જે હસે છે એ ક્યાં મજામાં છે!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

કોણ જાણે કયા નશામાં છે?
આ હવા પણ બહુ હવામાં છે.

રડતાં લોકોની વાત છોડો ને.
જે હસે છે એ ક્યાં મજામાં છે!

જેનું અભિમાન તું કરે છે ને!
એવી તો આવડત ઘણામાં છે.

ઠૂંઠુ ફળિયામાં ઊભું છે અડીખમ
એનું મન ઘરનાં બારણાંમાં છે.
થાક જન્મોજનમનો ઊતરી જાય
એ અસર માની પ્રાર્થનામાં છે.

— રમેશ પરમાર ‘ખામોશ’

ગુજરાતી કવિતામાં ઘણા દીવડા ખૂણામાં પ્રગટીને આથમી ગયા, પણ પોતાનું અજવાળું મૂકવાનું ન ચૂક્યા. અનેક કવિઓએ આયુષ્યના લાંબા અજવાળા કરતાં ટૂંકી દીવેટમાં વિશેષ પ્રકાશ આપીને સાહિત્યને રોશન કર્યું. કલાપી, રાવજી પટેલ, મણિલાલ દેસાઈ, નઝીર ભાતરી જેવા સર્જકો ઓછું જીવ્યા પણ અદ્ભુત સર્જન કરતા ગયા. આમ તો તેઓ ઓછું જીવ્યા એમ કહેવા કરતા ઝડપથી જીવી ગયા તેમ કહેવું વધારે યોગ્ય રહેશે. મધ્યાહ્ને અસ્ત થયેલા અમુક કવિસૂર્યોમાં શીતલ જોષી, પાર્થ પ્રજાપતિ, સાહેબ જેવા કવિઓની સાથે રમેશ પરમાર ખામોશનું નામ પણ લેવું જ પડે. ગઝલની ગરિમા જાળવીને શબ્દોની ગાંઠ બાંધનાર આ કવિનો મરણોત્તર સંગ્રહ ‘દ્વાર ઊઘડી ગયાં’ થોડા દિવસો પહેલા જ પ્રગટ થયો. તેમના હૃદયના દરવાજે કવિતાના ટકોરા તો વર્ષોથી પડતા હતા, પણ એ ટકોરાનું સંકલન થયું ત્યારે તે હાજર નહોતા, દ્વાર ઊઘડી ગયા, પણ ઊઘડેલ દ્વારને આંખવગા કરવા માટે તે હયાત નથી. બેફામનો પેલો શેર છેને-

રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.

રાવજી પટેલ, મણિલાલ દેસાઈ અને કાન્તના કિસ્સામાં પણ મરણોત્તર સંગ્રહ પ્રકાશિત થયેલા. કવિ કાન્ત તો કાશ્મીર પ્રવાસમાં હતા, સંગ્રહ આવવામાં જ હતો, પણ એ ટ્રેનનો પ્રવાસ અનંતપ્રવાસ બની ગયો. કાશ્મીરના પ્રવાસેથી પાછા ફરતાં રાવલપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

રમેશ પરમાર ભલે ‘ખામોશ’ થયા, પણ તેમનું આ ખામોશીપણું કવિતામાં બોલતું રહેશે. લોગઇનમાં આપેલી ગઝલ તેમની સર્જનશક્તિનો પરિચય આપે છે. ટૂંકી બહેરમાં કરેલું આ નકશીકામ તરત ધ્યાન ખેંચે છે. પ્રથમ શેરથી અંતિમ શેર સુધી ગઝલપણું નીખરતું રહ્યું છે. હવા પણ હવામાં છે એમ કહેવામાં એક ચમત્કૃતિ છે. શ્લેષ છે. હવા તો હવામાં જ હોય, પણ તેમાં હવાના અભિમાન તરફ પણ નિર્દેશ છે. જગતનો કોઈ માણસ જીવનભર સુખી નથી હોતો. નિરંતર સુખ જેવું દુઃખ એક્કે નથી. દુઃખ વિના સુખનો અનુભવ નકામો છે. ખાંડનો બૂકડો માર્યા પછી ચા પીશો તો સાવ મોળી લાગશે. પણ કડવાશવાળી ચીજ ખાધા પછીની મીઠાશ વધારે આનંદ આપશે. દુઃખ પછી આવેલું સુખ વધારે સારું લાગે છે. રમેશ પરમારે લખ્યું કે દુઃખી લોકો રડે છે, પણ જે હસે છે એય ક્યાં મજામાં છે. સંપૂર્ણસુખી તો કોઈ નથી. નીદા ફાજલીએ લખ્યું છે

કભી કિસો મુકમ્મલ જહાં નહીં મિલતા
કહીં જમીં તો કહીં આસમાં નહીં મિલતા.

ઘણા લોકો સામાન્ય વાતને પણ મહાકાય રીતે રજૂ કરતા હોય છે. નાની આવડતનું મોટું માર્કેટિંગ કરે છે. જ્યારે હકીકત જાણીએ ત્યારે ખબર પડે કે ઓહ, આમાં તો કશું નથી. આવું તો બધાને આવડે. જાદુગરની હાથચાલાકી જ્યાં સુધી આપણે ન જાણતા હોઈએ ત્યાં સુધી તે આપણને ચકિત કરે છે, જેવી ખબર પડે કે થાય, ઓહ, આટલું સહેલું હતું! આ તો કોઈ પણ કરી શકે.

ઘરનું ઠૂંઠું બારણાને ધારીને જુએ તો એ બારણાના લાકડામાં વૃક્ષના દર્શન થાય. કવિએ કદાચ એ વૃક્ષની વાત કરી છે, જે કાપીને બારણું બનાવવામાં આવ્યું, એના લીધે જ એને ઠૂઠું થવું પડ્યું. ઘણી વ્યક્તિઓ આપણું સત્વ લઈને પોતે ઊજળા થતા હોય છે અને કરુણતા તો એ છે કે આપણા જ અજવાળાથી આપણને આંજવાના પ્રયત્નો કરતી હોય છે. એ વખતે આપણી સ્થિતિ ઘરના મોંઘા બારણા સામે જોઈ રહેલા ઠૂંઠા જેવી હોય છે. આપણને ખબર હોય છે કે આ બારણું આપણા લીધે જ બન્યું છે.

ખામોશે અંતિમ શેરમાં માતૃત્વના ગુણગાન કર્યા છે. સુરેન ઠાકરનો એક જાણીતો શેર છે,

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી.

ઈશ્વરને કરેલી પ્રાર્થના કેટલી ફળે, એ તો ખબર નથી, પણ માને કરેલી પ્રાર્થના નિષ્ફળ જઈ જ ન શકે. એ નિષ્ફળ જાય તો ઈશ્વર પોતે વામણો પૂરવાર થાય, એને પણ કોઈ મા તો હશે જ ને!

26 ફેબ્રુઆરી 1972ના રોજ જન્મેલ આ કવિ 30 મે 2021ના રોજ મૃત્યુ નામની ખામોશીને વર્યા.

લોગઆઉટ

આથી વધારે બીજું તું શું કરી શકે?
તું શ્વાસ છે જિંદગીને છેતરી શકે!

– રમેશ પરમાર ‘ખામોશ’

પગથી ચાલે તે પ્રવાસ, હૃદયથી ચાલે તે યાત્રા

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

ચાલ ફરીએ!
આવે ક્યાં કંઈ લઈ જવા?
જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો
નિતનવા કંઈ તાલ કરીએ.

એકલા રહેવું પડી?
આ સૃષ્ટિ છે ના સાંકડી
એમાં મળી જો બે ઘડી,
ગાવા વિષે, ચ્હાવા વિશે તો
આજની ના કાલ કરીએ!
ચાલ ફરીએ!

— નિરંજન ભગત

દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓ ફરવાની મજા માણી રહ્યા હશે. કાકાસાહેબે કહ્યું હતું, “પગથી ચાલે તે પ્રવાસ, હૃદયથી ચાલે તે યાત્રા અને સમૂહમાં ચાલે તે સમાજ.” નિરંજન ભગતની એક અન્ય કવિતા છે, “હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એક્કે કામ તમારું કે મારું કરવા આવ્યો છું” પ્રવાસમાં કોઈ ઉદ્દેશ્ય હોય તે જરૂરી નથી. રાજેન્દ્ર શાહે તો ‘નિરુદ્દેશે’ સંસારભ્રમણની વાત કરી. ‘નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ, પાંશુમલિન વેશે.’ ઉદ્દેશ્ય ક્યારેક જિંદગીભર આદેશ કર્યા કરે છે કે તારે આમ કરવાનું છે. એવી કોઈ ચોકસાઈમાં શું કામ બંધાવું? જે રસ્તો જ્યાં લઈ જાય ત્યાં જાવું, પ્રેમનું એકાદ ગીત ગાવું. પ્રવાસમાં શ્વાસ ઘૂંટવો. અવનવા રસ્તે મહાલવું, નવા નવા માણસોને મળવું, તેમની સાથે ભળવું, મજાકમસ્તી કરવી, અને આ રીતે સ્મરણની થેલીને વધારે ઠાંસીને ભરવી, જેથી સમય આવ્યે તેને ખોલી શકીએ. વર્ષો પછી આવી ક્ષણોને યાદ કરીને આપણે આપણા સમયમાં સુખની થોડી પળો ઉમેરતા હોઈએ છીએ.

‘યાદ છે તળાવમાં પેલાને ધક્કો મારી દીધો હતો. હા, એને તરતાય નહોતું આવડતું, માંડમાંડ બહાર કાઢ્યો’તો’. ‘હા, હા, પછી પેલાની આંગળી કારના દરવાજામાં કચરાઈ ગઈ હતી ખબર છેને?’ ‘પેલો કેવો લપસી પડ્યો હતો!’ ‘બાપ રે, આપણી બેગ ચોરાઈ ગઈ પછી કેવી હાલત થઈ’તી? પૈસા નહીં, આઈડેન્ટી કાર્ડ નહીં, કેટલા બધા હેરાન થયા હતા...’ ‘તને તો પેલી વાંકડિયા વાળવાળી ગમી ગઈ’તી હોં!’ ‘પછી ખબર છેને પાણી પીતા પીતા હસવું આવ્યું અને મોંમાંથી પાણીનો ફુવારો પેલા કાકા ઉપર ઊડ્યો તો, કેવા ખીજાયા’તા એ નહીં?’ ‘વગર ટિકિટે તું પેલી રાઇડમાં ગયો તો અને પછી પકડાઈ ગયો’તો ત્યારે કેવી જોવા જેવી થઈ’તી!’ ‘જ્યારે જ્યારે હોટલમાં ખાવા જઈએ ત્યારે બિલ આપવાનું થાય એ જ વખતે પેલો ક્યાંક ગૂમ થઈ જતો હતો ખબર છેને?’ ‘ઓનલાઇન બુક કરાવીને પછી વોટરપાર્કમાં સમયસર પહોંચી નતા શક્યા ત્યારે પૈસા પાછા લેવા કેવો ઝઘડો થયો’તો!’ ‘ભૂલી ગયો? મંદરમાં દર્શન કરીને આવ્યા તો બૂટ ગાયબ, પછી આખો દિવસ ઉઘાડા પગે ફરવું પડ્યું’તું. માતાજીએ વગર બાધાએ બાધા રખાવી દીધી હતી!’ ‘ડુંગર ઉપર ચડતા ચડતા તરસ લાગી’તી અને ક્યાંય પાણી નતું મળતું, કેવી હાલત થઈ’તી!’ ‘પેલી આંટીનું છોકરું થોડી વાર માટે તેડ્યું અને એ તારી ઉપર પેશાબ કરી ગયું’તું, આખો દિવસ એ જ કપડાં સાથે બધે ફર્યો’તો, બાળમૂત્રની મીઠી સુગંધ સાથે, હાહાહાહ...’ ‘મોબાઇલ પાણીમાં પડી ગયો પછી તારું મોઢું કેવું થઈ ગયું’તું, અરીસામાં જોયું હોત તો ખબર પડત!’ આવી અનેક વાતો સ્મરણપોથીમાં અંકાઈ જતી હોય છે. આ જ વાતો ક્યારેક મિત્રો સાથે ક્યાંક બેઠા હોઈએ ત્યારે સુવર્ણમુદ્રા જેવી થઈ જતી હોય છે.

ભૂતકાળમાં વેઠેલાં દુઃખ વર્તમાનમાં હંમેશાં આનંદ આપતાં હોય છે. તેને યાદ કરીને માણસ સંતોષ અનુભવે છે અને કહે છે કે ભૂતકાળમાં અમે કેટકેટલો સંઘર્ષ કરેલો, તેમાંથી કઈ રીતે બહાર આવેલા, દુઃખોનો પાર નહોતો, તોય અમે મહેનત કરીને આગળ આવ્યા. આ વાત માણસને ગર્વ અને આનંદ આપે છે. પ્રવાસમાં જતી વખતે પડેલી મુશ્કેલી પણ જીવનની અમુલ્ય ક્ષણો બની જતી હોય છે.

નિરંજન ભગત ફરવાનું આહ્વાન કરે છે. નવા રસ્તે, નવા પ્રવાસીની સાથે, નિતનવા તાલની મજા માણવાનું કહે છે. એકલા પડી રહેવા કરતા આ વિશાળ સૃષ્ટિ છે, તેનો આનંદ માણીએ. દુનિયામાં અવનવાં સ્થળોની ભરમાર છે. એટલું બધું છે કે એ જોવા માટે એક જિંદગી ઓછી પડે. બે ઘડી આનંદની મળે, ગમતું ગીત ગાવા મળે, કોઈને ચાહવા મળે તો જિંદગીનો પ્રવાસ સાર્થક. આવા સારા કામમાં – ધરમના કામમાં ઢીલ શું કરવાની? જિંદગી પોતે એક પ્રવાસ છે. એક હૃદયથી બીજા હૃદય સુધી પહોંચવું એ પણ પ્રવાસનો એક પ્રકાર છે. જન્મ નામના દ્વારથી આપણે આવીએ છીએ અને મૃત્યુ ભણી જીવનભર પ્રવાસ કરતા રહીએ છીએ. વચ્ચેના ગાળામાં જેટલું માણીએ, જેટલું એન્જોય કરીએ એ જ ખરી જિંદગી. જવાહર બક્ષીએ તો અંદરના પ્રવાસને આધ્યાત્મની અનોખી ઊંચાઈએ રજૂ કર્યો છે,

દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.

જિંદગીમાં અનેક રઝળપાટો છે, આ રઝળપાટને પ્રવાસમાં ફેરવવાનો છે. ભ્રમણ એ સમગ્ર બ્રહ્માંડનો મૂળ ભાવ છે. ગેલેક્સી પોતે ઘૂમી રહી છે. સૂર્યની આસપાસ બધા ગ્રહો ગોળગોળ ભ્રમણ કરી રહ્યા છે. પૃથ્વી પોતાની ધરી પર ફરી રહી છે. સમય પણ અટક્યા વિના યુગોથી આગળ ધપી રહ્યો છે. આપણી ઉંમર પણ વધતી જ રહે છે. શ્વાચ્છોશ્વાસ પણ નિરંતર દેહનો પ્રવાસ કરે છે, જ્યારે એ પ્રવાસ અટકશે, જીવન પૂરું થઈ જશે. ગતિ એ સૃષ્ટિનો નિયમ છે. જો જીવવું હોય તો જીવ, જગત અને બ્રહ્માંડની સકળ ગતિના તાલ સાથે તાલ મિલાવતા રહેવું પડશે. ગતિહીન બનીને એક સ્થાને બેસી રહેવામાં જિંદગીને અન્યાય કરવા જેવું છે!

લોગઆઉટ

મંજિલ અનહદ દૂર પ્રવાસી,
છે ધુમ્મસનાં પૂર પ્રવાસી.

હામ ધરી લે હૈયે હો જી,
શાને તું મજબૂર પ્રવાસી !

સમજી લે કલરવની બોલી,
વન મળશે ઘેઘૂર પ્રવાસી.

તમસ ભલેને કરતું લટકા,
આતમનાં છે નૂર પ્રવાસી.

થાજે ના બેધ્યાન કદી પણ,
હો ભીતરના સૂર પ્રવાસી.

– આબિદ ભટ્ટ

તેલ કે વાટ હોય એટલું પૂરતું નથી, આગ પણ જોઈએ

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

ટોપલીમાં તેજ લઈ નીકળી પડો,
પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે.

— મનોજ ખંડેરિયા

કવિતા કઈ ઊર્જામાંથી પ્રગટે છે? એવી કઈ શક્તિ છે, જે કવિને શબ્દમાં ઓળઘોળ થવા મજબૂર કરે છે? એવું કયું અજવાળું છે જે શબ્દસાધકને કલમની કેડી પર ચાલવા માટે રસ્તો ચીંધે છે? એવો કયો અનુભવ છે, જે કવિને કાવ્યસર્જન તરફ પ્રેરે છે? આવા પ્રશ્નોના ઉત્તર વ્યક્તિએ વ્યક્તિએ અને જુદા હોવાના. કવિતા એ તો હૃદયની ઊર્જાનો અભિષેક છે. અને આ અભિષેક આંસુ વડે થાય છે. કવિતા આયખાના ઓરસિયામાં ઘૂંટાતી હોય છે. સંવેદનાની શરણાઈ ફુંકાય, હૃદયની રાગિણી છેડાય, શ્વાસમાં સૂર રેલાય, આંખમાં અમી ઊભરાય, ભીતરથી ભાવનો ઝરો ફૂટે ત્યારે આપોઆપ કવિતાનું કેસર ઘૂંટાવા લાગે.

લોગઇનમાં આપેલો મનોજ ખંડેરિયાનો શેર વાસુદેવ કૃષ્ણને ગોકુળમાં મૂકવા જાય છે તે સ્થિતિને જીવન સાથે સાંકળે છે. વાસુદેવ ટોપલીમાં કૃષ્ણ નામનું તેજ લઈને નીકળ્યા અને પાણીની વચ્ચેથી આપોઆપ રસ્તો થઈ ગયો. જિંદગીની કપરી મુશ્કેલીમાં પણ પોતાનું તેજ લઈને નીકળીશું તો વિકટ સ્થિતિમાં પણ રસ્તો મળશે જ. કાવ્યસર્જનમાં પણ કંઈક આવું જ છે. ભીતર જો પોતાનું તેજ ઝળહળતું હશે, તો આપોઆપ અંદરની ઊર્જા કલમ તરફ દોરી જશે. કાવ્યપ્રવૃતિ તેજ અને ભેજનો સમન્વય છે. ચિનુ મોદીએ લખ્યું હતું,

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
આંખના ખૂણે હજીયે ભેજ છે.

એક અગ્રેજ કવિએ કહેલું, જે સહજતાથી વૃક્ષને પાન ફૂટે, એટલી જ સહજતાથી કવિને શબ્દ ફૂટવા જોઈએ. આવી સહજતા માટે અંદરની ઊર્જા ખૂબ જરૂરી છે. કોડિયામાં તેલ કે વાટ હોય એટલું પૂરતું નથી. તેને પ્રગટાવવા માટે આગ પણ જોઈએ. અનિલ જોશીએ તો ત્યાં સુધી કહ્યું છે, “શબ્દોમાં હું એમ પ્રવેશું જેમ આગમાં સીતાજી.’

આગ નહીં હોય તો કવિતાનો બાગ આર્ટિફિશિયલ લાગશે. ઘણાં જંગલ બગીચા કરતા વધારે રળિયામણાં હોય છે. કુદરત સોળે કળાએ ખીલી હોય છે. બાગ હોય છે ખૂબ સુંદર, પણ એમાં કૃત્રિમતાની ગંધ આવતી હોય છે. ફૂલો, છોડ અને વૃક્ષોને ખીલવા ઉપર પ્રતિબંધ લાદ્યો હોય તેમ ડરતાં ડરતાં ખીલ્યાં હોય છે. શોભા વધારવા માટે વૃક્ષોને માપ મુજબ કાપી નખાયાં હોય છે. લીલોતરીના વિકાસ ઉપર જાણે પાબંદી લાદી દીધી હોય એવું ફીલ થાય. શરીર મુજબ કપડાં બનાવવાને બદલે કપડાં મુજબ શરીર કરાતું હોય એવું લાગે. ખડુસ શિક્ષકના ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓ અને મેદાનમાં મુક્તમને રમી રહેલા વિદ્યાર્થીઓ વચ્ચે જેટલો ફેર હોય તેટલો જ બગીચામાં અને જંગલમાં હોય છે.

આનો અર્થ એ નથી કે બગીચો ખરાબ છે. બગીચામાં પણ સુંદર વૃક્ષો, તળાવ, ફૂલો, પંખીઓ, કલરવ, હરિયાળી અને શાંતિ હોય છે. આપણે એને એન્જોય કરીએ છીએ. ત્યાં મજા પણ આવે છે. એની કૃત્રિમતા આપણને કઠતી નથી, કારણ કે આપણે તેનાથી ટેવાઈ ગયા છીએ. આપણે પોતે કૃત્રિમ થઈ ગયા છીએ. ત્યાં બધું જ આપણી ઇચ્છા મુજબ અને આપણને જોવું ગમે તેવી રીતે ઊભું કરેલું હોય છે, ગોઠવેલું હોય છે, ગોઠવાયેલું નથી હોતું.

જંગલ તો પોતાની રીતે ફૂલેફાલે. પંખીઓ, વૃક્ષો, હરિયાળી, ઝરણાં, કલરવ બધું જ ત્યાં સહજ અને આપોઆપ છે, કશું ગોઠવેલું નથી, જાતે ગોઠવાતું ગયું છે. કવિતાની ઊર્જા જંગલ અને બગીચા જેવી હોય છે. બગીચો ત્યાં સુધી જ સારો રહે છે, જ્યાં સુધી તેનું સમારકામ થતું રહે, સમયસર ખાતરપાણી મળતા રહે, તેનું ધ્યાન રખાતું રહે. જંગલ પોતે પોતાનામાં રમમાણ છે. તેમાં ઉજ્જડતા અને લીલોતરી સંપીને રહે છે. બરછટતા અને સુંવાળપ બંને સાથે સાથે વિકસે છે. કવિતામાં માત્ર આનંદ જ હોય એવું એ જરૂરી નથી. આઘાત પણ હોય. કવિતામાં બધું ગમી જ જાય એવું પણ ન હોય. ક્યારેક ધ્રૂસકે ધ્રૂસકે રડાવી શકે, ક્યારેક તો ‘પોકેપોકે’ હસાવે.

कहानी ख़त्म हुई और ऐसी ख़त्म हुई
कि लोग रोने लगे तालियाँ बजाते हुए

લોકો રડે છે અને રડવામાંથી આનંદ પણ મેળવે છે. આ વિચિત્ર લાગશે. પણ કવિતાની આ ખૂબી છે. નરસિંહરાવ દીવેટિયાએ લખેલું, ‘આ વાદ્યને કરુણરસ વિશેષ ભાવે.’ કવિતાની ઊર્જા તેની પીડામાં રહેલી છે. તેનાં મૂળ ઉદાસીના નીરથી સીંચાયેલાં હોય છે. કવિતા એ તો જંગલ છે. જ્યાં કવિના હૃદયમાં પાંગરતો વિચાર મુક્તમને ખીલે છે. ક્યારેક તે વિચારનું વૃક્ષ પુષ્કળ હરિયાળી પાથરે તો ક્યારેક ઉજ્જડતા ફેલાવે. પીડા અને અભાવ કવિતાની જનની છે. આનંદ અને શોકના અજવાળે કવિતાની રંગોળી પૂરાય છે. અંદર જ્વાળામુખી ફાટ્યો હોય ત્યારે તેને શબ્દના વહેણમાં વહાવી દો તો એ ઊર્જાનું રૂપાંતર સુંદર કવિતામાં થઈ જાય.

સદીઓ પહેલાં અવકાશમાં કોઈ મહાકાય પીંડ પરસ્પર અથડાયા, મહાવિસ્ફોટ થયો, એમાંથી અનંત ઊર્જા ઉત્પન્ન થઈ. વિવિધ ગ્રહો બન્યા. બ્રહ્માંડ સર્જાયું. કવિતાનું બ્રહ્માંડ પણ આવા ભીતરના વિસ્ફોટથી સર્જાય છે. ક્યારેક તેજના ફુવારે અને આનંદના ઓવારે કવિતાની પ્રાપ્તિ થાય છે, તો ક્યારેક ઉદાસીના અંધારે ને પીડાના પગથિયે બેસીને તેને આકાર મળે છે. કવિતામાં તરબતર થવા માટે શું જોઈએ તેની માટે મરીઝે સુંદર શેર લખ્યો છે.

લોગઆઉટ

હૃદયનું રક્ત, નયનનાં ઝરણ, જીવનનો નિચોડ,
ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત.

- મરીઝ

જીવી રહ્યો છું કોની તમન્ના ઉપર હજી

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ

લોગઇન

જીવી રહ્યો છું કોની તમન્ના ઉપર હજી
આપું જવાબ એવું તો ક્યાં છે જિગર હજી

ભૂલી ગયો છું એમ તો દુનિયાનાં ઘર તમામ
આવી રહ્યું છે યાદ મને એનું ઘર હજી

કેવી રીતે હું લાશ બની નીકળ્યો હતો
શોધી રહ્યો છું એની ગલીમાં કબર હજી

હું જોઉં છું તો જોઉં છું એની જ દૃષ્ટિએ
મારી નજરમાં કેમ છે એની નજર હજી

તરડે છે કેમ આયનો મારા વિચારનો
વરતાય છે આ કોના વદનની અસર હજી

ક્ષણ ક્ષણ કરીને કેટલા યુગ વીતતા રહ્યા
એ બેખબરને ક્યાં છે સમયની ખબર હજી

ગણતા રહો સિતારા તમે ઇંતેજારમાં
આદમ તમારે જાગવું છે રાતભર હજી

– શેખાદમ આબુવાલા

કવિતા જિંદગીની ઠોકરમાંથી સર્જાય છે. ઉદાસી એ કવિતાની જનની છે. આંસુ ઘણી વાર શાહીનું કામ કરે છે. હૃદયમાં લાગેલી આગ કવિતાનો બાગ સર્જી દે છે. જેમ બળેલો કોલસો વર્ષો સુધી જમીનના પેટાળમાં દબાયેલો રહીને કાળક્રમે હીરો બને છે, તેમ બળેલું હૈયું ભલે સાવ કોલસા જેવું થઈ જતું, પણ તેમાં કવિતાનું ઝરણું ફૂટે તો કોલસો હીરો થઈ શકે છે. વર્ષોની ધરબાયેલી પીડાને શબ્દોનું શરણ મળે તો ભીતરમાં ભીનાશ અનુભાવય છે. કવિતા લખવાના ઘણાં કારણો હોય છે. પ્રેમમાં મળેલી નિષ્ફળતા એક મોટું કારણ હોઈ શકે. જીવનની વ્યાધિ-ઉપાધિ અને ઝંઝાવાતો પણ નિમિત્ત બની શકે. અંદરથી ઊભો થતો આક્રોશ પણ કવિતાનાં પગથિયાં ચડવા માટે પ્રેરણારૂપ બને. ઈશ્વરભક્તિ પણ શબ્દોનો દીવો પેટાવી શકે. પણ એ બધાનો સ્થાયીભાવ ઘેરી ઉદાસી છે, પીડા છે. એક અંગ્રેજ કવિએ કહેલું, તમારે કવિતા લખવી છે? તો બતાવો તમારા ઘાવ ક્યાં છે? ઘાવ વિના કવિતાની વાવના પગથિયાં ઊતરી શકાતાં નથી. ગૌરાંગ ઠાકરે પણ લખ્યું છે, ‘તમને કવિતા તો કહેવી છે પણ, તમારા દિલમાં ક્યાંક ઉઝરડતો જોઈએ.’ હૃદયમાં ઉઝરડો હશે તો શબ્દની શરણાઈમાં અનોખું દર્દ ભળશે.

કવિ શેખાદમ આબુવાલા આવો જ દર્દભર્યો ઉઝરડો લઈ જીવતા હતા. 15 ઓક્ટોબર 1929ના રોજ અમદાવાદમાં જન્મેલા આ કવિએ જીવનનાં ઘણાં વર્ષો જર્મનીમાં વીતાવેલા. ત્યાં ‘વોઇસ ઑફ જર્મની’માં હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યું. ત્યાં જ તેમનો પરિચય ‘હની’ સાથે થયો અને તેમનું જીવન મધમીઠું થવા લાગ્યું. હની પણ શેખાદમને ભરપૂર પ્રેમ કરતી. તેમના પ્રેમને કારણે જ તે છાનામાના ગુજરાતી ભાષા શીખી. અને ‘તાજમહેલ’ પુસ્તકની રચનાઓ બાળક જેવી કાલીઘેલી ભાષામાં શેખાદમને સંભળાવી ત્યારે શેખાદમ પણ સુખદ આશ્ચર્ય પામ્યા. આ પ્રેમકથા ખૂબ જ રોમાંચક હતી. અને એટલે જ તેનો અંત પણ પ્રેમકથાઓ જેવો જ રોમાંચક આવ્યો. શેખાદમ અને હની એકબીજાને ક્યારેય પામી ના શક્યાં. હની જર્મન હતી અને તેના પિતા પ્રિસ્ટ હતા. એમને શેખાદમનું મુસ્લિમપણું નડી ગયું. તેમને હની ગુમાવવી પડી. જો કે શેખાદમના પ્રેમને લીધે હનીએ પણ આજીવન લગ્ન ન કર્યા, તે સાધ્વી બી ગઈ. શેખાદમ પણ આજીવન સંસારમાં રહીને સાધુ માફક નિર્લેપ જીવન જીવ્યા. તેમણે હનીની યાદમાં એક લાંબા નિસાસા જેવું દીર્ઘકાવ્ય લખેલું,

અપને ઈક ખ્વાબ કો દફનાકે અભી આયા હૂં,
અબ મુઝે ચૈન સે સોને દે તો અચ્છા હોગા.
મૈં બહુત જોર સે હસતા રહા દસ સાલ તક,
દો ઘડી કે લિયે રોને દે તો અચ્છા હોગા.

આ થોડી પંક્તિઓ વાંચીને શેખાદમની અંદર ઘૂંટાતી પીડા અનુભવી શકાશે. તેમની જ એક અન્ય ગઝલનો શેર પણ પ્રણયની આ જ પીડાને છતી કરે છે-

તને પામ્યા પછી પણ હું તને પામી નથી શકતો
મને આપ્યો છે કેવો જામ આ કે પી નથી શકતો.

પામ્યા પછીય ના પામી શકવાની વેદના આદમમાં આજીવન રહી. એમણે જ એક ગઝલના શેરમાં કહેલું,

જિંદગીમાં જે નથી પૂરું થતું
એ જ સમણું ખૂબ નમણું હોય છે

પૂરું ન થઈ શકે એવા નમણા શમણા સાથે તેઓ જીવ્યા. અને એમના જાતઅનુભવે જ કદાચ આ શેર લખ્યો હશે-

મુહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા;

ઘાયલ કી ગત ઘાયલ જાને. શેખાદમ પ્રેમ બાબતે ભીતરથી ખૂબ ઘાયલ હતા. જેને આજીવન ગુમાવી દીધી છે એની તમન્નામાં જીવવું તેમના માટે ઘણું પીડાદાયી હતું. એ વાત અહીં લોગઇનમાં આપેલી ગઝલના દરેક શેરમાં અનુભવી શકાશે. ‘હજી’ રદીફ દ્વારા તેમને હજી પણ હની સાથેનો ઘરોબો હૃદયમાં જરાકે ઓછો નથી થયો તે જોઈ શકાય છે.

લોગઆઉટ

દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના,
ઊંઘી શકાય ના અને જાગી શકાય ના.

એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.

- શેખાદમ આબુવાલા

સ્વર્ગમાં બધાએ જવું છે, પણ મરવું કોઈએ નથી!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

પથ્થર ઠંડોગાર છે;
એ ખરબચડો, ખૂણાળો અને કઠોર.

પણ નદીના વ્હેણમાં
એણે ગોળ થયે જ છૂટકો,
વહી જાતાં વર્ષોમાં
બીજાઓ સાથે અથડાતાં-કુટાતાં,
એવું નથી કે પથ્થરને ઉષ્માળો ન જ હોય.
તમે જો એને હૃદયને ગજવે-છાતીસરસો-રાખો તો
તે હૂંફાળો થશે જ થશે.

માત્ર એટલું જ કે એની ટાઢીબોળ જડતાને ખંખેરવા મથતાં
તમારે ધરપત રાખવી પડે.

- ફૂયુહિકા કિટાગાવા (જાપાન) અનુ. જગદીશ જોષી

જગદીશ જોષી એટલે ‘ધારો કે એક સાંજ આપણે મળ્યાં’ના કવિ. જગદીશ જોષી એટલે ‘ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરે અમે રોઈ પડ્યા’ના કવિ. ગુજરાતી ગીતકવિતામાં તેમનું કામ અનોખું છે. પ્રણય અને જીવનની વેદના-સંવેદના તેમની કવિતામાં ભારોભાર છલકાય છે. ઘણા ઓછા લોકોને ખબર છે કે જગદીશ જોષીએ વિશ્વની કેટલીક ઉત્તમ કવિતાઓના અનુવાદો પણ કર્યા છે. આજે 9મી ઓક્ટોબરે તેમની જન્મતિથિ છે. ‘આકાશ’ નામના કાવ્યસંગ્રહથી તેમણે ગુજરાતી સાહિત્યના આકાશમાં ઉડ્ડયન આરંભ્યું. ત્યાર પછી તો ‘વમળનાં વન’માં પણ પગલીઓ પાડી. આ કવિ, અનુવાદકે 21 સપ્ટેમ્બર 1978માં જીવનલીલા સંકેલી લીધી.

જગદીશ જોષીએ જે કવિની કવિતા અનુવાદિત કરી છે, તેવા કવિ ફ્યૂહિકા કિટાગાવા વીસમી સદીના જાપાનના પ્રમુખ કવિઓમાંના એક હતા. 3 જુલાઈ 1900ના રોજ જાપાનના શિગા ટાઉનમાં જન્મેલા કિટાગાવાએ 12 જૂના 1990ના રોજ જગતમાંથી વિદાય લીધી. વીસમી સદીની મોડર્ન કવિતા – ખાસ કરીને અછાંદસ કાવ્યોમાં તેમનું વિશેષ પ્રદાન રહ્યું છે. અહીં લોગઇનમાં આપવામાં આવેલી કવિતાથી તેમની કાવ્યશક્તિનો અંદાજ લગાવી શકાશે.

અહીં વાત પથ્થરની કરવામાં આવી છે, પણ તે પથ્થર પૂરતી સીમિત નથી. ખળખળ વહેતી નદીના કિનારે અનેક નાનામોટા પથ્થરો તમે જોયા હશે. કેવા સુંદર અને લિસ્સા હોય છે. ઘણા તો તેને યાદગીરી રૂપે પણ સાથે રાખી લે છે. નાના નાના પથ્થરો તો ઘસાઈને પાંચિકા થઈ ગયા હોય છે. પણ એ કાંઈ પહેલેથી આટલા લિસ્સા નહોતા. વર્ષો સુધી તેમની પર નદીનું ઠંડું પાણી વહેતું રહ્યું છે. જેમ દુઃખી દીકરાના માથે મા હાથ ફેરવે અને તેની પીડાનું તોફાન શમવા લાગે તેમ, વર્ષો સુધી આ પથ્થરના ખરબચડાપણા પર નદીએ પોતાનું ભીનું હેત વહેતું રાખ્યું છે. એ હેતના લીધે ધીમે ધીમે તેનું ખરબડતાપણું દૂર થયું. લાંબા ગાળે મોટામાં મોટો ખડગ પણ સુંદર અને લિસ્સો બની જાય છે.

આપણી આસપાસ પણ ક્યારેક આવા પથ્થર જેવાં ખરબચડા વ્યક્તિત્વો હોય છે, તેની સાથે આપણે પાણી જેવા હળવા બનવાને બદલે પોતે પણ પથ્થર જેવા જડ બની જતા હોઈએ છીએ. બે પથ્થર અથડાવાથી શું થાય એ તો આપણને બધાને ખબર છે. બંને પથ્થર તૂટે, ખરબચડાપણું વધે, અને ઘર્ષણથી તણખા ઝરે તો આગ લાગે એ જુદું. આપણે હંમેશાં એવી જ આશા રાખીએ છીએ કે સામેવાળો પાણી જેવો નિર્મળ થાય, હું પથ્થપણું નહીં મૂકું. સામેવાળો પણ એવું જ વિચારતો હોય છે. આપણે દરેકે સો ટચના હીરા જેવું ચમકદાર બનવું છે, પણ ઘસાવું કોઈએ નથી. ઘસાયા વિના તો હીરો પણ પથ્થર જ રહે છે. આ તો પેલી વાત જેવું છે, સ્વર્ગમાં બધાએ જવું છે, પણ મરવું કોઈએ નથી. બધાને એકબીજાનું ખરબચડાપણું ખૂંચે છે, પણ કોઈ એકબીજા માટે પાણી જેવા ઠંડા અને હુંફાળા બનીને વહેવાની કોશિશ નથી કરતું.

ફ્યૂહિકા કિટાગાવા, પથ્થરના પ્રતીક દ્વારા આપણા બધાની જ વાત કરે છે. ઠંડોગાર ખરબચડો અને અણિયાણો પથ્થર કાંઈ કાયમ માટે પથ્થર નહીં રહે, જો એની પરથી નદીનું વહેણ પસાર થતું રહેશે તો! એણે લિસ્સા થયે જ છૂટકો છે. પથ્થર જેવો પથ્થર પણ ઉષ્માળો હોય જ, જો એને છાતીસરસો ચાંપી રાખવામાં આવે, હૃદયના ખિસ્સામાં સાચવવામાં આવે તો એ હુંફાળો થાય જ. માત્ર એની જડતાને ખંખરવા માટે આપણે ધીરજ રાખવાની છે. શું તમે કોઈની માટે આવી ધીરજનું જળ થઈને વહી શકો છો?

જગદીશ જોષીએ કરેલી એક અન્ય અનુવાદિત કવિતા સાથે લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

અમારા સંબંધ માટે લોકોને કૌતુક છે.
લોકોનું કહેવું છે-તેઓ માને છે-કે સંબંધ સુંવાળો હશે.
હું પણ માનું છું સુંવાળો છે,
જોકે જાણવું મુશ્કેલ છે,ક્યારેય મેં એ રીતે
વિચાર્યું નથી.

કેન્ડલલાઈટમાં ડીનર
અને ફક્કડ શરાબથી
કામ ચાલે છે
પણ,
નાંગરવા વિશે, ને
મારાં મૂળિયાં ઊખડી ન જવા પામે એ વિશે
બેફિકર થવા
મારે ક્યારેક ક્યારેક
મથામણ તો કરવી જ પડે છે.

- લિન શિલ્ડર (અનુ. જગદીશ જોષી)


અમર આશાની એક પંક્તિ

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ

લોગઇન

કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે.

મણિભાઈ નભુભાઈ દ્વિવેદી

ગઈ કાલે મણિભાઈ દ્વિવેદીનો જન્મદિન હતો. તારીખ 1 ઓક્ટોબર 1898માં જન્મેલા આ સર્જકે કવિતા, નાટક, નિબંધ, સંશોધન, સંપાદન, વિવેચન એમ અનેક ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. પ્રખર વિદ્વાન. વિવેકાનંદે શિકાગોમાં જઈને હિન્દુ ધર્મનો ડંકો વગાડ્યો. પણ શિકાગોમાં જતા પહેલાં તેમણે નડિયાદમાં જઈને મણિભાઈ નભુભાઈની સલાહ લીધેલી એ વાત ઘણા ઓછા લોકો જાણતા હશે. વિવેકાનંદે તેમની સાથે હિન્દુ ધર્મ અંગે ચર્ચાવિચારણા પણ કરેલી. મણિભાઈ ખૂબ જ્ઞાની, સાહિત્ય અને ધર્મની ઊંડી સમજ. તેમના વાણીવ્યવહારમાં ભારોભાર પાંડિત્ય છલકે. તેમની આ પંડિતાઈને ધ્યાનમાં રાખીને જ રમણભાઈ નીલકંઠે તેમની પર કટાક્ષ કરતી ‘ભદ્રંભદ્ર’ નામની એક હાસ્યનવલકથા રચી. જે આજે ગુજરાતી સાહિત્યની ક્લાસિક કૃતિઓમાંની એક ગણાય છે. એ રીતે જોવા જઈએ તો મણિભાઈએ પ્રત્યક્ષ અને પરોક્ષ બધી રીતે ગુજરાતી સાહિત્યને ઘણું બધું આપ્યું છે.

ગુજરાતી ગઝલ જ્યારે પાપા પગલી ભરતી હતી, ત્યારે મણિભાઈ, કલાપી, બાલાશંકર જેવા કવિઓએ તેની આંગળી પકડી અને ભાષાના આંગણામાં ચાલતા શીખવ્યું. ગુજરાતી ગુલમહોરના રંગો તેની પર છાંટ્યા. તેના ઘાટ અને રંગરૂપમાં ગુજરાતીપણું ઉમેરવા પ્રયત્નો કર્યા. જોકે નવી નવી ઊર્દૂ-ફારસીમાંથી ઊતરી આવેલી ગઝલમાં ઉર્દૂની ભારોભાર છાંટ વર્તાતી હતી. મણિભાઈની ઉપરની પંક્તિ જ જુઓને. બીજી પંક્તિમાં એક સાથે ચારચાર ઉર્દૂ શબ્દો છે – ખફા, ખંજર, સનમ, રહમ. માત્ર એક જ પંક્તિમાં ચાર ઉર્દૂ શબ્દો એ થોડું વધારે પડતું કહેવાય. પણ જો આ આખી ગઝલ તમે વાંચશો તો તેમાં તમને પુષ્કળ ઉર્દૂ છાંટવાળા શબ્દો જોવા મળશે. પણ આવું માત્ર મણિભાઈ નભુભાઈમાં જ નથી. કલાપી, બાલાશંકરમાં પણ એ દેખાય છે. ગઝલ હજી ગુજરાતીમાં નવી હતી, એટલે એ સ્વાભાવિક હતું. અને ઉર્દૂની છાંટ છેક મરીઝ-શૂન્ય સુધી રહેલી જોવા મળે છે. ત્યાર બાદ આદિલ મન્સૂરી, ચિનુ મોદી, રાજેન્દ્ર શુક્લ, મનહર મોદી, મનોજ ખંડેરિયાવાળી આખી પેઢીએ ગઝલને સંપૂર્ણપણે ગુજરાતી બનાવવામાં ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો. મનોજ ખેડરિયાએ કહ્યું છે તેમ, ‘તારે કાજે ગઝલ મનોરંજન, મારે માટે તો પ્રાણવાયુ છે.’ આ ગઝલકારોએ પ્રાણવાયુની જેમ ગઝલને શ્વસી. તેને પાક્કી ગુજરાતી બનાવી. તેને માનમોભો અપાવ્યા. પણ તે પહેલા તેનો પાયો નાખવામાં કલાપી, બાલાશંકર અને મણિભાઈનો મોટો ફાળો છે તેમાં કોઈ બેમત નથી.

મણિભાઈ તો ‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ એ પંક્તિ માત્રથી ગુજરાતી ગઝલમાં અમર થઈ ગયા છે. તેમનું ‘કાન્તા’ નાટક વગેરે પ્રદાનો તો છે જ. કવિ એક સારી પંક્તિ રચે તો તે ભાષાના શિલાલેખમાં સુવર્ણાક્ષરે કંડારાઈ જતી હોય છે. આજે તો લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે એ વાત કહેવત જેમ વપરાય છે. ઘણાના જીવનમાં વ્યાપેલી નિરાશામાં આ પંક્તિ આશાનું અજવાળું પાથરે છે. આવી એક પંક્તિ કે એક શેર લખાઈ જાય તોય બેડો પાર થઈ જાય. આ એકાદ પંક્તિ કે શેર ક્યારેક સર્જકને અજરાઅમર કરી દે. ઓજસ પાલનપુરી પણ તેમના એક શેરને લીધે ગુજરાતી ગઝલમાં સિતારાની જેમ ચમકી રહ્યા છે-

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરીઈ ગઈ.

ભાવિન ગોપાણીએ સાવ સાચું લખ્યું છે—

પ્રસિદ્ધિ મંચની મોહતાજ છે એવું કહ્યું કોણે?
કવિને એક સારો શેર પણ ચર્ચામાં રાખે છે.

એક શેર જ શું કામ? ક્યારેક તો એક પંક્તિ પણ પૂરતી હોય છે. મણિભાઈની નભુભાઈ દ્વિવેદીની પંક્તિ તેનું ઉદાહરણ છે. તેમની આત્મકથા પણ એટલી જ બોલ્ડ. વર્ષો સુધી તે પ્રકાશિત ન થઈ શકી. એ તેની બોલ્ડનેસને લીધે જ. મણિભાઈ ધીરુભાઈ ઠાકરને પોતાની અંગત ડાયરી આપેલી, અને તેમના અવસાન પછી જ તે પ્રકાશિત કરવી તેમ જણાવેલું. પણ તે એટલી બોલ્ડ હતી કે ધીરુભાઈને પ્રકાશિત કરવામાં સંકોચ થયો. આખરે તેને એડિટ કરીને પ્રકાશિત કરાઈ. ગુજરાતી ભાષામાં આટલું ખૂલ્લું આટલી સ્પષ્ટતાથી લખ્યું હોય તેવી ભાગ્યે જ કોઈ આત્મકથા છે. પોતાની ત્રુટીઓ અને અવગુણોનો ખુલ્લેઆમ સ્વીકાર કરવા માટે બહુ મોટી હિંમત જોઈએ. મણિભાઈમાં એ હતી. અને તે તેમણે આત્મકથામાં સત્યને યથાતથ લખીને બતાવી પણ ખરી.

મણિભાઈના જ સમકાલીન બાલાશંકરના અમર શેરથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!

- બાલાશંકર કંથારિયા

જૂના પત્રો સાચવીને રાખજે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

એક રણકો ફોન ઉપર આવશે,
લૈને સંદેશો કબૂતર આવશે.

આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક,
ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે.

આંગણે આંબાને આવી કેરીઓ,
રોજના બેચાર પથ્થર આવશે.

જૂના પત્રો સાચવીને રાખજે,
એક દિ’ એનોય અવસર આવશે.

આજ હું ઊભો છું એવી સરહદે,
બંને બાજુએથી લશ્કર આવશે.

જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ,
ઝેર સૌ પીવાને શંકર આવશે.

- બાલુભાઈ પટેલ

બાલુભાઈ પટેલ, આ નામ પ્રથમ દૃષ્ટિએ જરા પણ કવિ જેવું નથી લાગતું, પણ બાલુભાઈ એક અચ્છા કવિ છે તેમાં કોઈ બેમત નથી. એક નહીં, બે નહીં પણ પાંચ-પાંચ કાવ્યસંગ્રહો તેમણે આપ્યા છે. શૂન્ય, સૈફ, ગની, મરીઝ જેવા અનેક શાયરો સાથે મુશાયરા ગજવનાર આ ગઝલકાર આજના ઘણા લોકોને અજાણ્યા લાગે. તેમની કાવ્યગલીઓમાંથી પસાર થઈએ તો જરા પણ અજાણ્યું નહીં લાગે... 25 સપ્ટેમ્બર, 1937ના રોજ જન્મેલા બાલુભાઈએ 1992માં વિદાય લીધી. પોતાના પંચાવન વર્ષના જીવનકાળ દરમિયાન તેમણે પાંચ સંગ્રહ આપ્યા. વ્યવસાયે ઈંટકપચીની ઇમારત ચણતા આ કવિ ગઝલનું ચણતર પણ બખૂબી કરી જાણતા હતા.

કબૂરતથી પહોંચતી ચિઠ્ઠીથી લઈને આજે ફોન અને મોબાઇલ સુધી પહોંચ્યા છીએ. બાલુભાઈએ આ શેર લખ્યો ત્યારે તો મોબાઇલની એમને કલ્પના પણ નહીં હોય. તેમણે કદાચ લેન્ડલાઇનને ધ્યાનમાં રાખીને લખ્યો હશે, છતાં મોબાઇલને પણ આ શેર એટલો જ લાગુ પડે છે. ફોન પર કોઈનો રણકો સંભળાવો અને કબૂતર કોઈનો સંદેશો લઈને આવે એ વિરોધાભાષ આકર્ષે છે. ઘણાને એમ થાય કો મોબાઇલ છે, પછી હવે કબૂતરની શી જરૂર, એક મેસેજ કર્યો, વાત પતી. બહુ એવું હોય તો વીડિયો કોલિંગ કરી દેવાનું. પણ બાલુભાઈએ કરેલી વાત તો જેના હૃદયમાં કબૂતર ઊડતાં હોય એ જાણે.

છ શેરમાં સમાયેલી આ ગઝલનો પ્રત્યેક શેર વાંચવો, મમળાવવો ગમે તેવો છે. સડકને વળાંક આપવો અને એ જ જગ્યાએ વિધવાનું ઘર આવવું આ વાતમાં કેટકેટલા અર્થસંદર્ભો જડી આવે છે. કદાચ વ્યક્તિએ વ્યક્તિએ એનું સંવેદન જુદું પડે. ગુજરાતીમાં કહેવત છે કે ગોળ હોય ત્યાં કીડીઓ આવે. જે ઝાડ પર વધારે ફળ હોય તેને જ પથ્થરના ઘા ખમવા પડે છે. તમારું વ્યક્તિત્વ એક આંબા જેવું હોય અને તમારી પર ભલમનસાઈની કેરીઓ આવે તો પથ્થર ખાવાની તૈયારી રાખજો. લોકો ગમે તેમ કરીને કેરીઓ પાડવા મથશે.

ભાવેશ ભટ્ટનો એક શેર છે-

ફરીથી કંઈ શરૂ કરવું છે કે પૂરું જ કરવું છે,
હવે આ ઉંમરે તું જૂના પત્રો મોકલાવે છે.

કેટલો સુંદર શેર! અને બાલુભાઈનો મિજાજ જુઓ, એ પત્ર સાચવી રાખવાનું કહે છે, જ્યારે ભાવેશ ભટ્ટ જૂના પત્રો શા માટે મોકલે છે? એવો પ્રશ્ન કરે છે. આમ જોવા જઈએ તો બંને શેરના અર્થ અને ભાવ સાવ જુદા છે, પણ બંનેને એક સાથે માણવાની મજા આવે છે. એક કવિ કહે કે ‘જૂના પત્રો સાચવીને રાખજે, એક દી એનોય અવસર આવશે.’ અને બીજા એમ કહે કે હવે વર્ષો પછી, ઢળતી ઉંમરે ક્યાં તું મને જૂના પત્રો મોકલાવે છે? અર્થાત્ બાલુભાઈએ જે સાચવીને રાખવાનું કહ્યું એ પત્રો તો આ નથીને? અને બાલુભાઈ જે અવસરની વાત કરે છે કે ‘એનોય અવસર આવશે.’ તે અવસર આ જ તો નથી ને? આ રીતે આ બંને શેરને જોડીને જોવા જેવા છે. પત્ર ઉપર તો કેટકેટલા શેર છે. હર્ષદ ચંદારાણાએ તો આખી પત્ર ગઝલ લખી છે. ગાલિબનો શેર તો કેટલો અદભુત છે,

क़ासिद के आते आते ख़त इक और लिख रखूँ
मैं जानता हूँ जो वो लिखेंगे जवाब में

રાજેન્દ્ર શુક્લએ તો એક ગઝલ પૂરતા સીમિત ન રહી, સાત ગઝલોનો ગુચ્છ કર્યો.

જત જણાવવાનું તને કે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.

રમેશ પારેખે પત્ર પર લખેનો આ સુંદર શેર જુઓ-

પત્ર લખવાનો તને, સાથે અદબ પણ રાખવી,
યાને મસ્તક પેશ કરવાનું સજાવી થાળમાં.

બાલુભાઈના એક શેર પરથી આપણે બીજા અનેક કવિઓ સુધી પહોંચી ગયા. જોકે પત્ર પર લખાયેલી કવિતાઓ વિશે તો અલગથી અભ્યાસ થઈ શકે. આ એક લેખમાં તો શું સમાવી શકાય. આ વિષય પર એક સુંદર પુસ્તક થઈ શકે. પત્ર વિશે બાત નીકલેગી તો બહોત દૂર તલક જાયેગી. પણ અહીં જગ્યાની મર્યાદા હોવાથી અટકીએ. બાલુભાઈની ગઝલના આગળના શેર વાચકોના આસ્વાદ માટે છોડીએ. આજે બાલુભાઈનો જન્મદિવસ છે, તો તેમની જ આ ગઝલથી તેમને વંદન કરીએ.

લોગઆઉટ

ચાલ મળીએ કોઈ પણ કારણ વિના,
રાખીએ સંબંધ કંઈ સગપણ વિના.

એકબીજાને સમજીએ આપણે,
કોઈ પણ સંકોચ કે મુંઝવણ વિના.

કોઈને પણ ક્યાં મળી છે મંઝિલો,
કોઈ પણ અવરોધ કે અડચણ વિના.

આપ તો સમજીને કંઈ બોલ્યાં નહીં,
મેં જ બસ બોલ્યા કર્યું, સમજણ વિના.

– બાલુભાઈ પટેલ

‘બરબાદ' નામથી સાહિત્યને આબાદ કરનાર કવિ

 લોગઇન

દિલને નથી કરા૨ તમારા ગયા પછી,
નયને છે અશ્રુધાર તમારા ગયા પછી.

ચાલ્યા ગયા તમે તો બધી રોનકો ગઈ,
રડતી રહી બહાર તમારા ગયા પછી.

મસ્તી નથી–ઉમંગ નથી–કો’ ખુશી નથી,
ઉતરી ગયો ખુમાર તમારા ગયા પછી.

જ્વાળા મને જુદાઈની ક્યાં-ક્યાં લઈ ગઈ?
ભટકું છું દ્વારે દ્વાર તમારા ગયા પછી.

બરબાદ’ રાતો વીતે છે પડખાં ફરી ફરી,
પડતી નથી સવાર, તમારા ગયા પછી.

બરબાદ જૂનાગઢી

ઉસ્માન બલોચ નામનો એક માણસ. રેકડી લઈને ઘેરઘેર ફરીને ભંગાર એકઠો કરે. એને વેચીને ગુજરાન ચલાવે. નાનકડી ઓરડીમાં જ એનું ઠામઠેકાણું. બધા પ્રેમથી તેમને ઓસુભાઈ કહીને બોલાવે. એક દિવસ તેને અજમેર જઈને ખ્વાજા ગરીબનવાઝની દરગાહ પર માથું ટેકવવાની ઇચ્છા થઇ. ખિસ્સામાં ભાડાના પૈસા પણ નહીં. તેણે બાધા રાખી. જ્યાં સુધી અજમેર જઈને ખ્વાજાસાહેબની જિયારત ન કરે ત્યાં સુધી પગરખાં નહીં પહેરે. ઉનાળાના આકરા તાપમાં તપીને અંગારા જેવા થઈ ગયેલા રોડ પર પણ ઊઘાડા પગે ચાલીને એ માણસ ભંગાર ઉઘરાવતો. કેટલાક સહૃદયી માણસોએ તેમની બાધા વિશે સાંભળ્યું. તેમને થયું કે આવા આકરા તાપમાં ઉઘાડા પગે ફરીને કામ કરે તેની કરતા આપણે તેને પૈસા આપીએ, તો તે અજમેર જઈ આવે. એક માણસે પૈસા ઉઘરાવીને આપવા કહ્યું તો તેણે ખુદ્દારીથી જવાબ આપ્યો, “એમ બીજાના કે મફતના પૈસે જવું હોત તો વર્ષો પહેલાં જઈ આવ્યો હોત.”

આ ઉસ્માન બલોચ એટલે બીજું કોઈ નહીં કવિ બરબાદ જૂનાગઢી. તેમની માનતાની વાત અહીં પતતી નથી. એક દિવસ એક મુશાયરામાં તેમને નિમંત્રણ મળ્યું. તેમની અદ્ભુત રજૂઆતથી મુશાયરો લૂંટી લીધો. ઇનામરૂપે ત્રણસો રૂપિયા પુરસ્કાર પણ મળ્યો, એક મિત્રે કહ્યું, તારી બાધા ફળી, તું તો આરામથી જઈ શકીશ અજમેર, ન જાણે અમારા જેવા બદનસીબો ક્યારે જઈ શકશે? બરબાદે કહ્યું, “એમાં દુઃખી શું થાય છે, તુંય આવી જા.” “પણ આટલા પૈસામાં બે જણા કઈ રીતે?” પેલાએ પ્રશ્ન પૂછ્યો તો તરત કવિએ જવાબ આપ્યો, “બધી વ્યવસ્થા મેં કરી રાખી છે.” જવાની તારીખ નક્કી થઈ ગઈ. ટિકિટ લેવાઈ ગઈ. પેલો માણસ પણ સમયસર રેલવેસ્ટેશને આવી ગયો. બરોબર ટ્રેન ઉપડવાનો સમય થયો તો બરબાદ કહે, “તમે આ પાકિટ રાખો હું થોડી વારમાં આવ્યો.” એ ગયા ને તરત ટ્રેન ઉપડી. પેલો માણસ શોધતો રહ્યો પણ કવિ આવ્યા નહીં. તેણે પાકિટ ખોલીને જોયું તો એમાં એક જ ટિકિટ હતી અને અજમેર જઈને આવી શકાય તેટલા રૂપિયા! જેને માટે વર્ષો સુધી આકરા તાપમાં રઝળ્યા, તે કામ કરવાની તક મળી બીજાને મોકલી દીધા. આ કવિની દિલેરી. જોકે આ પ્રસંગથી તેમને તો જૂનાગઢમાં જ અજમેરની દરગાહ પર માથું ટેકવાઈ ગયું હતું. આવી દિલેરી અને દિલદારી ધરાવતા વ્યક્તિત્વો પાસે તો ખુદ ખુદા આવતો હોય છે. ખુદાની નેકી તેમના હૃદયમાં રહેતી હોય છે.

કવિ ખલીલ ધનતેજવીએ આ પ્રસંગ અનેકવાર કહેલો. તખલ્લુસ ‘બરબાદ’ પણ હૃદયથી આબાદ. આર્થિક સ્થિતિ જોતા તેમનું તખલ્લુસ જ એમના જીવનનું ખરું દર્પણ બની રહ્યું. રેકડીમાં ઘેર ઘેર ફરીને ભંગાર એકઠો કરતો આ બરબાદ કવિ ઘસાઈને ઉજળા થવાની એકે તક જતી નહોતો કરતો. તેનું હૃદય સોના જેવું હતું. આર્થિક રીતે દરીદ્ર પણ મુશાયરામાં હંમેશાં સફેદ અને સ્વચ્છ કપડાં પહેરીને આવે. તરન્નુમમાં રજૂઆત કરીને ભરપૂર દાદ મેળવે. શૂન્યથી લઈને ઘાયલ સુધીના અનેક કવિઓ તેમની ગઝલ અને રજૂઆતના કાયલ. તેમનો એકમાત્ર ગઝલસંગ્રહ ‘કણસ’. તે પણ તેમના મિત્રવર્તુળે મળીને પ્રકાશિત કરી આપેલો. ઘણા સમયથી અપ્રાપ્ય હતો, પણ જૂનાગઢની રૂપાયતન સંસ્થાએ તેને ફરી પ્રગટ કર્યો છે.

જૂનાગઢ તો કવિતાની ધરોહર છે. ગુજરાતનો પહેલો આદ્યકવિ નરસિંહ મહેતા જૂનાગઢની તળેટીમાં જ પાંગરેલું પુષ્પ છે. રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, વીરુ પુરોહિત, ઉર્વિશ વસાવડા, મિલિંદ ગઢવી, ભાવેશ પાઠક જેવા અનેક જૂનાગઢી કવિઓએ ગુજરાતી સાહિત્યને ગિરનાર જેવી ઊંચાઈ આપવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. બરબાદ જૂનાગઢી તેમાંના એક. અહીં લોગઇનમાં આપેલી ગઝલમાં તમને બરબાદનો પરિચય મળી રહેશે. કવિ સાથે મોટે ભાગે ગરીબાઈ વણાયેલી છે. આર્થિક રીતે ભલે દરિદ્ર હોય, પણ કવિતામાં અમીર હોય છે. પોતે ઘસાઈને પણ કવિતાને ઊજળી કરવામાં તે જરાકે કસર નહીં રાખે. અને ખુમારી તો એ એવી કે રાજાને પણ શરમાવે. મરીઝથી લઈને બરબાદ જૂનાગઢી સુધીના કવિઓનું આનું જીવતું ઉદાહરણ છે.

લોગઆઉટ

કદમને મૂકજે બહુ સાચવીને તું બગીચામાં,
નહિતર કંટકો કોમળ બનીને છેતરી જાશે.

'બરબાદ' જૂનાગઢી

શુભ દીપાવલી

 લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

– અનિલ ચાવડા


હાસ્યના બાદશાહ જ્યોતીન્દ્ર દવેનો ‘આત્મપરિચય’

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

 લોગઇન

પૃથ્વીયે ખેંચતી જેને બહુ જોર થકી નહિ–
ભારહિણું મને એવું ઈશે શરીર આપિયું,
રોગ ને સ્વાસ્થ્યની નિત્યે રણભૂમિ બની રહ્યું
એવું શરીર મારું, દવાઓથી ઘડાયેલું!

સોટી ને શિક્ષકો કેરા શાળા માંહે સમાગમે
વિદ્યા ને વેદના બે મેં એક સાથે જ મેળવ્યાં.
મન કેળવવા માટે દેહ વિદ્યાલયે પૂર્યો,
મન કિન્તુ રહ્યું ના ત્યાં, બ્રહ્માંડો ભટકી વળ્યું!
વિદ્યાને પામવા પહેલાં, અર્થનો વ્યય મેં કર્યો,
પછીથી અર્થને કાજે વિદ્યાવિક્રય આદર્યો.
ઘરમાં હોય ના કાંઈ, ક્ષુધા ત્યારે સતાવતી,
ભર્યું ભાણું નિહાળીને ભૂખ મારી મરી જતી.
વૃત્તિ મારી સદા એવી, હોય તે ના ચહે કદી,
હોય ના તે સદા માગે, મળ્યે માંગ્યુંય ના ગમે!

– જ્યોતીન્દ્ર દવે

જ્યોતીન્દ્ર દવેનો પરિચય આપતા ઉમાશંકર જોશીએ એક સભામાં કહ્યું હતું, “જ્યોતીન્દ્ર હવે હાસ્યનો પર્યાય બની ગયા છે, ‘મને હસવું આવે છે’ એમ કહેવાને બદલે ‘મને જ્યોતીન્દ્ર આવે છે’ એમ કહેવું જોઈએ.” હાસ્યના પર્યાય જેવા આ સર્જકથી વાચકો અને વિવેચકો બંને પ્રસન્ન રહ્યા. મોટે ભાગે લેખક વાચકોને રાજી રાખવા જાય તો વિવેચક નારાજ થાય અને વિવેચકને ખુશ કરવા જાય તો વાચકો દૂર ભાગે. આવી સ્થિતિમાં પણ જ્યોતીન્દ્ર દવેએ પોતાની રમૂજથી બંનેને બરોબર પકડી રાખ્યા હતા. ચિનુભાઈ પટવા નામે એક લેખક થઈ ગયા. તેમણે જ્યોતીન્દ્ર દવે વિશે લખ્યું હતું કે, “ગુજરાતી સાહિત્યમાં એમની કક્ષા એટલી ઊંચી છે કે એમના પછી નંબર નાખવાના હોય તો વચમાં નવ આંકડા ખાલી મૂકીને અગિયારમા નામથી હાસ્યલેખકની ગણતરી કરવી પડે.”

તેમણે ‘ખોટી બે આની’માંથી પણ રમૂજનો સાચો રૂપિયો નિપજાવ્યો હતો. અનેક લોકોને આનંદથી ‘રેતીની રોટલી’ ખવડાવી અને લોકોએ હોંશેહોંશે આ ‘રેતીની રોટલી’ ખાધી પણ ખરી. ‘રંગતરંગ’થી લોકોને ઉમંગ ચડાવ્યો, તો વળી ‘પાનનાં બીડાં’થી તેમના હોઠ લાલ પણ રાખ્યા. ‘નજરઃ લાંબી અને ટૂંકી’ કરીને તેમણે ‘રોગ, યોગ અને પ્રયોગ’ દ્વારા ગુજરાતને સતત હસતું રાખ્યું. આવા પ્રખર હાસ્યકારે કવિતાઓ પણ લખી છે એ વાત બહુ ઓછા લોકો જાણતા હશે. તેમણે તો નરસિંહ મહેતા, ન્હાનાલાલ, કલાપી, બ.ક.ઠા. જેવા કવિઓની કવિતાની પેરોડી પણ કરેલી.

વર્ષ 1941માં રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતી વખતે તેમણે પોતાનો ‘આત્મપરિચય’ કવિતા દ્વારા આપ્યો. અને એમાં પોતે જ પોતાની ઠેકડી ઉડાડી. અનુષ્ટુપ, ઉપજાતિ અને શાર્દૂલ એમ ત્રણ છંદોમાં એક દીર્ઘ હાસ્યકવિતા લખીને તેમણે કમાલ કરી. આ કવિતા લાંબી છે, અહીં લોગઇનમાં આખી સમાવી શકાઈ નથી. તેથી લોગઆઉટમાં તેના અમુક અંશો મૂક્યા છે, જેથી રસ પડે તે આખી કવિતા મેળવીને વાંચી શકે.

જ્યોતીન્દ્ર દવે શરીરે એકદમ પાતળા, વળી રોગોનું ઘર. પોતાના દાંતણ-શા શરીર વિશે તે કહેતા, “ચોમાસામાં હું કોઈ દિવસ છત્રી લઈને બહાર નીકળતો નથી. કેમકે મને વરસાદમાં પલળવાનો ભય નથી. હું એટલો બધો પાતળો છું કે વરસાદના બે ટીંપાંની વચ્ચેથી કોરોધાકોર પસાર થઈ જાઉં છું.” તેમની બીમારી વિશે વિનોદ ભટ્ટ નોંધે છે કે, ‘આપણે જેમ વચ્ચે વચ્ચે બીમાર પડી જઈએ તેમ તેઓ વચ્ચે વચ્ચે સાજા થઈ જતા. કેમ કે તે મોટેભાગે બીમાર જ હોય.’ એક વખત તે જ્યોતીન્દ્ર દવેના સમાચાર પૂછવા ગયા. તેમને જોયા એટલે જ્યોતીન્દ્ર દવે ઊભા થઈને શર્ટ ઉપર કોટ પહેરવા લાગ્યા. આથી વિનોદ ભટ્ટે સંકોચવશ પૂછ્યું, “આપ ક્યાંય બહાર જાવ છો? માફ કરજો હું ખોટા સમયે આવી ચડ્યો.” “ના, આ તો તમે મને બરોબર જોઈ શકો એટલે કોટ પહેરી લીધો.” કહીને જ્યોતીન્દ્ર દવે હસી પડ્યા.

શેખાદમ આબુવાલાએ એક દિવસે તેમને ઉંમર પૂછી, જ્યોતીન્દ્ર દવે કહે, “સિત્યોતેર.” “ઉંમરના પ્રમાણમાં તમારું શરીર સારું કહેવાય.” શેખાદમ બોલ્યા. જ્યોતીન્દ્ર દવેએ સુધાર્યું, “ખરું જોતા તો મારા શરીરના પ્રમાણમાં ઉંમર સારી ગણાય. આવા શરીર સાથે આટલી ઉંમરે પહોંચી શક્યો છું.”

દૈનિક વ્યવહારમાં, લેખોમાં તો તેમણે પોતાના પાતળા દેહની ઠેકડી ઊડાડી જ છે, કવિતામાં પણ તેમણે એ તક જતી કરી નથી. તેમની રોગોના ઘર સમી દાંતણ જેવી કાયાને જોઈને દુશ્મનો આનંદ પામે, વૈદ્યો ઇલાજ કરીને ધન પામે, સગાંસંબંધીઓ રોગિષ્ઠ શરીર જોઈને ચિંતા પામે અને લેખક પોતે પીડા! સોટી અને શિક્ષકના સમાગમથી વિદ્યા અને વેદના બેય એક સાથે મેળવ્યા. શરીર વિદ્યાલયમાં રહ્યું, પણ મન તો બ્રહ્માંડમાં ઘૂમતું રહ્યું. વિદ્યાને પામવા પહેલા પૈસા ખર્ચ્યા અને પછી પૈસા પામવા વિદ્યા ખર્ચી. આવી નાની નાની હાસ્યરસિક વાતોમાં પણ દરેક માણસના જીવનનું તથ્ય પડ્યું હોય તેવું લાગે છે. આજે તેમની પુણ્યતિથિ છે. આજના દિવસે તેમને તેમને યાદ કરીને શોકમય મોં બનાવ્યા કરતા, તેમનો એકાદ સારો લેખ વાંચીને હસી લઈએ. અહીં લોગઇન-લોગઆઉટમાં નોંધવામાં આવેલી તેમની કવિતાના અંશો જ વાંચી લોને.

લોગઆઉટ

કર્યું હતું એક જ વેળ જીવને
અપૂર્વ નૃત્ય વિના પ્રયાસે.
હું એકદા માર્ગ પરે નિરાંતે,
ઉઘાડપાદે ફરતો હતો ત્યાં
અર્ધી બળેલી બીડી કોક મૂ્ર્ખે
ફેંકી હતી તે પર પાદ મૂક્યો.
અને પછી નૃત્ય કરી ઊઠ્યો જે,
તેવું હજી નૃત્ય કર્યું ન કોઈએ!

- જ્યોતીન્દ્ર હ. દવે

ડગમગતો પગ રાખ તું સ્થિર

લોગઇન

પ્રેમલ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ!…

દૂર પડ્યો નિજ ધામથી હું,
ને ઘેરે ઘન અંધાર;
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,
નિજ શિશુને સંભાળ…

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ, થાય,
મારે એક ડગલું બસ, થાય…

— નરસિંહરાવ દીવેટિયા­­

નરસિંહરાવ એટલે ગુજરાતી ભાષામાં પોતાના સર્જનનું ‘મંગલ મંદિર’ ખોલનાર કવિ. ‘જ્ઞાનબાલ’, ‘નરકેસરી’, ‘મુસાફર’, ‘પથિક’, ‘દૂરબીન’, ‘શંભુનાથ’, ‘વનવિહારી’ જેવાં વિવિધ ઉપનામોથી સતત લખતા રહેનાર શબ્દસેવી. કવિતા, વિવેચન, ભાષાશાસ્ત્ર અને નિબંધ ક્ષેત્રે પ્રવૃત્ત રહેનાર આ સર્જકનો જન્મ 3 સપ્ટેમ્બર 1859માં અમદાવાદમાં એ વખતના જાણીતા સમાજ સુધારક ભોળાનાથ દીવેટિયાને ત્યાં થયો હતો. નર્મદે અર્વાચીન યુગનો ‘ડાંડિયો’ લઈને પડઘમ વગાડ્યા અને ઉર્મિકાવ્યોનો પ્રારંભ કર્યો ત્યાર પછી એ સમયગાળામાં ઉર્મિકાવ્યોમાં મહત્ત્વનું કામ કરનાર કોઈ હોય તો એ નરસિંહરાવ દીવેટિયા છે. તેમના શબ્દનો દીવો આજે પણ અજવાળું પાથરી રહ્યો છે. ગુજરાતની ભાગ્યે જ કોઈ એવી સ્કૂલ હશે કે જ્યાં તેમનું કાવ્ય, ‘મંગલ મંદિર ખોલો દયામય...’ પ્રાર્થના તરીકે ન ગવાતું હોય. ‘કુસુમમાળા’, ‘હૃદયવીણા’, ‘નુપુરઝંકાર’ જેવા કાવ્યસંગ્રહોમાં તેમના હૃદયની ઉર્મિઓ છલકાય છે. તેમની એક ખૂબ જ જાણીતી પંક્તિ છે, ‘આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે’. આ પંક્તિ તો ગુજરાતી કરુણપ્રશસ્તિમાં શિખરે બેસે તેવી છે. આ પંક્તિની જેમ જ નરસિંહરાવનું જીવન પણ છેલ્લા દિવસોમાં કરૂણગાન જેવું હતું. પત્ની અને પુત્રના અવસાનથી તેઓ પડી ભાગ્યાં હતા. માણસ સંપત્તિ ગુમાવે, માનમોભો કે પ્રતિષ્ઠા ગુમાવે તેની કરતા વધારે આકરું પોતાનાં સ્વજનોને ગુમાવવાનું હોય છે. પુત્ર નલીનકાન્તના અકાળે અવસાન થયા પછી તેમનું હૃદય ખૂબ વલોવાયું અને એમાંથી જ ‘સ્મરણસંહિતા’ રચાયું.

ગાંધીજીએ કહ્યું હતું કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. નરસિંહરાવ દીવેટિયાની અમુક કવિતાઓમાં પ્રાર્થનાભાવ સવિશેષણે જોવા મળે છે. આપણે હમણા જ વાત કરી, મંગળ મંદિર ખોલો દયામય... કવિતાની. એવો જ ભાવ આ કવિતામાં પણ છે. જીવનના માર્ગમાં ખૂબ અંધાર છે. જિંદગીનો માર્ગ ઘણો દુવિધાભર્યો છે. આવી સ્થિતિમાં પોતાના માર્ગને અજવાળવા કવિ પ્રાર્થના કરે છે.

જીનના આકાશમાં વાદળો ઘેરાય છે, કશું સૂઝતું નથી. કાવ્યનાયક કહે છે હું તો એક નાના બાળક જેવો છું, ક્યાં જઈશ? નાનો શિશુ માર્ગ ભૂલી જાય, અંધકારમાં અટવાઈ જાય એમ હું અટવાઈ ગયો છું. બેફામે લખ્યું હતું ને, ‘ઘોર અંધાર છે આખી અવનિ ઉપર’ અહીં કવિના જીવનમાં ઘોર અંધાર છે. જો પ્રભુની કૃપા થાય તો અંધાર દૂર થાય, અજવાશના અમીદર્શન થાય. કવિ પ્રાર્થના કરે છે કે મારા ડગમગતા પગલાંને પ્રભુ તું સ્થિર રાખજે, ભલે મને દૂર દૂર સુધીનું સ્પષ્ટ ન દેખાય, માત્ર એકાદ જગલા જેટલું દૂરનું દેખાય તોય ઘણું છે, એક એક ડગલે પહોંચી જઈશ. આ પંક્તિઓ પરથી તો એક વાર્તા યાદ આવી જાય.

એક ખેડૂતને બે દીકરા. એક મોટો શહેરમાં ભણતો અને નાનો સાથે ખેતી કરતો. અચાનક એક દિવસ પત્ર આવ્યો. સાંજે ખેતરેથી આવીને નાના દીકરાએ વાંચ્યો અને પિતાને કહ્યું કે શહેરમાં મારો ભાઈ ખૂબ માંદો પડી ગયો છે, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તાત્કાલિક બોલાવ્યા છે. પિતા પરિસ્થિતિની ગંભીરતા પામી ગયા અને એ જ ક્ષણે જવાનું નક્કી કરી નાખ્યું. રાત પડી ગઈ હતી. ચારે બાજુ અંધારું પથરાઈ ગયું હતું. એક હાથને બીજો હાથ ન સૂઝે એવું કાળુંધબ બધું હતું. આવા અંધારમાં દસેક માઇલ દૂરના શહેરમાં જવું કઈ રીતે? ખેડૂતે નાના દીકરાને ફાનસ પેટાવી આપ્યું અને કહ્યું આ ફાનસના અજવાળે તું પહોંચી જા અમે તારી પાછળ જ આવીએ છીએ. દીકરો મુંઝાયો. તેણે પોતાની મૂંઝવણ પિતાને કહી, તેણે પિતાને કહ્યું, 'આ ફાનસનો પ્રકાશ તો ત્રણ-ચાર ડગલાં સુધી પણ પહોંચતો નથી. કઈ રીતે દસ માઈલ સુધી ચાલી શકીશ?’

પિતાએ કહ્યું, 'કેવી વિચિત્ર વાત કરે છે તું? એક ડગલા સુધી પ્રકાશ પડતો હોય તો પણ આખા જગતની પરિક્રમા કરી શકાય, તું એક ડગલું આગળ ચાલીશ એટલે આપોઆપ બીજું એક ડગલું પ્રકાશ આગળ વધશે. તારે તો માત્ર બે ડગલા જેટલું દેખાય એટલે બહુ થયું.’ પુત્ર તરત સમજી ગયો.

નરસિંહરાવ પણ આવાં બે પગલાં અજવાળાંની અપેક્ષા રાખે છે. આ મૂળ કવિતા થોડી લાંબી છે, આખી અહીં મૂકવા જઈએ તો આખી કોલમ એમાં જ પતી જાય. તેથી તેની શરૂઆતની થોડી પંક્તિઓ અહીં સમાવી છે, નરસિંહરાવ વિશે વાત કરવાનું કારણ એ જ કે આજે તેમની જન્મતિથિ છે. તેમની જન્મતિથિએ તેમને વંદન અને અંતે તેમની જ સુપ્રસિદ્ધ રચનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

મંગલ મંદિર ખોલો
દયામય! મંગલ મંદિર ખોલો!

જીવન વન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઉભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લો, લો,
દયામય! મંગલ મંદિર ખોલો!

નામ મધુર તવ રટ્યો નિરંતર
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો આ બાલક,
પ્રેમ અમીરસ ઢોળો,
દયામય! મંગલ મંદિર ખોલો!

— નરસિંહરાવ દીવેટિયા

પાકિસ્તાનની શાયરા પરવિન શાકિરનો કૃષ્ણપ્રેમ

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇન

યે હવા કૈસૈ ઉડા લે ગઈ આંચલ મેરા,
યૂં સતાને કી આદત તો મેરે ઘનશ્યામ કી થી.

— પરવિન શાકિર

કૃષ્ણ સદીઓથી સર્જકોને આકર્ષતા રહ્યા છે. આ એક જ દેવ એવો છે જે માખણ ચોરે કરે છે અને ચિત્ત પણ. એ વાંસળી વગાડે છે અને જરૂર પડે તો સુદર્શન પણ ચલાવી જાણે છે. એ ગાય ચરાવે છે ને ભગવદગીતા પણ સંભળાવે છે. એ ગોવર્ધન ઊંચકે છે અને ગોવાળો સાથે દડે પણ રમે છે. એ સર્જન કરે છે અને સંહાર પણ ખરે છે. કૃષ્ણ જેટલું વૈવિધ્ય ભાગ્યે જ કોઈ દેવમાં જોવા મળે છે. એનું બાળપણ જુઓ. કેટકેટલી રમતો છે, મસ્તી, તોફાનો, ટીખળો છે. કવિઓએ તો એના બાળપણને મન ભરીને ગાયું છે. નરસિંહ-મીરાં જેવા ભક્તકવિઓએ તેમના બાળપણાના કિસ્સાઓને તેમના મિત્ર બનીને, ગોપી બનીને કવિતામાં પરોવ્યો છે. કૃષ્ણ એવું વ્યક્તિત્વ કે કોઈ પુરુષને પણ તેની સાથે ગોપી થઈ જવાનું મન થાય. તમે ભગવાન શિવને જુઓ, તો તમને ભક્તિભાવ જાગશે, આદર આવશે, તમે નમી પણ પડશો. પણ તમને પાર્વતી થવાનું મન નહીં થાય. તમે રામને પૂજો. રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન ગાવ. રામાયણ સાંભળો, પણ તમે સીતા થઈ જાવ એવું નહીં બને. બ્રહ્માને પૂજો તોય તમને સરસ્વતી થવાની ઇચ્છા નહીં થાય. હા, તમે એવું જરૂર ઇચ્છશો કે સરસ્વતીની કૃપા થાય અને તમે ખૂબ જ્ઞાની થાવ. તમે લક્ષ્મીની કામના પણ કરશો. પણ કોઈ દેવની પૂજા કરો અને તમને એની પ્રેમિકા થઈ જવાની ઇચ્છા થાય એવો દેવ તો માત્ર એક જ છે – કૃષ્ણ.

એનું કારણ છે, એમનામાં રહેલા તમામ ગુણો માનવસહજ છે. વધારે પડતા માનવીય છે. એ કાંકરા મારીને ગોપીઓની મટકીઓ તોડી નાખે છે. ગોપીઓ નાહવા જાય તો તેના વસ્ત્રો લઈને સંતાઈ જાય છે. કોકના ઘરમાં જઈને માખણની ચોરી કરી આવે છે. જશોદાના ઘરે અવારનવાર તેના નામની ફરિયાદો આવે છે, આ તમારા કાનાએ મારી ગાય દોહી લીધી. મારું માખણ ખાઈ ગયો. આજના સમયમાં કોઈ તળાવે નહાતી છોકરીઓના કપડાં સંતાડી જુઓ. એવા ટીપાશો કે જિંદગીભર કપડાં પહેરવાં જેવા નહીં રહો. પાણીની મટકી ભરીને લાવતી છોકરીને કાંકરા મારવાનું સાહસ કરી જુઓ, મટુડી ફૂટે એ પહેલાં તમારા હાથપગ ના તૂટે તો કહેજો. આજના સમયમાં મટુકી લઈને સરોવરે પાણી ભરવા જતી નારી જ ક્યાં જોવા મળે છે. કૃષ્ણનો સમય જુદો હતો. કૃષ્ણનું વ્યક્તિત્વ જુદું હતું. એ માયામાં હતા, પણ મોહમાં નહોતા. એ કામમાં હતા, પણ કામી નહોતા. એ સંસારમાં હતા, પણ સંસારસેવી નહોતા. એ તો સૌંદર્યનો ઉત્સવ કરનાર દેવ હતા. તેના નખરા પણ બધાને વહાલા લાગે. મીરાં એમને એમ જ નહીં રીઝાઈ હોય કૃષ્ણ પર. નરસિંહે જિંદગી ન્યોછાવર સાવ અમસ્તી નહીં કરી હોય. ભારતભરમાં મધ્યકાલીન સમયમાં કેટકેટલા ભક્તોએ કૃષ્ણને ગાયા. આજ પણ કવિઓ તેમનાં કાવ્યો રચતા થાકતા જ નથી. પ્રેમમાં થાક થોડો હોય? પરવીન શાકિર જેવી ઉમદા શાયર, મુસ્લિમ હોવા છતાં કૃષ્ણ વિશે આટલાં સરસ કાવ્યો લખે તેમાં કોઈ નવાઈ નથી. માત્ર પરવીન જ કેમ, અનેક મુસ્લિમ શાયરોએ કૃષ્ણ વિશે લખ્યું છે. કવિ રસખાન (સૈયદ ઈબ્રાહિમ) (૧૫૪૮-૧૬૨૮), સૈયદ મુર્તુઝા (૧૫૯૦-૧૬૫૨), ચાંદ કાજી (૧૬-૧૭મી સદી), અકબરના દરબારના નવ રત્નોમાંના એક અબ્દુલ રહીમ ખાન-એ-ખાના (૧૫૫૬-૧૬૨૭), ઉઝીર બેગ(૧૮૬૯), મિયાં નાઝીર અકબરાબાદી (૧૭૩૫-૧૮૩૦), મૌલાના હઝરત મોહાની (૧૮૭૮-૧૯૫૧) અને બીજા અનેક મુસ્લિમ અને સૂફી કવિઓએ શ્રીકૃષ્ણનું કવિતા દ્વારા ગાન કર્યું છે. કૃષ્ણના સહજ રંગો જ એવા છે કે એ દરેકને પોતાનો મિત્ર, પ્રેમી, માર્ગદર્શક લાગે છે. પછી પરવિન શાકિર જેવી દિવાની શાયરા કૃષ્ણને કવિતામાં કેમ ન ચાહે. પ્રેમ ધર્મ ક્યાં જુએ છે, પ્રેમ તો મર્મ જુએ છે. અને પરવિન શાકિર તો મર્મી શાયરા હતી. પાકિસ્તાન જેવા કટ્ટર મુસ્લિમ દેશમાં રહીને કૃષ્ણપ્રેમ કવિતામાં જાહેર મંચ પરથી દર્શાવવો એ નાનીસૂની વાત નહોતી. જ્યાં મહિલાઓને જ અનેક બંધનોનો સામનો કરવો પડતો હોય, ત્યાં આવી કવિતા લખવી એ મોટું સાહસ છે. આ સાહસ કરનાર શાયરા પરવિન શાકિર પોતાના સમયથી ઘણી આગળ જીવતી હતી. એવું કહેવાય છે કે પરવિન કવિતા લખતી અને કવિતા જેવું જ જીવતી. તેની કવિતામાં વિદ્રોહનો અને પ્રણયનો સૂર સરખેભાગે ઘૂંટાય છે. કદાચ એટલા માટે જ બશીર બદ્રએ તેને ‘પૂરી ઔરત કી પહલી ગઝલ’ કહીને ઓળખાવી.

લોગઆઉટ

મૈં સચ કહૂંગી મગર ફિર ભી હાર જાઉંગી,
વો જૂઠ બોલેગા ઔર લાજવાબ કર દેગા.

– પરવિન શાકિર

ન રસ્તાની, ન દુનિયાની કશાની નોંધ ના લીધી

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇન

ન રસ્તાની, ન દુનિયાની, કશાની નોંધ ના લીધી,
અમે નીકળ્યા ઘરેથી તો હવાની નોંધ ના લીધી.

અમારા હાથ સમજ્યા છે સદાયે કર્મની ભાષા,
દુઆ ના સાંભળી કે બદદુઆની નોંધ ના લીધી.

કશોયે અર્થ તેથી ના સર્યો મ્હેફિલમાં રોકાઈ,
તમે સાકીને ના જોયો, સુરાની નોંધ ના લીધી.

શરૂમાં એમ લાગ્યું, હોય જાણે ગુપ્ત સમજૂતી,
બધાએ એકસરખી આયનાની નોંધ ના લીધી.

કસબ સમજી શક્યું બાળક તો એની નોંધ લીધી મેં,
સભામાં બેસનારા ખેરખાંની નોંધ ના લીધી.

- નીરવ વ્યાસ

બેફકરાઈ એ સર્જકનો એક મહત્ત્વનો ગુણ છે. તે જ્યારે કવિતામાં વણાઈને આવે છે ત્યારે વધારે સારો લાગે છે. પણ આ જ બેફકરાઈ જ્યારે કવિ જીવનમાં બતાવે તો લોકોને જરાય ગમતી નથી. લોકો તેને લઘરો કહે છે. ઘણા ધૂની અને લઘરા માણસોને તો વળી અમુક લોકો શું કવિવેડા કરે છે, એમ કહે. જ્યારે પણ કલાકાર આગળના જગતનું જોતો હોય, આગળના જગતનું વિચારતો હોય ત્યારે તેને વર્તમાન દુનિયામાં ફાવતું નથી. તે પોતાના સર્જન દ્વારા બંડ પોકારે છે. પોતાના જીવનમાં ઊભી થયેલી હાડમારી, મનમાં ઊભા થતા પ્રશ્નો અને ગડમથલોને તે કલામાં વ્યક્ત કરે છે. જગત પ્રત્યે બેફિકર થઈ જાય છે. ગાલિબે બેફકરાઈ દાખવી, તો જગતે તેમને જીવતેજીવત ખાસ ગણ્યા જ નહીં. મર્યા પછી આખું જગત તેમને ઉર્દૂના મહાન શાયર તરીકે ઓળખે છે. મરીઝે પણ જિંદગીમાં બેદરકારી દાખવી, તે જીવતા હતા ત્યાં સુધી દુનિયાએ તેમને પણ કંઈ વિશેષ ગણ્યા નહીં. આજે તે ગુજરાતી ગઝલની શાન છે.

નીરવ વ્યાસની ગઝલમાં જિંદગી પ્રત્યેની, જગત પ્રત્યેની અને જાત પ્રત્યેની આવી જ બેદરકારી દેખાય છે. એ તો રસ્તાની, દુનિયાની કે કશાની નોંધ રાખતા નથી. કવિ એવી નોંધમાં પડે ય નહીં ને... એ તો હૃદયમાં ઊભરાતી મસ્તીના મોજાં પર તરે... આત્માના અજવાળે બેસે અને તેમાંથી પ્રાપ્ત થતા નેહનું નાણું ખર્ચે. એને દુનિયાના નાણાંની તમા ઓછી હોય? મકરન્દ દવેએ કહ્યું છે તેમ, ‘નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ,’ અને આ ધૂળિયો મારગ એટલે જ માંહ્યલાએ ચીંધેલો મારગ. આંતરમનની કેડી પર ચાલતી વખતે જગતની નોંધ થોડી રાખ્યા કરવાની હોય? કવિ તો શ્વાસ લેતી વખતે હવાની પણ નોંધ ન લે.

ઉદ્યમેન હી સિદ્યન્તિ કાર્યાણીની વાત તો આપણે બધા જાણીએ છીએ. પરિશ્રમ કર્યા વિના સિંહના મોઢામાં પણ હરણ આવીને પડતાં નથી. મહેનત તો એનેય કરવી પડે છે. કોઈ આપણી માટે દુઆ કે બદદુઆ કરે તેનાથી શું ફેર પડવાનો? જો આપણા હાથને પુરુષાર્થની ભાષા આવડતી હોય તો પ્રારબ્ધનાં બંધ પરબીડિયાની તમા શું કામ રાખવી? તૈયાર પરબીડિયું આવી ગયું તોય એને ખોલવાની મહેનત તો તમારે કરવી જ પડે.

ઝવેરચંદ મેઘાણીએ એક સરસ દુહો કહેલો. તેનો ભાવાર્થ કંઈક એવો હતો કે જો તમે યુવાનીમાં ઘોડી ના પલાણી, કોઈ યુવતીના પ્રેમમાં ન પડ્યા અને સંગ્રામમાં લડ્યા નહીં તો એવી યુવાનીમાં ધૂળ પડી. નીરવ વ્યાસ કંઈક જુદી વાત કરે છે. તે કહે છે કે જો તમે મહેફિલમાં ગયા અને સાકી અર્થાત્ શરાબ પિરસનારને ન જોયો, અને પિરસાતી શરાબની નોંધ શુદ્ધા ન લીધી તો મહેફિલમાં ગયાનો કોઈ અર્થ નથી. પણ કવિ અહીં પેલી બોતલવાળી શરાબની વાત નથી કરતા. અને મહેફિલ એટલે ચાર મિત્રો મળીને ગોઠવેલી પાર્ટી નહીં. આ તો જગત નામની મહામહેફિલની વાત છે. તમે દુનિયાના ડાયરામાં આવ્યા છો, અને કાનમાં પૂમડાં ભરાવી અને આંખે પાટા બાંધીને બેસી જાવ તો એનો કોઈ અર્થ નથી. નહીંતર કિરણ ચૌહાણે કહ્યું છે તેવું થાય,

‘ઘણું જીવે છતાં પણ કોઈ નક્કર કામ ના આપે,
ઘણા આવીને ચાલ્યા જાય છે ફોટા પડાવીને.’

અમુક માણસો સો-સો વરસ જીવે પણ તે ખરેખર જગતમાં છ સારી ક્ષણ પણ જીવ્યા નથી હોતા. એ જગતમાં આવે છે, ફોટા પડાવે છે અને ચાલ્યા જાય છે. મકરંદ મૂસળેનો એક સરસ શેર યાદ આવે છે.

‘મારા ડાબા અંગને જમણું કહે છે,
તું તો કહે છે આયનો સાચું કહે છે.’

જે અરીસો આપણા ડાબા અંગને જમણા તરીકે દર્શાવતો હોય એવા અરીસાની નોંધ લેવાની હોય? નીરવ વ્યાસે મકરંદ મુસળેએ કહેલા શેરને જુદી રીતે લાપરવાહીથી વ્યક્ત કર્યો. અહીં તો વળી ગુપ્ત સમજૂતી થઈ છે આયનાની નોંધ ન લેવાની. વળી એક વ્યક્તિએ નહીં, કોઈએ નોંધ ન લીધી. અથવા તો એમ પણ કહી શકાય કે બધાએ અલગ અલગ નોંધ લીધી, એક સરખી ન લીધી.

એક સાચા કવિને મન મહત્ત્વનું એ જ છે કે તેની કવિતાનો મર્મ કોઈક પામે. સભામાં બેસનાર ખેરખાં હોય તોય જો કવિતાના મર્મને ન સમજે તો નકામું. વળી એ જ સભામાં કોઈ નાનકડું બાળક હોય અને કવિતા પર ઝૂમી ઊઠે તો ભયોભયો.

લોગઆઉટ

એના ઘરથી નીકળ્યાની નોંધ તો લીધી હશે,
આપણે સામે મળ્યાની નોંધ તો લીધી હશે !

જાત સુધી ના જવાયું આપણાથી પણ ‘સુધીર’,
ડેલીથી પાછા વળ્યાની નોંધ તો લીધી હશે !

– સુધીર પટેલ