ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
તમે અમારા તિમિર ઘૂંટેલાં નયણાંનો ઝબકાર,
વ્હાલમ, આવોને પળવાર!
તમે અમારા તરસ મઢેલા કંઠ તણો ચિત્કાર,
વ્હાલમ, આવોને પળવાર!
તમે કહો તો પળભર જીવતા ઝાકળ થઈને ગાશું,
તમે કહો તો પગલે પગલે ધૂળ બની પથરાશું;
આવો નહિ તો આપો અમને આવ્યાનો અણસાર,
વ્હાલમ, આવોને પળવાર!
સાંકળ ભેગી છાતી ખખડે, પ્રગટી ઉઠે પ્રાણ,
પછી અજંપો બાથ ભીડીને રોજ થતો મહેમાન;
આંખ્યું અંતે પથ્થર થાશે, અમે થશું પગથાર…
વ્હાલમ, આવોને પળવાર!
– પ્રહલાદ જાની ‘તન્હા’
પ્રતીક્ષા — રાહ જોવી એ પ્રેમમાં મળતી સજા નથી, પણ પ્રેમનો એક રંગ છે. જેના વડે હૃૃદયના કેનવાસ પર રંગોળી કરવાની હોય છે. પ્રતીક્ષા અંતરના ઊંબરે દીવો મૂકવાની ઘટના છે, એ દીવાના અજવાળે રાહ જોનાર તો રોશન થાય જ છે, પણ જેની પ્રતીક્ષા છે, એના અંતરમાં પણ ઉજાસ થતો હોય છે. પ્રતીક્ષાના સરોવરની સપાટી પર આવકાર રૂપી તરાપા તર્યા કરે છે, પણ તેના તળિયે અનહદ વ્યથાનો લાવા ધરબાયેલો છે. લોકોને તરાપા દેખાય છે, જળની ચળકતી સપાટી દેખાય છે, પરંતુ અંદર ધરબાયેલો લાવા નહીં,
પ્રતીક્ષા પ્રણયની પરીક્ષા છે, અને પ્રતિજ્ઞા પણ. તેમાં આશા છે, નિરાશા પણ. ક્યારેક પ્રતીક્ષા પ્રેમરૂપી મુગટમાં મોરપિચ્છ જેમ શોભે છે, તો વળી ક્યારેક એ જ પ્રતીક્ષા હદયમાં ખીલા જેમ ભોંકાય પણ છે. કવિ પ્રહલાદ જાની ‘તનહા’એ વહાલમના પળભર અણસારને પામવા પગથાર થઈ જવા સુધીની તૈયારી બતાવી છે.
ઘણી વાર પ્રેમનું ઊંડાણ મિલન કરતા વિશેષ મિલનની ઇંતેઝારીમાં હોય છે. મંજિલ કરતા સફરમું મહત્ત્વ વધી જતું હોય છે. મિલન ઝંખના પ્રેમી મળતા પહેલા હજારો વાર વિચારે છે કે, આમ વાત કરીશું, તેમ કહીશું, પણ ખરેખર મળવાનું થાય તો એક શબ્દ સુધ્ધાં યાદ આવતો નથી. મરીઝે લખ્યું છે,
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
પ્રહલાદ જાનીની કવિતામાં વર્ણવાયેલ કાવ્યનાયિકા અથવા નાયક મિલન ઝંખે છે. રાહ જોઈ જોઈને તેની આંખે અંધારના ઓળા ઊતરવા લાગ્યા છે. તેની આંખોએ અંધકાર બરોબર ઘૂંટ્યો છે. તેમાં પ્રિય પાત્રનું આગમન અંધારી રાતે અચાનક થતા ઝબકાર જેવું છે. અને આ ઝબકાર પામવા માટે તે ઝાકળ થવા પણ તૈયાર છે, એવું ઝાકળ જેનું જીવન માત્ર સૂર્યના ઊગવા સુધી જ હોય છે, જેવો પૂર્વમાંથી સૂર્ય ઊગે, કિરણો ધરતી પર પડે કે તરત ઝાકળનું અસ્તિત્વ મટી જાય છે. કવિને ખબર છે, આ ઝાકળનું આયુષ્ય લાંબું નથી, પરંતુ જો પ્રિયતમની કિરણ ઝલક સાંપડતી હોય તો અમને ઝાકળ થવું પણ મંજૂર છે. એ જે રસ્તેથી આવવાના હોય તે રસ્તાની ધૂળ બનીને હું મારી જાત પાથરવા આતુર છું. તે છતાં પણ ન આવી શકે તેમ હોય તો વાંધો નહીં, માત્ર આવવાનો અણસારો આપી દો. આ અણસારો પણ અમારા માટે જીવાદોરી સમાન છે.
આપણે ત્યાં એક સુંદર શબ્દ છે — ભવસાગર. ભવ અર્થાત આખું જીવન અને સાગર અર્થાત દરિયો, સમુદ્ર. જીવનરૂપી આ વિશાળ સમુદ્રમાં કોઈની પ્રતીક્ષા દીવાદાંડી સમાન હોય છે. દરિયાની જેમ જીવનમાં પણ અનેક તોફાનો આવે છે, વાવાઝોડા ફુંકાય છે. એકાએક વીજળી ત્રાટકી પડે છે, ઝંઝાવાતો બધું હતું ન હતું કરી નાખે છે. આવા સમયે અંધકાર અને વ્યથાના વમળોમાં ઘેરાઈ જઈએ છીએ, કશું જ દેખાતું નથી, સૂજતું નથી. ત્યારે પેલી દીવાદાંડી દૂરથી પ્રકાશ ફેંકે છે. કવિએ કદાચ એટલા માટે જ કહ્યું હશે - આવો નહિ તો આપો અમને આવ્યાનો અણસાર.
ઘરની સાંકળ પણ ખખડે તો છાતીમાં સણકો ઊપડે છે કે એ આવ્યાં હશે? પરંતુ દ્વાર ઊઘાડીને જોઈએ તો કશું હોતું નથી, સિવાય કે હવા. કૈૈફ ભોપાલીનો એક અદ્ભુત શેર છે-
કૌન આયેગા યહાં, કોઈ ન આયા હોગા,
મેરા દરવાજા હવાઓને હિલાયા હોગા.
પ્રતીક્ષાના શિખર પર પહોંચ્યા પછી ક્યારેક એવું પણ લાગવા માંડે છે કે હવે કોઈ આવનાર નથી, રાહ જોઈને આંખો સૂકી પથ્થર જેવી થઈ જાય છે. કદાચ આ સમય, એ જ ખરી કસોટીનો સમય હોય છે.
લોગઆઉટઃ
આવકારો આ ઝરણ પામી ગયાં,
પ્હાડમાંથી સાંભળી જાગી ગયાં.
આવનારા કોઈ નવતર માફ કર,
આવનારા જે હતા આવી ગયા.
– રાવજી પટેલ