જે હસે છે એ ક્યાં મજામાં છે!
પગથી ચાલે તે પ્રવાસ, હૃદયથી ચાલે તે યાત્રા
તેલ કે વાટ હોય એટલું પૂરતું નથી, આગ પણ જોઈએ
જીવી રહ્યો છું કોની તમન્ના ઉપર હજી
સ્વર્ગમાં બધાએ જવું છે, પણ મરવું કોઈએ નથી!
![]() |
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ |
પથ્થર ઠંડોગાર છે;
એ ખરબચડો, ખૂણાળો અને કઠોર.
પણ નદીના વ્હેણમાં
એણે ગોળ થયે જ છૂટકો,
વહી જાતાં વર્ષોમાં
બીજાઓ સાથે અથડાતાં-કુટાતાં,
એવું નથી કે પથ્થરને ઉષ્માળો ન જ હોય.
તમે જો એને હૃદયને ગજવે-છાતીસરસો-રાખો તો
તે હૂંફાળો થશે જ થશે.
માત્ર એટલું જ કે એની ટાઢીબોળ જડતાને ખંખેરવા મથતાં
તમારે ધરપત રાખવી પડે.
- ફૂયુહિકા કિટાગાવા (જાપાન) અનુ. જગદીશ જોષી
જગદીશ જોષી એટલે ‘ધારો કે એક સાંજ આપણે મળ્યાં’ના કવિ. જગદીશ જોષી એટલે ‘ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરે અમે રોઈ પડ્યા’ના કવિ. ગુજરાતી ગીતકવિતામાં તેમનું કામ અનોખું છે. પ્રણય અને જીવનની વેદના-સંવેદના તેમની કવિતામાં ભારોભાર છલકાય છે. ઘણા ઓછા લોકોને ખબર છે કે જગદીશ જોષીએ વિશ્વની કેટલીક ઉત્તમ કવિતાઓના અનુવાદો પણ કર્યા છે. આજે 9મી ઓક્ટોબરે તેમની જન્મતિથિ છે. ‘આકાશ’ નામના કાવ્યસંગ્રહથી તેમણે ગુજરાતી સાહિત્યના આકાશમાં ઉડ્ડયન આરંભ્યું. ત્યાર પછી તો ‘વમળનાં વન’માં પણ પગલીઓ પાડી. આ કવિ, અનુવાદકે 21 સપ્ટેમ્બર 1978માં જીવનલીલા સંકેલી લીધી.
જગદીશ જોષીએ જે કવિની કવિતા અનુવાદિત કરી છે, તેવા કવિ ફ્યૂહિકા કિટાગાવા વીસમી સદીના જાપાનના પ્રમુખ કવિઓમાંના એક હતા. 3 જુલાઈ 1900ના રોજ જાપાનના શિગા ટાઉનમાં જન્મેલા કિટાગાવાએ 12 જૂના 1990ના રોજ જગતમાંથી વિદાય લીધી. વીસમી સદીની મોડર્ન કવિતા – ખાસ કરીને અછાંદસ કાવ્યોમાં તેમનું વિશેષ પ્રદાન રહ્યું છે. અહીં લોગઇનમાં આપવામાં આવેલી કવિતાથી તેમની કાવ્યશક્તિનો અંદાજ લગાવી શકાશે.
અહીં વાત પથ્થરની કરવામાં આવી છે, પણ તે પથ્થર પૂરતી સીમિત નથી. ખળખળ વહેતી નદીના કિનારે અનેક નાનામોટા પથ્થરો તમે જોયા હશે. કેવા સુંદર અને લિસ્સા હોય છે. ઘણા તો તેને યાદગીરી રૂપે પણ સાથે રાખી લે છે. નાના નાના પથ્થરો તો ઘસાઈને પાંચિકા થઈ ગયા હોય છે. પણ એ કાંઈ પહેલેથી આટલા લિસ્સા નહોતા. વર્ષો સુધી તેમની પર નદીનું ઠંડું પાણી વહેતું રહ્યું છે. જેમ દુઃખી દીકરાના માથે મા હાથ ફેરવે અને તેની પીડાનું તોફાન શમવા લાગે તેમ, વર્ષો સુધી આ પથ્થરના ખરબચડાપણા પર નદીએ પોતાનું ભીનું હેત વહેતું રાખ્યું છે. એ હેતના લીધે ધીમે ધીમે તેનું ખરબડતાપણું દૂર થયું. લાંબા ગાળે મોટામાં મોટો ખડગ પણ સુંદર અને લિસ્સો બની જાય છે.
આપણી આસપાસ પણ ક્યારેક આવા પથ્થર જેવાં ખરબચડા વ્યક્તિત્વો હોય છે, તેની સાથે આપણે પાણી જેવા હળવા બનવાને બદલે પોતે પણ પથ્થર જેવા જડ બની જતા હોઈએ છીએ. બે પથ્થર અથડાવાથી શું થાય એ તો આપણને બધાને ખબર છે. બંને પથ્થર તૂટે, ખરબચડાપણું વધે, અને ઘર્ષણથી તણખા ઝરે તો આગ લાગે એ જુદું. આપણે હંમેશાં એવી જ આશા રાખીએ છીએ કે સામેવાળો પાણી જેવો નિર્મળ થાય, હું પથ્થપણું નહીં મૂકું. સામેવાળો પણ એવું જ વિચારતો હોય છે. આપણે દરેકે સો ટચના હીરા જેવું ચમકદાર બનવું છે, પણ ઘસાવું કોઈએ નથી. ઘસાયા વિના તો હીરો પણ પથ્થર જ રહે છે. આ તો પેલી વાત જેવું છે, સ્વર્ગમાં બધાએ જવું છે, પણ મરવું કોઈએ નથી. બધાને એકબીજાનું ખરબચડાપણું ખૂંચે છે, પણ કોઈ એકબીજા માટે પાણી જેવા ઠંડા અને હુંફાળા બનીને વહેવાની કોશિશ નથી કરતું.
ફ્યૂહિકા કિટાગાવા, પથ્થરના પ્રતીક દ્વારા આપણા બધાની જ વાત કરે છે. ઠંડોગાર ખરબચડો અને અણિયાણો પથ્થર કાંઈ કાયમ માટે પથ્થર નહીં રહે, જો એની પરથી નદીનું વહેણ પસાર થતું રહેશે તો! એણે લિસ્સા થયે જ છૂટકો છે. પથ્થર જેવો પથ્થર પણ ઉષ્માળો હોય જ, જો એને છાતીસરસો ચાંપી રાખવામાં આવે, હૃદયના ખિસ્સામાં સાચવવામાં આવે તો એ હુંફાળો થાય જ. માત્ર એની જડતાને ખંખરવા માટે આપણે ધીરજ રાખવાની છે. શું તમે કોઈની માટે આવી ધીરજનું જળ થઈને વહી શકો છો?
જગદીશ જોષીએ કરેલી એક અન્ય અનુવાદિત કવિતા સાથે લોગઆઉટ કરીએ.
લોગઆઉટ
અમારા સંબંધ માટે લોકોને કૌતુક છે.
લોકોનું કહેવું છે-તેઓ માને છે-કે સંબંધ સુંવાળો હશે.
હું પણ માનું છું સુંવાળો છે,
જોકે જાણવું મુશ્કેલ છે,ક્યારેય મેં એ રીતે
વિચાર્યું નથી.
કેન્ડલલાઈટમાં ડીનર
અને ફક્કડ શરાબથી
કામ ચાલે છે
પણ,
નાંગરવા વિશે, ને
મારાં મૂળિયાં ઊખડી ન જવા પામે એ વિશે
બેફિકર થવા
મારે ક્યારેક ક્યારેક
મથામણ તો કરવી જ પડે છે.
- લિન શિલ્ડર (અનુ. જગદીશ જોષી)
અમર આશાની એક પંક્તિ
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇન
કહીં લાખો નિરાશામાં,
અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં,
રહમ ઊંડી લપાઈ છે.
– મણિભાઈ નભુભાઈ દ્વિવેદી
ગઈ કાલે મણિભાઈ
દ્વિવેદીનો જન્મદિન હતો. તારીખ 1 ઓક્ટોબર 1898માં જન્મેલા આ સર્જકે કવિતા, નાટક,
નિબંધ, સંશોધન, સંપાદન, વિવેચન એમ અનેક ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. પ્રખર
વિદ્વાન. વિવેકાનંદે શિકાગોમાં જઈને હિન્દુ ધર્મનો ડંકો વગાડ્યો. પણ શિકાગોમાં જતા
પહેલાં તેમણે નડિયાદમાં જઈને મણિભાઈ નભુભાઈની સલાહ લીધેલી એ વાત ઘણા ઓછા લોકો
જાણતા હશે. વિવેકાનંદે તેમની સાથે હિન્દુ ધર્મ અંગે ચર્ચાવિચારણા પણ કરેલી. મણિભાઈ
ખૂબ જ્ઞાની, સાહિત્ય અને ધર્મની ઊંડી સમજ. તેમના વાણીવ્યવહારમાં ભારોભાર પાંડિત્ય
છલકે. તેમની આ પંડિતાઈને ધ્યાનમાં રાખીને જ રમણભાઈ નીલકંઠે તેમની પર કટાક્ષ કરતી
‘ભદ્રંભદ્ર’ નામની એક હાસ્યનવલકથા રચી. જે આજે ગુજરાતી સાહિત્યની ક્લાસિક
કૃતિઓમાંની એક ગણાય છે. એ રીતે જોવા જઈએ તો મણિભાઈએ પ્રત્યક્ષ અને પરોક્ષ બધી રીતે
ગુજરાતી સાહિત્યને ઘણું બધું આપ્યું છે.
ગુજરાતી ગઝલ જ્યારે
પાપા પગલી ભરતી હતી, ત્યારે મણિભાઈ, કલાપી, બાલાશંકર જેવા કવિઓએ તેની આંગળી પકડી
અને ભાષાના આંગણામાં ચાલતા શીખવ્યું. ગુજરાતી ગુલમહોરના રંગો તેની પર છાંટ્યા. તેના
ઘાટ અને રંગરૂપમાં ગુજરાતીપણું ઉમેરવા પ્રયત્નો કર્યા. જોકે નવી નવી
ઊર્દૂ-ફારસીમાંથી ઊતરી આવેલી ગઝલમાં ઉર્દૂની ભારોભાર છાંટ વર્તાતી હતી. મણિભાઈની
ઉપરની પંક્તિ જ જુઓને. બીજી પંક્તિમાં એક સાથે ચારચાર ઉર્દૂ શબ્દો છે – ખફા, ખંજર,
સનમ, રહમ. માત્ર એક જ પંક્તિમાં ચાર ઉર્દૂ શબ્દો એ થોડું વધારે પડતું કહેવાય. પણ
જો આ આખી ગઝલ તમે વાંચશો તો તેમાં તમને પુષ્કળ ઉર્દૂ છાંટવાળા શબ્દો જોવા મળશે. પણ
આવું માત્ર મણિભાઈ નભુભાઈમાં જ નથી. કલાપી, બાલાશંકરમાં પણ એ દેખાય છે. ગઝલ હજી
ગુજરાતીમાં નવી હતી, એટલે એ સ્વાભાવિક હતું. અને ઉર્દૂની છાંટ છેક મરીઝ-શૂન્ય સુધી
રહેલી જોવા મળે છે. ત્યાર બાદ આદિલ મન્સૂરી, ચિનુ મોદી, રાજેન્દ્ર શુક્લ, મનહર
મોદી, મનોજ ખંડેરિયાવાળી આખી પેઢીએ ગઝલને સંપૂર્ણપણે ગુજરાતી બનાવવામાં ખૂબ
મહત્ત્વનો ફાળો આપ્યો. મનોજ ખેડરિયાએ કહ્યું છે તેમ, ‘તારે કાજે ગઝલ મનોરંજન, મારે
માટે તો પ્રાણવાયુ છે.’ આ ગઝલકારોએ પ્રાણવાયુની જેમ ગઝલને શ્વસી. તેને પાક્કી
ગુજરાતી બનાવી. તેને માનમોભો અપાવ્યા. પણ તે પહેલા તેનો પાયો નાખવામાં કલાપી,
બાલાશંકર અને મણિભાઈનો મોટો ફાળો છે તેમાં કોઈ બેમત નથી.
મણિભાઈ તો ‘કહીં લાખો
નિરાશામાં અમર આશા છુપાઈ છે’ એ પંક્તિ માત્રથી ગુજરાતી ગઝલમાં અમર થઈ ગયા છે. તેમનું
‘કાન્તા’ નાટક વગેરે પ્રદાનો તો છે જ. કવિ એક સારી પંક્તિ રચે તો તે ભાષાના
શિલાલેખમાં સુવર્ણાક્ષરે કંડારાઈ જતી હોય છે. આજે તો લાખો નિરાશામાં અમર આશા છુપાઈ
છે એ વાત કહેવત જેમ વપરાય છે. ઘણાના જીવનમાં વ્યાપેલી નિરાશામાં આ પંક્તિ આશાનું
અજવાળું પાથરે છે. આવી એક પંક્તિ કે એક શેર લખાઈ જાય તોય બેડો પાર થઈ જાય. આ એકાદ
પંક્તિ કે શેર ક્યારેક સર્જકને અજરાઅમર કરી દે. ઓજસ પાલનપુરી પણ તેમના એક શેરને લીધે ગુજરાતી ગઝલમાં
સિતારાની જેમ ચમકી રહ્યા છે-
ભાવિન ગોપાણીએ સાવ
સાચું લખ્યું છે—
એક શેર જ શું કામ? ક્યારેક તો એક પંક્તિ પણ પૂરતી હોય છે. મણિભાઈની નભુભાઈ દ્વિવેદીની પંક્તિ તેનું ઉદાહરણ છે. તેમની
આત્મકથા પણ એટલી જ બોલ્ડ. વર્ષો સુધી તે પ્રકાશિત ન થઈ શકી. એ તેની બોલ્ડનેસને
લીધે જ. મણિભાઈ ધીરુભાઈ ઠાકરને પોતાની અંગત ડાયરી આપેલી, અને તેમના અવસાન પછી જ તે
પ્રકાશિત કરવી તેમ જણાવેલું. પણ તે એટલી બોલ્ડ હતી કે ધીરુભાઈને પ્રકાશિત કરવામાં
સંકોચ થયો. આખરે તેને એડિટ કરીને પ્રકાશિત કરાઈ. ગુજરાતી ભાષામાં આટલું ખૂલ્લું
આટલી સ્પષ્ટતાથી લખ્યું હોય તેવી ભાગ્યે જ કોઈ આત્મકથા છે. પોતાની ત્રુટીઓ અને
અવગુણોનો ખુલ્લેઆમ સ્વીકાર કરવા માટે બહુ મોટી હિંમત જોઈએ. મણિભાઈમાં એ હતી. અને
તે તેમણે આત્મકથામાં સત્યને યથાતથ લખીને બતાવી પણ ખરી.
મણિભાઈના જ સમકાલીન બાલાશંકરના અમર શેરથી લોગઆઉટ કરીએ.
લોગઆઉટ
- બાલાશંકર કંથારિયા
જૂના પત્રો સાચવીને રાખજે
એક રણકો ફોન ઉપર આવશે,
લૈને સંદેશો કબૂતર આવશે.
આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક,
ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે.
આંગણે આંબાને આવી કેરીઓ,
રોજના બેચાર પથ્થર આવશે.
જૂના પત્રો સાચવીને રાખજે,
એક દિ’ એનોય અવસર આવશે.
આજ હું ઊભો છું એવી સરહદે,
બંને બાજુએથી લશ્કર આવશે.
જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ,
ઝેર સૌ પીવાને શંકર આવશે.
- બાલુભાઈ પટેલ
‘બરબાદ' નામથી સાહિત્યને આબાદ કરનાર કવિ
લોગઇન
દિલને નથી કરા૨ તમારા ગયા પછી,
નયને છે અશ્રુધાર તમારા ગયા પછી.
ચાલ્યા ગયા તમે તો બધી રોનકો ગઈ,
રડતી રહી બહાર તમારા ગયા પછી.
મસ્તી નથી–ઉમંગ નથી–કો’ ખુશી નથી,
ઉતરી ગયો ખુમાર તમારા ગયા પછી.
જ્વાળા મને જુદાઈની ક્યાં-ક્યાં લઈ ગઈ?
ભટકું છું દ્વારે દ્વાર તમારા ગયા પછી.
‘બરબાદ’ રાતો વીતે છે
પડખાં ફરી ફરી,
પડતી નથી સવાર, તમારા ગયા પછી.
– બરબાદ જૂનાગઢી
ઉસ્માન
બલોચ નામનો એક માણસ. રેકડી લઈને ઘેરઘેર ફરીને ભંગાર એકઠો કરે. એને વેચીને ગુજરાન
ચલાવે. નાનકડી ઓરડીમાં જ એનું ઠામઠેકાણું. બધા પ્રેમથી તેમને ઓસુભાઈ કહીને બોલાવે.
એક દિવસ તેને અજમેર જઈને ખ્વાજા
ગરીબનવાઝની દરગાહ પર માથું ટેકવવાની ઇચ્છા થઇ. ખિસ્સામાં ભાડાના પૈસા પણ નહીં.
તેણે બાધા રાખી. જ્યાં સુધી અજમેર જઈને ખ્વાજાસાહેબની જિયારત ન કરે ત્યાં સુધી
પગરખાં નહીં પહેરે. ઉનાળાના આકરા તાપમાં તપીને અંગારા જેવા થઈ ગયેલા રોડ પર પણ
ઊઘાડા પગે ચાલીને એ માણસ ભંગાર ઉઘરાવતો. કેટલાક સહૃદયી માણસોએ તેમની બાધા વિશે
સાંભળ્યું. તેમને થયું કે આવા આકરા તાપમાં ઉઘાડા પગે ફરીને કામ કરે તેની કરતા આપણે
તેને પૈસા આપીએ, તો તે અજમેર જઈ આવે. એક માણસે પૈસા ઉઘરાવીને આપવા કહ્યું તો તેણે
ખુદ્દારીથી જવાબ આપ્યો, “એમ બીજાના કે મફતના પૈસે જવું હોત તો વર્ષો પહેલાં જઈ
આવ્યો હોત.”
આ ઉસ્માન બલોચ એટલે બીજું કોઈ નહીં કવિ બરબાદ
જૂનાગઢી. તેમની માનતાની વાત અહીં પતતી નથી. એક દિવસ એક મુશાયરામાં તેમને નિમંત્રણ
મળ્યું. તેમની અદ્ભુત રજૂઆતથી મુશાયરો લૂંટી લીધો. ઇનામરૂપે ત્રણસો રૂપિયા
પુરસ્કાર પણ મળ્યો, એક મિત્રે કહ્યું, તારી બાધા ફળી, તું તો આરામથી જઈ શકીશ
અજમેર, ન જાણે અમારા જેવા બદનસીબો ક્યારે જઈ શકશે? બરબાદે કહ્યું, “એમાં દુઃખી શું થાય છે, તુંય આવી જા.” “પણ
આટલા પૈસામાં બે જણા કઈ રીતે?”
પેલાએ પ્રશ્ન પૂછ્યો તો તરત કવિએ જવાબ આપ્યો, “બધી વ્યવસ્થા મેં કરી રાખી છે.”
જવાની તારીખ નક્કી થઈ ગઈ. ટિકિટ લેવાઈ ગઈ. પેલો માણસ પણ સમયસર રેલવેસ્ટેશને આવી
ગયો. બરોબર ટ્રેન ઉપડવાનો સમય થયો તો બરબાદ કહે, “તમે આ પાકિટ રાખો હું થોડી
વારમાં આવ્યો.” એ ગયા ને તરત ટ્રેન ઉપડી. પેલો માણસ શોધતો રહ્યો પણ કવિ આવ્યા
નહીં. તેણે પાકિટ ખોલીને જોયું તો એમાં એક જ ટિકિટ હતી અને અજમેર જઈને આવી શકાય
તેટલા રૂપિયા! જેને માટે વર્ષો
સુધી આકરા તાપમાં રઝળ્યા, તે કામ કરવાની તક મળી બીજાને મોકલી દીધા. આ કવિની
દિલેરી. જોકે આ પ્રસંગથી તેમને તો જૂનાગઢમાં જ અજમેરની દરગાહ પર માથું ટેકવાઈ ગયું
હતું. આવી દિલેરી અને દિલદારી ધરાવતા વ્યક્તિત્વો પાસે તો ખુદ ખુદા આવતો હોય છે.
ખુદાની નેકી તેમના હૃદયમાં રહેતી હોય છે.
કવિ ખલીલ
ધનતેજવીએ આ પ્રસંગ અનેકવાર કહેલો. તખલ્લુસ ‘બરબાદ’ પણ હૃદયથી આબાદ. આર્થિક સ્થિતિ
જોતા તેમનું તખલ્લુસ જ એમના જીવનનું ખરું દર્પણ બની રહ્યું. રેકડીમાં ઘેર ઘેર ફરીને ભંગાર એકઠો કરતો આ
બરબાદ કવિ ઘસાઈને ઉજળા થવાની એકે તક જતી નહોતો કરતો. તેનું હૃદય સોના જેવું હતું. આર્થિક
રીતે દરીદ્ર પણ મુશાયરામાં હંમેશાં સફેદ અને સ્વચ્છ કપડાં પહેરીને આવે. તરન્નુમમાં
રજૂઆત કરીને ભરપૂર દાદ મેળવે. શૂન્યથી લઈને ઘાયલ સુધીના અનેક કવિઓ તેમની ગઝલ અને
રજૂઆતના કાયલ. તેમનો એકમાત્ર ગઝલસંગ્રહ ‘કણસ’. તે પણ તેમના મિત્રવર્તુળે મળીને
પ્રકાશિત કરી આપેલો. ઘણા સમયથી અપ્રાપ્ય હતો, પણ જૂનાગઢની રૂપાયતન સંસ્થાએ તેને
ફરી પ્રગટ કર્યો છે.
જૂનાગઢ તો કવિતાની ધરોહર છે. ગુજરાતનો
પહેલો આદ્યકવિ નરસિંહ મહેતા જૂનાગઢની તળેટીમાં જ પાંગરેલું પુષ્પ છે. રાજેન્દ્ર
શુક્લ, મનોજ ખંડેરિયા, વીરુ પુરોહિત, ઉર્વિશ વસાવડા, મિલિંદ ગઢવી, ભાવેશ પાઠક જેવા
અનેક જૂનાગઢી કવિઓએ ગુજરાતી સાહિત્યને ગિરનાર જેવી ઊંચાઈ આપવામાં ખૂબ મહત્ત્વની
ભૂમિકા ભજવી છે. બરબાદ જૂનાગઢી તેમાંના એક. અહીં લોગઇનમાં આપેલી ગઝલમાં તમને
બરબાદનો પરિચય મળી રહેશે. કવિ સાથે મોટે ભાગે ગરીબાઈ વણાયેલી છે. આર્થિક રીતે ભલે
દરિદ્ર હોય, પણ કવિતામાં અમીર હોય છે. પોતે ઘસાઈને પણ કવિતાને ઊજળી કરવામાં તે
જરાકે કસર નહીં રાખે. અને ખુમારી તો એ એવી કે રાજાને પણ શરમાવે. મરીઝથી લઈને બરબાદ
જૂનાગઢી સુધીના કવિઓનું આનું જીવતું ઉદાહરણ છે.
લોગઆઉટ
કદમને મૂકજે બહુ સાચવીને તું બગીચામાં,
નહિતર કંટકો કોમળ બનીને છેતરી જાશે.
— 'બરબાદ' જૂનાગઢી
શુભ દીપાવલી
– અનિલ ચાવડા
હાસ્યના બાદશાહ જ્યોતીન્દ્ર દવેનો ‘આત્મપરિચય’
![]() |
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ |
લોગઇન
પૃથ્વીયે ખેંચતી જેને બહુ જોર થકી નહિ–ભારહિણું મને એવું ઈશે શરીર આપિયું,
રોગ ને સ્વાસ્થ્યની નિત્યે રણભૂમિ બની રહ્યું
એવું શરીર મારું, દવાઓથી ઘડાયેલું!
સોટી ને શિક્ષકો કેરા શાળા માંહે સમાગમે
વિદ્યા ને વેદના બે મેં એક સાથે જ મેળવ્યાં.
મન કેળવવા માટે દેહ વિદ્યાલયે પૂર્યો,
મન કિન્તુ રહ્યું ના ત્યાં, બ્રહ્માંડો ભટકી વળ્યું!
વિદ્યાને પામવા પહેલાં, અર્થનો વ્યય મેં કર્યો,
પછીથી અર્થને કાજે વિદ્યાવિક્રય આદર્યો.
ઘરમાં હોય ના કાંઈ, ક્ષુધા ત્યારે સતાવતી,
ભર્યું ભાણું નિહાળીને ભૂખ મારી મરી જતી.
વૃત્તિ મારી સદા એવી, હોય તે ના ચહે કદી,
હોય ના તે સદા માગે, મળ્યે માંગ્યુંય ના ગમે!
– જ્યોતીન્દ્ર દવે
કર્યું હતું એક જ વેળ જીવને
અપૂર્વ નૃત્ય વિના પ્રયાસે.
હું એકદા માર્ગ પરે નિરાંતે,
ઉઘાડપાદે ફરતો હતો ત્યાં
અર્ધી બળેલી બીડી કોક મૂ્ર્ખે
ફેંકી હતી તે પર પાદ મૂક્યો.
અને પછી નૃત્ય કરી ઊઠ્યો જે,
તેવું હજી નૃત્ય કર્યું ન કોઈએ!
- જ્યોતીન્દ્ર હ. દવે
ડગમગતો પગ રાખ તું સ્થિર
પ્રેમલ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ!…
દૂર પડ્યો નિજ ધામથી હું,
ને ઘેરે ઘન અંધાર;
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,
નિજ શિશુને સંભાળ…
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ, થાય,
મારે એક ડગલું બસ, થાય…
— નરસિંહરાવ દીવેટિયા
લોગઆઉટ
મંગલ મંદિર ખોલો
દયામય! મંગલ મંદિર ખોલો!
જીવન વન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઉભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લો, લો,
દયામય! મંગલ મંદિર ખોલો!
નામ મધુર તવ રટ્યો નિરંતર
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો આ બાલક,
પ્રેમ અમીરસ ઢોળો,
દયામય! મંગલ મંદિર ખોલો!
— નરસિંહરાવ દીવેટિયા
પાકિસ્તાનની શાયરા પરવિન શાકિરનો કૃષ્ણપ્રેમ
![]() |
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ |
યે હવા કૈસૈ ઉડા લે ગઈ આંચલ મેરા,
યૂં સતાને કી આદત તો મેરે ઘનશ્યામ કી થી.
— પરવિન શાકિર
ન રસ્તાની, ન દુનિયાની કશાની નોંધ ના લીધી
![]() |
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ |
ન રસ્તાની, ન દુનિયાની, કશાની નોંધ ના લીધી,
અમે નીકળ્યા ઘરેથી તો હવાની નોંધ ના લીધી.
અમારા હાથ સમજ્યા છે સદાયે કર્મની ભાષા,
દુઆ ના સાંભળી કે બદદુઆની નોંધ ના લીધી.
કશોયે અર્થ તેથી ના સર્યો મ્હેફિલમાં રોકાઈ,
તમે સાકીને ના જોયો, સુરાની નોંધ ના લીધી.
શરૂમાં એમ લાગ્યું, હોય જાણે ગુપ્ત સમજૂતી,
બધાએ એકસરખી આયનાની નોંધ ના લીધી.
કસબ સમજી શક્યું બાળક તો એની નોંધ લીધી મેં,
સભામાં બેસનારા ખેરખાંની નોંધ ના લીધી.
- નીરવ વ્યાસ