જિંદગીમાં કંઈક તો બદલાવ હોવો જોઈએ

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

આમ તો જગમાં બધુ કેવું સરસ બદલાય છે
આ નદી બદલાય છે પણ ક્યાં તરસ બદલાય છે
જિંદગીમાં કંઈક તો બદલાવ હોવો જોઈએ
વાત એ સમજાવવા માટે વરસ બદલાય છે.
– કિરણસિંહ ચૌહાણ

નવું વર્ષ કોઈ દિવસ નગારાં વગાડીને આવતું નથી. તે તો ધીમે પગલે ચુપચાપ આવે છે. જેમ શિયાળાની સવારમાં ધુમ્મસ રસ્તા પર ઉતરે, કોઈ અવાજ વગર. જૂનું વર્ષ પણ એવી જ શાંતિથી વિદાય લે છે; ન કોઈ વિદાયસભા, ન કોઈ ભાષણ. બસ, થોડા પડછાયા છોડીને, થોડાં સ્મરણોની ગડી વાળીને.

વર્ષનું બદલાવું એ કેલેન્ડરની પાનખર નથી; એ તો મનની ઋતુ બદલાય તેવું છે. ક્યારેક મનમાં ફૂલ ખીલે છે, તો ક્યારેક એ જ ડાળ પર મૌન બેસી જાય છે. ગયા વર્ષે તમે ઘણું ગુમાવ્યું હશે. કોઈ ગમતી વ્યક્તિ, કોઈ સ્વપ્ન, કોઈ વિશ્વાસ, સંબંધ, કદાચ પોતાનો જ એક અંશ. અને કદાચ ઘણું મેળવ્યું પણ હશે… અનુભવ, સમજ, થાક, સહનશક્તિ. વર્ષ કદી ખાલી હાથે નથી જતું; પ્રશ્ન માત્ર એટલો જ છે કે આપણે તેની થેલીમાં શું જોઈ રહ્યા છીએ.

જૂનું વર્ષ ઘણીવાર કોઈ પુરાણા ઘર જેવું લાગે છે, જ્યાં જૂનું સ્મિત નિરંતર પડઘાતું હોય છે, પણ છત પરથી વસવસાઓની ધૂળ પણ ખરતી હોય છે. આપણે એ ઘરને છોડીએ ત્યારે દરવાજા પર ઊભા રહીને પાછું જોઈએ છીએ. એ વખતે મન કહે છે, “હજી થોડું રોકાઈ જાઉં,” અને કોઈ અંદરથી કહે છે, “હવે આગળ વધ.” આ બે અવાજ વચ્ચે જ મનુષ્ય ઊભો રહે છે… ન પૂરો ભૂતકાળમાં, ન પૂરો ભવિષ્યમાં.

નવું વર્ષ કોઈ ચમત્કાર લઈને નથી આવતું. એ કોઈ જાદુઈ દરવાજો નથી, જ્યાં પગ મૂકતાં જ દુઃખ ગાયબ થઈ જાય. તે તો એક ખાલી પાનું છે, જેમ વહેલી સવારે રસ્તો સાફ હોય, પણ પગલાં તો આપણાં જ પડવાનાં હોય. કેટલીક વાર આપણે એ પાનાં પર બહુ જ ઉતાવળે લખી નાખીએ છીએ; ક્યારેક તો ભૂતકાળની શાહી હજુ સુકાઈ પણ નથી હોતી, અને નવા શબ્દો ઉમેરવા માંડીએ છીએ. પછી પ્રશ્ન કરીએ છીએ કે શા માટે અક્ષરો ગૂંચવાઈ ગયા?

સમય આપણને કશું શીખવાડતો નથી, એવું લાગે છે; તે માત્ર આપણને સામે ઊભા રાખે છે… આપણા જ પ્રતિબિંબ સાથે. જે પોતાનું પ્રતિબિંબ જોવાની હિંમત રાખે છે, એ શીખી જાય છે. જે આંખો મીંચી લે છે, એ ફરી ફરી એ જ વળાંક પર અટવાઈ જાય છે. વર્ષ બદલાય છે, પણ માણસ ત્યાં જ ઊભો રહે છે, જો તે અંદરથી આગળ ન વધે.

નવા વર્ષની શરૂઆત ઘણીવાર સંકલ્પોથી થાય છે. જેમ કોઈ નદી પાસે ઊભા રહીને આપણે કહીએ, “આ વખતે હું વહેતા શીખીશ.” પણ નદી આપણને શીખવાડતી નથી કે કેવી રીતે વહેવું; તે તો બસ વહે છે. વહેવાની કળા આપણે પોતે શીખવી પડે છે… પથ્થરો સાથે અથડાઈને, કિનારા શોધતાં, ક્યારેક ડૂબીને. કદાચ આ જ જીવનનું સૂક્ષ્મ રહસ્ય છે: શીખડાવેલું જ્ઞાન નહીં, પણ અનુભવથી ઊપજેલી સમજ.

જૂનું વર્ષ આપણને એક દર્પણ આપી જાય છે. તેમાં આપણા ડર દેખાય છે અને આપણાં સપનાં પણ. કેટલાક ડર આપણે સાથે લઈ જઈએ છીએ, કારણ કે તે આપણને સાવધાન રાખે છે. કેટલાક સપનાં આપણે છોડીને આવીએ છીએ, કારણ કે તે હવે આપણા બરનાં નથી રહ્યાં હોતાં. જીવન કદાચ આ જ છે… છોડતા શીખવું અને રાખતા શીખવું, બંને વચ્ચે સંતુલન સાધવું.

નવું વર્ષ વચન નથી આપતું કે બધું સારું જ થશે. પણ તે એક તક આપે છે—શાંતિથી શ્વાસ લેવાની, પાછું જોયા વિના આગળ વધવાની, અને પોતાને ફરી એક વાર પૂછવાની કે, “હું જે છું, તે પૂરતું છે?” આ પ્રશ્નનો જવાબ કદાચ હા કે ના નથી; કદાચ એ એક લાંબી ચુપ્પી છે, જેમાંથી ધીમે ધીમે સમજ જન્મે છે.

અને અંતે, વર્ષ બદલાય ત્યારે ફટાકડા ફૂટે કે ઘડિયાળમાં બાર વાગે, બધું બહારનું છે. અંદર તો એક નાનો દીવો પ્રગટે છે, જે કહે છે: “હજી બધું પૂરું થયું નથી.” એ દીવો જ આપણને ચાલવા પ્રેરે છે, કારણ કે જીવન કોઈ દોડ નથી, કોઈ સ્પર્ધા નથી; તે તો એક યાત્રા છે. જ્યાં દરેક પગલું, ભલે ધીમું હોય, પોતે જ એક પ્રાર્થના બની જાય છે.

આથી, નવા વર્ષને આવકારો કોઈ શોરબકોર વગર, કોઈ તામજામ વિના. એને બેસવા દો તમારા મનના ઓટલા પર. અને જ્યારે તે પૂછે, “તમે શું ઈચ્છો છો?”ત્યારે કોઈ મોટું વચન ન માગશો. માત્ર એટલું કહો: “હું સાચેસાચું જીવવા માંગું છું.”

લોગઆઉટઃ

કંઈક યાદો લઈ અને વીત્યું વરસ,
જોત જોતામાં નવું આવ્યું વરસ,
હાસ્ય આપ્યું, તો ભીંજાઈ આંખ પણ,
ને ફરીથી સ્વપ્ન કંઈ લાવ્યું વરસ.’’
– નયન દેસાઈ

ઘાટઘાટનાં વાસણ ઘડિયાં

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ઘાટઘાટનાં વાસણ ઘડિયા, એની માથે કાંઠા ચડિયા,
એ વાસણમાં રંગો ભરવા,કોણ ઊભું છે લઇને ખડિયા?

રંગ તણો રંગારો કેવો? કેવી પીંછી, કેવા રંગો!
ઘાટેઘાટે ફેર છતાંયે એક સરીખાં રાખ્યાં અંગો,
કાન, ગાન ને વાન ઘડીને, સાન ભાનને સાથે જડિયાં,

જેવો જેનો ઘાટ ઘડાયો એ પરમાણે તે પરખાશે,
જેને લાગ્યો તેજ ટકોરો, એ સૌથી પ્હેલાં વ્હેચાશે,
અંતે પાછા મૂળ જગા એ ભળી ગયા તે કદી ના રડિયા.

– ભરત વાઘેલા

કવિ જયંત પાઠકે ઈશ્વરને ચિતારા તરીકે આલેખીને લખ્યું-
“અજબ મિલાવટ કરી, ચિતારે રંગપ્યાલીઓ ભરી!
એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતીપટથી પ્હાડ,
ઘટ્ટ નીલિમા નરી, ચિતારે રંગપ્યાલીઓ ભરી!

ઈશ્વરે જગતનું સર્જન કેવી રીતે કર્યું, કઈ રીતે જંગલ રચાયા, કેવી રીતે પહાડ? તેની કલ્પના જયંત પાઠકે પોતાની કવિતામાં સરસ રીતે કરી છે. જયંત પાઠક મૂળ તો પ્રકૃતિના કવિ, આદિવાસીનું તીણું તીર તેમનો શબ્દ સારી રીતે નાણી શકતો હતો. ઈશ્વરને કોઈએ ચિતારો કહ્યો, કોઈએ રંગારો, તો કોઈએ કુંભાર. પરંતુ દરેકમાં સર્જકસ્થાને પરમતત્ત્વને બેસાડ્યું છે. કોઈ પણ ધર્મ લો, જગતના સર્જન પાછળ દરેકે અગમ શક્તિને કારણભૂત ગણી છે. તેને તમે ભગવાન કહો કે ગોડ, અલ્લાહ કહો કે ઈસુ.અંતે બધું એક જ છે. આપણી સમજણ પ્રમાણે આપણે તેમને ઉલ્લેખ્યા.

નરસિંહ મહેતા કહે છે તેમ, ઘાટ ઘડિયા પછી નામરૂપ ઝૂઝવા. સોનું તો એક જ છે, તેનો આકાર ભીન્ન છે.

કવિ જગતને નિહાળે છે, અને પોતાની અનુભૂતિનું અત્તર રેડી, સમજણના સૂર છેડી, શબ્દની માળા ગૂંથે છે. કવિ ભરત વાઘેલાએ આપણા જીવનનાં સર્જન પાછળ કયું તત્ત્વ કામ કરે છે, કોણ આપણને ઘાટઘૂટ આપે છે, કોણ રંગરૂપ આપે છે, તે બાબતે સીધે નિર્દેશ નથી કરતા, પ્રશ્ન કરે છે. તેમની કવિતામાં જીવન, સર્જન, સમાનતા, ભીન્નતા, સર્જન અને વિલયના સંકેતો છે.

કુંભાર એક જ માટીમાંથી વાસણ બનાવે છે, પરંતુ દરેકના ઘાટ અલગ હોય છે. સંસાર એક ચાકડો છે, આપણે બધા ચાકડે ચડેલા છીએ. કુંભાર જ્યારે માટલું ઘડે, ત્યારેે એક હાથે બહારથી થપાટો મારે છે, પણ બીજા હાથ વડે અંદરથી ટેકો પણ આપે છે. જ્યારે જીવનમાં વિપરિત સ્થિતિ આવી જાય, સંજોગોની કપરી લાતો વાગવા માંડે ત્યારે સમજી જવું કે ઈશ્વર આપણને ઘાટ આપી રહ્યા છે. આપણને તેમના દ્વારા મારવામાં આવેલી લાત અનુભવાય છે, પણ તેમણે આપેલો ટેકો નહીં. એ ટેકાનું તેજ અનુભવતા થઈ જઈએ તો ભાગ્યની લપડાક એટલી વરવી નહીં લાગે.

દરેક મનુષ્યનો બાહ્ય દેખાવ અલગ હોય છે, આંખ, નાક, કાન, હાથ, પગ બધાના આકાર ભિન્ન છે, પણ અંતરાત્મા તો એક જ હોય છે. જેમ એક વૃક્ષનાં બીંજ સમાન હોય છે, પરંતુ તેમાંથી ઊગતાં વૃક્ષોનો ફેલાવો અલગ. થડ, ડાળી અને મૂળ સુધ્ધાંનો વિસ્તાર દરેકનો પોતાનો હોય છે, મનુષ્ય પણ આ બીજ જેવો હોય છે.

કવિને પ્રશ્ન થાય છે કે જીવનમાં રંગો પૂરનાર રંગારો કેવો હશે, તેની પીંછી કેવી હશે, કયા ખડિયામાં તેમણે આપણને ઘૂંટ્યા હશે, તેના રંગો શામાંથી બનાવવામાં આવ્યા હશે? એક રીતે જોવા જઈએ તો સફળતા-નિષ્ફળતા, સુખ-દુઃખ, માન-અપમાન આ બધાં જ જીવનના રંગો છે. આ બધા જ રંગો આપણે અસ્તિત્વના વાસણમાં ઘોળીએ છીએ. કોઈના જીવનમાં આનંદનો રંગ વધારે હોય છે, કોઈના જીવનમાં સંઘર્ષનો.

આપણે ત્યાં એવી પણ માન્યતા છે, જે માનવી જેટલું સહન કરી શકે, ઈશ્વર તેને તેટલું જ દુઃખ કે સુખ આપે છે. જ્યારે વધારે પડતી મુશ્કેલી આવે ત્યારે સમજી જવું કે ઈશ્વરે આપણને વિશેષ સહનશક્તિ આપી છે. જ્યારે અનહદ સુખ આવે ત્યારે પણ એમ સમજવું કે પ્રભુએ સુખને વહન કરવાની તાકાત આપી છે. કેમ કે માત્ર દુઃખ નહીં, સુખને સહન કરવાની હામ પણ હોવી જરૂરી છે.

બધા વાસણોનો અંતિમ મુકામ માટી છે. આપણા અસ્તિત્વનું વાસણ પણ એક દિવસ માટીમાં એ જ માટીમાં ભળી જવાનું છે, જેમાંથી તે સર્જાયું. અવિનાશ વ્યાસે કહ્યું છે તેમ, આપણે સહુ રાખનાં રમકડાં છીએ.

લોગઆઉટઃ

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
- અવિનાશ વ્યાસ

પગલું મૂકતાં ઘડીક હું તો બીધો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

પથ એવો તો જાય છે સીધો,
પગલું મૂકતાં ઘડીક હું તો બીધો.

આટલી ડોલતી ડાળ, એને પણ એક ના વાંક-વળાંક,
જેમ વહું તેમ હરખભર્યો ચડતો વ્હાલો થાક;
નેન ભરીને નીરખું નદી તેમ તે એને પીધો…

જલમાં તર્યો, આભમાં ઊડયો, લસર્યો રેશમી ઢાળ,
પગલું ધરું હું જ હવે કે પવન ભરતો ફાળ?
કોઈ અજાણ્યા જનને જાવું? સ્હેજ ઈશારો કીધો!

– પ્રિયકાન્ત મણિયાર

કવિ હર્ષ બ્રહ્મભટ્ટનો સુંદર શેર છે-
એ ગમે ત્યારે ગબડવાનો જ છે,
એના રસ્તામાં કોઈ ઠોકર નથી.

જેણે મુશ્કેલીઓનો માર નથી ખાધો, એ સરળતાને પચાવી નથી શકતો. સીધો સપાટ રસ્તો ક્યારેક ખરબચડા માર્ગ કરતા વધારે મોટી મુશ્કેલીઓ ઊભી કરતો હોય છે.

પ્રિયકાન્ત મણિયાર સસ્તાની સરળતા બતાવે છે, તો સાથે તેની ભયાનકતા તરફ પણ આંગળી ચીંધે છે. રતન ટાટાએ એક વખત કહેલું, સૌથી મોટું જોખમ એ છે કે કોઈ જોખમ ન લેવું. જે રસ્તામાં અડચણ ન હોય બધું સરસ-સરસ હોય એ રસ્તો તમને ક્યાંય લઈ જતો નથી. લાંબો પ્રવાસ કરવો હોય અને તો જોખમોની તૈયારી રાખવી જ પડે.

જે માર્ગમાં અડચરણ નથી, તે માર્ગ વધારે અડચણરૂપ હોય છે. કશી મુશ્કેલી વિના મોટી ઉપલબ્ધિ મળી જાય તો એ મોટી મુશ્કેલીને મોકલવામાં આવેલું નિમંત્રણ છે. જે હીરો ઘસાતો નથી તે ચમક નથી પામતો. બાગમાં માળીની માવજતથી મોટા થયેલાં વૃક્ષો અને જંગલમાં પોતાની મેળે પાંગરેલા વૃક્ષોમાં જમીન આસમાનનો ફર્ક હોય છે.

કવિ પ્રિયકાન્ત મણિયાર જણાવે છે કે રસ્તો એટલો સીધો હતો કે પગલું મૂકતાની સાથે મને ડર લાગ્યો કે આમાં કોઈ સમસ્યા તો નહીં હોયને. કેમ કે જીવનના માર્ગ એટલા સરળ નથી હોતા, જેટલા આપણે સમજીએ. ડગલે ને પગલે આફતોના અણીદાર કાંટા ખીલાની જેમ ખોડાયેલા હોય છે. તેની પર ચાલીને પગને લોહીલુહાણ કરવા પડે છે. ઠેરઠેર ખુવારીના ખાડા હોય છે, તેમાં પછડાવું પડે છે. વિવિધ વળાંકો, અવરોધો અને સમસ્યાઓથી ટેવાયેલા હોય તેમને અચાનક સીધો રસ્તો મળે તો ભય લાગે જ.

કમલ હસન અભિનિત ‘પુષ્પક’ ફિલ્મમાં, તે એક એવી વસ્તીમાં રહેતો હતો, જ્યાં અનેક પ્રકારનો ઘોંઘાટ હોય. પછી તે એક એવા સ્થાને રહેવા જાય છે, જ્યાં શાંતિ છે, આરામ છે. પરંતુ તેને ઊંઘ જ નથી આવતી. કેમ કે તેના કાન કર્કશ અવાજોથી ટેવાયેલા હોય છે. આખરે તે એ વસ્તીમાં જઈને એ દેકારો એક ટેપમાં રેકોર્ડ કરે છે, રાતે ઊંઘતી વખતે તેને સાંભળે છે, જેથી ઊંઘ આવે. સમસ્યાથી ટેવાયેલા માણસને અચાનક મુશ્કેલી વગરનો રસ્તો મળે તો તેના પગ અચાનક ડગમગવા લાગે છે. સુખ તેને સદતું નથી, તેને ઊલટાની ચિંતા થવા લાગે છે કે અરે, મારા ભાગ્યમાં આવું ક્યાંથી, આમ સહેલાથી મને આટલું બધું મળી જાય એ વાતમાં કોઈ માલ જ નથી. નક્કી ક્યાંક ગરબડ ગોટાળો છે.

કવિએ ડોલતી ડાળનું રૂપક બહુ સમજીને પ્રયોજ્યું છે. ડાળમાં કોઈ વાંકવળાંક નથી, છતાં તે ડોલે છે, તેમ જીવનમાં ક્યારેક કશી ખોટ હોતી નથી, છતાં અંદરથી અસ્થિરતા લાગે છે. માણસનો મૂળ સ્વભાવ ચિંતા અને દ્વિદ્ધાનો છે. એટલા માટે જ લોકો ચિંતન, નિર્વિચારની સ્થિતિને પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરતા રહેતા હશે. જિંદગી તો અનેક દ્વંદ્વથી ભરી છે, જીવતા રહેવાનો અર્થ છે — યુદ્ધ. જાત સાથે અને જગત સાથે.

લોગઆઉટઃ

હર વખત જીતી જવાની આ શરત મુશ્કેલ છે,
શ્વાસ સાથે હાથતાળીની રમત મુશ્કેલ છે.
માહ્યલા ! તું છોડી દે એવી મમત મુશ્કેલ છે,
રાખવો રાજી તને આખો વખત મુશ્કેલ છે.
– હરીશ ઠક્કર

જેણે કર્યા છે ઘાવ, એ કંઈ પારકા નથી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કોની કરૂં હું રાવ, એ કંઈ પારકા નથી;
જેણે કર્યા છે ઘાવ, એ કંઈ પારકા નથી.

દરિયો તો ખેર કોઈનો થાતો નથી મગર,
જેણે ડુબાવી નાવ, એ કંઈ પારકા નથી.

હારી ગયાનું એટલે તો દુઃખ નથી મને,
જીતી ગયા જે દાવ, એ કંઈ પારકા નથી.

મારી કતલનો દોષ, અને એમના ઉપર?
કરવા દે દિલ! બચાવ, એ કંઈ પારકા નથી.

એ શકય છે કે થોડાં ઘણાં પારકાં હશે,
બેફામ કિન્તુ સાવ એ કઈ પારકાં નથી.

– બરકત વિરાણી ‘બેફામ’

બરકત વિરાણી ‘બેફામ’ની ગઝલોએ ગુજરાતી સાહિત્યની બરકત વધારી છે. તેમની ગઝલમાં મૃૃત્યુનું સત્ય અનેક વાર પડઘાય છે. પરંતુ જીવનની કડવી વાસ્તવિકતાને ઉલ્લેખવાનું પણ તે ચૂક્યા નથી. તેમની ઉપરોક્ત ગઝલમાં આપણને જીવનનું તીખું, સચોટ અને દુઃખદ સત્ય વરતાય છે. જીણવટપૂર્વક નિરીક્ષણ કરશો તો સમજાશે કે ઊંડા ઘા પારકા માણસો નથી આપતા. જેને આપણે પોતાના માન્યા હોય, જેની ખાતર કોઈ પણ હદ સુધી જવાની આપણી તૈયારી હોય, જેની માટે મોત પણ વહાલું કરવાની આપણી તૈયારી હોય, તેવી વ્યક્તિ તરફથી મળથો આઘાત મૃત્યુથી પણ બદતર હોય છે. બેફામસાહેબ આ સત્યને બહુ સારી રીતે જાણે છે.

આપણી દુઃખતી નસ નજીકના માણસો જ જાણતા હોય છે. તેથી જ્યારે પણ મુશ્કેલી આવે, એ નસ દબાવાનું કામ સૌથી પહેલા અંગત સ્વજનો જ કરતા હોય છે. એવે વખતે ફરિયાદ પણ કોને કરવાની? વાડામાં વાવેલા ચીભડાંના રક્ષણ માટે ચારે તરફ વાડ બનાવવામાં આવે છે, જેથી કોઈ વ્યક્તિ, કે પ્રાણી આવીને નુકસાન કે ચોરી ન કરે. પણ જેને રક્ષણ કરવા માટે રાખ્યા હોય એ જ ભક્ષણ કરવા માંડે — વાડ પોતે ચીભડાં ગળે તો કોને કહેવું. ઘણાં સ્વજનો આ વાડ જેવાં હોય છે, બહારથી લાગે કે રક્ષણ કરી રહ્યા છે, પણ અંદરથી ચીભડાં ગળતી વાડ જેવાં હોય છે. આવી દુઃખદ પરિસ્થિતિની રાવ પણ કોઈને નથી કરાતી, કેમ કે આપણને ખબર હોય છે, ચીભડાં કોણ ગળી ગયું છે.

દરિયાઈ મુસાફરીમાં અનેક તોફાનો, ઝંઝાવાતોનો સામનો કરવો પડે છે. કાબેલ વ્યક્તિઓ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મહાસાગર પાર કરી લે છે, પણ જે વહાણમાં આપણે બેઠા હોઈએ, તે વહાણમાં આપણો જ સાથીદાર આપણને ડુબાડવાનો હોય, તો પછી બચવાનો કોઈ રસ્તો નથી રહેતો. દરિયાના તોફાનમાંથી તો તોય બચી શકાય — સ્વજન દ્વારા કરવામાં આવતા છળ બાદ ગમે તેટલું તોતિંગ અને શક્તિશાળી વહાણ હોય, ડૂબ્યા સિવાય છૂટકો નથી.

પરાજય દુઃખ નથી આપતો, પરાજયનું કારણ દુઃખ આપે છે. જે બાજુમાં બેઠા હોય એમનો હાથ સૌથી પહેલાં આપણા સુધી પહોંચતો હોય છે. આપણને પાડવામાં તેમની ભૂમિકા જ સૌથી વધારે હોય છે. દૂરના માણસો તો જોશે, ઈર્ષા કરશે, કદાચ ગુસ્સો પણ કરશે, પણ આપણને પાડવામાં તો નજીકનાઓ જ હશે.

હૃદય એ જ તોડી શકે, જે હૃદયમાં રહેતા હોય. પીડા એ જ આપે જે પોતાના હોય. આઘાત એ જ આપે જે અંગત હોય. વ્યથા એ જ દે, જે વહાલા હોય. બહારનાની તો એટલી હેસિયત હોય જ નહીં કે એ આપણને દુઃખી કરી શકે. બહુ બહુ તો એ આપણને હેરાન કરી શકે, એ હેરાનગતિ તો પારકા માણસથી દૂર જતા રહીએ તો આપોઆપ ટળી જાય, પણ પોતાના માણસોએ આપેલાં દુઃખ, તેમનાથી ગમે તેટલા દૂર થઈએ, પીછો છોડતાં જ નથી.

કવિ બરકત વિરાણીએ એ વાત વાતને બહુ સચોટ રીતે વ્યક્ત કરી છે. રાજેશ વ્યાસ મિસ્કીને પણ આ વાત બહુ ગંભીરતાથી કરી છે.

લોગઆઉટઃ

સાવ જુઠું જગત કોઈ તારું નથી,
મૂક સઘળી મમત કોઈ તારું નથી.

કોણ કોનું? અને એય પણ ક્યાં લગી?
છે બધું મનઘડત કોઈ તારું નથી.

જે પળે જાણશે સોંસરો સળગશે,
આ બધી છે રમત કોઈ તારું નથી.

કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી,
છેક સુધી સતત, કોઈ તારું નથી.

કઈ રીતે હું મનાવું તને બોલ મન,
બોલ, લાગી શરત કોઈ તારું નથી.

કોઈ એકાદ જણ, એય બેચાર પળ,
કે અહીં હરવખત કોઈ તારું નથી.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

વ્હાલમ, આવોને પળવાર!

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

તમે અમારા તિમિર ઘૂંટેલાં નયણાંનો ઝબકાર,
વ્હાલમ, આવોને પળવાર!
તમે અમારા તરસ મઢેલા કંઠ તણો ચિત્કાર,
વ્હાલમ, આવોને પળવાર!

તમે કહો તો પળભર જીવતા ઝાકળ થઈને ગાશું,
તમે કહો તો પગલે પગલે ધૂળ બની પથરાશું;
આવો નહિ તો આપો અમને આવ્યાનો અણસાર,
વ્હાલમ, આવોને પળવાર!

સાંકળ ભેગી છાતી ખખડે, પ્રગટી ઉઠે પ્રાણ,
પછી અજંપો બાથ ભીડીને રોજ થતો મહેમાન;
આંખ્યું અંતે પથ્થર થાશે, અમે થશું પગથાર…
વ્હાલમ, આવોને પળવાર!

– પ્રહલાદ જાની ‘તન્હા’

પ્રતીક્ષા — રાહ જોવી એ પ્રેમમાં મળતી સજા નથી, પણ પ્રેમનો એક રંગ છે. જેના વડે હૃૃદયના કેનવાસ પર રંગોળી કરવાની હોય છે. પ્રતીક્ષા અંતરના ઊંબરે દીવો મૂકવાની ઘટના છે, એ દીવાના અજવાળે રાહ જોનાર તો રોશન થાય જ છે, પણ જેની પ્રતીક્ષા છે, એના અંતરમાં પણ ઉજાસ થતો હોય છે. પ્રતીક્ષાના સરોવરની સપાટી પર આવકાર રૂપી તરાપા તર્યા કરે છે, પણ તેના તળિયે અનહદ વ્યથાનો લાવા ધરબાયેલો છે. લોકોને તરાપા દેખાય છે, જળની ચળકતી સપાટી દેખાય છે, પરંતુ અંદર ધરબાયેલો લાવા નહીં,

પ્રતીક્ષા પ્રણયની પરીક્ષા છે, અને પ્રતિજ્ઞા પણ. તેમાં આશા છે, નિરાશા પણ. ક્યારેક પ્રતીક્ષા પ્રેમરૂપી મુગટમાં મોરપિચ્છ જેમ શોભે છે, તો વળી ક્યારેક એ જ પ્રતીક્ષા હદયમાં ખીલા જેમ ભોંકાય પણ છે. કવિ પ્રહલાદ જાની ‘તનહા’એ વહાલમના પળભર અણસારને પામવા પગથાર થઈ જવા સુધીની તૈયારી બતાવી છે.

ઘણી વાર પ્રેમનું ઊંડાણ મિલન કરતા વિશેષ મિલનની ઇંતેઝારીમાં હોય છે. મંજિલ કરતા સફરમું મહત્ત્વ વધી જતું હોય છે. મિલન ઝંખના પ્રેમી મળતા પહેલા હજારો વાર વિચારે છે કે, આમ વાત કરીશું, તેમ કહીશું, પણ ખરેખર મળવાનું થાય તો એક શબ્દ સુધ્ધાં યાદ આવતો નથી. મરીઝે લખ્યું છે,
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

પ્રહલાદ જાનીની કવિતામાં વર્ણવાયેલ કાવ્યનાયિકા અથવા નાયક મિલન ઝંખે છે. રાહ જોઈ જોઈને તેની આંખે અંધારના ઓળા ઊતરવા લાગ્યા છે. તેની આંખોએ અંધકાર બરોબર ઘૂંટ્યો છે. તેમાં પ્રિય પાત્રનું આગમન અંધારી રાતે અચાનક થતા ઝબકાર જેવું છે. અને આ ઝબકાર પામવા માટે તે ઝાકળ થવા પણ તૈયાર છે, એવું ઝાકળ જેનું જીવન માત્ર સૂર્યના ઊગવા સુધી જ હોય છે, જેવો પૂર્વમાંથી સૂર્ય ઊગે, કિરણો ધરતી પર પડે કે તરત ઝાકળનું અસ્તિત્વ મટી જાય છે. કવિને ખબર છે, આ ઝાકળનું આયુષ્ય લાંબું નથી, પરંતુ જો પ્રિયતમની કિરણ ઝલક સાંપડતી હોય તો અમને ઝાકળ થવું પણ મંજૂર છે. એ જે રસ્તેથી આવવાના હોય તે રસ્તાની ધૂળ બનીને હું મારી જાત પાથરવા આતુર છું. તે છતાં પણ ન આવી શકે તેમ હોય તો વાંધો નહીં, માત્ર આવવાનો અણસારો આપી દો. આ અણસારો પણ અમારા માટે જીવાદોરી સમાન છે.

આપણે ત્યાં એક સુંદર શબ્દ છે — ભવસાગર. ભવ અર્થાત આખું જીવન અને સાગર અર્થાત દરિયો, સમુદ્ર. જીવનરૂપી આ વિશાળ સમુદ્રમાં કોઈની પ્રતીક્ષા દીવાદાંડી સમાન હોય છે. દરિયાની જેમ જીવનમાં પણ અનેક તોફાનો આવે છે, વાવાઝોડા ફુંકાય છે. એકાએક વીજળી ત્રાટકી પડે છે, ઝંઝાવાતો બધું હતું ન હતું કરી નાખે છે. આવા સમયે અંધકાર અને વ્યથાના વમળોમાં ઘેરાઈ જઈએ છીએ, કશું જ દેખાતું નથી, સૂજતું નથી. ત્યારે પેલી દીવાદાંડી દૂરથી પ્રકાશ ફેંકે છે. કવિએ કદાચ એટલા માટે જ કહ્યું હશે - આવો નહિ તો આપો અમને આવ્યાનો અણસાર.

ઘરની સાંકળ પણ ખખડે તો છાતીમાં સણકો ઊપડે છે કે એ આવ્યાં હશે? પરંતુ દ્વાર ઊઘાડીને જોઈએ તો કશું હોતું નથી, સિવાય કે હવા. કૈૈફ ભોપાલીનો એક અદ્ભુત શેર છે-
કૌન આયેગા યહાં, કોઈ ન આયા હોગા,
મેરા દરવાજા હવાઓને હિલાયા હોગા.

પ્રતીક્ષાના શિખર પર પહોંચ્યા પછી ક્યારેક એવું પણ લાગવા માંડે છે કે હવે કોઈ આવનાર નથી, રાહ જોઈને આંખો સૂકી પથ્થર જેવી થઈ જાય છે. કદાચ આ સમય, એ જ ખરી કસોટીનો સમય હોય છે.

લોગઆઉટઃ

આવકારો આ ઝરણ પામી ગયાં,
પ્હાડમાંથી સાંભળી જાગી ગયાં.
આવનારા કોઈ નવતર માફ કર,
આવનારા જે હતા આવી ગયા.
– રાવજી પટેલ

ગમે તે જીતશે, હારશે જનતા

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

લોકશાહીમાં ભલે જીતે ગમે તે પક્ષ પણ,
એટલું નક્કી કે જનતા હારવાની હોય છે.
- કિશોર બારોટ

આપણા દેશના નેતાઓ ખૂબ સેવાભાવી છે. પોતાના પક્ષમાં ટિકિટ ન મળે તો બીજા પક્ષમાંથી ચૂંટણી લડશે, પણ ધરાર સેવા કરીને જ રહેશે. આવા સેવાભાવી લોકો ચૂંટણીના પડઘમ વાગતાની સાથે પોતાની ચિલ્ડ એસી ઑફિસમાંથી નીકળીને સેવકોના કાફલા સાથે અંતરિયાળ વિસ્તારોમાં નીકળી પડે છે — પ્રજાનો વિકાસ કરવા માટે. કેમેરા, રિપોર્ટરો અને ખાસ માણસો સાથે. ક્યાં ક્યાં શું શું કમી છે, તેને કેમ નિવારી શકાય અને પ્રજાનું કઈ રીતે ભલું કરી શકાય તે વાત તેમને ચૂંટણી આવવાના થોડા સમય પહેલા સાધુને આત્મજ્ઞાન લાધે, તેમ લાધે છે. પછી રાતોરાત વાયદાના પરબીડિયાંઓ છપાય છે. પબ્લિકમાં લાભોની લહાણી થાય છે. નવી નવી યોજનાની લોલીપોપો વહેંચાય છે. અને લોકો હોંશેહોંશે ચૂસે છે પણ ખરા. પણ જેવી જીત થાય — બધું સાડા ચાર વર્ષ માટે ક્યાંક ભોંયમાં ભંડારાઈ જાય છે, જેમ બર્ફીલા પ્રદેશમાં વસતા નાનાં પ્રાણીઓ બરફ પડવાની શરૂઆત થાય એટલે હુંફાળી જગ્યાએ છુપાઈ જાય તેમ. પછી ઠંડી ઋતુ જાય, બરફ ઓગળે એટલે આપોઆપ બહાર નીકળે. બસ આ જ ચક્ર વર્ષોથી ચાલ્યા કરે છે.


શેખાદમ આબુવાલાએ લખ્યું છે-
રાજનીતિને કરી કેટલી ખૂબીથી શહીદ,
રાજ રાખીને તમે નીતિની ગરદન કાપી.

નીતિનું ગળું કાપીને રાજ કરાનારા શાસકો પાસે આપણે વિકાસ અને ન્યાયની આશા રાખીએ છીએ. ખરી દાદ તો આટઆટલા નિષ્ફળ ગયા પછી પણ નેતાઓ પાસે આશા રાખીનારી પબ્લિકને આપવી જોઈએ. નેતાઓ તો જીતીને પોતાનો વિકાસ કરી લે છે, પણ પ્રજા બાપડી એ જ ધૂળિયા રસ્તા, ગટરો, કચરાના ઢગલા, અને ગંદકીમાં સબડ્યા કરે છે. તેમની માંગણી અને લાગણી ધૂળ ને ધાણી થઈ જાય છે. તેમણે કરેલી રજૂઆતો અને અરજીઓને કોકે સ્ટેચ્યુ કહ્યું હોય તેમ, જ્યાં હોય ત્યાં જ ચોંટી જાય છે. નથી હાલતી, ચાલતી, આગળ વધતી. અરે એ અરજીઓ તો કોઈને દેખાતી પણ નથી. લોકો નોકરી માટે, સુવિધા માટે, ઝઝૂમ્યા કરે છે. તેમને ખબર છે કે કશો ખાસ ફેર પડવાનો નથી, છતાં આશા રાખે છે કે કશુંક બદલાશે. મત આપીને રાજી થાય છે.

કિશોર બારોટે સહજ રીતે, પણ કડવા સત્ય જેવી વાત કરી છે. પક્ષ કોઈ પણ જીતે, નેતા ગમે તે જીતે, પણ હાર તો બિચારી પબ્લિકની જ થાય છે. જે સત્તામાં નથી તે નીતિ, પ્રામાણિકતા, સેવાભાવ, કાયદા અને વાયદાની વાતો કરશે. એમને સાંભળીને આપણને પણ થાય કે આ માણસ જો ચૂંટાઈ જાય તો ધરતીને સ્વર્ગ બનાવવાથી કોઈ રોકી શકવાનું નથી. અને નવાઈની વાત તો એ કે એ માણસ ચૂંટાઈ પણ જાય, પણ પેલું સ્વર્ગ ક્યાંય દેખાય નહીં જ નહીં ને. એ તો હતું ત્યાં ને ત્યાં જ — ધારણામાં જ રહે છે.

દરેક મંદિરમાં દીવો ધરવો પડે છે, બાધા-આખડીઓ કરવી પડે છે, તપ, પૂજા, આરાધના કરવા પડે છે, ત્યારે પ્રભુની કૃપા સાંપડે છે. આપણી સરકારી કચેરીઓ આવાં જ મંદિરો છે. જ્યાં સુધી લાંચરુશ્વતનો દીવો ન પ્રગટે ત્યાં સુધી કચેરીમાં બેઠેલા દેવતાઓની આંખો ખૂલતી નથી. જ્યાં સુધી પગાર સિવાયની એક્સ્ટ્રા કમાણીના રૂપિયાનો ખણખણતો અવાજ તેમના કાનમાં ન પડે, તેમની અંદર પ્રસન્નતાનો પારો ચડતો જ નથી. તમે ગમે તેટલા સાચા હોવ, ગમે તેટલા લીગલી પેપર્સ હોય, બધું જ કાયદા મુજબ હોય છતાં, તમારે રૂપિયાનો રૂડો દીવો તો ધરવો પડશે, તો જ શાસકદેવ પ્રસન્ન થશે, અને તેમને આશીર્વાદ મળે.

રાવજી પટેલની પ્રસિદ્ધ કવિતા મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, કાવ્યમાં એક પંક્તિ આવે છે, “મારી વેલ શંગારો વીરા, શગને સંકોરો, રે અજવાળા પહેરી ઊભા શ્વાસ…” સરકારી કામની વેલ શણગારવી હોય તો શગ નહીં, વગ વાપરવી પડે છે. તો જ કાગળિયામાં અજવાળા થાય છે. બાકી તમે તૂટીને ત્રણ થઈ જાવ, અંધારા ઊલેચી નહીં શકો.

લોગઆઉટઃ

‘તપ’ નહીં પણ ‘વગ’ પ્રભુનું ડોલતું આસન કરે,
આ હકીકત જે ન સમજે તે ભજનકીર્તન કરે.
– ‘મસ્ત હબીબ સારોદી’ (મુલ્લા રમૂજી)

ફળીનાં બાંકડે હાંફ્યા કરે મકાન

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ચાલ્યા કરે હળુ હળુ થાક્યા કરે મકાન,
અંતે ફળીનાં બાંકડે હાંફ્યા કરે મકાન.

ઊડી ગયા છે જ્યારથી ટહુકા વિદેશમાં,
બે ચાર લીલી ડાળખી માંગ્યા કરે મકાન.

પોતું કરેલ ઓસરી; ધોયા વગરના પગ,
એકાદ પગલું ફર્શ પર વાંછ્યા કરે મકાન.

નક્કી કશુંક તો હતું સામેની બારીએ,
અમથું સવાર-સાંજ ના તાક્યા કરે મકાન.

જે નેમપ્લેટ પર હતો એ જણ ગયો છે ક્યાં?
મૂંગી હજાર અટકળો બાંધ્યા કરે મકાન.

— પારુલ ખખ્ખર

ગુજરાતી ભાષામાં એક સુંદર ભજન છેઃ જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. શરીર ભાડાનું મકાન છે, અને મકાન ખંડેર થાય છે. પણ ખંડેર થતા પહેલાં તેમાં અનેક ઉમંગો જિવાય છે, રંગો છલકાય છે. સંબંધોની સુવાસ પથરાય છે. અનુભવનું નાણું એકઠું થાય છે. એ નાણાના જોરે જ આપણી આંતરિક સમૃદ્ધિ કે પાયમાલી નિશ્ચિત થતી હોય છે. પારૂલ ખખ્ખરે ઈંટ-પથ્થરના મકાનને પ્રતિક બનાવી ઉંમરની અમુક અવસ્થાઓને ખૂબ બારીકાઈથી કંડારી છે.

વૃદ્ધાવસ્થા જીવનની અંતિમ અવસ્થા છે, પણ અંત નથી. ત્યાં કાયા જીર્ણ થાય છે, માયા તો એટલી જ યુવાન હોય છે, જેટલી પહેલા હતી. શરીર થાકે છે, પણ મન તો અગાઉ જેટલું જ ઊર્જામય હોય છે. જે મકાન કાયમ હર્યુંભર્યું રહેતું હોય, ત્યાં એકએક સન્નાટો સુસવાટા મારવા માંડે ત્યારે ઉદાસી સિવાય બીજું શું બચે? વૃદ્ધાવસ્થાએ પહોંચેલ વ્યક્તિએ જીવનભર જે ચાર દીવાલોમાં શ્વાસ લીધા હોય, સપનાં ઉછેર્યાં હોય તે સપનાંને પાંખો આવતા દૂર જઈ વસે ત્યારે થાકેલા દેહ સાથે ફળિના ઓટલા પર બેસીને એમની સાથેની યાદો વાગોળ્યા સિવાય બીજો કશો હોય પણ ક્યાંથી! તેમાં શરીરના હાંફની સાથે મનનો થાક પણ હોય છે. કોઈ નથી-નો વસવસો પણ હોય છે. તેમની આંખો સતત ઝંખ્યા કરતી હોય છે કે ઊડી ગયેલાં પંખીઓ માળામાં પાછાં આવે, ફરીથી મકાન હર્યું ભર્યું થાય, ફરીથી ટહુકાઓથી રેલાય.

ફળિયાની ધૂળમાં રમતાં બાળકો ગમે ત્યારે ઘરમાં દોડી આવે, તેમનાં ધૂળમાટીમાં રજોટાયેલી નાની પગલીઓથી ઘરને મેલુંદાટ કરી મૂકે. હજી કચરાંપોતાં કરીને માંડ નવરાં થયા હોઈએ ત્યાં તો ઘર ઘર હતું ન હતું થઈ જાય. ત્યારે ચીડ તો ચડે, પણ જ્યારે એ બાળકો ચાલ્યાં જાય, ઘર ખાલી થઈ જાય, ત્યારે સ્વચ્છ ઘર ખાવા દોડે. મન સતત ઝંખ્યા કરે કે ક્યારે એ તોફાની પગલાંઓ પાછાં આવે અને ઘરને મેલું કરે. તેમના કિલ્લોલથી ભરી દે. જે ઘર બાળકોનાં માટીવાળા ગંદા પગથી ખરડાય છે, તે ઘર ખૂબ નસીબદાર છે.

મકાન માત્ર અભાવનું સાક્ષી નથી હોતું, તે ભાવ અને ભાવનાની છબીઓ પણ ઝીલે છે. એક ઘરમાં ધબકતું યુવાન હૈયું સામેના ઘરની બારીના ધબકારા પોતાની છાતીમાં ઝીલતું હોય છે. કારણ-અકારણ આંખો એ બારી તરફ દોરવાઈ જાય છે. શરીર ભલે ગમે ત્યાં હોય, મન ચોવીસે કલાક એ બારીની આસપાસ જ હોય છે.

જે ઘરમાં વર્ષો સુધી જીવ્યા હોઈએ તે ઘરનું ફર્નિચર નહીં, ભીંતનો કણેકણ આપણને ઓળખતો હોય છે. ઘરમાં અન્ય કોઈ હોય ન હોય, ખાલી દીવાલને જોઈને પણ સાંત્વના મળતી હોય છે. પણ જ્યારે ઘરમાં જ કોઈ ન હોય તો ભીંતો બાપડી સાંત્વના પણ કોને આપે? મકાનમાં — જિવાયેલી જિંદગીની ઊર્જા હોય છે. એ ઊર્જાના ચાલ્યા જવાથી નિર્જીવ ભીંતો સુધ્ધા વસવસો અનુભવતી હોય, પણ તેને વાચા નથી કે વ્યક્ત કરી શકે. એને વ્યક્ત કરવા માટે તો પારૂલ ખખ્ખર જેવા સજ્જ કવિઓ જોઈએ.

લોગઆઉટઃ

પથ્થરને ઈંટનું ભલે પાકું મકાન છે,
એ ઘર બને ન ત્યાં સુધી કાચું મકાન છે.

વાતોનાં છે વિસામાને મીઠા છે આવકાર,
પૂછે છે પગરવો મને કોનું મકાન છે?

મારા મકાનનું તને સરનામું આપું, લખ,
ખુલ્લા ફટાક દ્વાર તે મારું મકાન છે.

તારા જ ઘર સુધી મને કેડી લઈ ગઈ,
પહેલા હતું જ્યાં ઘર ત્યાં તો ઊચું મકાન છે.

કોયલ કમાડે આવીને ટહુક્યાં કરે છે રોજ,
અફ્સોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.

એક બે ફલાગેં બહાર હું જઈ શકું છું પણ,
ભીતરની ભીંત ઠેકતા લાંબું મકાન છે.

- ગૌરાંગ ઠાકર

નદી જેવા લોકોને મળવા, નદીકિનારે જઈશ

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

જે મારા ઘરે ક્યારેય નહીં આવે,
તેમને મળવા હું તેમની પાસે જઈશ

એક છલકાતી નદી ક્યારેય નહીં આવે મારા ઘરે
નદી જેવા લોકોને મળવા, નદીકિનારે જઈશ
થોડુંક તરીશ, થોડો ડૂબી જઈશ.

પહાડ, ટેકરા, મેદાનો, તળાવો,
અસંખ્ય વૃક્ષો, ખેતરો…
ક્યારેય સામેથી નહીં આવે મારા ઘરે

ખેતર-ખળા જેવા લોકોને મળવા
ગામેગામ, વન-ગલીઓમાં જઈશ

જે નિરંતર કામમાં ડૂબેલા છે તેમને
નવરાશ માફક નહીં,
એક જરૂરી કામ માફક મળતો રહીશ
તેને હું મારી એકમાત્ર અંતિમ ઇચ્છાની જેમ
સૌથી પહેલી ઇચ્છા ગણીશ

- વિનોદ કુમાર શુક્લ

કાચની બોતલમાં નદીનું પાણી ભરીને, રોજ તેને જોવાથી નદીને નિહાળવાનું સુખ પ્રાપ્ત થતું નથી. આપણે રોજ પોતાની જાતને સંજોગો નામની બોતલમાં બંધ કરીને મુક્તિનું ગીત ગાઈએ છીએ. આપણે જ બનાવેલી સાંકળથી આપણે બંધાઈ જઈએ છીએ. નવાઈની વાત એ છે કે તેની ખબર પણ નથી હોતી. આ સાંકળ ક્યારેક નોકરી સ્વરૂપે હોય છે, ક્યારેક જવાબદારી રૂપે, ક્યારેક પરંપરા, પ્રથા, રિવાજો રૂપે પણ હોય. જોકે એવું નથી કે નોકરી, જવાબદારી આ બધું જરૂરી નથી, કહેવાનો અર્થ એટલો જ કે એ સાંકળ ન બનવી જોઈએ. એ સાંકળને તોડવા માટે જ આપણે બહાર નીકળવું જરૂરી છે. મિત્રો, સ્વજનો, પર્વતો, નદીઓ, ખેતરો, વૃક્ષો સુધી જવું જરૂરી છે. વિનોદ કુમાર શક્લ આપણને એ જ જણાવે છે કે રાહ જોઈને બેસી ન રહો કે મારી પાસે કોઈ આવે, કોઈ મને સમજે, કોઈ મારી માટે કશુંક કરે. વિનોદ કુમાર શુક્લ એટલે ‘દિવાર મેં એક ખિડકી રહેતી થી’ નવલકથાના સિદ્ધહસ્ત લેખક, જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત સર્જક. અનેક હૃદયસ્પર્શી કાવ્યોના રચયિતા.

આપણને ખબર પણ નથી હોતી, પણ આપણે રોજ, ધીમે ધીમે, આપણા દૃષ્ટિકોણને રંગીએ છીએ. પરિણામે અમુક વર્ષો પછી આપણી આંખ મોટાભાગની ચીજોને આપણે રંગેલા દૃષ્ટિકોણથી જુએ છે. જેમ, કાયમ બારીમાંથી જોનારને આકાશ ચોરસ લાગે છે. તેની વિશાળતા પામવા માટે ઘરમાંથી નીકળીને આકાશ તરફ નજર કરવી પડે છે.

એક નદી વહે છે ત્યારે માત્ર પાણીનો પ્રવાહ નથી ખેંચતી. તે માર્ગમાં આવતા દરેક પથ્થર,વૃક્ષ અને નાનામાં નાના રજકણને પણ ભીનાશપૂર્વક સ્પર્શે છે. તેનો પ્રવાહ અને ગતિ એ જ તેનું જીવન છે, અને સ્પર્શ તેની અનુભૂતિ. જો થંભી જાય તો પાણી કોહવાવા લાગે. વહેતા રહેવામાં જ તેની સુંદરતા છે. પ્રકૃતિની દરેક ચીજ એક ગતિમાં છે. તમે કંઈ નહીં કરો તો પણ સમય આગળ ધપવાનો જ છે, સાંજ પડવાની જ છે, અંધાર ઘેરાવાનો જ છે, સૂર્યનુંં અજવાળું પથરાવાનું જ છે. આ બધું થાય છે, કેમ કે પૃથ્વી નિરંતર ગતિમાં છે. ગતિ એ જ જીવન છે. આપણે સ્થાયી થઈ જઈએ ત્યારે ન રહે છે ગતિ, ન રહે છે અનુભૂતિ. જિંદગીના પ્રવાહને નિરંતર વહેતો રાખવા માટે, નિરંતર કશુંં નવુંં કરતા રહેવું પડે છે.

દરેક અનુભવ સામે ચાલીને આવતો નથી, ક્યારેક આપણે તેમના તરફ જવું પડે છે. શહેરમાં જીવતો માણસ ઘણી વાર ભૂલી જાય છે કે જીવન ખેતરમાં ઊગે છે, જંગલોમાં શ્વાસ લે છે, અને નદીરૂપે ગાય છે. આ ત્રણ ચીજો બાદ કરીએ તો કશું બચતું નથી. ખેતરમાં ઊગતા અનાજ વિના નથી ચાલવાનું, કે નથી વૃક્ષો વિના જીવન સંભવ, પાણી વગર તો જિંદગીની કલ્પના પણ ન કરી શકાય. આ બધું જાણતા હોવા છતાં આપણે રોજ કોંંક્રિટની સેંકડો ઊંચી બિલ્ડિંગો ચણવામાં વ્યસ્ત છીએ. વૃક્ષો કાપીને ડામર પાથરવામાં મગ્ન છીએ.

મનુષ્ય હોવાની સૌથી મહત્ત્વપૂર્ણ કડી એ છે કે તે બીજા પાસે જાય — વ્યક્તિ પાસે, ખેતરો, જંગલો, પહાડો, નદીઓ, ખીણો પાસે… નવા અનુભવો પાસે. જીવનના અંતે કદાચ જો મનમાં કંઈ ઊભરાતુંં હોય તે માત્ર અનુભવો છે, કોને મળ્યા,કોની સાથે રહ્યા, શું કામ કર્યુંં, કેવા સંબંધો બાંધ્યા… અંતિમ ક્ષણે આ બધું જ સાક્ષીભાવે આંખ સામે તરવરતું રહે છે. જ્યારે કોઈને સમજાઈ જાય કે દરેક મિલન એક સાધના છે, દરેક કામ એક પ્રાર્થના, દરેક યાત્રા એક પરિક્રમા, તો જીવન ખૂબ સરળ થઈ જાય.

જ્યારે પણ જિંદગી સ્થિર થવા લાગે, બધું થંભી જાય, કોઈ આસપાસ ન હોવાની અનુભૂતિ થાય, ત્યારે સમજી જવું કે ચાલવાનો સમય થયો છે. કોઈકની પાસે જવાનો સમય થયો છે.

લોગઆઉટઃ

મેં નદીને જીવવાની રીત પૂછી’તી,
એ કશું બોલી નહીં, વહેતી રહી ખળખળ.
- જાતુષ જોશી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

જીવન એક અદૃશ્ય સંગીત છે, જે સતત વાગતું રહે છે, ક્યારેક ધીમું, ક્યારેક ઉગ્ર, ક્યારેક રોમેન્ટિક, ક્યારેક વિયોગી, ક્યારેક આનંદિત, ક્યારેક કરૂણ. કોઈ ક્ષણ નિષ્ક્રિય નથી; પૃથ્વી પર ચાલેલું દરેક પગલું જીવતા હોવાની સાબિતી છે. દરેક શ્વાસ, દરેક ઝરમર, દરેક ટીપું, દરેક અંધકાર પોતાની અંદર કોઈ ગુપ્ત સંદેશ લઈને આવે છે. વૃક્ષનું પ્રત્યેક પર્ણ સુધ્ધાં કશુંક કહી રહ્યું હોય છે, આપણા બરછટ બહેરાં કાન એને સાંભળે ન સાંભળે, પ્રકૃતિ સાંભળતી હોય છે. પવન તેની લાગણી પિછાણતો હોય છે. દરેક ક્ષણ અને દરેક રજકણ સુધ્ધાં પોતાનો આગવો અર્થ ધરાવે છે, તેને જોવા માટેની આંખ હોવી જરૂરી છે.

નિરાશામાં ગરકાવ થયેલા માણસ સામે ગમે તેટલું અર્થસભર જીવન મૂકો, તેને બધું વ્યર્થ જ લાગશે. તેને મન વરસાદનો રોમાંચ શું, કે શું તાજી ખીલતી કૂંપળની હળવાશ? તેને મન નવજાત શિશુએ કરેલું સ્મિત પણ દુર્ઘટના સમાન હોય છે. તેને નથી ગમતા પંખીના ટહુકા કે ઝરણાનું ખળખળ. તે નિરાશાની ખાઈમાં એટલો ઊંડો દટાઈ ગયો હોય છે કે આસપાસનું કશું જ દેખાતું નથી. તેની આંખો ચારેબાજુ દુઃખ, છળ,અને ભ્રમણા રૂપી અંધકારને જ જુએ છે. તેની આંખો એ ગાઢ અંધકાર સામે ખુમારીથી પ્રગટી રહેલા દીવાનું અજવાસભર્યું યુદ્ધ નથી જોઈ શકતી, તેના કાન બાળકનું ખીલખીલાટ નથી સાંભળી શકતા. તેને નથી સ્પર્શતી વરસાદની ભીનાશ સુધ્ધાં. તે પ્રકૃતિના સંદેશાને વાંચવા માટેની ઋજુતા ગુમાવી ચૂક્યો હોય છે. કેમ કે તે પોતે જ પોતાની આસપાસ એક અદૃૃશ્ય દીવાલ ચણી લીધી હોય છે, જ્યાં સુધી આ સંકુચિતતાની, નિરાશાની, અહમની દીવાલ છે, ત્યાં સુધી સવાલ છે. દીવાલ તૂટશે, ઉત્તર આપોઆપ ધસી આવશે — હળવા પવનની લહેરખી માફક. પછી આપોઆપ પંખીના કલરવથી લઈને સૂકા પર્ણ સુધ્ધામાં એક સંદેશ વંચાશે — જિંદગીનો હર્યોભર્યો, અર્થસભર સંદેશ.

મૃત્યુ અંતિમ મુકામ ન હોઈ શકે, શક્ય છે એ નવોન્મેશની શરૂઆત પણ હોય. સંભવ છે કે મૃત્યુ આપણને નવપલ્લવિત કરવા માટેની વિધિ હોય, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં લઈ જવાની કેડી. જેમ જીર્ણ વસ્ત્રો તૂટતાં આપણે નવાં ધારણ કરીએ છીએ, તેમ, શક્ય છે કે આપણી અંદરની કોઈ ઊર્જા નવું સ્વરૂપ ધારણ કરવા માટે મૃત્યુની વિધિમાંથી પસાર થતી હોય. જીવન સતત પોતાનાં આવર્તન બદલે છે, પાનખરનાં પાંદડાં જેમ જમીન પર પડે છે, પણ એ જ પાંદડાં માટીને પોષણ આપે છે, જેથી ફરી નવા અંકુર ફૂટે. આ ચક્રમાં એક અનંત સત્ય છુપાયેલું છે, કોઈ પણ વસ્તુ નાશ પામતી નથી, એ માત્ર રૂપ બદલે છે, અવાજ બદલે છે, આકાર બદલે છે.

પ્રત્યેક નવજાત શિશુના પ્રથમ રુદનમાં એક દિવ્ય સંદેશ હોય છે. એ કહે છે કે જીવન ફરી આવી ગયું છે, ફરી લડવા, ફરી પ્રેમ કરવા, ફરી સ્વપ્ન જોવા. મરણનું શાંત સ્મિત પણ એ જ કહે છે, “હું જતો નથી, ફક્ત સ્વરૂપ બદલું છું.” જ્યારે આપણા આકાશમાં સૂર્ય ઊગી રહ્યો હોય, ત્યારે, એ જ ક્ષણે, પૃથ્વીના કોઈ ખૂણે, કોઈની માટે સૂર્ય આથમી રહ્યો હોય છે. આપણાં સ્થાન અને સ્થિતિ આપણા પ્રકાશ અને અંધકાર નક્કી કરે છે. જીવનમાં હંમેશાં પ્રકાશ અને અંધકાર હોય જ છે, બસ આપણે ક્યાં છીએ તે આપણે જોવાનું છે. આટલું સમજાય તો તો દરેક ક્ષણ આપણા માટે શિક્ષક બની જાય. દુઃખ પછી દુઃખ ન રહેતા; એ અનુભૂતિનું સ્વરૂપ ધારણ કરે. આનંદ પછી ક્ષણિક નથી રહેતો; એ શાશ્વત બની જાય છે. જીવન માત્ર જીવવા પૂરતું નથી રહેતું, એ યાત્રા બની જાય છે.

લોગઆઉટઃ

જરા કાન દઈને સાંભળજો આ પર્વતની
ભીતર ભીતર ક્યાંક કશીક તૈયારી ચાલે,
પ્હેલાં લીલીછમ ઘટનાઓ પછી અચાનક
ખળખળ વ્હેતા જળની એક સવારી ચાલે.
- કૃષ્ણ દવે

હજી હિમ્મત નથી પડી હેઠી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી,
તોય ક્યાં જિંદગીની ગડ બેઠી.

ભોંયભેગો ભલે થયો છું હું,
હજી હિમ્મત નથી પડી હેઠી.

સૌના જીવનના પ્રશ્નપત્ર અલગ,
એમાં ચાલે નહીં નકલ બેઠી.

મન છલોછલ છે એની યાદોથી,
એમાં ગમગીની કઈ રીતે પેઠી?

હું જ્યાં બે પાંદડે થયો ન થયો,
ઋતુ બદલાઈ, પાનખર બેઠી.

– હેમંત પૂણેકર

જિંદગી એક એવું પાત્ર છે, જેમાં સુખની સુગંધ છે, તો દુઃખની કડવાશ પણ. તેમાં સ્મિતની શરણાઈ સંભળાય છે, તો રુદનની વીણા પણ. ત્યાં આશાનું અમી છે, નિરાશાની ખાઈ પણ. ઘણી વાર આનંદ અને વ્યથા એક જ ટ્રેનના બે પાટાની જેમ સાથોસાથ ચાલતી હોય છે — વર્ષો સુધી. પરંતુ જીવનનું વાદ્ય વાગતું રહે છે, ક્યારેક મધુર, ક્યારેક કરૂણ, પણ હંમેશાં જીવંત. તેના તાલ, રાગ, લયની ગડ બેસે ત્યાં તો જીવનનું ગીત સમાપ્ત થવા આવ્યું હોય છે. કવિએ આ વાતને કેટલી સરળ, છતાં ધારદાર રીતે સમજાવી દીધી છે. અચ્છા કવિની એ જ તો નિશાની છે, કલમના આછા લસરકે એવું ચિત્ર દોરી આપે કે તમે તેમાં પોતાનો વ્યાપ શોધી શકો. હેમંત પૂણેકરની કલમમાં એ તાકાત છે કે તે માનવમનના ઊંડાણમાં ડૂબકી મારીને આનંદ અને વલોપાતને શબ્દોમાં પરોવી શકે.

જ્યાં સુખ કે દુઃખ નથી, ત્યાં જીવન નથી. પછી એ માનવ હોય કે પશુ, વૃક્ષ સુધ્ધાં ટાઢ, તડકો, વરસાદ, વાવાઝોડા અને પાનખર વેઠે છે. આ બધું વેઠ્યા પણ પણ જીવનનું વાદ્ય સૂરમાં વાગતું રહે તે જરૂરી છે. ઘણી વાર દુઃખ એ દંડ નહીં, દિક્ષા સાબિત થતું હોય છે. જે માણસે વ્યથાની આગમાં પોતાની જાતને તપાવી હોય તે બીજાના દુઃખ સામે નિર્વિકાર નથી થઈ શકતો. તેના હૃદયમાં એક અદૃશ્ય કરૂણા જન્મ્યા વિના નથી રહી શકતી. અને આ કરૂણા જ તેની માનવતાને મુઠ્ઠી ઊંચી બનાવેા છે. વિપરિત સંજોગોના સણસણતા તીર ઝીલીને પણ સ્મિતપૂર્વક અડગ ઊભા રહેવું તે કુરુક્ષેત્રના યુદ્ધમાં સાહસપૂર્વક લડતા યોદ્ધાથી જરાકે કમ નથી. જિંદગી ભલે થાકે, જુસ્સો ન થાકવો જોઈએ. ખલીલ ધનતેજવીએ લખેલું,
વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરણું ઊખડી જાય તો કહેજે મને,
જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કહેજે મને.

થાક એ જીવનનો ભાગ છે, પડાવ છે. આપણે જે રસ્તે ચાલી રહ્યા છીએ, ત્યાં અગાઉ કોણ ચાલી ગયું, કેવા મુકામ હાંસલ કર્યા, એ જોઈને આપણી મુસાફરી નક્કી કરતા હોઈએ છીએ. ક્રિકેટ રમનાર વ્યક્તિ સચિન, ધોની, કોહલી જેવા બનવાની આશા રાખે. ગાયક બનવા ઇચ્છતા માણસો લતા, કિશોર, રફી, અરિજિત જેવા સિંગર બનવાનું ધ્યેય, એક્ટર બનવા ઇચ્છતી વ્યક્તિ અમિતાભ, શાહરૂખ, સલમાન બનવાની હામ રાખે. પણ એ સમજવું જરૂરી છે કે આપણે જેમને ધ્યેય બનાવીએ છીએ, તે બધાના જીવનના પ્રશ્નપત્રમાં પૂછાયેલા પ્રશ્નો અલગ હતા, તમારા અલગ. પરીક્ષા કોઈ પણ હોય, પ્રશ્નો સમજવા જરૂરી છે. ક્ષેત્ર ભલે એક હોય, ભલે એકસરખું કાર્ય હોય, છતાં તમારા પ્રશ્નો એ બીજાના પ્રશ્નો કરતાં હંમેશાં અલગ હોવાના, તમારા પ્રશ્નો માત્ર તમારા જ હોવાના. તેને સમજવા પડશે, તો જ સરખો જવાબ આપી શકાશે.

આપણી પ્રિય વ્યક્તિથી અલગ થઈ જઈએ ત્યારે સ્વાભાવિક છે તેની યાદોની અલાયદી ગલીઓમાં મન આપોઆપ ફરવા જતું રહે છે. હૃદય રાતદાડો છલકાતું રહે છે તેનાં સ્મરળનાં ઊછળતાં મોજાંથી. મિલનની આશા મુખ પર એક મીઠું સ્મિત પણ લઈ આવે છે. પરંતુ ક્યારેક ક્યાંક આછી તિરાડમાંથી ચુપાચાપ અભાવ અને ઉદાસી પણ પ્રવેશી જતા હોય છે. જેની આપણને પોતાને પણ ખબર નથી રહેતી હોતી. કદાચ, પ્રિય વ્યક્તિથી દૂર રહેનાર વ્યક્તિની આ જ નિયતિ હશે. અને નિયતિનાં નાણાથી જ તો જીવન પોતાનું મૂલ્ય આંકતું હોય છે. સંજોગોના સિક્કા ઊછળતા હોય છે. શું સુખ, શું દુઃખ, શું સ્વજન, શું દુર્જન, પોતાનું-પરાયું, સફળતા-નિષ્ફળતા, સંબંધ-નિર્બંધ, ઉત્સવ-શોક આ બધું સમજીએ ત્યાં સુધીમાં જીવનનું વટવૃક્ષ પાનખરથી ઘેરાઈ ગયું હોય છે. આપણા વૃક્ષત્વ પર આવી બેસેલા પંખીઓ, ટહુકાઓ, ફૂલ, ફળને સમજીએ ત્યાં સુધી ડાળીઓ જીર્ણ થવા લાગે છે, મૂળ મજબૂતાઈ ગુમાવવા લાગે છે. કદાચ આ જ જીવન છે, જેને દરરોજ શીખવું પડે છે.

લોગઆઉટઃ

સત્ય પીરસો છો ત્યારે ધ્યાન રહે,
સામાએ તે પચાવવાનું છે.
કોને છોડે છે દુઃખ કદી ‘હેમંત’?
દુઃખને તારે જ છોડવાનું છે.
– હેમંત પૂણેકર