે: હવે શું?

ભારત જઈ શકાય એમ નથી
અમેરિકા રહી શકાય તેમ નથી
સંતાનો તો ઊડીને સ્થિર થઈ ગયાં
પોતપોતાના માળામાં

અમે બધા
સિટી વિનાના સિનિયર સિટીઝન.
અમે છાપાં વાંચીએ - પણ કેટલાં?
અમે ટેલિવિઝન જોઈએ - પણ કેટલું? ક્યાં લગી?

સ્થિર થઈ ગયેલો સમય અસ્થિર કરી મૂકે છે અમને - અમારા મનને.
સસલાં અને ખિસકોલીની જેમ દોડતો સમય
અચાનક કાચબો થઈ જાય ત્યારે
એ અવતારને શું કહેવાય?

– પન્ના નાયક


સરળ ગદ્યમાં લખાયેલી આ કવિતા સઘન પીડા રજૂ કરે છે. ખાસ કરીને પોતાનું વતન છોડીને વિદેશમાં સ્થાયી થયેલા લોકો જીવનભર પોતાનું અસ્તિત્વ ટકાવવા મથ્યા કરે છે. સંતાનો, નોકરી, અને રહેઠાણને સાચવવા વલખાં માર્યાં કરે છે. નવો દેશ, નવી જગ્યા, નવી રીતભાતમાં પોતાની જાતને ગોઠવવાની મથામણો જિંદગીભર રહે છે. ઘરથી ઓફિસ, ઓફિસથી ઘરની દોડધામમાં ક્યારે જીવનની સાંજ સુધી પહોંચી જવાય છે ખબર નથી રહેતી. બેફામ સાહેબનો શેર છે-
બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું,
નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

જિંદગીનાં એન્ટ્રી એક્ઝિટનાં દ્વાર બે જ છે, એક જન્મ અને બીજું મૃત્યુ. આ બંનેની વચ્ચેના બધા ડખા છે.

કવયિત્રી પન્ના નાયક વર્ષોથી અમેરિકા રહે છે અને જીવનની અનેક તડકીછાંયડીઓ તેમણે એ ભૂમિ પર જોઈ છે. ઉંમરના ઊંચા શિખરે ઊભેલા આ કવયિત્રીએ એટલે જ પોતાની અનુભૂતિજન્ય પીડાને કવિતામાં ભારોભાર ઉતારી છે. આ પીડા માત્ર એમની જ નહીં, વિદેશમાં વસતા દરેક નિવૃત્ત નાગરિકની હશે. અમેરિકામાં જ્યાં સુધી નોકરી હોય ત્યાં સુધી સમય ક્યાં પસાર થઈ જાય છે, ખબર નથી પડતી, પણ જેવી નિવૃત્તિ આવે કે તરત જાણે વૃત્તિ પર તાળાં લાગી જાય છે. અત્યંત વ્યસ્ત રહેતી જિંદગી અચાનક થંભી જાય છે. ત્યારે રસ્તો સમાપ્ત નથી થયો હોતો, પણ આગળ વધવાનું કારણ સમાપ્ત થઈ ગયું હોય છે.

પછી પહેલીવાર સમજાય છે કે વ્યસ્તતા માત્ર કામ નહોતી; વ્યસ્તતા તો પોતાને જીવંત રાખતી એક ગુપ્ત વ્યવસ્થા હતી. કામ માણસને થકવતું નથી હોતું, બચાવતું હોય છે. જવાબદારીઓ આપણને ઝુકાવતી નથી, જાળવી રાખે છે. વિચિત્ર વાત તો એ છે કે માણસ જિંદગીભર આરામની ઇચ્છા રાખે છે, પણ જ્યારે આરામ કરવાનો સમય આવે ત્યારે એ જ આરામ અસહ્ય લાગે છે. વિદેશી ભૂમિ પર તો વિશેષ. કેમ કે ત્યાં એવું મિત્રવર્તુળ નથી હોતું કે જેમની સાથે રોજ સાંજે ટોળટપ્પાં કરીએ, ગપ્પાં મારીએ, વીતી ગયેલી જિંદગીને વાગોળીએ. સફળતા-નિષ્ફળતા, ગમા-અણગમાની વાતો વવહેંચીએ. તે વખતે એક જ પ્રશ્ન આંખમાં ડોકાયા કરે છે, હવે શું?

આવું થવાનું કારણ મોડા સમજાય છે, કેમકે અગાઉ આ ‘હવે’ વિશે ગંભીરતાથી વિચાર્યું જ નથી હોતું. વર્ષો સુધી જે ભૂમિ પર રહ્યા હોઈએ, જે ભૂમિએ રોટલો અને ઓટલો આપ્યો હોય, આશરો અને ઇજ્જત આપ્યાં હોય એ જ ભૂમિ પરનો વૃત્તિ વિનાનો સમય ભારેખમ લાગે છે. એ વખતે સાંભરે છે બાળપણ, જૂના મિત્રો, ભૂતકાળમાં જિવાઈ ગયેલા આનંદ અને શોક. પરંતુ એ બધું વ્યક્ત કરવું ક્યાં, કોની પાસે, ક્યારે? આ વ્યથા અસહ્ય હોય છે, નથી કહી શકાતી, નથી સહી શકાતી.

ક્યાંક એકલા બહાર નીકળીએ ત્યારે રસ્તા પરિચિત હોવા છતાં અજાણ લાગે છે. સુવિધાઓ હોવા છતાં, દુવિધા અનુભવાય છે, સગપણમાં સુગંધ નથી દેખાતી. તે વખતે થાય છે કે ચાલો બિસ્ત્રાપોટલાં બાંધીને વતનની વાટ પકડી લઈએ. પણ વતન હવે પહેલાં જેવું નથી. જેને છોડીને આવ્યા હતા એ ગામ, એ સ્થાન, એ મિત્રો, એ લોકો, એ હૂંફ બધું જ બદલાઈ ગયું છે. વતન જવાય તેમ નથી, અહીં રહેવાય તેમ નથી.

માણસ ખરેખર તો વતનને નહીં, પોતાના ભૂતકાળને પાછો મેળવવા માંગતો હોય છે, અને ભૂતકાળ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેનો કોઈ વિઝા નથી. ન ત્યાં કોઈ વિમાન જાય છે, ન વહાણ. ત્યાં માત્રને માત્ર યાદોની પવનપાવડીમાં બેસીને જઈ શકાય છે.

કદાચ જીવનના અંતિમ પડાવે પહોંચીએ ત્યારે ભૂતકાળ વિશે જેટલા વિચાર આવે છે, તેટલા ક્યારેય આવતા નથી. ત્યારે જ સમજાય છે કે જીવનનો અર્થ સિદ્ધિઓમાં નહીં, સહજ સ્વીકારમાં છે. એ પણ સમજાય છે કે સમય કાચબા જેવો ક્યારેય હતો જ નહીં, માત્ર આપણી ગતિ ધીમી પડી છે.

લોગઆઉટઃ

તું મને પાલવનું ઇંગ્લિશ પૂછ મા,
અહિંયા આંસુ ટિશ્યૂથી લૂંછાય છે.
– અદમ ટંકારવી

પડવું ખરાબ નથી, પડ્યા પછી પડ્યા રહેવું ખરાબ છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

ખાળ તારી આંખડીના નીરને,
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને?

– શેખાદમ આબુવાલા

આ મુક્તકની ચાર પંક્તિઓ જીવનના યુદ્ધમેદાનમાં ઊભેલા દરેક માણસના ખભા પર મૂકાયેલો એક મજબૂત હાથ છે. એક એવો અવાજ છે જે કહે છે, “રડવું હોય તો રડી લે, પરંતુ રડીને બેસી ન રહે. ઊભો થા, ધૂળ ખંખેરી દે અને ફરી ચાલવાનું શરૂ કર.”

જીવનમાં સૌથી સહેલું કામ શું? ફરિયાદ કરવી. અને સૌથી મુશ્કેલ? સંજોગોને હરાવીને આગળ વધવું. માણસ જ્યારે મુશ્કેલીઓથી ઘેરાઈ જાય ત્યારે તેને લાગે છે કે આખી દુનિયા તેની વિરુદ્ધ થઈ ગઈ છે. આંખો ભીની થઈ જાય, હોઠ મૌન અને મન વારંવાર એક જ પ્રશ્ન પૂછે, “શા માટે મારી સાથે જ આવું?” અંગ્રેજીમાં તેને ‘why me?’ ઇફેક્ટ કહે છે.

માણસ પથ્થર નથી. દુઃખ થાય ત્યારે આંખો ભીની થવી સ્વાભાવિક છે. પરંતુ જો આંસુઓ જ સરનામું બની જાય તો સફર આગળ ક્યાંથી વધે? સમુદ્રના કિનારે ઊભેલા જહાજને ક્યારેય તોફાનથી ડર નથી લાગતો, તેને ખબર હોય છે કે તેનો જન્મ બંદરમાં ઊભા રહેવા માટે નહીં, દરિયાને ચીરીને આગળ વધવા માટે થયો છે.

વીર માણસ એ નથી જે ક્યારેય રડતો નથી. વીર માણસ એ છે જે રડી લીધા પછી ઊભો થાય છે ને લડી લે છે! જ્બાળક ચાલવાનું શીખતું હોય ત્યારે તે કેટલીય વાર પડે છે. જો તે પહેલી ઠોકર પછી જ નક્કી કરી લે કે હવે હું ચાલી નહીં શકું, તો કદાચ તે આખી જિંદગી ઘસડાતું રહે. પરંતુ તે પડે છે, રડે છે, ઊભું થાય છે અને ચાલવાનો પ્રયત્ન કરે છે. અંતે દોડવા લાગે છે. જીવન પણ આવું જ છે. ઠોકરો જીવનનો વિરોધ નથી, માર્ગદર્શન છે.

ખેડૂત જમીનમાં બીજ રોપે છે. પછી તરત પાક ઊગી નીકળતો નથી. બીજ જમીનની અંદર દટાય છે, તે અંધકાર સહન કરે છે, વરસાદનો માર વેઠે છે, માટીનો ભાર વેઠે છે. ત્યાર પછી જ તે અંકુર બને છે. ઘણા લોકો પોતાને દટાયોલા માને છે, જ્યારે હકીકતમાં તેઓ વાવવામાં આવ્યા હોય છે. ભગવાન આપણને દાટતા નથી, વાવતા હોય છે.

વિચારવા જેવી વાત એ છે કે જો માત્ર તકદીર જ બધું નક્કી કરતી હોત તો પછી પરિશ્રમનો જન્મ જ શા માટે થયો હોત? જો નસીબ જ બધું લખતું હોત તો ખેડૂત ખેતરમાં હળ શા માટે ચલાવત? વિદ્યાર્થી રાત્રે જાગીને અભ્યાસ શા માટે કરત? ખેલાડી હજારો કલાકોની મહેનતમાં ગળાડૂબ કેમ રહેત? એક જૂની કહેવત છે: “તકદીર દરવાજો ખખડાવે છે, પરંતુ દરવાજો ખોલવો તો તમારે જ પડે.” ઘણા લોકો આખી જિંદગી બારણું ખોલ્યા વગર જ ફરિયાદ કરતા રહે છે કે નસીબ મારા ઘરે આવ્યું નહીં.

માણસની સૌથી મોટી મૂડી તેની સંપત્તિ નથી, તેની પ્રતિભા પણ નથી. તેની સૌથી મોટી મૂડી તેનો આત્મવિશ્વાસ છે. જે માણસ પોતાને હારી જાય, તેને દુનિયાની કોઈ જીત બચાવી શકતી નથી. અને જે માણસ પોતાની અંદરની આશાને જીવંત રાખે છે, તેને દુનિયાની કોઈ શક્તિ હરાવી શકતી નથી. ઇતિહાસ સાક્ષી છે કે મહાન સિદ્ધિઓ અશક્યતાની રાખમાંથી જન્મી છે.

પર્વતને જોઈને કેટલાક લોકો પાછા વળી જાય છે, જ્યારે કેટલાક લોકો બૂટની દોરી વધુ મજબૂત બાંધી લે છે. જીવનમાં ઘણી મુશ્કેલીઓ આપણને હરાવવા નહીં, ડરાવવા આવતી હોય છે. તે જોવા માગે છે કે આપણે કેટલા મજબૂત છીએ. સોનાને પણ ઘરેણું બનતા પહેલાં અગ્નિમાંથી પસાર થવું પડે છે. હીરાને પણ ચમકતા પહેલાં અસંખ્ય ઘસારા સહન કરવા પડે છે. નદી પણ પથ્થરો સાથે અથડાઈને જ સંગીત શીખે છે. તો પછી માણસને મુશ્કેલીઓ વગર મહાન બનવાનો અધિકાર ક્યાંથી મળી જાય?

એક વાત યાદ રાખવા જેવી છે, જીવનમાં પડવું ખરાબ નથી, પડ્યા પછી પડ્યા રહેવું ખરાબ છે. વીરતા તલવાર ચલાવવામાં નથી. વીરતા તો એમાં છે કે જ્યારે જીવન આપણને ઘૂંટણિયે પાડી દે ત્યારે ફરી ઊભા થઈ જઈએ. કદાચ એટલા માટે જ દુનિયાની સૌથી રસપ્રદ વાર્તાઓ એવા લોકોની છે જેમણે સંજોગો સામે હાર માનવાનો ઇનકાર કર્યો. ક્યારેક આપણે જીતીએ છીએ. ક્યારેક આપણે શીખીએ છીએ. પરંતુ હારીએ ત્યારે જ છીએ જ્યારે પ્રયત્ન કરવાનું બંધ કરી દઈએ.

લોગઆઉટઃ

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

– શેખાદમ આબુવાલા

સહજ મળે તે સાચું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

સહજ મળે તે સાચું.
કરી ઉધામા કૈંક પામીએ એ સઘળુંયે કાચું.

વરસે વ્હાલો ધોધમાર, છલકે જીવતરની ઝોળી.
મહેકી ઊઠે એમ પછી તો રુદિયાની રંગોળી.
આપે અપરંપાર પછી હું નાહક શાને યાચું?
સહજ મળે તે સાચું.

પંથ ઉપર પાડેલું પગલું ઊડી આભમાં પૂગે.
સમય સાચવી સૂખનો સૂરજ આપોઆપ જ ઊગે.
ભાર બધો ભૂલીને હું તો રામનામમાં રાચું.
સહજ મળે તે સાચું.

– નીતિન વડગામા

કવિતા આપણને એવાં નક્કર સત્યો સુધી લઈ જાય છે, જ્યાં તર્કની સીડી નકામી થઈ જાય છે. કવિ નીતિન વડગામાએ સહજતાના સત્યને ઉજાગર કર્યું છે. આખું જીવન માણસ કંઈક મેળવવા માટે દોડધામ કરે છે, હિસાબો માંડે છે, પ્લાન બનાવે છે, રઘવાયો થાય છે; પણ અંતે ખબર પડે છે કે જેની માટે લોહીઉકાળા કર્યા તેનું એટલું મહત્ત્વ હતું જ નહીં. સૌથી કિંમતી હતું તે તો સહજ રીતે, પ્રયત્ન વગર, કોઈ દાવપેચ વગર પાસે આવ્યું હતું. આ સહજતા એ જ સત્ય, બીજાં વલખા!

દરેક માણસ ક્યાંક પહોંચવા માંગે છે. કોઈ નામ કમાવા માંગે છે, કોઈ સંપત્તિ, કોઈ પ્રતિષ્ઠા, કોઈ પ્રેમ. પરંતુ આ દોડમાં એ ભૂલી જઈએ છીએ કે દરેક પ્રાપ્તિનો અર્થ આનંદ નથી હોતો. ઘણી વસ્તુઓ હાથમાં આવે છે, હૃદયમાં નથી આવતી. કાચના ટુકડાઓ સૂર્યપ્રકાશમાં હીરા જેમ ચમકે તો તે હીરા નથી બની જતા. ઘણી સિદ્ધિઓ બહારથી ભવ્ય દેખાતી હોય, પરંતુ અંદરથી ખાલીખમ હોય છે. કવિએ એટલે જ કહ્યુંં છે કે ઉધામા કરીને મેળવેલી વસ્તુ કાચી હોય છે, સાચી નહીં.

જીવનની સૌથી મૂલ્યવાન વસ્તુઓ કોણ ખરીદી શકે? માતાના હાથનો સ્પર્શ, મિત્રની નિષ્ઠા, બાળકનું નિર્દોષ હાસ્ય, પ્રથમ વરસાદની સુગંધ, પ્રિયજનની આંખોમાં દેખાતો વિશ્વાસ, સાંજના આકાશમાં ઊતરતો રંગ, કે પછી અચાનક અનુભવાતી શાંતિ… આમાંથી કઈ વસ્તુ બજારમાં મળે છે? કઈ વસ્તુ માટે ભાવતાલ થાય છે? આ બધું સહજ રીતે મળે છે. અને કદાચ એટલે જ તેમાં ભારોભાર સચ્ચાઈ છે.

આપણને એવો ભ્રમ છે કે સુખ સર્જવું પડે. આપણે સુખને પ્રોજેક્ટની જેમ લઈએ છીએ. એટલે જ તો ચોગઠા ગોઠવીએ છીએ કે વધારે પૈસા મળે, મોટું ઘર મળી જાય, પ્રસિદ્ધિ મળી જાય, તો સુખ આપોઆપ મળી જશે. પરંતુ સુખ ઈમારત નથી કે ઈંટ પર ઈંટ ગોઠવીને ચણી શકાય. સુખ તો વરસાદ જેવું છે. જ્યારે અંદરની ધરતી તૈયાર થાય ત્યારે તે આપોઆપ વરસી પડે છે. કવિ જીવનને ઝોળી કહે છે. આપણે તેને ભરવા માટે સતત મથતા રહીએ છીએ, પણ જે ભરે છે તે તો કોઈ અદૃશ્ય કૃપા છે, કોઈ અજાણ્યા આશીર્વાદ છે, કોઈ એવી વ્યવસ્થા છે જે આપણાથી અનન્ય મોટી છે. એ જ્યારે વરસે ત્યારે આપોઆપ જીવનની ઝોળી છલકી ઊઠે છે. જ્યારે કૃપા વરસે ત્યારે બહારની દુનિયા જ નહીં, અંદરથી પણ બધું બદલાઈ જાય છે.

આધુનિક જીવનની કરુણતા એ છે કે આપણે સહજતાથી દૂર થઈ ગયા છીએ. આપણે બધું નિયંત્રિત કરવા માંગીએ છીએ. સંબંધો યોજના મુજબ ચાલે, સફળતા સમયપત્રક પ્રમાણે મળે, આનંદ આપણા તાબામાં રહે વગેરે. પરંતુ જીવનને આદેશો નથી ગમતા. જીવન તો નદી છે. તેને વહેવા દો તો સંગીત બને, રોકવા જાઓ તો પૂર બને. સહજતા એટલે જીવન સાથે યુદ્ધ નહીં, જીવન સાથે મિત્રતા.

આપણું દુઃખ આપણી ઉતાવળમાંથી જન્મે છે. બીજ વાવ્યું ને તરત ફળની આશા રાખીએ છીએ. પ્રકૃતિ ઉતાવળને ઓળખતી નથી. સૂર્ય પોતાના સમયે જ ઉગે છે. ફૂલ પોતાના સમયે જ ખીલે છે. ઋતુઓ પોતાના સમયે જ આવે છે. કવિ એટલે જ કહે છે, “સમય સાચવી સુખનો સૂરજ આપોઆપ જ ઊગે.”

અંતિમ પંક્તિમાં આવતું રામનામ માત્ર ધાર્મિક અર્થમાં નથી. તે એક આંતરિક સમર્પણનું પ્રતીક છે. જ્યારે માણસ સતત મેળવવાની ચિંતા છોડી દે, સતત સરખામણી છોડી દે, સતત સ્પર્ધા છોડી દે, ત્યારે તેની અંદર એક અજાણી હળવાશ જન્મે છે. પછી તે દરેક ક્ષણમાં આનંદ શોધી શકે છે. તેને નાનીનાની વાતોમાં પણ પરમાત્માનો સ્પર્શ અનુભવાય છે.

જીવનનો સાર બહુ જ સરળ છે. જે સહજ છે તે ટકાઉ છે. જે સહજ છે તે ઊંડું છે. નદી સહજ છે, તેથી સમુદ્ર સુધી પહોંચે છે. ફૂલ સહજ છે, તેથી સુગંધ આપે છે. આકાશ સહજ છે, તેથી અનંત છે. અને મનુષ્ય પણ ત્યારે જ સુંદર બને છે જ્યારે તે પોતાની અંદરની સહજતા સાથે જોડાય.

લોગઆઉટઃ

દુઃખનો સહજ સ્વીકાર થવા દો પછી જુઓ,
થોડો સમય પસાર થવા દો પછી જુઓ.
ભીતર પડ્યું હશે તો કદાચિત પ્રગટ થશે,
ક્યારેક અંધકાર થવા દો પછી જુઓ.
– આર.બી. રાઠોડ

પિતા મૃત્યુ પછી પણ જીવતા રહે છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

અમે જેની ખાંધે વજન ફિકરોનું થઈ ફર્યા
બધે આયુર્માર્ગે, જગની ગલીકૂંચી વિવિધમાં,
ચડાણે, ઊંડાણે શિરવિટમણાઓ થઈ ભમ્યા;
અમે લાવ્યા એ રે શરીર નિજ ખાંધે ઊંચકીને,
અહીં લાવ્યા એ રે શરીર નિજ ખાંધે જનકનું.
અને જેનાં હાડે પૂરવજદીધી પ્રાણસરણી
પુરાણી પોષાઈ વહી અમ મહીં કૌતુકવતી,
અમે આવ્યા એ રે નિજ જનકના હાડઢગની
પડી સાનીમાંથી અગનબચિયાં ફૂલ વીણવા.
ભરી વાળી સાની ધખ ધખ થતી ટોપલી મહીં,
અને પાસે વ્હેળો ખળળ વહતો ત્યાં જઈ જળે
ડબોળી, ટાઢોળી, જરીક હલવી, ને દૂધ સમા
પ્રવાહે સ્વર્ગં ગાજલ થકી શકે તારક વીણ્યા!
વીણ્યા તારા, ફૂલો જગનું બધું યે સુંદર વીણ્યું,
ન લાધે સ્હેજે જે, શિવ સકલ આજે મળી ગયું;
શમ્યા મૃત્યુશોકો, અમર ફરકંતી નીરખીને
પિતાનાં ફૂલોમાં ધવલ કલગી વિશ્વક્રમની…

– ઉમાશંકર જોશી

આ કવિતા પિતાના અવસાન પછીની એક એવી યાત્રાનું વર્ણન કરે છે, જેમાં પુત્ર માત્ર પોતાના પિતાનાં અસ્થિફૂલ વીણવા નથી જતો, પરંતુ જીવન, મૃત્યુ અને વારસાની ગહન સમજણ સુધી પહોંચે છે.

પિતા વિશે લખવું એટલે આકાશ શબ્દોમાં ઉતારવાનો પ્રયાસ કરવો. પિતા માત્ર ઘરના એક સભ્ય નથી હોતા; તેઓ ઘરની દીવાલોમાં રહેલો વિશ્વાસ હોય છે, પાયામાં પડેલો જુસ્સો હોય છે, બારણાં પર ટકેલો આધાર હોય છે અને સંતાનના મનમાં નિઃશબ્દ રીતે ઊભેલો એક પહાડ હોય છે.

આ કવિતામાં કવિ પોતાના પિતાનાં અસ્થિફૂલ વીણવા જાય છે. બહારથી જોવામાં આ એક સામાન્ય ક્રિયા લાગે. પરંતુ એ ક્ષણે પુત્રને સમજાય છે કે જે શરીરને તે ખભે લઈને અહીં સુધી આવ્યો છે, એ જ શરીરે ક્યારેક તેને ખભે લઈને દુનિયા બતાવી હતી. આજે ભૂમિકાઓ બદલાઈ ગઈ છે.

માણસ આખું જીવન પિતાના આશ્રયમાં જીવતો રહે છે, પરંતુ પિતાનું મહત્ત્વ ત્યારે સમજાય છે જ્યારે તેઓ ભૌતિક રીતે સાથે ન રહે. જીવતા પિતા ઘરમાં હોય ત્યારે તેમની હાજરી સામાન્ય લાગે છે. સવારની ચા, સાંજની વાતો, સલાહ, ઠપકો, ચિંતા બધું જ રોજિંદું લાગે છે. પરંતુ એક દિવસ જ્યારે એ બધું અચાનક બંધ થઈ જાય છે, ત્યારે સમજાય છે કે આ સામાન્ય લાગતી બાબતો જ જીવનની સૌથી અસાધારણ સંપત્તિ હતી.

પિતા પ્રેમ વ્યક્ત કરવામાં કુશળ નથી હોતા. માતાનો પ્રેમ વરસાદ જેવો લાગે, જ્યારે પિતાનો પ્રેમ ધરતીની અંદર વહેતા ઝરણા જેવો. તે દેખાતો નથી, પરંતુ સમગ્ર વૃક્ષને જીવંત રાખે છે. પિતા ઘણીવાર “હું તને પ્રેમ કરું છું” નથી કહેતા. પરંતુ સંતાન માટે વધારાના કલાકો કામ કરે છે, પોતાની જરૂરિયાતો ઘટાડે છે, ચિંતાઓ છુપાવે છે અને સપનાઓનો ભાર પોતાના ખભે ઉપાડે છે. એ જ તેમનો પ્રેમ છે.

આ કવિતાની સૌથી સ્પર્શી જાય એવી વાત એ છે કે કવિ જ્યારે અસ્થિફૂલ વીણી રહ્યા છે ત્યારે તેમને માત્ર રાખ કે હાડકાં દેખાતાં નથી. તેમને એક આખી પરંપરા દેખાય છે. એ હાડકાંમાં તેમને પોતાના પૂર્વજોનો પ્રવાસ દેખાય છે. જે રક્ત આજે તેમની નસોમાં વહે છે, તે પેઢીઓની યાત્રાનું પરિણામ છે.

આપણે ઘણીવાર વિચારીએ છીએ કે પિતા આપણને શું આપી ગયા? ઘર? સંપત્તિ? શિક્ષણ? પરંતુ થોડું ઊંડું વિચારીએ તો સમજાય છે કે પિતાએ પોતાનાં વર્ષો આપ્યાં છે. પોતાનાં સપનાઓમાંથી ભાગ કાપીને આપણા સપનાઓમાં ઉમેર્યો છે.

જીવનમાં ઘણી એવી ક્ષણો આવે છે જ્યારે આપણે પિતાની વાત સાથે અસહમત થઈએ છીએ. ઘણીવાર તેમનો ઠપકો કઠોર લાગે છે. તેમની શિસ્ત બોજ જેવી લાગે છે. પરંતુ વર્ષો પછી સમજાય છે કે તેઓ આપણને રોકવા માંગતા નહોતા, તેઓ આપણને તૂટતા બચાવવા માંગતા હતા. જીવનની જે ઠોકરો આપણે આજે ટાળી શક્યા છીએ, તેમાં પિતાની દૂરંદેશીનો મોટો હિસ્સો હોય છે.

કવિતામાં જ્યારે કવિ અસ્થિફૂલને જળમાં ધોઈને નિહાળે છે ત્યારે તેમને તેમાં તારાઓ દેખાય છે. આ એક અદભુત રૂપક છે. કારણ કે સાચા અર્થમાં પિતા ક્યારેય મરતા નથી. તેઓ રૂપ બદલે છે.

મૃત્યુ શરીરનો અંત લાવે છે, સંબંધનો નહીં. પિતા મૃત્યુ પછી પણ જીવતા રહે છે. તેઓ ઘરની દરેક વસ્તુમાં વસેલા રહે છે. જૂની ઘડિયાળમાં, તેમના ચશ્મામાં, લખાણમાં, ફોટોગ્રાફમાં અને સૌથી વધુ તો સંતાનના હૃદયમાં.

કદાચ તેથી જ કવિ અંતે મૃત્યુશોકથી મુક્ત થઈ જાય છે. તેમને સમજાઈ ગયું છે કે માણસનું સાચું અસ્તિત્વ શરીરમાં નહીં, પરંતુ તેમણે જીવેલા જીવનમાં છે. તેમણે આપેલા પ્રેમમાં છે. તેમણે વાવેલા સંસ્કારોમાં છે.

લોગઆઉટઃ

પ્રિય પપ્પા! હવે તો તમારા વગર,
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર.
– મુકુલ ચોકસી

હૃદય અંદર રહેલું કોણ વાંચે?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

અભણ કે આ ભણેલું કોણ વાંચે?
હવા ઉપર લખેલું કોણ વાંચે?

ગઝલરૂપે ભલે મેં વાત મૂકી,
હૃદય અંદર રહેલું કોણ વાંચે?

ઉપરથી તો બધા વાંચી શકે છે,
ઘણું ઊંડે પડેલું કોણ વાંચે?

નહીં શબ હાથમાં પુસ્તકને રાખે,
કહો અમને મરેલું કોણ વાંચે?

તમે પીડા તરીકે ઓળખો છો,
અમે સોને મઢેલું કોણ વાંચે?

– જિજ્ઞેશ વાળા

આ ગઝલનો કેન્દ્રીય ભાવ એ છે કે માણસને વાંચવો સહેલો નથી. આપણે શબ્દો વાંચીએ છીએ, ચહેરા વાંચીએ છીએ, પુસ્તકો વાંચીએ છીએ, પણ મનુષ્યના અંતરમાં જે લખાયેલું હોય છે, તેને વાંચવાની ફુરસદ, ક્ષમતા કે ઇચ્છા બહુ ઓછા લોકોમાં હોય છે.

આમ જુઓ તો વાંચવાનું કામ સાવ સહેલું છે. અક્ષરોને ઓળખી, શબ્દોને સમજી, અર્થ પામી લેઈ તો લાગે કે બધું જાણી લીધું. પણ એ ખરેખર આપણો ભ્રમ હોય છે. કારણ કે માણસનું ખરું અસ્તિત્વ શબ્દોમાં નથી હોતું. તે તો શબ્દોની પાછળ, વાક્યોની વચ્ચેથી સરકી ગયેલી જગ્યાઓમાં, અધૂરા વિરામચિહ્નોમાં અને ન બોલાયેલા અર્થોમાં હોય છે.

કેટલાક લોકો જિંદગીભર પોતાના મનની વાત સમજાવવા પ્રયત્નો કર્યા કરે છે, છતાં કોઈ સમજી શકતું નથી. તેઓ બોલે છે, હસે છે, કામ કરે છે, સંબંધો નિભાવે છે, પણ અંદરના ખૂણે એક અજાણી ડાયરી વાંચ્યા વિનાની એમનેમ પડી હોય છે. એનાં પાનાં કોઈએ ક્યારેય ઉથલાવ્યાં નથી હોતાં. બહારથી જોનારને લાગે કે બધું બરાબર છે. ચહેરા પર હાસ્ય છે, વાતોમાં સરળતા છે, જીવનમાં વ્યવસ્થા છે. પણ એ બધા તો ઢાંકપિછોડા હોય છે. સાચું જીવન તો એ બધાની નીચે દટાયેલું પડ્યું હોય છે, જેમ દરિયાની સપાટી નીચે એક આખી અલગ દુનિયા જીવતી હોય છે.

આપણા બધાની એક ટેવ છે. સદા હસતા રહેનારને સુખી માની લઈએ, ઓછું બોલનારને અહંકારી ગણી લઈએ. મજબૂત બાંધાનું હોય તેને નિરોગી માની લઈએ, પાતળા લાગતા જણને નિર્બળ સમજી બેસીએ. પણ માણસો પુસ્તક જેટલાં સરળ નથી હોતાં કે માત્ર શીર્ષક વાંચીને આખી વાર્તા સમજી શકાય. ઘણા લોકોના સૌથી મહત્વનાં પ્રકરણો તો એવી રીતે લખાયેલાં હોય છે કે તે આજીવન વણવંચાયેલા જ રહે છે. ત્યાં કોઈની નજર ક્યારેય પહોંચતી જ નથી.

કેટલાય લોકો રોજ તમારી આસપાસથી પસાર થાય છે. બસમાં, ઓફિસમાં, રસ્તામાં, શેરીમાં. તમે તેમને જુઓ છો, તેમની સાથે વાત પણ કરો છો. પણ શું તમને ખબર હોય છે કે જે જણ હસીને મળ્યો, તે ગઈકાલે રાતે ઊંઘી પણ નહોતો શક્યો. જે સ્ત્રી વાતોડિયણ લાગતી હતી તે વર્ષોથી કોઈ ન કહી શકાય તેવી વ્યથા જીવી રહી હતી? કરુણતા એ નથી કે માણસ દુઃખી છે. કરુણતા એ છે કે તેના દુઃખને વાંચનાર કોઈ નથી. ઘણી પીડાઓ એટલા માટે ભારે બની જાય છે, કેમકે તે વહેંચી શકાય તેવી નથી. માણસ દુઃખથી એટલો નથી થાકતો, જેટલો દુઃખની વહેંચણીના અભાવથી થાકે છે. તેને કોઈ એવું જોઈએ છે જે તેને સાંભળે, તેને સમજે.

રસપ્રદ વાત તો એ છે કે ઘણીવાર માણસ પોતે જ પોતાને વાંચતો નથી. આપણે અંદરની ખાલી જગ્યાઓને સતત વ્યસ્તતાના રંગથી ઢાંકતા રહીએ છીએ. જાણે જીવન એક બંધ પેટી હોય, જેને ખોલવાથી કોઈ મહાકાય રાક્ષસ નીકળવાનો હોય ને આપણને ખાઈ જવાનો હોય. ખરેખર તો આપણો રાક્ષસ આપણે જ પેદા કરેલો હોય છે. કદાચ એટલે જ આપણે જાતને નથી વાંચતા, કેમકે જગત કરતા જાતને વાંચવી મુશ્કેલ હોય છે.

કેટલાક લોકો પોતાની પીડાને એટલી સુંદર રીતે શણગારી દે છે કે દુનિયા તેને પીડા નહીં, પ્રતિભા સમજી લે છે. કોઈ કવિતા લખે છે, કોઈ ચિત્ર દોરે છે, કોઈ સંગીત રચે છે. લોકો સર્જનને વખાણે છે, પણ તેની પાછળના સંઘર્ષને કોઈ જોતું નથી. લોકો અજવાળાને પોંખે છે, પણ તેની માટે સતત બળી રહેલી શગ સામે કોણ જુએ છે?

લોગઆઉટઃ

શ્વાસને નહિ ગણ, બધું સરખું જ છે
એક, બે કે ત્રણ, બધું સરખું જ છે.
જો ન એની આંખને વાંચી શકે,
લાખ પુસ્તક ભણ, બધું સરખું જ છે.

– કિરણસિંહ ચૌહાણ

શું થાય છે એક સ્વપ્નને ટાળી દેવાથી?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

શું થાય છે એક સ્વપ્નને ટાળી દેવાથી?

શું એ કરમાઈ જાય છે
તડકે મૂકેલી દ્રાક્ષની પેઠે?
કે કોઈ ઘાવની જેમ પાકી જાય છે-
ને પછી વહેવા માંડે છે?
શું એ સડેલા માંસની જેમ ગંધાવા લાગે છે?
કે પછી ખાંડની પરત બનીને જામી જાય છે-
ગળી ચાસણીની જેમ?

કદાચ એ કોઈ વજનદાર બોજની માફક
બસ લચી પડે છે.

કે પછી વિસ્ફોટ સાથે ફૂટી જાય છે?

– લેન્ગ્સ્ટન હ્યુઝ (અનુ.: વિવેક મનહર ટેલર)

લેન્ગ્સ્ટન હ્યુઝનું સાહિત્ય આફ્રિકન-અમેરિકન પ્રજાના ઘવાયેલા દબાયેલા આત્માનો પડઘો પાડે છે. આ કવિતા વિશે અનુવાદક નોંધે છે, “‘હાર્લેમ’ શીર્ષકથી લખાયેલ આ કવિતા અમેરિકન-ડ્રીમનો પર્યાય બની ચૂકી છે. ન્યૂયૉર્કનું હાર્લેમ એટલે આપણા મુંબઈનું ધારાવી. સ્વપ્નની વાત આવે, પ્રગતિનીવાત આવે અને આ કવિતા ટાંકવામાં ન આવે એ શક્ય જ નથી.”

સ્વપ્ન એક એવી ચીજ છે જે દરેક માણસને અંદરથી જિવાડે છે. દરેકના મનના ખૂણામાં એક સપનું ફણગી રહ્યું હોય છે. કોઈને ગાયક બનવું હોય છે, કોઈને લેખક. કોઈ એક્ટર થવા માગે છે, તો કોઈને બિઝનેસનું મોટું સામ્રાજ્ય ઊભું કરવું હોય છે. કોઈને આખી દુનિયા ફરવી છે, તો કોઈને આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય છે. પણ જીવનની સૌથી વિચિત્ર ઘટના એ છે કે લોકો પોતાનાં સપનાં જાતે મારી નાખે છે. ઘણી વાર મારવાં પડે છે. ક્યારેક સંજોગ જવાબદાર હોય છે, ક્યારેક અપૂરતા પ્રયત્નો.

સ્વપ્નને ટાળવામાં સૌથી કોમન વાક્ય છે એક જ છે, "અત્યારે નહીં, પછી" અને આ ‘પછી’ ક્યારેય આવતું જ નથી. માણસ પોતાનાં સપનાંને ટાળે છે તેનું કારણ આળસ નથી, ભય છે. કઠોર પરિશ્રમનો નહીં, પણ પરિણામનો ભય મારી નાખે છે. તે વારંવાર વિચારે છે, મારાથી નહીં થાય તો? હું નિષ્ફળ જઈશ તો? લોકો હસશે તો? પરિણામે પોતાના જીવ જેવા વહાલા સ્વપ્નને તે કલ્પનાની બરણીમાં પૂરી દે છે. પછી કલ્પનામાં જ તે ફિલ્મનો હીરો બને છે, કલ્પનામાં જ એલન મસ્ક કે મુકેશ અંબાણી જેવો મોટો બિઝનેસમેન બનીને કરોડોનો બિઝનેસ કરે છે. પણ વાસ્તવિકતામાં તો ત્યાંનો ત્યાં જ હોય છે.

સપનાઓની સૌથી મોટી કરુણતા એ નથી કે તે પૂરાં નથી થતાં. મોટી કરુણતા તો એ છે કે તે આપણી અંદર જીવંત રહે છે. બહારથી બધું સામાન્ય દેખાય. નોકરી, પરિવાર, ઘર, સમાજમાં માન બધું જ હોય. છતાં મનના એક ખૂણામાં કોઈ અવાજ સતત બબડતો રહે છે કે, "એ વખતે થોડો વધારે પ્રયત્ન કરી નાખ્યો હોય તો! " નિષ્ફળતા માત્ર એક ઘટના છે; પણ અફસોસ તો જીવનભરનો સાથી છે. તરછોડાયલું સપનું જીવનભર વસવસાની વીણા વગાડ્યાં કરે છે. જે માત્ર આપણને જ સંભળાય છે.

જીવનના અંતિમ પડાવે પહોંચેલા લોકોના સંવાદોમાં એક વાત વારંવાર સાંભળવા મળે છે. તેમને તેમનાં કરેલાં કામોનો એટલો અફસોસ નથી હોતો જેટલો ન કરેલાં કામોનો હોય છે. કોઈ કહે છે કે કાશ સંગીત ન છોડ્યું હોત. કોઈ કહે છે કે કાશ સમયસર પ્રેમનો એકરાર કરી દીધો હોત. કોઈ કહે છે કે કાશ પોતાનો ધંધો ચાલુ કરી દીધો હોત. આ ‘કાશ’ મનમાં ત્રાસ આપતું રહે છે.

પ્રયત્ન પછી મળતી હારમાં એક આશ્વાસન તો હોય કે પ્રયાસ કર્યો’તો. હકીકતમાં માણસ સપનાઓને છોડતો નથી, બહાનાં નીચે દાટી દે છે. સમય નથી. પૈસા નથી. યોગ્ય તક નથી. પરિવારની જવાબદારી છે. પરિસ્થિતિ અનુકૂળ નથી. વગેરે. આમાંથી અમુક વાતો સાચી પણ હોય છે. પરંતુ દુનિયાના મોટાભાગનાં મહાન કામો અનુકૂળ પરિસ્થિતિમાં થયાં નથી.

સપનાઓનું પણ માણસો જેવું હોય છે. તમે તેને સતત અવગણતા રહો તો એ પણ તમને છોડીને જતું રહે છે.

લોગઆઉટઃ

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,

પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસ્તી, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવાણું રે સપનું.

વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવાણું રે સપનું.

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,
મારું ખોવાણું રે સપનું.

– ગની દહીંવાલા

નાના નાના સુખમાં રહેલી મોટી બાદશાહીયત

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

આ આંબલો આ પાળમાં લાગે છે બાદશાહ,
ને મોરલોય ડાળમાં લાગે છે બાદશાહ.

નાહી રહ્યું છે ધૂળથી કો' દિવ્યજળ ગણી,
શું બાંકપન છે બાળમાં લાગે છે બાદશાહ.

આવી મળે કો' ગોઠીયો બચપણનો પ્રેમથી,
પૂછે-પુકારે ગાળમાં લાગે છે બાદશાહ.

સાદી હવાની સરળતા છાંટોય ના મળે,
વંટોળિયો પણ ચાલમાં લાગે છે બાદશાહ.

હું એકલો રૈયત સમો લાગુ છું હું મને,
જેને મળું એ હાલમાં લાગે છે બાદશાહ.

– તગજીભાઈ બારોટ

માનવજીવનનો સૌથી મોટો ભ્રમ કદાચ એ છે કે સુખ માટે કંઈક અસાધારણ હોવું જોઈએ. મોટું ઘર, મોટી કાર, અઢળક પૈસા અને સેલિબ્રિટી જેવી અનન્ય પ્રસિદ્ધિ. પરંતુ જીવન ધીમે ધીમે શીખવે છે કે મોટું કહેવાતું બધું જ હંમેશાં મહાન નથી હોતું. ઘણી વાર તો સાવ નાની લાગતી વસ્તુ મનને એટલા અનહદ આનંદથી ભરી દે છે કે તેની સામે આખી દુનિયાની ચમક ફીકી લાગવા માંડે છે.

બાળપણમાં વરસાદ પછીની ભીની માટીની ગંધ યાદ છે? વરસાદી વહેણમાં કાગળની હોડી તરાવતાં આપણે રાજા થઈ જતા. ત્યારે કોઈ બેંક બેલેન્સ નહોતું, કોઈ હોદ્દો નહોતો, કોઈ સફળતાનો ભાર નહોતો; છતાં અંદર એક અજબ સમૃદ્ધિ હતી. આજના માણસ પાસે ઘણું બધું છે, પણ એ હોડી જેવો આનંદ નથી. કારણ કે હવે હવે આપણું ધ્યાન આકાશના રંગ કરતાં મોબાઈલની સ્ક્રીનની બ્રાઈટનેસ પર વધારે રહે છે. હવે મિત્રને મળવા કરતાં ઑનલાઈન દેખાવું વધુ સરળ લાગે છે. ધીમે ધીમે જીવનમાંથી તે સાદો જાદુ ગાયબ થતો જાય છે, જે ક્યારેક એક સામાન્ય સાંજને પણ ઉત્સવ બનાવી દેતો હતો.

તગજીભાઈ બારોટે નાનાં નાનાંં સુખમાં રહેલી મોટી બાદશાહીયતને આપણી સામે ઉજાગર કરી છે. ધોમધખતા તાપમાં ઊભેલું આંબાનું ઝાડ શહેનશાહથી જરા પણ કમ નથી હોતુંં. તેની પર લચી પડેલાં મધમીઠાં આમ્રફળો તેના સ્વર્ણભંડાર સમાન હોય છે. વરસાદનો પહેલો છાંટો ધરતી પર પડે અને મોર ટહુકાથી વાતાવરણને સુરીલું બનાવે દે, એ ઘટના રાજમહેલમાં વાગતાં અનેક વાદ્યો કરતાં વધારે રળિયામણી હોય છે. કવિ તો ત્યાં સુધી કહે છે કે કોઈ માસુમ બાળક ધૂળને દિવ્ય જળ ગણીને નાહી રહ્યું હોય, ત્યારે તેનું આ બાંકપન બાદશાહ જેવું લાગે છે.

કેટલી ગજબ વાત છે નહીં? બાળપણમાં ધૂળમાં રમવું ગમતું’તું, હવે ધૂળથી બચીએ છીએ. ત્યારે સસ્તી ચપ્પલ પહેરીને પણ રસ્તા પર રાજાની જેમ ચાલતા. હવે મોંઘાં જૂતાં હોવા છતાં પગમાં થાક છે. ત્યારે કોઈ જૂનો મિત્ર અચાનક મળી જાય તો સાવ નકામી, કારણ વગરની વાતો અને ગપ્પાંઓ મારીને આખો દિવસ કાઢતા, તોય લાગતું કે જલસો પડી ગયો. આજે કોઈ પણ મિત્રને મળવું હોય તો તરત સીધું કે આડકતરું પુછાઈ જાય કે શું કામ છે?

આવી નકલી ઘરેણાં પર ચડાવેલા ઢોળ જેવી શિષ્ટતા અને સભ્યતા ઓઢીને ફરતી ભીડની વચ્ચે અચાનક બાળપણનો ગોઠિયો મળી જાય, ને જૂના હુલામણા નામે ગાળ દઈને બોલાવે તો સુખદ આઘાત લાગે, એ આઘાત તરત આનંદમાં ફેરવાઈ જાય. આવી નાની ગોઠડીઓ, ટીખળો અને રમૂજો જ મોટાં સુખ ઊભાં કરતી હોય છે. બાકી એફિલ ટાવર ફરવા જાવ કે ટાઈમ સ્ક્વેર, ગામના વોંકળામાં જે મસ્તીથી ધુબાકા મારતા હતા, તેવી મજા તો દોહ્યલી છે. આવી દોહ્યલી મજાઓના ફોટા કવિએ ખૂબ સાવચેતીથી પાડ્યા છે.

સૌથી સુખી એ નથી, જેમની પાસે અઢળક ધન, સાધનસામગ્રી અને સગવડો છે. સૌથી સુખી એ છે જેઓ નાની નાની પળોમાંથી આનંદ લૂંંટવાની કળા જાણે છે. જેમને ચાના એક કપમાં આખી સાંજનો આરામ મળી જાય છે. જેમને છત પર બેસીને આવતી હવામાં પોતાના પ્રિયજનનો સ્પર્શ અનુભવાય છે. જેમને જૂનાં ગીતમાં પોતાનું યૌવન સંભળાય છે. જેમને કોઈ બાળકના હાસ્યમાં ઈશ્વર દેખાય છે. આવા લોકો દુનિયાને સ્ટેટસથી નથી માપતા; અનુભૂતિથી માપે છે.

લોગઆઉટઃ

પહેલાં છાંટે ભુલાઇ જાતાં ચડ્ડી-બંડી, પડતાં ભેરુ સાદ, યાદ સરવરિયું આવે એ રજવાડું; અહાહાહા!
અમે પાદરે ગામ ગજવીએ અને સીમમાં બાપુજીને યાદ તૂટેલું નળિયું આવે, એ રજવાડું; આહાહાહા!

રમતાં-રમતાં સાંજ પડે ને ઝાલર વાગે ઝાંખ વળે ને તોય મજાનો અંત ન આવે એવે ટાણે સામે ચાલી,
મને શોધવા છેક પાદરે માની પાછળ આખી શેરી, ઘર, તોરણ ને ફળિયું આવે એ રજવાડું; આહાહાહા!

— મધુસૂદન પટેલ

તડકો... ગજ્જબ માથાફરેલો!

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

તડકો... ઘડીકમાં અલબેલો!
તડકો... પળમાં ધોમધખેલો!

સ્હેજ ઊઘડતી આંખ, ઉગમણા આભે ત્યાં તો સોનુ થઇને હળુહળુ રેલાય;
શિરે ચડીને પડછાયાનું ઢીમ ઢાળતો તડકો જાણે ધગધગતી હો લાય;
તડકો દુર્વાસાનો ચેલો!

બારી, બારી બહાર ઓટલે, ચોક, અગાસીમાં વેરાયો મૂઠામૂઠ રે ભાઈ;
ઠંડક નામે રાજને માથે ચડાઈ લઈને તડકો કરતો લૂંટાલૂંટ રે ભાઈ;
તડકો... ગજ્જબ માથાફરેલો!

– હર્ષવી પટેલ

શંકર ભગવાનની ત્રીજી આંખ જેમ ઉનાળો ઊઘડ્યો છે. બપોરે સૂર્યદેવ તો એવા આકરા પાણીએ હોય છે, જાણે કોઈકે તેમને ચીડાવ્યા હોય. તે ભલભલાને પરસેવો છોડાવી દે તેવા રાતાચોળ થઈને આકાશમાં સળગી રહ્યા હોય છે. તેમની સામે ગમે તેવી મોટી તોપ આવે, સુરસૂરિયું થઈ જાય. ગમે તેવો દાદો હોય કે ડોન, શેઠ હોય કે સુરવીર, અરે મોટો રાજા કેમ નથી. બધાને ચુપચાપ ઘરમાં ઘૂસી જવું પડે. જોકે માણસ નામનું પ્રાણી ગજબની આઈટમ છે. તેને બધું કન્ટ્રોલ કરવા જોઈએ, સૂરજ હોય કે ચંંદ્ર, ધરતી હોય કે આકાશ, બધી જગા, બધાં સ્થાન તેને પોતાના તાબામાં જોઈએ. બધું પોતાના કહ્યામાં રાખવાની ટેવ મનુષ્ય નામના પ્રાણીના જિન્સમાં વણાઈ ગઈ છે. પણ સૂરજના પ્રખર તાપની સામે તો આ પ્રાણી બાપડું શુંં કરી શકે, એટલે એણે એસી બનાવ્યું અને પોતાની બખોલને ટાઢી કરીને એયને મજાથી ક્યાંક બગાસા ખાતું પડ્યું રહે છે. પંખીઓ તો ઊડવાની હિંમત પણ નહીં કરી શકતા હોય, માળામાં ચુપચાપ લપાઈને બેઠા હશે. ને પ્રાણીઓ, જ્યાં મળે છાંયડો ત્યાં પોતાનું ઘર બનાવીને આરામ ફરમાવતાં હશે. પણ મનુષ્ય નામના વિચિત્ર પ્રાણીએ સખ નહીં પડે, તેને આજીવિકા રળવાની ચિંતા હોય, કંઈક કરી બતાવવાના ધખારા હોય, બીજા કરતા પોતે કેટલો ચડિયાતો છે, તે સાબિત કરવાની ઝંખના હોય. એટલે તડકો હોય કે ટાઢ તે જંપીને બેસે નહીં. ધનવાનો તો મોટી ટાઢી કારમાં ફર્યા કરે, પણ બાપડા ગરીબો, જેમને બે ટંકનો રોટલો પણ સ્વપ્નવત હોય, તેઓ તાપમાં શેકાતા શેકાતા ય મજૂરી ઢસડ્યા કરે છે. તેમને કદાચ સૂરજના તાપ કરતા હોજરીની આગ વધારે દઝાડતી હશે.

કવયિત્રી શ્રી હર્ષવી પટેલે તડકા વિશે સુંંદર કાવ્ય લખ્યુંં છે. કવિઓને તડકો અલગ અલગ દેખાય છે. કોકને ધોમધકતા તાપમાં ખીલી ઊઠતો પીળો ગરમાળો રાજી કરે છે, તો કોઈને આકરા તાપમાં મજૂરના પગમાં પડેલા ફરફોલા પોતાના પગમાં પડ્યા હોય તેમ દઝાડે છે. હર્ષવી પટેલને ખબર છે કે તડકો અલબેલો પણ હોય છે અને ધોમધખેલો પણ. વહેલી પરોઢે પૂર્વમાંથી અજવાળું રેલતો સોનેરી સૂરજ તો એવું લાગે જાણે સુવર્ણમુદ્રા ચમકી રહી હોય, કવિ મનીષ પરમારે લખેલું,
પર્વતોના ઢાળથી તડકો પડે છે,
સોનું દડવાના અવાજો સાંભળું છું.

રળિયામણા ડુંગર પરથી પડતો તડકો ક્યારેક સોનું દદડી રહ્યાનો ભાસ પણ ઊભો કરી શકે. પણ ખરા ઉનાળે સૂર્ય મધ્યાહ્ને પહોંચ્યો હોય ત્યારે અલગ હોય છે. સવાર-સાંજ લાંબા થઈ જતા પડછાયાઓ પણ ચુપચાપ ટૂંકાટચ થઈ જાય છે. અને પડછાયા પોતે પણ કોઈકની છાયા ઝંખતા હોય તેમ આપણા દેહ નીચે સંતાવા પ્રયત્ન કરતા હોય છે. કવયિત્રીએ તો તડકાને દુર્વાસાનો ચેલો કહ્યો છે, દુર્વાષા એટલે એ ઋષિ જેમના ક્રોધથી ભલભલાને ધોળા દિવસે તારા દેખાઈ જતા. દેવો અને દાનવો બધા દુર્વાસાના ક્રોધથી ફફડી ઊઠતા. આવા ક્રોધિત ઋષિનો ચેલો હોય તેમ તડકો પણ લાલઘૂમ થઈ જાય છે બપોરે.

શેરીમાં થઈને બારીમાં કૂદી પડતો તડકો ચોક, ઓટલા, અગાસી બધે ફરી વળ્યો હોય છે. તેને નથી પરવા કે ગરીબનું ઘર છે કે પૈસાદારનુંં. તેને દયાભાવ કે પક્ષાપાત જેવું કશું નથી. તે તેની ફરજ બરોબર નિભાવશે જ. શિયાળા પછી આવતો ઉનાળો જાણે માથાફરેલો હોય અને ઠંડી ઉપર પોતાનું લશ્કર લઈને ચડાઈ કરી બેઠો હોય તેવો પણ લાગે.

લોગઆઉટઃ

તગતગતો આ તડકો,
ચારેકોર જુઓને કેવી ચગદાઈ ગઈ છે સડકો !

કહો, ચરણ ક્યાં ચાલે? એણે એક ન રાખ્યો રસ્તો,
ઘણું હલાવા હવા મથે પણ તસુ ય તે ના ખસતો,
અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શો તસતસતો
સાવ અડીખમ પડ્યો, કશે યે જરીક તો કોઈ અડકો !

જિદ્દીજનનું મન પણ જેની પાસે લાગે હળવું,
વૈદેહીના ધનુષ્યને પણ રામ કને તો ચળવું,
ગિરિ ગોવર્ધનને યે ટચલી આંગળી ઉપર ઢળવું,
પણ આને ઓગળી દેવા કોણ મેલશે ભડકો !

– નિરંજન ભગત

તું હતી તો ઘર ખરેખર ઘર હતું મા

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા!
એક મીઠું આંગણે સરવર હતું, મા!

ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,
એક માથે વાદળું ઝરમર હતું, મા!

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા!

યાતના વચ્ચે મલકતું ને હરખતું,
એ વદન હેતાળ ને મનહર હતું, મા!

ફાયદા-નુકશાનનો હિસાબ શાનો,
તારું બસ હોવાપણું સરભર હતું, મા!

– રતિલાલ સોલંકી

‘મા’ એ કોઈ વ્યક્તિ નથી, ન તો કોઈ સંબંધ છે. મા એક અનુભૂતિ છે. આજે વિશ્વ માતૃદિવસ છે, ત્યારે અનેક લોકો કવિતાઓ શેર કરશે, લેખો લખશે, પોસ્ટ બનાવશે, ને માતા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરશે. કવિ રતિલાલ સોલંકીએ ઉપરોક્ત ગઝલમાં માતાનો અભાવ વર્ણવ્યો છે. કવિતાની શરૂઆત જ એ રીતે કરે છે કે, તું હતી તો… અર્થાત્ અત્યારે મા નથી. પણ જ્યારે મા હતી ત્યારે ઘર કેવું હતું તેના વિશે વાત કરીને કવિએ માની ગેરહાજરીમાં ઊભા થયેલા અભાવનો ઊંડો પડઘો પાડ્યો છે.

કોઈ પણ મકાનમાં મા નામની દૈવી શક્તિ ન હોય ત્યાં સુધી તેનું ‘ઘર’ બનવું મુશ્કેલ છે. મા એક ઊર્જા છે. એ ઊર્જા ગાયબ થઈ ગયા પછી આપણને સમજાય છે કે ઘર તો પહેલેથી જ ખાલી હતું, અમે જ ભરેલું માનતા હતા. માની હાજરીમાં ઘર માત્ર ઈંટ-પથ્થરનું માળખું ન રહેતા, એક જીવંત ચીજ બની જાય છે. તેની ભીંતોમાં અવાજ હોય છે, દરેક ખૂણામાં એક અજાણી હૂંફ હોય છે. એ વખતે ફળિયું પણ મીઠા સરોવર જેવું લીલુંછમ લાગે છે. ઘણાં ઘરમાં આંગણું હોય છે, પરંતુ બધાં આંગણાં સરવર નથી બનતાં. કારણ કે સરવર બનવા માટે પાણી નહીં, પરંતુ પ્રેમ જોઈએ. એ પ્રેમ માની આંખોમાંથી, તેના શબ્દોમાંથી, તેના સ્પર્શમાંથી ટપકતો હોય છે.

માનો અભાવ ધરાવતી વ્યક્તિના મનમાં એક પ્રકારનું તોફાન જીવ્યા કરતું હોય છે. મુકેશ જોશીએ તો તેફાની દરિયાને ઉલ્લેખીને લખેલું, “કાળમીંઢ પથ્થર પર માથું પછાડતા કોઈએ ખમ્મા કહ્યું જ નહીં હોય, લાગે છે દરિયાને મા નહીં હોય.” મા હોય તો દરિયો આમ રઘવાયો થઈને કાંઠા પરના તિક્ષ્ણ પથ્થરો પર માથું થોડો પછાડે? માનો અભાવ જ તેને આવો ધૂંધવાટાભર્યો બનાવતો હશે.

દરેકના જીવનમાં ‘ધોમધખતો તાપ’ આવતો જ હોય છે, આ તાપ એટલે સૂર્યપ્રકાશ નહીં, પણ જીવનનો સંતાપ, સંઘર્ષ અને માઠા દિવસો. આવા કપરાકાળમાં માતાની હૂંફ હોય તો જીવનનું કુરુક્ષેત્ર આકરું હોય, તો પણ એક આશ્વાસન જાણે અજાણે ઢાલ બનીને સાથે રહેતું હોય છે, એ આશ્વાસન એટલે મા. બહારના તાપથી તો માત્ર પગના તળિયા બળશે, પણ અંતરનો સંતાપ રુંવેરુંવે બાળશે, આવી સ્થિતિમાં એક વાદળાની જેમ ઝરમરતી રહીને અંદરના અંગારાને ઠારવાનું કામ કોઈ કરતું હોય તો તે મા છે.

યાતના વચ્ચે પણ સંતાનો માટે સદાય મલકતું રહેતું મુખ જો કોઈનું હોય તો તે માતાનું હોય છે. પોતાની પીડા છુપાવીને, પોતાનાં દુઃખને અંદર રાખીને, તે હંમેશાં હસતી રહે છે. એ હાસ્ય, ઘણીવાર, એક ઢાંકપિછોડો હોય છે, પણ એ ઢાંકપિછોડો હકીકતમાં તો સંતાનો, પરિવાર માટે એક ઢાલ બરોબર હોય છે.

આપણે મોટા થઈએ ત્યારે સમજાય છે કે દુનિયા આખી હિસાબ પર ચાલે છે. નફો નુકસાનની નીતિ પર જગત આગળ વધે છે. દરેક સંબંધમાં એક ગણિત હોય છે, પરંતુ માનું ગણિત અનોખું હોય છે. તેના સરવાળા અને બાદબાકી, તેના ભાગાકાર અને ગુણાકાર, ગણિતના નિયમોથી પર હોય છે. એ છેદ પણ ઉડાડે તો સરવાળો થઈ જાય.

માની ગેરહાજરી એ માત્ર એક વ્યક્તિની ગેરહાજરી નથી હોતી, પરંતુ એક આખા વિશ્વની ગેરહાજરી હોય છે. એ એક એવી ખાલી જગ્યા છે, જે કોઈ પણ વસ્તુથી ભરી શકાતી નથી.

લોગઆઉટઃ

જેને ઝાલીને હું બચપનમાં બધે ફરતો હતો
મારી મમતાની એ નાની આંગળી મળતી નથી.
- અદી મિર્ઝા

શું મેં મારા ભાગનો દીવો પ્રગટાવ્યો છે ખરો?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કહાં તો તય થા ચરાગા હર એક ઘર કે લીએ,
કહાં ચરાગ મયસ્સર નહીં શહર કે લીએ.
– દુષ્યંત કુમાર

આજે ત્રીજી મે, આજે વર્ડ પ્રેસ ફ્રીડમ ડે છે ત્યારે દુષ્યંતકુમાર સહજપણે યાદ આવી જાય છે. કેટલાક કવિઓ શાહીમાં નહીં, આગમાં બોળીને લખતા હોય છે. તેમની પંક્તિઓ માત્ર વાંચવાની નથી હોતી, હૃદયમાં ઉતારવાની હોય છે. અને ન ઉતારો તો પણ તે પોતાની જગ્યા જાતે બનાવી લે છે. એ તમારી અંદર ઘૂસવાનો માર્ગ કરી જ લે છે, પછી તમને બેચેન બનાવે છે, ઉશ્કેરે છે, અને પછી શાંતપણે તમને જ તમારી સામે ઊભા રાખી દે છે.

આજનું ભારત, એક અનોખી કવિતા સમાન છે, પણ એ કવિતા બે છંદોમાં વહેંચાઈ ગઈ છે. એક છંદ છે ચમકનો, વિકાસનો, ઊંચી ઇમારતોનો, જે આકાશને આંબવાની દાવેદારી કરે છે. અને બીજો છંદ છે શાંત, અંધકારમય, જેમાં હજુ પણ કોઈ ખૂણામાં દીવો પ્રગટવાની રાહ જુએ છે. એક બાજુ આપણે ચંદ્ર પર પહોંચવાની વાત કરીએ છીએ, તો બીજી બાજુ કોઈ દીકરીને ચૂલેથી નીકળીને ચોક સુધી પહોંચવામાં પણ હજારો વિઘ્નો ખડકી રહ્યા છીએ. એક બાજુ ગોડાઉનોમાં અનાજના ભંડારો સડી રહ્યા છે, તો બાજુ કરોડો લોકો ભૂખ્યા પેટે ઊંઘવા ન આવવાથી કણસી રહ્યા છે. કોઈના કબાટોમાં લાખો રૂપિયાના બૂટ-સેન્ડલ ધૂળ ખાય છે તો ક્યાંક બળબળતા તાપમાં પગના તળિયે ફરફોલા થઈ ગયા છે. વિરોધાભાસ તો કોઈ પણ દેશ કે સમાજમાં હોય, પરંતુ જ્યારે એ વિરોધાભાસ સતત વધતો જ રહે, ત્યારે દુષ્યંતકુમાર જેવા કોઈ કવિનો આત્મા સળગી ઊઠે છે.

પ્રેસ એ જ એક એવો રસ્તો છે, જેના થકી સમાજમાં પ્રવર્તતી પીડા જગત સુધી પહોંચી શકે, સત્યનો ચહેરો છતો થઈ શકે. પણ જ્યારે એના પગમાં સાંકળ નંખાય ત્યારે જગતને માત્ર એ જ ચિત્ર દેખાય, જે સાંકળ પહેરાવનાર બતાવવા માગતો હોય. ક્યારેક લાગે છે કે સમાચાર હવે માત્ર સમાચાર નથી રહ્યા, એ પ્રદર્શન બની રહ્યા છે. સત્યની જગ્યા સનસનાટીએ લઈ લીધી છે. અને પ્રશ્ન પૂછવાની જગ્યાએ પ્રશ્ન લૂછવાની ટેવો વધવા લાગી છે. હવે સમાચારનું અંતિમ સત્ય એક માત્ર છે — ટીઆરપી.

એક સમય હતો, જ્યારે અખબારના પાનાં પર પડતી શાહી ક્રાંતિનો રંગ ધરાવતી હતી. એ શબ્દો માત્ર વંચાતા નહોતા, લોકોના મનમાં વાવાઝોડું ઊભું કરતા હતો, એક પ્રકારનો જુવાળ લાવી દેતા હતા. આજે એ જ શાહી જાહેરાતોના કલરફુલ જાહેરાતોની નીચે દટાઈને પોતાનો અસલ રંગ ગુમાવી રહી છે. જોકે આ વાત માત્ર મીડિયાની નથી, આ તો આખા સમાજનો અરીસો છે. જ્યારે જનતા પ્રશ્ન પૂછવાનું છોડી દે છે, ત્યારે સત્તા જવાબ આપવાનું પણ બંધ કરી દે છે. જ્યારે સત્ય સાંભળવાની ઈચ્છા મરી જાય, ત્યારે ખોટું બોલવું સરળ બની જાય છે.

દરેક અસત્યની અંદર એક હઠ છુપાયેલી હોય છે, સત્ય બનવાની હઠ. કહેવાય છે કે સત્ય હજી પોતાના પગરખાં પહેરે ત્યાં સુધી તો જૂઠ આખા ગામમાં ફરી વળ્યું હોય છે. પણ અમુક લોકો તેનાં પગલાંને પારખી લે છે. આજે પણ દેશના ખૂણેખાંચરે એવા લોકો છે, જે કોઈ હોબાળો કર્યા વગર, કોઈ મંચ વગર, પોતાના હિસ્સાનો દીવો પ્રગટાવે છે. કોઈ શિક્ષક છે જે તૂટેલી છત નીચે બાળકોને સપનાઓ શીખવે છે, કોઈ કવિ છે જે કલમ દ્વારા પોતાના સમયની વ્યથાકથાને સચ્ચાઈપૂર્વક ગૂંથે છે. કોઈ ફોટોગ્રાફર છે, જે ચુપચાપ એક ક્લિક દ્વારા હકીકતને કેમેરામાં કંડારીને જગત સામે લાવવા મથ્યા કરે છે.

આ લોકો જ એવા દીવા છે, જે હજુ બળે છે, જેમના લીધે આશા જીવંત રહે છે. કારણ કે દીવો સરકારો નથી પ્રગટાવતી, સમાજ પ્રગટાવે છે. અને જ્યારે સમાજ પોતાનો હિસ્સો નિભાવવાનું શરૂ કરે, ત્યારે ગમે તેવો ગાઢ અંધકાર હોય, ટકી નથી શકતો. આજે જરૂર માત્ર એ નથી કે આપણે ફરિયાદ કરીએ, “कहां चराग़ मयस्सर नहीं शहर के लिए,” પણ જરૂર એ છે કે આપણે થોડી વાર માટે અટકીએ, અને પોતાના અંતરાત્માને પૂછીએ કે શું મેં મારા ભાગનો દીવો પ્રગટાવ્યો છે ખરો?

લોગઆઉટઃ

हो गई है पीर पर्वत-सी पिघलनी चाहिए,
इस हिमालय से कोई गंगा निकलनी चाहिए।

आज यह दीवार, परदों की तरह हिलने लगी,
शर्त लेकिन थी कि ये बुनियाद हिलनी चाहिए।

हर सड़क पर, हर गली में, हर नगर, हर गाँव में,
हाथ लहराते हुए हर लाश चलनी चाहिए।

सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,
सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।

मेरे सीने में नहीं तो तेरे सीने में सही,
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए।

- दुष्यंत कुमार

થાકની બે કોથળી પીધા પછી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

રાત થીજીને સડક થઈ જાય છે,
બલ્બમાંથી ચાંદની રેલાય છે.

થાકની બે કોથળી પીધા પછી,
રોજ પડછાયા લથડીયા ખાય છે.

તારલા ફૂટપાથ પર આડા પડ્યા,
વાહનોના હોર્ન લોરી ગાય છે.

ગોદડીથી પણ નરમ આકાશ છે,
ખપ પડે ને ફટ કરી ઓઢાય છે.

શું અકસ્માતે ચમત્કારો કર્યાં!
કંઈક બેઘર સ્વર્ગવાસી થાય છે.

– કુણાલ શાહ

થોડા દિવસ પછી ગુજરાત સ્થાપના દિવસ અને મજૂર દિવસ બંને એકસાથે છે. ફુટપાથ પર સૂતા સાધારણ મજૂરો વિશે વિચારું છું ત્યારે કવિ કુણાલ શાહની આ ગઝલ સહજ સાંભરી આવે છે. વર્તમાન ગુજરાતી કવિતામાં આ કવિ મજૂરો, કામદારો, ગરીબોની વાત પોતાની રચનાઓમાં સહજપણે લઈ આવે છે. તેમની આ ગઝલનો પ્રત્યેક શેર તળિયાના માણસની પીડાનો પડઘો પાડે છે.

મજૂરો શહેરના હોય કે ગામડાના, ફૂટપાથ પર રહેતા હોય કે ઝૂંપડામાં, તેમનો એક જ ધર્મ હોય છે - મજૂરી. વિવેકાનંદે એક સૂત્ર આપેલું, “ઊઠો, જાગો અને ધ્યેપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.” રોજનું કમાઈને રોજ ખાનારા મજૂરોનો ધ્યેય આવો જ હોય છે, ઊઠો, ઊભા થાવ અને કામે વળગો. બે ટંકનું કમાઈ ન શકાય ત્યાં સુધી વળગેલા રહો. વરસાદ, ટાઢ કે તડકો, તમામ ઋતુ તેમને માટે એકસમાન છે.

કાળમીંઢી મજૂરીમાં કેવળ અંધારું હોય છે. એટલા માટે જ કદાચ રાત ક્યારેક એક અવસ્થા બની જાય છે. એવી અવસ્થા, જેમાં શહેરનું શરીર ધીમે ધીમે ઠંડું પડીને સડક બની જાય છે. દિવસના ઘોંઘાટ, ઘમાસાણો અને ગીચતા બધું જ થંભી જાય છે. પછી જે બચી રહે છે તે એક લાંબી, ઠંડી, અને ઉદાસ શાંતિ… એવી શાંતિ, જે દેખાવમાં નિર્જીવ છે, પરંતુ અંદરથી અસંખ્ય વાર્તાઓથી ભરેલી છે. સામાન્ય રીતે ચાંદની આકાશમાંથી વરસે છે, પરંતુ ગરીબો માટે તો સ્ટ્રીટ લાઈટના થાંભલામાં લગાડેલો બલ્બ જ ચંદ્ર બરોબર છે. એ બલ્બ તેમની રાતોને પ્રકાશિત કરે છે.

દિવસભર રઝળતો ફૂટપાથવાસી, મજૂર, કામદાર, કચરો વીણનાર માણસ, સાંજ પડ્યો થાકીને ઠુસ થઈ જાય છે, શરીર કળતરથી ખેંચાતું હોય છે. પણ આ કળતરને કાપવા માટે તેમની પાસે મોંઘી દવાઓ કે ફિઝિયોથેરેપિસ્ટ નથી હોતા, ન તો તેમના મનના વલોપાતને કાઢવા માટે સાઇકિયાટ્રીસ્ટ. આ ભાર ક્યારેક તે એકાદ કોથળી ગટગટાવીને ઉતારતા હોય છે. કવિએ થાકને ગટગટાવનાર માણસને જાણી જોઈને માણસ નહીં, પડછાયો કહ્યો છે. તે પણ મનુષ્ય છે, તેવું કોઈ ક્યાં સમજે જ છે, તે માત્ર પડછાયા છે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે પડછાયા ત્યારે જ હોય, જ્યારે છાયા હોય.

આખા દિવસના થાક પછી ફૂટપાથ પર પડેલા માણસોને પોતાના જ જણ્યાને પ્રેમ આપવાનો સમય નથી હોતો, આ કેટલી કરૂણતા. સારા ઘરના માણસો એક બાળક માટે મોંઘું ઘોડિયું વસાવે, તેના ખાવા-પીવા, ઊંઘવા-જાગવા, રમવા-રમાડવા માટે વસ્તુઓથી લઈને વ્યક્તિઓ સુધી, દાયણથી લઈને નોકર સુધી કેટકેટલી સુવિધાઓ કરે. પણ એ સુવિધા વિશે તો આ લોકોને સપનું પણ ન આવે. બાળકો બાપડાં પડ્યાં હોય ફૂટપાથની પથરાળ ભૂમિ પર નિશ્ચિંતપણે. તેમની માટે શું ગીતો, કે શું લોરીઓ. બાજુમાંથી નીકળતાં વાહનોના કર્કશ અવાજો અને હોર્ન એ જ તેમનાં હાલરડાં. ત્યાં અધરાતે મધરાતે ઓઢવા માટે નરમ ગોદડી કે સુંવાળો કામળો ક્યાંથી આવે, ત્યાં તો આભ એ જ ઓઢણ, ને ધરા એ જ પાથરણું.

રોડની બાજુમાં પડ્યા રહેતા આવા માણસોના જીવનની કિંમત પણ કોઈને ક્યાંથી હોય. અનેક વાર છાપામાં સમાચાર આવે છે કે ફલાણી જગ્યાએ રાતે વાહન નીચે ચાર મજૂરો ચગદાઈ ગયા. ઢીંકણી જગાએ આમ થયું. અને એ સમાચાર માત્ર સમાચાર બનીને રહી જાય છે. પરંતુ કવિ અહીં એક ભયાનક સત્ય તરફ ઇશારો કરે છે. કેટલીકવાર આ અકસ્માતો બેઘરો માટે ‘ચમત્કાર’ બની જાય છે. કારણ કે તે તેમને આ જીવનની પીડામાંથી મુક્તિ આપે છે. આ વિચાર આપણને અચાનક અંદરથી ઝંઝોડી નાખે છે.

લોગઆઉટઃ

રાતે મજબૂરી સૂવે ફૂટપાથ પર,
સ્વપ્નમાં આવીને ચાલ્યું જાય ઘર.

એના હિસ્સામાં જ છે લાંબી સફર,
જે બિચારા ચાલતા ચપ્પલ વગર.

જિંદગી રસ્તે રઝળતી હોય છે,
એક્સિડન્ટનો ક્યાં પછી લાગે છે ડર!

એ તને હોળી વિશે શું કહી શકે,
ભાગ્યમાં જેના ઊડે કાળો કલર.

દૂધ ભૂખ્યા બાળને આપી દીધું,
હાથ જોડીને કહ્યું, 'મહાદેવ હર'.

– જય દાવડા