માના પેટમાંથી મળેલી ટૂંટિયું વાળવાની તાલીમ

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે 
આવતી કૉલમ 
અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇન:

ઊભા થઈએ
તો છાપરું અડે
લાંબા થઈએ
તો ભીંતડું
તોય
કાઢી નાંખ્યો જનમારો
સાંકડમાંકડ

દોહ્યલામાં કામ લાગી
માના પેટમાં મળેલી
ટૂંટિયું વાળીને રહેવાની તાલીમ

– વજેસિંહ પારગી

ગુજરાતીમાં ભાષાની ચીવટાઈ બાબતે ખૂબ ગરીબાઈ પ્રવર્તે છે. આવી સ્થિતિમાં વજેસિંહ પારગી જેવો છેવડાનો માણસ ભાષા-ચોકસાઈમાં પ્રથમ હરોળનું કામ કરતો. જયંત પાઠકે લખ્યું હતું, ‘આંગળીમાં આદિવાસીનું તીણું તીર’ તે વાત વજેસિંહને બરોબર લાગુ પડતી. આદિવસી પરિવારમાંથી આવેલ આ કવિની આંગળીમાં રહેલી કલમ તીણા તીર જેવું કામ કરતી. એ તીર મુદ્રારાક્ષસની ક્ષતિને બરોબરનું વીંધતું. ભાષાની ભૂલ તેમની ઝીણી આંખે તરત પકડાઈ જતી. આજના સમયમાં આવા જાગ્રત પ્રૂફરીડર દીવો લઈને ગોતવા જાવ તોય ન મળે. વજેસિંહ તો ચીંથરે વીંટ્યું રતન હતા. થોડા દિવસ પહેલા જ આપણે આ રતનને ગુમાવ્યું. લાંબા સમય સુધી કેન્સરની બીમારી સામે ઝઝૂમીને અંતે દાહોની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ભાષાના વિશાળ જંગલમાં આજીવન ‘આગિયાનું અજવાળું’ પાથરતા રહેલા આ સર્જકે પોતાની મસ્તીથી સર્જનની સાદડી વણી છે. પોતાના ચિત્તમાં બાઝતા વિચારોના ઝાકળમાંથી મોતી બનાવવાના પ્રયત્નો કર્યાં છે. ટૂંકી કવિતા લખતા આ કવિનું વિચારવિશ્વ વિશાળ હતું. દાહોદના અંતરિયાળ ગામમાંથી શહેરમાં સ્થાયી થયેલા વજેસિંહે જીવનના અનેક વરવાં રૂપો પ્રત્યક્ષ જોયાં-અનુભવ્યાં હતાં. સાંકડમાંકડ જિંદગી તેમને માફક આવી ગઈ હતી. આખી જિંદગી તેઓ એક ફક્કડ ગિરિધારી જેવી જીવ્યા છે. 
જલન માતરીનો એક શેર છે- 
એટલું મોટું મળ્યું છે ઘર ‘જલન’ કે શું કહું, 
સ્હેજ ચાલું છું ને ઘરની બહાર આવી જાઉં છું

પ્રથમ પંક્તિ જોતા લાગે છે કે કવિ પોતાના વિશાળ ઘર વિશે કહે છે. પણ પછીની પંક્તિમાં ખબર પડે છે કે ખરેખર તો કવિ વિશાળ નહીં, પોતાના નાનકડા - ખોબા જેવડા ઘર પર કટાક્ષ કરે છે. વજેસિંહ પારઘી તો આનાથી પણ આગળ જાય છે. ઘરની બહાર નીકળવાની પણ જરૂર નથી. ઘર એટલું નાનકડા કૂબા જેવડું છે કે ઊભા થઈએ તો માથું ટકરાય અને આડા પડીએ તો પગ અથડાય ભીંતે. આવી સ્થિતિમાં રહેવું કઈ રીતે? છતાં તેમણે જન્મારો કાઢી નાખ્યો. તેનું કારણ પણ ખૂબ કાવ્યાત્મક આવ્યું છે. જન્મારો આવી સંકડાશમાં કાઢવા માટે ટૂંટિયું વાળીને રહેવાની તાલીમ તેમને જન્મ પહેલાથી મળતી આવી છે - છેક માના ગર્ભમાં હતા ત્યારથી. બાળક ગર્ભમાં ટૂંટિયું વાળીને પડ્યું રહે તેમ આજીવન અમે ગરીબાઈ, દરિદ્રતામા, હાડમારીમાં એક નાનકડા ઘરમાં ટૂંટિયું વાળીને પડ્યા રહ્યા. કેવી કરૂણતા!

જોકે આ ટૂંટિયું વાળવાની વાત સાંકડા ઘર સુધી સીમિત નથી. કવિ તો પ્રતીકના પલકારે મોતી પરોવતો હોય. એ કોઈ એક વિષયની વેલની વીંટળાઈને ન રહે. એ તો અર્થના આકાશમાં લાંબી ઉડાન ભરવા પ્રયત્ન કરતો હોય છે. વજેસિંહની આ કવિતા એવા જ પ્રયત્નનું સફળ પરિણામ છે. વાત વ્યથાની છે. ઘરની ભીંતો અને છત તો પ્રતીક માત્ર છે. વિશાળ બંગલામાં રહીને પણ તમે ટૂંટિયું વાળીને રહેતા હોવ તેવું બને. સંજોગોની ભીંતો ચારે બાજુથી એવી ભીંસવા લાગે કે વિશાળ બાહુને સમેટવા પડે. લાંબા પગને ટૂંટિયામાં ફેરવી નાખવા પડે. ગર્વથી ઊંચું રહેતું માથું નીચે ઢાળી દેવું પડે. પરિસ્થિતિમાં પીંજરમાં પૂરાઈને પડ્યા રહેવું પડે. 

માત્ર આર્થિક કે સામાજિક સંકડાશ એ જ દુઃખ કે પીડાનું કારણ હોય તેમ નથી હોતું. જગતનાં દુઃખ જોઈએ ત્યારે ખબર પડે કે આપણાં દુઃખો તો કશું નથી. સુખ બાબતે આપણને પારકી થાળીનો લાડુ મોટો લાગે છે. બીજાની નકામી વસ્તુ પણ આપણને બહુ સારી અને કિંમતી લાગે છે. એ જ વસ્તુ આપણી પાસે આવે તો નકામી જણાય છે. દુઃખ બાબતે એનાથી ઊંધું છે. બીજાનું દુઃખ હંમેશાં આપણને નાનું લાગે છે, આપણને થાય છે કે હું જ દુનિયામાં સૌથી વધુ દુઃખી છું. જીવનમાં ઊભી થતી સંકડાશની સોયથી ઘાયલ થવાને બદલે તેના વડે ફાટેલી હાલતને સાંધવા પ્રયત્ન કરીએ તો કમ કે કમ વિપતના વસ્ત્રને થીંગડું તો લાગે. વહેલા-મોડાં એ પહેરી તો શકાય. કમ કે આપણી દરિદ્રતાના ઢાંકી તો શકાય. 

લોગઆઉટ:
ज़िंदगी तू ने मुझे क़ब्र से कम दी है ज़मीं
पाँव फैलाऊँ तो दीवार में सर लगता है
— बशीर बद्र


જે ઇલાજ હતો એ બીમારી બની ગઈ!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે 
આવતી કૉલમ 
અંતરનેટની કવિતા’નો લેખ

લોગઇન:


રહ્યો નથી રણકાર ધરમનો,

તૂટી ગયો છે તાર ધરમનો.


સ્વામીઓના ગજવામાંથી,

સરસર સરતો સાર ધરમનો.


રાતે ચોર લૂંટારાઓનો,

દિવસે છે અંધાર ધરમનો.


પરદાદાને પગે લગાડે,

માણસ છે બીમાર ધરમનો.


મંદિરનો બિઝનેસ કરે છે, 

એ છે વહિવટદાર ધરમનો.


બાકી સઘળે મંદી મંદી, 

ધંધો ધમધોકાર ધરમનો


દાદાને દીકરો કરવામાં, 

વ્હોરી લીધો ખાર ધરમનો. 

  

- હરદ્વાર ગોસ્વામી


જરૂરિયાત બધાની જનની છે એ વાતમાં જરા પણ મીનમેખ નથી. ભાષા, લગ્નરચના, સમાજ કે ધર્મ માનવજાતની જરૂરિયાતની કૂખમાંખી પેદા થયેલાં છે. એ કંઈ ઈશ્વરે રચ્યા નથી. અંગ ઢાંકવાની જરૂર જણાઈ તો કપડાં શોધાયાં. સંવાદની જરૂર પડી તો ભાષા રચાઈ. કુળ અને વારસાના જતન માટે સામાજિક વ્યવસ્થા રચાઈ. લગ્નની વ્યવસ્થા બની. માનવ એક સોસાયટીમાં સ્થાપિત થયો. ભણતર, તકનિક, વેપાર બધું જરૂરિયાત પ્રમાણે વિકસતું ગયું.  આ બધી બાહ્ય જરૂરિયાતની સાથોસાથ આંતરિક જરૂરિયાત પણ ઓટલી જ મોટી હતી. ધર્મ અને આધ્યાત્મ આવી જ આંતરિક ભૂખમાંથી જન્મ્યા છે.


મંદિરના પગથિયે સૂતો ભીખારી કે મહેલમાં સૂતો રાજા, બિઝનેસ ટાયકૂન કે સામાન્ય પટાલાળો, બધાને જોડતી કોઈ એક બાબત હોય તો એ છે શ્રદ્ધા. શ્રદ્ધાનો કોઈ ધર્મ નથી હોતો. હિન્દુ હોય કે મુસ્લિમ, ખ્રિસ્તી હોય કે પારસી બધાની આસ્થાનું અજવાળું તો સમાન જ હશે. જેમ નદીને વહેવા માટે એક પટની જરૂર છે, તેમ શ્રદ્ધાને વ્યક્ત કરવા ધર્મની જરૂર છે તેવું આપણે માનીએ છીએ. એટલા માટે જ તો મૂર્તિ પૂજીએ છીએ. ધજા ચડાવીએ છીએ, આરતી ઉતારીએ છીએ. મીરાંબાઈ તો એક કૃષ્ણની મૂર્તિ બાળપણમાં મળી હતી એના સહારે આખી જિંદગી જીવી ગયા અને ભારતીય ભક્તિસાહિત્યમાં અમર થયાં. જોકે મૂર્તિ, પૂજા, આરતી, પ્રસાદ આવું કરવાથી કંઈ  ફેર નથી પડતો, પણ આપણી આસ્થા મજબૂત કરવામાં તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પણ આ બધી વાતોને ધર્મના ઠેકેદારોએ ધંધો બનાવી નાખ્યો. નાળિયેર ચડાવશો તો જ આમ થશે, ફલાણું કરશો તો જ ઢીંકણું થશે એવી માન્યતાના દોરા બાંધવા માંડ્યા ભોળા લોકોને. 


ધર્મ એ આત્માનો ઇલાજ છે. પરિસ્થિતિ સામે પડતું મૂકનાર માણસને  ઘણી વાર શ્રદ્ધાનું તરણું મળી જાય તો તરી જતો હોય છે.  ધર્મ આમ તો માનવતાનો ઈલાજ કરવા માટે હતો. પણ જે ઇલાજ હતો એ હવે બીમારી બની ગઈ છે. જેનાથી ઉકેલ આવવો જોઈએ એ જ મુદ્દો ઝઘડાનું કારણ થઈ ગયો છે. પોતપોતાના ધાર્મિક વાડાઓ રચાવા લાગ્યા, એ વાડામાં વળી પંથ અને સંપ્રદાયોના કુંડાળા અલગ. આ બધા ચકરડામાં સામાન્ય માણસ વંટોળમાં ફંગોળાતા તરણા જેમ આમથી તેમ અટવાય છે. 


ધર્મ જીવનના મર્મની વાત કરવાના બદલે કડકડતી નોટોના કર્મની વાત કરવા લાગ્યો છે. આપણા મોટાભાગના મંદિરો આસ્થાના પ્રતીક બનવાને બદલે શ્રદ્ધાનો વેપાર કરતી દુકાનો વધારે લાગે છે. પ્રસાદ, દર્શન, ચડાવો, વીવીઆઈપીની અલગ વ્યવસ્થા આ બધાની એક વ્યવસ્થિત ચેન ગોઠવાયેલી છે. પુજારીથી દઈને દરવાન સુધીના માણસો આ ચેઈનમાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે. શેરબજારમાં કડાકો બોલી શકે, આઈટીની મોટી કંપની રાતોરાત ઊઠી જાય એમ બને, દેશ પોતે દેવાદાર થઈ જાય એવું પણ બને, પણ કોઈ મંદિર દેવાદાર બન્યું હોય એવું ક્યારેય સાંભળ્યું? મંદિર તો ધર્મના નામે રોકડિયો ધંધો કરતી હાટો છે. મસમોટા ભવ્ય મંદિરો તો એમ્પાયર સિવાય કશું નથી. આ બધી ધાર્મિક કોર્પોરેટ કંપનીઓ છે. 


હરદ્વાર ગોસ્વામીની ગઝલ આ બધી જ વાતોને ખૂબ ચીવટતાથી રજૂ કરી આપે છે. ધર્મનો તૂટી ગયેલો તાર પોતાનો રણકાર ગુમાવી રહ્યો છે. પણ એ રણકારની કોને પડી છે, રૂપિયાના રણકારની વાત કરો તો ભૂવા રાતોરાત પ્રભુને પણ પકડીને તમારા ઘરમાં બેસાડી આપે. જ્યોતિઓ ગ્રહોને ફેરવી નાખે. મોંઘી કાર લઈને મંદિરે જાવ તો પૂજારી ભગવાનને મૂકી દોડાદાડ તમારા સ્વાગતમાં આવી જાય. વાહ ધર્મનો રણકાર! 


આવા લોકો પાછા ધર્મને બચાવવાની વાતો કરતા હોય છે. ભગવાન બચાવે આવા લોકોથી.


લોગઆઉટ:


સ્મરણો વિનાની ક્ષણથી ઈશ્વર મને બચાવે!

ને, એક બે સ્મરણથી ઈશ્વર મને બચાવે!


હું સાચો હોઉં ત્યારે 'હું એકલો જ સાચો!'

એવા કોઈ રટણથી ઈશ્વર મને બચાવે!


ભૂલીને ધર્મ પહેલો, બીજો ભણાવે છે જે,

એવા બધા અભણથી ઈશ્વર મને બચાવે!


~ સંદીપ પૂજારા

સમંદર પી જવાની તાકાત

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે 
આવતી કૉલમ 
અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇન:

સમંદર પી જવાની હરક્ષણે તાકાત રાખું છું,
મને પડકાર ના હું સજ્જ મારી જાત રાખું છું.

સહજ રીતે ઘટે છે સર્વ ઘટના ભીતરે મારી,
સતત જોયાં કરું હું ને મને બાકાત રાખું છું.

ગમે ત્યારે ઉજાગર થઇ શકે અંધાર વર્ષોનો,
ઉઘાડાં બારણાં ઘરના દિવસ ને રાત રાખું છું.

મળે છે ક્યાં કદી પણ અંત કે આદિ હયાતીનો,
જરૂરત જોઇને હું વ્યાપની ઔકાત રાખું છું.

ગઝલના ધોધરૂપે અવતરણ તારું અપેક્ષું છું,
જટામાં હું નહીતર લાખ ઝંઝાવાત રાખું છું.

– ત્રિલોક મહેતા


નાની અમથી ઘટનાથી દુ:ખના ડુંગર નીચે ચગદાઈને છુંદો થઈ ગયા હોઈએ એવા મોઢા સાથે જીવનારા લોકો આપણે ત્યાં ઓછા નથી. બીજી તરફ માથા પર પહાડ પડે તો એને ય બાજુમાં ફંગોળીને આગળ નીકળી જનારાની સંખ્યા પણ કમ નથી. મુખ્ય પ્રશ્ન એ છે આપણે શું કરવું છે. કોઈ માણસ ઓશિયાળુ મોઢું કરીને જીવવા માગે ખરી? એ સંભવ જ નથી. બધાને રાજી રહેવું છે. સારા લાગવું છે. નિરાશ, નમાલા કે અળખામણા થઈને જીવવાનું કોઈને ગમતું નથી, પણ પરિસ્થિતિના પાંજરામાં એવા કેદ થઈ ગયા હોઈએ કે સંજોગોના સળિયા સ્વીકારી લે છે. માની લે છે કે હવે આમાંથી બહાર નથી નીકળવાનું. આ જ નિયતિ છે. પેલી હાથીની વાર્તાવાળી થાય છે આપણી સાથે.

હાથી, નાનું મદનિયું હોય ત્યારે તેને એક મજબૂત થાંભલા સાથે બાંધી દેવામાં આવે છે. એ વખતે તે છૂટવા માટે ખૂબ તાણ કરે તોય છૂટી નથી શકતું. એના મનમાં એવો વિચાર ઘર કરી જાય છે કે હું ગમે તેટલી મહેનત કરું પણ આ દોરડું મારાથી તૂટવાનું નથી. આ બંધન કાયમી છે. મદનિયું મહાકાય હાથી થઈ જાય, મજબૂત ખીલાને બદલે નાની ખીલી સાથે બાંધવામાં આવે તોય તે આંચકો મારીને છૂટવા કોશિશ નથી કરતું. તેણે મનથી સ્વીકારી લીધું છે કે આ ખીલો ઊખડવાનો નથી. આવા અનેક ખીલા લઈને આપણે જીવીએ છીએ. બાકી કોને ન ગમે દરિયો પી જવાની તાકાત? કિસ્મતના ચાકડાને ફુદરડી ફેરવીને ઈચ્છીએ તે રીતે ચલાવવાની કાબેલિયત કોણ ન ઇચ્છે? આવી મગરુરી તો બધાને જોઈએ છે. આ ઠાઠ બધાએ ભોગવવો છે. 

કવિતા, ફિલ્મ કે નાટક માનવઇચ્છાનું તીવ્રતાથી પ્રતિબિંબ પાડે છે. એ પ્રતિબિંબ જોઈને આપણામાં જોમ જાગે છે, જુસ્સો આવે છે. આપણે જાણીએ છીએ કે ફિલ્મમાં હીરો એક સાથે દસ-વીસ માણસને ધૂળ ચાટતા કરી દે એ સ્ક્રિપ્ટેડ છે. ડિરેક્ટરની કમાલ છે. આખી ઘટનાને તે એવી નાટકીય રીતે રજૂ કરે છે કે સાચી લાગવા માંડે છે. કવિ દરિયો પીવાની વાત કરે ત્યારે ખરેખર પીવા મંડી નથી પડવાનું. મૂળ વાત તો હિંમતની છે. “આ કવિઓ તો નવરા પડ્યા દરિયા પી જવા ને સમંદરને ઉથલાવવાની વાતો કરતા હોય છે. મહિને લાઇટ બિલ આવે તોય ભરવાનો વેંત હોતો નથી.” ઘણા આવું બોલીને ખીખિયાટા કરતા હોય છે. ભલા માણસ મૂળ વાત તો સમજો. 

કવિઓ પહાડને ફંગોળવાની વાત કરે, દરિયા ઉલેચવાનો ઉલ્લેખ કરે કે આભમાં કાણા પાડવાની તાકાત બતાવે તો કવિતા વાંચીને કવિ મહાકાય અને અત્યંત શક્તિશાળી હશે તેવું સમજી લેવાની જરૂર નથી. એ તો સાવ બીમાર કે જીર્ણ પણ હોઈ શકે. પણ કવિ પોતાની કલ્પનાની ઔષધિ વડે એવું દ્રવ્ય રચવા માગે છે કે તે કાનમાં રેડાય તો નિરાશાની ખાઈમાં પટકાયેલો માણસ હડી કાઢતો દોડવા માંડે. મરવા પડેલો માણસ બેઠો થઈ જાય. ટ્રેનના પાટે પડતું મેલવાનું વિચારતા માણસની જિંદગી પાટે ચડી જાય!

ત્રિલોક મહેતા જેવો સજ્જ કવિ આ વાત સારી રીતે જાણે છે. એટલા માટે તો એ મરી ગયેલા મનખાને આવા શબ્દોની સંજીવની આપીને બેઠા કરવાના પ્રયત્ન કરે છે. અને સાચી કવિતા તો દરિયાના તળે પડેલા મોતી જેવી હોય છે. વારંવાર વિચારોના દરિયામાં ઊંડી ડૂબકી લગાવવી પડે છે. એ ડૂબકી પછી મોતી પ્રાપ્ત થાય, ના પણ થાય. પણ કવિ પ્રયત્ન નથી છોડતો. અને કવિને એક કવિતા સર્જવાથી મળે છે શું? એના ખાતામાં કંઈ લાખો રૂપિયા તો આવી નથી પડતા કે ગીતકારની જેમ તે મંચ પર ગાય તો તેને લાખોનો ચેક પણ નથી મળતો છતાં તે કેમ સર્જ્યા કરે છે કવિતા? હાડમારી પછી પણ કેમ વળગેલો રહે છે શબ્દને, ક્યાંથી લાવે છે દરિયાને પી જવાની તાકાત? એ તો ત્રિલોક મહેતા જેવો સજ્જ કવિ જ કહી શકે. 

લોગઆઉટ:

“યે કૈંચિયા હમે ક્યાં ખાક રોકેગી, 
હમ પરોં સે નહીં હૌંસલો સે ઊડતે હૈ.” 
~ રાહત ઇન્દૌરી

માણસ માણસ સિવાય બધું જ છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે 
આવતી કૉલમ 
અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇન: 

अब तो मज़हब कोई ऐसा भी चलाया जाए।
जिसमें इंसान को इंसान बनाया जाए। 

जिसकी ख़ुशबू से महक जाय पड़ोसी का भी घर
फूल इस क़िस्म का हर सिम्त खिलाया जाए। 

आग बहती है यहाँ गंगा में झेलम में भी
कोई बतलाए कहाँ जाके नहाया जाए। 

प्यार का ख़ून हुआ क्यों ये समझने के लिए
हर अँधेरे को उजाले में बुलाया जाए। 

मेरे दुख-दर्द का तुझ पर हो असर कुछ ऐसा
मैं रहूँ भूखा तो तुझसे भी न खाया जाए। 

जिस्म दो होके भी दिल एक हों अपने ऐसे
मेरा आँसू तेरी पलकों से उठाया जाए। 

गीत उन्मन है, ग़ज़ल चुप है, रूबाई है दुखी
ऐसे माहौल में ‘नीरज’ को बुलाया जाए।

~ गोपालदास नीरज

ભારત સરકારની સર્વોચ્ચ ન્યાયાલયનું એક આદર્શ વાક્ય છે - धर्मो रक्षति रक्षितः આ જ વાક્ય ‘મહાભારત‘ અને ‘મનુસ્મૃતિ‘માં પણ મળી આવે છે. તેનો સરળ અર્થ થાય, જે ધર્મનું રક્ષણ કરે છે ધર્મ તેનું રક્ષણ કરે છે. મોટા ભાગના લોકો ધર્મ એટલે ઈશ્વરની આરાધના, પૂજા, આરતી, યજ્ઞ એવો કરતા હોય છે. ધર્મને આપણે ઈશ્વર સાથે જોડવાથી ટેવાયેલા છીએ. કેમ કે વર્ષોથી પુજારીઓ-સંતો-પંડિતો સત્ય, અહિંસા, માણસાઈ, પરોપકાર, પ્રેમ, સદાચાર, ઉદારતા, દાન વગેરે વિશે વાત કરતા આવ્યા છે. આપણે એ વાતને ધર્મ સમજવાને બદલે વાત કરનારને જ ધર્મ ગણી લીધો. વિચારને ખસેડી વ્યક્તિને કેન્દ્રમાં મૂકી દીધી. એટલા માટે આપણે ત્યાં સંતોનું મહત્વ સત્ય કરતા પણ વધારે છે, ભગવાન કરતા પુજારીનું મહત્વ વધારે છે, જ્ઞાન કરતા ગુરુનું મહત્વ વધુ છે. માણસાઈને હડસેલી માણસ આગળ બેસી ગયો છે. સેંકડો મંદિરો, મસ્જિદો, દેવળો એનું જીવતું જાગતું ઉદાહરણ છે. દર્શન માટે પૈસા, આરતી માટે રીતસર હરાજી થતી હોય તેમ બોલી લગાવાય. ધર્મ અને ભગવાનના નામે જેટલી છોતરપીંડી થઈ છે એટલી બીજા કોઈના નામે નથી થઈ. આ બધા થપ્પા મારી મારીને માણસને માણસ નથી રહેવા દીધો. એ કાં હિન્દુ છે, કાં મુસ્લિમ, કાં ખ્રિસ્તી છે, કાં ઈસાઈ, ખાં બૌદ્ધ છે અથવા જૈન. માણસ માણસ સિવાય બધું જ છે.

મહાન કવિઓ-દાર્શનિકોએ અનેકવાર કહ્યું છે, અનેક વાર લખ્યું છે. પણ આપણી સમજણ સ્મશાનવૈરાગ્ય જેવી છે. સ્મશાનમાં જવાનું થાય ત્યારે જીવનની નશ્વરતા સમજાય. આ ભેદવાવ, આ નાતજાત, આ પદ-પ્રતીષ્ઠા, મારું-તારું, ઉચ્ચ-નિમ્ન બધું વ્યર્થ છે. છેવટે બધાએ આ માટીમાં ભળી જવાનું છે. મૃત્યુ એ જ જીવનનું અંતિમ સત્ય છે. જ્યાં સુધી જીવવું હંમેશાં નીતિના માર્ગે ચાલવું. આવી આવી વાતોનું એક મોટું કીડિયારું ઊભરાય છે મનમાં, પણ જેવા બહાર નીકળીએ કે મનમાં ઊભરાયેલા કીડિયારાને પદ-પ્રતીષ્ઠા જેવા ખાંડના દાણા દેખાવા માંડે છે. નાત-જાત રૂપી લાલચો ઘેરી વળે છે. પોતે શ્રેષ્ઠ હોવાની હવા ભરાઈ જાય છે. કોઈ માણસ પોતાને નિમ્ન માનવા તૈયાર નથી. અને શું કામ માને? બધા જ શ્રેષ્ઠ છે એવું માનીને ન ચાલી શકીએ? તકલીફ ત્યારે થાય છે જ્યારે પોતે બીજા કરતા શ્રેષ્ઠ છે એવા બણગાં ફુંકાવા માંડે. જ્ઞાતિના વાડા રચીને પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવાનું છળ યુગોથી ચાલ્યું આવે છે, કાળા-ધોળા રંગોના ભેદ ઊભા કરીને પણ પોતાની ઉચ્ચતા સાબિત કરવાના પ્રયત્નો થાય છે. અમીર-ગરીબની માપપટ્ટીથી પણ માણસને મપાય છે. 

માણસાઈ કરતા કહેવાતા ધર્મનું મહત્ત્વ વધવા માંડે ત્યારે સમજવું કે સાવધાન થવાનો સમય થઈ ગયો છે. પોતાનો ધર્મ બીજા કરતા શ્રેષ્ઠ છે તેવું બતાવવાની હોડ જામે ત્યારે ખતરાની લાલ બત્તી થઈ રહી છે તેમ સમજવું. એટલા માટે જ ગોપાલદાસ નીરજ જેવા કવિઓએ લખવું પડ્યું કે હવે એવો ધર્મ એવો હોવો જોઈએ જેમાં માણસને માણસ બનાવી શકાય. ભાઈચારાની જ્યોત જ્યાં નિરંતર જલતી રહે. સદાચારના સૂર વહેતા રહે. પ્રેમનાં પુષ્પો ખીલતા રહે. કોઈ એક જણ ભૂખ્યું હોય તેને જોઈને બીજાના ગળે કોળિયો ન ઊતરે તેવી ભાવનાત્મક ચેતના વેકસે ત્યારે ધર્મ પોતે ધન્ય થાય છે. કોઈની આંખો રડતી હોય ત્યારે નાતજાત, ઊંચનીચ જોયા વિના કોઈનો હાથ રૂમાલ બની જાય ત્યારે આપોઆપ ધર્મની ધજા વ્હેંત ઊંચી થાય છે.

લોગઆઉટ:

જ્યાં પાય મારા તહીં શીશ મારું,
જ્યાં દેહ મારો તહીં હૈયું મારું,
વસુંધરાનું વસુ થાઉં તો સાચું,
હું માનવી માનવ થાઉં તો ઘણું!
~ સુંદરમ

ચીર ખૂટ્યા હોય તો આ વિશ્વની હર નારને…

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે
આવતી કૉલમ 
અંતરનેટની કવિતા’નો લેખ

લોગઇનઃ

હો દયાળુ તો મને ઉત્તર ખુલાસાવાર દે
કા અગોચર વિશ્વનો થોડો ઘણો અણસાર દે

ચીર ખૂટ્યા હોય તો આ વિશ્વની હર નારને
તું ભલે તલવાર ના દે, ચીસમાં તો ધાર દે

~ મધુસુદન પટેલ

કૃષ્ણ એક એવું પાત્ર છે કે જેમના વિશે ગ્રંથોના ગ્રંથો લખી શકાય. ફિક્શન કથાઓની સિરિઝ થઈ શકે. એક આખો કથાસરિત સાગર રચી શકાય. નાટકો, ફિલ્મો, ડોક્યુમેન્ટ્રી, રીસર્ચ જે ધારો તે કરી શકો. કવિઓ તો સદીઓથી તેમના પર કવિતા લખતા થાકતા નથી. ભક્તો તેમના ગીત ગાઈ ગઈને અમર થઈ ગયા. પ્રેમલક્ષણાભક્તિની આખી પરંપરા કૃષ્ણભક્તિના ટેકે ઊભી છે. ઓશો રજનિશથી લઈને જે. કૃષ્ણમૂર્તિ સુધીના ચિંતકોએ કૃષ્ણની ફિલસૂફીને પોતપોતાની રીતે રજૂ કરી છે. આ એક એવું પાત્ર છે કે જેમાં દરેક માણસને કંઈક ને કંઈક મળે છે. તે ગોપીઓનાં વસ્ત્રો હરે છે, તો ગીતા પણ સંભળાવે છે. વાંસળી હોઠ પર ધરે છે તો આંગળી પર સુદર્શન પણ ધારણ કરે છે. અરે જરૂર પડે તો રણ છોડીને ભાગવામાં પણ તેમને સંકોચ નથી. સામાન્યમાં સામાન્ય માણસને કૃષ્ણ ગમે છે, તેનું કારણ જ આ છે કે સામાન્ય માણસમાં હોય તેવા તમામ ગુણ-અવગુણ તેમના પાત્રમાં જોવા મળે છે.

આપણે ત્યાં તો અવતારની પરંપરા છે. જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ વધે ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરે. આજે વિશ્વમાં સેંકડો યુદ્ધો થાય છે, ઠેરઠેર હત્યા, બળાત્કાર, ખુનામરકી, ચોરી, લૂંટફાટ, છેતરપીંડી જેવા અગણિત ગુનાઓ બને છે. ડગલે પગલે અધર્મરૂપી કાલીનાગ ફુંફાડા મારી રહ્યો છે, દુશાસનો વસ્ત્રાહરણમાં રચ્યાપચ્યા છે. શકુનિઓ કાવતરામાં પાવધરા થતા જાય છે. કંસ ખુલ્લે આમ અત્યાચારો આચરી રહ્યા છે. શિશુપાલો ગાળાગાળી કરી રહ્યા છે, પણ કૃષ્ણનું ક્યાંય પગેરું નથી દેખાતું. નારીના વસ્ત્રાહરણની વાત તો દૂર ખુલ્લેઆમ નગ્ન કરીને પરેડ કરાવાય છે. બળાત્કારો થાય છે. અરે, શરીરને કાપીને કૂકરમાં બાફીને કૂતરાને ખવડાવાય છે. નવજાત બાળકી સુધ્ધાંને કુદૃષ્ટિથી કચડી નાખવામાં આવે છે, પણ હજી એને આ અધર્મ ઓછો પડતો હશે તે અવતાર નથી ધરતો. જ્યાં ઈશ્વરનો વાસ ગણાય, એવાં મંદિરો પણ ધંધાની દુકાનો બનીને બેઠા છે. પૈસા વિના દર્શન પણ નથી થતાં.

સામાન્ય પ્રજા કૃષ્ણજન્મોત્સવને એક પથ્થરની મૂરત સામે બેસીને પણ ઊજવી શકે, પણ પંડિતો તેમને સમજાવશે કે ના મંદિરમાં જઈને પૂજા કરવી પડે, તો જ સાચી ભક્તિ ગણાય. આરતી ઉતારવી એ તો મહાપૂણ્યનું કામ છે, પછી આરતી ઉતારવા જાવ તો ત્યાં હજારોની બોલીઓ લાગતી હોય. જાણે હરાજી થઈ રહી હોય! શ્રદ્ધા ખુલ્લેઆમ વેચાઈ રહી છે. ધર્મનો ઠેકો લઈને બેસેલા માણસો સત્તાના સોદાગરો બની બેઠા છે.

એટલા માટે જ મધુસૂદન પટેલ જેવા જાગૃત કવિ પ્રશ્ન કરે છે. એ કોઈ ઈશ્વરનું નામ નથી લેતા. કેમ કે આજે તો કોઈ એક ઈશ્વરનું નામ લેવામાં આવે તો બીજા ઈશ્વરમાં માનનારા લોકોની લાગણી દુભાઈ જાય છે. જો પરમકૃપાળુ હોય તો એનો ખુલાસો આપે અથવા તો આ અગોચર વિશ્વમાં જે થઈ રહ્યું છે, તે કેમ આવું છે, જરા અણસાર આપે. આટઆટલાં બળાત્કારો, ચીસો, હત્યાઓ, દુષ્કૃત્યો, ગેંગરેપો થઈ રહ્યાં છે, હૈયું ફાટી જાય એ હદે નારી ચીસો પાડે છે, પણ બધાના કાન બહેરા થઈ ગયાં છે. નારી વિવશ થઈને તલવાર ઉપાડી લે એ પહેલાં એની ચીસમાં તો કમસેકમ ધાર આપ.

કદાચ ઈશ્વર જેવું કશું હશે જ નહીં, આપણે કથાઓ રચી-રચીને, અમુક પાત્રોને મહાશક્તિ તરીકે રજૂ કરી કરીને, તેમને ઈશ્વર બનાવી દીધા છે. અને તેમનું ઈશ્વરપણું સાચવવામાં અમુક વાકપટુ પંડિતોનો પણ પૂરતો હાથ હશે, જેથી ઈશ્વરના નામે સદીઓ સુધી તેમની દુકાનો ધમધમતી રહે. જન્મ, મૃત્યુ, મોક્ષ, કર્મ, આત્મા જેવી અટપટી વાતોમાં સામાન્ય માણસને એવા ગૂંચવી નાખવામાં આવે છે કે પ્રામાણિકપણે પોતાનું કર્મ કર્યે જતો માણસ એમ સમજે છે કે હું કરું તે નહીં, પણ સાધુઓ, પંડિતો, પુજારીઓ સમજાવે તે જ સાચું કર્મ કહેવાય. ધર્મના સોદાગરો પણ લોકોની શ્રદ્ધાને પૈસાના ત્રાજવે તોળી પોતાની તિજોરીઓ ભરતા રહે છે. આ બધું જોઈને જ કદાચ મધુસૂદન પટેલે આ શેર લખ્યો હશે.

લોગઆઉટઃ

જન્મ, મૃત્યુ, કર્મ નહિ તો આત્માનું મુલ્ય શું?
મોક્ષ કરતા તો મને તું વૃક્ષનો અવતાર દે
- મધુસૂદન પટેલ

જ્યાં પ્રેમ હોય ત્યાં ભાર નથી હોતો

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ અંતરનેટની કવિતા’નો લેખ

લોગઇન:

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી!

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે!

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો!

આજ હીંચોડુ બેનડી તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય,
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે!

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે!

~ લોકગીત

એક જાણીતો પ્રસંગ છે. એક સાધુ પર્વત ચડી રહ્યા હતા. ખભે એક જોળી, હાથમાં ભિક્ષાપાત્ર અને દેહ પર લંગોટ. પણ અત્યારે આ ભિક્ષાપાત્ર અને ઝોળીનો વજન પણ મણ મણનો થઈ ગયો હોય એમ લાગતું હતું. પગથિયાં કેમે ય ચડી શકાતા નહોતા. સાધુ થાકીને ત્યાં જ બેસી ગયા. ત્યાં તેમણે એક દ્રશ્ય જોયું અને તેમની આંખો આશ્ચર્યચકિત થઈ ગઈ. એક બાર-તેર વર્ષની છોકરી પોતાના નાના ભાઈને કાંખમાં તેડીને પગથિયાં ચડી રહી હતી. નવાઈ એ હતી કે તેના ચહેરા પર થાકનું નામોનિશાન નહોતું. છોકરી નજીક આવી તો સાધુએ પૂછ્યું, "તું તારા ભાઈને તેડીને ડુંગર ચડી રહી છો તો તને એનો ભાર નથી લાગતો? છોકરીએ તરત જવાબ આપ્યો, “આ ભાર ક્યાં છે? મારો ભાઈ છે!” 

જ્યાં પ્રેમ હોય ત્યાં ભાર નથી હોતો. ભાર વસ્તુનો હોય, સંબંધનો નહીં. સંબંધનો ભાર લાગવા માંડે ત્યારે સમજી જવું કે સંબંધ વસ્તુ બનવા માંડ્યો છે. ભાવનામાંથી ‘ભાવ‘ જતો રહ્યા પછી માત્ર ‘ના‘ અર્થાત નકાર બાકી રહે છે. ભાવના વિનાનું હૈયું પાણી વિનાના સરોવર જેવું છે. તેના કાંઠે પ્રેમના હંસ વસવાટ કરી શકતા નથી.

એક પુરુષના જીવનમાં ત્રણ સ્ત્રીઓની ભૂમિકા સૌથી મહત્ત્વની હોય છે. મા, બહેન અને દીકરી! મા તમને વઢે, વહાલ કરે, મારે, ધમકાવે દરેક વાતમાં તેનો નિસ્વાર્થ પ્રેમ જ છલકાતો હોય! દીકરી સાથેના પ્રાણ સુધ્ધાં સમર્પિત કરી દેવાની તૈયારી હોય છે બાપની! બહેનનો સંબંધ બે ભાગમાં હોય છે. લગ્ન પહેલાંનો અને પછીનો. સાથે ઉછરતા ઝઘડો કરતા નાની નાની વસ્તુઓ માટે કરેલા ઝઘડા બહેનની વિદાય પછી એક મોટું સાંભરણું બની જાય છે. બહેન નાનપણથી સમાધાનની સાંકડી કેડી પર ચાલતા શીખી જાય છે. અમુક ઉંમર પછી બહેન બહેન મટીને જાણે માની ભૂમિકા ભજવવા માંડે છે. બહેન બીજા નંબરની ખુરશીમાં બેસવાથી ટેવાઈ જાય છે. પણ ઘણા ભાઈઓ એવા પણ છે જે બહેનને પ્રેમના પહેલે પગથિયે બેસાડે છે. તેને અભાવની આંગળી પકડીને ચાલવું ન પડે માટે તે નિરંતર ભાવનાની નદી વહેતી રાખે છે. 

ભાઈ, બહેન અને રાખડી. આ ત્રણે મળીને એક પવિત્ર સંબંધને એક તાંતણાથી જોડે છે. જેમાં સલામતી અને સ્નેહ બંને છે. મહાભારતના યુદ્ધ વખતે કુંતા અભિમન્યુને રાખડી બાંધે છે. એ વખતે અભિમન્યુ દાદીને કોઠાયુદ્ધ વિશે પૂછે છે. દાદી રાખડી બાંધતાં બાંધતાં સાતે કોઠાની માહિતી આપે છે. ઘણી વાર જીવન મહાભારતના સાત કોઠા કરતા પણ વધુ કપરું થઈ જાય છે. ત્યારે આપણે જીવનયુદ્ધમાં આપણે હારીએ નહીં એટલે બહેન આપણા રક્ષણ માટે રાખડી બાંધે છે. 

લોગઆઉટ:

મારા બાલુડા હો બાળ, તારા પિતા ગયા પાતાળ,
તારી કોણ લેશે સંભાળ, કરવો કૌરવકુળ સંહાર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે?
પહેલે કોઠે ગુરૂ દ્રોણ, એને જગમાં જીતે કોણ?
કાઢી કાળવજ્ર્રનું બાણ, લેજો પલમાં એના પ્રાણ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા બીજે કોઠે કોણ આવી ઊભા હશે રે?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સજ્જ કરી હથિયાર;
મારા કોમળઅંગ કુમાર, તેને ત્યાં જઈ દેજો ઠાર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા ત્રીજે કોઠે કોણ આવી ઊભા હશે રે?
ત્રીજે કોઠે અશ્વત્થામા, તેને મોત ભમે છે સામા;
એને થાજો કુંવર સામા, એના ત્યાં ઉતારજો જામા.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા ચોથે કોઠે કોણ આવી ઊભા હશે રે?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રૂજે ધરણ;
એને આવ્યું માથે મરણ, એના ભાંગજે તું તો ચરણ
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા પાંચમે કોઠે કોણ આવી ઊભા હશે રે?
પાંચમે કોઠે દુર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી;
એને શિક્ષા સારી આપી, એનું મસ્તક લેજો કાપી.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા છઠ્ઠે કોઠે કોણ આવી ઊભા હશે રે?
છઠ્ઠે કોઠે મામા શલ, એ તો જનમનો છે મલ્લ;
એને ટકવા ન દૈશ પલ, એનું અતિ ઘણું છે બલ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા સાતમે કોઠે કોણ આવી ઊભા હશે રે?
સાતમે કોઠે જય જયદ્રથ, એ તો લડવૈયો સમરથ;
એનો ભાંગી નાખજે રથ, એને આવજે બથ્થમબથ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

~ લોકગીત

વૃદ્ધ મજૂરનું ગીત - અશોક ચાવડા 'બેદિલ'

બીડીનાં એક ઠૂંઠે તમને સંભારું શામળિયા

સાંજ પડે ને ઝાલરટાણે તારે મંદિરિયેથી છોને નીકળવાનું થાતું
મારી સામે તું જુએ ના તારી સામે નત મસ્તકથી મારે ના જોવાતું

આંખ જરા જો બારી લગ પહોંચે તો ખાલી નજરે પડતા રંગબેરંગી સળિયા
બીડીનાં એક ઠૂંઠે તમને સંભારું શામળિયા

મારા પગ પર ઊભા રે'વું મારાથી ના બનતું કેવો થાક લઈને જીવું
મારી ઉપર રોજે આખું આભ તૂટે છે જન્મારાનો વાંક લઈને જીવું

જાત ગળાતાં વાર હવે શી હોવાનો અણસાર લઈને અરમાનો ઓગળિયાં
બીડીનાં એક ઠૂંઠે તમને સંભારું શામળિયા

~ અશોક ચાવડા