રોટલી સાથે રમતો ત્રીજો માણસ

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

एक आदमी
रोटी बेलता है
एक आदमी रोटी खाता है
एक तीसरा आदमी भी है
जो न रोटी बेलता है, न रोटी खाता है
वह सिर्फ़ रोटी से खेलता है
मैं पूछता हूँ-
'यह तीसरा आदमी कौन है ?'
मेरे देश की संसद मौन है।

- धूमिल

ખેતરથી શરૂ થયેલી રોટલીની સફર બજાર, મિલ, ગોદામ, દુકાન અને રસોડું પાર કરીને થાળી સુધી પહોંચે છે. આ લાંબી સફરમાં કોઈ રોટલી વણે છે, તો કોઈ ખાય છે. કોઈ એવો પણ છે, જે ભૂખ્યો નથી છતાં લાખો લોકોની ભૂખને આંગળીએ નચાવે છે. ધૂમિલની આ કવિતા એ ત્રીજા માણસના ચહેરા પરથી નકાબ હટાવવાનો પ્રયાસ કરે છે.

રોટલી વણવાનો અર્થ માત્ર રસોડામાં બેસીને લોટને આકાર આપવાનો નથી. તેની પાછળ દેશનો આખો શ્રમજીવી વર્ગ ઊભો છે. છતાં કરુણતા એ છે કે જે હાથ સૌથી વધુ રોટલી બનાવે છે, એ જ ખાલી પેટે સૂઈ જાય છે. અનાજ ઉગાડનાર ખેડૂત દેવામાં ડૂબે છે, મકાનો બનાવનાર મજૂર ઝૂંપડામાં સબડે છે. ઉત્પાદન કરનારો માણસ સમૃદ્ધિ સર્જે છે, પરંતુ સમૃદ્ધિની ચાવી હંમેશાં કોઈ બીજાના ખિસ્સામાં રહે છે.સમાજની અસમાનતા મહેલ અને ઝૂંપડી વચ્ચે નહીં, બે થાળીઓ વચ્ચે દેખાય છે. એક થાળીમાં રોટલી વધે છે, બીજીમાં ભૂખ.

રોટલી બનાવનાર અને ખાનાર સિવાય ત્રીજો માણસ પણ છે, જે અનાજના ભાવ નક્કી કરે છે, ગોદામોને તાળાં મારે છે, બજારમાં અછત ઊભી કરે છે, સબસિડીની જાહેરાત કરે છે, યોજનાઓનાં નામ બદલે છે અને ચૂંટણી આવે ત્યારે ગરીબની થાળીમાં મૂકેલી રોટલી સાથે પોતાનો ફોટો પડાવે છે. તે જાણે છે કે ભૂખ માણસની સૌથી મોટી મજબૂરી છે. એટલે તે રોટલીને અધિકાર નહીં, ઉપકાર બનાવી દે છે. જે હકથી મેળવી જોઈએ, તે રોટલી માટે હાથ જોડવા પડે છે.

ત્રીજો માણસ કોઈ વ્યક્તિ નથી. એ વૃત્તિ છે, વ્યવસ્થા છે, એક એવું જાળું છે જેમાં વેપારીનો લોભ, વચેટિયાની ચાલાકી, અમલદારની ઉદાસીનતા અને રાજકારણીની સત્તાલાલસા છે. ક્યારેક, એ માણસ અનાજ સંઘરી રાખતો સંગ્રહખોર છે, ક્યારેક મજૂરી કાપતો માલિક, ક્યારેક ગરીબીના આંકડા સાથે રમતો અધિકારી અને ક્યારેક ભૂખને ચૂંટણીના ભાષણમાં વાપરતો નેતા. તેનો ચહેરો બદલાતો રહે છે, પરંતુ વૃત્તિ એ જ રહે છે. તે રોટલીને ક્યારેક વચન બનાવે છે, ક્યારેક જાહેરાત, ક્યારેક યોજના, ક્યારેક ધર્મ અને ક્યારેક મતપેટી.

આ ત્રીજો માણસ કોણ છે તે રોટલી વણનાર અને ખાનીર બંને જાણે છે. છતાં પ્રશ્ન પૂછવો જરૂરી છે, કેમકે અન્યાયની ભીંતમાં ગાબડું પાડવા માટે પ્રશ્ન હથિયાર સમાન છે.

જ્યાં પ્રશ્ન નાગરિકની ભૂખનો હોય, ત્યાં સત્તાનું ચૂપ રહેવું તટસ્થતા નથી. આગ લાગે ત્યારે પાણી ધરાવનાર ઊભો રહીને જોયા કરે તો તે માત્ર દર્શક રહેતો નથી; આગનો ટેકેદાર બની જાય છે. રોટલી સાથે રમતા માણસ વિશે પૂછવામાં આવે ત્યારે સત્તામાં બેઠેલા જવાબ ન આપે, ત્યારે તેનું મૌન જવાબ બની જાય છે.

લોકશાહી માઇકમાંથી નહીં, છેલ્લી હરોળમાં બેઠેલા માણસની થાળીમાંથી સંભળાય છે. થાળી ખાલી હોય ત્યારે સંસદનાં ભરપૂર ભાષણો ખોખલાં લાગે છે. જે માણસ દેશ બનાવે છે તે નિર્ણય લેતો નથી અને જે નિર્ણય લે છે તે દેશ બનાવનાર માણસના દુઃખથી અજાણ હોય છે. એક માણસ જમીન પર ઝૂકીને બી વાવે છે, બીજો ફાઈલ પર ઝૂકીને ભાવ નક્કી કરે છે. પહેલાની પીઠ પર પરસેવો છે, બીજાના ટેબલ પર ફાઇલ. પરંતુ રોટલી કોને કેટલી મળશે એનો નિર્ણય ફાઇલ કરે છે, પરસેવો નહીં. અહીંથી જ ત્રીજો માણસ જન્મે છે.

આ કવિતા આપણને ત્રીજા માણસની ઓળખ પૂછતી નથી; તે આપણું સ્થાન પણ પૂછે છે. અન્યાય માત્ર ગુનેગારના કારણે નહીં; આસપાસના લોકોની નિષ્ક્રિયતાના કારણે પણ બળુકો બને છે. જ્યારે કોઈ મજૂરને યોગ્ય વેતન ન મળે, ખેડૂતને પાકનો ભાવ ન મળે, કોઈ બાળક ભૂખ્યું સૂઈ જાય, અને આપણે એને માત્ર સમાચાર સમજીને આગળ વધી જઈએ ત્યારે સંસદનું થોડું મૌન આપણી અંદર પણ ઊગે છે. દેશની પ્રગતિ ઊંચી ઇમારતો, પહોળા રસ્તાઓથી નહીં, પણ ગરીબ માણસની થાળીથી માપવી જોઈએ. કારણ કે જે વિકાસ ભૂખ્યા માણસ પાસેથી પસાર થઈ જાય છે, તે વિકાસ નહીં, શોભાયાત્રા છે.

જ્યાં સુધી રોટલી વણનારને રોટલી નહીં મળે, જ્યાં સુધી ભૂખને મતમાં અને અનાજને નફામાં ફેરવવામાં આવશે, ત્યાં સુધી આ કવિતા જૂની નહીં થાય. દરેક યુગમાં ત્રીજો માણસ નવા કપડાં પહેરીને આવશે, નવી ભાષા બોલશે અને પોતાના ખેલને વિકાસનું નામ આપશે.

લોગઆઉટઃ

તાવડી પર ધૂળ ચડતી જાય છે,
ઝૂંપડી માટીમાં ભળતી જાય છે.
સૂર્ય સાથે ભૂખ ઊગતી જાય છે,
ને અમર આશા ય મરતી જાય છે.
— મધુસૂદન પટેલ

મારું જીવન વંદા જેવું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

પૂછો તો સબ ચંગા જેવું,
મારું જીવન વંદા જેવું

કેટલી લીધી એક્ઝામો ને કેટલાં ભર્યા ફોર્મ ખબર નહીં
ખોલે એવો થાય ધડાકો, પેપર છે કે બોમ્બ ખબર નહીં
કરિયર લાગે કાવતરું ને ફ્યૂચર લાગે ફંદા જેવું
મારું જીવન વંદા જેવું

સાપ વસે છે સિસ્ટમમાં ને સમાજ પાછળ ભમરો છે,
હાલતા ચાલતા એક જ લમણું. 'જોબ મળી કે નવરો છે?'
બેઉ વગાડે વારા ફરતી મંદિરના કોઈ ઘંટા જેવું
મારું જીવન વંદા જેવું

મહિના બે મહિનામાં મારો બધ્ધો ગુસ્સો થૂંકી દઉં છું,
નેતાએ આપેલી ગૌરવની ગોળી લઈ ઊંઘી જઉં છું,
માનું છું તલવાર, મગર છે ધાર વગરના રંધા જેવું,
મારું જીવન વંદા જેવું

– દર્શન દક્ષા

આ કવિતામાં આજના લાખો યુવાનોની ભારે વ્યથા દબાયેલી છે. ‘વંદો’ અહીં એક એવી જિંદગીનું પ્રતીક છે જેને કોઈ પસંદ કરતું નથી. જેને વારંવાર કચચવાના પ્રયત્નો થાય છે, છતાં તે બચી જાય છે અને ફરી દોડવા લાગે છે. આજના યુવાનનું જીવન કંઈક આવું જ છે. સપનાં કચડાય છે, અરજીઓ નકારાય છે, પરિણામો અટવાય છે, ભરતીઓ રદ થાય છે, છતાં બીજા દિવસે તે ફરી નવી જાહેરાત શોધે છે, નવું ફોર્મ ભરે છે અને ફરીથી આશાનો એક નાનો ટુકડો ખિસ્સામાં મૂકી આગળ વધે છે.

પહેલાં શિક્ષણને સફળતાની ચાવી કહેવામાં આવતું હતું. હવે યુવાનોના હાથમાં ચાવીઓનો આખો ઝૂડો છે. ડિગ્રી, ડિપ્લોમા, સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ, કમ્પ્યુટર કોર્સ, ભાષાકૌશલ્ય… પરંતુ કયું તાળું કઈ ચાવીથી ખૂલશે, તેની કોઈ ખાતરી નથી. એક સમય હતો જ્યારે પરીક્ષાનું પેપર જ્ઞાન માપવાનું સાધન ગણાતું; હવે ઉમેદવારને સતત ચિંતા હોય છે કે પેપર ફૂટશે તો નહીં? પરિણામ અટવાશે તો નહીં? બોમ્બનો ધડાકો એક ક્ષણમાં બધું તોડી નાખે છે, જ્યારે અનિશ્ચિત પરીક્ષાનું પેપર ધીમે ધીમે ઉમેદવારનાં કેટલાંય વર્ષોને તોડે છે.

કરિયરનો અર્થ સામાન્ય રીતે ઉજ્જવળ આવતીકાલ સાથે જોડાય છે, પરંતુ હવે કરિયર એક કળણ જેવું થઈ ગયું છે, જેમાં માણસ જેટલો બહાર નીકળવા પ્રયત્ન કરે એટલો વધુ ફસાય છે. આજે એક સામાન્ય નોકરી માટે હજારો અરજીઓ આવે છે. યુવાનને કહેવામાં આવે છે કે કૌશલ્ય વધારો. તે કૌશલ્ય વધારે છે. પછી કહેવામાં આવે છે અનુભવ જોઈએ. તે પૂછે કે તક વગર અનુભવ ક્યાંથી લાવવો? જવાબમાં ફરી નવો કોર્સ, નવી ફી અને નવું પ્રમાણપત્ર તેની સામે મૂકવામાં આવે છે. આ રીતે કરિયર સીડી રહેતું નથી, ગોળગોળ ફેરવતી ભુલભુલામણી બની જાય છે. ભવિષ્ય ફંદા જેવું એટલા માટે લાગે છે કે દરેક આશા સાથે કોઈ શરત બાંધેલી છે અને દરેક તકની પાછળ અનિશ્ચિતતા.

સિસ્ટમ બહારથી નિષ્પક્ષ દેખાય છે, પરંતુ અંદર વિલંબ, ગેરવહીવટ, ઓળખાણ અને અસમાન તકોથી ખદબદે છે. ઉમેદવારને ખબર જ પડતી નથી કે તેની મહેનતને કયો સાપ ડંખી ગયો છે. બીજી બાજુ સમાજ ભમરાની જેમ સતત કાનમાં ગણગણ્યા કરે છે. નોકરીનું શું? ક્યાં સુધી બેસી રહીશ? ઘંટ એક બાજુથી વાગે તો બીજી બાજુ ઝૂકે અને બીજી બાજુથી વાગે તો પહેલી તરફ ઝુકે. યુવાનોની સ્થિતિ પણ આવી જ છે. સિસ્ટમ તેને એક તરફથી આઘાત આપે છે, સમાજ બીજી તરફથી.

સફળતા વિશે સૌ વાતો કરે છે, પરંતુ કોઈ એમ પૂછતું નથી કે સતત નિષ્ફળતાઓ પછી તું અંદરથી કેવો છે. તારાં સપનાં તારાં જ છે કે સમાજે તને આપેલાં છે? આપણો સમય સાંભળવામાં ગરીબ અને સલાહ આપવામાં સમૃદ્ધ છે. આપણે વિરોધને પણ ક્ષણિક બનાવી નાખ્યો છે.

નેતાએ આપેલી ‘ગૌરવની ગોળી’ લઈને ઊંઘી જવાની વાત ધારદાર છે. માણસના વર્તમાનમાં સુખ ન હોય ત્યારે તેને ભૂતકાળનું ગૌરવ પીરસવામાં આવે છે. રોજગાર નથી, તો કહેવાશે કે તું મહાન સંસ્કૃતિનો વારસદાર છે. આવક નથી, તો કહેવાશે કે દેશ વિશ્વમાં ગૌરવ મેળવે છે. પોતાના દેશ, ભાષા, સંસ્કૃતિ અને ઇતિહાસ માટે ગર્વ હોવો સ્વાભાવિક છે. પરંતુ જ્યારે એ ગૌરવનો ઉપયોગ ઘેનમાં લઈ જતી ગોળી તરીકે કરવામાં આવે એ ખતરનાક છે.

આ પેઢી ઓનલાઈન ફોર્મ ભરે છે, ઓફલાઇન લાઇનોમાં ઊભી રહે છે, તે વિશ્વ સાથે જોડાયેલી છે, પણ પોતાના ભવિષ્યથી કપાયેલી છે. તેની પાસે માહિતીનો મહાસાગર છે, પણ તરવા માટે હોડી નથી. જે દિવસે ગૌરવની ગોળીને બદલે રોજગારનો રસ્તો અને ઉપદેશને બદલે અધિકાર આપવામાં આવશે, એ દિવસે કદાચ આ વંદાઓ ફંદામાંથી બહાર આશે.

લોગઆઉટઃ

“પગ તળે કચડાતો નાનામાં નાનો કીડો પણ એક દિવસ પ્રતિકાર કરે છે; અને પોતાનાં બચ્ચાંને બચાવવા કબૂતર પણ ચાંચ ઉગામે છે.”
— વિલિયમ શેક્સપિયર

એક ચોમાસું તારા વિનાનું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

એક ચોમાસું કે, તું તું-થી સભર;
એક ચોમાસું કે, હું મારા વગર.

એક ચોમાસું કે, ઉનાળાઉં હું;
એક ચોમાસું કે, તું છે તરબતર!
એક ચોમાસું કે, તું બસ પર્ણ-પર્ણ;
એક ચોમાસું કે, હું છું પાનખર.
એક ચોમાસું કે, તું અલકાપુરી,
એક ચોમાસે હું રામાદ્રિ ઉપર!

– કરસનદાસ લુહાર

ટૂંકી બહેરની આ ગઝલ પરીક્ષા કરે તેવી છે. બહેર ટૂંકી છે, વળી આગળના ત્રણ શબ્દો બધી જ પંક્તિઓમાં સરખા છે, કવિતાનું કૌવત બતાવવા માટે પાછળ માંડ ગણ્યાગાંઠ્યા અક્ષરો રહે છે, એવી સ્થિતિમાં કવિતાનું મોતી લઈને બહાર આવવું મુશ્કેલ હોય છે. પણ કરસનદાસ લુહાર જેવા સક્ષમ કવિને આ કૌવત હાથવગું છે.

કવિ અહીં દરેક પંક્તિમાં ‘એક ચોમાસું’ એમ કહે છે. પણ એ એક ચોમાસું નથી. કવિ જે ચોમાસાની વાત કરે છે, તે આભમાંથી ઝરમરતા પાણીની નહીં, પણ બે હૈયામાંથી ઝરમર વરસતી સરવાણીની વાત છે. કવિતામાં બે પાત્રો છે - તું અને હું. જેમાં એકની સ્થિતિ સભર છે, બીજું ખાલીખમ. એક તરબતર છે, તો બીજું પાત્ર સૂકું ભઠ. એક લીલોતરીથી છલકાય છે, તો બીજું પાનખરમાં તરડાય છે. આ તું અને હું એટલે કોઈ પ્રેમી યુગલ.

પ્રેમમાં ઘણી વાર એવું થાય છે કે માણસ પોતાનું જીવન જીવતો નથી, સામેની વ્યક્તિને જીવવા લાગે છે. પછી એક દિવસ એવું બને છે કે પોતાની અંદર પોતે જ બચતો નથી. અને જાતને ભૂલી જવું ખૂબ જોખમી હોય છે. કેમકે જે દિવસે સામેની વ્યક્તિ દૂર થઈ જાય, ત્યારે માત્ર સંબંધ નથી તૂટતો, ઘણું બધું તૂટતું હોય છે.

અહીં કાવ્યનાયક અર્થાત્ પ્રેમી અંદરથી બળી રહ્યો છે. તેની અંદર કાળઝાળ ઉનાળો છે. જ્યારે સામેનું પાત્ર તો તરબતર થઈ રહ્યું છે. તેના જીવનમાં વરસાદ છે. અહીં કવિ કોઈ આરોપ લગાવતા નથી. તે માત્ર એક હકીકત રજૂ કરે છે. એક જ સંબંધમાં બે લોકોની લાગણીઓનો સમય ઘણીવાર એકસરખો હોતો નથી.

પ્રેમિકાના જીવનમાં હરિયાળી છે, પર્ણોથી છલકાય છે. પરંતુ પ્રેમીના જીવનમાંથી લીલોતરી ગાયબ થઈ ગઈ છે. પાનખરનો અર્થ માત્ર એકલતા નથી. પાનખર એટલે ધીમે ધીમે અંદરથી ખાલી થવું. એક પછી એક આશા ખરી પડવી. પ્રેમ અધૂરો રહી જાય, ત્યારે માણસ રાતોરાત તૂટી પડતો નથી. તે પાનખર બને છે. ધીમે ધીમે ખરતો જાય છે. ઉજ્જડ બનતો જાય છે.

અંતિમ પંક્તિમાં કવિ પ્રેમ અને પ્રેમની પરિસ્થિતિ વિશે કાલિદાસના ‘મેઘદૂતમ’નો સંદર્ભ આપે છે, પણ વાત પોતાની જ કરે છે.

અલકાપુરીમાં યક્ષની પ્રિયા રહે છે. ત્યાં સૌંદર્ય છે, સમૃદ્ધિ છે, ઉજાસ છે. રામાદ્રિ ઉપર શાપિત યક્ષ રહે છે. તેની પાસે માત્ર વિરહ છે. તે પોતાની પ્રેમિકાને મળી શકતો નથી. તેથી મેઘને દૂત બનાવીને પ્રેમિકાને સંદેશો મોકલે છે.

એક ચોમાસું કે, તું અલકાપુરી,
એક ચોમાસે હું રામાદ્રિ ઉપર!

પ્રેમિકા અલકાપુરી જેવી સ્થિતિમાં છે… પ્રકાશમાં, પૂર્ણતામાં, પોતાના નવા આકાશમાં. અને પ્રેમી રામાદ્રિ પર બેઠેલા યક્ષ જેવો છે. તેને મળવાનો રસ્તો નથી. તેની પાસે માત્ર યાદો છે. પ્રતીક્ષા છે. વરસાદ છે, જેમાં તે દર વર્ષે એક ચહેરાને શોધ્યા કરે છે. વિરહ એ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનું અંતર વ્યક્ત નથી કરતો હોતો.

આ કવિતાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ક્યાંય કડવાશ નથી. પ્રેમી એવું નથી કહેતો કે "તું બેવફા હતી." તે એમ પણ નથી કહેતો કે હું સાચો હતો. તે માત્ર એટલું જ કહે છે, આપણાં ચોમાસાં જુદાં હતાં. સંજોગોએ તને અલકાપુરી બનાવી દીધી અને મને રામાદ્રિ પર્વત.

આ કવિતા બે પ્રેમીઓની લાગણીઓની અસમાનતાનો દસ્તાવેજ છે. આ કવિતા વાંચીને વરસાદ ભલે યાદ આવતો હોય, પરંતુ તેનાથી પણ વધારે યાદ આવે છે - કોઈનું સાથે ન હોવું.

લોગઆઉટઃ

દુર્ભાગ્ય બીજું હોય શું એનાથી વધારે?
સંગાથમાં તું હોય ને વરસાદ ન આવે.
– ગૌરાંગ ઠાકર

સિટી વિનાના સિનયર સિટિઝન

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

અહીં અમેરિકામાં નિવૃત્ત થયેલી
વૃદ્ધ થતી જતી વ્યક્તિઓની આંખમાં
એક જ પ્રશ્ન ડોકાયા કરે છે: હવે શું?

ભારત જઈ શકાય એમ નથી
અમેરિકા રહી શકાય તેમ નથી
સંતાનો તો ઊડીને સ્થિર થઈ ગયાં
પોતપોતાના માળામાં

અમે બધા
સિટી વિનાના સિનિયર સિટીઝન.
અમે છાપાં વાંચીએ - પણ કેટલાં?
અમે ટેલિવિઝન જોઈએ - પણ કેટલું? ક્યાં લગી?

સ્થિર થઈ ગયેલો સમય અસ્થિર કરી મૂકે છે અમને - અમારા મનને.
સસલાં અને ખિસકોલીની જેમ દોડતો સમય
અચાનક કાચબો થઈ જાય ત્યારે
એ અવતારને શું કહેવાય?

– પન્ના નાયક


સરળ ગદ્યમાં લખાયેલી આ કવિતા સઘન પીડા રજૂ કરે છે. ખાસ કરીને પોતાનું વતન છોડીને વિદેશમાં સ્થાયી થયેલા લોકો જીવનભર પોતાનું અસ્તિત્વ ટકાવવા મથ્યા કરે છે. સંતાનો, નોકરી, અને રહેઠાણને સાચવવા વલખાં માર્યાં કરે છે. નવો દેશ, નવી જગ્યા, નવી રીતભાતમાં પોતાની જાતને ગોઠવવાની મથામણો જિંદગીભર રહે છે. ઘરથી ઓફિસ, ઓફિસથી ઘરની દોડધામમાં ક્યારે જીવનની સાંજ સુધી પહોંચી જવાય છે ખબર નથી રહેતી. બેફામ સાહેબનો શેર છે-
બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું,
નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

જિંદગીનાં એન્ટ્રી એક્ઝિટનાં દ્વાર બે જ છે, એક જન્મ અને બીજું મૃત્યુ. આ બંનેની વચ્ચેના બધા ડખા છે.

કવયિત્રી પન્ના નાયક વર્ષોથી અમેરિકા રહે છે અને જીવનની અનેક તડકીછાંયડીઓ તેમણે એ ભૂમિ પર જોઈ છે. ઉંમરના ઊંચા શિખરે ઊભેલા આ કવયિત્રીએ એટલે જ પોતાની અનુભૂતિજન્ય પીડાને કવિતામાં ભારોભાર ઉતારી છે. આ પીડા માત્ર એમની જ નહીં, વિદેશમાં વસતા દરેક નિવૃત્ત નાગરિકની હશે. અમેરિકામાં જ્યાં સુધી નોકરી હોય ત્યાં સુધી સમય ક્યાં પસાર થઈ જાય છે, ખબર નથી પડતી, પણ જેવી નિવૃત્તિ આવે કે તરત જાણે વૃત્તિ પર તાળાં લાગી જાય છે. અત્યંત વ્યસ્ત રહેતી જિંદગી અચાનક થંભી જાય છે. ત્યારે રસ્તો સમાપ્ત નથી થયો હોતો, પણ આગળ વધવાનું કારણ સમાપ્ત થઈ ગયું હોય છે.

પછી પહેલીવાર સમજાય છે કે વ્યસ્તતા માત્ર કામ નહોતી; વ્યસ્તતા તો પોતાને જીવંત રાખતી એક ગુપ્ત વ્યવસ્થા હતી. કામ માણસને થકવતું નથી હોતું, બચાવતું હોય છે. જવાબદારીઓ આપણને ઝુકાવતી નથી, જાળવી રાખે છે. વિચિત્ર વાત તો એ છે કે માણસ જિંદગીભર આરામની ઇચ્છા રાખે છે, પણ જ્યારે આરામ કરવાનો સમય આવે ત્યારે એ જ આરામ અસહ્ય લાગે છે. વિદેશી ભૂમિ પર તો વિશેષ. કેમ કે ત્યાં એવું મિત્રવર્તુળ નથી હોતું કે જેમની સાથે રોજ સાંજે ટોળટપ્પાં કરીએ, ગપ્પાં મારીએ, વીતી ગયેલી જિંદગીને વાગોળીએ. સફળતા-નિષ્ફળતા, ગમા-અણગમાની વાતો વવહેંચીએ. તે વખતે એક જ પ્રશ્ન આંખમાં ડોકાયા કરે છે, હવે શું?

આવું થવાનું કારણ મોડા સમજાય છે, કેમકે અગાઉ આ ‘હવે’ વિશે ગંભીરતાથી વિચાર્યું જ નથી હોતું. વર્ષો સુધી જે ભૂમિ પર રહ્યા હોઈએ, જે ભૂમિએ રોટલો અને ઓટલો આપ્યો હોય, આશરો અને ઇજ્જત આપ્યાં હોય એ જ ભૂમિ પરનો વૃત્તિ વિનાનો સમય ભારેખમ લાગે છે. એ વખતે સાંભરે છે બાળપણ, જૂના મિત્રો, ભૂતકાળમાં જિવાઈ ગયેલા આનંદ અને શોક. પરંતુ એ બધું વ્યક્ત કરવું ક્યાં, કોની પાસે, ક્યારે? આ વ્યથા અસહ્ય હોય છે, નથી કહી શકાતી, નથી સહી શકાતી.

ક્યાંક એકલા બહાર નીકળીએ ત્યારે રસ્તા પરિચિત હોવા છતાં અજાણ લાગે છે. સુવિધાઓ હોવા છતાં, દુવિધા અનુભવાય છે, સગપણમાં સુગંધ નથી દેખાતી. તે વખતે થાય છે કે ચાલો બિસ્ત્રાપોટલાં બાંધીને વતનની વાટ પકડી લઈએ. પણ વતન હવે પહેલાં જેવું નથી. જેને છોડીને આવ્યા હતા એ ગામ, એ સ્થાન, એ મિત્રો, એ લોકો, એ હૂંફ બધું જ બદલાઈ ગયું છે. વતન જવાય તેમ નથી, અહીં રહેવાય તેમ નથી.

માણસ ખરેખર તો વતનને નહીં, પોતાના ભૂતકાળને પાછો મેળવવા માંગતો હોય છે, અને ભૂતકાળ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેનો કોઈ વિઝા નથી. ન ત્યાં કોઈ વિમાન જાય છે, ન વહાણ. ત્યાં માત્રને માત્ર યાદોની પવનપાવડીમાં બેસીને જઈ શકાય છે.

કદાચ જીવનના અંતિમ પડાવે પહોંચીએ ત્યારે ભૂતકાળ વિશે જેટલા વિચાર આવે છે, તેટલા ક્યારેય આવતા નથી. ત્યારે જ સમજાય છે કે જીવનનો અર્થ સિદ્ધિઓમાં નહીં, સહજ સ્વીકારમાં છે. એ પણ સમજાય છે કે સમય કાચબા જેવો ક્યારેય હતો જ નહીં, માત્ર આપણી ગતિ ધીમી પડી છે.

લોગઆઉટઃ

તું મને પાલવનું ઇંગ્લિશ પૂછ મા,
અહિંયા આંસુ ટિશ્યૂથી લૂંછાય છે.
– અદમ ટંકારવી

પડવું ખરાબ નથી, પડ્યા પછી પડ્યા રહેવું ખરાબ છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

ખાળ તારી આંખડીના નીરને,
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને?

– શેખાદમ આબુવાલા

આ મુક્તકની ચાર પંક્તિઓ જીવનના યુદ્ધમેદાનમાં ઊભેલા દરેક માણસના ખભા પર મૂકાયેલો એક મજબૂત હાથ છે. એક એવો અવાજ છે જે કહે છે, “રડવું હોય તો રડી લે, પરંતુ રડીને બેસી ન રહે. ઊભો થા, ધૂળ ખંખેરી દે અને ફરી ચાલવાનું શરૂ કર.”

જીવનમાં સૌથી સહેલું કામ શું? ફરિયાદ કરવી. અને સૌથી મુશ્કેલ? સંજોગોને હરાવીને આગળ વધવું. માણસ જ્યારે મુશ્કેલીઓથી ઘેરાઈ જાય ત્યારે તેને લાગે છે કે આખી દુનિયા તેની વિરુદ્ધ થઈ ગઈ છે. આંખો ભીની થઈ જાય, હોઠ મૌન અને મન વારંવાર એક જ પ્રશ્ન પૂછે, “શા માટે મારી સાથે જ આવું?” અંગ્રેજીમાં તેને ‘why me?’ ઇફેક્ટ કહે છે.

માણસ પથ્થર નથી. દુઃખ થાય ત્યારે આંખો ભીની થવી સ્વાભાવિક છે. પરંતુ જો આંસુઓ જ સરનામું બની જાય તો સફર આગળ ક્યાંથી વધે? સમુદ્રના કિનારે ઊભેલા જહાજને ક્યારેય તોફાનથી ડર નથી લાગતો, તેને ખબર હોય છે કે તેનો જન્મ બંદરમાં ઊભા રહેવા માટે નહીં, દરિયાને ચીરીને આગળ વધવા માટે થયો છે.

વીર માણસ એ નથી જે ક્યારેય રડતો નથી. વીર માણસ એ છે જે રડી લીધા પછી ઊભો થાય છે ને લડી લે છે! જ્બાળક ચાલવાનું શીખતું હોય ત્યારે તે કેટલીય વાર પડે છે. જો તે પહેલી ઠોકર પછી જ નક્કી કરી લે કે હવે હું ચાલી નહીં શકું, તો કદાચ તે આખી જિંદગી ઘસડાતું રહે. પરંતુ તે પડે છે, રડે છે, ઊભું થાય છે અને ચાલવાનો પ્રયત્ન કરે છે. અંતે દોડવા લાગે છે. જીવન પણ આવું જ છે. ઠોકરો જીવનનો વિરોધ નથી, માર્ગદર્શન છે.

ખેડૂત જમીનમાં બીજ રોપે છે. પછી તરત પાક ઊગી નીકળતો નથી. બીજ જમીનની અંદર દટાય છે, તે અંધકાર સહન કરે છે, વરસાદનો માર વેઠે છે, માટીનો ભાર વેઠે છે. ત્યાર પછી જ તે અંકુર બને છે. ઘણા લોકો પોતાને દટાયોલા માને છે, જ્યારે હકીકતમાં તેઓ વાવવામાં આવ્યા હોય છે. ભગવાન આપણને દાટતા નથી, વાવતા હોય છે.

વિચારવા જેવી વાત એ છે કે જો માત્ર તકદીર જ બધું નક્કી કરતી હોત તો પછી પરિશ્રમનો જન્મ જ શા માટે થયો હોત? જો નસીબ જ બધું લખતું હોત તો ખેડૂત ખેતરમાં હળ શા માટે ચલાવત? વિદ્યાર્થી રાત્રે જાગીને અભ્યાસ શા માટે કરત? ખેલાડી હજારો કલાકોની મહેનતમાં ગળાડૂબ કેમ રહેત? એક જૂની કહેવત છે: “તકદીર દરવાજો ખખડાવે છે, પરંતુ દરવાજો ખોલવો તો તમારે જ પડે.” ઘણા લોકો આખી જિંદગી બારણું ખોલ્યા વગર જ ફરિયાદ કરતા રહે છે કે નસીબ મારા ઘરે આવ્યું નહીં.

માણસની સૌથી મોટી મૂડી તેની સંપત્તિ નથી, તેની પ્રતિભા પણ નથી. તેની સૌથી મોટી મૂડી તેનો આત્મવિશ્વાસ છે. જે માણસ પોતાને હારી જાય, તેને દુનિયાની કોઈ જીત બચાવી શકતી નથી. અને જે માણસ પોતાની અંદરની આશાને જીવંત રાખે છે, તેને દુનિયાની કોઈ શક્તિ હરાવી શકતી નથી. ઇતિહાસ સાક્ષી છે કે મહાન સિદ્ધિઓ અશક્યતાની રાખમાંથી જન્મી છે.

પર્વતને જોઈને કેટલાક લોકો પાછા વળી જાય છે, જ્યારે કેટલાક લોકો બૂટની દોરી વધુ મજબૂત બાંધી લે છે. જીવનમાં ઘણી મુશ્કેલીઓ આપણને હરાવવા નહીં, ડરાવવા આવતી હોય છે. તે જોવા માગે છે કે આપણે કેટલા મજબૂત છીએ. સોનાને પણ ઘરેણું બનતા પહેલાં અગ્નિમાંથી પસાર થવું પડે છે. હીરાને પણ ચમકતા પહેલાં અસંખ્ય ઘસારા સહન કરવા પડે છે. નદી પણ પથ્થરો સાથે અથડાઈને જ સંગીત શીખે છે. તો પછી માણસને મુશ્કેલીઓ વગર મહાન બનવાનો અધિકાર ક્યાંથી મળી જાય?

એક વાત યાદ રાખવા જેવી છે, જીવનમાં પડવું ખરાબ નથી, પડ્યા પછી પડ્યા રહેવું ખરાબ છે. વીરતા તલવાર ચલાવવામાં નથી. વીરતા તો એમાં છે કે જ્યારે જીવન આપણને ઘૂંટણિયે પાડી દે ત્યારે ફરી ઊભા થઈ જઈએ. કદાચ એટલા માટે જ દુનિયાની સૌથી રસપ્રદ વાર્તાઓ એવા લોકોની છે જેમણે સંજોગો સામે હાર માનવાનો ઇનકાર કર્યો. ક્યારેક આપણે જીતીએ છીએ. ક્યારેક આપણે શીખીએ છીએ. પરંતુ હારીએ ત્યારે જ છીએ જ્યારે પ્રયત્ન કરવાનું બંધ કરી દઈએ.

લોગઆઉટઃ

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

– શેખાદમ આબુવાલા

સહજ મળે તે સાચું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

સહજ મળે તે સાચું.
કરી ઉધામા કૈંક પામીએ એ સઘળુંયે કાચું.

વરસે વ્હાલો ધોધમાર, છલકે જીવતરની ઝોળી.
મહેકી ઊઠે એમ પછી તો રુદિયાની રંગોળી.
આપે અપરંપાર પછી હું નાહક શાને યાચું?
સહજ મળે તે સાચું.

પંથ ઉપર પાડેલું પગલું ઊડી આભમાં પૂગે.
સમય સાચવી સૂખનો સૂરજ આપોઆપ જ ઊગે.
ભાર બધો ભૂલીને હું તો રામનામમાં રાચું.
સહજ મળે તે સાચું.

– નીતિન વડગામા

કવિતા આપણને એવાં નક્કર સત્યો સુધી લઈ જાય છે, જ્યાં તર્કની સીડી નકામી થઈ જાય છે. કવિ નીતિન વડગામાએ સહજતાના સત્યને ઉજાગર કર્યું છે. આખું જીવન માણસ કંઈક મેળવવા માટે દોડધામ કરે છે, હિસાબો માંડે છે, પ્લાન બનાવે છે, રઘવાયો થાય છે; પણ અંતે ખબર પડે છે કે જેની માટે લોહીઉકાળા કર્યા તેનું એટલું મહત્ત્વ હતું જ નહીં. સૌથી કિંમતી હતું તે તો સહજ રીતે, પ્રયત્ન વગર, કોઈ દાવપેચ વગર પાસે આવ્યું હતું. આ સહજતા એ જ સત્ય, બીજાં વલખા!

દરેક માણસ ક્યાંક પહોંચવા માંગે છે. કોઈ નામ કમાવા માંગે છે, કોઈ સંપત્તિ, કોઈ પ્રતિષ્ઠા, કોઈ પ્રેમ. પરંતુ આ દોડમાં એ ભૂલી જઈએ છીએ કે દરેક પ્રાપ્તિનો અર્થ આનંદ નથી હોતો. ઘણી વસ્તુઓ હાથમાં આવે છે, હૃદયમાં નથી આવતી. કાચના ટુકડાઓ સૂર્યપ્રકાશમાં હીરા જેમ ચમકે તો તે હીરા નથી બની જતા. ઘણી સિદ્ધિઓ બહારથી ભવ્ય દેખાતી હોય, પરંતુ અંદરથી ખાલીખમ હોય છે. કવિએ એટલે જ કહ્યુંં છે કે ઉધામા કરીને મેળવેલી વસ્તુ કાચી હોય છે, સાચી નહીં.

જીવનની સૌથી મૂલ્યવાન વસ્તુઓ કોણ ખરીદી શકે? માતાના હાથનો સ્પર્શ, મિત્રની નિષ્ઠા, બાળકનું નિર્દોષ હાસ્ય, પ્રથમ વરસાદની સુગંધ, પ્રિયજનની આંખોમાં દેખાતો વિશ્વાસ, સાંજના આકાશમાં ઊતરતો રંગ, કે પછી અચાનક અનુભવાતી શાંતિ… આમાંથી કઈ વસ્તુ બજારમાં મળે છે? કઈ વસ્તુ માટે ભાવતાલ થાય છે? આ બધું સહજ રીતે મળે છે. અને કદાચ એટલે જ તેમાં ભારોભાર સચ્ચાઈ છે.

આપણને એવો ભ્રમ છે કે સુખ સર્જવું પડે. આપણે સુખને પ્રોજેક્ટની જેમ લઈએ છીએ. એટલે જ તો ચોગઠા ગોઠવીએ છીએ કે વધારે પૈસા મળે, મોટું ઘર મળી જાય, પ્રસિદ્ધિ મળી જાય, તો સુખ આપોઆપ મળી જશે. પરંતુ સુખ ઈમારત નથી કે ઈંટ પર ઈંટ ગોઠવીને ચણી શકાય. સુખ તો વરસાદ જેવું છે. જ્યારે અંદરની ધરતી તૈયાર થાય ત્યારે તે આપોઆપ વરસી પડે છે. કવિ જીવનને ઝોળી કહે છે. આપણે તેને ભરવા માટે સતત મથતા રહીએ છીએ, પણ જે ભરે છે તે તો કોઈ અદૃશ્ય કૃપા છે, કોઈ અજાણ્યા આશીર્વાદ છે, કોઈ એવી વ્યવસ્થા છે જે આપણાથી અનન્ય મોટી છે. એ જ્યારે વરસે ત્યારે આપોઆપ જીવનની ઝોળી છલકી ઊઠે છે. જ્યારે કૃપા વરસે ત્યારે બહારની દુનિયા જ નહીં, અંદરથી પણ બધું બદલાઈ જાય છે.

આધુનિક જીવનની કરુણતા એ છે કે આપણે સહજતાથી દૂર થઈ ગયા છીએ. આપણે બધું નિયંત્રિત કરવા માંગીએ છીએ. સંબંધો યોજના મુજબ ચાલે, સફળતા સમયપત્રક પ્રમાણે મળે, આનંદ આપણા તાબામાં રહે વગેરે. પરંતુ જીવનને આદેશો નથી ગમતા. જીવન તો નદી છે. તેને વહેવા દો તો સંગીત બને, રોકવા જાઓ તો પૂર બને. સહજતા એટલે જીવન સાથે યુદ્ધ નહીં, જીવન સાથે મિત્રતા.

આપણું દુઃખ આપણી ઉતાવળમાંથી જન્મે છે. બીજ વાવ્યું ને તરત ફળની આશા રાખીએ છીએ. પ્રકૃતિ ઉતાવળને ઓળખતી નથી. સૂર્ય પોતાના સમયે જ ઉગે છે. ફૂલ પોતાના સમયે જ ખીલે છે. ઋતુઓ પોતાના સમયે જ આવે છે. કવિ એટલે જ કહે છે, “સમય સાચવી સુખનો સૂરજ આપોઆપ જ ઊગે.”

અંતિમ પંક્તિમાં આવતું રામનામ માત્ર ધાર્મિક અર્થમાં નથી. તે એક આંતરિક સમર્પણનું પ્રતીક છે. જ્યારે માણસ સતત મેળવવાની ચિંતા છોડી દે, સતત સરખામણી છોડી દે, સતત સ્પર્ધા છોડી દે, ત્યારે તેની અંદર એક અજાણી હળવાશ જન્મે છે. પછી તે દરેક ક્ષણમાં આનંદ શોધી શકે છે. તેને નાનીનાની વાતોમાં પણ પરમાત્માનો સ્પર્શ અનુભવાય છે.

જીવનનો સાર બહુ જ સરળ છે. જે સહજ છે તે ટકાઉ છે. જે સહજ છે તે ઊંડું છે. નદી સહજ છે, તેથી સમુદ્ર સુધી પહોંચે છે. ફૂલ સહજ છે, તેથી સુગંધ આપે છે. આકાશ સહજ છે, તેથી અનંત છે. અને મનુષ્ય પણ ત્યારે જ સુંદર બને છે જ્યારે તે પોતાની અંદરની સહજતા સાથે જોડાય.

લોગઆઉટઃ

દુઃખનો સહજ સ્વીકાર થવા દો પછી જુઓ,
થોડો સમય પસાર થવા દો પછી જુઓ.
ભીતર પડ્યું હશે તો કદાચિત પ્રગટ થશે,
ક્યારેક અંધકાર થવા દો પછી જુઓ.
– આર.બી. રાઠોડ

પિતા મૃત્યુ પછી પણ જીવતા રહે છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

અમે જેની ખાંધે વજન ફિકરોનું થઈ ફર્યા
બધે આયુર્માર્ગે, જગની ગલીકૂંચી વિવિધમાં,
ચડાણે, ઊંડાણે શિરવિટમણાઓ થઈ ભમ્યા;
અમે લાવ્યા એ રે શરીર નિજ ખાંધે ઊંચકીને,
અહીં લાવ્યા એ રે શરીર નિજ ખાંધે જનકનું.
અને જેનાં હાડે પૂરવજદીધી પ્રાણસરણી
પુરાણી પોષાઈ વહી અમ મહીં કૌતુકવતી,
અમે આવ્યા એ રે નિજ જનકના હાડઢગની
પડી સાનીમાંથી અગનબચિયાં ફૂલ વીણવા.
ભરી વાળી સાની ધખ ધખ થતી ટોપલી મહીં,
અને પાસે વ્હેળો ખળળ વહતો ત્યાં જઈ જળે
ડબોળી, ટાઢોળી, જરીક હલવી, ને દૂધ સમા
પ્રવાહે સ્વર્ગં ગાજલ થકી શકે તારક વીણ્યા!
વીણ્યા તારા, ફૂલો જગનું બધું યે સુંદર વીણ્યું,
ન લાધે સ્હેજે જે, શિવ સકલ આજે મળી ગયું;
શમ્યા મૃત્યુશોકો, અમર ફરકંતી નીરખીને
પિતાનાં ફૂલોમાં ધવલ કલગી વિશ્વક્રમની…

– ઉમાશંકર જોશી

આ કવિતા પિતાના અવસાન પછીની એક એવી યાત્રાનું વર્ણન કરે છે, જેમાં પુત્ર માત્ર પોતાના પિતાનાં અસ્થિફૂલ વીણવા નથી જતો, પરંતુ જીવન, મૃત્યુ અને વારસાની ગહન સમજણ સુધી પહોંચે છે.

પિતા વિશે લખવું એટલે આકાશ શબ્દોમાં ઉતારવાનો પ્રયાસ કરવો. પિતા માત્ર ઘરના એક સભ્ય નથી હોતા; તેઓ ઘરની દીવાલોમાં રહેલો વિશ્વાસ હોય છે, પાયામાં પડેલો જુસ્સો હોય છે, બારણાં પર ટકેલો આધાર હોય છે અને સંતાનના મનમાં નિઃશબ્દ રીતે ઊભેલો એક પહાડ હોય છે.

આ કવિતામાં કવિ પોતાના પિતાનાં અસ્થિફૂલ વીણવા જાય છે. બહારથી જોવામાં આ એક સામાન્ય ક્રિયા લાગે. પરંતુ એ ક્ષણે પુત્રને સમજાય છે કે જે શરીરને તે ખભે લઈને અહીં સુધી આવ્યો છે, એ જ શરીરે ક્યારેક તેને ખભે લઈને દુનિયા બતાવી હતી. આજે ભૂમિકાઓ બદલાઈ ગઈ છે.

માણસ આખું જીવન પિતાના આશ્રયમાં જીવતો રહે છે, પરંતુ પિતાનું મહત્ત્વ ત્યારે સમજાય છે જ્યારે તેઓ ભૌતિક રીતે સાથે ન રહે. જીવતા પિતા ઘરમાં હોય ત્યારે તેમની હાજરી સામાન્ય લાગે છે. સવારની ચા, સાંજની વાતો, સલાહ, ઠપકો, ચિંતા બધું જ રોજિંદું લાગે છે. પરંતુ એક દિવસ જ્યારે એ બધું અચાનક બંધ થઈ જાય છે, ત્યારે સમજાય છે કે આ સામાન્ય લાગતી બાબતો જ જીવનની સૌથી અસાધારણ સંપત્તિ હતી.

પિતા પ્રેમ વ્યક્ત કરવામાં કુશળ નથી હોતા. માતાનો પ્રેમ વરસાદ જેવો લાગે, જ્યારે પિતાનો પ્રેમ ધરતીની અંદર વહેતા ઝરણા જેવો. તે દેખાતો નથી, પરંતુ સમગ્ર વૃક્ષને જીવંત રાખે છે. પિતા ઘણીવાર “હું તને પ્રેમ કરું છું” નથી કહેતા. પરંતુ સંતાન માટે વધારાના કલાકો કામ કરે છે, પોતાની જરૂરિયાતો ઘટાડે છે, ચિંતાઓ છુપાવે છે અને સપનાઓનો ભાર પોતાના ખભે ઉપાડે છે. એ જ તેમનો પ્રેમ છે.

આ કવિતાની સૌથી સ્પર્શી જાય એવી વાત એ છે કે કવિ જ્યારે અસ્થિફૂલ વીણી રહ્યા છે ત્યારે તેમને માત્ર રાખ કે હાડકાં દેખાતાં નથી. તેમને એક આખી પરંપરા દેખાય છે. એ હાડકાંમાં તેમને પોતાના પૂર્વજોનો પ્રવાસ દેખાય છે. જે રક્ત આજે તેમની નસોમાં વહે છે, તે પેઢીઓની યાત્રાનું પરિણામ છે.

આપણે ઘણીવાર વિચારીએ છીએ કે પિતા આપણને શું આપી ગયા? ઘર? સંપત્તિ? શિક્ષણ? પરંતુ થોડું ઊંડું વિચારીએ તો સમજાય છે કે પિતાએ પોતાનાં વર્ષો આપ્યાં છે. પોતાનાં સપનાઓમાંથી ભાગ કાપીને આપણા સપનાઓમાં ઉમેર્યો છે.

જીવનમાં ઘણી એવી ક્ષણો આવે છે જ્યારે આપણે પિતાની વાત સાથે અસહમત થઈએ છીએ. ઘણીવાર તેમનો ઠપકો કઠોર લાગે છે. તેમની શિસ્ત બોજ જેવી લાગે છે. પરંતુ વર્ષો પછી સમજાય છે કે તેઓ આપણને રોકવા માંગતા નહોતા, તેઓ આપણને તૂટતા બચાવવા માંગતા હતા. જીવનની જે ઠોકરો આપણે આજે ટાળી શક્યા છીએ, તેમાં પિતાની દૂરંદેશીનો મોટો હિસ્સો હોય છે.

કવિતામાં જ્યારે કવિ અસ્થિફૂલને જળમાં ધોઈને નિહાળે છે ત્યારે તેમને તેમાં તારાઓ દેખાય છે. આ એક અદભુત રૂપક છે. કારણ કે સાચા અર્થમાં પિતા ક્યારેય મરતા નથી. તેઓ રૂપ બદલે છે.

મૃત્યુ શરીરનો અંત લાવે છે, સંબંધનો નહીં. પિતા મૃત્યુ પછી પણ જીવતા રહે છે. તેઓ ઘરની દરેક વસ્તુમાં વસેલા રહે છે. જૂની ઘડિયાળમાં, તેમના ચશ્મામાં, લખાણમાં, ફોટોગ્રાફમાં અને સૌથી વધુ તો સંતાનના હૃદયમાં.

કદાચ તેથી જ કવિ અંતે મૃત્યુશોકથી મુક્ત થઈ જાય છે. તેમને સમજાઈ ગયું છે કે માણસનું સાચું અસ્તિત્વ શરીરમાં નહીં, પરંતુ તેમણે જીવેલા જીવનમાં છે. તેમણે આપેલા પ્રેમમાં છે. તેમણે વાવેલા સંસ્કારોમાં છે.

લોગઆઉટઃ

પ્રિય પપ્પા! હવે તો તમારા વગર,
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર.
– મુકુલ ચોકસી

હૃદય અંદર રહેલું કોણ વાંચે?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

અભણ કે આ ભણેલું કોણ વાંચે?
હવા ઉપર લખેલું કોણ વાંચે?

ગઝલરૂપે ભલે મેં વાત મૂકી,
હૃદય અંદર રહેલું કોણ વાંચે?

ઉપરથી તો બધા વાંચી શકે છે,
ઘણું ઊંડે પડેલું કોણ વાંચે?

નહીં શબ હાથમાં પુસ્તકને રાખે,
કહો અમને મરેલું કોણ વાંચે?

તમે પીડા તરીકે ઓળખો છો,
અમે સોને મઢેલું કોણ વાંચે?

– જિજ્ઞેશ વાળા

આ ગઝલનો કેન્દ્રીય ભાવ એ છે કે માણસને વાંચવો સહેલો નથી. આપણે શબ્દો વાંચીએ છીએ, ચહેરા વાંચીએ છીએ, પુસ્તકો વાંચીએ છીએ, પણ મનુષ્યના અંતરમાં જે લખાયેલું હોય છે, તેને વાંચવાની ફુરસદ, ક્ષમતા કે ઇચ્છા બહુ ઓછા લોકોમાં હોય છે.

આમ જુઓ તો વાંચવાનું કામ સાવ સહેલું છે. અક્ષરોને ઓળખી, શબ્દોને સમજી, અર્થ પામી લેઈ તો લાગે કે બધું જાણી લીધું. પણ એ ખરેખર આપણો ભ્રમ હોય છે. કારણ કે માણસનું ખરું અસ્તિત્વ શબ્દોમાં નથી હોતું. તે તો શબ્દોની પાછળ, વાક્યોની વચ્ચેથી સરકી ગયેલી જગ્યાઓમાં, અધૂરા વિરામચિહ્નોમાં અને ન બોલાયેલા અર્થોમાં હોય છે.

કેટલાક લોકો જિંદગીભર પોતાના મનની વાત સમજાવવા પ્રયત્નો કર્યા કરે છે, છતાં કોઈ સમજી શકતું નથી. તેઓ બોલે છે, હસે છે, કામ કરે છે, સંબંધો નિભાવે છે, પણ અંદરના ખૂણે એક અજાણી ડાયરી વાંચ્યા વિનાની એમનેમ પડી હોય છે. એનાં પાનાં કોઈએ ક્યારેય ઉથલાવ્યાં નથી હોતાં. બહારથી જોનારને લાગે કે બધું બરાબર છે. ચહેરા પર હાસ્ય છે, વાતોમાં સરળતા છે, જીવનમાં વ્યવસ્થા છે. પણ એ બધા તો ઢાંકપિછોડા હોય છે. સાચું જીવન તો એ બધાની નીચે દટાયેલું પડ્યું હોય છે, જેમ દરિયાની સપાટી નીચે એક આખી અલગ દુનિયા જીવતી હોય છે.

આપણા બધાની એક ટેવ છે. સદા હસતા રહેનારને સુખી માની લઈએ, ઓછું બોલનારને અહંકારી ગણી લઈએ. મજબૂત બાંધાનું હોય તેને નિરોગી માની લઈએ, પાતળા લાગતા જણને નિર્બળ સમજી બેસીએ. પણ માણસો પુસ્તક જેટલાં સરળ નથી હોતાં કે માત્ર શીર્ષક વાંચીને આખી વાર્તા સમજી શકાય. ઘણા લોકોના સૌથી મહત્વનાં પ્રકરણો તો એવી રીતે લખાયેલાં હોય છે કે તે આજીવન વણવંચાયેલા જ રહે છે. ત્યાં કોઈની નજર ક્યારેય પહોંચતી જ નથી.

કેટલાય લોકો રોજ તમારી આસપાસથી પસાર થાય છે. બસમાં, ઓફિસમાં, રસ્તામાં, શેરીમાં. તમે તેમને જુઓ છો, તેમની સાથે વાત પણ કરો છો. પણ શું તમને ખબર હોય છે કે જે જણ હસીને મળ્યો, તે ગઈકાલે રાતે ઊંઘી પણ નહોતો શક્યો. જે સ્ત્રી વાતોડિયણ લાગતી હતી તે વર્ષોથી કોઈ ન કહી શકાય તેવી વ્યથા જીવી રહી હતી? કરુણતા એ નથી કે માણસ દુઃખી છે. કરુણતા એ છે કે તેના દુઃખને વાંચનાર કોઈ નથી. ઘણી પીડાઓ એટલા માટે ભારે બની જાય છે, કેમકે તે વહેંચી શકાય તેવી નથી. માણસ દુઃખથી એટલો નથી થાકતો, જેટલો દુઃખની વહેંચણીના અભાવથી થાકે છે. તેને કોઈ એવું જોઈએ છે જે તેને સાંભળે, તેને સમજે.

રસપ્રદ વાત તો એ છે કે ઘણીવાર માણસ પોતે જ પોતાને વાંચતો નથી. આપણે અંદરની ખાલી જગ્યાઓને સતત વ્યસ્તતાના રંગથી ઢાંકતા રહીએ છીએ. જાણે જીવન એક બંધ પેટી હોય, જેને ખોલવાથી કોઈ મહાકાય રાક્ષસ નીકળવાનો હોય ને આપણને ખાઈ જવાનો હોય. ખરેખર તો આપણો રાક્ષસ આપણે જ પેદા કરેલો હોય છે. કદાચ એટલે જ આપણે જાતને નથી વાંચતા, કેમકે જગત કરતા જાતને વાંચવી મુશ્કેલ હોય છે.

કેટલાક લોકો પોતાની પીડાને એટલી સુંદર રીતે શણગારી દે છે કે દુનિયા તેને પીડા નહીં, પ્રતિભા સમજી લે છે. કોઈ કવિતા લખે છે, કોઈ ચિત્ર દોરે છે, કોઈ સંગીત રચે છે. લોકો સર્જનને વખાણે છે, પણ તેની પાછળના સંઘર્ષને કોઈ જોતું નથી. લોકો અજવાળાને પોંખે છે, પણ તેની માટે સતત બળી રહેલી શગ સામે કોણ જુએ છે?

લોગઆઉટઃ

શ્વાસને નહિ ગણ, બધું સરખું જ છે
એક, બે કે ત્રણ, બધું સરખું જ છે.
જો ન એની આંખને વાંચી શકે,
લાખ પુસ્તક ભણ, બધું સરખું જ છે.

– કિરણસિંહ ચૌહાણ

શું થાય છે એક સ્વપ્નને ટાળી દેવાથી?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

શું થાય છે એક સ્વપ્નને ટાળી દેવાથી?

શું એ કરમાઈ જાય છે
તડકે મૂકેલી દ્રાક્ષની પેઠે?
કે કોઈ ઘાવની જેમ પાકી જાય છે-
ને પછી વહેવા માંડે છે?
શું એ સડેલા માંસની જેમ ગંધાવા લાગે છે?
કે પછી ખાંડની પરત બનીને જામી જાય છે-
ગળી ચાસણીની જેમ?

કદાચ એ કોઈ વજનદાર બોજની માફક
બસ લચી પડે છે.

કે પછી વિસ્ફોટ સાથે ફૂટી જાય છે?

– લેન્ગ્સ્ટન હ્યુઝ (અનુ.: વિવેક મનહર ટેલર)

લેન્ગ્સ્ટન હ્યુઝનું સાહિત્ય આફ્રિકન-અમેરિકન પ્રજાના ઘવાયેલા દબાયેલા આત્માનો પડઘો પાડે છે. આ કવિતા વિશે અનુવાદક નોંધે છે, “‘હાર્લેમ’ શીર્ષકથી લખાયેલ આ કવિતા અમેરિકન-ડ્રીમનો પર્યાય બની ચૂકી છે. ન્યૂયૉર્કનું હાર્લેમ એટલે આપણા મુંબઈનું ધારાવી. સ્વપ્નની વાત આવે, પ્રગતિનીવાત આવે અને આ કવિતા ટાંકવામાં ન આવે એ શક્ય જ નથી.”

સ્વપ્ન એક એવી ચીજ છે જે દરેક માણસને અંદરથી જિવાડે છે. દરેકના મનના ખૂણામાં એક સપનું ફણગી રહ્યું હોય છે. કોઈને ગાયક બનવું હોય છે, કોઈને લેખક. કોઈ એક્ટર થવા માગે છે, તો કોઈને બિઝનેસનું મોટું સામ્રાજ્ય ઊભું કરવું હોય છે. કોઈને આખી દુનિયા ફરવી છે, તો કોઈને આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય છે. પણ જીવનની સૌથી વિચિત્ર ઘટના એ છે કે લોકો પોતાનાં સપનાં જાતે મારી નાખે છે. ઘણી વાર મારવાં પડે છે. ક્યારેક સંજોગ જવાબદાર હોય છે, ક્યારેક અપૂરતા પ્રયત્નો.

સ્વપ્નને ટાળવામાં સૌથી કોમન વાક્ય છે એક જ છે, "અત્યારે નહીં, પછી" અને આ ‘પછી’ ક્યારેય આવતું જ નથી. માણસ પોતાનાં સપનાંને ટાળે છે તેનું કારણ આળસ નથી, ભય છે. કઠોર પરિશ્રમનો નહીં, પણ પરિણામનો ભય મારી નાખે છે. તે વારંવાર વિચારે છે, મારાથી નહીં થાય તો? હું નિષ્ફળ જઈશ તો? લોકો હસશે તો? પરિણામે પોતાના જીવ જેવા વહાલા સ્વપ્નને તે કલ્પનાની બરણીમાં પૂરી દે છે. પછી કલ્પનામાં જ તે ફિલ્મનો હીરો બને છે, કલ્પનામાં જ એલન મસ્ક કે મુકેશ અંબાણી જેવો મોટો બિઝનેસમેન બનીને કરોડોનો બિઝનેસ કરે છે. પણ વાસ્તવિકતામાં તો ત્યાંનો ત્યાં જ હોય છે.

સપનાઓની સૌથી મોટી કરુણતા એ નથી કે તે પૂરાં નથી થતાં. મોટી કરુણતા તો એ છે કે તે આપણી અંદર જીવંત રહે છે. બહારથી બધું સામાન્ય દેખાય. નોકરી, પરિવાર, ઘર, સમાજમાં માન બધું જ હોય. છતાં મનના એક ખૂણામાં કોઈ અવાજ સતત બબડતો રહે છે કે, "એ વખતે થોડો વધારે પ્રયત્ન કરી નાખ્યો હોય તો! " નિષ્ફળતા માત્ર એક ઘટના છે; પણ અફસોસ તો જીવનભરનો સાથી છે. તરછોડાયલું સપનું જીવનભર વસવસાની વીણા વગાડ્યાં કરે છે. જે માત્ર આપણને જ સંભળાય છે.

જીવનના અંતિમ પડાવે પહોંચેલા લોકોના સંવાદોમાં એક વાત વારંવાર સાંભળવા મળે છે. તેમને તેમનાં કરેલાં કામોનો એટલો અફસોસ નથી હોતો જેટલો ન કરેલાં કામોનો હોય છે. કોઈ કહે છે કે કાશ સંગીત ન છોડ્યું હોત. કોઈ કહે છે કે કાશ સમયસર પ્રેમનો એકરાર કરી દીધો હોત. કોઈ કહે છે કે કાશ પોતાનો ધંધો ચાલુ કરી દીધો હોત. આ ‘કાશ’ મનમાં ત્રાસ આપતું રહે છે.

પ્રયત્ન પછી મળતી હારમાં એક આશ્વાસન તો હોય કે પ્રયાસ કર્યો’તો. હકીકતમાં માણસ સપનાઓને છોડતો નથી, બહાનાં નીચે દાટી દે છે. સમય નથી. પૈસા નથી. યોગ્ય તક નથી. પરિવારની જવાબદારી છે. પરિસ્થિતિ અનુકૂળ નથી. વગેરે. આમાંથી અમુક વાતો સાચી પણ હોય છે. પરંતુ દુનિયાના મોટાભાગનાં મહાન કામો અનુકૂળ પરિસ્થિતિમાં થયાં નથી.

સપનાઓનું પણ માણસો જેવું હોય છે. તમે તેને સતત અવગણતા રહો તો એ પણ તમને છોડીને જતું રહે છે.

લોગઆઉટઃ

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,

પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસ્તી, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવાણું રે સપનું.

વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવાણું રે સપનું.

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,
મારું ખોવાણું રે સપનું.

– ગની દહીંવાલા

હવે ચોમાસુ કેટલું છે છેટું?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

હજી ચોમાસુ કેટલું છે છેટું?
થાય છે કે મોઢેથી માસ્કને ફગાવીને વ્હાલા વરસાદ તને ભેટુ,

એવું તો ધોધમાર ખાબકે કશુંક્ ભલે છાંટે ને છાંટે છોલાઉં
તંગ થઈ ગયેલા આ તળિયાં તૂટે ને હુંય ભડભડભડ એમાં ભીંજાઉં
સાચું કહું? આ વખતે મોડું પડે તો એને મારી દઉં પાંચ-સાત ફેંટુ!
હજી ચોમાસુ કેટલું છે છેટું?

આ વર્ષે આંખ એવી કેટલી હશે? કે જેનું રહી જાશે ચોમાસું કોરું!
સૂની પડેલી કંઈક પાંપણની પછવાડે થાતું કે મેઘધનુષ દોરું!
અથવા તો એમ થાય વીજળીની પાસે હું ચિતરાવું વાદળીનું ટેટુ!
હજી ચોમાસુ કેટલું છે છેટું?

– કૃષ્ણ દવે

મે મહિનાનો અંત આવે એટલે ધરતી કોઈએ તપતા તવા પર મૂકી હોય એવી થઈ જાય. બપોરના રોડ જોતા લાગે ડામર નહીં, લાવારસ ઊકળે છે. પવન પણ પવન ન રહેતા; ગુસ્સે ભરાયેલા લુહાર જેમ ભઠ્ઠીની અંદરથી સળગતો શ્વાસ બહાર ફેંકતો લાગે. પાણી પણ જાણે ઠંડક નહીં, થાક આપતું લાગે. ગાયો છાંયો શોધતી ફરે, કૂતરાં જીભ કાઢીને હાંફતા રહે, ચકલીઓ ગાયબ થઈ જાય, અને વૃક્ષો સુધ્ધાં લાગે જાણે પૂછી રહ્યાં છે, “હવે ચોમાસું કેટલું છેટું છે?”

ઉનાળામાં સૌથી વરવો કદાચ તડકો નહીં, ચોમાસાની પ્રતીક્ષા હોય છે. પ્રતીક્ષા કાયમ કપરી જ હોય છે, એ પ્રેમની હોય કે ઘૃણાની, કોઈના આવવાની હોય કે વિદાયની. એમાંય જ્યારે વ્યક્તિના આવવાનો સમય નજીક આવતો જાય ત્યારે પ્રતીક્ષા દરિયાનાં મોજાંની જેમ મનમાં ઊછળવા લાગે છે. મે મહિનાની પૂર્ણતા અને જૂનની શરૂઆત, ચોમાસાની પ્રતીક્ષામાં વધારે ઉનાળાતી હોય છે, તેનો તોર તપીને તગતગી ઊઠતો હોય છે. એવા સમયે ઉનાળો વેઠતો દરેક જીવ મનોમન કદાચ એમ જ બોલતો હોય છે કે હવે ચોમાસાને કેટલી વાર?

કવિ કૃષ્ણ દવેએ ચોમાસાની પ્રતીક્ષાની ‘આહ’ અને ‘ઉકળાટ’ નિરૂપ્યાં છે. ઉનાળાના આકરા તાપથી તપ્ત થઈ ઊઠેલો સામાન્ય માણસ બહાર નીકળે તો મોઢા પર માસ્ક, માથે ટોપી, હાથમાં ગ્લવ્ઝ, પગમાં મોજાં, માથે છત્રી… ન જાણે શું શું કરે છે. ક્યારેક તો એમ પણ થાય કે સહેજ ઝરમર પણ થઈ જાય તો આ બધાં આવરણ ફગાવીને વરસાદને ભેટી પડીએ.

કવિ જણાવે છે કે આકરો ઉનાળો ઝીલીને શરીર એટલું નબળું પડી ગયું છે કે છાંટો સુધ્ધાં પડે તો છોલાઈ જાય, પણ ભલે છોલાતું, ચોમાસા, તું વરસ. ઉનાળામાં શેકાઈ ગયેલાં પગનાં ને મનનાં તળિયા ભલે તૂટે, ચોમાસામાં લીલુંછમ નહીં, ભલે ભડબડ બળતા અગ્નિ જેમ ભીંજાવું પડે, પણ હવે વરસ. ના વરસે તો, કવિ તેને પાંચસાત ‘ફેંટુ’ મારવા સુધી ગુસ્સે ભરાઈ જાય છે. આવું થવાનું કારણ કપરી પ્રતીક્ષા, બીજું શું?

આખો ઉનાળો નીચું જોઈને ચાલનારો માણસ, જેવું ચોમાસું નજીક આવે કે ઉપર જોવાની શરૂઆત કરી દે છે. ઘેરાતાં વાદળો તેના મનમાં આશા બંધાવે છે. ચોમાસાનું આગમન નજરોને ઉન્નત બનાવી દે છે. એક નાનું વાદળ સુધ્ધાં અનેક લોકોની નજરમાં ચમક લાવી દે છે.

કેટલી અજીબ વાત છે! ચોમાસું પૂરેપૂરું ખાબકી જાય, પછી તે આપણને ખૂંચે. પછી આપણને એમ થાય કે કપડાં ભીંજાયા, રસ્તામાં પાણી ભરાઈ ગયાં, કાદવ-કીચડ થયાં, ટ્રાફિક વધી ગયો, વગેરે... પરંતુ કાળઝાળ ઉનાળો સહન કરવાનો થાય ત્યારે એ જ ચોમાસા માટે ટળવળીએ. માણસ મૂળે ગરજુ પ્રાણી છે. તેને મતલબનું બધું ખપે છે. મતલબ પત્યા પછી તે ભગવાનને પણ પૂજવાનું બંધ કરી દે છે, તો બીજાની તો શું કરવાની!

સાચું કહીએ તો ઉનાળો માણસને વરસાદની કિંમત શીખવે છે. સતત સુખ મળે તો એની મજા ક્યાં રહે? જો આખું વર્ષ ચોમાસું જ રહે તો કદાચ માણસ વરસાદનું આટલું મહત્ત્વ ન સમજે. તરસ જ પાણીની મહત્તા સમજાવે છે. પ્રતીક્ષા જ મિલનની મીઠાશ વધારે છે. કદાચ એટલે જ કુદરત પહેલાં ધરતીને તાપમાં શેકે છે, પછી પાણી મોકલે છે.

જીવનમાં પણ કદાચ આવું જ હોય છે. ક્યારેક એવો સમય પણ આવે છે કે જ્યારે બધું જ સૂકાઈ જાય છે. વાત કરવાની ઇચ્છા ન રહે. હસવાનું મન ન થાય. દિવસો ધૂળ જેવા લાગે. પછી અચાનક કોઈ માણસ, કોઈ કવિતા, કોઈ મુલાકાત વરસાદ બનીને આવે. બધું ફરી ભીનું થઈ જાય. એટલે જ વરસાદને લોકો પ્રેમ સાથે જોડે છે. કારણ કે વરસાદ આવે ત્યારે દુનિયા થોડી વધુ જીવંત લાગે છે. આ જીવંતતાની ઝંખના માટે જ પશુ, પંખી, મનુષ્ય બધાનું મન બોલી ઊઠતું હશે, હવે ચોમાસાને કેટલી વાર?

લોગઆઉટઃ

સહેજ માટીની ગંધ, સહેજ ભીનો સંબંધ,
સહેજ વાદળિયાં ગીતો ગવરાવ,
આવ, ચોમાસા જલદીથી આવ

— અજ્ઞાત