એક વિષય પર વિવિધ શાયરોના મતમતાંતરો અને ફિલસૂફી

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:
તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારાં,
પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી?
- ઘાયલ

ગુજરાતી ગઝલમાં ઘાયલનું સ્થાન આગવું છે. ખમીર અને ખુમારી તેમની ઓળખ છે. અસ્સલ કાઠિયાવાડી મિજાજ સાથે તેમણે આપેલા અનેક ઉત્તમ શેર આજે ગુજરાતી ગઝલમાં સાચા મોતીની જેમ ચમકી રહ્યાં છે. આ શેર પણ તેમના શ્રેષ્ઠ શેરમાંનો એક છે. અસ્તિત્વના આનંદને ઉજવતા આવડે તો પ્રત્યેક સ્થાન મહેફિલ છે. આનંદના અવસરે પણ પોતાનાં રોદણાં રડ્યા કરતા માણસને જલસાનું જોમ નથી ચડી શકતું. તેને ગમે તેવા ઉત્સવમાં મૂકો તે ભીતરથી દુઃખી જ રહે છે. જીવી શકીએ તો દરેક વસ્તુમાં જિંદગી છે. પ્રત્યેક સ્થાન વ્યક્તિ કે વસ્તુમાં એક નશાથી કમ નથી. ગાબિ (1797-1869)નો શેર પણ યાદ આવ્યા વિના નથી રહેતો.
જાહિદ શરાબ પીને દે મસ્જિદ મેં બૈઠ કર,
યા વો જગહ બતા દે જહાં પર ખુદા ન હો.

જોકે આ શેર ગાલિબનો છે તે બાબતે વિદ્વાનોમાં મતભેદ છે. ઈસ્લામ ધર્મમાં સુરાપાન ઘોર પાપ છે. ગાલિબ અને શરાબના કિસ્સા તો ખૂબ જાણીતા છે, એટલે એમણે જાહિદ અર્થાત્ ધર્મોપદેશને દલીલ કરીને કહ્યું કે હું દારૂના પીઠામાં જઈને શરાબ પીઉં કે મસ્જિદમાં બેસીને, તેનાથી શું ફર્ક પડવાનો છે? કેમ કે ખુદા તો દરેક જગ્યાએ છે. આપણે ત્યાં કણ કણ મેં હૈ ભગવાનની માન્યતા સદીઓથી છે. અઢારમી સદીમાં થઈ ગયેલા આ મહાન શાયરના શેરનો જવાબ ઓગણીસમી સદીના મહાન શાયર ઇકબાલ (1877-1938) કંઈક આ રીતે આપે છે.
મસ્જિદ ખુદા કા ઘર હૈ, પીને કી જગહ નહીં,
કાફિર કે દિલ મેં જા, વહાં ખુદા નહીં.

ગાલિબ જરા પણ ધાર્મિક નહીં, પણ ઇકબાલ ધાર્મિક ખરા. એટલે એ કહે છે કે મસ્જિદ એ તો ખુદાનુંં ઘર છે, ત્યાં સાક્ષાત ખુદા વસે છે, ત્યાં બેસીને શરાબ પીવો એ તો ઘોર પાપ છે, તમારે પીવો જ હોય તો કોઈ નાસ્તિકના હૃદયમાં જઈને પીવો, કેમ કે એ તો ખુદામાં માનતો જ નથી, તો તેના હૃદયમાં ખુદા ક્યાંથી હોય?

ઇકબાલના આ શેરનો જવાબ વીસમી સદીમાં જન્મેલા મહાન શાયર અહમદ ફરાઝ (1931-2008) આપે છે-
કાફિર કે દિલ સે આયા હૂં, મૈં યે દેખકર,
ખુદા મૌજૂદ હૈ વહાં, પર ઉસે પતા નહીં.

અહમદ ફરાઝ ઉપરના બંને શાયરને કહે છે મસ્જિદની વાત જવા દો, પીઠામાં બેસીને પીવાની વાત પણ ભૂલી જાવ, મેં તો છેક કાફિરના અર્થાત્ નાસ્તિકના હૃદયમાં જઈને પણ જોઈ લીધુંં, ભગવાન તો ત્યાં પણ છે જ, પણ એ નાસ્તિકને ખબર નથી. અને ખબર નથી એટલે એ માનતો નથી. પણ શરાબનો પ્રશ્ન તો પાછો ત્યાં ને ત્યાં જ આવીને ઊભો રહ્યો.

એટલે 1976માં પાકિસ્તાનમાં જન્મેલ વસી શાહ એ શેરનો જવાબ આ રીતે આપે છે-
મૌજૂદ હૈ ખુદા યહાં દુનિયામાં મેં હર જગહ,
જન્નત મેં જા કે પી વહાં પીના મના નહીં.

એણે જુદી વાત કરી. દુનિયાના અણુએ અણુમાં ભગવાન છે, અહીં તો શરાબ હરામ છે. જો શરાબ પીવો જ હોય તો તુંં સ્વર્ગમાં જઈને પીઓ, ત્યાંં સુરા અને અપ્સરા બંંને છે. આ બધાની વાત સાંભળીને ફહીમ કીદવાઈ નામનો શાયર છંછેડાઈ ઊઠે છે અને લખે છે,
છોડો મસ્જિદ, જન્નમત ઔર દિલો કી યે બહસે,
શરાબ પીના હરામ હૈ ક્યા તુમકો પતા નહીં?

અરે ભઈ આ મસ્જિદ, જન્નત આ બધી વાતો મૂકો. એની ચર્ચા કરવાની રહેતી જ નથી. તમને ખબર નથી કે શરાબ આપણે ત્યાં હરામ છે?

કવિતામાં વ્યક્ત થતા એક વિચારને અલગ અલગ શાયર કેવા પોતાની રીતે આગળ વધારતા હોય છે તેનો આ દાખલો છે. દરેક શાયર પોતાની સૂઝ-સમજ અને માન્યતા-ગેરમાન્યતાઓને આધારે દાવા-દલીલો કરે છે. તમામ શાયરોની દાલાદલિતોમાં ભાવકે પોતાનું સત્ય તારવવાનું છે. જોકે ઉપર થયેલી આટલી ચર્ચા પછી પણ શરાબવાળો મુદ્દો તો હજી ઉકેલાયો જ નથી. ગાલિબના સમયના અન્ય મહાન શાયર ઝૌક તો સીધા ધર્મોપદેશક સામે દલીલ કરે છે. તેમને પૂછે છે કે હે જાહિદ, હે ધર્મોપદેશક, શરાબ પીવાથી હું કઈ રીતે નાસ્તિક થઈ ગયો? શું ધર્મ એટલો નબળો હોય છે કે શરાબ જેવું નશીલું પાણી પીવાથી ભ્રષ્ટ થઈ જાય? મેં ચપટીક પાણી પીધું મારું આખું ઇમાન એ પાણીમાં વહી ગયુંં? મારો ધર્મ નાશ પામ્યો?

લોગઆઉટઃ
જાહિદ શરાબ પીને સે કાફિર હુઆ મૈં ક્યોં,
ક્યાં દેઢ ચુલ્લૂ પાની સે ઈમાન બહ ગયા?
- ઝૌક

હું છું, ઘર છે, રાત છે, એથી વધારે કંઈ નથી

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

હું છું, ઘર છે, રાત છે, એથી વધારે કંઈ નથી,
આહ છે, એકાંત છે, એથી વધારે કંઈ નથી,

જન્મ, જીવન, મૃત્યુની ઘટનામાં છે સરખાપણું,
યાતના નિતાંત છે, એથી વધારે કંઈ નથી.

સહેજ પીડા સાથે આવે ખારું પાણી માપસર,
આંખની આયાત છે, એથી વધારે કંઈ નથી!

સાવ નિર્જન પ્રાંત છે રાખું છું જ્યાં તારા સ્મરણ,
મનની યાતાયાત છે, એથી વધારે કંઈ નથી.

સૂર્ય ડૂબ્યાની ક્ષણે આ આપણું અળગા થવું,
ઘાત પર આઘાત છે, એથી વધારે કંઈ નથી.

સુફિયાણી વાત જેને માનતું ગઝલો જગત,
ઠેસ પર વૃતાંત છે, એથી વધારે કંઈ નથી.

- દિક્ષિતા શાહ

ગુજરાતી ભાષામાં વર્તમાન સમયમાં ઉષા ઉપાધ્યાય, પારુલ ખખ્ખર, લક્ષ્મી ડોબરિયા, હર્ષવી પટેલ, એષા દાદાવાલા, રાધિકા પટેલ, માર્ગી દોશી, યામિની વ્યાસ, લિપિ ઓઝા, રક્ષા શુક્લ જેવી અનેક કવયિત્રીઓ ખૂબ સમજપૂર્વક ખેડાણ કરી રહી છે, તેમાં એક નામ દિક્ષિતા શાહનું પણ ખરું.

વ્યથાના વહાણમાં બેસીને ભવસાગર પાર કરવાનો હોય છે. ધરતી પર જન્મેલી એક પણ વ્યક્તિ એવી નથી જેણે કદી દુઃખ ન અનુભવ્યું હોય. પછી તે દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ હોય કે કંગાળ, રાજા હોય કે રંક. સુખ અને દુઃખનાં રંગોથી જ આયખાના આંગણામાં રંગોળી પૂરાય છે. તેમાંથી અમુક પ્રસંગો જીવનપોથીમાં એટલા ઘાટા અક્ષરે લખાઈ જાય છે કે સમયનું ડસ્ટર પણ તેને સાફ કરી શકતું નથી. જગત એ પ્રસંગો વાંચે કે ન વાંચે આપણો જીવ ડગલે ને પગલે છપાયેલા અક્ષરો પણ આંગળી ફેરવી લેતો હોય છે. એ પ્રસંગો કયા? કશુંક અંગત ગુમાવ્યાનો ગમ, જેના એક બોલ પર આખી જિંદગી ફના કરવાની તૈયારી હોય તેવા વિશ્વાસુ વ્યક્તિ દ્વારા થતો દગો, પ્રાણપ્રિય વ્યક્તિના પ્રાણ ચાલ્યા ગયાનું દુઃખ, વહાલથી ખોળો ખુંદનાર સંતાનને કાંધે ઊંચકીને સ્મશાન સુધી લઈ જવાની વ્યથા તો જેણે ભોગવી હોય તે જ કહી શકે.

ટ્રેનના પાટા જેવી જિંદગી છે, જેમાં એક પાટા પર સુખ છે અને બીજા પર દુઃખ. એક પાટા પર ક્યારેય ટ્રેન ચાલી નથી શકતી. સુખ અને દુઃખ બંનેને સાથે રાખીને જ સફર ખેડવાની છે. દિક્ષિતા શાહની ગઝલના પ્રત્યેક શેરમાં જીવનની વ્યથા ડોકાય છે. તેમાં આહ છે અને આઘાત પણ છે. વેદના અને વ્યથાનું વૃત્તાંત છે. જીવનમાં દુઃખ હોવું એટલે શું તેની વાત વિકી ત્રિવેદીએ બહુ અસરકારક રીતે કરી છે.
મારા જીવનમાં દુઃખ ઘણાં છે પણ દરેક દુઃખ,
સાગરમાં એક વહાણ છે બીજું કશું નથી.

પ્રિયજનના વિરહની વ્યથા વાણીથી વ્યક્ત થઈ શકતી નથી. એ માત્ર એકાંતપૂર્વક અનુભવાય છે. તેને વ્યક્ત કરવા પ્રયત્ન પણ કરીએ તો પ્રત્યેક શબ્દ વામણો લાગે છે. ઘણું કહ્યા પછી પણ જાણે કશુંં નક્કર કહી ન શકાયું હોય તેવું જ લાગે છે. ક્યારેક લાગે કે એ વ્યક્ત કરવા જતા જીવ નીકળી જશે, પણ વધારે દુઃખ એ કે જીવ પણ નીકળતો નથી. જે અવ્યક્ત છે એવાં સ્મરણને હૃદયતની તિજોરીમાં તાળું મારીને સંઘરી રાખવાનાં હોય છે. જીવનનું ઝેર ચડે ત્યારે આ સ્મરણનું તાળું ખોલી તેને માણી લેવાનાં અને ફરી જીવાાનું જોમ પ્રાપ્ત કરવાનું. સાપ-નોળિયાની રમતમાં નોળિયાને જ્યારે સાપના ડંખનું ઝેર ચડે ત્યારે તે ત્યાંથી ભાગીને ઝડપથી નોળવેલ સુંઘી આવે છે, જેથી સાપનું ઝેર ઊતરે. ઝેર ઉતરતા ફરી પાછો આવીને તે લડાઈ કરે છે. જિંદગી અમુક અંશે સાપ-નોળિયાના યુદ્ધ જેવી છે. ડગલે ને પગલે કપરા પ્રસંગો ઝેરી સાપ જેમ ડંખ મારે છે. તેનું વિષ ગમતાં સ્મરણની નોળવેલ સુંઘીને ઉતારવાનું હોય છે.

આંખથી વહેલાં કે ન વહી શકેલાં આંસુ પીડાના દસ્તાવેજ સમાં હોય છે. એ દસ્તાવેજ શબ્દોમાં સંઘવો હોય તો કવિતા તેની માટેનું ઉત્તમ સાધન છે. કાવ્યમાં ભાવક પોતાની વ્યથા પણ વાંચી શકે છે. વાંચતી વખતે કવિ બાદ થઈ જાય છે, રહે છે માત્ર અનુભૂતિ. અર્થાત્ કવિતાના શબ્દોમાં માત્ર ફિલસૂફીનાં ફૂલો નથી પણ અનુભવનું અત્તર પણ છે. પરંતુ ઘણી વાર જગતને કવિતામાં કહેવાયેલી ગહન વાતો પણ સૂફિયાણી લાગતી હોય છે. તેવા લોકોને દીવો પ્રગટ્યા પછી થતું અજવાળું દેખાય છે. હંમેશ માટે ગુમાવે દીધેલ વ્યક્તિની છબી આગળ કરેલા દીવાથી થયેલું અજવાળું જગતને દેખાય છે, પણ પ્રાણપ્રિ વ્યક્તિને ગુમાવ્યાથી જીવનમાં કેટલું અંધારું થઈ ગયું છે તે તો ગુમાવનાર જ જાણે.

લોગઆઉટઃ

એક છબી આગળ દીવો કરવો પડ્યો છે જ્યારથી,
અર્થ અંધારાનો અલબત હું ય સમજી ત્યારથી.
- દિક્ષિતા શાહ

પરવરદિગારે જીભ દઈને બોલતો કર્યો

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:
પરવરદિગારે જીભ દઈને બાલતો કર્યો,
ત્યારે પૂછ્યું એ જીભથી: પરવરદિગાર કયાં?
- અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’

શેક્સરપીઅરનું નાટક છે - ધ ટેમ્પેસ્ટ. તેમાં એક પાત્ર છે કેલિબાન. તે બોલી શકતો નથી. જો કે તે મૂંગો નથી. પણ તેને ભાષાનું જ્ઞાન નથી. જેમ રુડયાર્ડ ક્લિપિંગના સુપ્રસિદ્ધ પુસ્તક ‘જંગલબુક’માં મોગલી નામનો છોકરો બાળપણથી વરુઓ સાથે ઊછર્યો છે, તેથી તેને માનવભાષાનું ખાસ જ્ઞાન નથી. શેક્સપીઅરના નાટકમાં આવતો કેબિલાન ભાષાથી અજ્ઞાત છે, તેથી તે બોલી શકતો નથી. નાટકનું એક બીજું પાત્ર પ્રોસ્પેરા તેને ભાષાની સમજણ આપીને બોલતા શીખવાડે છે. ભાષા શીખી ગયા પછી કેબિલાન ભાષાનો સૌથી પહેલો ઉપયોગ પ્રોસ્પેરાને ગાળો આપવા માટે કરે છે.

આપણે ઘણે અંશે કેબિલાન જેવા છીએ. જો કોઈ આપણને બોલતા શીખવાડશે તો આપણે તેને જ ભાંડીશું, જો કોઈ ચાલતા શીખવાડશે તો સમય આવ્યે આપણે તેને જ ધક્કે ચડાવીશું, પ્રશ્ન કરતા શીખવાડનાર સામે જ આપણે પ્રશ્ન કરવા માંડીશું. જો કોઈ કામમાં નિષ્ફળ જઈએ તો આપણી નિષ્ળતાને આપણે કિસ્મત નામની ડાળી પર લટકાવી દઈએ છીએ. હશે જેવા નસીબ. એની ઇચ્છા વિના પાંદડું હલતું નથી. મેં તો ઘણા પ્રયત્નો કર્યા, પણ પ્રભુને મંજૂર નહીં હોય. આવાં આશ્વાસનોનાં અત્તર છાંટીને બચાવ કર્યા કરીએ છીએ. જોકે એ વાત પણ ખરી કે અમુક કિસ્સામાં આવાં આશ્વાસનો મોટી હામ પણ પૂરી પાડે છે. જગતનાં તમામ દ્વાર બંધ થઈ જાય પછી માત્ર આશ્વાસનોનો આસરો હોય છે. પણ ન રહે તો માણસનું જીવવું મુશ્કેલ થઈ જાય. પણ પોતાની અણઆવડતથી નિષ્ફળ જઈએ ત્યારે પણ આપણે નસીબને જ દોષ દેવા ટેવાયેલા છીએ. એ વખતે ભીતરથી તો આપણને ખબર હોય જ છે કે દોષ ક્યાં હતો, કોનો હતો, કેમ હતો. મનોમંથનના દરિયામાં ડૂબકી મારીને બહાર આવીએ એટલે આપોઆપ સમજાઈ જાય છે કે વહાણ કેમ ડૂબ્યું.

આપણે બધું જ ઈશ્વર પર નાખવા ટેવાયેલા છીએ. જેણે દાંત આપ્યા છે તે ચાવણું પણ આપશે જ. કીડી ને કણ અને હાથીને મણ ભગવાન આપી જ દે છે. આવી કહેવતોની રચનાના પાયામાં પણ કદાચ આ પ્રકારની ફિલસૂફી હોવી જોઈએ. ઈશ્વર આપણને આંખો આપે છે, દૃષ્ટિ આપે છે, પણ દૃષ્ટિકોણ તો આપણે જ વિકસાવવાનો હોય છે. પણ આપણે તો એની આશા પણ પ્રભુ પાસે જ રાખીએ છીએ. ઉમાશંકર જોશીએ લખેલું,
દેનાર તો દે નયનો જ માત્ર,
શું દેખવું તે કથવા ન પાત્ર’.

પ્રકૃતિ આપણને તમામ સ્વતંત્રતા આપે છે. તમે આસ્તિક હો કે નાસ્તિક પરમ શક્તિને ગાળો ભાંડો કે વંદન કરો, તેને કશોય ફર્ક નથી પડતો. તેને તો માત્ર હૃદયની પવિત્રતાનો પરિચય છે. ધર્મ, અધર્મ, આસ્તિકતા, નાસ્તિકતા, પાપ પુણ્ય એ બધું આપણા માનવમગજની નિપજ છે. આપણે બાંધેલા ધારાધોરણોમાં આ બધું આપણે ફિટ કર્યું છે. જેથી માનવજીવન વધારે સરળ બને, વ્યવહારુ બને, સુસંગત બને. પણ એવું કરવામાં ક્યારેક જિંદગી વધારે મુશ્કેલ અને ગૂંચવણભરી બનાવી મૂકી છે આપણે.

સદીઓ પહેલાં આપણે જંગલમાં રહેતા, શિકાર કરીને ખાતાં, ધીમે ધીમે એકતાની શક્તિ જાણી, ઝૂંડમાં વસતા થયા. ઝૂંડમાં વધારે સેફ્ટિનો અનુભવ થયો. નાના નાના કબીલાઓ બન્યાં, જે તે કબિલાના રીતરિવાજો, ભાષા વગેરે બનતા ગયા, પ્રથાઓ પગલાં પાડતી ગઈ. તેથી જ બાર ગામે બોલી બદલાય તેવી કહેવત પણ છે. તેમાં માત્ર બોલી જ નથી બલદાતી, રીતરિવાજ, પ્રથાઓ, માન્યતાઓ, પરંપરાઓ ઘણુંં બધુંં બદલાય છે. આપણા પ્રદેશમાં જે વાત ખૂબ ધૃણાભરી ગણાતી હોય તે જ વાત અન્ય પ્રદેશમાં ગૌરવભરી ગણાતી હોય તેવું બને. આપણે ત્યાં માંસ ખાનારને વિચિત્ર રીતે જોવાય છે, જ્યારે અમુક દેશોમાં જ્યારે તમે માંસ ન ખાતા હોવ જાણે કોઈ ઘાસ ખાતું પ્રાણી હોવ તે રીતે લોકો તમને જોઈ રહે. આ વર્ષે નોબેલ પારિતોષિક વિજેતા કોરિયન લેખિકા હાન કાંગની નવલકથા ‘વેજિટેરિયન’ આ જ વિષય પર છે. નવલકથાની નાયિકા માંસ ખાવાનું બંધ કરી દે છે, વેજિટેરિયન થઈ જાય છે. તેમાંથી પરિવારમાં જે ઘર્ષણ ઊભું થાય છે તે જ આ નવલકથાનું મુખ્ય વિષયવસ્તુ છે. ત્યાં માંસ ન ખાવું એ નવાઈભરી વાત છે, આપણે ત્યાં માંસ ખાવું એ નવાઈભરી વાત છે.

લોગઆઉટઃ
સલિકા હમને જિસકો શીખાયા થા ચલને કે,
વો લોગ આજ હમે દાંયેબાંયે કરને લગે.
- રાહત ઇન્દૌરી

હું અંધારાના પ્રેમમાં છું

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

હું અંધારાના પ્રેમમાં છું
આ વાતની જ્યારે મને જાણ થઈ ત્યારે
ઘણું મોડું થઈ ગયું હતું
પ્રથમ દૃષ્ટિનો પ્રેમ કહી શકાય
મારી બાએ રૂની વાટથી પાડેલી
મેશનું મને પ્રથમ આંજણ કર્યું
ત્યારે એની શરૂઆત થઈ
કપાળના ખૂણે મેશનું ટપકું કર્યું ત્યારે
મારો અંધારા સાથેનો પ્રેમ આગળ વધ્યો
બાળપણમાં પાછળથી આવી
મારા મિત્રે મારી આંખ દાબી હતી
અને થોડાં વર્ષો પછી મારી પ્રેમિકાએ
એનું પુનરાવર્તન કર્યું ત્યારે
બેમાંથી કયું અંધારું વધારે ગાઢ હતું
એ હું આજે પણ નક્કી કરી શકતો નથી
અને એ પણ નક્કી કરી શકતો નથી
કે એ હાથ અંધારાના હતા કે પ્રેમના…

- રમેશ આચાર્ય

ગુજરાતી કવિતામાં અંધકારના રંગ જુદી જુદી કલ્પનાથી મઢાયા છે. કવિ રાજેન્દ્ર શુક્લએ લખેલું, “ઊંટ ભરીને આવ્યું રે અંધારું લ્યો…” કવિ મણિલાલ દેસાઈને અંધારાના કવિ તરીકે ઓળખવામાં આવે છે, તેમણે લખેલું, “અંધારું પીળું આકાશ નહીં બાલમા, અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ, અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા, અંધારુ સુવાળી શમણાંની શૂલ…” કવિ પ્રહલાદ પારેખને અંધાર ખૂશ્બોભર્યો લાગે છે, “આજ અંધાર ખુશબો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી” પુરુરાજ જોશી લખે છે, “અજવાળું ઘોંઘાટ કરે છે, અંધારું તો પવનલહરના સ્પર્શે મંદ, મધુર સુરાવલિ છેડતું વાયોલિન!” મનહર મોદીએ અંધારાને ઝળહળતું કહ્યું છે, “ઝળહળ ઝળહળ અંધારું છે, હું એનો ને એ મારું છે.” કવિ મધુસૂદન પટેલ પોતાને મળવા માટે અંધારું શ્રેષ્ઠ છે, એમ જણાવતા લખે છે, “પોતાને મળવાની સૌથી શ્રેષ્ઠ જગા છે અંધારું, ચીજ બધી ઓગાળે એવી એક દવા છે અંધારું.”

પણ તમામ કવિઓમાં કવિ રમેશ આચાર્યનું અંધારું નોખું તરી આવે છે. તેમણે અંધારાને વિશેષ ભાવનાત્મક રીતે આલેખ્યું છે. તેમનું અંધારું માત્ર કલ્પનાની પાંખે બેસીને વિહરતું નથી, તેમાં સંવેદનાનું સત્વ પણ અનુભવાય છે. દર વર્ષે માતૃભાષા દિવસે કવિના નામ લખ્યા વગર બે પંક્તિઓ ખૂબ શેર થતી રહે છે. “હું છું ને મારી ભાષા છે, કંઈક થશે એવી આશા છે.” આ આ પંક્તિઓ કવિ રમેશ આચાર્યની છે. ગઝલ, ગીત, અછાંદસ, મુક્તક, તાન્કા, હાઇકુ જેવાં વિવિધ કાવ્યસ્વરૂપોમમાં આ કવિએ નોંધનીય કામ કર્યું છે.

મનુષ્યનો જગત સાથેનો સૌથી પહેલો સંપર્ક અંધકારથી થાય છે અને એ અંધકાર છે માતાના ગર્ભનો. ઉપરના કાવ્યમાં કવિ કહે છે કે હું અંધકારના પ્રેમમાં છું એવી મને જાણ થઈ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. પણ તેમને જાણ કઈ રીતે થઈ તેનાં ભાવનાત્મક કારણો આપ્યાં છે. પ્રથમ કારણ માતાએ આંજેલી મેશ. કાળી મેશ જ્યારે કપાળના એક ખૂણામાં અંજાઈ ત્યારે કવિને લાગ્યું કે અંધકાર સાથે પરિચય થયો અને એ પરિચય કરાવ્યો માતાની આંગળીના ટેરવાએ. આ એ જ માતાની આંગળીનું ટેરવું છે, જેના ગર્ભના અંધકારને કવિએ નવનવ મહિના સુધી અનુભવ્યો હતો. બીજો અને ત્રીજો અનુભવ સરખો છે - મિત્રએ અને પ્રેમિકાએ અલગ અલગ સમયે પાછળથી આવીને આંખ દાબી ત્યારે આંખ આગળ અંધારું છવાઈ ગયું. આ બંને અંધકારમાં પણ એક પ્રકારનો પ્રેમ હતો, હૂંફ હતી. અને એ હૂંફભર્યા હાથ કોના હતા અંધારાના કે પ્રેમના, તે નક્કી નથી થઈ શકતું.

આપણે જિંદગીને અંધારાં અને અજવાળાં, સુખ અને દુઃખ, સારું અને ખરાબમાં વહેંચવા ટેવાયેલા છીએ. હકીકતમાં એ બંને ઘણી વાર સાપેક્ષ હોય છે. એક તરફથી દેખાતો નફો બીજી તરફ મહામોટી ખોટ લઈને ઊભો હોય છે. અને એક તરફથી દેખાતું નુકસાન બીજી બાજુથી ફાયદો પણ હોઈ શકે. સુખ અને દુઃખને બે ભાગમાં વહેંચવા કરતાં બંને એક જ ગ્લાસમાં ઓગળી ગયેલાં બે પ્રવાહી છે અને એ પીણાના ઘૂંટ આપણે પીતા રહેવાનું છે. આંખ મીંચએ એટલે અંધકાર પથરાઈ જાય છે, આપણને લાગે છે કે આપણે અંધારું જોઈએ છીએ, પણ તે દેખાતું નથી હોતું, અનુભવાતું હોય છે. આપણી ભાવનાઓ પણ આવા અંધકાર જેવી અદૃશ્ય હોય છે. કદાચ એટલા માટે જ કવિએ અહીં માએ વહાલથી લગાડેલા મેશના ટપકાને તથા મિત્ર અને પ્રેમીએ દાબેલી આંખ પછી છવાયેલા અંધકારને પ્રેમમાં ઓગાળી દીધો છે.

ઘણી વાર લાખ પ્રકારના ધમપછાડા કર્યા પછી પણ આપણું ધાર્યું ન થાય ત્યારે આપણી અંદર કશુંક ઘવાતું હોય છે, કંઈક મરી જતું હોય છે. તેનું શબ ઇજિપ્તના પિરામિડમાં મુકાતા મમીની જેમ આપણા અસ્તિત્વના પિરામિડમાં કોઈ અદૃશ્ય પેટીમાં સચવાઈને પડ્યું રહે છે. અને આપણા અફસોસના અણિયાળા મંત્રને તોડીને વારંવાર જીવંત થવા મથે છે.

લોગઆઉટઃ
આવજો-નું ગંધ મારે છે મમી,
યાદના બે આંસુ સારે છે મમી.
આ ક્ષણો વીતી, સદીઓ ગઈ છતાં
જીવતું થાવા વિચારે છે મમી.
- રમેશ આચાર્ય

પતિવ્રતા સ્ત્રી અને પત્નીવ્રતા પુરુષ

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

सा भार्या या सुचिदक्षा सा भार्या या पतिव्रता।
सा भार्या या पतिप्रीता सा भार्या सत्यवादिनी ॥
- ચાણક્ય

(જે પવિત્ર અને કુશળ હોય, જે પતિવ્રતા અને પતિ પ્રત્યે સ્હેન દાખવનાર હોય. પતિ સાથે હંમેશાં સાચું બોલે તે જ ખરી પત્ની.)

સંસ્કૃતનો એક શ્લોક ખૂબ પ્રચલિત છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. (જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવો પણ પ્રસન્ન રહે છે.) તુલસીદાસ રામચરિતમાનસમાં લખે છેઃ ઢોલ ગવાંર શૂદ્ર પશુ નારી, સકલ તાડના કે અધિકારી. (ઢોલ, ગામડિયો, શૂદ્ર, પશુ અને નારી બધા તાડના અર્થાત મારપીટના અધિકારી છે.) આપણે સ્ત્રીને નારી તું નારાયણી પણ કહીએ અને શંકરાચાર્યે લખ્યું છે તેમ નારી નરકનું દ્વાર પણ કહીએ છીએ. આપણને જરૂર પડી ત્યારે આપણે સ્ત્રીને દેવી બનાવીને પૂજા કરી અને ઠીક ના લાગ્યું તો ડાકણ કહી. સ્ત્રીને બધું જ બનાવી સ્ત્રી સિવાય. મનુષ્ય સિવાય.

આપણા ગ્રંથોમાં પતિવ્રતા નારી કેવી હોવી જોઈએ તેનાં વિવિધ લક્ષણો આપવામાં આવે છે. પતિવ્રતા નારી પતિને સંપૂર્ણપણે વફાદાર હોવી જોઈએ, તે પતિને દેવ સમજીને પૂજા કરતી હોય. તે પતિના સુખદુઃખમાં હંમેશાં તેની સાથે જ રહે. તે પતિની દરેક વાતનું પાલન કરે. વગેરે. પણ ભાગ્યે જ પત્નીવ્રતા પતિ કેવો હોવો જોઈએ તેનો દાખલો અપાય છે. પતિવ્રતા પત્નીના લક્ષણોમાં ખૂણે એક ફુદરડી મૂકીને તેમાં ટર્મ એન્ડ કન્ડિશન એપ્લાય. લખવું જોઈએ. તેમાં પતિ પણ એવો હોવો જોઈએ કે પત્નીને દેવી સમાન ગણીને તેની પૂજા કરવાની તૈયારી બતાવી શકે. પત્ની પ્રત્યે સંપૂર્ણ વફાદારી રાખે, પત્નીના સુખદુઃખમાં હરહંમેશ સાથ આપે. પત્નીની વાતનું પૂરું પાલન કરે.

સીતા અને મંદોદરી પતિવ્રતા સ્ત્રીનું ઉત્તમ ઉદાહરણ છે. સીતાએ આજીવન રામનો સાથ આપ્યો. રામને વનવાસ મળ્યો તો પોતે પણ મહેલને ઠોકર મારી તેમની સાથે નીકળી પડી. ટાઢ, તાપ, તડકો, વેઠ્યો, ઝૂંપડીમાં રહ્યાં. ઉઘાડા પગે ચાલ્યાં. રાવણે સોનાની લંકામાં રાણી બનીને રાખવાની લાલચ આપી એને પળમાં ઠુકરાવી દીધી. દરેક સ્થિતિમાં રામને સાથ આપ્યો. રાવણની પત્ની મંદોદરીને પણ પતિવ્રતા સ્ત્રી ગણી શકાય, તેણે રાવણને દરેક સ્થિતિમાં સાથ આપ્યો, વળી તેના કુકર્મો માટે તેને અનેકવાર ચેતવ્યો પણ ખરો, જરૂર પડી ત્યાં વિરોધ પણ કર્યો. પતિવ્રતા સ્ત્રીનો અર્થ પતિને આંધળો સાથ આપવાનો નથી. પણ પતિની આગળના પડણો હટાવવાનું કામ કરવું પણ જરૂરી છે. અને માત્ર પતિવ્રતા પત્ની જ શું કામ? પતિ પણ એટલો જ પત્નીવ્રતા હોવો જોઈએ. જે નિયમ પત્નીને લાગે તે તમામ પતિને પણ લાગવા જ જોઈએ.

બાહુબલિ ફીલ્મમાં પત્નીવ્રતા પતિની વાત ખૂબ સરસ રીતે બતાવવામાં આવી છે. યુદ્ધમાં સેંકડો દુશ્મનોને ચપટીમાંં ધૂળભેગા કરી નાખતો યોદ્ધો પત્ની પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવામાં પાછો નથી પડતો. જ્યારે કટોકટીનો પ્રસંગ આવે છે. ત્યારે પોતાની મા ખોટી હોય છે તે જાણતા તેમને કહેતા નથી અચકાતો કે મા તમે ખોટા છો. તે માવડિયો બનવાને બદલે સત્યને પક્ષે રહીને પોતાનો ધર્મ નિભાવવાનું નક્કી કરે છે. વળી તે પત્નીના પાલવના છેડે બંધાઈને પ્રેમઘેલો જોરુનો ગુલામ પણ નથી થઈ જતો. માતાના રક્ષણ કે વચન ખાતર પોતાનો જીવ આપવા પણ તત્પર રહે છે. રામ પણ આવા જ પત્નીવ્રતા પતિ હતા. જે સમયમાં એક રાજા બે બે પાંચપાંચ કે દસદસ રાણીઓ રાખતા હતા ત્યારે રામે એકપત્નીવ્રત બની રહીને સમાજમાંં મોટો દાખલો બેસાડ્યો. એટલું જ નહીં, અયોધ્યામાં જ્યારે અશ્વમેઘ યજ્ઞ કરવાનો થયો ત્યારે હવનપ્રસંગે રામની સાથે સીતાએ બેસવું જરૂરી હતું, પણ સીતા વાલ્મીકિ આશ્રમમાં હતાં, તે હાજર રહી શકે તેમ નહોતાં, ત્યારે પણ અન્ય કોઈ સ્ત્રીને બેસાડવાને બદલે સીતાની સુવર્ણપ્રતિમા બનાવીને બેસાડી.

લોગઆઉટઃ

कार्येषु मन्त्री करणेषु दासी भोज्येषु माता शयनेषु रम्भा ।
धर्मानुकूला क्षमया धरित्री भार्या च षाड्गुण्यवतीह दुर्लभा ॥
- गरुड पुराण , पूर्व खण्ड, आचार काण्ड, ६४/६
(કાર્યમાં મંત્રી, સેવામાં દાસી, ભોજનમાં માતા, રતિ સમયે રંભા, ધર્મમાં અનુકૂળ, ક્ષમા બાબતે ધરતી સમાન. આ છ પ્રકારની પત્ની મળવી દુર્લભ છે.)

રસ્તો નથી તો કર નવી કેડી અને ચાલી નીકળ

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

રસ્તો નથી તો કર નવી કેડી અને ચાલી નીકળ
પગપાળા તારી જાતને તેડી અને ચાલી નીકળ

જાળાં નકામા ઝાંખરા ખેડી અને ચાલી નીકળ
સંબંધ 'ને શાખા બધું વેડી અને ચાલી નીકળ

સામે પવન તું ડગલું ભરશે ત્યાં જ લેશે ઊંચકી
લે, તોડ લખ ચોર્યાસીની બેડી અને ચાલી નીકળ

બીજી પળે આકાશ એની મ્હેકથી છલકી ઊઠે
તું રાગિણી એ લાક્ષણિક છેડી અને ચાલી નીકળ

પથ્થરમાં પણ સંવેદનાઓ ગીત તારું સ્થાપશે
અણફળ રહેલાં ઝાડ ઝંઝેડી અને ચાલી નીકળ

સમધર્મી સાથે ચાલતા નિજમાર્ગ સંભાળી રહે
એવી અડીખમ શોધી લે હેડી અને ચાલી નીકળ

સક્ષમ ચડી શકવા ન હો, હા ઝાલ એની આંગળી
પ્હોંચે પછી છોડી દે એ મેડી અને ચાલી નીકળ

– સંજુ વાળા

ભારતીય ભાષાના ઘરેણાસમાન કવિ રવીન્દ્રનાથ ટાગોરની કવિતા ‘તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!’થી ભાગ્યે જ કોઈ કાવ્યરસિક અજાણ હશે. અલગ કેડી કંડારી આગવું ડગલું માંડવાનુંં હોય ત્યારે જગતનો સાથ ભાગ્યે જ સાંપડતો હોય છે. સાથ આપવાની વાત તો દૂર જગત રસ્તામાં રોડાં નાખવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં કોઈની સંગત મળે તો ઠીક નહીંતર એકલપંડે જ અહાલેક જગવવાનો હોય છે. માર્ગમાં આવતી મુશ્કેલીના મસમોટા પહાડો આપબળે જ ઓળંગવાના હોય છે. આવા સમયે સ્વાભાવિકપણે ચિત્તમાં ભયનાં વાદળો ઘેરાય છે. એ વાદળો તોફાન થઈને ત્રાડકશે, પૂર આવશે અને તેમાં આપણે તણાઈ જઈશું તો શું? એવી કલ્પેલી ચિંંતા પણ અંદરથી કોરી ખાતી હોય છે. મનમાં જેની ચિંતા રહ્યા કરતી હોય છે તેવું વાસ્તવિક જગતમાં કશું બનતું જ નથી હોતુંં. આપણે મનમાં ઊભા કરેલા કલ્પિત ભયના જાળામાં જ વર્ષો સુધી કેદ રહેતા હોઈએ છીએ. જાત ફરતે જડાયેલું આ જાળું તોડવામાં જિંદગી પતી જાય છે. હકીકતમાં આવી પડેલા દુઃખના આધારે આપણે જે દુઃખ કલ્પી લઈએ છીએ તે વધારે દુઃખી કરનારુંં હોય છે.

તૈયાર કેડી પર ચાલનારો નવું સ્થાન નથી શોધી શકવાનો. એ ત્યાં જ પહોંચશે જ્યાં અગાઉ લોકો ગયા છે. રસ્તાનો અંત થતા તેની સફર પણ અટકી જશે. નવી યાત્રા માટે તૈયાર કેડીને ત્યાગવી પડે, હેમેન શાહે લખ્યું છે- “એક પણ તૈયાર કેડી ના ગમી, ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ.” ચીલો ચાતરીને ચાલનારો જ જગતને અલગ આપી શકે. નવો માર્ગ શોધવા માટે ઘાયલસાહેબ જેવી ખુમારી પણ જોઈએ, તેમણે લખ્યું છેને- “રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?” મુશ્કેલીનો ભાર માથે મુકીને ચાલનારો ઝડપથી થાકી જાય છે. લાંબી સફર ખેડનારાએ તો આવનાર આફતોને આડેહાથે લેવી પડે. સમસ્યાને સાઇડમાં હડસેલી આગળ ધપવું પડે. સંજુ વાળા એ જ તો સમજાવે છે. જો રસ્તો નથી કે નવી કેડી સર્જો, એ કેડી જ તો સમય જતા મહામાર્ગ બનશે.

પૌરાણિક માન્યતા પ્રમાણે લખચોરાસી જન્મોની ચક્કર બાદ માનવદેહ મળતો હોય છે. કવિ તો એની બેડીને પણ તોડીને આગળ વધવાની વાત કરે છે. સંજુ વાળા હૃદયના નિજ હોંકારે કલમ ચલાવતા કસબી છે. તેમની ભાષા અને બાની આગવી છે. ક્યારેક અલખની અહાલેક જગાવે છે, તો ક્યારેક પ્રણયનો પમરાટ. આસપાસની આછી જીવનરેખા પણ તેમની કવિતામાં કલરવે. કેમની કવિતા જાતને જગવીને દીવો પેટાવતી હોય છે.

સ્નેહરશ્મિએ પણ પોતાની કવિતામાં નૂતન કેડી રચવાની વાત કરી છે.

લોગઆઉટઃ

દિશ દિશ ચેતન રેડી
વન વન આંકો નૂતન કેડી!

ઊંચી નીચી હોય ધરા છો,
હોય કઢંગી ટેડી;
સરળ તહીં પદ-રેખા પડી
સાથ રહો સૌ ખેડી!
વન વન આંકો નૂતન કેડી!

પૂરવ ને પશ્ચિમને ભેદી,
ઉત્તર દક્ષિણ છેદી;
કાળ અને સ્થળના કાંટાળા
ફેંકો થોર ઉખેડી!
વન વન આંકો નૂતન કેડી!

ભૂત ભાવિના ગોફણ ગૂંથી,
રવિ-શશી ગોળા ફેંકી,
અગમ અલખનું નિશાન તાકી,
ચાલો જગ-તમ ફેડી!
વન વન આંકો નૂતન કેડી!

– ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

અંદરથી અજવાળો ખુદને

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો,
યુગો યુગોથી મથે છે દીવો નોંધાવો કૈંક ફાળો !

તદ્દન સહેલા સમીકરણથી જીવન આજે તાગો,
લાગણીઓને ગુણો હેતથી; વેરભાવને ભાગો !
અહમ-અસૂયા બાદ કરીને કરો સ્નેહ સરવાળો !

રંગોળીનાં રંગ ઉપાડી રાત-દિવસને આપો,
જાનીવાલીપીનાલાને એકએક ક્ષણમાં સ્થાપો !
સફેદ રંગનો દિવસ દિલનાં પ્રીઝમમાંથી ગાળો !

– ડૉ. મનોજ જોશી ‘મન’

એક જાણીતી કથા છે. એક દિવસ બધા દેવતાઓ મળ્યા. ચર્ચાએ ચડ્યા કે જવુંં તો જવું ક્યાં? જ્યાં જઈએ ત્યાં મનુષ્ય આપણને ગોતતો આવી જ પહોંચે છે. કોઈ અંતરિયાળ ઊંડી ગુફામાં જઈએ કે ઊંચામાં ઊંચા શિખરની ટોચ પર, મનુષ્ય બધે પહોંચી જાય છે. તેમનો બળાપો સાંભળીને એક દેવતા બોલ્યા, એક કામ કરો, માણસના હૃદયમાં જ વસી જઈએ. એ બહાર બધે ફાંફા મારશે, પણ અંદર ક્યારેય નહીં જુએ. બસ તે દિવસથી ઈશ્વર હૃદયમાં વસી ગયો છે અને આપણે બહાર ગોત્યા કરીએ છીએ.

આપણે ઈશ્વરને મંદિર, મસ્જિદ, દેવળ, ગિરજાઘરમાં શોધીએ છીએ. આપણી શાંતિનું સરનામું આવી ઇમારતોની આંગણેથી જ પ્રાપ્ત થશે એવી દૃઢ માન્યતાનો ઊંડો ખીલો મારી બેઠા છીએ આપણા મનમાં. એ ખીલા પર આપણી શ્રદ્ધા અને શંકાની થેલીઓ ટીંગાડ્યા કરીએ છીએ. આપણે એ ભૂલી જઈએ છીએ કે આ બધી ઇમારતો આપણી શ્રદ્ધાનાં પ્રતીકો છે, શ્રદ્ધા નથી. સાચી શ્રદ્ધા કે શંકા, જે કહો તે બધું આપણી અ્ંદર છે. તમારો ફોટોગ્રાફ એ તમે નથી. તમારી જાણ બહાર તમારો ફોટો કોઈ ફાડે કે સળગાવે તેનાથી તમારા દેહ કે મનને રતિભાર ફેર પડવાનો નથી. પણ આપણે ફોટાના મોહમાં જ રચ્યાપચ્યા છીએ. મંદિરની મૂર્તિ કે મસ્જિદ કે દેવળને જ ઈશ્વર ગણી લઈએ છીએ.

કવિ મનોજ જોશીએ બહુ સમજી વિચારીને અંદરને અજવાળવાની વાત કરી છે. તેઓ જાણે છે કે આપણે બાહ્ય જગતની ઝળહળાટથી અંજાયેલા છીએ. આપણો સંતોષ કે અસંતોષ, શાશ્વત સુખ કે અંદરનો આનંદ બધું જ બહારના જગતની ખીંટી પર લટકેલું જોવાથી આપણી આંખો ટેવાયેલી છે. કોઈની સફળતા કે નિષ્ફળતા આપણા સુખ-દુઃખ અને ભાવનાઓ પર પણ અસર કરે છે. અરે કોઈને સારાં કપડાં પહેરેલા જોઈએ કે નવી મોંઘી ગાડીમાં નીકળતા જોઈએ તો એ પણ આપણા સુખ-દુઃખ પર તેની અસર થાય છે. કોઈ વધારે ધનવાન વ્યક્તિને મળીએ, પ્રસિદ્ધ માણસને જોઈએ કે જે તે ક્ષેત્રમાં સફળ થયેલા વિશે જાણીએ એટલે આપણી અંદરની નિષ્ફળતા આપણને ડંખવા લાગે છે. તેમના જેવી સફળતા આપણે કેમ ન મેળવી શક્યા એવો વસવસો અંદરથી કોરવા લાગે છે. એમાં ય જ્યારે આપણાં જ ક્ષેત્રના આપણા કરતા વધારે સફળ માણસોને મળીએ ત્યારે તો અંદરનો અફસોસ ઉછાળા મારવા માંડે છે. વળી આપણા ક્ષેત્રના આપણા કરતા ઓછા સફળ માણસને મળીએ ત્યારે આપણો અહમ આકાશ સાથે માથું ભટકાય એટલો ઊંચો થઈ જાય છે. આ બધું થવાનું કારણ છે બહારના પ્રકાશથી અંજાયેલી આપણી અણસમજુ આંખો. જગતની માપપટ્ટીથી બંધાયેલું આપણું મન.

જો કે કડવુંં સત્ય એ છે કે પૈસો હાથનો મેલ છે એવું કહેવા માટે પહેલા પુષ્કળ પૈસો કમાવો પડે છે. બહારના ઝળહળાટને અવગણતા પહેલાં અંદરના અજવાળાને પામવું પડે છે. કોઈ ભીખારી એમ કહે કે જીવનમાં પૈસો કંઈ કામમાં નથી આવતો તો તેનું કોણ સાંભળે? જેણે જીવનમાં એક પાતળી સળી પણ ભાંગી ના હોય એ મોટા પહાડ તોડનારને તૂચ્છ ગણે એ તો પેલા શિયાળની વાર્તા જેવું થાય - દ્રાક્ષ ખાટી છે. પણ ખાટી કહેવા માટે તેને ઊંચાઈ પરથી તોડીને ચાખવી પડે.

દીવાળી જેવા તહેવારો આવીને આપણી અંદર અજવાળાની અહાલેક જગાવી જાય છે. કોઈ ફટાકડા ફોડીને અંદરના અવાજનો ધુમાડો કરે છે, તો કોઈ તેને પામવા પ્રયત્ન. નીતિન વડગામા કહે છે તેમ, “કોઈ કરે છે ખાંખાખોળા, કોઈ કરે છે ખોજ, જેવી જેની મોજ!”

લોગઆઉટઃ

આમ તો છે જરાક અજવાળું,
તોય રાખે છે ધાક અજવાળું.

બંધ પડદો ખૂલે ને આવી જાય,
કાયમીનું ઘરાક અજવાળું.

કેટલા પ્રશ્ન ! એક છે ઉત્તર !
રોટલો, થોડું શાક અજવાળું.

બાળ, ફેંકી દીધેલ બોલ્યું, 'મા,
આટલું દર્દનાક અજવાળું !?'

જાય તું તો રહે છે એ પણ ક્યાં ?
હોય છે બસ, કલાક અજવાળું.

- વિપુલ પરમાર

સારું અને ખરાબ, સુખ અને દુઃખ, અંધાર અને અજવાસ

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

‘ભાગ એય અંધારા!’ એમ કહી આમ મને કાઢ નહીં આવતાની વેંત!
એ તો કે’, ‘હોત નહીં હું, મૂઆ અજવાળા! અજવાળું કોણ તને કે’ત?!’

કાગળ સફેદને શું ધોઈ પીત?! હોત નહીં કાળા તે રંગ તણી સ્યાહી,
ડાઘ ધોળી ચાદરમાં લાગે પણ લાગે નૈ કાળી તે કામળીની માંહી!
પૂનમને આભ મહીં મારા વિણ આવકારો ભોજિયો ન ભાઈ કોઈ દેત!

ટપકું મા મેશ તણું કરતી’તી કે નજરું લાગે ના છૈયાને ગોરા,
આખીયે દુનિયાની તરસ્યું છીપાવશે શું? વાદળાં રૂપાળાં ને કોરાં?
રૂપ-રંગ, વાન નથી જોતો ભગવાન, ઈ તો ઓળખે છે અંતરનાં હેત!

– જગદીપ ઉપાધ્યાય

આપણે વસ્તુ, વ્યક્તિ, સ્થાન અને જગતને સારા-નરસામાં વિભાજિત કરવાથી ટેવાયેલા છીએ. જે સારું તે મારું એવી ભાવના પણ મનમાં હોય છે. કોણ એવું હશે જે જિંદગીમાં સુખ ન ઇચ્છતું હોય? પણ મોટી તકલીફ એ છે કે આપણે માત્ર સુખ જ ઇચ્છીએ છીએ. દુઃખથી દોઢસો ગાઉ દૂર રહેવાની જ મહેચ્છા હોય છે. આપણું ચાલે તો જિંદગીની ડિક્ષનરીમાંથી દુઃખ નામના શબ્દનો કાયમ માટે છેદ ઉડાડી દઈએ. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે લિસ્સા રોડ પર વાહન સારી રીતે ચાલી શકતું નથી. તેની માટે થોડું ખરબચડાપણું જોઈએ. ગાડીના ટાયર બનાવતી કંપનીઓ જાણી જોઈને ટાયરમાં આંકાઓ પાડે છે, તેને બરછટ બનાવે છે, જેથી ગમે તેવા રોડ પર તે તરત લપસી ન જાય. નિર્જીવ ગાડીને ચલાવવામાં પણ આપણે આવું વિજ્ઞાન વાપરીએ છીએ, પણ સજીવ જિંદગીનું વાહન હાંકવામાં હંમેશાં લિસ્સાપણું ઇચ્છીએ છીએ. કાયમ સુખની લાલસા રાખતા માણસોને શું એટલું નહીં સમજાતું હોય સુખનું મહત્ત્વ તો જ છે જો દુઃખ છે, અજવાળાનું મહત્ત્વ તો જ છે જો અંધકાર છે.

આપણે પ્રાણીઓને પણ સ્વભાવમાં વણી દીધા છે. શિયાળ લુચ્ચુ, ગધેડો મૂર્ખો, કાગડો ચાલાક વગેરે. શું ગધેડો જાણતો હશે કે આપણે તેને મૂર્ખ ચિતરીએ છીએ? શિયાળને ખબર હશે કે આપણે તેને લુચ્ચુ દર્શાવતી અનેક વાર્તાઓ રચી છે? શું તેમને એ પણ ખબર હશે ખરી કે આપણે તેમને ગધેડો, શિયાળ કે કાગડા તરીકે ઓળખીએ છીએ? એ બધું તો આપણી સગવડ માટે આપણે રચ્યું છે. આપણે હંમેશાં બધું બે ભાગમાં વહેંચવાથી ટેવાયેલા છીએ. સારું અને ખરાબ, સુખ અને દુઃખ, અંધાર અને અજવાસ.

આપણે હરહંમેશ અંધારાનો અનાદર કરીએ છીએ. આપણી પ્રાર્થનાઓ પણ, ઊંડા અંધારેથી પ્રભુ પરમતેજે તું લઈ જવાનું કહે છે. પણ કવિ જગદીપ ઉપાધ્યાય તો અંધારાનો અનાદર કર્યા વિના અજવાળાને સત્કારવા માગે છે. એમની કવિતામાં અંધારું પોતે એક પાત્ર તરીકે આવે છે અને અજવાળાને ઉદ્દેશીને કહે છે, અજવાળા, ભાગ અલ્યા અંધારા એમ કહીને મને જાકારો ના આપ. જો હું આ જગતમાં ના હોત, તને કોઈ અજવાળું કહેત પણ નહીં. મારા લીધે જ તારું મૂલ્ય છે.

કવિ બીજું ઉદાહરણ પણ આપે છે. ધારો કે સફેદ કાગળ પર લખવા માટે કાળા રંગની શાહી ના હોત તો એ કાગળને શું ધોઈ પીવાનો? કાળી કલમ પોતાનું અક્ષરપૂર્વકનું કામણ પાથરે છે ત્યારે જ તો બોલાતી ભાષા કાગળ પર ગ્રંથસ્થ થઈ શકે છે. વળી ધોળી ચાદરમાં તરત ડાઘ લાગે, પણ કાળી કામળીમાં તો એવા ડાઘનો ખ્યાલ પણ ન આવે. મીરાંબાઈએ લખેલું, મેં તો શ્યામરંગની કામળી ઓઢી છે. અને શ્યામ રંગ પર બીજો રંગ ના ચડે. આકાશમાં પણ અંધકાર પથરાય ત્યારે જ હજારો તારા અને ચંદ્રના દર્શન થાય છે. અંધારા વિના તો પૂનમને કોણ ભોજિયોભાઈ આવકારો દે?

રૂપાળા બાળકને નજર ના લાગે એટલે મા કાળા રંગનું ટપકુંં કરે છે. એમાં જ તો શ્યામરંગની સુંદરતા છે. આકાશમાં પથરાયેલા ધોળાં વાદળાં જોઈને તો ખેડૂત પણ નિરાશ થતો હોય છે. કાળાં ડિબાંગ વાદળાથી ગગન ઘેરાય ત્યારે જ વરસાદની ખરી ઝડી વરસતી હોય છે. માત્ર અજવાસ કે સુખ ઇચ્છતા માણસે આટલી વાત સમજી લેવા જેવી છે કે અંધકાર કે દુઃખ વિના કોઈનો છૂટકો નથી. કવિ જગદીપ ઉપાધ્યાયે બોલચાલની ભાષામાં ગીતના લયભર્યા અંદાઝમાં જિંદગીની એક મહત્ત્વની ફિલસૂફી સરળ રીતે સમજાવી દીધી છે.

લોગઆઉટઃ

આટલાં વર્ષો ગયાં છે આકરા સંઘર્ષમાં,
જોઈએ શું થાય છે આ આવનારા વર્ષમાં.
માત્ર સુખને શું કરું, બચકાં ભરું, પપ્પી કરું,
જોઈએ પીડા ય મારે આગવા નિષ્કર્ષમાં
– અનિલ ચાવડા

એકાકી વૃદ્ધ અને સુકાઈ ગયેલું ઝાડ

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

એકાકી વૃદ્ધ બેઠો છે
સુકાઈ ગયેલા વૃક્ષ નીચે
વૃદ્ધ જુએ છે-
ઘડીકમાં વૃક્ષ સામે
ઘડીકમાં જાત સામે
ને મનોમન પ્રાર્થે છે:
ક્યાંકથી કઠિયારો આવે
ને વૃક્ષભેળો મનેય કાપી જાય.

– વજેસિંહ પારગી

નરસિંહ મહેતાએ લખેલું, “ઉંમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ,” ઘડપણ સાથેનું સગપણ દૃઢ થયા પછી કાયાનું કબૂતર પાંખો ફફડાવી આકાશને આંબી શકતું નથી. તેને તો એક એક પગલું પર્વત ઓળંગવા જેટલું કપરું લાગે છે. પાદરમાં જવું એ પણ પરદેશ જવા જેટલું મુશ્કેલ લાગે. બાળપણમાં જે ઝાડ પર કૂદકો મારીને ચડી જતા, એની તો કલ્પના પણ દુષ્કર. યુવાનીમાં સાહસપૂર્વક પલાણેલા ઘોડાની વાતો ઘડપણમાં પરભવની લાગવા લાગે છે.


ઘડપણ સાથેનું સગપણ જન્મની સાથે જ નક્કી થઈ જાય છે. સમયની સાવરણી ફરતી રહે છે અને દિવસો-મહિનાઓ-વર્ષોને વાળતી રહે છે. તમે જન્મો તે સાથે જ એક અદૃશ્ય દોરડાથી બંધાઈ જાય જાવ છો. એ દોરડું તમારી જાણ બહાર તમને નિરંતર ખેંચતું રહે છે. એક અજાણી પીંછી આઠે પ્રહર તમારા દેહ પર ફરતી રહે છે. સતત તમારી પર ઉંમરનો લેપ કરતી રહે છે. સમય રાતદિવસ તમને ઘરડા કરવામાં વ્યસ્ત છે. રઈશ મનીઆરે લખેલું, “યુવાની જાય છે ક્યાં વૃદ્ધ બનતા વાર લાગે છે.” આપણને મોટે ભાગે કશુંક જતું રહે પછી જ તેનું મૂલ્ય સમજાતું હોય છે. જ્યારે બાળપણ પતે ત્યારે થાય કે અરે રે મોટા થઈ ગયા, બાળપણમાં આમ કર્યું હોત તો કેટલું સારું. યુવાની પતે ત્યારે થાય કે જિંદગીને હજી તો પૂરી માણી પણ નહોતી ને ઘરડા થઈ ગયા. ઘડપણના આરે પહોચ્યા પછી અમુક અફસોસ બેવડાઈ જાય. બાળપણ અને યુવાનીમાં જે ન કરી શક્યા તેનો વસવસો વેદનાપૂર્વક વળગી પડે.


વજેસિંહ પારઘીને ઓછા શબ્દોમાં ઘણું કહેવાની ફાવટ છે. વૃદ્ધાવસ્થાને તેમણે જીર્ણ સુકાઈ ગયેલા ઝાડ સાથે સરખાવી છે. કઠિયારો ઝાડ સાથે તેને પણ કાપી નાખે તો આ કાયા નામનું ઝાડવું જમીનદોસ્ત થાય. એક કઠિયારો ઝાડને કાપનારો અને બીજો જિંદગીને. ઘણા લોકો વૃદ્ધને બિનઉપજાઉ ખેતર કે વસુકાઈ ગયેલ પશુ સમાન લાગતા હોય છે. તે ઘરના કોઈ વધારાના સામાન જેમ તેમને આમથી તેમ ખસેડ્યા કરે છે. એ ધક્કેલાવામાંથી મુક્ત થવા જ કદાચ અહીં ઝાડની સાથે પોતાને કાપી નાખવા માટે પીડાપૂર્વક કવિ કહે છે.

આપણે ત્યાં માથામાં વાળ સફેદ આવવાની સાથે જાણે કાયાની ભૂમિ ઘડપણની ઋતુની શરૂઆત થઈ હોય તેમ ઘણા લોકો તો આનંદ અને મજામાંથી જ નિવૃત્તિ લઈ લે છે. તેઓ એવું સમજે છે કે બસ હવે જીવનની પાનખર આવી. હવે આપણે તો પીળું પાન. જ્યારે પશ્ચિમી દેશો વૃદ્ધાવસ્થાને જ ખરું એન્જોયમેન્ટ માનતા હોય છે. જિંદગીભર ખૂબ કામ કર્યું, પરિવાર પાછળ ખર્ચાયા, નોકરી-ધંધામાં વ્યસ્ત રહ્યા, એમાં ને એમાં ગમતી બધી જ વૃત્તિ-પ્રવૃત્તિ અને શોખને અભેરાઈએ ચડાવી દીધા. હવે બાળકો મોટાં થયાં, નોકરીમાંથી નિવૃત્તિ મળી. હવે ગમતી પ્રવૃત્તિ કરવાનો સમય આવ્યો એમ માનીને તેઓ દેશવિદેશ ફરશે, દુનિયાના વિવિધ લોકોને, સંસ્કૃતિને વધારે નજીકથી જાણશે. જ્યારે આપણે નિવૃત્તિ પછી જાણે જીવનમાંથી જ નિવૃત્ત થઈ જઈએ છીએ અને ઓટલે બેસીને ગામ આખાની પંચાતો કરતા રહીએ છીએ.

હકીકતમાં વૃદ્ધત્વ તો પક્વતાની નિશાની છે. ઉંમરની સાથે અનુભવનું ભાથું પણ વધે છે. અને અનુભવસિદ્ધ થયા પછી બાળપણ કે યુવાનીમાં રહેલા અધીરાઈના અવગુણ પર સહજતાથી કાબૂ મેળવી શકાય છે. વૃદ્ધાવસ્થા તો જિંદગીભર એકઠા થયેલા અજવાળાને વહેંચવાનો સુવર્ણકાળ છે. સાહિત્ય, કલા, સંસ્કૃતિ, સેવા અને બીજી અનેક ગમતી પ્રવૃત્તિ કરવા માટેનો આ ઉત્તમ સમય છે. પરંતુ લોકો ઉંમર પહેલાં ઘડપણ સાથે સગપણ બાંધી લે છે. કવિ કિરણસિંહ સૌહાણે આવા લોકો માટે બહુ માર્મિક કવિતા લખી છે.

લોગઆઉટઃ

તારા વાળ સફેદ થાય તો ભલે થાય
સફેદ એ તો પવિત્રતાનું પ્રતીક છે.
તારા ચહેરા પર
કરચલીઓ આવી પડે
તો આવવા દેજે
કદાચ તેમાં તને
તારા સુખદ પ્રસંગોનો ખોવાયેલો
હિસાબ મળી આવે.
તારું શરીર ધ્રૂજે તો ગભરાઇશ નહી
કારણકે એ ધ્રૂજારી ન ભોગવાયેલાં સ્પંદનોનો
સામટો વરસાદ હોઇ શકે.
તારું ઘડપણ આવે તો
એને શાનથી આવવા દેજે.
બસ એટલી તકેદારી રાખજે
કે એ એના સમયે આવે.

– કિરણસિંહ ચૌહાણ

ઉન્નાવ, કઠુવા, કલકત્તા અને….

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

મોડી રાત્રે ઘરનો દરવાજો
બંધ કરી રહી હતી

જોયું, તો બહાર ખુરશી એકલી પડી હતી

મેં એને ચુપચાપ અંદર લઈ લીધી
એવા ભયથી કે
આવી વેરાન રાતમાં
એ બિચારી સાથે
દરવાજો કંઈ કરી બેસે તો…

– પદ્મજા શર્મા

ઉન્નાવ અને કઠુવાની ઘટનાઓ વિશે જાણ્યા પછી હિન્દી ભાષાની કવયિત્રી પદ્મજા શર્માએ બહુ પ્રતિકાત્મક કવિતા લખેલી. ખુરશી અને દરવાજાના પ્રતીક દ્વારા તેમણે ઘણું કહી દીધું. રેખા રાજવંશી નામના હન્દીના કવયિત્રી એક કવિતામાં લખે છે, માએ કહ્યું હતું, તું છોકરી છે, એકલી ક્યાંય બહાર નીકળતી નહીં, રાત્રે મોડા સુધી બહાર ના ફરવું, કોઈ અજાણ્યા સાથે હસી હસીને બહુ વાત કરવી નહીં, જમાનો બહુ ખરાબ છે. છોકરીએ બધી જ વાત માની. પણ જ્યારે તેની પર બળાત્કાર થયો ત્યારે ન તો એ બહાર હતી, ન રાત હતી, ન કોઈ અજાણ્યા સાથે હસીહસીને વાત કરી રહી હતી. મદન કશ્યપ નામના હિન્દી કવિએ ‘સત્તર વર્ષનો માલ’ નામની કવિતા લખી છે. કાંડ કરનારા માણસોને મન એક સત્તર વર્ષની યુવતી ‘માલ’થી વધારે શુંં હોય છે? ચોક પર બેઠેલા લફંગાઓ છોકરીઓને પરસ્પર વહેંચતા હોય છે આ મારાવાળી છે, પેલી તારાવાળી. પછી એ મારાવાળી તારાવાળી આપણા સૌની બની જાય છે. કદાચ આવી ઘટનાઓમાં જ રોપાતા હોય છે બળાત્કારના બીજ.

ઘણી હિન્દી હોરર ફિલ્મોમાં આપણે જોઈએ છીએ કે અમાસની રાત એ શયતાન માટે ખાસ હોય છે. રાતનું ગાઢ અંધારું ચારે તરફ છવાઈ જાય, ચંદ્ર વાદળો પાછળ ઢંકાઈ જાય, ડરામણાં પંખીઓ ચીચિયારીઓ કરવા માંડે, ચીબરીઓ બોલવા માંડે, શિયાળવાઓ લાળી કરી ઊઠે, વરુઓના અવાજોથી વાતાવરણ વધારે ભેંકાર, બિહામણું થવા લાગે, કાળરાત્રી પોતાના તમામ કામણ પાથરી દે તેવા સમયે શયતાન ધીમા પગલે આવે છે અને લોહી ચૂસીને પોતાની ભૂખ સંતોષે છે. આજકાલ આવા શયતાનો માટે નવરાત્રી એ અમાસની રાત્રી સમાન છે, નવરાત્રી આવા શયતાનોનો પ્રિય તહેવાર બની રહ્યો છે. હિન્દી ફિલ્મોનો લોહી ચૂસતો શયતાન અમાસની રાતની વાટ જુએ છે અને આ બળાત્કારી લોહીભૂખ્યો શયતાન નવરાત્રીની.

આવા શયતાનો બાહ્ય દેખાવથી જરા પણ ઓળખાતા નથી. એ તમારી આસપાસમાં જ ક્યાંક કોઈ સમૂહમાં નૃત્ય કરતા હોય છે. જોકે એને સમૂહનૂત્ય કહેવા કરતાં ગેગનૃત્ય કહેવુ વધારે યોગ્ય રહેશે. એ માત્ર ગ્રહણની રાહ જોતા હોય છે. જેવો ચંદ્ર વાદળની પાછળ છુપાય, ગ્રહણની શરૂઆત થાય કે તરત તેમનામાં બેઠેલો શયતાન લોહી તરસ્યો થાય છે. તેમની આંખો નજર ટેકવીને બેઠી હોય છે કોઈ યુવતી પર. એવી યુવતી જે પોતાના માતાપિતાના સ્વપ્નનો શણગાર હોય છે. તેમના હરખ અને હેતની છબી હોય છે. તેમના જીવતરને અમૃત બનાવનાર લીલીછમ વેલ હોય છે. પણ શયતાનને એનાથી શું ફર્ક પડે?

દિલ્હી, ઉન્નાવ, કઠુવા, કોલકત્તા, બરોડા, કેટકેટલી ઘટનાઓ…. સત્તાધીશો પોતાની ખુરશીના પાયા મજબૂત કરવા માટે આશ્વાસનનાં અમૃતપિયાલા લઈને દોડી આવશે. ફરી એ જ ઢોલકીઓ વાગશે, એ જ મંજીરા ખખડશે તેમને ઉકેલ લાવવા કરતાં લોકોને આ બધું ભૂલવાડવામાં વધારે રસ છે. કશું થયું નથી, બધું બરોબર છે. અમારા રાજમાંં કોઈ દુઃખી નથી. વિરોધીઓને મુદ્દો મળી જાય છે. તેમને પણ થયેલા અન્યાયમાં રસ નથી, પણ તેમને તો બનેલી ઘટનામાં સત્તા સુધી પહોંચવાની તક દેખાય છે. પ્રજા તો બાપડી પગથિયાં સિવાય કશું છે જ ક્યાં. બસ તેમની પર પગ મૂકો અને આગળ વધો. દરેક પગથિયે વચનોના તેલ પૂર્યા વિનાના કોડિયાં મૂકતા જાવ, ઠેકતા જાવ. પ્રજા પણ થોડા દિવસ મીણબત્તી લઈને ફરશે, ઝંઝા લઈને દોડશે. દિવસો જતા એ પણ થાકશે. પોતાના દૈનિક જીવનમાં પરત ફરશે. અને રાહ જોશે બીજા એક જઘન્ય કૃત્યની. ટેવાઈ ગઈ છે સરકાર, ટેવાઈ ગઈ છે પ્રજા, ટેવાઈ ગયા છે શયતાનો.

લોગઆઉટઃ

આજકાલ સૌથી વધારે ખતરો બે ચીજોથી છે
જીભ અને રીઢ (પીઠના મણકાને જોડી રાખતું હાડકું)
એટલા માટે જ
સૌથી પહેલા જીભ કાપી નાખવામાં આવે છે
સૌથી પહેલાં રીઢ તોડી નાખવામાં આવે છે
પછી તે કોઈ માણસની હોય કે
હાથરસની કોઈ છોકરીની
એટલા માટે જ આજકાલ
કોઈ જીભ નથી રાખતું
નથી રાખતું રીઢ.

- નવિન રાંગિયાલ (અનુવાદઃ અજ્ઞાત)

માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે!

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે!
માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે!

લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે!

મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે!

પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે!

રહે જાતરા અધૂરીને ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે!

મારે પીડાની મા કેવી હાજરાહજૂર!
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે!

જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે!

– અશરફ ડબાવાલા

નવરાત્રી આવતાની સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમવા ઘેલા થઈ જાય છે. તેમના ચરણ ગરબાના તાલમાંં તાલ પુરાવા લાગે છે. ગરબા ગુજરાતની પરંપરા, ગૌરવ અને ઓળખ છે. ગરબા વિશે ન જાણતો હોય તેને ગુજરાતી કહેવો કે કેમ એ પણ પ્રશ્ન છે. નવ-નવ દિવસ ગરબે રમ્યા પછી પણ ન થાકનારા ખૈલેયાઓ દશેરાએ પણ મન મૂકીને નાચે છે. પણ એમાં ગરબારૂપી સામૂહિક નૃત્ય કેન્દ્રસ્થાને નથી. કેન્દ્રમાંં તો શ્રદ્ધા છે. સતત નવ દિવસ રાક્ષસી અત્યાચાર સામેની માતાજીની લડાઈ આપણને અન્યાય સામે લડવાની પ્રેરણા આપે છે. આ લડાઈની ઊજવણીને આપણે ભક્તિ, પૂજા અને નૃત્ય થકી વ્યક્ત કરીએ છીએ. બ્રહ્માંંડ પોતે એક મહાકાય ગરબા જેવું છે, જેમાં સેંકડો ગ્રહોરૂપી દીવડાઓ યુગોથી ઝળહળી રહ્યા છે.

ગુજરાતી સાહિત્યના ગગનચોકમાં અનેક સર્જકોએ પોતાના દીવડા પ્રગટાવીને ભાષાના ગરબાને ઝળહળતો કર્યો છે. તેને પોતાના હૃદયનું અજવાળું આપીને રળિયાત કર્યો છે. ગુજરાતી ગઝલમાં સમયાંતરે વિવિધ પ્રયોગો થતા રહ્યા છે. પરંપરાના સ્વરૂપને ગઝલમાં ઓગાળી તેનો ભાવ અને ભાવનાને અનોખી રીતે રજૂ કરવામાં અનેક સર્જકો બખૂબી સફળ રહ્યા છે. અશરફ ડબાવાલા તેમાંના એક છે. ડાયસ્પોરા સાહિત્યના દરિયામાં શબ્દનું વહાણ તરતું રાખવામાં તેમનો ફાળો અમૂલ્ય છે. વિદેશી ભૂમિ પર સ્વદેશી કવિતાનું બીજ રોપી તેને નિરંતર પોષણ આપતા રહેવાનું કામ સહેલું નથી. કવિતાના વિવિધ સ્વરૂપોમાં મૂલ્યવાન પ્રદાન કરીને આ કપરું કામ તેમણે બખૂબી પાર પાડ્યુંં છે. લોગઇનમાં આપવામાં આવેલી ગઝલ આ વાતની સફળ સાબિતી છે.

ગરબામાં મા આદ્યશક્તિની આરાધના રજૂ કરવામાં આવે છે, અહીં કવિએ ભાષારૂપી આદ્યશક્તિની આરાધના કરી છે. તેમણે પ્રથમપંક્તિમાં જ ભક્તિભાવરૂપે તે વાત કરી છે. માએ મનને ગજાવ્યા ગઝલગોખમાં રે… એમ કહે છે ત્યારે કવિ કવિતાનો ભાવ ગરબાનો રાખે છે, પણ સ્વરૂપ ગઝલનું લે છે. આ સમન્વય બહુ અલાયદો અને અનોખે છે. અને અહીં મા એટલે કોણ? કવિ તો અહીં ભાષાને જ જગદંબા અને જગતજનની ગણે છે. ભાષારૂપી જગદંબા કવિના મનનો નાદ ગઝલગોખ ગજાવે છે. નાદમાંથી જ તો શબ્દ જન્મે છે. એટલા માટે જ તો બીજી પંક્તિમાં શબ્દના ચોકમાં જવાની વાત કરે છે. પ્રત્યેક શેર એક નોખી ભાવના લઈને પ્રગટે છે. જાણે ગઝલના ચોકમાં ભરાતા સંવેદનાના તાલ. તેમાં વ્યથા છે અને કથા પણ છે. તેમાં વેદના છે અને સંવેદના પણ. તેમા લાગણી છે અને બળબળતી લાય પણ. એક શેરમાં તો પીડાને જ મા તરીકે રજૂ કરે છે.
મારે પીડાની મા કેવી હાજરાહજૂર!
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે!

વ્યથા ચિત્તમાં ઊછાળા મારતી હોય પણ આંસુની વાટે બહાર ન નીકળે શકે તો ડૂમાનુંં રૂપ ધારણ કરતી હોયછે. પણ એ વ્યથાનો બંધ તૂટે ત્યારે પોક મૂકાઈ જાય છે. આ જ ઘટનાને જાણે માતાજી પોતે હાજરાહજૂર થઈને દર્શન આપતા હોય તેવી ભાવના સાથે કવિએ રજૂઆત કરી છે.

કવિએ ગઝલ અને ગરબી બંને સ્વરૂપને એકમેકમાં બખૂબી ઓગાળી દીધા છે. તેમની એક અન્ય ગઝલ છે, જે વાંચતા ભજન અને ગઝલ પરસ્પર ઓગળી ગયા હોય તેવું લાગે. તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

એની ઊંચી ડેલી છે ને મારા નીચા ઓટાજી,
સંબંધોના સરવાળાઓ અંતે પડતા ખોટાજી.

રખડી રઝળી આવ્યો છું હું ચોરાઓ ને ચૌટાંઓ;
તોય વધ્યા છે મારામાં બેચાર હજી હાકોટાજી.

કાલે પાછાં ઠેલાયાં’તાં મારા હાથોનાં વંદન,
ચરણોમાં આવી ગ્યા આજે પંડિત મોટામોટાજી.

જીવનના ફાનસનો કિસ્સો એમ થયો છે પૂરો લ્યો,
દિવસે ઝળહળ વાટ હતી ને સાંજે ફૂટ્યા પોટાજી.

ફળિયામાંથી ઝાંઝર લઈને ચાલ્યાં ગ્યાં’તાં પગલાં જે,
રસ્તે રસ્તે શોધ્યાં એને, ક્યાંય જડ્યા નહિ જોટાજી.

આખેઆખો જનમ લઈને તરસ અઢેલી બેઠા’તા;
અંતસમયમાં શું સૂઝ્યું કે જીવ થયા ગલગોટાજી.

એમ જીવી ગ્યા માણસ થઈને પીડાઓના જંગલમાં,
ફૂલ સુકાયું હાથોમાં ને મનમાં ફૂટ્યા કોંટાજી.

- અશરફ ડબાવાલા

‘હા’ શબ્દ આટલો ટૂંકો કેમ હોય છે?

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

‘હા’ શબ્દ આટલો ટૂંકો કેમ હોય છે?
એ તો સૌથી લાંબો
અને સૌથી મુશ્કેલ હોવો જોઈએ,
જેથી તમે ક્યારેય કોઈનેય તરત ન કહી શકો,
અને તમારે એટલું બધું વિચારવું પડે
કે તમે 'હા' કહેતા પહેલાં વચ્ચે જ અટકી જાઓ...

- વેરા પાવલોવા (ભાવાનુવાદ - વિશાલ ભાદાણી)

વેરા પાવલોના રશિયવન કવયિત્રી છે, જેણે વીસ કરતા વધારે કાવ્યસંગ્રહો પ્રકાશિત કર્યાં છે અને પચીસ કરતાં વધારે ભાષામાં તેમની કવિતાઓના અનુવાદો થયા છે.

ઘણા લોકો કોઈ કામમાં સરળતાથી ના નથી પાડી શકતા. એવું કરવામાં તેમને સંકોચની અણીદાર સોય ભોંકાતી હોય છે. ના પાડીશ તો સામેવાળાને કેવુંં લાગશે? આટલું વાક્ય તેમને કોરી ખાય છે. તેમની મરજી હોય કે ન હોય. સોંપવામાં આવેલું કામ ગમે છે કે નહી, પોતે અન્ય કામમાં વ્યસ્ત છે કે નહીં, તેની પરવા કર્યા વિના સોંપાયેલા કામની સડક પર પરાણે ડગલાં ભરવા માંડે છે. આવા માણસોની સંખ્યા ઓછી નથી. એટલા માટે જ Steven Hopkinsએ How to Say No અને Henry Cloud તથા John Townsendએ BOUNDARIES નામનાં પુસ્તકો લખ્યાં છે. જે મનદુઃખ ના થાય તે રીતે પ્રેમથી ના પાડવાની કળા શીખવે છે. બંને પુસ્તકોની લાખો કોપીઓ વેચાઈ છે. જે સૂચવે છે કે લોકોને ના પાડવી હોય છે, પણ કયા શબ્દોમાં કહેવું તે સમજાતું નથી.

વેરા પાવલોનાએ સહેલાઈથી કહી દેવાતી ‘હા’ની સામે સવાલ ઊઠાવ્યા છે. તેણે શોધી કાઢ્યું છે કે ઝડપથી હા બોલાઈ જવાનું કારણ છે તેનો શબ્દ - હા. તેણે ‘હા’ શબ્દને આ સમસ્યાનું મૂળ ગણાવ્યો છે. આ બધી જફા ‘હા’ નામના શબ્દને લીધે ઊભી થાય છે. જો એ શબ્દ આટલો ટૂંકો ન હોત, લાંબો હોત, બોલવામાં સમય માગી લે તેવો હોત, અને ઉચ્ચારમાં પણ અઘરો હોત તો તેને બોલતી વખતે જતો સમય અને ઉચ્ચારમાં પડતી મહેનત દરમિયાન વિચારવાનો સમય તો મળી રહેત. હા પાડવાની ઇચ્છા ન હોય તો પેલો શબ્દ વચ્ચેથી જ અટકાવી દઈ શકાય. પણ એવું છે નહીં. એક અક્ષરનો શબ્દ તો છે. એ શબ્દ ઉચ્ચારાઈ જાય એટલે પત્યું. બંદુકમાંથી ગોળી નીકળી ગઈ, ધનુષમાંથી તીર છૂટી ગયું, પછી શું?

હા કહી દીધા પછી ઘણી વાર એમ થાય છે કે ક્યાં હા પાડી? આ અનુભવમાંથી દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક પસાર થઈ હશે. કોઈકના દ્વારા સોંપાયેલ કામ ઘણી વાર મન ન હોય છતાં કરી નાખીએ છીએ, અને વળી કર્યા પછી વસવસાની વાટકીમાં અફીણ જેમ ઘોળાતા રહીએ છીએ. સામેની વ્યક્તિ તો કહીને છટકી જાય છે, આપણે જવાબદારી ઘેનમાં ઘોરાતા રહીએ છીએ. મનોમન કચવાતા રહીએ છીએ, પોતાને જ કહેતા રહીએ છીએ કે આવું બોલીને ના પાડી દેવા જેવી હતી, તેવું બોલીને સમજાવી દેવા જેવા હતા. પણ ત્યાં સુધીમાં તો આપણે પોતે સામેના માણસે સોંપેલા કામે વળગી ગયા હોઈએ છીએ. એક લેખક કે કવિ પોતાનું સર્જન કરવા બેઠો હોય ત્યારે અચાનક અન્ય કોઈ ફોન કરીને કહે કે આ જુઓને કેવું લખાયું છે? આ એક વાક્યથી સર્જકનો પોતાનો લખવાનો વિચાર લટકી પડતો હોય છે અને બીજાએ સોંપેલા વિચારની ખીંટીએ લટકી જતો હોય છે. લગ્નનો દાખલો લઈ લોને. ઇચ્છા ન હોવા છતાં માતા-પિતા, પરિવાર, સમાજની શરમે ઘણા બધા હા પાડી દે છે અને પછી જિંદગીભર પોતાની ક-મને કહેવાયેલી ‘હા’ના પાણા એકલા ને એકલા ચુપચાપ પોતાના માથે માર્યા કરે છે.

પણ ધારો કે ના પાડવાની કળા આવડે છે - ના પાડી દીધી તો શું? મરીઝનો શેર ખૂબ પ્રચલિત છે.
હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

મરીઝ કહે છે, સાવ કોરીકોરી ના કહી દેવાની? થોડીક તો લાગણી બતાવવી’તી. જરાક તો સંવેદના રાખવી’તી. આવી અવહેલનાથી ના પાડવાની? થોડીક તો હમદર્દી દાખવવી’તી ના પાડવામાં. ના પાડવાની પણ એક કળા હોય છે. ઘણાની ના માથામાં પાણો માર્યો હોય એમ વાગતી હોય છે. કવયિત્રીએ હા શબ્દ સામે સવાલ ઊઠાવ્યો ત્યારે મરીઝ જેવા તો ના શબ્દ સામે પણ સવાલ ઊઠાવે કે ના શબ્દ પણ આટલો ટૂંકો ના હોવો જોઈએ, જેથી ના પાડનાર વ્યક્તિ પણ પોતાનો શબ્દ પૂરો કરે તે પહેલાં વિચાર બદલી શકે.

લોગઆઉટઃ

તારા સુધી પહોંચવા માટે
હુંં જીવનભર કવિતાઓ લખતી રહી,
પૂરી થઈ પછી ખબર પડી
કે હું ખોટા રસ્તે હતી.

- વેરા પાવલોવા (ભાવાનુવાદ - મનોજ પટેલ)

બે પંખીને મળવું છે, પણ નથી મળાતું

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

બે પંખીને મળવું છે, પણ નથી મળાતું.
એક વળાંકે વળવું છે, પણ નથી વળાતું!

એક પંખી છે પિંજરપૂર્યું,
પગ પણ બાંધ્યા પાશે;
અવર પંખી તે છિન્ન-પાંખ છે,
ઊડતાં કેમ ઉડાશે?
બે પંખીને ઊંચે જવું છે, નથી જવાતું;
જોડે રહીને,
જલ પીવું છે એક ઝરણનું, નથી પિવાતું! –

એક પંખીને દિવસ મળ્યો છે,
અવર પંખીને રાત,
એક કથે ને અવર સુણે એ,
કેમ બને રે વાત?
બે પંખીને,
એક ડાળ પર ઝૂલવું છે, પણ નથી ઝુલાતું
એકબીજામાં ખૂલવું છે, પણ નથી ખુલાતું. –

– ચંદ્રકાન્ત શેઠ

ચંદ્રકાન્ત શેઠની કલમથી અનેક ઉત્તમ ગીતો નીવડ્યાં છે. આ તેમાંનું એક છે. બે પંખીનાં મિલનની અવઢવ, મુશ્કેલીઓ, દશા અને દિશા વિશે તેમણે હૃદયસ્પર્શી ભાવ નિપજાવ્યો છે. આ બે પંંખી એવાં તમામ વ્યક્તિઓનાં પ્રતિક છે, જે મિલનની મર્માળુ ગલીઓથી વેગળાં છે. તેઓ પ્રેમના પમરાટથી મહેકતી કેડી પર સાથે ચાલવાની મહેચ્છા રાખે છે, પરંતુ અણીદાર અડચણો તેમને તેમ કરવા દેતી નથી. આસપાસ રચાયેલી રીત-રિવાજોની દીવાલો તેમને મિલનની માળા નથી ગૂંથવા દેતી. ડગલે ને પગલે ભેદભાવની ભીંતો આંખ આગળ આવીને ઊભી રહી જાય છે. સ્થળ-કાળની કઠણાઈઓ, સંજોગોની ભોંકાતી સોય, અને સ્થિતિ-પરિસ્થિતિનું જાળું એવુંં તો ગૂંંથાય છે કે તેમાં તે અટવાઈ જાય છે.

બે વિરોધાભાસી જગતમાં, સંજોગોમાં વસતાં વ્યક્તિત્વોને હૃદયની એક ડાળ પર ઝૂલવું હોય છે, પણ જગતને તેમનું ઝૂલવું પોસાતું નથી. જગતને પોતાના નિયમો હોય છે. એણે રચેલી કેડી પર અને એણે નક્કી કરેલાં ડગલાં ભરીને ચાલશો તો તમે સારા, પણ જેવા તમારા હૃદયનું સાંભળીને પોતાનું ડગલું જાતે માંડશો કે દુનિયાદારી ભીંતની જેમ તમારી આગળ આવીને ઊભી રહી જશે. તેની પર માથું પછાડી પછાડીને તમે મરી જશો, તો તમને હારેલા ગણશે, હસશે તમારી પર. ઠેકડી ઉડાડશે તમારી. પણ એ જ ભીંતને ભોંયભેગી કરશો તો તમતમી ઊઠશે તમારી પર. તમને ધૂળભેગા કરવા કોશિશ કરશે. ભીંતને ભાંગીને ભૂક્કો કરીને પોતાનું આકાશ જાતે રચીને એમાં ઉડ્ડયન કરશો તો આંખ પર નેજવું કરીને ઈર્ષાથી તમને નિહાળતા રહેશે. સમય જતાં કહેશે, જુઓ કેવો છકી ગયો છે.

પ્રણયના પંખીને નિયમબધ્ધ સળિયાથી બનેલા પીંજરામાં રહીને પાંખો ફેલાવવાનું નથી ફાવતું. એણે પોતાનું આકાશ શોધીને તેમાં ઊંચી ઉડાન ભરવી હોય છે. ગમતાં પંખી સાથે રહીને નેહ નિતરતા નભને આંબવું હોય છે, વાદળોમાં વિહાર કરવો હોય છે. હૃદયની વીણાના તાર ઝંઝેડી ગમતા સૂર છેડવા હોય છે. નયનની લિપિ ઉકેલવી હોય છે. કોઈની સાથે મીઠી નજરનો પુલ બાંધવો હોય છે, પછી તે પુલ પર હાથમાં હાથ નાખીને ચાલવું હોય છે. વહાલના વહેતા ખળખળતા નીરને ખોબો ભરીભરીને પીવું હોય છે. પણ સતત એક અદૃશ્ય બેડી તેના પગમાં બંધાયેલી હોય છે, જે આ બધું નથી કરવા દેતી. પંખીને ઊડવું છે, પણ નથી ઉડાતું, પેલી બેડી જાણે અજાણે તેને બાંધી રાખે છે. ક્યાંક પગમાં સાંકળ છે તો ક્યાંક પાંખ ઘવાયેલી છે. તમારી આશાનો દીવડો પવનથી બુઝાય નહીં એટલે તેની ફરતે અમે ટેકણિયું મૂક્યું છે એમ કહીને એ દીવો સાવ ઠારી નાખશે. મિલનની મીણબત્તીને ઓલવી નાખશે.

ગીત, છાંદસ, અછાંદસ, ગઝલ જેવાં વિવિધ કાવ્યસ્વરૂપોમાં ઊંડું ખેડાણ કરવાની સાથે ગદ્યમાં પણ મહત્ત્વનું પ્રદાન કરનાર ચંદ્રકાન્ત શેઠે નવલકથા સિવાય તમામ સ્વરૂપોમાં ખૂબ કામ કર્યું છે. ‘શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને, એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.’ કે “ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ” કે “સાંકડી શેરીમાં આકાશ વેચવા નીકળ્યો છું” કે “ઊંડું જોયું અઢળક જોયું” જેવાં તેમણે રચેલાં અનેક કાવ્યો ગુજરાતી ભાષાનાં ઘરેણાં સમાન છે. આ સર્જકને આપણે થોડા સમય પહેલા જ ગુમાવ્યા. ગુજરાતી ભાષાના આકાશમાં શીતળ ચંદ્રની જેમ તેઓ હર હંમેશ ચમકતા રહેશે.

લોગઆઉટઃ

નભ ખોલીને જોયું, પંખી નથી નથી;
જળ ખોલીને જોયું, મોતી નથી નથી.

સતત છેડીએ તાર, છતાં કંઈ રણકે નહીં;
આ કેવો ચમકાર ! કશુંયે ચમકે નહીં !
ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી. –

લાંબી લાંબી વાટ, પહોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય?મને સમજાય નહીં;
આ તે કેવો દેશ? દિશા જ્યાં નથી નથી !
આ મારો પરિવેશ? હું જ ત્યાં નથી નથી !

- ચંદ્રકાન્ત શેઠ

સત્ય બ્હાર આવે છે!

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

તપાસ થાય પછી સત્ય બ્હાર આવે છે,
પ્રયાસ થાય પછી સત્ય બ્હાર આવે છે.

ભર્યું છે તેજ-તમસ કેટલું આ સૃષ્ટિમાં?
અમાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

પ્રયાણ સ્વપ્ન સમી જાતરાનું થાય અને
પ્રવાસ થાય પછી સત્ય બ્હાર આવે છે.

નિહાળી બીજ અભિપ્રાય કેમ આપો છો?
વિકાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

પ્રથમ નજરથી તમે જેને ખાસ માનો છો,
એ ખાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

પહેલાં વાત કરે છે એ સાત જન્મોની,
સમાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

– શૈલેશ ગઢવી

સત્ય સાપેક્ષ હોય છે. એકનું સત્ય બીજાનું ન પણ હોય. ઢળતી સાંજે ભારતના કોઈ સુંદર સરોવર કિનારે બેસેલા વ્યક્તિનું સત્ય આથમતા સૂર્યનું અજવાળું હોઈ શકે, જ્યારે એ જ સમયે અમેરિકામાં બેઠેલા માણસને પોતાનું સત્ય ઊગતા સૂર્યના અજવાળામાં પ્રાપ્ત થાય તેમ બને. સત્ય - સ્થળ, કાળ, વ્યક્તિ, વર્તન, દશા અને દિશા પ્રમાણે રૂપ ધારણ કરતું હોય છે. એ રૂપમાં આપણું સ્વરૂપ કયું છે તે કળી લેવાનું હોય છે. એ શોધવા માટે જાતતપાસના જળમાં ખૂબ ઊંડી ડૂબકી મારવી પડે છે. એ મહાસાગરની ઊંડી ડૂબકી પછી પણ સત્યનું સોનેરી મોતી હાથ લાગ્યું તો લાગ્યુંં. મહાસાગરમાં મોતી શોધવા જતા મરજીવાને પણ ક્યાં એક ડૂબકીમાં મોતી મળી જાય છે. સેંકડો કોશિશ પછી એકાદમાં માંડ કંઈક પ્રાપ્ત થતું હોય છે. વળી આપણું સત્ય આપણું એકલાનું નથી હોતું. આપણી સાથે જોડાયેલી વ્યક્તિઓ, આસપાસનું વાતાવરણ, આપણું વર્તન અને આપણી સાથે થતું વર્તન, આપણા વિચારો, વાણી અને વ્યવહાર એ બધામાં છૂટુંછવાયું વિખેરાયેલું પડ્યું હોય છે. એને અંતરમનના અજવાળે બેસીને એકઠું કરવું પડતું હોય છે. નીતિન પારેખનો સુંદર શેર છે-
એકઠું જે કર્યું તે અંધારું,
વ્હેંચીએ તે પ્રકાશ લાગે છે.

દિવસે ખરા તડકે લાગે છે કે નભમાં સૂર્ય સિવાય કશું જ અસ્તિત્વ ધરાવતું નથી, પણ રાત પડતાની સાથે સેંકડો તારાઓ ચમકી ઊઠે છે. આકાશ ચંદ્ર સહિત અનેક ગ્રહોથી રળિયાત થતું દેખાય છે. અમાસમાં તો ચંદ્રની પણ બાદબાકી થઈ જાય છે, પછી પણ સેંકડો સિતારાઓના દર્શન થાય છે. ઘણી વાર આપણે અમુક પ્રકાશમાં અંજાયેલા હોઈએ છીએ અને તેના લીધે જિંદગીના અનેક સિતારાઓ આપણે નિહાળી જ નથી શકતા. જેવો જીવનમાં અંધકાર છવાય કે તરત ભાન થાય કે કોના કોના અજવાળાથી આપણે વંચિત હતા. ઘણાં સત્ય આઘાતની અણિયાળી તલવારથી લોહીઝાણ થયા પછી જ સમજાતાં હોય છે. આંખ સામે હોય છતાં ન કળાતું સત્ય એક દિવસ અચાનક સોયની જેમ ભોંકાય છે. બદામ ખાવા કરતા ઠોકર ખાવાથી વધારે યાદ રહેતું હોય છે.

વિશાળ વડનું બીજ રાઈના દાણા જેવું નાનું હોય છે, તેની આવી સૂક્ષ્મતા જોઈને હસનારા જ્યારે તે ભીંંત ફાડીને ઊગી નીકળે છે ત્યારે મૂર્ખા સાબિત થતા હોય છે. એક નાનું બીજ વિશાળ વડનું સત્ય સાચવીને બેઠું હોય છે. જેની સાથે જિંદગીની સત્ય શોધવાના સપનાં સેવ્યાં હોય તે ખરેખર પ્રાપ્ત થાય ત્યારે પેલું સપનામાં જોયેલું સત્ય આભાષી લાગી શકે. આ જ તો છે જિંદગી. બધાને એમ લાગે છે કે સુખ સામા કિનારે છે. સામા કિનારાવાળાને પણ એવુંં જ લાગતું હોય છે.

કવિ શૈલેષ ગઢવીએ પોતાના હૃદયના સરોવરમાં ડૂબકી મારીને ગઝલરૂપી મોતી મેળવ્યું છે. ગઝલ જેટલી સરળ છે, એટલી જ મુશ્કેલ છે. ગંગાસતી કહે છે તેમ વીજળીના ચમકારે મોતી પરોવવાનું હોય છે, પણ ચોવીસે કલાક બલ્બ હાથવગો થઈ જાય પછી મોતી પરોવવાનું મન રહેતું નથી. મળી જાય પછી તેની મહોબત રહેતી નથી. અભાવ ક્યારેક પ્રાપ્તિ તરફ દોરી જાય છે. કોઈ પણ કલામાં જ્યારે સિદ્ધ થઈ ગયાનો ભાવ આવે ત્યારે કલા ચૂપચાપ ત્યાંથી વિદાય લઈ લેતી હોય છે. શૈલેષ ગઢવીની આ ગઝલ માવજત માગી લે તેવી છે. સજ્જતા ન રહે તો સરી જાય. શેરના પ્રથમ મિસરા પછી બીજા મિસરામાં માત્ર કાફિયા પૂરતી જ જગા છે, અર્થાત્ પ્રથમ પંક્તિની રચના પર જ શેરની સજ્જતાને ઊભી રાખવાની છે. આમ કરવામાં તેઓ તેઓ પૂર્ણપણે સફળ થયા છે. મત્લાથી મક્તા સુધીનો તેમનો પ્રવાસ સાદ્યંત આસ્વાદ્ય થયો છે.

લોગઆઉટઃ

ભર્યા દરબાર વચ્ચે ઊભવાનું ખૂબ કપરું છે !
ગુનાના ભાર વચ્ચે ઊભવાનું ખૂબ કપરું છે !

તરુ માફક બધી મુશ્કેલીઓ વ્હોરી તો લઈએ પણ,
સમયના માર વચ્ચે ઊભવાનું ખૂબ કપરું છે!

નથી કોઈ ગતાગમ આભ ક્યારે તૂટવાનું છે?
સતત આસાર વચ્ચે ઊભવાનું ખૂબ કપરું છે.

કર્યા કરવી છે કેવળ સરભરા શ્વાસોચ્છવાસોની,
પણ અંદર બ્હાર વચ્ચે ઊભવાનું ખૂબ કપરું છે !

શરત એવી, જરા પણ લાગણી સાથે તણાવું નહીં,
વિના આધાર, વચ્ચે ઊભવાનું ખૂબ કપરું છે!

થયાં છે પ્હાડ ચરણો બુદ્ધ માફક કેમ નીકળવું ?
આ અંતરગાર વચ્ચે ઊભવાનું ખૂબ કપરું છે.

~ શૈલેશ ગઢવી