લેબલ BOOK REVIEW સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ BOOK REVIEW સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

વિક્ટર હ્યૂગોની મહાન નવલકથા ‘લે મિઝરેબ્લ’

[ પુસ્તકનું નામઃ લે મિઝેરાબ્લ, લેખકઃ વિક્ટર હ્યૂગો અનુવાદઃ ગોપાળદાસ જીવાભાઈ પટેલ, પ્રકાશકઃ નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ ]

પુસ્તક તમે આ લિંક પર ક્લિક કરીને ખરીદી શકશો

હિન્દીમાંઃ Vipadaa Ke Maare by  by Victor Hugo
અંગ્રેજીમાંઃ Les Miserables by Victor Hugo

જિન વાલજિન નામનો એક માણસ 19 વર્ષની આકરી સજા કાપીને જેલમાંથી છૂટ્યો છે, ત્યાંથી કથાની શરૂઆત થાય છે. ઓગણીસ વર્ષ પહેલાં તેણે એક બ્રેડનો ટુકડો ચોરેલો. આ ગુના માટે તેને ચાર વર્ષની સજા થઈ. ચાર વર્ષ તેને દરિયાઈ વહાણની કાળી મજૂરીમાં મુકાયો. મજૂરી ન વેઠાતા ત્યાંથી ભાગ્યો, પણ પકડાઈ ગયો અને ભાગવાના પ્રયત્ન બદલ તેની સજામાં બીજા ત્રણ વર્ષ ઉમેરાયા. ફરીથી ન વેઠાયું, ફરી ભાગ્યો, ફરી પકડાયો અને ફરીથી થોડાં વર્ષ ઉમેરાયાં. આ રીતે ભાગતા-પકડાતાં તેની સજા ઓગણીસ વર્ષ લંબાઈ ગઈ. એક બ્રેડના ટુકડાની ચોરી બદલ ઓગણીસ વર્ષ કાળા પાણીની જેલ! વહાણ ઉપર તે જ્યારે ચડ્યો હતો, ત્યારે ડૂસકાં ભરતો અને ધ્રૂજતો ધ્રૂજતો ચડ્યો હતો, પણ જ્યારે તે છૂટીને નીચે ઊતર્યો ત્યારે તેનું દિલ પથ્થરનું થઈ ગયું હતું.

જેલની આકરી સજા વેઠીને છુટેલો આ મુસાફર એક શહેરમાં આવે છે, સાંજ ઢળી ચૂકી છે અને હાડ થીજાવી દે તેવી ઠંડી ચારેબાજુ ફેલાઈ ગઈ છે. ક્યાંક રોકાવું જરૂરી છે. આ મુસાફર શહેરની બધી વીશીમાં ફરી વળે છે, પણ બધેથી જાકારો મળે છે, કેમ કે તે જેલમાંથી છૂટીને આવેલો ભયંકર માણસ છે, તેવી વાયકા આખા શહેરમાં ફેલાઈ ચૂકી છે. કંટાળીને એક ભલા પરિવાર પાસે મદદ માગે છે, ત્યાંથી પણ હડધૂત થાય છે. રાત પડી જતાં ઠંડીથી બચવા એક બખોલ જેવી જગ્યાએ ભરાય છે, બખોલમાં સૂતેલો એક ડાઘિયો કૂતરો તેની પાછળ પડે છે. માંડ જીવ બચાવી એક દેવળની બહાર ઓટલા પર ઊંઘે છે, ત્યારે એક ડોશી કહે છે, અહીં રહીશ તો સવાર સુધીમાં મરી જઈશ. વાતવાતમાં તે શહેરના પાદરી વિશે કહે છે. ભલે બધાં બારણે જાકારો મળ્યો, પણ પાદરીને ત્યાંથી જાકારો નહીં મળે. તે પાદરીને ત્યાં જાય છે. તેને આવકાર મળે છે. જમવાનું અને સુંદર પથારી મળે છે. તેને વિશ્વાસ નથી આવતો કે ખરેખર તેના રહેવા-જમવાની વ્યવસ્થા મળી ગઈ છે.

ઓગણીસ-ઓગણીસ વર્ષ જેલની સજા કાપ્યા પછી તે એટલો બધો જડ અને ખંધો થઈ ગયો છે કે તેને દરેકમાં કાવતરાની કે અપમાનની ગંધ આવે છે. પાદરી દ્વારા આટલું સન્માન મળતા તેને ભયંકર આંચકો લાગે છે. પાદરી તેને ચાંદીનાં વાંસણો અને રૂપાની દીવી વગેરે બતાવે છે. રાત્રે અચાનક તે જાગી જાય છે અને તેનું મન વિચારે ચડે છે. આટલાં વર્ષો જેલમાં રહ્યા પછી હવે શું? માત્ર એક નાનકડા બ્રેડના ટુકડાની ચોરી બદલ ઓગણીસ વર્ષની આકરી સજા આપીને સમાજે તેની સાથે હળાહળ અન્યાય કર્યો છે. પોતાની બહેનનાં આઠ નાનાં બાળકોનું પેટ ભરવા માટે કરાયેલી આ નિર્દોષ ચોરીની તેણે કબૂલાત પણ કરી લીધેલી, છતાં આવી ભયંકર સજા ફરમાવીને સમાજે તેની સાથે જે કર્યું છે, તેનો બદલો કોઈ કાળે ચૂકવી શકાય તેમ નથી. તેની નાનકડી ચોરીના બદલામાં સમાજે તેની પાસેથી બધું જ લઈ લીધું છે અને તેને વસૂલ કરવાનો તેને પૂરેપૂરો હક છે એવું તે વિચારે છે. આ પાદરીનાં ચાંદીનાં વાસણો અને કિંમતી વસ્તુ લઈને ભાગી જાઉં તો જીવવામાં કામ આવશે આમ વિચારી રાત્રે ચોરી કરીને તે ભાગે છે અને શહેરની પોલીસ તેને પકડી લાવે છે. ફરીથી ભયંકર સજાના વિચારો તેને થથરાવી મૂકે છે.

પોલીસ તેને પકડીને પાદરી પાસે લાવે છે ત્યારે પાદરી કહે છે, અરે ભલા માણસ તું આ વાસણો લઈ ગયો, પણ ચાંદીની દીવી તો ભૂલી જ ગયો. આ પણ લઈ જા. તે તારા કામમાં આવશે. આટલું સાંભળીને તેના કાન પર વિશ્વાસ આવતો નથી. પાદરી પોલીસને કહે છે કે આ મારા મહેમાન છે અને મેં જ તેમને આ વસ્તુઓ આપી હતી. પોલીસ તેને છોડી મૂકે છે. આ બધું જોઈને જિન વાલજિન મૂર્છા ખાઈને ગબડી પડવાની સ્થિતિમાં આવી જાય છે. પાદરીએ ધીમેથી કહ્યું, “ભાઈ, તેં મને આ બધાના પૈસાનો પ્રામાણિક ઉપયોગ કરવાનું વચન આપ્યું છે, તે કદી ભૂલતો નહીં.” પોતે કંઈ વચન આપ્યું હોય તેવું જિન વાલજિનને યાદ આવતું નથી. પાદરી ગંભીરતાથી બોલ્યો, “ભાઈ જિન વાલજિન, હવે તું પાપના પંજામાંથી મુક્ત થયો છે. મેં તારો અંતરાત્મા ખરીદી લીધો છે. હું તેને ઘોર વિચારો અને અધોગતિમાંથી ઉપાડીને ઈશ્વરના હાથમાં સોંપું છું.”

પાદરીનો આવો દયાળુ વ્યવહાર તેના હૃદયમાં ઘમસાણ જગાડે છે. જે આખા જગતથી ધૂત્કારાયો છે, તે અહીં સ્વીકારાયો. સ્વીકારાયો એ પણ કેટલો અદ્ભુત રીતે! તેના હૃદયમાં દરિયાઈ તોફાન જેવાં મોજાં ઉછાળા મારવા માંડ્યાં. મન મહાસાગર જેમ મંથને ચડ્યું. આ નવલકથાની શરૂઆત માત્ર છે. આગળની કથા તો એનાથી પણ વધારે રસપ્રદ, રોચક, થ્રીલથી ભરેલી, અનેક વળાંકો લેતી વહેતી રહે છે.

આખી કથા તો લગભગ 1800-1900 જેટલાં પાનાંઓમાં પથરાયેલી છે. તેને અહીં ટૂંકમાં વર્ણવવી શક્ય પણ નથી. પરંતુ ગોપાળભાઈ જીવાભાઈ પટેલે તેનો સરસ, રસાળ અને પ્રમાણમાં ટૂંકો કહી શકાય તેવો 500 જેટલાં પાનાંઓમાં અનુવાદ કર્યો છે. જે નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેનું નામ છે - ‘લે મિઝરેબલ ઉર્ફે દરિદ્ર નારાયણ’. આ નવલકથાના લેખક છે વિક્ટર હ્યૂગો. વિક્ટર હ્યૂગો માત્ર ફ્રાન્સના જ નહીં, વિશ્વસાહિત્યના મહાન કથાકાર છે તેમાં કોઈ બેમત નથી. તેમની લેખનશૈલી અને રજૂઆતે કથારસિયાઓને રીતસર ઘેલું લગાડેલું. તેમના લેખનનું ઘેલું આજે પણ વાચકોમાં એટલું જ તીવ્ર છે. વિક્ટર હ્યુગોને વાંચનારા તેમના ચાહક થઈ જાય છે.

‘લા મિઝરેબલ’માં માણસાઈનો મહાખજાનો છે, જે ખૂટ્યો ખૂટે તેમ નથી. વેદના, સંવેદના, દયા, પ્રેમ અને આશા-નિરાશાના વિશ્વમાં અનોખી સફર કરાવતી આ કૃતિ માત્ર ફ્રેન્ચ ભાષાની જ નહીં, વિશ્વસાહિત્યના ઘરેણા સમાન છે. મેં અત્યાર સુધી વાંચેલી તમામ કૃતિઓમાં આ મારી પ્રિય રહી છે. માનવમનની આંટીઘૂંટી અને બુઝાઈ જતી આશાની દીવડીને લેખકે અનેક રીતે જલતી રાખી છે. આ કથા વાંચ્યા પછી તેનું અજવાળું તમારા આંતરમનને પણ સ્પર્શી જશે તેમાં કોઈ બેમત નથી.

આ નવલકથા બુરાઈથી ભલાઈ તરફ, નિર્દયતાથી દયા તરફ, અંધકારથી પ્રકાશ તરફ, અસત્યથી સત્ય તરફ અને અપ્રામાણિકતાની આંધીમાંથી પ્રામાણિકતાના પ્રદેશ લઈ જાય છે. આ કથામાં વિક્ટર હ્યૂગોએ માનવમનની આંટીઘૂટીઓ એટલી ચીવટથી અને હૃદય વલોવાઈ જાય એ રીતે આલેખી છે કે કથા વાંચતી વખતે અને વાંચ્યા પછી પણ વાચકના હૃદયમાં રીતસર તોફાન ઊઠતાં રહે છે.

મૂળ ફ્રેન્ચ ભાષામાં લખાયેલી અને લગભગ 1900 પાનાંઓની આસપાસ પથરાયેલી આ કથા અંગ્રેજીમાં અનુવાદિત થઈ ત્યારે 1450 પાનાંઓમાં વિસ્તરેલી. જગતની અનેક ભાષાઓમાં તેના અનુવાદો, રૂપાંતરો થયાં છે, ત્યારે ગુજરાતી તેમાંથી કેમ બાકાત રહે? ગુજરાતીમાં પણ અનેક અનુવાદકોએ તેને આપણી ભાષામાં સુપેરે ઉતારી છે.

મને ખ્યાલ છે ત્યાં સુધી પાંચેક અનુવાદકોએ આ નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તેમાં ‘દુખિયારા’ નામે શ્રી મૂળશંકર મો. ભટ્ટે કરેલો અનુવાદ પણ એટલો જ અદ્ભુત અને રસાળ છે. આ અનુવાદ લગભગ પાંચસો-છસો પાનામાં સીમિત કરાયો છે. ગોપાળદાસ જીવાભાઈ પટેલે ‘લે મિઝરેબલ ઉર્ફે દરિદ્રનારાયણ’ નામે કરેલો અનુવાદ પણ અત્યંત રોચક, રસપ્રદ અને પ્રવાહી છે. તેમાં અનુવાદપણાનો જરાકે ભાર લાગતો નથી. વાચકો નદીના પટમાં સરળતાથી તરતી નાવડી જેમ કથાના પટમાં વિહાર કરી શકે છે. ત્યાર બાદ મુકુલ કલાર્થીએ ‘પારસમણિના સ્પર્શે’ નામથી લગભગ દોઢસોએક પાનામાં તેનો અનુવાદ કર્યો છે. જે વધારે પડતો સંક્ષિપ્ત છે. એ જ રીતે મનસુખ કાકડિયાએ ‘લા મિઝરેબલ’નો કરેલો અનુવાદ પણ લગભગ આટલો જ ટૂંકાણમાં છે. આ સિવાય કદાચ માવજી સાવલાએ પણ લા મિઝરેબલનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. જે પુસ્તક બે હજારની આસપાસ પાનાં ધરાવતું હોય તેને દોઢસો-બસો પાનામાં સમાવવું કપરું છે. તેમાં મૂળ સ્વાદ પામવો અસંભવ જેવું થઈ પડે છે. પણ એની સરખામણી નાનાભાઈ ભટ્ટ અને ગોપાળદાસ જીવાભાઈ પટેલે કરેલા અનુવાદો ખૂબ સારા છે.

આ નવલકથામાંથી વારંવાર ફિલ્મો, વેબસિરિઝ, નાટકો, સિરિયલ્સ વગેરે બનતાં જ રહે છે. દસ કરતાં પણ વધારે વખત આ એક જ વાર્તા પરથી ફિલ્મ બની છે અને એ દરેક ફિલ્મે સફળતા પ્રાપ્ત કરી છે. છેલ્લે 2012માં ‘Les Misérables’ નામે ફિલ્મ આવેલી. જેને Tom Hooperએ ડિરેક્ટ કરેલી. આ ફિલ્મને લગભગ ત્રણેક ઓસ્કાર એવોર્ડ પણ મળેલા. એક્સમેન તરીકે ઓળખાતા હ્યુફ જેકમેને જિન વાલજિનનો રોલ કરેલો. પોલીસ જેવર્ટનો રોલ કરેલો રસેલ ક્રોએ. 2007માં ‘Les Misérables: Shōjo Cosette’ નામથી જાપાનિઝ એનિમેટેડ સિરિયલ બનેલી. જે ખૂબ લોકપ્રિય થયેલી. 2018માં બીબીસીએ Les Misérables નામથી વેબસિરિઝ પણ બનાવેલી. જેને Tom Shanklandએ ડિરેક્ટ કરેલી. આ વેબસિરિઝ પણ ઘણી સફળ રહેલી. અલગ અલગ સમયે આ નવલકથા પરથી મ્યૂઝિકલ કોન્સર્ટ થઈ છે, તેને પણ ભવ્ય સફળતા મળી છે. જગતમાં જુદાં જુદાં સ્થાનો-દેશો-પ્રદેશોમાં આ કથાને ધ્યાનમાં રાખીને નાટકો, ફિલ્મો, સિરયલ્સ, વેબસિરિઝ સર્જાંતાં રહે છે અને હજી સર્જાંતાં જ રહેશે. તો એવું શું છે આ નવલકથામાં કે જે વિવિધ ડાયરેક્ટરોને સતત આકર્ષતું રહે છે? એવું કયું તત્ત્વ છે આ કથામાં, જે વાચકને સતત જકડી રાખે છે? એ જાણવા માટે તમે આ નવલકથા વાંચી લો એ જ બહેતર રહેશે.

- અનિલ ચાવડા

મરીઝોત્સવ । સંપાદનઃ મોહસીન અબ્બાસ વાસી, રઈશ મનીઆર, અનિલ ચાવડા

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.
મરીઝોત્સવ 
સંપાદનઃ 
મોહસીન અબ્બાસ વાસી, રઈશ મનીઆર, અનિલ ચાવડા
કિંમતઃ 300/- રૂપિયા । પ્રકાશકઃ આર. આર. શેઠ, અમદાવાદ

પ્રસ્તાવના

રઈશભાઈનો ફોન આવ્યો, “હલો અનિલ, મોહસીનભાઈ – મરીઝસાહેબના દીકરાની ઇચ્છા એવી છે કે મરીઝસાહેબની ગઝલોના આસ્વાદનું એક સરસ પુસ્તક થાય. આનું સંપાદન કરવાનું વિચાર્યું છે, તને સંપાદનનો અનુભવ છે, તને આમાં જોડાવાની ઇચ્છા છે?”

નદી સામે ચાલીને તરસ્યા પાસે આવે તો કોણ ના પાડે? મેં એક ક્ષણનોય વિલંબ કર્યા વિના હા પાડી દીધી. આ રીતે આ પુસ્તકના સંપાદનમાં જોડાવાનું થયું. મરીઝ સાથે આ રીતે જોડાવાની તક આપવા માટે રઈશભાઈ, મોહસિનભાઈ અને ચિંતનભાઈનો દિલથી આભારી છું.

આમ તો આ પુસ્તક વિશે મોહસિનભાઈ અને રઈશભાઈએ તેમની પ્રસ્તાવનામાં વિગતે વાત કરેલી જ છે, એટલે મારે વિશેષ વાત કરવાની રહેતી નથી. મરીઝ ગુજરાતી ભાષાના ગાલિબ છે કે મરીઝ ગુજરાતી ગઝલનું શિખર છે કે મરીઝ ગુજરાતી ભાષાના અનન્ય ગઝલકાર છે એવું કહીને વાતોનું પુનરાવર્તન કરવાનો પણ અર્થ નથી, કેમકે મરીઝની કલમના કૌવતને ગુજરાત સારી રીતે પિછાણી ગયું છે.

પણ આ સંપાદનસંદર્ભે એટલું કહી શકાય કે ગુજરાતી ગઝલમાં સર્વોચ્ચ સ્થાને બેસનાર ગઝલકારની રચનાઓનું અલગ અલગ કવિઓ દ્વારા આસ્વાદ થાય તો મરીઝના ચાહકોને અન્ય કવિઓનો મરીઝની ગઝલો તરફનો દૃષ્ટિકોણ જોવા-જાણવા મળે. સાથે સાથે જે તે કવિ પણ મરીઝની ગઝલને કઈ રીતે આત્મસાત કરે છે, તેનો પરિચય થાય.

આ સંપાદનમાં કોની પાસે કવિતાના આસ્વાદ કરાવવા તે એક પ્રશ્ન હતો, કેમકે મરીઝના ચાહકો તો હજારો છે. પણ ચર્ચાને અંતે એમ ઠરાવ્યું કે જે કવિઓ હોય તેમની પાસે જ આસ્વાદ કરાવવા. કવિ સર્જનની કપરી ઘડીમાંથી પસાર થયો હોય છે, માટે તે સર્જનનો આનંદ અને પીડા બંને સારી રીતે જાણતો હોય છે. કવિના ચિત્તમાં સર્જનની ગર્ભાવસ્થા ઓછેવત્તે અંશે પડી હોય છે, જે આસ્વાદટાણે ખપમાં લાગે છે. ગઝલમાં કલા-કસબ લાવવામાં કેટલી વીસે સો થાય તે દરેક કવિ સ્વાનુભવે જાણે છે, તેથી જો સિદ્ધહસ્ત કવિઓ દ્વારા મરીઝની ગઝલનો આસ્વાદ થાય તો કવિતાપ્રેમીઓને કશુંક વિશેષ મળે.

કઈ કવિતાનો આસ્વાદ કોની પાસે કરાવવો એ વધારે મૂંઝવનારો પ્રશ્ન હતો, પણ એ બાબતે જે તે કવિના મૂડ મુજબ કવિતા પસંદ કરીને આપવાને બદલે કવિતાની સામે નક્કી કરેલા કવિના લિસ્ટમાંથી નામ આવતાં ગયાં તેમ તેમ મોકલતા ગયા. એટલે કોના ભાગે કઈ કવિતા આવે તે નિશ્ચિત નહોતું.

મરીઝ પ્રત્યેના પ્રેમને જોતા દરેક કવિએ ધાર્યા કરતા વહેલા આસ્વાદલેખો મોકલી આપ્યા છે, તે માટે સૌ કવિમિત્રોનો અમે સંપાદકો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. ચિંતનભાઈની ચીવટ આર.આર. શેઠના દરેક પુસ્તક-પ્રોડક્શનમાં દેખાઈ આવે છે. આ પુસ્તક પણ એટલી જ ચીવટાઈથી તે પ્રગટ કરશે તેમાં બેમત નથી. આ વિચારને સાકાર કરવા માટે તેમનો આભાર.

મરીઝપ્રેમીઓને આ પુસ્તક ખૂબ ઉપયોગી બની રહેશે તેવી અપેક્ષા છે.

- અનિલ ચાવડા

રેન્ડિયર્સ । અનિલ ચાવડા । નવલકથા

પુસ્તકનું નામઃ રેન્ડિયર્સ । લેખકઃ અનિલ ચાવડા । કિંમતઃ 159/-
પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ

દરેક માણસ સ્કૂલ તથા હૉસ્ટેલ-લાઇફમાં જેટલું એન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં નિર્દોષતા ને નિખાલસતા છે, તો પારાવાર મૂર્ખતા પણ છે. પેટમાં આંટીઓ પડી જાય એવું હાસ્ય છે, તો આંખમાંથી બારે મેઘ ખાંગા થાય એવું રુદન પણ છે. ડહાપણ છે, દોઢડહાપણ પણ છે. ઝઘડો છે, સમાધાન પણ છે; ગંભીરતા છે, ચંચળતા પણ છે; પ્રેમ છે, નફરત પણ છે; આનંદ છે, ઉદાસી પણ છે; ટીખળ છે, ઈર્ષા પણ છે. રોમાંચ છે અને રોમાન્સ પણ છે! આ જ સમયમાં મિત્રતાની મજબૂત ગાંઠ બંધાય છે. પ્રેમના પુષ્પની સુગંધ પણ આ જ સમયમાં અનુભવાવાની શરૂ થાય છે. એની નિર્દોષ મહેક જિંદગીભર હૃદયની હાર્ડ ડિસ્કમાં સેવ રહે છે. 

આ એક એવી કથા છે જે દરેક માણસ પોતાના સ્કૂલટાઇમમાં જીવ્યો હશે. આ કથા ટોળટીખળ, મોજમસ્તી કરતાં થોડાંક ચંચળ રેન્ડિયર્સની છે. આ અળવીતરાં રેન્ડિયર્સને અભ્યાસ નામની નદીકિનારે જઈને જ્ઞાનનું જળ પીવાની હોંશ છે. તેમને ખબર છે કે પરીક્ષા નામનો મગર મોં ફાડીને બેઠો છે, પણ આ હરણ પોતાની ચંચળતા ત્યજી નથી શકતાં. આ પુસ્તકમાં એવી અનેક ઘટનાઓ છે, જે વાંચીને તમે પણ સ્કૂલનાં ફૂલ થઈને ભૂતકાળના બગીચામાં પહોંચી જશો. આ નવલકથાનું શીર્ષક ‘રેન્ડિયર્સ’ શા માટે? એનો ખુલાસો અંતમાં અત્યંત રસપ્રદ રીતે કરવામાં આવ્યો છે. એના માટે આ નવલકથા વાંચવી જ રહી.

આ પુસ્તક એવા તમામ બારકસ-મિત્રોને હકપૂર્વક ભેટમાં આપવું જોઈએ, જેમની સાથે રહીને સ્કૂલ કે હૉસ્ટેલમાં ટોળટીખળ અને તોફાનો કર્યાં છે. આ માત્ર એક પુસ્તક નથી, સ્કૂલમાં જિવાયેલા દિવસોનો જીવંત દસ્તાવેજ છે. આના દ્વારા તમે તમારા મિત્રોને વીતેલા દિવસોની આખી દુનિયા ભેટમાં આપી શકશો. 

નવલકથા વિશે જાણીતા લેખકો-વિવેચકોના પ્રતિભાવોઃ

• લેખકે કમાલ કરી છે!
- અખંડ આનંદ

• આવી નવલકથાઓ આપણી ભાષામાં લખાઈ નથી. આ નવલકથા ઇતિહાસ સર્જશે!
- જયશ્રી મરચન્ટ (‘OPINION’માંથી)
—————————————————

• કાળિયાર જેવા કિશોરો દ્વારા સમાજદર્શન કરાવતી રસપ્રદ કથા.
- રઘુવીર ચૌધરી (જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકાર)

• આ અદ્ભુત નવલકથા બની છે. આ નવલકથા અનિલ ચાવડા માટે માઇલસ્ટોન સાબિત થશે!
- ડૉ. શરદ ઠાકર (સુપ્રસિદ્ધ નવલકથાકાર-કોલમિસ્ટ)

• જિંદગીનું celebration કરતી સુંદર કથા!
- કિરીટ દૂધાત (સુપ્રસિદ્ધ વાર્તાકાર-વિવેચક)

• જીવી ચૂકેલા સમયખંડની સ્મૃતિઓનું સુંદર મજાનું આલ્બમ એટલે ‘રેન્ડિયર્સ’
- રામ મોરી (નેશનલ એવોર્ડ વિજેતા લેખક)

• દરેક ચેપ્ટર સિનેમેટીક! ફ્લો તો એવો સુંદર કે વાત ન પૂછો.
- કવિ વિરલ દેસાઈ (જાણીતા યુવાકવિ)

• એક બેઠકે વાંચવા મજબુર કરે એવું પુસ્તક
- મેગી અસનાની (ઉર્દૂ-ગુજરાતી યુવાકવિ)

• પુસ્તક વાંચીને દરેકને પોતાની કિશોરાવસ્થાનું સ્મરણ અચૂક થઈ આવે!
- વિપુલ પરમાર (યુવાકવિ)

પુસ્તક નીચે આપવામાં આવેલ વેબસાઇટ્સની લિંક પરથી ખરીદી શકશો

એમેઝોન । નવભારત સાહિત્ય મંદિરબુકપ્રથા


BOOK REVIEW: ઓતરાદી દીવાલો । કાકાસાહેબ કાલેલકર

પુસ્તક ખરીદવા માટે આ લિંક પર ક્લિક કરો.
કોઈ માણસને ગુજરાતી વાંચનમાં રસ હોય અને એ કાકાસાહેબ કાલેલકરને ન ઓળખતો હોય તેવું સંભવ નથી. તેમની માતૃભાષા મરાઠી હોવા છતાં ગુજરાતીમાં તેમણે એટલું સુંદર-સરળ-સચોટ લેખન કર્યું છે કે તમે તેમના લેખનના પ્રેમમાં પડી જાવ. કદાચ એટલે જ ગાંધીજીએ તેમને ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ આપેલું. આ સવાયા ગુજરાતી એવા કાકાસાહેબે અનેક ઉત્તમ પુસ્તકો આપીને ગુજરાતી ભાષાને રળિયાત કરી છે. ‘જીવવાનો આનંદ’ હોય કે ‘રખડવાનો આનંદ’; ‘હિમાલયનો પ્રવાસ’ હોય કે ‘બ્રહ્મદેશનો પ્રવાસ’; ‘જીવનસંસ્કૃતિ’ હોય કે ‘જીવતા તહેવારો’ દરેક પુસ્તકમાં તેમના આગવા લેખનની સુગંધ તમને અનુભવાશે. તેમનાં લખાણો પુરાણ, ધર્મ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની રમણીય યાત્રા સમાન છે.

કોઈ માણસને ગુજરાતી વાંચનમાં રસ હોય અને એ કાકાસાહેબ કાલેલકરને ન ઓળખતો હોય તેવું સંભવ નથી. તેમની માતૃભાષા મરાઠી હોવા છતાં ગુજરાતીમાં તેમણે એટલું સુંદર-સરળ-સચોટ લેખન કર્યું છે કે તમે તેમના લેખનના પ્રેમમાં પડી જાવ. કદાચ એટલે જ ગાંધીજીએ તેમને ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ આપેલું. આ સવાયા ગુજરાતી એવા કાકાસાહેબે અનેક ઉત્તમ પુસ્તકો આપીને ગુજરાતી ભાષાને રળિયાત કરી છે. ‘જીવવાનો આનંદ’ હોય કે ‘રખડવાનો આનંદ’; ‘હિમાલયનો પ્રવાસ’ હોય કે ‘બ્રહ્મદેશનો પ્રવાસ’; ‘જીવનસંસ્કૃતિ’ હોય કે ‘જીવતા તહેવારો’ દરેક પુસ્તકમાં તેમના આગવા લેખનની સુગંધ તમને અનુભવાશે. તેમનાં લખાણો પુરાણ, ધર્મ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની રમણીય યાત્રા સમાન છે.

કાકાસાહેબે જેલમાં રહીને પ્રકૃતિની જીવનલીલાનું જે દર્શન કર્યું તેનું રસપ્રદ અવલોકન એટલે ‘ઓતરાદી દીવાલો’.

એ વખતે ગાંધીજીના આશ્રમથી ઉત્તર તરફ રહેલી સાબરમતી જેલની દીવાલો સ્પષ્ટ દેખાતી. દક્ષિણ તરફ દૂધેશ્વરનું સ્મશાન દેખાતું. સામી બાજુ શાહીબાગથી માંડીને એલિસબ્રિજ સુધી પથરાયેલાં અમદાવાદની મિલોનાં ભૂંગળાં દેખાતા. કાકાસાહેબ રખડુ જીવ, વખત મળે એટલે બધે રખડી આવે. પણ પેલી ઓતરાતી દીવાલોની અંદર શું છે એનો જવાબ એમને મળ્યો નહીં. પરંતુ સરકારની કૃપાથી એ સવાલનો જવાબ મળ્યો. થયું એવું કે સ્વતંત્રતાની લડતના ભાગરૂપે તેમને જેલમાં જવાનું થયું. આશ્રમથી દેખાતી આ ઓતરાદી દીવાલોની અંદર શું ચાલી રહ્યું છે તે નજરે જોવાનું તથા અનુભવવાનું થયું.

જેલ-અનુભવોની વાત થાય એટલે ચોક્કસ મનમાં એક છબી રચાઈ જાય. વાચક આપોઆપ ધારવા માંડે કે લેખકે જેલમાં તેમની પર થયેલા અત્યાચાર વિશે લખ્યું હશે, “જેલમાં મારા પર બહુ આફતો પડી, જેલર બહુ આકરો હતો, સાવ બેસ્વાદ ભેજન હતું, ભૂખ્યા રહેવું પડતું, માર સહન કરવો પડતો, આકરી મજૂરી કરવી પડતી, અન્ય કેદીની કનડગત વેઠવી પડતી વગેરે વગેરે...” કાકાસાહેબ તો રખડુ જીવ, શહેરથી દૂર પ્રકૃતિના ખોળે આનંદ લેતા માણસ.... આવા રખડુ મુસાફરને જેલની ચાર દીવાલોમાં પૂરી દેવામાં આવે ત્યારે તેની શી વલે થાય? ચોક્કસ જીવ મુંઝાય.... પરંતુ જેલમાં પડતાં નાનાં-મોટાં કષ્ટો સાથે પશુપંખી, ઝાડપાન, ટાઢતડકા, વરસાદ, ઝાકળ અને ધૂમસ સાથેના અનુભવો પણ ઓછા નથી હોતા. કાકાસાહેબે એ વાત પ્રત્યક્ષપણે જાણી. જેલમાં પણ તેમણે કુદરત સાથે જુદી રીતે નાતો જોડી લીધો. જેલના આકરા સમયને પ્રકૃતિ સાથે જોડીને તેમણે રમણીય બનાવી દીધો. માણસ ધારે તો કાળકોટડીમાં પણ આનંદ શોધી શકે છે.

સાબરમતી જેલવાસ દરમિયાન પશુપંખી અને વનસ્પતિસૃષ્ટિનાં વિશિષ્ટ સંવેદનો આલેખતું કાકા કાલેલકરનું આ પુસ્તક વાચકોને એક જુદા જ પ્રકારનો અનુભવ કરાવે છે. આ પુસ્તકમાં એક કુદરતઘેલા લેખકની ચાર દીવાલો વચ્ચેની આનંદયાત્રા છે, આ લખાણોમાં ઉપદેશ, પ્રચાર, ડહાપણ નથી. અહીં તો વિદ્રત્તાને સ્થાને અનુભવની, સુખદુઃખની અને કલ્પનાની આપલે છે. બંધિયાર જેલજીવનનીમાં પણ લેખકે કીડીઓ, ખિસકોલીઓ, કાગડાઓ, બિલાડીઓ, વાંદરાઓ, વંદાઓ, કાનખજૂરા જેવા જીવલોક સાથે દોસ્તી બાંધી લીધી છે. તેમનું જીવન પણ એક રીતે માણસો જેવું જ છે. આ બધા જ જીવોની નીતિ-રીતિ, જીવવાની ઢબ, સંઘર્ષ વગેરે દ્વારા માણસના સ્વભાવની પણ એક ઝાંખી થાય છે. દીવાલોમાંથી મળતી આકાશ અને તારાનક્ષત્રની ઝલકો માત્ર લેખકના જ નહીં, વાચકના મનમાં પણ કુતૂહલ જગાડે છે.

કારાવાસનો સમયગાળો આ આનંદશોધક જીવનમરમી કેવી અનોખી રીતે કંટાળામાંથી આહલાદકતામાં ફેરવી નાંખે છે તે આ પુસ્તકનાં લખાણોમાંથી જોવા મળે છે. ઓતરાતી દીવાલોની સૃષ્ટિમાંથી પસાર થતાં આપણને વાચક તરીકે એમ લાગે છે કે કાકાસાહેબે કારાવાસની બધી જ દીવાલો કુદાવીને પોતાના મનને અને કલ્પનાને પંખીની જેમ અવકાશમાં મોકળાશથી વિહરતી કરી દીધી છે. તેમની રમૂજીવૃત્તિ, વિનોદવૃત્તિ એમાં ઘણો મોટો ભાગ ભજવે છે.

પુસ્તક વિશે કાકાસાહેબ પોતે લખે છે કે, “આ લખાણમાં ઉપદેશ નથી, પ્રચાર નથી, ડહાપણ નથી, વિદ્વત્તા નથી; કેવળ અનુભવની, સુખદુઃખની અને કલ્પનાની આપલે છે. અને વિશેષ તો ખુશમિજાજી છે. ખરેખર, દુનિયા મારાથી અકળાઈ હોય તો ભલે, પણ હું દુનિયાથી અકળાયો નથી. દુનિયા ભલી છે, દુનિયાએ મને પ્રસન્ન રાખ્યો છે; મારું ભલું જ કર્યું છે; અને મને જીવવા પૂરતો અવકાશ આપ્યો છે. જેલમાં જ્યાં ગેરસમજ, ગેરઇન્સાફ અને હેરાનગત જ હોય છે ત્યાં પણ મારી દુનિયા મને પ્રિય જ લાગી છે.”

કાકાસાહેબ જેલમાં બાર બાર કલાક ઓરડીમાં પુરાઈ રહ્યા પછી પણ રુંધાવાને બદલે દૂધ જેવા ચાંદરણા સાથે રમત માંડે છે. આકાશમાં અગત્સ્યના તારાને ખોજે છે.... જેલમાં તેમની બદલી ફાંસીખોલીમાં થઈ. ફાંસીખોલી એટલે ફાંસી દેવાની જગા પાસે જ આવેલી, ફાંસીની સજાવાળા કેદીઓને રાખવાની ઓરડી. આવી ઓરડીમાં આવીને પણ કાકાસાહેબ બિલાડીઓ સાથે દોસ્તી કરી લે છે. જેલમાં તેમને મળતાં કાચાંપાકાં ભોજનમાંથી પણ તે આ જીવો માટે ખોરાક બચાવે છે. તેમના અન્ય મિત્રો પણ આ જીવો પ્રત્યે એટલો જ પ્રેમ રાખે છે. જેલમાં રહેલી ઘણી દયાવિહીન કઠોરતામાં ક્યારેક આવી દયાનું મિશ્રણ પણ જોવા મળે છે.

જેલની ખોલી સામે રહેલા લીમડાને નવાં પાન ફૂટે તો કાકાસાહેબના કુદરતઘેલા જીવને પણ આનંદ થાય છે. લીમડાના કડવા ફૂલની મીઠી સુગંધ માણી તે રાજી થઈ જાય છે. અને બધા સાથે મળીને કહે છે, ‘સરકારને શી ખબર કે અમે આટલો આનંદ લૂંટી રહ્યા છીએ!’ પરંતુ આ આનંદમાં ગંદકી કરતાં કબૂતરો પર સાહેબો ફાયરિંગ કરે ત્યારે તેમનો જીવ કકળી ઊઠે છે. તેમના મોઢામાંથી હાય નીકળી જાય છે.

એ જ રીતે એક રાત્રે ખિસકોલીની એક કારમી ચીસ સંભળાઈ. થોડી જ વારમાં કોઈ ખાતું હોય એવો અવાજ કાને પડ્યો બિલાડીનો વિશિષ્ટ આનંદોદ્ગાર સંભળાયો. એક ખિસકોલી બિલાડીના પેટમાં જઈ કાયમની સૂતી. એટલું જાણ્યા પછી કાકાસાહેબને ઊંઘ ન આવી. સાંજે થાકીપાકી પોતાના માળામાં સૂઈ ગઈ ત્યારે ખિસકોલીને શી ખબર કે આ તેની આખરની નિદ્રા છે? પણ ભૂખી બિલાડીને કેટલો આનંદ થયો હશે! રોજ રોજ કંઈ તેને આવી ઉજાણી ઓછી જ મળતી હશે? બિલાડીએ વિધાતાને અનેક આશીર્વાદ આપ્યા હશે!

ત્યારબાદ જે થયું તે કાકાસાહેબના શબ્દોમાં જ સાંભળો,
બિલાડીએ ખિસકોલીનો શિકાર કર્યો તે જ અરસામાં એક જુવાન કેદી ફાંસીએ ચડ્યો. તે દિવસે મને ખાવાનું ભાવ્યું નહીં. હિંસા એ શી વસ્તુ છે? સ્ટવબત્તીથી આપણે માકણ મારીએ છીએ, બિલાડી ખિસકોલીને મારી ખાય છે, અને ન્યાયદેવતા એક જુવાન ગુનેગારનો બળિ લે છે! આનો અર્થ શો? શું સમાજને આ જુવાનનો બીજો કશો આથી ચડિયાતો ઉપયોગ સૂઝ્યો નહીં? મૅજિસ્ટ્રેટ, જજ, દાક્તર, સુપરિન્ટેન્ડેન્ટ, જેલર, ડેપ્યુટી જેલર બધા ભેગા થયા. લાંચ ન મળે ત્યારે વીસ રૂપિયાની અંદર જ ગુજરાન ચલાવનાર દસ-બાર પોલીસો ભેગા થયા. એક જણે કાગળ વાંચી સંભળાવ્યો, બીજાએ ઈશ્વરનું નામ લીધું, અને બધાએ મળીને પછવાડિયે બાંધેલા એક અસહાય તરુણનું ખૂન કર્યું. જેલનો મોટો ઘંટ વાગ્યો અને દુનિયામાંથી એક માણસ ઓછો થયો. જેલના ઘંટે શું કહ્યું? તેણે માણસની બુદ્ધિનું પોગળ જાહેર કર્યું. તેણે કહ્યું, ‘ મનુષ્યજાતિએ બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે, મરી જનાર માણસનું શું કરવું એ સમાજને સૂઝ્યું નહીં એટલા જ માટે આટલા લોકોએ ભેગા થઈને એક માણસને આ દુનિયામાંથી વિદાય આપી અને તેના સરજનહારને બેવકૂફ ઠરાવ્યો!’ આજે સુપરિન્ટેન્ડેન્ટ જ્યારે આવશે ત્યારે શરમથી ઝંખવાણો પડેલો હશે એમ મેં ધારેલું. પણ તેને કંઈ એ પહેલો જ પ્રસંગ ન હતો.

આપણે મોટેભાગે પ્રાણીસંગ્રહાલયોમાં વિવિધ પશુ-પંખીઓ-પ્રાણીઓને પાંજરામાં પૂરાયેલાં જાયાં છે; તેમનું વર્ણન બહારના લેબલ પર વાંચી સંતોષ પણ વ્યક્ત કર્યો છે. પણ કાકાસાહેબને આનાથી ઊંધો અનુભવ થયો. તે જેલની કોટડીમાં પુરાયેલા હતા ત્યારે એક ઘોઘર બિલાડો બહારથી તેમને જોઈ રહ્યો. તેમને તપાસી ‘ગુર્ ર્ ર્’ ‘મ્યાઉં’ કરી એણે પોતાનો સંતોષ જાહેર કર્યો! આ બધું જોઈ કાકાસાહેબે લખ્યું, બિલાડીઓનું કોમી છાપું ચાલતું હોત તો પેલો ઘોઘર આ પ્રસંગ પર જરૂર એક લાંબો વર્ણનાત્મક લેખ લખત.

કાગડાઓના માળાની ગૂંથણી, સમડીઓ અને કાગડાઓ વચ્ચે થતું મહાભારત યુદ્ધ, ખિસકોલીના માળામાંથી છુટ્ટું પડેલું બચ્ચું અને તેના ફરી માળામાં પાછું પહોંચાડવાની જહેમત, ઝાડ પર કૂદાકૂદ કરતા વાંદરાના ટોળાં, તેમને નવડાવવા અને ખાવાનું આપવા માટે થતી રમતો આ બધું કાકાસાહેબે એટલું સરસ રીતે લખ્યું છે કે તે માત્ર પ્રસંગ ન બની રહેતા જીવનનો બોધપાઠ પણ બની જાય છે. તેમની વિશિષ્ટ લેખનશૈલીને લીધે તે માત્ર એક અનુભવ ન રહેતા નવલકથાના પ્રકરણ જેટલો રસપ્રદ બને છે.

*
એક દિવસ ખેરલ નામના એક સિંધી ભાઈએ એક વાંદરાને લલચાવી બરાકમાં પૂરી દીધો અને પછી માટીનાં ઢેફાં તેના પર ફેંકવા લાગ્યા. કાકાસાહેબે ખેરલને કહ્યું, ‘છોડ દો બિચારે કો. ગરીબ કો ક્યોં સતાતે હો?’ ખેરલ કહે, ‘યે તો હમારે દુશ્મન હૈં. ઉનકો મારના ચાહિયે.’ કાકાસાહેબે પૂછ્યું, ‘બિચારે બંદર તુમારે દુશ્મન કહાં સે બન ગયે?’ આનો તેમને જે જવાબ મળ્યો તેમાં તો માણસજાતની તર્કશક્તિની સીમા જ હતી. ખેરલે કહ્યું, ‘અંગ્રેજ હમારે દુશ્મન હૈં, હમ અંગ્રેજો કો બંદર કહતે હૈં, ઇસલિયે બંદર હમારે દુશ્મન હૈં! ઉનકો જરૂર મારના ચાહિયે!’ આ તર્કશાસ્ત્ર આગળ તો કાકાસાહેબ આભા જ બની ગયા. તેમણે કહ્યું, ‘તુમ અંગ્રેજ કો બંદર કહતે હો ઇસ મેં બંદરોં કા ગુનાહ ક્યા હૈ? ક્યા વે તુમારે પર રાજ કરતે હૈં? ક્યા બંદરો ને ખિલાફત સે દુશ્મની કી હે? ક્યા બંદર ઇસ દેશ કો લૂટ રહે હૈં?’ ખેરલ કહે, ‘લેકિન યે બંદર તો હૈં ના? બસ ઇસી લિયે યે હમારે દુશ્મન હૈં, જૈસે અંગ્રેજ વૈસે યે?’

આવા નાના-મોટા અનેક પ્રસંગો વચ્ચે વાચક પણ કાકાસાહેબની સાથે જેલનો અંતેવાસી હોય તેમ તેને લાગવા માંડે છે. લીમડાનું ઝાડ હોય કે અરીઠાનું, વાંદરા હોય કે બિલાડા, ઉંદર હોય કે ખિસકોલી, કીડી-મંકોડા હોય કે ગરોળી, કાગડા હોય કે સમડી, વરસતો વરસાદ હોય કે તાપ બધામાં કાકાસાહેબને કુદરતની વિશિષ્ટ લીલાના દર્શન થયા કરે છે. અને આ દર્શન વાચક પણ પોતાની આંખે કરે છે. વાચક પણ અગવડ ભૂલીને પ્રકૃતિના આનંદમાં ખોવાઈ જાય છે. આ આનંદ ક્યારેક તોફાની વાંદરાઓમાંથી મળે છે તો ક્યારેક દોડતી ખિસકોલીઓમાંથી, ક્યારેક મંકોડાના ઊતરી આવેલા કટકમાંથી તો ક્યારેક કબૂતરની ઊડાઊડમાંથી. ક્યારેક બિલાડીની પ્રાકૃતિક સ્વભાવમાંથી તો ક્યારેક ખિસકોલીની રમતમાંથી. અહીં પશુ-પંખીઓમાં રહેલી માનવતા અને માનવીઓમાં રહેલી પાશ્વતાના પણ દર્શન થાય છે.

જેલમાં પીડા છે, અગવડ છે, પરંતુ તેની કોઈ ફરિયાદ વિના તે આ પ્રકૃતિની નાની નાની વાતોમાં મોટા આનંદ લઈ લે છે. જે માણસ નાની વાતોમાંથી પણ મોટું સુખ શોધી શકે તેને કોઈ દુઃખી કરી શકે નહીં. કાકાસાહેબનું આ પુસ્તક વાંચીને વાચક પણ સૂક્ષ્મ વસ્તુમાંથી વિશાળ આનંદ મેળવવાની છુપી ચાવી મેળવે તો નવાઈ નહીં.

- અનિલ ચાવડા