ફળીનાં બાંકડે હાંફ્યા કરે મકાન

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ચાલ્યા કરે હળુ હળુ થાક્યા કરે મકાન,
અંતે ફળીનાં બાંકડે હાંફ્યા કરે મકાન.

ઊડી ગયા છે જ્યારથી ટહુકા વિદેશમાં,
બે ચાર લીલી ડાળખી માંગ્યા કરે મકાન.

પોતું કરેલ ઓસરી; ધોયા વગરના પગ,
એકાદ પગલું ફર્શ પર વાંછ્યા કરે મકાન.

નક્કી કશુંક તો હતું સામેની બારીએ,
અમથું સવાર-સાંજ ના તાક્યા કરે મકાન.

જે નેમપ્લેટ પર હતો એ જણ ગયો છે ક્યાં?
મૂંગી હજાર અટકળો બાંધ્યા કરે મકાન.

— પારુલ ખખ્ખર

ગુજરાતી ભાષામાં એક સુંદર ભજન છેઃ જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. શરીર ભાડાનું મકાન છે, અને મકાન ખંડેર થાય છે. પણ ખંડેર થતા પહેલાં તેમાં અનેક ઉમંગો જિવાય છે, રંગો છલકાય છે. સંબંધોની સુવાસ પથરાય છે. અનુભવનું નાણું એકઠું થાય છે. એ નાણાના જોરે જ આપણી આંતરિક સમૃદ્ધિ કે પાયમાલી નિશ્ચિત થતી હોય છે. પારૂલ ખખ્ખરે ઈંટ-પથ્થરના મકાનને પ્રતિક બનાવી ઉંમરની અમુક અવસ્થાઓને ખૂબ બારીકાઈથી કંડારી છે.

વૃદ્ધાવસ્થા જીવનની અંતિમ અવસ્થા છે, પણ અંત નથી. ત્યાં કાયા જીર્ણ થાય છે, માયા તો એટલી જ યુવાન હોય છે, જેટલી પહેલા હતી. શરીર થાકે છે, પણ મન તો અગાઉ જેટલું જ ઊર્જામય હોય છે. જે મકાન કાયમ હર્યુંભર્યું રહેતું હોય, ત્યાં એકએક સન્નાટો સુસવાટા મારવા માંડે ત્યારે ઉદાસી સિવાય બીજું શું બચે? વૃદ્ધાવસ્થાએ પહોંચેલ વ્યક્તિએ જીવનભર જે ચાર દીવાલોમાં શ્વાસ લીધા હોય, સપનાં ઉછેર્યાં હોય તે સપનાંને પાંખો આવતા દૂર જઈ વસે ત્યારે થાકેલા દેહ સાથે ફળિના ઓટલા પર બેસીને એમની સાથેની યાદો વાગોળ્યા સિવાય બીજો કશો હોય પણ ક્યાંથી! તેમાં શરીરના હાંફની સાથે મનનો થાક પણ હોય છે. કોઈ નથી-નો વસવસો પણ હોય છે. તેમની આંખો સતત ઝંખ્યા કરતી હોય છે કે ઊડી ગયેલાં પંખીઓ માળામાં પાછાં આવે, ફરીથી મકાન હર્યું ભર્યું થાય, ફરીથી ટહુકાઓથી રેલાય.

ફળિયાની ધૂળમાં રમતાં બાળકો ગમે ત્યારે ઘરમાં દોડી આવે, તેમનાં ધૂળમાટીમાં રજોટાયેલી નાની પગલીઓથી ઘરને મેલુંદાટ કરી મૂકે. હજી કચરાંપોતાં કરીને માંડ નવરાં થયા હોઈએ ત્યાં તો ઘર ઘર હતું ન હતું થઈ જાય. ત્યારે ચીડ તો ચડે, પણ જ્યારે એ બાળકો ચાલ્યાં જાય, ઘર ખાલી થઈ જાય, ત્યારે સ્વચ્છ ઘર ખાવા દોડે. મન સતત ઝંખ્યા કરે કે ક્યારે એ તોફાની પગલાંઓ પાછાં આવે અને ઘરને મેલું કરે. તેમના કિલ્લોલથી ભરી દે. જે ઘર બાળકોનાં માટીવાળા ગંદા પગથી ખરડાય છે, તે ઘર ખૂબ નસીબદાર છે.

મકાન માત્ર અભાવનું સાક્ષી નથી હોતું, તે ભાવ અને ભાવનાની છબીઓ પણ ઝીલે છે. એક ઘરમાં ધબકતું યુવાન હૈયું સામેના ઘરની બારીના ધબકારા પોતાની છાતીમાં ઝીલતું હોય છે. કારણ-અકારણ આંખો એ બારી તરફ દોરવાઈ જાય છે. શરીર ભલે ગમે ત્યાં હોય, મન ચોવીસે કલાક એ બારીની આસપાસ જ હોય છે.

જે ઘરમાં વર્ષો સુધી જીવ્યા હોઈએ તે ઘરનું ફર્નિચર નહીં, ભીંતનો કણેકણ આપણને ઓળખતો હોય છે. ઘરમાં અન્ય કોઈ હોય ન હોય, ખાલી દીવાલને જોઈને પણ સાંત્વના મળતી હોય છે. પણ જ્યારે ઘરમાં જ કોઈ ન હોય તો ભીંતો બાપડી સાંત્વના પણ કોને આપે? મકાનમાં — જિવાયેલી જિંદગીની ઊર્જા હોય છે. એ ઊર્જાના ચાલ્યા જવાથી નિર્જીવ ભીંતો સુધ્ધા વસવસો અનુભવતી હોય, પણ તેને વાચા નથી કે વ્યક્ત કરી શકે. એને વ્યક્ત કરવા માટે તો પારૂલ ખખ્ખર જેવા સજ્જ કવિઓ જોઈએ.

લોગઆઉટઃ

પથ્થરને ઈંટનું ભલે પાકું મકાન છે,
એ ઘર બને ન ત્યાં સુધી કાચું મકાન છે.

વાતોનાં છે વિસામાને મીઠા છે આવકાર,
પૂછે છે પગરવો મને કોનું મકાન છે?

મારા મકાનનું તને સરનામું આપું, લખ,
ખુલ્લા ફટાક દ્વાર તે મારું મકાન છે.

તારા જ ઘર સુધી મને કેડી લઈ ગઈ,
પહેલા હતું જ્યાં ઘર ત્યાં તો ઊચું મકાન છે.

કોયલ કમાડે આવીને ટહુક્યાં કરે છે રોજ,
અફ્સોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.

એક બે ફલાગેં બહાર હું જઈ શકું છું પણ,
ભીતરની ભીંત ઠેકતા લાંબું મકાન છે.

- ગૌરાંગ ઠાકર

નદી જેવા લોકોને મળવા, નદીકિનારે જઈશ

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

જે મારા ઘરે ક્યારેય નહીં આવે,
તેમને મળવા હું તેમની પાસે જઈશ

એક છલકાતી નદી ક્યારેય નહીં આવે મારા ઘરે
નદી જેવા લોકોને મળવા, નદીકિનારે જઈશ
થોડુંક તરીશ, થોડો ડૂબી જઈશ.

પહાડ, ટેકરા, મેદાનો, તળાવો,
અસંખ્ય વૃક્ષો, ખેતરો…
ક્યારેય સામેથી નહીં આવે મારા ઘરે

ખેતર-ખળા જેવા લોકોને મળવા
ગામેગામ, વન-ગલીઓમાં જઈશ

જે નિરંતર કામમાં ડૂબેલા છે તેમને
નવરાશ માફક નહીં,
એક જરૂરી કામ માફક મળતો રહીશ
તેને હું મારી એકમાત્ર અંતિમ ઇચ્છાની જેમ
સૌથી પહેલી ઇચ્છા ગણીશ

- વિનોદ કુમાર શુક્લ

કાચની બોતલમાં નદીનું પાણી ભરીને, રોજ તેને જોવાથી નદીને નિહાળવાનું સુખ પ્રાપ્ત થતું નથી. આપણે રોજ પોતાની જાતને સંજોગો નામની બોતલમાં બંધ કરીને મુક્તિનું ગીત ગાઈએ છીએ. આપણે જ બનાવેલી સાંકળથી આપણે બંધાઈ જઈએ છીએ. નવાઈની વાત એ છે કે તેની ખબર પણ નથી હોતી. આ સાંકળ ક્યારેક નોકરી સ્વરૂપે હોય છે, ક્યારેક જવાબદારી રૂપે, ક્યારેક પરંપરા, પ્રથા, રિવાજો રૂપે પણ હોય. જોકે એવું નથી કે નોકરી, જવાબદારી આ બધું જરૂરી નથી, કહેવાનો અર્થ એટલો જ કે એ સાંકળ ન બનવી જોઈએ. એ સાંકળને તોડવા માટે જ આપણે બહાર નીકળવું જરૂરી છે. મિત્રો, સ્વજનો, પર્વતો, નદીઓ, ખેતરો, વૃક્ષો સુધી જવું જરૂરી છે. વિનોદ કુમાર શક્લ આપણને એ જ જણાવે છે કે રાહ જોઈને બેસી ન રહો કે મારી પાસે કોઈ આવે, કોઈ મને સમજે, કોઈ મારી માટે કશુંક કરે. વિનોદ કુમાર શુક્લ એટલે ‘દિવાર મેં એક ખિડકી રહેતી થી’ નવલકથાના સિદ્ધહસ્ત લેખક, જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત સર્જક. અનેક હૃદયસ્પર્શી કાવ્યોના રચયિતા.

આપણને ખબર પણ નથી હોતી, પણ આપણે રોજ, ધીમે ધીમે, આપણા દૃષ્ટિકોણને રંગીએ છીએ. પરિણામે અમુક વર્ષો પછી આપણી આંખ મોટાભાગની ચીજોને આપણે રંગેલા દૃષ્ટિકોણથી જુએ છે. જેમ, કાયમ બારીમાંથી જોનારને આકાશ ચોરસ લાગે છે. તેની વિશાળતા પામવા માટે ઘરમાંથી નીકળીને આકાશ તરફ નજર કરવી પડે છે.

એક નદી વહે છે ત્યારે માત્ર પાણીનો પ્રવાહ નથી ખેંચતી. તે માર્ગમાં આવતા દરેક પથ્થર,વૃક્ષ અને નાનામાં નાના રજકણને પણ ભીનાશપૂર્વક સ્પર્શે છે. તેનો પ્રવાહ અને ગતિ એ જ તેનું જીવન છે, અને સ્પર્શ તેની અનુભૂતિ. જો થંભી જાય તો પાણી કોહવાવા લાગે. વહેતા રહેવામાં જ તેની સુંદરતા છે. પ્રકૃતિની દરેક ચીજ એક ગતિમાં છે. તમે કંઈ નહીં કરો તો પણ સમય આગળ ધપવાનો જ છે, સાંજ પડવાની જ છે, અંધાર ઘેરાવાનો જ છે, સૂર્યનુંં અજવાળું પથરાવાનું જ છે. આ બધું થાય છે, કેમ કે પૃથ્વી નિરંતર ગતિમાં છે. ગતિ એ જ જીવન છે. આપણે સ્થાયી થઈ જઈએ ત્યારે ન રહે છે ગતિ, ન રહે છે અનુભૂતિ. જિંદગીના પ્રવાહને નિરંતર વહેતો રાખવા માટે, નિરંતર કશુંં નવુંં કરતા રહેવું પડે છે.

દરેક અનુભવ સામે ચાલીને આવતો નથી, ક્યારેક આપણે તેમના તરફ જવું પડે છે. શહેરમાં જીવતો માણસ ઘણી વાર ભૂલી જાય છે કે જીવન ખેતરમાં ઊગે છે, જંગલોમાં શ્વાસ લે છે, અને નદીરૂપે ગાય છે. આ ત્રણ ચીજો બાદ કરીએ તો કશું બચતું નથી. ખેતરમાં ઊગતા અનાજ વિના નથી ચાલવાનું, કે નથી વૃક્ષો વિના જીવન સંભવ, પાણી વગર તો જિંદગીની કલ્પના પણ ન કરી શકાય. આ બધું જાણતા હોવા છતાં આપણે રોજ કોંંક્રિટની સેંકડો ઊંચી બિલ્ડિંગો ચણવામાં વ્યસ્ત છીએ. વૃક્ષો કાપીને ડામર પાથરવામાં મગ્ન છીએ.

મનુષ્ય હોવાની સૌથી મહત્ત્વપૂર્ણ કડી એ છે કે તે બીજા પાસે જાય — વ્યક્તિ પાસે, ખેતરો, જંગલો, પહાડો, નદીઓ, ખીણો પાસે… નવા અનુભવો પાસે. જીવનના અંતે કદાચ જો મનમાં કંઈ ઊભરાતુંં હોય તે માત્ર અનુભવો છે, કોને મળ્યા,કોની સાથે રહ્યા, શું કામ કર્યુંં, કેવા સંબંધો બાંધ્યા… અંતિમ ક્ષણે આ બધું જ સાક્ષીભાવે આંખ સામે તરવરતું રહે છે. જ્યારે કોઈને સમજાઈ જાય કે દરેક મિલન એક સાધના છે, દરેક કામ એક પ્રાર્થના, દરેક યાત્રા એક પરિક્રમા, તો જીવન ખૂબ સરળ થઈ જાય.

જ્યારે પણ જિંદગી સ્થિર થવા લાગે, બધું થંભી જાય, કોઈ આસપાસ ન હોવાની અનુભૂતિ થાય, ત્યારે સમજી જવું કે ચાલવાનો સમય થયો છે. કોઈકની પાસે જવાનો સમય થયો છે.

લોગઆઉટઃ

મેં નદીને જીવવાની રીત પૂછી’તી,
એ કશું બોલી નહીં, વહેતી રહી ખળખળ.
- જાતુષ જોશી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

જીવન એક અદૃશ્ય સંગીત છે, જે સતત વાગતું રહે છે, ક્યારેક ધીમું, ક્યારેક ઉગ્ર, ક્યારેક રોમેન્ટિક, ક્યારેક વિયોગી, ક્યારેક આનંદિત, ક્યારેક કરૂણ. કોઈ ક્ષણ નિષ્ક્રિય નથી; પૃથ્વી પર ચાલેલું દરેક પગલું જીવતા હોવાની સાબિતી છે. દરેક શ્વાસ, દરેક ઝરમર, દરેક ટીપું, દરેક અંધકાર પોતાની અંદર કોઈ ગુપ્ત સંદેશ લઈને આવે છે. વૃક્ષનું પ્રત્યેક પર્ણ સુધ્ધાં કશુંક કહી રહ્યું હોય છે, આપણા બરછટ બહેરાં કાન એને સાંભળે ન સાંભળે, પ્રકૃતિ સાંભળતી હોય છે. પવન તેની લાગણી પિછાણતો હોય છે. દરેક ક્ષણ અને દરેક રજકણ સુધ્ધાં પોતાનો આગવો અર્થ ધરાવે છે, તેને જોવા માટેની આંખ હોવી જરૂરી છે.

નિરાશામાં ગરકાવ થયેલા માણસ સામે ગમે તેટલું અર્થસભર જીવન મૂકો, તેને બધું વ્યર્થ જ લાગશે. તેને મન વરસાદનો રોમાંચ શું, કે શું તાજી ખીલતી કૂંપળની હળવાશ? તેને મન નવજાત શિશુએ કરેલું સ્મિત પણ દુર્ઘટના સમાન હોય છે. તેને નથી ગમતા પંખીના ટહુકા કે ઝરણાનું ખળખળ. તે નિરાશાની ખાઈમાં એટલો ઊંડો દટાઈ ગયો હોય છે કે આસપાસનું કશું જ દેખાતું નથી. તેની આંખો ચારેબાજુ દુઃખ, છળ,અને ભ્રમણા રૂપી અંધકારને જ જુએ છે. તેની આંખો એ ગાઢ અંધકાર સામે ખુમારીથી પ્રગટી રહેલા દીવાનું અજવાસભર્યું યુદ્ધ નથી જોઈ શકતી, તેના કાન બાળકનું ખીલખીલાટ નથી સાંભળી શકતા. તેને નથી સ્પર્શતી વરસાદની ભીનાશ સુધ્ધાં. તે પ્રકૃતિના સંદેશાને વાંચવા માટેની ઋજુતા ગુમાવી ચૂક્યો હોય છે. કેમ કે તે પોતે જ પોતાની આસપાસ એક અદૃૃશ્ય દીવાલ ચણી લીધી હોય છે, જ્યાં સુધી આ સંકુચિતતાની, નિરાશાની, અહમની દીવાલ છે, ત્યાં સુધી સવાલ છે. દીવાલ તૂટશે, ઉત્તર આપોઆપ ધસી આવશે — હળવા પવનની લહેરખી માફક. પછી આપોઆપ પંખીના કલરવથી લઈને સૂકા પર્ણ સુધ્ધામાં એક સંદેશ વંચાશે — જિંદગીનો હર્યોભર્યો, અર્થસભર સંદેશ.

મૃત્યુ અંતિમ મુકામ ન હોઈ શકે, શક્ય છે એ નવોન્મેશની શરૂઆત પણ હોય. સંભવ છે કે મૃત્યુ આપણને નવપલ્લવિત કરવા માટેની વિધિ હોય, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં લઈ જવાની કેડી. જેમ જીર્ણ વસ્ત્રો તૂટતાં આપણે નવાં ધારણ કરીએ છીએ, તેમ, શક્ય છે કે આપણી અંદરની કોઈ ઊર્જા નવું સ્વરૂપ ધારણ કરવા માટે મૃત્યુની વિધિમાંથી પસાર થતી હોય. જીવન સતત પોતાનાં આવર્તન બદલે છે, પાનખરનાં પાંદડાં જેમ જમીન પર પડે છે, પણ એ જ પાંદડાં માટીને પોષણ આપે છે, જેથી ફરી નવા અંકુર ફૂટે. આ ચક્રમાં એક અનંત સત્ય છુપાયેલું છે, કોઈ પણ વસ્તુ નાશ પામતી નથી, એ માત્ર રૂપ બદલે છે, અવાજ બદલે છે, આકાર બદલે છે.

પ્રત્યેક નવજાત શિશુના પ્રથમ રુદનમાં એક દિવ્ય સંદેશ હોય છે. એ કહે છે કે જીવન ફરી આવી ગયું છે, ફરી લડવા, ફરી પ્રેમ કરવા, ફરી સ્વપ્ન જોવા. મરણનું શાંત સ્મિત પણ એ જ કહે છે, “હું જતો નથી, ફક્ત સ્વરૂપ બદલું છું.” જ્યારે આપણા આકાશમાં સૂર્ય ઊગી રહ્યો હોય, ત્યારે, એ જ ક્ષણે, પૃથ્વીના કોઈ ખૂણે, કોઈની માટે સૂર્ય આથમી રહ્યો હોય છે. આપણાં સ્થાન અને સ્થિતિ આપણા પ્રકાશ અને અંધકાર નક્કી કરે છે. જીવનમાં હંમેશાં પ્રકાશ અને અંધકાર હોય જ છે, બસ આપણે ક્યાં છીએ તે આપણે જોવાનું છે. આટલું સમજાય તો તો દરેક ક્ષણ આપણા માટે શિક્ષક બની જાય. દુઃખ પછી દુઃખ ન રહેતા; એ અનુભૂતિનું સ્વરૂપ ધારણ કરે. આનંદ પછી ક્ષણિક નથી રહેતો; એ શાશ્વત બની જાય છે. જીવન માત્ર જીવવા પૂરતું નથી રહેતું, એ યાત્રા બની જાય છે.

લોગઆઉટઃ

જરા કાન દઈને સાંભળજો આ પર્વતની
ભીતર ભીતર ક્યાંક કશીક તૈયારી ચાલે,
પ્હેલાં લીલીછમ ઘટનાઓ પછી અચાનક
ખળખળ વ્હેતા જળની એક સવારી ચાલે.
- કૃષ્ણ દવે

હજી હિમ્મત નથી પડી હેઠી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી,
તોય ક્યાં જિંદગીની ગડ બેઠી.

ભોંયભેગો ભલે થયો છું હું,
હજી હિમ્મત નથી પડી હેઠી.

સૌના જીવનના પ્રશ્નપત્ર અલગ,
એમાં ચાલે નહીં નકલ બેઠી.

મન છલોછલ છે એની યાદોથી,
એમાં ગમગીની કઈ રીતે પેઠી?

હું જ્યાં બે પાંદડે થયો ન થયો,
ઋતુ બદલાઈ, પાનખર બેઠી.

– હેમંત પૂણેકર

જિંદગી એક એવું પાત્ર છે, જેમાં સુખની સુગંધ છે, તો દુઃખની કડવાશ પણ. તેમાં સ્મિતની શરણાઈ સંભળાય છે, તો રુદનની વીણા પણ. ત્યાં આશાનું અમી છે, નિરાશાની ખાઈ પણ. ઘણી વાર આનંદ અને વ્યથા એક જ ટ્રેનના બે પાટાની જેમ સાથોસાથ ચાલતી હોય છે — વર્ષો સુધી. પરંતુ જીવનનું વાદ્ય વાગતું રહે છે, ક્યારેક મધુર, ક્યારેક કરૂણ, પણ હંમેશાં જીવંત. તેના તાલ, રાગ, લયની ગડ બેસે ત્યાં તો જીવનનું ગીત સમાપ્ત થવા આવ્યું હોય છે. કવિએ આ વાતને કેટલી સરળ, છતાં ધારદાર રીતે સમજાવી દીધી છે. અચ્છા કવિની એ જ તો નિશાની છે, કલમના આછા લસરકે એવું ચિત્ર દોરી આપે કે તમે તેમાં પોતાનો વ્યાપ શોધી શકો. હેમંત પૂણેકરની કલમમાં એ તાકાત છે કે તે માનવમનના ઊંડાણમાં ડૂબકી મારીને આનંદ અને વલોપાતને શબ્દોમાં પરોવી શકે.

જ્યાં સુખ કે દુઃખ નથી, ત્યાં જીવન નથી. પછી એ માનવ હોય કે પશુ, વૃક્ષ સુધ્ધાં ટાઢ, તડકો, વરસાદ, વાવાઝોડા અને પાનખર વેઠે છે. આ બધું વેઠ્યા પણ પણ જીવનનું વાદ્ય સૂરમાં વાગતું રહે તે જરૂરી છે. ઘણી વાર દુઃખ એ દંડ નહીં, દિક્ષા સાબિત થતું હોય છે. જે માણસે વ્યથાની આગમાં પોતાની જાતને તપાવી હોય તે બીજાના દુઃખ સામે નિર્વિકાર નથી થઈ શકતો. તેના હૃદયમાં એક અદૃશ્ય કરૂણા જન્મ્યા વિના નથી રહી શકતી. અને આ કરૂણા જ તેની માનવતાને મુઠ્ઠી ઊંચી બનાવેા છે. વિપરિત સંજોગોના સણસણતા તીર ઝીલીને પણ સ્મિતપૂર્વક અડગ ઊભા રહેવું તે કુરુક્ષેત્રના યુદ્ધમાં સાહસપૂર્વક લડતા યોદ્ધાથી જરાકે કમ નથી. જિંદગી ભલે થાકે, જુસ્સો ન થાકવો જોઈએ. ખલીલ ધનતેજવીએ લખેલું,
વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરણું ઊખડી જાય તો કહેજે મને,
જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કહેજે મને.

થાક એ જીવનનો ભાગ છે, પડાવ છે. આપણે જે રસ્તે ચાલી રહ્યા છીએ, ત્યાં અગાઉ કોણ ચાલી ગયું, કેવા મુકામ હાંસલ કર્યા, એ જોઈને આપણી મુસાફરી નક્કી કરતા હોઈએ છીએ. ક્રિકેટ રમનાર વ્યક્તિ સચિન, ધોની, કોહલી જેવા બનવાની આશા રાખે. ગાયક બનવા ઇચ્છતા માણસો લતા, કિશોર, રફી, અરિજિત જેવા સિંગર બનવાનું ધ્યેય, એક્ટર બનવા ઇચ્છતી વ્યક્તિ અમિતાભ, શાહરૂખ, સલમાન બનવાની હામ રાખે. પણ એ સમજવું જરૂરી છે કે આપણે જેમને ધ્યેય બનાવીએ છીએ, તે બધાના જીવનના પ્રશ્નપત્રમાં પૂછાયેલા પ્રશ્નો અલગ હતા, તમારા અલગ. પરીક્ષા કોઈ પણ હોય, પ્રશ્નો સમજવા જરૂરી છે. ક્ષેત્ર ભલે એક હોય, ભલે એકસરખું કાર્ય હોય, છતાં તમારા પ્રશ્નો એ બીજાના પ્રશ્નો કરતાં હંમેશાં અલગ હોવાના, તમારા પ્રશ્નો માત્ર તમારા જ હોવાના. તેને સમજવા પડશે, તો જ સરખો જવાબ આપી શકાશે.

આપણી પ્રિય વ્યક્તિથી અલગ થઈ જઈએ ત્યારે સ્વાભાવિક છે તેની યાદોની અલાયદી ગલીઓમાં મન આપોઆપ ફરવા જતું રહે છે. હૃદય રાતદાડો છલકાતું રહે છે તેનાં સ્મરળનાં ઊછળતાં મોજાંથી. મિલનની આશા મુખ પર એક મીઠું સ્મિત પણ લઈ આવે છે. પરંતુ ક્યારેક ક્યાંક આછી તિરાડમાંથી ચુપાચાપ અભાવ અને ઉદાસી પણ પ્રવેશી જતા હોય છે. જેની આપણને પોતાને પણ ખબર નથી રહેતી હોતી. કદાચ, પ્રિય વ્યક્તિથી દૂર રહેનાર વ્યક્તિની આ જ નિયતિ હશે. અને નિયતિનાં નાણાથી જ તો જીવન પોતાનું મૂલ્ય આંકતું હોય છે. સંજોગોના સિક્કા ઊછળતા હોય છે. શું સુખ, શું દુઃખ, શું સ્વજન, શું દુર્જન, પોતાનું-પરાયું, સફળતા-નિષ્ફળતા, સંબંધ-નિર્બંધ, ઉત્સવ-શોક આ બધું સમજીએ ત્યાં સુધીમાં જીવનનું વટવૃક્ષ પાનખરથી ઘેરાઈ ગયું હોય છે. આપણા વૃક્ષત્વ પર આવી બેસેલા પંખીઓ, ટહુકાઓ, ફૂલ, ફળને સમજીએ ત્યાં સુધી ડાળીઓ જીર્ણ થવા લાગે છે, મૂળ મજબૂતાઈ ગુમાવવા લાગે છે. કદાચ આ જ જીવન છે, જેને દરરોજ શીખવું પડે છે.

લોગઆઉટઃ

સત્ય પીરસો છો ત્યારે ધ્યાન રહે,
સામાએ તે પચાવવાનું છે.
કોને છોડે છે દુઃખ કદી ‘હેમંત’?
દુઃખને તારે જ છોડવાનું છે.
– હેમંત પૂણેકર

અંધકારના અંગ ઉપર દે તેજ-થીગડું સીવી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

નાનકડી ઓ દીવી
અંધકારના અંગ ઉપર દે તેજ-થીગડું સીવી

ના માગું કે રાત મહીંથી પળમાં કરી દે દિન
કે રેલાવી દે શીતળ ચાંદની રાત બનાવ રંગીન
હું તો એટલું જ કહું છું બાપુ સવાર સુધી જા જીવી
નાનકડી ઓ દીવી

છો ને ઊછળે વિશ્વ આવરી તિમિર તણા આ લોઢ
તારી તેજ આંગળીએ વળગી દેખીશ જરૂર પરોઢ
શ્રદ્ધાની અંજલિએ મારે વસમી વેદનાઓ પીવી
નાનકડી ઓ દીવી

- જયંત પલાણ

ભારતીય ભાષાના ગૌરવસમા કવિ રવીન્દ્રનાથ ટાગોરનું એક સુંદર કાવ્ય છે. તેનો ભાવાર્થ કંઈક એવો છે કે- સાંજનો સમય છે, સૂર્ય આથમી રહ્યો છે. આથમતી વેળાએ ચિંતિત નજરે તે ધરતીને પૂછે છે કે મારા આથમ્યા પછી ધરતીને કોણ પ્રકાશ આપશે? કોણ મારી ગેરહાજરીમાં કર્તવ્ય નિભાવશે અવનિને અજવાળવાનું? આ પ્રશ્ન સાંભળીને સૌ સ્તબ્ધ થઈ જાય છે, બધાનાં મોં કાળાં પડી જાય છે. એવે વખતે ક્યાંક ખૂણામાં પડેલું એક નાનકડું કોડિયું બોલી ઊઠે છે, હે પ્રભુ, મારી એટલી બધી ત્રેવડ નથી કે જગત આખાને રોશન કરી શકું, પણ હું જ્યાં છું તે ખૂણાને અજવાળવા માટે મારાથી થાય તે બધું કરી છૂટીશ.

આપણી ચેતના પણ એક દીવા જેવી છે. ભલે જગતને ના અજવાળી શકીએ, જ્યાં છીએ તે એક ખૂણાને રોશન કરી શકીએ તોય આપણા હોવાનું સાર્થક થાય. રાજેન્દ્ર શુક્લએ લખ્યું છે,
“એક ને એક જ સ્થળે મળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે,
પિંડ ક્યાં પેટાવવા પડીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે!”

જયંત પલાણે એક નાનકડી દીવીનું દર્શન કરાવીને આપણી સામે કેટલી બધી શક્યતાઓ અજવાળી આપી છે. એક નાની દીવી પ્રગટે ત્યારે ગમે એટલો ગાઢ અંધકાર કેમ ન હોય, તેને પરાસ્ત કરે છે. એક નાનકડી હથોડી પણ મહાકાય પર્વતને તોડી નાખવા સક્ષમ હોય છે. નાનકડી દીવડી જાણે છે કે પ્રકાશ ગમે તેટલો વિશાળ આકારથી નહીં, સાહસથી પ્રગટે છે. આપણા અસ્તિત્વનું કોડિયું કપરા સંજોગો સામે સાહસપૂર્વક બળે છે, ત્યારે આપોઆપ અજવાળું પ્રગટે છે.

જીવનમાં કોડિયા જેવો એક સારો મિત્ર હોય તો જિંદગીભર અજવાળાની કમી નથી વરતાતી. પણ આપણે હંમેશાં એવું ઇચ્છીએ છીએ કે કોઈક આપણા માટે બળે, કોઈ બીજું કોડિયું થઈને આપણને રોશન કરતું રહે. જેના સહારે આપણે ગાઢ અંધકારને હરાવતા રહીએ, પણ ક્યારેય એવું નથી વિચારતા કે આપણે કોઈકના માટે કોડિયું થઈ શકીએ. કેમ કે તેમ કરવામાં બળવાની તૈયારી રાખવી પડે છે, જે નથી હોતી. આપણી ઝંખના અજવાળા પૂરતી સીમિત હોય છે. પ્રકાશ જોઈએ છે, પણ બળવું નથી. કોક આપણને રોશન કરે તેવી કામના સાથે અંધારા ખૂણામાં બેસી રહીએ છીએ. આમ કરવા પાછળનું એક કારણ એ છે કે આપણામાંથી અજવાળું લઈ લીધા પછી નકામા કોડિયાની જેમ ફેંકી દેનારા માણસો આસપાસમાં ઓછા નથી. કોડિયું થવામાં બળવાની તૈયારી તો રાખવી પડે છે, પરંતુ તેલ પત્યા પછી, વાટ બળી ગયા પછી, ફેંકાવાની તૈયારી પણ રાખવી પડે છે.

દીવાળી આપણને શીખવે છે કે દુઃખોને ફટાકડાની જેમ ફોડી નાખો, દર્દનો ધુમાડો કરી નાખો. અને જિંદગીને મિઠાઈને જેમ વહેંચો. એક દીવડા જેવા બનો, કેમ કે તેનો પ્રકાશ ક્યારેક નથી જોતો સારું નરસું, ઊંચું-નીચું, મારું તારું. દીવાને તમે ઉકરડા પર પ્રગટાવો કે સોનાના મહેલમાં — અજવાળું જ આપવાનો છે. જગ્યા જોઈને પ્રગટે તે દીવો નહીં, દીવાનો ભ્રમ હોય છે. અંધકાર ગમે તેટલી તાકાત બતાવે, પણ એક દીવા સામે તે હંમેશાં લાચાર હોય છે.

લોગઆઉટઃ

અંધકારની વેલ પર
ખીલે છે એક કળી
તે કળી પ્રકાશની.
– દુર્ગાચરણ પરિડા | અનુ. ભોળાભાઈ પટેલ

મેં જાણ્યું હોત કે પ્રેમ આટલો જંગલી છે તો…

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

જો મેં જાણ્યું હોત કે
પ્રેમ આટલો જંગલી છે
તો મેં પ્રેમના મકાનના દરવાજા
બંધ કરી દીધા હોત !
પીટીને, બરાડ્યો હોત ‘દૂર રહેજો !’
પણ હું મકાનમાં છું… અસહાય…

- રૂમી (અનુવાદઃ સુરેશ દલાલ)

પ્રેમ અગ્નિકુંડમાં ઊગેલા ફૂલ જેવો છે, તેમાંથી તમને મહેક તો મળશે, પણ તેને પામવામાં દાઝવાની તૈયારી રાખવી પડશે. રુમીની ઉપરોક્ત કાવ્યપંક્તિઓ વાંચીને તરત મીરાં યાદ આવે-
जो मैं ऐसा जानती, प्रीत करे दुख होय,
नगर ढिंढोरा पीटती, प्रीत ना करिये कोई।

આ જ મીરાંએ એમ પણ લખેલું, “પ્રેમની પ્રેમની પ્રેમની રે, મુને વાગી કટારી પ્રેમની રે…” પ્રેમ મીઠી છરી જેવો હોય છે, તે હૃદયની આરપાર ઊતરી જાય તો પુષ્કળ પીડા થાય છે, પરંતુ એ પીડાના ઊંડાણમાં ક્યાંક કોઈ મીઠું દર્દ પણ હોય છે. દર્દમાં રહેલી એ મીઠાશ જ વારંવાર પ્રેમ તરફ ખેંચે છે. ફૂલમાંથી મધુરસ ગ્રહણ કરનાર ભમરાને ખબર છે કે પુષ્પ બડાઈ જશે, તો હું અંદર કેદ થઈ જઈશ. પરંતુ તે મધુરસને નથી છોડી શકતો. કમળમાં કેદ થઈ ગયેલા ભમરો કમળની પાંદડી તોડીને બહાર નથી આવતો, તે એમાં જ પ્રાણ ત્યાગે છે. પ્રેમ જીવ સાથે જડાઈ ગયેલું તત્ત્વ છે.

માણસો પ્રેમ કરે છે, ત્યારે માત્ર કોઈ વ્યક્તિને નહીં, એક વિચારને પ્રેમ કરે છે. એવી કલ્પનાને, જે કલ્પના તેમણે પોતાની ભીતર ઊછેરી હોય છે. અને સામેના પાત્રમાં એ કલ્પનાને સાકાર થતી જુએ છે. પ્રેમમાં મોટું દુઃખ વ્યક્તિ બદલાઈ જાય તેનું નથી હોતું, પણ એનું હોય છે કે આપણી કલ્પના ભાંગી પડી. આપણી શ્રદ્ધા એળે ગઈ. શ્રદ્ધાનું મરવું એ કોઈ પ્રિયજનના મૃત્યુ કરતાં પણ વિશેષ દુઃખદ હોય છે. પ્રણયનો માર્ગ કાંટાળો છે. ડગલે ને પગલે દુઃખ છે. સંઘર્ષ છે, વ્યથા છે, છતાં તેનાથી બચવું સંભવ નથી. જેમ રાત્રીના અંધકારમાં અજવાસને જોઈને પતંગું જ્યોતને સ્પર્શવા લલચાય છે, તેમાં જ બળીને પ્રાણ ત્યાગે છે, છતાં તેના તરફ આકર્ષાય છે, તેમ આપણે માનવીઓ પણ, દાઝવાની સંભાવનાથી પૂરા પરિચિત હોવા છતાં, પ્રેમના પ્રકાશ તરફ આકર્ષાયા કરીએ છીએ.

ઘણા લોકો કહે છે કે પ્રેમમાં પડવું મૂર્ખતા છે. પરંતુ એ મૂર્ખતા જ આપણને ખરા મનુષ્ય બનાવે છે. પ્રેમમાં રહેલી પીડા જ આપણને અંદરથી જાગૃત કરે છે. પ્રેમની આગથી શેકાઈને જ આપણે વધારે પક્વ થતા હોઈએ છીએ. પ્રેમ કુંભારના હાથ જેવો હોય છે, જે તમને વારંવાર ટપલીઓ મારીને આકાર આપે છે, ઘાટ આપે છે. તમે તમારા અસ્તિત્વના પીંડને એક આકારમાં ઢાળી શકો છો — જેમ કુંભાર માટલાને. પછી એ આકારમાં તમારા અંદરનું અમૃત એકઠું થાય છે.

પ્રેમમાં હુંપણાને સ્થાન નથી. ત્યાં હું અને તું, તારું અને મારું — ન હોઈ શકે. ત્યાં બે વ્યક્તિ સંભવ જ નથી. ત્યાં એટલી જગા જ નથી બે વ્યક્તિ સમાઈ શકે. એક વાર કૃષ્ણએ રાધાને હળવા મજાકમાં પૂછ્યું, હું તારા જીવનમાં ક્યાં છું? રાધાએ કહ્યું, “તમે તો મારા રોમેરોમમાં છો.” કૃષ્ણએ ફરી પૂછ્યું, “તો ક્યાં નથી?” રાધાએ કહ્યું, “મારા નસીબમાં.” પછી રાધાએ પૂછ્યું, “કૃષ્ણ તમે પ્રેમ મને કર્યો, પણ લગ્ન તો રુક્મણિ સાથે કર્યા, આવું કેમ?” ત્યારે કૃષ્ણએ જવાબ આપ્યો, “રાધા, લગ્ન માટે બે વ્યક્તિની જરૂર પડે. અને આપણે તો એક જ છીએ.”

લોગઆઉટઃ

પ્રેયસીના દ્વાર પર પ્રેમીએ ટકોરા કર્યા,
અંદરથી અવાજ આવ્યો, કોણ?
દરવાજાની બહાર ઊભી રહેલી વ્યક્તિ બોલી, ‘હું છું’
અંદરથી અવાજ આવ્યો,
‘આ ઘર હું અને તું, બંનેને સાચવી શકે તેમ નથી.’
બંધ દરવાજો બંધ જ રહ્યો.
પ્રેમી આખરે થાકીને જંગલ તરફ ચાલ્યો ગયો.
ત્યાં જઈને તેણે પ્રેમીને પામવા ખૂબ તપ કર્યું, પ્રાથનાઓ કરી, ઉપવાસ કર્યા.
અનેક દિવસો પછી એ પાછો ફર્યો
ફરીથી તેણે પ્રેમીકાનું દ્વાર ખખડાવ્યું.
ફરીથી એ જ પ્રશ્ન, ‘કોણ છો?’
પ્રેમીએ જવાબ આપ્યો, ‘તું’
અને તરત જ દરવાજો ખૂલી ગયો.

- રુમી

ઝળુંબે સૂર્ય, દેશી નળિયે ને રેલાય ચાંદરડું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ઝળુંબે સૂર્ય, દેશી નળિયે 'ને રેલાય ચાંદરડું,
અહો..! આ ખોરડેથી ઓરડે ઝિલાય ચાંદરડું!

કદી સીધું પડે, ત્રાસું પડે, શૈશવથી શું પકડાય?
હથેળી જ્યાં ઝીલે, મુઠ્ઠીમાં ભાગી જાય ચાંદરડું!

ખૂણે અંધારિયે આ કોણ બેઠું છે, ખૂણો પાળી?
'ઉતારે સોગ!' એવી લાલચે લલચાય ચાંદરડું!

જુઓ જ્યાં ત્યાં થયાં છે ફલેટ, ધાબાબંધ આવાસો,
ખપેડો કે ના નેવા-મોભ! શું દેખાય, ચાંદરડું?

'સિકંદર' ત્યાં..ભલે ઘર નાનું પણ જલસો હશે મોટો!
કે રે' અફળાતું, દી' આખો, છે ઠેબા ખાય ચાંદરડું!

- સિકંદર મુલતાની

ફ્રીજ આવતા માટલાં ગયાં. માટલાંની સાથે વપરાતી બીજી કેટલીયે ચીજો પણ ગઈ. આખું પાણિયારું જ ગાયબ થઈ ગયું. તેની સાથે બુઝારું, દેગડું, ઘડો, હેલ, માણ, મટકી, ગોળી, હાંડો, હાંડી, જેવા અનેક શબ્દો પણ અદ્રશ્ય થવા માંડ્યા. કવિ રાજેશ મિસ્કીને તો આવી ભુલાતી ચીજોને ગઝલમાં ખૂબ માર્મિક રીતે વ્યક્ત કરી છે.
ક્યાં ગયા ચકચકતાં બેડાં પાણિયારાં ક્યાં ગયાં?
ફ્રીઝવાસીઓ! તરસના એ સહારા ક્યાં ગયાં?
વીજળી ન્હોતી ઘરેઘર માણસાઇના દીવા,
કોળિયાં બળતાં હતાં જે એકધારાં ક્યાં ગયા?

‘ચાંદરણું‘ પણ આવો જ, ભુલાતો જતો શબ્દ છે. ધાબાવાળાં ઘર બનવા લાગ્યાં તો નળિયામાંથી તડકાનું કિરણ ઘરમાં પડતું અને નાની બંગડી જેવા આકારનું પ્રકાશનું વર્તુળ રચાતું, એ વર્તુળ, તકકાની લાકડી જેવું લાગતું. આ તડકીલું ટપકું એ જ ચાંદરણું. અંદરના આછા અંધારામાં દિવસના સમયે છતમાં પડેલા કાણામાંથી ઘરમાં પડતો તડકો અનોખું સૌંદર્ય રચતો. કદાચ એની સુંદરતાને લીધે જ તેને ચાંદરણા જેવો સરસ શબ્દ મળ્યો છે.

કવિ સિકંદર મુલતાનીએ પોતાની ગઝલમાં વિસરાઈ ગયેલા ચાંદરણાને ફરી જીવંત કર્યું છે. ગામનાં કાચાં મકાનો, છત પર લાંબા વાંસ, ને ઉપર દેશી નળિયાં. એ દેશી નળિયાં પર સૂર્ય ઝળુંબે ત્યારે છતની કોઈ તિરાડમાંથી ઘરમાં પડતું કિરણ — જાણે સૂરજ ઘરમાં ઢોળાઈ રહ્યો હોય એવું લાગે, જાણે કાણામાંથી તડકાની ધાર થતી હોય, સૂરજ ઢોળાઈ રહ્યો હોય. સૂરજની દિશા મુજબ એ ચાંદરણું પણ સ્થાન બદલતું રહે. સવારે ત્રાંસુ લાગતું ચાંદરણું બપોરે ઊભું થઈ જતું, સાંજે વળી જુદી દિશામાં પહોંચી જતું. ઘણા અનુભવી વૃદ્ધો તો આ ચાંદરણાનું સ્થાન જોઈને સમય પણ કહી દેતા કે કેટલા વાગ્યા હશે. ઝાડનાં પર્ણો વચ્ચેથી ચળાઈને આવતો તડકો ઝાડ નીચે ચાંદરણાની સુંદર ચાદર રચતો. બાળકો તો ખોબો ધરીને તેને ઝીલવા પ્રયત્ન કરતા. ચાંદરણાના સ્થાને બિલોરી કાચ મૂકી અગ્નિ ઉત્પન્ન કરવા મથતાં. પછી કશુંક મોટો વૈજ્ઞાનિક પ્રયોગ કર્યાનો ગર્વ પણ લેતા. હવે ચાંદરણા સાથેની બાળસહજ રમતો જતી રહી, કેમકે ચાંદરણાં જ નથી રહ્યાં.

વિધવા થયેલી સ્ત્રી સોગ પાળતી, નિરંતર ઘરમાં એક ખૂણામાં એકલા રહેવાનું થતું, ત્યારે ચાંદરણું તેનો મૂક સાથી બનતું. તે વખતે તે માત્ર ઘરને જ નહીં, તેની ઓકલતાને પણ અજવાળું પૂરું પાડતું.

ધાબાવાળા ધર બનતાની સાથે મોભ, મોભારો, ટોડલા પણ ગયા. મોભ પરથી જ મોભી શબ્દ બન્યો. ઘરની ડિઝાઈન બદલાતા મોભ શબ્દનું મોભીપણું પણ ઓસર્યું. હવે વિવિધ ફ્લેટના લીધે ઘરની કેટલીક દેશી નામાવલીનું સૌંદર્ય હતું તે સૌંદર્ય હવે અદ્રશ્ય થઈ ગયું. હવે તો ધીમે ધીમે ઓસરી, ઊંબરો, આંગણું જેવા શબ્દોનો ઉપયોગ પણ ઘટવા માંડ્યો છે. કદાચ આ સમયની જરૂરિયાત હશે. કશું સ્થાયી નથી, સિવાય પરિવર્તન.

કવિ સિકંદર મુલતાનીએ ‘ચાંદરણા‘ની ગઝલ રચીને તેની સાથે જોડાયેલાં કેટલાંક મર્મસ્થાનો તરફ અંગુલિનિર્દેશ કર્યો છે.

કવિ લાભશંર ઠાકરે ‘ચાંદરણું’ શીર્ષકથી જ એક સુંદર કવિતા લખી છે, જેમાં ઑફિસમાં કામ કરતા અચાનક ટેબલ પર ચાંદરણું પડે છે, અને એ ચાંદરણું જૂની સ્મરણગલીમાં લઈ જાય છે. અનેક યાદો તાજી થાય છે. એ કાવ્યથી વિરમીએ.

લોગઆઉટઃ

હું વ્યસ્ત હ્યાં ટેબલ પે કચેરીમાં
ત્યાં
આવી પડ્યું ચાંદરણું રૂપેરી.
મૂગું મૂગું એ હસીને મને ક્યાં
તેડી ગયું દૂર? - પ્રદોષવેળા
ઝૂકેલ શો ઘેઘૂર આંબલો, ને
વહી જતી પાછળ રમ્યઘોષા
નદી; ભરીને જલ-કેશ ભીના
કપોલની શી સુરખી ભીની ભીની! –
જતી હતી તું; નીરખી મને ને
અટકી જરા; ચાંદરણું રૂપેરી
ગર્યું નીચે ઘેઘૂર વૃક્ષમાંથી
ભીના ભીના રક્તકપોલની પરે...
આજે હશે ક્યાં અહ કેવી
જાણું ના...
જો ક્યાંકથી આ કવિતા કદીયે
વાંચે ભલા તો લઈ તું જજે હવે
(નદીતટે વૃક્ષ નીચે ઊભેલા
કુમારને જે દીધ તેં) રૂપેરી
ભીનું ભીનું ચાંદરણું.....

- લાભશંકર ઠાકર

ટહુકાનું એક નામ સખીરી ગરબો ગરબો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ટહુકાનું એક નામ સખીરી ગરબો ગરબો
કરવા જેવું કામ સખીરી ગરબો ગરબો

પરોઢિયાનું સરનામું છે ચહેરા ઉપર
મધરાતે મુકામ સખીરી ગરબો ગરબો

જીવવાનું છે જેમાં પળપળ ઝળહળ ઝળહળ
સૂરજનું એક ગામ સખીરી ગરબો ગરબો

ત્રણ તાળીના લયમાં જડ ને ચેતન ધબકે
ધબકારાનું ધામ સખીરી ગરબો ગરબો

મૈયાની મમતાનો મીઠો રસ છલકાતો
પીવા જેવું જામ સખીરી ગરબો ગરબો

– રિષભ મહેતા

ગરબો ગુજરાતી સંસ્કૃતિની ગરિમા છે. તે વિશ્વભરતમાં ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ જ નથી કરતો, ઓળખ પણ આપે છે. ‘ગરબો’ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’માંથી વ્યુત્પત્તિ પામ્યો છે. ગર્ભ અર્થાત્ કોખ, જીવનનો સ્રોત. દીપ એટલે દીવડો. માટલાના ગર્ભમાં દીવડો મૂકવામાં આવે છે, એ માટલાને નાના કાણા કરેલા હોય છે, જેમાંથી ચોમેર અજવાળું પથરાય છે. એ અજવાળાનો અર્થ છે અંધકાર પર પ્રકાશનો વિજય. માતાજીએ નવ નવ દિવસ આસુરી શક્તિ સામે લડીને વિજય મેળવ્યો એ સંદર્ભ પણ ખરો. એટલા માટે જ તો નવ નવ રાત સુધી આ તહેવારને ઉજવવામાં આવે છે. આ વિજયનો મહોત્સવ છે. આ મહોત્સવને કવિઓએ વિવિધ સ્વરૂપે ગાયો છે, જે સાહિત્યની ભાષામાં ગરબો કે ગરબી થઈને પ્રગટ્યો. વલ્લભ મેવાડા, દયારામ વગેરેએ માતાજીની સ્તૂતિને ભક્તિમય થઈને ગાઈ તે ગરબામાં પરિણમી. ગરબો બીજી કવિતાની જેમ માત્ર કાગળ પર છપાવા માટે નથી રચાતો, તેના સર્જનનો ખરો યથાર્થ એમાં જ છે, જ્યારે તે ગવાય, લોકો તેના તાલે ઝૂમે.

અશરફ ડબાવાલા જેવા સક્ષમ કવિએ તો ગઝલ અને ગરબીને એકરૂપ કરી ગઝલગરબીનો સફળ પ્રયોગ કર્યો છે. અહીં રિષભ મહેતાએ ગરબાને ગઝલના ચોકમાં મૂક્યો છે.

ગરબો એક રીતે આધ્યાત્મિકતા અને ધાર્મિકતાનો પડઘો પણ છે. અને એ પડઘો માત્ર શબ્દો સુધી સીમિત નથી રહેતો, નૃત્યથી પણ વ્યક્ત થાય છે. કેમ કે તેમાં શ્રદ્ધા છે અને શક્તિ પણ. પૂજા છે અને પ્રાર્થના પણ. સ્તુતિ છે અને સ્તવન પણ. તેમાં આલાપ છે અને ઉલ્લાસ પણ.

સમય બદલાયો છે, હવે ગરબાઓ પોતાનું રૂપ-સ્વરૂપ બદલી રહ્યા છે. આજકાલ નવરાત્રી નૃત્યોત્સવ બની ગયો છે. અને માતાજીની સ્તુતિમાં થતા ગરબાનું સ્થાન ફિલ્મીગીતોએ લઈ લીધું છે. હવે નવરાત્રીનો અર્થ પૂજા-આરાધના નથી રહ્યો. ભક્તિ કે આરતી પણ નહીંં. કોઈક જવાનિયાને તમે પૂછશો કે નવરાત્રી એટલે શું તરત કૂદકો મારીને કહેશે કે ગરબા. તેમને મન દાંડિયા ઉછાળીને નાચવાનો અર્થ છે — નવરાત્રી. પણ નવરાત્રી માત્ર ગીતોના તાલે થતો નાચ નથી. તેમાં ભક્તિનું નૃત્યમય સાચ બિરાજે છે.

રિષભ મહેતાએ પ્રિય પાત્રને ઉદ્દેશીને ગરબાને ગાયો છે, એ પણ ગઝલના સ્વરૂપમાં. તેમની ગઝલમાં આવતો ગરબો શબ્દ માત્ર આરાધના કે નૃત્ય પૂરતો સીમિત નથી રહેતો. તે સખીને આહ્વાન આપે છે. આહ્વાનમાં પરોઢિયાનો ઉલ્લાસ છે અને મધરાતના ગરબાનું ગૂંજન પણ. ગરબામાંથી પ્રગટ થતા સૂર્યકિરણ જેવા ઊર્જાવાન પ્રકાશની ઝળહળ છે, અને એ ઝળહળમાં શોભી ઊઠતા માનવહૃદય પણ. ગરબામાં રમાતી ત્રણ તાલીમાં જડ અને ચેતન સુધ્ધા ધબકી ઊઠે છે. એ ધબકારાના તાલમાંથી જે રસ છલકે છે, એ રસમાં અનન્ય આનંદ છે — નૃત્ય, ભક્તિ, પ્રેમ, અને પવિત્રતાનો આનંદ.

નવરાત્રીમાં થતા ગરબા માત્ર ઉછાંછળા કૂદકા ન રહેતા સાધના બને તો નૃત્ય પણ પ્રાર્થના બની જાય. અશરફ ડબાવાલાની એક પ્રયોગશીલ ગઝલગરબીથી વિરમીએ.

લોગઆઉટઃ

માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે!
માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે!

લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે!

મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે!

પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે!

રહે જાતરા અધૂરીને ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે!

મારે પીડાની મા કેવી હાજરાહજૂર!
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે!

જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે!

– અશરફ ડબાવાલા

આ શ્વાસના કણેકણે તરત મને મળી જજે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

સ્મરું તને હું જે ક્ષણે તરત મને મળી જજે,
આ શ્વાસના કણેકણે તરત મને મળી જજે.

તું ફ્ક્ત તારા તારણે તરત મને મળી જજે,
ન અન્ય કોઈ કારણે તરત મને મળી જજે.

વિરાટ વિશ્વના ફલક ઉપર ભલે ભમ્યા કરે,
આ બારણે, આ પાંપણે તરત મને મળી જજે.

નિરંતરા નિબિડ અરણ્યમાં તો હું ભૂલો પડું,
આ ફૂલ, છોડ આંગણે તરત મને મળી જજે.

સજા હું આકરી કરું તને કે તું મને કરે,
ખરા અણીના ટાંકણે તરત મને મળી જજે.

~ પંચમ શુક્લ

મનુષ્યજીવન એક યાત્રા છે, જન્મથી લઈને મૃત્યુ સુધીની યાત્રા, અને કદાચ એનાથી પણ આગળની. આ યાત્રા દરમિયાન તે અસંખ્ય લોકોને મળે છે, અસંખ્ય અનુભવો મેળવે છે. પરંતુ જો ખૂબ ઊંડાણથી જોઈએ તો દરેકની એવી ઇચ્છા હોય છે કોઈક તેને અકારણ મળે, કોઈ સ્વાર્થ, નફો-નુકસાનની તમા રાખ્યા વિના મળે. ન કોઈ લાભાર્થે ન તો ફરજરૂપે, કેવળ મિલન, શુદ્ધ મિલન. આવું મિલન જ સોટચના સોના જેવું હોય છે અને તેનું મૂલ્ય સોના કરતા પણ વિશેષ, કેમ કે તે અમૂલ્ય હોય છે.

પરંતુ આજના સમયની મોટી પળોજણ હોય તો એ કે આપણે દરેક સંબંધને તર્કના ટાંકણાથી કોતરીએ છીએ, દરેક મિલનને કારણના બિલોરી કાચથી જોઈએ છીએ. મિત્રતા ફાયદો-ગેરફાયદો જોઈને કરવામાં આવે છે, લગ્ન આર્થિક સધ્ધરતા જોઈને, પ્રેમ ઉપકારભાવથી, અને ભક્તિ પણ માગણી, અપેક્ષા અને અધૂરી ઇચ્છા માટે કરીએ છીએ. પરંતુ ખરું મિલન તો એ છે જેમાં કોઈ કારણ ન હોય, માત્ર ઉપસ્થિતિ જ પર્યાપ્ત હોય. જેમ શ્વાચ્છોશ્વાસમાં વહેતું એક અદૃશ્ય સંગીત, તેના સૂર કોઈ વાદ્યમાંથી નહીં પરંતુ સ્વયં જીવાયેલા જીવનમાંથી ફૂટે છે. આવી પળે મળનાર અને પ્રતીક્ષા કરનાર એકરૂપ થઈ જાય છે. જેમ મીરાં કૃષ્ણમાં ભળી ગઈ, જેમ નરસિંહ કૃષ્ણમિલનમાં રાસ જોતા જોતા હાથ સળગી ઊઠ્યો છતાં લીન રહ્યો! આવી એકરૂપતા જ મિલનનું શિખર હોય છે!

કવિ પંચમ શુક્લએ પોતાની કવિતામાં મિલનનો માળો ગૂંથ્યો છે. એ માળામાં જે ટહુકા સંભળાય છે, તે ટહુકાને કોઈ કારણના ટેકાની જરૂર નથી. કેમકે તેમને પરિણામની ઝંખના નથી. કારણ વિના થતા મિલનથી શ્રેષ્ઠ મિલન કોઈ ન હોઈ શકે.

માણસ વિચારે છે કે તેણે મહાન અને વિરાટ અનુભવોની વાટ પકડીને શિખર પર પહોંચવું જોઈએ. દુનિયામાં સર્વોચ્ચ શિખરે પહોંચીને પોતાના સત્યને આત્મસાત કરવું જોઈએ. પરંતુ સત્ય ત્યાં જ ઊભું હોય છે, જ્યાંથી યાત્રાની શરૂઆત થઈ હોય. પાલો કોએલોની સુંદર નવલકથા છે - અલ્કેમિસ્ટ. તેની મૂળ કથા પણ એ જ, જેની શોધ માટે આખી જિંદગી રઝળ્યા એ તો ત્યાં જ હતું જ્યાંથી શોધ શરૂ કરી. મનોજ ખંડેરિયાએ પણ લખ્યું છે
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને!

અમુક મિલન એવાં જ હોય છે. આપણે જેને મળવા માટે જીવનભર ટળવળતા હોઈએ છીએ, તે આપણી સાથે જ હોય છે. માત્ર આપણને તેની પ્રતિતિ નથી થઈ હોતી, આપણને ખબર નથી હોતી.

કવિ પંચમ શુક્લ શ્વાસના પ્રત્યેક કણે પ્રિયતમને આહ્વાન આપે છે. આ આકર્ષણ દેહનું નથી, હૃદયનું છે. આ એ જ ઝંખના છે જે મીરાંબાઈમાં હતી, ‘પાયો જી મૈને રામ રતન ધન પાયો‘ પ્રેમ કે ભક્તિનું સૌથી શુદ્ધ રૂપ જ એ છે જેમાં કશો સ્વાર્થ ન હોય. મિલન કેવળ મિલન માટે જ હોય. અને આ મિલન માત્ર કોઈ પ્રિય વ્યક્તિની ઝંખના પૂરતું સીમિત નથી, તે પ્રભુને ઉદ્દેશીને પણ છે.

પંચમ શુક્લની કવિતા વાંચીને દરેકને પોતાના હૃદયમાં પાંગરતી મિલનની કૂંપળ ખીલતી દેખાશે. એ કૂંપળની સુગંધ દરેકની પોતાની હશે. મિલનની ઝંખના પણ પોતાની.

પ્રિય પાત્રના મિલન વિશે નિરંજન ભગતે લખેલી કવિતા વાંચવા જેવી છે.

લોગઆઉટઃ

વર્ષોથી આપણે ન મળ્યા, ન કશું કર્યું,
વર્ષોથી આપણે તો માત્ર મૌન જ ધર્યું.
મળ્યાં ત્યારે કેવું મળ્યાં,
વચ્ચે કાળ જાણે થંભ્યો હોય એવું મળ્યાં.
બોલ્યાં ત્યારે કેવું બોલ્યાં,
ક્ષણેકમાં પરસ્પરનાં હ્રદય ખોલ્યાં,
વિરહમાં કેટલું સુખ હોય તે આજે માણ્યું,
મૌન કેવું મુખર હોય તે આજે જાણ્યું.

– નિરંજન ભગત

બોમ્બ વાવવાથી કબર ઊગે છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ઢળતી સાંજે
એક કાશ્મીરી બાળક
ખાલી પેટે
ગયું દોડતું મા પાસે
લઈ હાથમાં લીલી ગ્રેનેડ
હરખે પૂછ્યું
“મા, મા, આ ફળ વાવું તો શું ઊગે?”
અશ્રુભીની આંખે
બાળકના માથે હાથ ફેરવતા
ચીંધી આંગળી
પતિની કબર તરફ !

~ નિલેશ રાણા

અણુબોમ્બના પરિક્ષણ પછી તેના સંશોધક ઓપનહાઇમરે ભગવદગીતાના શબ્દો ઉચ્ચારીને કહ્યું હતું, “હવે હું મૃત્યુ બન્યો છું, જગતનો સંહારક.” અને આ સંહારલીલાનો અનુભવ દુનિયાએ પ્રત્યક્ષ જોયો, બીજા વિશ્વયુદ્ધ વખતે, હિરોશીમા અને નાગાશાકી પર ફેંકાયેલા બોમ્બ દ્વારા. તેની વિનાશક અસરમાંથી આજની તારીખ સુધી જાપાન સંપૂર્ણપણે બહાર આવી શક્યું નથી. બોમ્બની શોધની સાથે જ આપણે વિનાશ તરફની ગતિ શરૂ કરી દીધી હતી. કવિ નિલેશ રાણાએ બાળક અને બોમ્બને સાથે જોડીને યુદ્ધની ભયાનકતાને ખૂબ માર્મિક રીતે વ્યક્ત કરી છે. આ કવિતામાં બાળસહજ વિસ્મય છે અને વિનાશનો ચિત્કાર પણ. બાલિશતા છે અને બર્બરતા પણ.

કવિએ એક કાશ્મીરી બાળકની વાત કરી છે. બાળક ગ્રેનેડ લઈને માતા પાસે જાય છે, અહીં ‘લીલી ગ્રેનેડ’ શબ્દ પર અન્ડરલાઇન કરવા જેવી છે, ગ્રેનેડ લીલી છે, અર્થાત જીવંત છે, તે કોઈ પણ ક્ષણે ફૂટી શકે છે. વળી ગ્રેનેડનો આકાર પણ કોઈ ફળ જેવો હોય છે. બાળક તો વિસ્મય અને જિજ્ઞાસાથી માતાને પૂછે છે કે આ ફળ વાવવાથી શું ઊગે? તેના પ્રશ્નમાં નિર્દોષતા અને બર્બરતા વચ્ચેનો છૂપો પુલ બંધાય છે. માતા બિચારી કશો ઉત્તર આપી શકતી નથી. કેમ કે તે આ ફળથી ઊગતા વિનાશને અનુભવી ચૂકી છે. તે માત્ર આંગળી ચીંધે છે, પતિની કબર તરફ. એ બાળકનો પિતા પણ આવા જ કોઈ બોમ્બનો ભોગ બનેલો. કેવો કરૂણ વિરોધાભાસ.

સંભવ છે કાશ્મીરની કોઈ ઘટના કવિના હૃદયને ધ્રૂજાવી ગઈ હોય, અને તેમણે આ કાવ્ય લખ્યું હોય. પરંતુ આ કવિતા માત્ર કાશ્મીરની નથી. આ તો સમગ્ર માનવજાત સામેનો વેધક પ્રશ્ન છે. આપણાં બાળકો કેવા સમયમાં જીવી રહ્યાં છે? આપણી જિંદગી ટ્રેનના બે પાટા પર ચાલી રહી છે, જેમાંથી એક પર નાવિન્ય છે, આધુનિકતા છે, શોધ અને સંશોધન છે, તો બીજા પાટા પર એ જ નાવિન્યથી ઊભી થતી વિમાસણો છે, આધુનિકતાથી રચાતી અધોગતિ છે. મોબાઇલ, જે આજે સૌથી ઉપયોગી અને હાથવગું સાધન ગણાય છે, એ જ સાધન સૌથી નુકસાનકારક પણ સાબિત થઈ રહ્યું છે. કોઈ પણ શોધની સાઇડ ઇફેક્ટ હોય છે, આપણે તેને અવગણીએ છીએ, અને આ અવગણના જ ક્યારેક વિનાશનું મહાકારણ બને છે.

પરમાણુ શક્તિના વિકાસ માટેની દુનિયાની દોડ પણ છેવટે તો મહાવિનાશ તરફની ગતિ છે. તે ભયને ઉછેરી રહ્યા છે. જેવો બોમ્બનો ઉપયોગ થાય કે તરત ભયના છોડ પર મૃત્યુના ફળ ઊગી નીકળે છે.

ગુજરાતીમાં કહેવત છે — જેવું વાવો તેવું લણો, અન્ન તેવો ઓડકાર. તમે બાવળ વાવીને કેરીની આશા ન રાખી શકો. પરંતુ વિચિત્ર વાત એ છે કે આ સમયમાં આપણે યુદ્ધની વાવણી કરીએ છીએ અને શાંતિનો પાક લણવાની આશા રાખીએ છીએ. વિશ્વના નેતાઓમાં શાંતિદૂત થવાની હોડ છે, અને તે યુદ્ધના માર્ગ પર ચાલીને! આ જ તો વિમાસણ છે આજની.

બાળકના હાથમાં નાની કેરી, સફરજન કે જામફળ જેવાં ફળ શોભે છે, પણ અહીં તો ગ્રેનેડ છે. આ વિરોધાભાસ એ જ આજની દુનિયાનું દર્પણ છે. એ કાશ્મીર હોય કે પેલેસ્ટાઇન, યુક્રેન હોય કે આફ્રિકા, અમેરિકા હોય કે અમદાવાદ, ગાઝા હોય કે દિલ્હી, જ્યાં બોમ્બની વાવણી થાય ત્યાં કબરોનો મોલ ફાલે છે. શાંતિની આશાથી વિનાશી શસ્ત્ર વપરાય ત્યાં શાંતિ નહીં, સન્નાટો ઊગે છે. તેને રક્તની ધારાઓ અને લાશોનું ખાતર પોષણ પૂરું પાડે છે.

1961માં જ્યારે શીતયુદ્ધની ચરમ સીમાએ હતું ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જે.એફ. કેનેડીએ યુનાઇટેડ નેશનના એક ભાષણમાં જે વાત કહી હતી તેની સાથે વિરમીએ.

લોગઆઉટઃ

માનવજાતે યુદ્ધનો અંંત લાવવો પડશે, નહીંતર યુદ્ધ માનવજાતનો અંત લાવશે.
- જે. એફ. કેનેડી