સહજ મળે તે સાચું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

સહજ મળે તે સાચું.
કરી ઉધામા કૈંક પામીએ એ સઘળુંયે કાચું.

વરસે વ્હાલો ધોધમાર, છલકે જીવતરની ઝોળી.
મહેકી ઊઠે એમ પછી તો રુદિયાની રંગોળી.
આપે અપરંપાર પછી હું નાહક શાને યાચું?
સહજ મળે તે સાચું.

પંથ ઉપર પાડેલું પગલું ઊડી આભમાં પૂગે.
સમય સાચવી સૂખનો સૂરજ આપોઆપ જ ઊગે.
ભાર બધો ભૂલીને હું તો રામનામમાં રાચું.
સહજ મળે તે સાચું.

– નીતિન વડગામા

કવિતા આપણને એવાં નક્કર સત્યો સુધી લઈ જાય છે, જ્યાં તર્કની સીડી નકામી થઈ જાય છે. કવિ નીતિન વડગામાએ સહજતાના સત્યને ઉજાગર કર્યું છે. આખું જીવન માણસ કંઈક મેળવવા માટે દોડધામ કરે છે, હિસાબો માંડે છે, પ્લાન બનાવે છે, રઘવાયો થાય છે; પણ અંતે ખબર પડે છે કે જેની માટે લોહીઉકાળા કર્યા તેનું એટલું મહત્ત્વ હતું જ નહીં. સૌથી કિંમતી હતું તે તો સહજ રીતે, પ્રયત્ન વગર, કોઈ દાવપેચ વગર પાસે આવ્યું હતું. આ સહજતા એ જ સત્ય, બીજાં વલખા!

દરેક માણસ ક્યાંક પહોંચવા માંગે છે. કોઈ નામ કમાવા માંગે છે, કોઈ સંપત્તિ, કોઈ પ્રતિષ્ઠા, કોઈ પ્રેમ. પરંતુ આ દોડમાં એ ભૂલી જઈએ છીએ કે દરેક પ્રાપ્તિનો અર્થ આનંદ નથી હોતો. ઘણી વસ્તુઓ હાથમાં આવે છે, હૃદયમાં નથી આવતી. કાચના ટુકડાઓ સૂર્યપ્રકાશમાં હીરા જેમ ચમકે તો તે હીરા નથી બની જતા. ઘણી સિદ્ધિઓ બહારથી ભવ્ય દેખાતી હોય, પરંતુ અંદરથી ખાલીખમ હોય છે. કવિએ એટલે જ કહ્યુંં છે કે ઉધામા કરીને મેળવેલી વસ્તુ કાચી હોય છે, સાચી નહીં.

જીવનની સૌથી મૂલ્યવાન વસ્તુઓ કોણ ખરીદી શકે? માતાના હાથનો સ્પર્શ, મિત્રની નિષ્ઠા, બાળકનું નિર્દોષ હાસ્ય, પ્રથમ વરસાદની સુગંધ, પ્રિયજનની આંખોમાં દેખાતો વિશ્વાસ, સાંજના આકાશમાં ઊતરતો રંગ, કે પછી અચાનક અનુભવાતી શાંતિ… આમાંથી કઈ વસ્તુ બજારમાં મળે છે? કઈ વસ્તુ માટે ભાવતાલ થાય છે? આ બધું સહજ રીતે મળે છે. અને કદાચ એટલે જ તેમાં ભારોભાર સચ્ચાઈ છે.

આપણને એવો ભ્રમ છે કે સુખ સર્જવું પડે. આપણે સુખને પ્રોજેક્ટની જેમ લઈએ છીએ. એટલે જ તો ચોગઠા ગોઠવીએ છીએ કે વધારે પૈસા મળે, મોટું ઘર મળી જાય, પ્રસિદ્ધિ મળી જાય, તો સુખ આપોઆપ મળી જશે. પરંતુ સુખ ઈમારત નથી કે ઈંટ પર ઈંટ ગોઠવીને ચણી શકાય. સુખ તો વરસાદ જેવું છે. જ્યારે અંદરની ધરતી તૈયાર થાય ત્યારે તે આપોઆપ વરસી પડે છે. કવિ જીવનને ઝોળી કહે છે. આપણે તેને ભરવા માટે સતત મથતા રહીએ છીએ, પણ જે ભરે છે તે તો કોઈ અદૃશ્ય કૃપા છે, કોઈ અજાણ્યા આશીર્વાદ છે, કોઈ એવી વ્યવસ્થા છે જે આપણાથી અનન્ય મોટી છે. એ જ્યારે વરસે ત્યારે આપોઆપ જીવનની ઝોળી છલકી ઊઠે છે. જ્યારે કૃપા વરસે ત્યારે બહારની દુનિયા જ નહીં, અંદરથી પણ બધું બદલાઈ જાય છે.

આધુનિક જીવનની કરુણતા એ છે કે આપણે સહજતાથી દૂર થઈ ગયા છીએ. આપણે બધું નિયંત્રિત કરવા માંગીએ છીએ. સંબંધો યોજના મુજબ ચાલે, સફળતા સમયપત્રક પ્રમાણે મળે, આનંદ આપણા તાબામાં રહે વગેરે. પરંતુ જીવનને આદેશો નથી ગમતા. જીવન તો નદી છે. તેને વહેવા દો તો સંગીત બને, રોકવા જાઓ તો પૂર બને. સહજતા એટલે જીવન સાથે યુદ્ધ નહીં, જીવન સાથે મિત્રતા.

આપણું દુઃખ આપણી ઉતાવળમાંથી જન્મે છે. બીજ વાવ્યું ને તરત ફળની આશા રાખીએ છીએ. પ્રકૃતિ ઉતાવળને ઓળખતી નથી. સૂર્ય પોતાના સમયે જ ઉગે છે. ફૂલ પોતાના સમયે જ ખીલે છે. ઋતુઓ પોતાના સમયે જ આવે છે. કવિ એટલે જ કહે છે, “સમય સાચવી સુખનો સૂરજ આપોઆપ જ ઊગે.”

અંતિમ પંક્તિમાં આવતું રામનામ માત્ર ધાર્મિક અર્થમાં નથી. તે એક આંતરિક સમર્પણનું પ્રતીક છે. જ્યારે માણસ સતત મેળવવાની ચિંતા છોડી દે, સતત સરખામણી છોડી દે, સતત સ્પર્ધા છોડી દે, ત્યારે તેની અંદર એક અજાણી હળવાશ જન્મે છે. પછી તે દરેક ક્ષણમાં આનંદ શોધી શકે છે. તેને નાનીનાની વાતોમાં પણ પરમાત્માનો સ્પર્શ અનુભવાય છે.

જીવનનો સાર બહુ જ સરળ છે. જે સહજ છે તે ટકાઉ છે. જે સહજ છે તે ઊંડું છે. નદી સહજ છે, તેથી સમુદ્ર સુધી પહોંચે છે. ફૂલ સહજ છે, તેથી સુગંધ આપે છે. આકાશ સહજ છે, તેથી અનંત છે. અને મનુષ્ય પણ ત્યારે જ સુંદર બને છે જ્યારે તે પોતાની અંદરની સહજતા સાથે જોડાય.

લોગઆઉટઃ

દુઃખનો સહજ સ્વીકાર થવા દો પછી જુઓ,
થોડો સમય પસાર થવા દો પછી જુઓ.
ભીતર પડ્યું હશે તો કદાચિત પ્રગટ થશે,
ક્યારેક અંધકાર થવા દો પછી જુઓ.
– આર.બી. રાઠોડ

પિતા મૃત્યુ પછી પણ જીવતા રહે છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

અમે જેની ખાંધે વજન ફિકરોનું થઈ ફર્યા
બધે આયુર્માર્ગે, જગની ગલીકૂંચી વિવિધમાં,
ચડાણે, ઊંડાણે શિરવિટમણાઓ થઈ ભમ્યા;
અમે લાવ્યા એ રે શરીર નિજ ખાંધે ઊંચકીને,
અહીં લાવ્યા એ રે શરીર નિજ ખાંધે જનકનું.
અને જેનાં હાડે પૂરવજદીધી પ્રાણસરણી
પુરાણી પોષાઈ વહી અમ મહીં કૌતુકવતી,
અમે આવ્યા એ રે નિજ જનકના હાડઢગની
પડી સાનીમાંથી અગનબચિયાં ફૂલ વીણવા.
ભરી વાળી સાની ધખ ધખ થતી ટોપલી મહીં,
અને પાસે વ્હેળો ખળળ વહતો ત્યાં જઈ જળે
ડબોળી, ટાઢોળી, જરીક હલવી, ને દૂધ સમા
પ્રવાહે સ્વર્ગં ગાજલ થકી શકે તારક વીણ્યા!
વીણ્યા તારા, ફૂલો જગનું બધું યે સુંદર વીણ્યું,
ન લાધે સ્હેજે જે, શિવ સકલ આજે મળી ગયું;
શમ્યા મૃત્યુશોકો, અમર ફરકંતી નીરખીને
પિતાનાં ફૂલોમાં ધવલ કલગી વિશ્વક્રમની…

– ઉમાશંકર જોશી

આ કવિતા પિતાના અવસાન પછીની એક એવી યાત્રાનું વર્ણન કરે છે, જેમાં પુત્ર માત્ર પોતાના પિતાનાં અસ્થિફૂલ વીણવા નથી જતો, પરંતુ જીવન, મૃત્યુ અને વારસાની ગહન સમજણ સુધી પહોંચે છે.

પિતા વિશે લખવું એટલે આકાશ શબ્દોમાં ઉતારવાનો પ્રયાસ કરવો. પિતા માત્ર ઘરના એક સભ્ય નથી હોતા; તેઓ ઘરની દીવાલોમાં રહેલો વિશ્વાસ હોય છે, પાયામાં પડેલો જુસ્સો હોય છે, બારણાં પર ટકેલો આધાર હોય છે અને સંતાનના મનમાં નિઃશબ્દ રીતે ઊભેલો એક પહાડ હોય છે.

આ કવિતામાં કવિ પોતાના પિતાનાં અસ્થિફૂલ વીણવા જાય છે. બહારથી જોવામાં આ એક સામાન્ય ક્રિયા લાગે. પરંતુ એ ક્ષણે પુત્રને સમજાય છે કે જે શરીરને તે ખભે લઈને અહીં સુધી આવ્યો છે, એ જ શરીરે ક્યારેક તેને ખભે લઈને દુનિયા બતાવી હતી. આજે ભૂમિકાઓ બદલાઈ ગઈ છે.

માણસ આખું જીવન પિતાના આશ્રયમાં જીવતો રહે છે, પરંતુ પિતાનું મહત્ત્વ ત્યારે સમજાય છે જ્યારે તેઓ ભૌતિક રીતે સાથે ન રહે. જીવતા પિતા ઘરમાં હોય ત્યારે તેમની હાજરી સામાન્ય લાગે છે. સવારની ચા, સાંજની વાતો, સલાહ, ઠપકો, ચિંતા બધું જ રોજિંદું લાગે છે. પરંતુ એક દિવસ જ્યારે એ બધું અચાનક બંધ થઈ જાય છે, ત્યારે સમજાય છે કે આ સામાન્ય લાગતી બાબતો જ જીવનની સૌથી અસાધારણ સંપત્તિ હતી.

પિતા પ્રેમ વ્યક્ત કરવામાં કુશળ નથી હોતા. માતાનો પ્રેમ વરસાદ જેવો લાગે, જ્યારે પિતાનો પ્રેમ ધરતીની અંદર વહેતા ઝરણા જેવો. તે દેખાતો નથી, પરંતુ સમગ્ર વૃક્ષને જીવંત રાખે છે. પિતા ઘણીવાર “હું તને પ્રેમ કરું છું” નથી કહેતા. પરંતુ સંતાન માટે વધારાના કલાકો કામ કરે છે, પોતાની જરૂરિયાતો ઘટાડે છે, ચિંતાઓ છુપાવે છે અને સપનાઓનો ભાર પોતાના ખભે ઉપાડે છે. એ જ તેમનો પ્રેમ છે.

આ કવિતાની સૌથી સ્પર્શી જાય એવી વાત એ છે કે કવિ જ્યારે અસ્થિફૂલ વીણી રહ્યા છે ત્યારે તેમને માત્ર રાખ કે હાડકાં દેખાતાં નથી. તેમને એક આખી પરંપરા દેખાય છે. એ હાડકાંમાં તેમને પોતાના પૂર્વજોનો પ્રવાસ દેખાય છે. જે રક્ત આજે તેમની નસોમાં વહે છે, તે પેઢીઓની યાત્રાનું પરિણામ છે.

આપણે ઘણીવાર વિચારીએ છીએ કે પિતા આપણને શું આપી ગયા? ઘર? સંપત્તિ? શિક્ષણ? પરંતુ થોડું ઊંડું વિચારીએ તો સમજાય છે કે પિતાએ પોતાનાં વર્ષો આપ્યાં છે. પોતાનાં સપનાઓમાંથી ભાગ કાપીને આપણા સપનાઓમાં ઉમેર્યો છે.

જીવનમાં ઘણી એવી ક્ષણો આવે છે જ્યારે આપણે પિતાની વાત સાથે અસહમત થઈએ છીએ. ઘણીવાર તેમનો ઠપકો કઠોર લાગે છે. તેમની શિસ્ત બોજ જેવી લાગે છે. પરંતુ વર્ષો પછી સમજાય છે કે તેઓ આપણને રોકવા માંગતા નહોતા, તેઓ આપણને તૂટતા બચાવવા માંગતા હતા. જીવનની જે ઠોકરો આપણે આજે ટાળી શક્યા છીએ, તેમાં પિતાની દૂરંદેશીનો મોટો હિસ્સો હોય છે.

કવિતામાં જ્યારે કવિ અસ્થિફૂલને જળમાં ધોઈને નિહાળે છે ત્યારે તેમને તેમાં તારાઓ દેખાય છે. આ એક અદભુત રૂપક છે. કારણ કે સાચા અર્થમાં પિતા ક્યારેય મરતા નથી. તેઓ રૂપ બદલે છે.

મૃત્યુ શરીરનો અંત લાવે છે, સંબંધનો નહીં. પિતા મૃત્યુ પછી પણ જીવતા રહે છે. તેઓ ઘરની દરેક વસ્તુમાં વસેલા રહે છે. જૂની ઘડિયાળમાં, તેમના ચશ્મામાં, લખાણમાં, ફોટોગ્રાફમાં અને સૌથી વધુ તો સંતાનના હૃદયમાં.

કદાચ તેથી જ કવિ અંતે મૃત્યુશોકથી મુક્ત થઈ જાય છે. તેમને સમજાઈ ગયું છે કે માણસનું સાચું અસ્તિત્વ શરીરમાં નહીં, પરંતુ તેમણે જીવેલા જીવનમાં છે. તેમણે આપેલા પ્રેમમાં છે. તેમણે વાવેલા સંસ્કારોમાં છે.

લોગઆઉટઃ

પ્રિય પપ્પા! હવે તો તમારા વગર,
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર.
– મુકુલ ચોકસી

હૃદય અંદર રહેલું કોણ વાંચે?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

અભણ કે આ ભણેલું કોણ વાંચે?
હવા ઉપર લખેલું કોણ વાંચે?

ગઝલરૂપે ભલે મેં વાત મૂકી,
હૃદય અંદર રહેલું કોણ વાંચે?

ઉપરથી તો બધા વાંચી શકે છે,
ઘણું ઊંડે પડેલું કોણ વાંચે?

નહીં શબ હાથમાં પુસ્તકને રાખે,
કહો અમને મરેલું કોણ વાંચે?

તમે પીડા તરીકે ઓળખો છો,
અમે સોને મઢેલું કોણ વાંચે?

– જિજ્ઞેશ વાળા

આ ગઝલનો કેન્દ્રીય ભાવ એ છે કે માણસને વાંચવો સહેલો નથી. આપણે શબ્દો વાંચીએ છીએ, ચહેરા વાંચીએ છીએ, પુસ્તકો વાંચીએ છીએ, પણ મનુષ્યના અંતરમાં જે લખાયેલું હોય છે, તેને વાંચવાની ફુરસદ, ક્ષમતા કે ઇચ્છા બહુ ઓછા લોકોમાં હોય છે.

આમ જુઓ તો વાંચવાનું કામ સાવ સહેલું છે. અક્ષરોને ઓળખી, શબ્દોને સમજી, અર્થ પામી લેઈ તો લાગે કે બધું જાણી લીધું. પણ એ ખરેખર આપણો ભ્રમ હોય છે. કારણ કે માણસનું ખરું અસ્તિત્વ શબ્દોમાં નથી હોતું. તે તો શબ્દોની પાછળ, વાક્યોની વચ્ચેથી સરકી ગયેલી જગ્યાઓમાં, અધૂરા વિરામચિહ્નોમાં અને ન બોલાયેલા અર્થોમાં હોય છે.

કેટલાક લોકો જિંદગીભર પોતાના મનની વાત સમજાવવા પ્રયત્નો કર્યા કરે છે, છતાં કોઈ સમજી શકતું નથી. તેઓ બોલે છે, હસે છે, કામ કરે છે, સંબંધો નિભાવે છે, પણ અંદરના ખૂણે એક અજાણી ડાયરી વાંચ્યા વિનાની એમનેમ પડી હોય છે. એનાં પાનાં કોઈએ ક્યારેય ઉથલાવ્યાં નથી હોતાં. બહારથી જોનારને લાગે કે બધું બરાબર છે. ચહેરા પર હાસ્ય છે, વાતોમાં સરળતા છે, જીવનમાં વ્યવસ્થા છે. પણ એ બધા તો ઢાંકપિછોડા હોય છે. સાચું જીવન તો એ બધાની નીચે દટાયેલું પડ્યું હોય છે, જેમ દરિયાની સપાટી નીચે એક આખી અલગ દુનિયા જીવતી હોય છે.

આપણા બધાની એક ટેવ છે. સદા હસતા રહેનારને સુખી માની લઈએ, ઓછું બોલનારને અહંકારી ગણી લઈએ. મજબૂત બાંધાનું હોય તેને નિરોગી માની લઈએ, પાતળા લાગતા જણને નિર્બળ સમજી બેસીએ. પણ માણસો પુસ્તક જેટલાં સરળ નથી હોતાં કે માત્ર શીર્ષક વાંચીને આખી વાર્તા સમજી શકાય. ઘણા લોકોના સૌથી મહત્વનાં પ્રકરણો તો એવી રીતે લખાયેલાં હોય છે કે તે આજીવન વણવંચાયેલા જ રહે છે. ત્યાં કોઈની નજર ક્યારેય પહોંચતી જ નથી.

કેટલાય લોકો રોજ તમારી આસપાસથી પસાર થાય છે. બસમાં, ઓફિસમાં, રસ્તામાં, શેરીમાં. તમે તેમને જુઓ છો, તેમની સાથે વાત પણ કરો છો. પણ શું તમને ખબર હોય છે કે જે જણ હસીને મળ્યો, તે ગઈકાલે રાતે ઊંઘી પણ નહોતો શક્યો. જે સ્ત્રી વાતોડિયણ લાગતી હતી તે વર્ષોથી કોઈ ન કહી શકાય તેવી વ્યથા જીવી રહી હતી? કરુણતા એ નથી કે માણસ દુઃખી છે. કરુણતા એ છે કે તેના દુઃખને વાંચનાર કોઈ નથી. ઘણી પીડાઓ એટલા માટે ભારે બની જાય છે, કેમકે તે વહેંચી શકાય તેવી નથી. માણસ દુઃખથી એટલો નથી થાકતો, જેટલો દુઃખની વહેંચણીના અભાવથી થાકે છે. તેને કોઈ એવું જોઈએ છે જે તેને સાંભળે, તેને સમજે.

રસપ્રદ વાત તો એ છે કે ઘણીવાર માણસ પોતે જ પોતાને વાંચતો નથી. આપણે અંદરની ખાલી જગ્યાઓને સતત વ્યસ્તતાના રંગથી ઢાંકતા રહીએ છીએ. જાણે જીવન એક બંધ પેટી હોય, જેને ખોલવાથી કોઈ મહાકાય રાક્ષસ નીકળવાનો હોય ને આપણને ખાઈ જવાનો હોય. ખરેખર તો આપણો રાક્ષસ આપણે જ પેદા કરેલો હોય છે. કદાચ એટલે જ આપણે જાતને નથી વાંચતા, કેમકે જગત કરતા જાતને વાંચવી મુશ્કેલ હોય છે.

કેટલાક લોકો પોતાની પીડાને એટલી સુંદર રીતે શણગારી દે છે કે દુનિયા તેને પીડા નહીં, પ્રતિભા સમજી લે છે. કોઈ કવિતા લખે છે, કોઈ ચિત્ર દોરે છે, કોઈ સંગીત રચે છે. લોકો સર્જનને વખાણે છે, પણ તેની પાછળના સંઘર્ષને કોઈ જોતું નથી. લોકો અજવાળાને પોંખે છે, પણ તેની માટે સતત બળી રહેલી શગ સામે કોણ જુએ છે?

લોગઆઉટઃ

શ્વાસને નહિ ગણ, બધું સરખું જ છે
એક, બે કે ત્રણ, બધું સરખું જ છે.
જો ન એની આંખને વાંચી શકે,
લાખ પુસ્તક ભણ, બધું સરખું જ છે.

– કિરણસિંહ ચૌહાણ

શું થાય છે એક સ્વપ્નને ટાળી દેવાથી?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

શું થાય છે એક સ્વપ્નને ટાળી દેવાથી?

શું એ કરમાઈ જાય છે
તડકે મૂકેલી દ્રાક્ષની પેઠે?
કે કોઈ ઘાવની જેમ પાકી જાય છે-
ને પછી વહેવા માંડે છે?
શું એ સડેલા માંસની જેમ ગંધાવા લાગે છે?
કે પછી ખાંડની પરત બનીને જામી જાય છે-
ગળી ચાસણીની જેમ?

કદાચ એ કોઈ વજનદાર બોજની માફક
બસ લચી પડે છે.

કે પછી વિસ્ફોટ સાથે ફૂટી જાય છે?

– લેન્ગ્સ્ટન હ્યુઝ (અનુ.: વિવેક મનહર ટેલર)

લેન્ગ્સ્ટન હ્યુઝનું સાહિત્ય આફ્રિકન-અમેરિકન પ્રજાના ઘવાયેલા દબાયેલા આત્માનો પડઘો પાડે છે. આ કવિતા વિશે અનુવાદક નોંધે છે, “‘હાર્લેમ’ શીર્ષકથી લખાયેલ આ કવિતા અમેરિકન-ડ્રીમનો પર્યાય બની ચૂકી છે. ન્યૂયૉર્કનું હાર્લેમ એટલે આપણા મુંબઈનું ધારાવી. સ્વપ્નની વાત આવે, પ્રગતિનીવાત આવે અને આ કવિતા ટાંકવામાં ન આવે એ શક્ય જ નથી.”

સ્વપ્ન એક એવી ચીજ છે જે દરેક માણસને અંદરથી જિવાડે છે. દરેકના મનના ખૂણામાં એક સપનું ફણગી રહ્યું હોય છે. કોઈને ગાયક બનવું હોય છે, કોઈને લેખક. કોઈ એક્ટર થવા માગે છે, તો કોઈને બિઝનેસનું મોટું સામ્રાજ્ય ઊભું કરવું હોય છે. કોઈને આખી દુનિયા ફરવી છે, તો કોઈને આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય છે. પણ જીવનની સૌથી વિચિત્ર ઘટના એ છે કે લોકો પોતાનાં સપનાં જાતે મારી નાખે છે. ઘણી વાર મારવાં પડે છે. ક્યારેક સંજોગ જવાબદાર હોય છે, ક્યારેક અપૂરતા પ્રયત્નો.

સ્વપ્નને ટાળવામાં સૌથી કોમન વાક્ય છે એક જ છે, "અત્યારે નહીં, પછી" અને આ ‘પછી’ ક્યારેય આવતું જ નથી. માણસ પોતાનાં સપનાંને ટાળે છે તેનું કારણ આળસ નથી, ભય છે. કઠોર પરિશ્રમનો નહીં, પણ પરિણામનો ભય મારી નાખે છે. તે વારંવાર વિચારે છે, મારાથી નહીં થાય તો? હું નિષ્ફળ જઈશ તો? લોકો હસશે તો? પરિણામે પોતાના જીવ જેવા વહાલા સ્વપ્નને તે કલ્પનાની બરણીમાં પૂરી દે છે. પછી કલ્પનામાં જ તે ફિલ્મનો હીરો બને છે, કલ્પનામાં જ એલન મસ્ક કે મુકેશ અંબાણી જેવો મોટો બિઝનેસમેન બનીને કરોડોનો બિઝનેસ કરે છે. પણ વાસ્તવિકતામાં તો ત્યાંનો ત્યાં જ હોય છે.

સપનાઓની સૌથી મોટી કરુણતા એ નથી કે તે પૂરાં નથી થતાં. મોટી કરુણતા તો એ છે કે તે આપણી અંદર જીવંત રહે છે. બહારથી બધું સામાન્ય દેખાય. નોકરી, પરિવાર, ઘર, સમાજમાં માન બધું જ હોય. છતાં મનના એક ખૂણામાં કોઈ અવાજ સતત બબડતો રહે છે કે, "એ વખતે થોડો વધારે પ્રયત્ન કરી નાખ્યો હોય તો! " નિષ્ફળતા માત્ર એક ઘટના છે; પણ અફસોસ તો જીવનભરનો સાથી છે. તરછોડાયલું સપનું જીવનભર વસવસાની વીણા વગાડ્યાં કરે છે. જે માત્ર આપણને જ સંભળાય છે.

જીવનના અંતિમ પડાવે પહોંચેલા લોકોના સંવાદોમાં એક વાત વારંવાર સાંભળવા મળે છે. તેમને તેમનાં કરેલાં કામોનો એટલો અફસોસ નથી હોતો જેટલો ન કરેલાં કામોનો હોય છે. કોઈ કહે છે કે કાશ સંગીત ન છોડ્યું હોત. કોઈ કહે છે કે કાશ સમયસર પ્રેમનો એકરાર કરી દીધો હોત. કોઈ કહે છે કે કાશ પોતાનો ધંધો ચાલુ કરી દીધો હોત. આ ‘કાશ’ મનમાં ત્રાસ આપતું રહે છે.

પ્રયત્ન પછી મળતી હારમાં એક આશ્વાસન તો હોય કે પ્રયાસ કર્યો’તો. હકીકતમાં માણસ સપનાઓને છોડતો નથી, બહાનાં નીચે દાટી દે છે. સમય નથી. પૈસા નથી. યોગ્ય તક નથી. પરિવારની જવાબદારી છે. પરિસ્થિતિ અનુકૂળ નથી. વગેરે. આમાંથી અમુક વાતો સાચી પણ હોય છે. પરંતુ દુનિયાના મોટાભાગનાં મહાન કામો અનુકૂળ પરિસ્થિતિમાં થયાં નથી.

સપનાઓનું પણ માણસો જેવું હોય છે. તમે તેને સતત અવગણતા રહો તો એ પણ તમને છોડીને જતું રહે છે.

લોગઆઉટઃ

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,

પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસ્તી, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવાણું રે સપનું.

વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવાણું રે સપનું.

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,
મારું ખોવાણું રે સપનું.

– ગની દહીંવાલા

હવે ચોમાસુ કેટલું છે છેટું?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

હજી ચોમાસુ કેટલું છે છેટું?
થાય છે કે મોઢેથી માસ્કને ફગાવીને વ્હાલા વરસાદ તને ભેટુ,

એવું તો ધોધમાર ખાબકે કશુંક્ ભલે છાંટે ને છાંટે છોલાઉં
તંગ થઈ ગયેલા આ તળિયાં તૂટે ને હુંય ભડભડભડ એમાં ભીંજાઉં
સાચું કહું? આ વખતે મોડું પડે તો એને મારી દઉં પાંચ-સાત ફેંટુ!
હજી ચોમાસુ કેટલું છે છેટું?

આ વર્ષે આંખ એવી કેટલી હશે? કે જેનું રહી જાશે ચોમાસું કોરું!
સૂની પડેલી કંઈક પાંપણની પછવાડે થાતું કે મેઘધનુષ દોરું!
અથવા તો એમ થાય વીજળીની પાસે હું ચિતરાવું વાદળીનું ટેટુ!
હજી ચોમાસુ કેટલું છે છેટું?

– કૃષ્ણ દવે

મે મહિનાનો અંત આવે એટલે ધરતી કોઈએ તપતા તવા પર મૂકી હોય એવી થઈ જાય. બપોરના રોડ જોતા લાગે ડામર નહીં, લાવારસ ઊકળે છે. પવન પણ પવન ન રહેતા; ગુસ્સે ભરાયેલા લુહાર જેમ ભઠ્ઠીની અંદરથી સળગતો શ્વાસ બહાર ફેંકતો લાગે. પાણી પણ જાણે ઠંડક નહીં, થાક આપતું લાગે. ગાયો છાંયો શોધતી ફરે, કૂતરાં જીભ કાઢીને હાંફતા રહે, ચકલીઓ ગાયબ થઈ જાય, અને વૃક્ષો સુધ્ધાં લાગે જાણે પૂછી રહ્યાં છે, “હવે ચોમાસું કેટલું છેટું છે?”

ઉનાળામાં સૌથી વરવો કદાચ તડકો નહીં, ચોમાસાની પ્રતીક્ષા હોય છે. પ્રતીક્ષા કાયમ કપરી જ હોય છે, એ પ્રેમની હોય કે ઘૃણાની, કોઈના આવવાની હોય કે વિદાયની. એમાંય જ્યારે વ્યક્તિના આવવાનો સમય નજીક આવતો જાય ત્યારે પ્રતીક્ષા દરિયાનાં મોજાંની જેમ મનમાં ઊછળવા લાગે છે. મે મહિનાની પૂર્ણતા અને જૂનની શરૂઆત, ચોમાસાની પ્રતીક્ષામાં વધારે ઉનાળાતી હોય છે, તેનો તોર તપીને તગતગી ઊઠતો હોય છે. એવા સમયે ઉનાળો વેઠતો દરેક જીવ મનોમન કદાચ એમ જ બોલતો હોય છે કે હવે ચોમાસાને કેટલી વાર?

કવિ કૃષ્ણ દવેએ ચોમાસાની પ્રતીક્ષાની ‘આહ’ અને ‘ઉકળાટ’ નિરૂપ્યાં છે. ઉનાળાના આકરા તાપથી તપ્ત થઈ ઊઠેલો સામાન્ય માણસ બહાર નીકળે તો મોઢા પર માસ્ક, માથે ટોપી, હાથમાં ગ્લવ્ઝ, પગમાં મોજાં, માથે છત્રી… ન જાણે શું શું કરે છે. ક્યારેક તો એમ પણ થાય કે સહેજ ઝરમર પણ થઈ જાય તો આ બધાં આવરણ ફગાવીને વરસાદને ભેટી પડીએ.

કવિ જણાવે છે કે આકરો ઉનાળો ઝીલીને શરીર એટલું નબળું પડી ગયું છે કે છાંટો સુધ્ધાં પડે તો છોલાઈ જાય, પણ ભલે છોલાતું, ચોમાસા, તું વરસ. ઉનાળામાં શેકાઈ ગયેલાં પગનાં ને મનનાં તળિયા ભલે તૂટે, ચોમાસામાં લીલુંછમ નહીં, ભલે ભડબડ બળતા અગ્નિ જેમ ભીંજાવું પડે, પણ હવે વરસ. ના વરસે તો, કવિ તેને પાંચસાત ‘ફેંટુ’ મારવા સુધી ગુસ્સે ભરાઈ જાય છે. આવું થવાનું કારણ કપરી પ્રતીક્ષા, બીજું શું?

આખો ઉનાળો નીચું જોઈને ચાલનારો માણસ, જેવું ચોમાસું નજીક આવે કે ઉપર જોવાની શરૂઆત કરી દે છે. ઘેરાતાં વાદળો તેના મનમાં આશા બંધાવે છે. ચોમાસાનું આગમન નજરોને ઉન્નત બનાવી દે છે. એક નાનું વાદળ સુધ્ધાં અનેક લોકોની નજરમાં ચમક લાવી દે છે.

કેટલી અજીબ વાત છે! ચોમાસું પૂરેપૂરું ખાબકી જાય, પછી તે આપણને ખૂંચે. પછી આપણને એમ થાય કે કપડાં ભીંજાયા, રસ્તામાં પાણી ભરાઈ ગયાં, કાદવ-કીચડ થયાં, ટ્રાફિક વધી ગયો, વગેરે... પરંતુ કાળઝાળ ઉનાળો સહન કરવાનો થાય ત્યારે એ જ ચોમાસા માટે ટળવળીએ. માણસ મૂળે ગરજુ પ્રાણી છે. તેને મતલબનું બધું ખપે છે. મતલબ પત્યા પછી તે ભગવાનને પણ પૂજવાનું બંધ કરી દે છે, તો બીજાની તો શું કરવાની!

સાચું કહીએ તો ઉનાળો માણસને વરસાદની કિંમત શીખવે છે. સતત સુખ મળે તો એની મજા ક્યાં રહે? જો આખું વર્ષ ચોમાસું જ રહે તો કદાચ માણસ વરસાદનું આટલું મહત્ત્વ ન સમજે. તરસ જ પાણીની મહત્તા સમજાવે છે. પ્રતીક્ષા જ મિલનની મીઠાશ વધારે છે. કદાચ એટલે જ કુદરત પહેલાં ધરતીને તાપમાં શેકે છે, પછી પાણી મોકલે છે.

જીવનમાં પણ કદાચ આવું જ હોય છે. ક્યારેક એવો સમય પણ આવે છે કે જ્યારે બધું જ સૂકાઈ જાય છે. વાત કરવાની ઇચ્છા ન રહે. હસવાનું મન ન થાય. દિવસો ધૂળ જેવા લાગે. પછી અચાનક કોઈ માણસ, કોઈ કવિતા, કોઈ મુલાકાત વરસાદ બનીને આવે. બધું ફરી ભીનું થઈ જાય. એટલે જ વરસાદને લોકો પ્રેમ સાથે જોડે છે. કારણ કે વરસાદ આવે ત્યારે દુનિયા થોડી વધુ જીવંત લાગે છે. આ જીવંતતાની ઝંખના માટે જ પશુ, પંખી, મનુષ્ય બધાનું મન બોલી ઊઠતું હશે, હવે ચોમાસાને કેટલી વાર?

લોગઆઉટઃ

સહેજ માટીની ગંધ, સહેજ ભીનો સંબંધ,
સહેજ વાદળિયાં ગીતો ગવરાવ,
આવ, ચોમાસા જલદીથી આવ

— અજ્ઞાત

નાના નાના સુખમાં રહેલી મોટી બાદશાહીયત

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

આ આંબલો આ પાળમાં લાગે છે બાદશાહ,
ને મોરલોય ડાળમાં લાગે છે બાદશાહ.

નાહી રહ્યું છે ધૂળથી કો' દિવ્યજળ ગણી,
શું બાંકપન છે બાળમાં લાગે છે બાદશાહ.

આવી મળે કો' ગોઠીયો બચપણનો પ્રેમથી,
પૂછે-પુકારે ગાળમાં લાગે છે બાદશાહ.

સાદી હવાની સરળતા છાંટોય ના મળે,
વંટોળિયો પણ ચાલમાં લાગે છે બાદશાહ.

હું એકલો રૈયત સમો લાગુ છું હું મને,
જેને મળું એ હાલમાં લાગે છે બાદશાહ.

– તગજીભાઈ બારોટ

માનવજીવનનો સૌથી મોટો ભ્રમ કદાચ એ છે કે સુખ માટે કંઈક અસાધારણ હોવું જોઈએ. મોટું ઘર, મોટી કાર, અઢળક પૈસા અને સેલિબ્રિટી જેવી અનન્ય પ્રસિદ્ધિ. પરંતુ જીવન ધીમે ધીમે શીખવે છે કે મોટું કહેવાતું બધું જ હંમેશાં મહાન નથી હોતું. ઘણી વાર તો સાવ નાની લાગતી વસ્તુ મનને એટલા અનહદ આનંદથી ભરી દે છે કે તેની સામે આખી દુનિયાની ચમક ફીકી લાગવા માંડે છે.

બાળપણમાં વરસાદ પછીની ભીની માટીની ગંધ યાદ છે? વરસાદી વહેણમાં કાગળની હોડી તરાવતાં આપણે રાજા થઈ જતા. ત્યારે કોઈ બેંક બેલેન્સ નહોતું, કોઈ હોદ્દો નહોતો, કોઈ સફળતાનો ભાર નહોતો; છતાં અંદર એક અજબ સમૃદ્ધિ હતી. આજના માણસ પાસે ઘણું બધું છે, પણ એ હોડી જેવો આનંદ નથી. કારણ કે હવે હવે આપણું ધ્યાન આકાશના રંગ કરતાં મોબાઈલની સ્ક્રીનની બ્રાઈટનેસ પર વધારે રહે છે. હવે મિત્રને મળવા કરતાં ઑનલાઈન દેખાવું વધુ સરળ લાગે છે. ધીમે ધીમે જીવનમાંથી તે સાદો જાદુ ગાયબ થતો જાય છે, જે ક્યારેક એક સામાન્ય સાંજને પણ ઉત્સવ બનાવી દેતો હતો.

તગજીભાઈ બારોટે નાનાં નાનાંં સુખમાં રહેલી મોટી બાદશાહીયતને આપણી સામે ઉજાગર કરી છે. ધોમધખતા તાપમાં ઊભેલું આંબાનું ઝાડ શહેનશાહથી જરા પણ કમ નથી હોતુંં. તેની પર લચી પડેલાં મધમીઠાં આમ્રફળો તેના સ્વર્ણભંડાર સમાન હોય છે. વરસાદનો પહેલો છાંટો ધરતી પર પડે અને મોર ટહુકાથી વાતાવરણને સુરીલું બનાવે દે, એ ઘટના રાજમહેલમાં વાગતાં અનેક વાદ્યો કરતાં વધારે રળિયામણી હોય છે. કવિ તો ત્યાં સુધી કહે છે કે કોઈ માસુમ બાળક ધૂળને દિવ્ય જળ ગણીને નાહી રહ્યું હોય, ત્યારે તેનું આ બાંકપન બાદશાહ જેવું લાગે છે.

કેટલી ગજબ વાત છે નહીં? બાળપણમાં ધૂળમાં રમવું ગમતું’તું, હવે ધૂળથી બચીએ છીએ. ત્યારે સસ્તી ચપ્પલ પહેરીને પણ રસ્તા પર રાજાની જેમ ચાલતા. હવે મોંઘાં જૂતાં હોવા છતાં પગમાં થાક છે. ત્યારે કોઈ જૂનો મિત્ર અચાનક મળી જાય તો સાવ નકામી, કારણ વગરની વાતો અને ગપ્પાંઓ મારીને આખો દિવસ કાઢતા, તોય લાગતું કે જલસો પડી ગયો. આજે કોઈ પણ મિત્રને મળવું હોય તો તરત સીધું કે આડકતરું પુછાઈ જાય કે શું કામ છે?

આવી નકલી ઘરેણાં પર ચડાવેલા ઢોળ જેવી શિષ્ટતા અને સભ્યતા ઓઢીને ફરતી ભીડની વચ્ચે અચાનક બાળપણનો ગોઠિયો મળી જાય, ને જૂના હુલામણા નામે ગાળ દઈને બોલાવે તો સુખદ આઘાત લાગે, એ આઘાત તરત આનંદમાં ફેરવાઈ જાય. આવી નાની ગોઠડીઓ, ટીખળો અને રમૂજો જ મોટાં સુખ ઊભાં કરતી હોય છે. બાકી એફિલ ટાવર ફરવા જાવ કે ટાઈમ સ્ક્વેર, ગામના વોંકળામાં જે મસ્તીથી ધુબાકા મારતા હતા, તેવી મજા તો દોહ્યલી છે. આવી દોહ્યલી મજાઓના ફોટા કવિએ ખૂબ સાવચેતીથી પાડ્યા છે.

સૌથી સુખી એ નથી, જેમની પાસે અઢળક ધન, સાધનસામગ્રી અને સગવડો છે. સૌથી સુખી એ છે જેઓ નાની નાની પળોમાંથી આનંદ લૂંંટવાની કળા જાણે છે. જેમને ચાના એક કપમાં આખી સાંજનો આરામ મળી જાય છે. જેમને છત પર બેસીને આવતી હવામાં પોતાના પ્રિયજનનો સ્પર્શ અનુભવાય છે. જેમને જૂનાં ગીતમાં પોતાનું યૌવન સંભળાય છે. જેમને કોઈ બાળકના હાસ્યમાં ઈશ્વર દેખાય છે. આવા લોકો દુનિયાને સ્ટેટસથી નથી માપતા; અનુભૂતિથી માપે છે.

લોગઆઉટઃ

પહેલાં છાંટે ભુલાઇ જાતાં ચડ્ડી-બંડી, પડતાં ભેરુ સાદ, યાદ સરવરિયું આવે એ રજવાડું; અહાહાહા!
અમે પાદરે ગામ ગજવીએ અને સીમમાં બાપુજીને યાદ તૂટેલું નળિયું આવે, એ રજવાડું; આહાહાહા!

રમતાં-રમતાં સાંજ પડે ને ઝાલર વાગે ઝાંખ વળે ને તોય મજાનો અંત ન આવે એવે ટાણે સામે ચાલી,
મને શોધવા છેક પાદરે માની પાછળ આખી શેરી, ઘર, તોરણ ને ફળિયું આવે એ રજવાડું; આહાહાહા!

— મધુસૂદન પટેલ

તડકો... ગજ્જબ માથાફરેલો!

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

તડકો... ઘડીકમાં અલબેલો!
તડકો... પળમાં ધોમધખેલો!

સ્હેજ ઊઘડતી આંખ, ઉગમણા આભે ત્યાં તો સોનુ થઇને હળુહળુ રેલાય;
શિરે ચડીને પડછાયાનું ઢીમ ઢાળતો તડકો જાણે ધગધગતી હો લાય;
તડકો દુર્વાસાનો ચેલો!

બારી, બારી બહાર ઓટલે, ચોક, અગાસીમાં વેરાયો મૂઠામૂઠ રે ભાઈ;
ઠંડક નામે રાજને માથે ચડાઈ લઈને તડકો કરતો લૂંટાલૂંટ રે ભાઈ;
તડકો... ગજ્જબ માથાફરેલો!

– હર્ષવી પટેલ

શંકર ભગવાનની ત્રીજી આંખ જેમ ઉનાળો ઊઘડ્યો છે. બપોરે સૂર્યદેવ તો એવા આકરા પાણીએ હોય છે, જાણે કોઈકે તેમને ચીડાવ્યા હોય. તે ભલભલાને પરસેવો છોડાવી દે તેવા રાતાચોળ થઈને આકાશમાં સળગી રહ્યા હોય છે. તેમની સામે ગમે તેવી મોટી તોપ આવે, સુરસૂરિયું થઈ જાય. ગમે તેવો દાદો હોય કે ડોન, શેઠ હોય કે સુરવીર, અરે મોટો રાજા કેમ નથી. બધાને ચુપચાપ ઘરમાં ઘૂસી જવું પડે. જોકે માણસ નામનું પ્રાણી ગજબની આઈટમ છે. તેને બધું કન્ટ્રોલ કરવા જોઈએ, સૂરજ હોય કે ચંંદ્ર, ધરતી હોય કે આકાશ, બધી જગા, બધાં સ્થાન તેને પોતાના તાબામાં જોઈએ. બધું પોતાના કહ્યામાં રાખવાની ટેવ મનુષ્ય નામના પ્રાણીના જિન્સમાં વણાઈ ગઈ છે. પણ સૂરજના પ્રખર તાપની સામે તો આ પ્રાણી બાપડું શુંં કરી શકે, એટલે એણે એસી બનાવ્યું અને પોતાની બખોલને ટાઢી કરીને એયને મજાથી ક્યાંક બગાસા ખાતું પડ્યું રહે છે. પંખીઓ તો ઊડવાની હિંમત પણ નહીં કરી શકતા હોય, માળામાં ચુપચાપ લપાઈને બેઠા હશે. ને પ્રાણીઓ, જ્યાં મળે છાંયડો ત્યાં પોતાનું ઘર બનાવીને આરામ ફરમાવતાં હશે. પણ મનુષ્ય નામના વિચિત્ર પ્રાણીએ સખ નહીં પડે, તેને આજીવિકા રળવાની ચિંતા હોય, કંઈક કરી બતાવવાના ધખારા હોય, બીજા કરતા પોતે કેટલો ચડિયાતો છે, તે સાબિત કરવાની ઝંખના હોય. એટલે તડકો હોય કે ટાઢ તે જંપીને બેસે નહીં. ધનવાનો તો મોટી ટાઢી કારમાં ફર્યા કરે, પણ બાપડા ગરીબો, જેમને બે ટંકનો રોટલો પણ સ્વપ્નવત હોય, તેઓ તાપમાં શેકાતા શેકાતા ય મજૂરી ઢસડ્યા કરે છે. તેમને કદાચ સૂરજના તાપ કરતા હોજરીની આગ વધારે દઝાડતી હશે.

કવયિત્રી શ્રી હર્ષવી પટેલે તડકા વિશે સુંંદર કાવ્ય લખ્યુંં છે. કવિઓને તડકો અલગ અલગ દેખાય છે. કોકને ધોમધકતા તાપમાં ખીલી ઊઠતો પીળો ગરમાળો રાજી કરે છે, તો કોઈને આકરા તાપમાં મજૂરના પગમાં પડેલા ફરફોલા પોતાના પગમાં પડ્યા હોય તેમ દઝાડે છે. હર્ષવી પટેલને ખબર છે કે તડકો અલબેલો પણ હોય છે અને ધોમધખેલો પણ. વહેલી પરોઢે પૂર્વમાંથી અજવાળું રેલતો સોનેરી સૂરજ તો એવું લાગે જાણે સુવર્ણમુદ્રા ચમકી રહી હોય, કવિ મનીષ પરમારે લખેલું,
પર્વતોના ઢાળથી તડકો પડે છે,
સોનું દડવાના અવાજો સાંભળું છું.

રળિયામણા ડુંગર પરથી પડતો તડકો ક્યારેક સોનું દદડી રહ્યાનો ભાસ પણ ઊભો કરી શકે. પણ ખરા ઉનાળે સૂર્ય મધ્યાહ્ને પહોંચ્યો હોય ત્યારે અલગ હોય છે. સવાર-સાંજ લાંબા થઈ જતા પડછાયાઓ પણ ચુપચાપ ટૂંકાટચ થઈ જાય છે. અને પડછાયા પોતે પણ કોઈકની છાયા ઝંખતા હોય તેમ આપણા દેહ નીચે સંતાવા પ્રયત્ન કરતા હોય છે. કવયિત્રીએ તો તડકાને દુર્વાસાનો ચેલો કહ્યો છે, દુર્વાષા એટલે એ ઋષિ જેમના ક્રોધથી ભલભલાને ધોળા દિવસે તારા દેખાઈ જતા. દેવો અને દાનવો બધા દુર્વાસાના ક્રોધથી ફફડી ઊઠતા. આવા ક્રોધિત ઋષિનો ચેલો હોય તેમ તડકો પણ લાલઘૂમ થઈ જાય છે બપોરે.

શેરીમાં થઈને બારીમાં કૂદી પડતો તડકો ચોક, ઓટલા, અગાસી બધે ફરી વળ્યો હોય છે. તેને નથી પરવા કે ગરીબનું ઘર છે કે પૈસાદારનુંં. તેને દયાભાવ કે પક્ષાપાત જેવું કશું નથી. તે તેની ફરજ બરોબર નિભાવશે જ. શિયાળા પછી આવતો ઉનાળો જાણે માથાફરેલો હોય અને ઠંડી ઉપર પોતાનું લશ્કર લઈને ચડાઈ કરી બેઠો હોય તેવો પણ લાગે.

લોગઆઉટઃ

તગતગતો આ તડકો,
ચારેકોર જુઓને કેવી ચગદાઈ ગઈ છે સડકો !

કહો, ચરણ ક્યાં ચાલે? એણે એક ન રાખ્યો રસ્તો,
ઘણું હલાવા હવા મથે પણ તસુ ય તે ના ખસતો,
અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શો તસતસતો
સાવ અડીખમ પડ્યો, કશે યે જરીક તો કોઈ અડકો !

જિદ્દીજનનું મન પણ જેની પાસે લાગે હળવું,
વૈદેહીના ધનુષ્યને પણ રામ કને તો ચળવું,
ગિરિ ગોવર્ધનને યે ટચલી આંગળી ઉપર ઢળવું,
પણ આને ઓગળી દેવા કોણ મેલશે ભડકો !

– નિરંજન ભગત

તું હતી તો ઘર ખરેખર ઘર હતું મા

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા!
એક મીઠું આંગણે સરવર હતું, મા!

ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,
એક માથે વાદળું ઝરમર હતું, મા!

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા!

યાતના વચ્ચે મલકતું ને હરખતું,
એ વદન હેતાળ ને મનહર હતું, મા!

ફાયદા-નુકશાનનો હિસાબ શાનો,
તારું બસ હોવાપણું સરભર હતું, મા!

– રતિલાલ સોલંકી

‘મા’ એ કોઈ વ્યક્તિ નથી, ન તો કોઈ સંબંધ છે. મા એક અનુભૂતિ છે. આજે વિશ્વ માતૃદિવસ છે, ત્યારે અનેક લોકો કવિતાઓ શેર કરશે, લેખો લખશે, પોસ્ટ બનાવશે, ને માતા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરશે. કવિ રતિલાલ સોલંકીએ ઉપરોક્ત ગઝલમાં માતાનો અભાવ વર્ણવ્યો છે. કવિતાની શરૂઆત જ એ રીતે કરે છે કે, તું હતી તો… અર્થાત્ અત્યારે મા નથી. પણ જ્યારે મા હતી ત્યારે ઘર કેવું હતું તેના વિશે વાત કરીને કવિએ માની ગેરહાજરીમાં ઊભા થયેલા અભાવનો ઊંડો પડઘો પાડ્યો છે.

કોઈ પણ મકાનમાં મા નામની દૈવી શક્તિ ન હોય ત્યાં સુધી તેનું ‘ઘર’ બનવું મુશ્કેલ છે. મા એક ઊર્જા છે. એ ઊર્જા ગાયબ થઈ ગયા પછી આપણને સમજાય છે કે ઘર તો પહેલેથી જ ખાલી હતું, અમે જ ભરેલું માનતા હતા. માની હાજરીમાં ઘર માત્ર ઈંટ-પથ્થરનું માળખું ન રહેતા, એક જીવંત ચીજ બની જાય છે. તેની ભીંતોમાં અવાજ હોય છે, દરેક ખૂણામાં એક અજાણી હૂંફ હોય છે. એ વખતે ફળિયું પણ મીઠા સરોવર જેવું લીલુંછમ લાગે છે. ઘણાં ઘરમાં આંગણું હોય છે, પરંતુ બધાં આંગણાં સરવર નથી બનતાં. કારણ કે સરવર બનવા માટે પાણી નહીં, પરંતુ પ્રેમ જોઈએ. એ પ્રેમ માની આંખોમાંથી, તેના શબ્દોમાંથી, તેના સ્પર્શમાંથી ટપકતો હોય છે.

માનો અભાવ ધરાવતી વ્યક્તિના મનમાં એક પ્રકારનું તોફાન જીવ્યા કરતું હોય છે. મુકેશ જોશીએ તો તેફાની દરિયાને ઉલ્લેખીને લખેલું, “કાળમીંઢ પથ્થર પર માથું પછાડતા કોઈએ ખમ્મા કહ્યું જ નહીં હોય, લાગે છે દરિયાને મા નહીં હોય.” મા હોય તો દરિયો આમ રઘવાયો થઈને કાંઠા પરના તિક્ષ્ણ પથ્થરો પર માથું થોડો પછાડે? માનો અભાવ જ તેને આવો ધૂંધવાટાભર્યો બનાવતો હશે.

દરેકના જીવનમાં ‘ધોમધખતો તાપ’ આવતો જ હોય છે, આ તાપ એટલે સૂર્યપ્રકાશ નહીં, પણ જીવનનો સંતાપ, સંઘર્ષ અને માઠા દિવસો. આવા કપરાકાળમાં માતાની હૂંફ હોય તો જીવનનું કુરુક્ષેત્ર આકરું હોય, તો પણ એક આશ્વાસન જાણે અજાણે ઢાલ બનીને સાથે રહેતું હોય છે, એ આશ્વાસન એટલે મા. બહારના તાપથી તો માત્ર પગના તળિયા બળશે, પણ અંતરનો સંતાપ રુંવેરુંવે બાળશે, આવી સ્થિતિમાં એક વાદળાની જેમ ઝરમરતી રહીને અંદરના અંગારાને ઠારવાનું કામ કોઈ કરતું હોય તો તે મા છે.

યાતના વચ્ચે પણ સંતાનો માટે સદાય મલકતું રહેતું મુખ જો કોઈનું હોય તો તે માતાનું હોય છે. પોતાની પીડા છુપાવીને, પોતાનાં દુઃખને અંદર રાખીને, તે હંમેશાં હસતી રહે છે. એ હાસ્ય, ઘણીવાર, એક ઢાંકપિછોડો હોય છે, પણ એ ઢાંકપિછોડો હકીકતમાં તો સંતાનો, પરિવાર માટે એક ઢાલ બરોબર હોય છે.

આપણે મોટા થઈએ ત્યારે સમજાય છે કે દુનિયા આખી હિસાબ પર ચાલે છે. નફો નુકસાનની નીતિ પર જગત આગળ વધે છે. દરેક સંબંધમાં એક ગણિત હોય છે, પરંતુ માનું ગણિત અનોખું હોય છે. તેના સરવાળા અને બાદબાકી, તેના ભાગાકાર અને ગુણાકાર, ગણિતના નિયમોથી પર હોય છે. એ છેદ પણ ઉડાડે તો સરવાળો થઈ જાય.

માની ગેરહાજરી એ માત્ર એક વ્યક્તિની ગેરહાજરી નથી હોતી, પરંતુ એક આખા વિશ્વની ગેરહાજરી હોય છે. એ એક એવી ખાલી જગ્યા છે, જે કોઈ પણ વસ્તુથી ભરી શકાતી નથી.

લોગઆઉટઃ

જેને ઝાલીને હું બચપનમાં બધે ફરતો હતો
મારી મમતાની એ નાની આંગળી મળતી નથી.
- અદી મિર્ઝા

શું મેં મારા ભાગનો દીવો પ્રગટાવ્યો છે ખરો?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કહાં તો તય થા ચરાગા હર એક ઘર કે લીએ,
કહાં ચરાગ મયસ્સર નહીં શહર કે લીએ.
– દુષ્યંત કુમાર

આજે ત્રીજી મે, આજે વર્ડ પ્રેસ ફ્રીડમ ડે છે ત્યારે દુષ્યંતકુમાર સહજપણે યાદ આવી જાય છે. કેટલાક કવિઓ શાહીમાં નહીં, આગમાં બોળીને લખતા હોય છે. તેમની પંક્તિઓ માત્ર વાંચવાની નથી હોતી, હૃદયમાં ઉતારવાની હોય છે. અને ન ઉતારો તો પણ તે પોતાની જગ્યા જાતે બનાવી લે છે. એ તમારી અંદર ઘૂસવાનો માર્ગ કરી જ લે છે, પછી તમને બેચેન બનાવે છે, ઉશ્કેરે છે, અને પછી શાંતપણે તમને જ તમારી સામે ઊભા રાખી દે છે.

આજનું ભારત, એક અનોખી કવિતા સમાન છે, પણ એ કવિતા બે છંદોમાં વહેંચાઈ ગઈ છે. એક છંદ છે ચમકનો, વિકાસનો, ઊંચી ઇમારતોનો, જે આકાશને આંબવાની દાવેદારી કરે છે. અને બીજો છંદ છે શાંત, અંધકારમય, જેમાં હજુ પણ કોઈ ખૂણામાં દીવો પ્રગટવાની રાહ જુએ છે. એક બાજુ આપણે ચંદ્ર પર પહોંચવાની વાત કરીએ છીએ, તો બીજી બાજુ કોઈ દીકરીને ચૂલેથી નીકળીને ચોક સુધી પહોંચવામાં પણ હજારો વિઘ્નો ખડકી રહ્યા છીએ. એક બાજુ ગોડાઉનોમાં અનાજના ભંડારો સડી રહ્યા છે, તો બાજુ કરોડો લોકો ભૂખ્યા પેટે ઊંઘવા ન આવવાથી કણસી રહ્યા છે. કોઈના કબાટોમાં લાખો રૂપિયાના બૂટ-સેન્ડલ ધૂળ ખાય છે તો ક્યાંક બળબળતા તાપમાં પગના તળિયે ફરફોલા થઈ ગયા છે. વિરોધાભાસ તો કોઈ પણ દેશ કે સમાજમાં હોય, પરંતુ જ્યારે એ વિરોધાભાસ સતત વધતો જ રહે, ત્યારે દુષ્યંતકુમાર જેવા કોઈ કવિનો આત્મા સળગી ઊઠે છે.

પ્રેસ એ જ એક એવો રસ્તો છે, જેના થકી સમાજમાં પ્રવર્તતી પીડા જગત સુધી પહોંચી શકે, સત્યનો ચહેરો છતો થઈ શકે. પણ જ્યારે એના પગમાં સાંકળ નંખાય ત્યારે જગતને માત્ર એ જ ચિત્ર દેખાય, જે સાંકળ પહેરાવનાર બતાવવા માગતો હોય. ક્યારેક લાગે છે કે સમાચાર હવે માત્ર સમાચાર નથી રહ્યા, એ પ્રદર્શન બની રહ્યા છે. સત્યની જગ્યા સનસનાટીએ લઈ લીધી છે. અને પ્રશ્ન પૂછવાની જગ્યાએ પ્રશ્ન લૂછવાની ટેવો વધવા લાગી છે. હવે સમાચારનું અંતિમ સત્ય એક માત્ર છે — ટીઆરપી.

એક સમય હતો, જ્યારે અખબારના પાનાં પર પડતી શાહી ક્રાંતિનો રંગ ધરાવતી હતી. એ શબ્દો માત્ર વંચાતા નહોતા, લોકોના મનમાં વાવાઝોડું ઊભું કરતા હતો, એક પ્રકારનો જુવાળ લાવી દેતા હતા. આજે એ જ શાહી જાહેરાતોના કલરફુલ જાહેરાતોની નીચે દટાઈને પોતાનો અસલ રંગ ગુમાવી રહી છે. જોકે આ વાત માત્ર મીડિયાની નથી, આ તો આખા સમાજનો અરીસો છે. જ્યારે જનતા પ્રશ્ન પૂછવાનું છોડી દે છે, ત્યારે સત્તા જવાબ આપવાનું પણ બંધ કરી દે છે. જ્યારે સત્ય સાંભળવાની ઈચ્છા મરી જાય, ત્યારે ખોટું બોલવું સરળ બની જાય છે.

દરેક અસત્યની અંદર એક હઠ છુપાયેલી હોય છે, સત્ય બનવાની હઠ. કહેવાય છે કે સત્ય હજી પોતાના પગરખાં પહેરે ત્યાં સુધી તો જૂઠ આખા ગામમાં ફરી વળ્યું હોય છે. પણ અમુક લોકો તેનાં પગલાંને પારખી લે છે. આજે પણ દેશના ખૂણેખાંચરે એવા લોકો છે, જે કોઈ હોબાળો કર્યા વગર, કોઈ મંચ વગર, પોતાના હિસ્સાનો દીવો પ્રગટાવે છે. કોઈ શિક્ષક છે જે તૂટેલી છત નીચે બાળકોને સપનાઓ શીખવે છે, કોઈ કવિ છે જે કલમ દ્વારા પોતાના સમયની વ્યથાકથાને સચ્ચાઈપૂર્વક ગૂંથે છે. કોઈ ફોટોગ્રાફર છે, જે ચુપચાપ એક ક્લિક દ્વારા હકીકતને કેમેરામાં કંડારીને જગત સામે લાવવા મથ્યા કરે છે.

આ લોકો જ એવા દીવા છે, જે હજુ બળે છે, જેમના લીધે આશા જીવંત રહે છે. કારણ કે દીવો સરકારો નથી પ્રગટાવતી, સમાજ પ્રગટાવે છે. અને જ્યારે સમાજ પોતાનો હિસ્સો નિભાવવાનું શરૂ કરે, ત્યારે ગમે તેવો ગાઢ અંધકાર હોય, ટકી નથી શકતો. આજે જરૂર માત્ર એ નથી કે આપણે ફરિયાદ કરીએ, “कहां चराग़ मयस्सर नहीं शहर के लिए,” પણ જરૂર એ છે કે આપણે થોડી વાર માટે અટકીએ, અને પોતાના અંતરાત્માને પૂછીએ કે શું મેં મારા ભાગનો દીવો પ્રગટાવ્યો છે ખરો?

લોગઆઉટઃ

हो गई है पीर पर्वत-सी पिघलनी चाहिए,
इस हिमालय से कोई गंगा निकलनी चाहिए।

आज यह दीवार, परदों की तरह हिलने लगी,
शर्त लेकिन थी कि ये बुनियाद हिलनी चाहिए।

हर सड़क पर, हर गली में, हर नगर, हर गाँव में,
हाथ लहराते हुए हर लाश चलनी चाहिए।

सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,
सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।

मेरे सीने में नहीं तो तेरे सीने में सही,
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए।

- दुष्यंत कुमार

થાકની બે કોથળી પીધા પછી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

રાત થીજીને સડક થઈ જાય છે,
બલ્બમાંથી ચાંદની રેલાય છે.

થાકની બે કોથળી પીધા પછી,
રોજ પડછાયા લથડીયા ખાય છે.

તારલા ફૂટપાથ પર આડા પડ્યા,
વાહનોના હોર્ન લોરી ગાય છે.

ગોદડીથી પણ નરમ આકાશ છે,
ખપ પડે ને ફટ કરી ઓઢાય છે.

શું અકસ્માતે ચમત્કારો કર્યાં!
કંઈક બેઘર સ્વર્ગવાસી થાય છે.

– કુણાલ શાહ

થોડા દિવસ પછી ગુજરાત સ્થાપના દિવસ અને મજૂર દિવસ બંને એકસાથે છે. ફુટપાથ પર સૂતા સાધારણ મજૂરો વિશે વિચારું છું ત્યારે કવિ કુણાલ શાહની આ ગઝલ સહજ સાંભરી આવે છે. વર્તમાન ગુજરાતી કવિતામાં આ કવિ મજૂરો, કામદારો, ગરીબોની વાત પોતાની રચનાઓમાં સહજપણે લઈ આવે છે. તેમની આ ગઝલનો પ્રત્યેક શેર તળિયાના માણસની પીડાનો પડઘો પાડે છે.

મજૂરો શહેરના હોય કે ગામડાના, ફૂટપાથ પર રહેતા હોય કે ઝૂંપડામાં, તેમનો એક જ ધર્મ હોય છે - મજૂરી. વિવેકાનંદે એક સૂત્ર આપેલું, “ઊઠો, જાગો અને ધ્યેપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.” રોજનું કમાઈને રોજ ખાનારા મજૂરોનો ધ્યેય આવો જ હોય છે, ઊઠો, ઊભા થાવ અને કામે વળગો. બે ટંકનું કમાઈ ન શકાય ત્યાં સુધી વળગેલા રહો. વરસાદ, ટાઢ કે તડકો, તમામ ઋતુ તેમને માટે એકસમાન છે.

કાળમીંઢી મજૂરીમાં કેવળ અંધારું હોય છે. એટલા માટે જ કદાચ રાત ક્યારેક એક અવસ્થા બની જાય છે. એવી અવસ્થા, જેમાં શહેરનું શરીર ધીમે ધીમે ઠંડું પડીને સડક બની જાય છે. દિવસના ઘોંઘાટ, ઘમાસાણો અને ગીચતા બધું જ થંભી જાય છે. પછી જે બચી રહે છે તે એક લાંબી, ઠંડી, અને ઉદાસ શાંતિ… એવી શાંતિ, જે દેખાવમાં નિર્જીવ છે, પરંતુ અંદરથી અસંખ્ય વાર્તાઓથી ભરેલી છે. સામાન્ય રીતે ચાંદની આકાશમાંથી વરસે છે, પરંતુ ગરીબો માટે તો સ્ટ્રીટ લાઈટના થાંભલામાં લગાડેલો બલ્બ જ ચંદ્ર બરોબર છે. એ બલ્બ તેમની રાતોને પ્રકાશિત કરે છે.

દિવસભર રઝળતો ફૂટપાથવાસી, મજૂર, કામદાર, કચરો વીણનાર માણસ, સાંજ પડ્યો થાકીને ઠુસ થઈ જાય છે, શરીર કળતરથી ખેંચાતું હોય છે. પણ આ કળતરને કાપવા માટે તેમની પાસે મોંઘી દવાઓ કે ફિઝિયોથેરેપિસ્ટ નથી હોતા, ન તો તેમના મનના વલોપાતને કાઢવા માટે સાઇકિયાટ્રીસ્ટ. આ ભાર ક્યારેક તે એકાદ કોથળી ગટગટાવીને ઉતારતા હોય છે. કવિએ થાકને ગટગટાવનાર માણસને જાણી જોઈને માણસ નહીં, પડછાયો કહ્યો છે. તે પણ મનુષ્ય છે, તેવું કોઈ ક્યાં સમજે જ છે, તે માત્ર પડછાયા છે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે પડછાયા ત્યારે જ હોય, જ્યારે છાયા હોય.

આખા દિવસના થાક પછી ફૂટપાથ પર પડેલા માણસોને પોતાના જ જણ્યાને પ્રેમ આપવાનો સમય નથી હોતો, આ કેટલી કરૂણતા. સારા ઘરના માણસો એક બાળક માટે મોંઘું ઘોડિયું વસાવે, તેના ખાવા-પીવા, ઊંઘવા-જાગવા, રમવા-રમાડવા માટે વસ્તુઓથી લઈને વ્યક્તિઓ સુધી, દાયણથી લઈને નોકર સુધી કેટકેટલી સુવિધાઓ કરે. પણ એ સુવિધા વિશે તો આ લોકોને સપનું પણ ન આવે. બાળકો બાપડાં પડ્યાં હોય ફૂટપાથની પથરાળ ભૂમિ પર નિશ્ચિંતપણે. તેમની માટે શું ગીતો, કે શું લોરીઓ. બાજુમાંથી નીકળતાં વાહનોના કર્કશ અવાજો અને હોર્ન એ જ તેમનાં હાલરડાં. ત્યાં અધરાતે મધરાતે ઓઢવા માટે નરમ ગોદડી કે સુંવાળો કામળો ક્યાંથી આવે, ત્યાં તો આભ એ જ ઓઢણ, ને ધરા એ જ પાથરણું.

રોડની બાજુમાં પડ્યા રહેતા આવા માણસોના જીવનની કિંમત પણ કોઈને ક્યાંથી હોય. અનેક વાર છાપામાં સમાચાર આવે છે કે ફલાણી જગ્યાએ રાતે વાહન નીચે ચાર મજૂરો ચગદાઈ ગયા. ઢીંકણી જગાએ આમ થયું. અને એ સમાચાર માત્ર સમાચાર બનીને રહી જાય છે. પરંતુ કવિ અહીં એક ભયાનક સત્ય તરફ ઇશારો કરે છે. કેટલીકવાર આ અકસ્માતો બેઘરો માટે ‘ચમત્કાર’ બની જાય છે. કારણ કે તે તેમને આ જીવનની પીડામાંથી મુક્તિ આપે છે. આ વિચાર આપણને અચાનક અંદરથી ઝંઝોડી નાખે છે.

લોગઆઉટઃ

રાતે મજબૂરી સૂવે ફૂટપાથ પર,
સ્વપ્નમાં આવીને ચાલ્યું જાય ઘર.

એના હિસ્સામાં જ છે લાંબી સફર,
જે બિચારા ચાલતા ચપ્પલ વગર.

જિંદગી રસ્તે રઝળતી હોય છે,
એક્સિડન્ટનો ક્યાં પછી લાગે છે ડર!

એ તને હોળી વિશે શું કહી શકે,
ભાગ્યમાં જેના ઊડે કાળો કલર.

દૂધ ભૂખ્યા બાળને આપી દીધું,
હાથ જોડીને કહ્યું, 'મહાદેવ હર'.

– જય દાવડા