માનવહોના ભાગ્ય હૈ, કવિ હોના સૌભાગ્ય

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

કાલ નહીં હૈ બીતતા, બીત રહે હમ લોગ,
ભોગ નહીં હમ ભોગતે, ભોગે હમકો ભોગ.

ગોપાલદાસ નીરજ

ગોપાલદાસ હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ કવિ છે, તેમની અનેક કાવ્યપંક્તિઓ હિન્દીમાં આજે કહેવત સમાન થઈ ગઈ છે. કવિતા એક માણસના જીવનમાં શું ભૂમિકા ભજવે, કવિતાની સમાજમાં જરૂર શું? જયંત પાઠકની કવિતા છે, કવિતા ન કરવાથી આમ તો કશું થાય નહીં, એટલે કે કશું થાય જ નહીં. કવિતા શું કરી શકે એ તો ખબર નથી, પણ કવિતાને લીધે શું થઈ શકે ગોપાલદાસના જીવનના એક પ્રસંગ પરથી જાણી શકાય.

એ વખતે ગોપાલદાસ અલીગઢની ડી.એસ. કૉલેજમાં નવા નવા જોડાયા હતા. એક દિવસ ભીંડથી કવિતાપાઠ માટેનું આમંત્રણ મળ્યું. તેમણે આયોજકોને કહ્યું કે કવિસંમેલન પછી રાતે જ પાછા ઘરે પહોંચી જવાય એવી વ્યવસ્થા કરી આપો તો સારું, જેથી બીજા દિવસે હું કૉલેજમાં ક્લાસ લઈ શકું. આયોજકોએ કહ્યું, ઇટાવા સુધી જીપની વ્યવસ્થા થઈ જશે, ત્યાંથી ટ્રેનની ટિકિટ કરી આપીશું.

કાર્યક્રમ પછી એક ડ્રાઇવર તેમને મૂકવા માટે આવ્યો. ઘોર અંધારી રાત, અને ઠંડી કહે મારું કામ. આટલું ઓછું હતું કે રસ્તામાં જીપ બંધ પડી. ડ્રાઇવર ગાડી ચેક કરવા માંડ્યો ખબર પડી કે ડિઝલ પતી ગયું છે. અડધી રાતે જંગલ જેવા વિસ્તારમાં ડિઝલ ક્યાં ગોતવા જવું. સવારે સમયસર પહોંચવાની વાત દૂર, રાત કેમની નીકળશે એની પણ ચિંતા થવા લાગી. હજી વધારે વિચારે એ પહેલા તો ચિંતા બમણી-તમણી કે ચારગણી થઈ ગઈ. અચાનક અંધારામાંથી ચાર માણસો પ્રગટ્યા, ચારેયે બુકાની બાંધેલી અને ખભા પર ભરેલી રાઇફલ. સીધી કવિના લમણે મુકાઈ અને પૂછ્યું, “કોણ છો, અહીં ક્યાંથી?” હાડ થિજવતી ઠંડીમાંયે ગોપાલદાસ પરસેવે રેબઝેબ થઈ ગયા. ધ્રૂજતા અવાજે જવાબ આપ્યો, “ભાઈસાહેબ, કવિ છું, કવિતાપાઠ કરીને ઘરે જઈ રહ્યો હતો.” ઓહો, તો કાકા પાસે લઈ લો આમને.” એક જણે કડક અવાજે કહ્યું. સામે કંઈ પૂછવાનો તો સવાલ જ નહોતો. ચુપચાપ ડ્રાઇવર અને ગોપાલદાસ બંદૂકધારીઓ સાથે ચાલવા લાગ્યા.

ટેકરીઓ, ખીણો, ભેખડો, જંગલઝાડી પસાર કરીને એક ઝૂંપડી જેવી જગ્યાએ આવીને અટકી ગયા. દરવાજો ખૂલ્યો. સામે એક ખાટલા પર વૃદ્ધ માણસ બેઠો હતો. લાંબા વાળ, કપાળમાં તિલક, ખેંચાયેલી ભ્રમરો, ચહેરા પર એક અજબનું તેજ, જાણે સંત અને ડાકુનું મિશ્રણ જ જોઈ લ્યો. એ બીજું કોઈ નહીં, જંગલનો સૌથી ખતરનાક ગણાતો ડાકુ માનસિંગ હતો. બાજુમાં જ ભરેલી રાઇફલ પડી હતી.

તેણે પૂછ્યું, “કોણ છો?” ગોપાલદાસે જવાબ આપ્યો. માનસિંગે કહ્યું, કવિ એટલે ગ્રંથીજી? “હા, એવું જ સમજો.” ગોપાલદાસે ડરતા ડરતા જવાબ આપ્યો. માનસિંગે કહ્યું, “કવિના આત્મામાં પરમાત્માનું સૌંદર્ય હોય છે, અમારા એવા નસીબ ક્યાં કે શબ્દના રૂપને નિખારનાર કોઈ વ્યક્તિ અમારે આંગણે પધારે, મારી વિનંતી છે કે કંઈક સંભળાવો.” આટલું કહીને તેણે ઓશિકા પર કોણીનો ટેકો લીધો, જાણે શ્રોતાની પોઝિશન લેતો હોય.

ગોપાલદાસે યાદ આવી તે આધ્યાત્મિક કવિતાઓ સંભળાવવી. બીજી કવિતા પૂરી થતા સુધીમાં તો માનસિંગની આંખો ભીની થઈ ગઈ. તે ભાવવિભોર થઈ ગયો. ઊભો થયો, ખિસ્સાં ફંફોસવા લાગ્યો. સો રૂપિયા નીકળ્યા. કવિને આપતા કહ્યું, “માફ કરજો, મારી પાસે માત્ર આટલા જ છે, હું વધારે આપી શકું તેમ નથી.” આટલું કહેતા તો તેના અવાજમાં વસવસો છલકવા માંડ્યો.

તેણે ડ્રાઇવર પાસેથી ડિઝલનો પ્રોબ્લેમ જાણ્યો. તેણે તેના સાથીદારોને કહ્યું કે જલદી ગાડીમાં ડિઝલ નખાવી આપો આમને. ડ્રાઇવરને કહ્યું, “તને ખબર નથી આ જંગલ ખૂબ ભયાનક છે, અહીં એવા ડાકુઓ પણ રહે છે, જે પહેલા ગોળી ચલાવે અને જો બચે તો નામ પૂછે.” ડ્રાઇવર તો માનસિંગના ચરણોમાં પડીને માફી માગવા લાગ્યો. માનસિંગે તેને ઊભો કર્યો અને પોતાના સાથીદારોને કંઈક ઇશારો કર્યો અને ચારેય સાથીદારો પોતાના ખિસ્સા ફેંદવા લાગ્યા. એક સાથીદારે દસ રૂપિયાની નોટ કાઢી માનસિંગને આપી. માનસિંગે તે દસ રૂપિયા ડ્રાઇવરને આપતા કહ્યું, આ રાખ, તું મારે ત્યાં એક ગ્રંથિજીને લાવ્યો છે. ડ્રાઇવર ફાટી આંખે જોઈ જ રહ્યો, તેને વિશ્વાસ નતો થતો કે ખૂંખાર ગણાતો ડાકુ તેને ઇનામરૂપે દસ રૂપિયા આપી રહ્યો હતો.

ડિઝલની વ્યવસ્થા થઈ ગઈ. કવિ ગોપાલદાસ નીરજ અને ડ્રાઇવર ગાડી લઈને નીકળી પડ્યા. રસ્તામાં ડ્રાઇવરે કહ્યું, “સાહેબ, તમે કોઈ શેઠ, નેતા કે મોટા ઓફિસર ને બદલે કવિ છો એ મોટું સૌભાગ્ય કહેવાય, નહીંતર આજે તમે કે હું એક્કે જીવતા ના હોત.” ગોપાલદાસના મનમાં આ વાત ચોંટી ગઈ. પછીથી જાણવા મળ્યું કે ડાકુ માનસિંગ ગરીબ છોકરીઓના લગ્ન કરાવી આપતો હતો, તેમના આણાં પણ ભરતો હતો.

ડાકુમાનસિંગ અને ડ્રાઇવરની વાતને ધ્યાનમાં લઈને ગોપાલદાસે લખ્યું,

લોગઆઉટ

આત્મા કે સૌંદર્ય કા શબ્દ રૂપ હૈ કાવ્ય,
માનવ હોના ભાગ્ય હૈ, કવિ હોના સૌભાગ્ય

- ગોપાલદાસ નીરજ


જિંદગી લે છે પરીક્ષા હર ક્ષણે

લોગઇન

જિંદગીભર જિંદગી લે છે પરીક્ષા હર ક્ષણે,
એમ બસ થાતી રહે મારી પ્રશિક્ષા હર ક્ષણે.

કેટલાં આયોજનો શમણાં સફળતા ને બધું,
એ રીતે કરતો રહું ખુદની સમીક્ષા હર ક્ષણે.

– અશોક જાની ‘આનંદ’

એસએસસી અને એચએચસીની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ-વાલીઓને ઓશોએ કહેલી એક કથા કહેવી છે.

એકવાર એક રાજ્યનો વજીર મરી ગયો. રાજ્યનો નિયમ હતો, દેશના સૌથી બુદ્ધિશાળી માણસને વજીર બનાવવો. તેની માટે અનેક પ્રતિસ્પર્ધાઓ થઈ, અનેક લોકોએ ભાગ લીધો. બધી પરીક્ષાને અંતે ત્રણ વ્યક્તિઓ બચી. છેલ્લો નિર્ણય બાકી હતો. આખો દેશ ઉત્સુક હતો શું થશે. કાશ, પરીક્ષામાં જે પૂછવાનું છે તે ખબર પડી જાય તો કેટલું સારું, આવું ત્રણેને થવા લાગ્યું.

આજના વિદ્યાર્થીઓને પણ આવું થાય છે. છેલ્લી ઘડીએ આઈએમપી માટે દોડાદોડી કરે છે.

આ ત્રણેને પહેલેથી જ પ્રશ્ન આપી દેવામાં આવ્યો. ત્રણેને એક રૂમમાં પૂરી દેવાશે. એક ખાસ પ્રકારના કોડથી બનાવેલું તાળું મારવામાં આવશે, આ તાળું ખોલીને બહાર આવશે તે વજીર બનશે. ખબર પડતાની સાથે બે જણા તરત લાઇબ્રેરી પહોંચી ગયા. તાળાસંબંધી બધા ગ્રંથો ઉથલાવવા લાગ્યા, હિસાબો માંડતા માંડ્યા. એક અજીબ હતો, એ શાંતિથી ઊંઘી ગયો. પેલા બે સમજ્યા આ ગભરાઈ ગયો. તેને જગાડવાનો પ્રયત્ન કર્યો, તેણે કહ્યું, તમે તમારી તૈયારી કરો, મને મારી કરવા દો. તેમને લાગ્યું આને ડિપ્રેશન આવી ગયું છે.

સવારે ત્રણે તૈયાર થયા. બે જણના પગ ડગમગી રહ્યા હતા, આખી રાત જાગીને તૈયારી કરી હતી, ત્રીજો ગીત ગણગણતો હતો. બંનેએ ગુસ્સોમાં કહ્યું, આ ગીત ગાવાનો સમય છે? તેણે કહ્યું, તમે તમારી તૈયારી કરો, મને મારી કરવા દો.

ત્રણેને રૂમમાં બંધ કરવામાં આવ્યા. બારણે વિચિત્ર તાળું હતું. વિવિધ ચિહ્નો ચીતરવામાં આવ્યાં હતાં. રાજાએ કહ્યું, “આ તાળું ગણિતનો મોટો કોયડો છે. તેના પર અંક લખેલા છે, કોયડો ઉકેલશો તો તે ખૂલી જશે. જે કોયડો હલ કરીને પહેલા બહાર આવશે તે વજીર બનશે. આખી રાત તૈયારી કરી હતી તે બંનેએ પોતાના કપડામાં સંતાડેલાં પુસ્તકો કાઢ્યાં. આજકાલ વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં કાપલી લઈને સારા ટકે પાસ થવાની મહેચ્છા રાખે છે. બંને જણા તાળું ખોલવા કોયડો ઉકેલવા માંડ્યા. જેમ મથતા તેમ કોયડો વધારે ગૂંચવાતો. પેલો એક જણ આંખો બંધ કરીને બેસી રહ્યો. બંનેએ પૂછ્યું, તારે પુસ્તકો નથી જોવા? તેણે કહ્યું, તમે તમારી તૈયારી કરો, હું મારી કરું છું.

બંને પુસ્તકો ફેંદતા, હિસાબો માંડતા. ત્યાં ત્રીજો ઊભો થયો, દરવાજાને ધક્કો માર્યો અને બહાર નીકળી ગયો. દરવાજા પર કોઈ તાળું નહોતું. બંને હજી પુસ્તકોમાં ખૂંપ્યા હતા, રાજા જ્યારે પેલાને લઈને અંદર આવ્યા ત્યારે તેમની આંખો ખૂલી. તેમણે પૂછ્યું, “તું બહાર કેવી રીતે પહોંચ્યો?” રાજાએ કહ્યું, “અરે મૂર્ખાઓ, તમારે એ તો જોવું હતું કે તાળું માર્યું છે કે નહીં.”

પરીક્ષાનો કોઈ પણ પ્રશ્ન એટલો ગૂંચવાયેલો નથી હોતો, જેટલો આપણે સમજીએ છીએ. આપણી મૂંઝવણ પ્રશ્નને વધારે ભારેખમ બનાવે છે. મન શાંત હશે તો આપોઆપ ખબર પડશે કે આ પ્રશ્નનું તાળું તો ખુલ્લું જ છે, માત્ર જરા ધક્કો મારવાની જરૂર છે. આપણે ત્યાં દસમા અને બારમા ધોરણનો ભય છે. તેની પર ભવિષ્યનિર્માણનું તાળું લટકાવી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે દસમા ધોરણની ટકાવારીને આધારે ભવિષ્ય નક્કી થશે. બારમા ધોરણવાળાને કહેવામાં આવે છે બારમા ધોરણથી ખ્યાલ આવશે કે તમે આગળ કેવા પ્રકારનો અભ્યાસ કરી શકશો. કૉલેજવાળાને કહેવાય છે કે કૉલેજની ડિગ્રી સૌથી મહત્ત્વની છે, તેના પર તમારી ભવિષ્યની નોકરી, નામ, પ્રતિષ્ઠા ટકેલા છે. આ બધી ડિગ્રીઓ, પરીક્ષાઓ એક પ્રકારનાં તાળાં છે, અને આપણને એવું કહેવામાં આવે છે કે આ બહુ મોટો કોયડો છે, જો તમે ઉકેલી શકશો તો વજીર બની શકશો. આપણે ગંભીર વિદ્યાર્થી થઈને તાળું ઉકેલવામાં મંડી જઈએ છીએ. કોઈ ડૉક્ટર બનવાની આશા સાથે તાળું ખોલવા માગે છે, કોઈ એન્જિનિયર થવાની ચાવી શોધે છે, કોઈ વકીલ બનવાની. આપણને ઠસાવવામાં આવે છે કે કોયડો બહુ અટપટો છે, મોટું પદ એમનેમ ક્યાંથી મળે, તેની માટે ગાંડા થઈ જવા સુધી પુસ્તકોમાં ખૂંપવું પડે. આના લીધે ઘણા ગોખણપટ્ટીના માર્ગે ચડી જાય છે. બશીર બદ્રનો એક શેર છેને-

काग़ज़ मेंदबकेमरगएकीड़ेकिताबके
दीवाना बे-पढ़े-लिखेमशहूरहोगया

પુસ્તકના કીડા થવાની જરૂર નથી, બસ ભણતરની દિવાનગી જોઈએ. લોગઇનની કવિતાને જુઓ તો જિંદગીમાં હરક્ષણે પરીક્ષા છે. પણ તમે એમ સમજશો કે આ ખૂબ આકરો કોયડો છે, તેની માટે તમે વગરવિચાર્યે મહેનતે ચડી જશો તો એ ભૂલ ગણાશે. પહેલા શાંત ચિત્તે વિચારો, પ્રશ્નને સમજી લેશો તો જવાબ આપોઆપ મળી જશે. પરીક્ષા તો પોતાની સમીક્ષા કરવાની તક છે. એક ઝીલી લો અને પોતાને સાબિત કરો.

લોગઆઉટ

કરો પરીક્ષાની હોંશે ઉજાણી,
વાચેલાં સઘળાંનો કરજો ગુલાલ, તાણ થઈ જાય ધૂળ ને ધાણી.

મુંજારો આવે તો સીટી મારીને ગીતો ગાવા બે ચાર,
ચિંતાને હળવેથી હેઠી મુકો, માનો ના જલ્દીથી હાર,
રાખી ભરોસો ખુદમાં ને સાંભળો આપણા અંતરકેરી વાણી.
કરો પરીક્ષાની હોંશે ઉજાણી.

- કેતન જોષી

જો મારા હોઠ સીવો તો ન મુજને બંસરી આપો

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

રહી પડદામાં દર્શનની ઝલક થોડીઘણી આપો,
ન આપો ચંદ્ર મારા હાથમાં, પણ ચાંદની આપો.

પ્રતીક્ષાને બહાને જિંદગી જીવાઈ તો જાશે,
તમારા આગમનની કંઈ ખબર ખોટીખરી આપો.

સિતારી ના ધરો મુજ હાથને બંધનમાં રાખીને,
જો મારા હોઠ સીવો તો ન મુજને બંસરી આપો.

વધુ બે શ્વાસ લેવાનું પ્રલોભન પ્રાણને આપું,
મને એવી મિલન-આશા તણી સંજીવની આપો.

હું કોઈની અદાવત ફેરવી નાખું મહોબ્બતમાં,
તમે ‘સાકિન’ એવો પ્રેમનો પારસમણી આપો.

– સાકિન કેશવાણી

સાકીન કેશવાણી એટલે ‘ચાંદનીના નીર’ પર ‘આરોહણ’ કરનાર કવિ. મધ્યાહ્ને આથમી ગયેલો સૂર્ય. 1929માં જન્મીને 1971માં તો વિદાય લઈ લીધી. બેંતાળીસ વર્ષની ઉંમરે જગતને અલવિદા કરનાર આ કવિનું મૂળ નામ મહમ્મદ હુસેન કેશવાણી. આપણે ત્યાં નાની ઉંમરે મોટું કામ કરીને વિદાય લેનાર સર્જકોનું લિસ્ટ ઘણું લાંબું છે. કલાપી, રાવજી, મણિલાલ દેસાઈ જેવા અનેક સર્જકોને આ હરોળમાં મૂકી શકાય. શીતલ જોશી, સાહેબ, રમેશ પરમાર ખામોશ, પાર્થ પ્રજાપતિ જેવા અને સિતારાઓ પણ સાહિત્યના આકાશમાં પોતાનાથી બનતો પ્રકાશ આપી ગયા.

લોગઇનમાં આપેલી ગઝલમાં એક પ્રકારની માગણી છે, જે પ્રિયતમા અને ઈશ્વર, બંનેને સરખી રીતે લાગુ પડે છે. અર્થાત્ ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી બંને કેડી પર કવિ ડગલું માંડે છે. ગુજરાતી ભાષાના જાણીતા કવિ હરીન્દ્ર દવેએ લખેલુ, “વિષ્ણુ અને નારદ વચ્ચે સંવાદ થાય અને નારદ જો વિષ્ણુને પૂછે કે પ્રભુ! આ મૃત્યુલોકના માનવીઓ તમારી પાસે ઘણું ઘણું માંગતા હોય છે પણ એમાં સૌથી સરસ માગણી કરતાં કોને આવડે છે? તો ભગવાને ઉત્તર આપ્યો હોત, દેવર્ષિ, માગણી કરતા તો બે જ માણસોને આવડે છે – કવિને અને પ્રેમીને.”

માણસ જ્યારે પ્રેમમાં હોય છે, ત્યારે તેનામાં એક જુદો ચમત્કાર થઈ રહ્યો હોય છે, ઘણી વાર એ ચમત્કારની પ્રેમીને પોતાને પણ ખબર નથી હોતી. અને એમાંય જો એ પ્રેમી કવિ હોય તો વાત ઓર બની જાય. જોકે કોઈ પણ માણસ પ્રેમમાં પડ્યા પછી થોડો ઘણો કવિ તો થઈ જ જતો હોય છે. પણ પ્રેમમાં પડ્યા પછી સાધારણ વ્યક્તિ અને કવિની અભિવ્યક્તિમાં શું ફેર હોય? આપણે એક દાખલો જોઈએ. ધારો કે પ્રેમિકા ખૂબ ધનવાન શેઠ કે નગરપતિની દીકરી છે, જ્યારે પ્રેમી રંક. કોઈ કાળે બંનેનું મિલન સંભવ નથી. આ જન્મમાં તેઓ એક થઈ શકે તેમ જ નથી. પ્રેમી તેની પ્રેમીકાને આ વાત જણાવવા માગે છે. સામાન્ય પ્રેમી હોય તો એટલું જ કહે, “તું મહેલની રહેવાવાળી, હું ઝૂંપડીનો માણસ, આપણો મેળ નહીં પડે. તું તારા રસ્તે હું મારા રસ્તે.” પણ જો એ પ્રેમી કવિ હોય તો કદાચ એમ કહે, “હું ગમે તેટલો મોટો કૂદકો મારું, તોય આકાશના ચાંદાને થોડો સ્પર્શી શકું? તું મારા કાંટાળા રસ્તા પર ચાલવા તારા મનને મનાવે તોય તારાં ચરણ તારી સુંવાળી કેડીનો સાદ અવગણી નહીં શકે.” આ તો એક નાનું ઉદાહરણ થયું, શક્ય છે કે આની કરતાં પણ વધારે સારી રીતે વ્યક્ત કરે. કવિની માગણી કે લાગણી બંને અભિવ્યક્તિમાં વિશેષતા હોવાની. કવિનું મૌન પણ અર્થસભર હોય છે, આદિલ મન્સૂરીએ લખ્યું છેને-

સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને 'આદિલ',
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

શાકીન કેશવાણીએ પોતાની પ્રેમિકાના મુખદર્શનની વાત કરી છે. એ કહે છે મને તમારો આખો ચહેરો ના બતાવો તો કંઈ નહીં, પરદો રાખો. પણ પરદા પાછળથીયે થોડીઘણી ઝલક તો આપો. આ વાતને તે ચંદ્ર અને ચાંદની સાથે સરખાવે છે, કહે છે કે મને આખો ચંદ્ર ન આપશો, ફક્ત ચાંદની મારી પર રેલાવી દો. હું ચંદ્રને અનુભવી લઈશ. આ જ વાતને ઈશ્વરને પણ લાગુ પાડી શકાય. મરીઝ આનાથી કંઈક જુદું કહે છે. આપણે વારેવારે ઈશ્વર પાસે લાંબા આયુષ્યની દુવાઓ કરતા હોઈએ છીએ. ભગવાન મને લાંબુ જીવાડે એવી ઝંખના સેવતા હોઈએ છીએ. ત્યારે આ વાતને મરીઝે જે રીતે જોઈ છે એ અદભુત છે,

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

આપણે ત્યાં પગ કાપીને રસ્તો આપ્યો, આંખ ફોડીને ચશ્માં આપ્યાં, જેવા વિરોધાભાસ પણ ઘણી પંક્તિઓ મળી આવશે. શાકીન કેશવાણીએ આ ભાવના તીવ્ર રીતે રજૂ કરી છે. કહે છે, જો મારા હોઠ સીવી નાખવાના હોય તો પછી રહેવા દેજો, મને વાંસળી આપવાનો કોઈ અર્થ નથી. તેમની અન્ય ગઝલમાં પણ લાગણીપૂર્વક માગણી રજૂ થઈ છે, તેના બે શેર સાથે – કવિના જન્મદિવસે તેમને વંદન કરી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

જિંદગીમાં તું હજી કાંઈક વધારો કરજે,
દૂર નૌકાથી સમંદરનો કિનારો કરજે,
કોલ આપીને ગયા છે એ ફરી મળવાનો,
ઓ વિધિ! ભાગ્યમાં થોડોક સુધારો કરજે.

- ‘સાકિન’ કેશવાણી

કોઈ પાડતું કેડી તે પર કોઈ ચરણ દઈ ચાલે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

કોઈ પાડતું કેડી તે પર કોઈ ચરણ દઈ ચાલે,
પૂર્વ દિશાનું પરોઢ પણ જઇ પશ્ર્વિમને અજવાળે.

તુળસીના કૂંડામાં વાવો
બાવળનું જો ઠૂંઠૂં
સાત સરોવર સીંચો તોયે
ઠૂંઠૂં તે તો ઠૂંઠૂં

ઋતુઋતુની રંગલીલામાં લેશ નહીં એ મ્હાલે.

દરિયો જળનું દાન દઇને
બાંધે વાદળ આભે,
વાદળ મીઠાં જળ વરસાવે
ધરતી એથી લાભે.

અગમનિગમનો ખેલ ખબર ના ચાલે કોના તાલે.

– બકુલ રાવળ ‘શાયર’

બ્રહ્માંડમાં સેંકડો ગેલ્સીઓ છે, ગેલેક્સીઓમાં અનંત તારાઓ છે. ઘણા તારાઓ ક્યાંક ખૂણામાં રહ્યા રહ્યા ચમકીને ખરી જાય છે, અને કોઈને ખ્યાલ પણ નથી આવતો. વિશ્વની દરેક ભાષામાં આવા નાના-નાના કવિ-સિતારાઓ પોતાનો પ્રકાશ આપીને ખરી જતા હશે, કોઈને ખાસ ખબર પણ નહીં રહેતી હોય. એકલા ભારતમાં જ 270 જેટલી માતૃભાષાઓ છે. જેમાંથી ઓફિશ્યલ 24 ભાષાઓ એવી છે કે જેમાં સાહિત્ય લખાય છે, અને કેન્દ્ર સરકાર દ્વારા આ ભાષામાં લખાતા સાહિત્યને પ્રોત્સાહિત કરવામાં આવે છે. થોડા દિવસો પહેલા જ આપણે માતૃભાષાદિન ઊજવ્યો. માતૃભાષાને પ્રેમ કરવાનો અર્થ અન્ય ભાષાનો વિરોધ નથી. બીજાની લીટી નાની કરીને પોતાની કઈ રીતે મોટી થઈ શકે? ઓક્સફર્ડ યુનિવર્સિટી દર વર્ષે ડિક્સનરી બહાર પાડે છે અને અન્ય ભાષાના કેટલા નવા શબ્દો ઉમેરાયા તેની યાદી બનાવીને ગર્વ અનુભવે છે. આ રીતે તે બીજાની લીટી નાની કર્યા વિના તે પોતાની મોટી કરે છે. આપણે અન્ય ભાષાના શબ્દો કાઢીને રાજી થઈએ છીએ. ભાષા વહેતી નદી જેવી છે. તે દરેક સમયે એક સરખી ન રહી શકે. આપણે ત્યાં કહેવત છે, બંધાય તે ગંધાય ને ફરે તે ચરે. તમે ભાષાની ફરતે પાળી બાંધી દેશો તો લાંબા ગાળે તે ખાબોચિયાની જેમ ગંધાવા લાગશે. એની ગંધ આપણને જ પરેશાન કરી મૂકશે.

ખેર, આવી અનેક માતૃભાષાઓમાંથી ગુજરાતી ભાષાના ખોળામાં માથું મૂકીને રચના કરનાર ઘણા કવિઓ છે, જે ખૂણામાં ચમકીને ખરી ગયા, અને લોકોને ખ્યાલ પણ ન આવ્યો. આમાંના એક હતા બકુલ રાવળ ‘શાયર’. તેમનું ઉપનામ જ શાયર હતું, આ પણ સુખદ આશ્ચર્ય પમાડે એવી વાત છે. આજકાલ તો ઉપનામ કે તખલ્લુસ રાખવાની ફેશન નથી રહી. હા, એની માટે ‘ફેશન શબ્દ જાણી જોઈને પ્રયોજ્યો છે. એક સમયે શયદા, મરીઝ, શૂન્ય, સૈફ, અમર, ઘાયલ એમ દરેક શાયર પોતાનું શાયર તરીકેનું નામ અલગથી રાખતા. શાયર છે ને તખલ્લુસ નથી? તખલ્લુસ વિના શાયર શાનો? આવી માન્યતા પણ ખરી. ઘણાએ તો એક પણ અક્ષર ન લખ્યો હોય છતાં તખલ્લુસ બનાવી રાખ્યું હોય. લખશું તો કામ આવશે. મારી સાથે ભણતા એક છોકરાએ પોતાનું નામ કવિ સાગર રાખેલું, જોકે એ કશું લખતો નહોતો. ઘણા સર્જકો ગઝલકાર તરીકે અલગ, ભજન લખે તો અલગ અને ગદ્ય લખે તો અલગ તખલ્લુસ રાખતા. જેમ કે મનુભાઈ દ્વિવેદી, ‘ગાફેલ’ના નામે ગઝલો લખતા અને ‘સરોદ’ના નામે ગીતો-ભજનો. આવું જ રામનારાયણ પાઠકનું હતું. જો આ વાતે ચડી જઈશું તો બકુલ રાવળની વાત કરવાની જ રહી જશે. આજ તેમની વાત કરવાનું કારણ એટલું જ કે આજે તેમની જન્મતિથિ છે. 6 માર્ચ 1930ના જન્મીને સાહિત્યજગતમાં ચમકીને ચુપચાપ ખરી ગયા.

લોગઇનમાં આપેલી તેમની કવિતા વાંચતાની સાથે અમુક લોકોને પેલી આંબા વાવવાવાળી વાત યાદ આવી જાય તો નવાઈ નહીં. એક વૃદ્ધ માણસે આંબો વાવ્યો હતો. આંબા પર કેરી આવતા તો વર્ષો લાગે. ત્યાંથી પસાર થનાર એક માણસને થયું કે કેરીઓ આવશે ત્યાં સુધી તો આ ડોસો જીવશે પણ નહીં, શું કામ ઉછેરતો હશે આંબો? તેણે એ વૃદ્ધને પૂછ્યું, તો જવાબ મળ્યો. આવતી પેઢી માટે. હું નથી ખાઈ શકવાનો, પણ મારી પછીની પેઢી તો ખાઈ શકશેને? અહીંથી ચાલનાર વટેમાર્ગુ તો તેના ફળનો સ્વાદ લઈ શકશેને?

કોઈ ચાલનાર માટે નવી કેડી કંડારવામાં માને છે તો કોઈ તેમના માર્ગમાં કાંટા વિખેરીને અડચણ ઊભી કરવામાં. જેવું જેનું વ્યક્તિત્વ. ઘણા બાવળના ઠૂંઠા જેવા હોય. લીલાશ મૂળમાંથી ગુમાવી ચૂક્યા હોય. તેમની પર ગમે તેટલા સરોવરના મીઠાં જળ નાખો તોય કશો ફેર ના પડે. વસંત આવે કે વર્ષાઋતુ, તેની સંગતની રંગત તે માણી જ નથી શકતા.

જીવન તો ચક્ર છે, લીધું તે પરત કરવું. દરિયો આકરા તાપમાં તપે છે, તેની બાષ્પથી વાદળ બંધાય છે, ચોમાસામાં એ વાદળ ધરતી પર ખાબકી પડે છે, હરિયાળી ફેલાવે છે. ખારું જળ આભે શોષી લીધું હતું તે વરસાદરૂપે મીઠું કરીને પરત કર્યું. કવિઓ-લેખકો પણ આ જ કામ કરે છે, તે સમાજમાં રહેલી કડવાશ પોતાના મનમાં ઝીલે છે, તેને અનુભવે છે અને વ્યથામાં વલોવાય છે. અને વલોવ્યા વિના માખણ નથી નીકળતું. પોતાનો અંદરનો તલસાટ, રઘવાટ, વલવલાટ તે કાવ્યમાં પરિવર્તિત કરે છે. કવિ પોતાની ઉદાસીને પણ વેડફતો નથી. તેમાંથી રચાતાં કાવ્યો અનેકને સાંત્વના આપે છે. આગામી પેઢીને દિશાસૂચન પૂરું પાડે છે. મરીઝે લખ્યું છેને-

લોગઆઉટ

આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.

— મરીઝ

નવ કરશો કોઈ શોક રસિકડાં

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક,
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિકડાં…

પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી. રસિકડાં…
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિકડાં…

એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. રસિકડાં…
હતો દૂખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી. રસિકડાં…

મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી. રસિકડાં…
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. રસિકડાં…

વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. રસિકડાં…
જુદાઈ દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિકડાં…

મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રુદનથી. રસિકડાં…
જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી. રસિકડાં…

મને વિસારી રામ સમરજો, સુખી થશો એ લતથી. રસિકડાં…

– નર્મદ

આપણે નરસિંહને ગુજરાતી ભાષાનો આદ્યકવિ કહીએ છીએ, તો નર્મદને અર્વાચીનોમાં આદ્ય. નરસિંહે પદો, પ્રભાતિયાં, ભજન દ્વારા ભાષાને લાડ લડાવ્યા, તેનો પીંડ બાંધો, ગુજરાતીપણાના સંસ્કાર તેણે લોકહૈયે જીવંત રાખ્યા. નર્મદે ગુજરાતીને પ્રાચીનમાંથી અર્વાચીન બનાવી, એટલા માટે જ કદાચ તે અર્વાચીનોમાં આદ્ય કહેવાતો હશે. 1833માં જ્યારે તેમનો જન્મ થયો ત્યારે ગુજરાતી ભાષાનું કલેવર આજના જેવું આધુનિક ન હોય એ સ્વાભાવિક છે. એ સમય ભજન, ભક્તિ અને પદપ્રભાતિયાંનો હતો. જોકે નર્મદે લખવાનું શરૂ કર્યું તે અગાઉ દલપતરામે પોતાની કાવ્યવાંસળી ફૂંકી દીધી હતી, જેના સૂર ગુજરાતી ભાષામાં પ્રસરવા લાગ્યા હતા.

પણ કલમના ખોળે માથું મૂકનાર તે ગુજરાતી ભાષાનો પહેલો કવિ હતો. આજે જય વસાવડા, કાજલ ઓઝા, અંકિત ત્રિવેદી જેવા સર્જકો પોતાની કલમના જોરે લોકોના હૈયામાં સ્થાન બનાવવામાં સફળ થયા છે. માત્ર ને માત્ર કલમથી જ પોતાનું ગુજરાન ગૌરવપૂર્વક ચલાવે છે તે ઘણા યુવાનો માટે આદર્શ દાખલો છે. આ દાખલો નર્મદે વર્ષો પહેલાં પૂરો પાડેલો. તેણે વિચારેલું, 'ભણવું, કમાવું, બૈરી કરવી એ સૌ આનંદને માટે છે, ને મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય છે ત્યારે હું તો એ જ કામ કરીશ, ને શેર જુવાર તો મળી રહેશે.' શેર જુવાર સાથે નિજાનંદ માણવાની હામ તેણે ભીડી.

નોકરી છોડીને કલમને ખોળે માથું મૂકતી વખતની સ્થિતિ વર્ણવતા તે લખે છે, “મારું મન કવિતા તરફ લાગેલું તેથી મને સ્કૂલમાં છોકરાઓ સાથે માથું ફોડવું દુરસ્ત ન લાગ્યું. સાડા દસથી તે પાંચ લગી કાહુ કાહુ થાય” આ કાહુ કાહુમાં નર્મદથી કવિતાનો કક્કો ઘૂંટી શકાતો નહોતો. આથી નિશાળના કામમાં દિલ ન લાગવાથી પોતાના બાપને પૂછ્યા વિના જ નવેમ્બરની 23મીએ સ્કૂલની નોકરી છોડી દીધી. તે સમયે આવું કામ કરતી વખતે પિતાને પૂછવાની નેમ ખરી, આજના સમયે નોકરી છોડવા જેવી બાબત ભાગ્યે જ પિતાને પૂછીને કરે છે. નર્મદે નોકરી છોડી એ તેમના પિતાને ગમ્યું નહોતું.

નોકરી છોડીને ઘરે આવ્યા અને તેમને જે થયું તે તેમના શબ્દોમાં જ વાંચો, "મેં ઘેર આવીને કલમની સામું જોઈ આંખમાં તેને ઝળઝળિયાં સાથે અરજ કરી કે 'હવે હું તારે ખોળે છઊં' કોઈ પણ રીતેની પેદાશની ગોઠવણ ન કરેલી તેથી મારા બાપ મનમાં તો બહુ દાઝ્યા પણ પછી મને કહ્યું કે 'ભાઈ, ઉતાવળ કરવાની શી જરૂર હતી' મેં વિચાર કીધો કે કવિતા તરફ મારું મન છે- નીતિભક્તિ તરફ મારું મન છે ને બીજા કોઈ ઉદ્યોગથી મારું મન માનતું નથી, માટે હરદાસનું કામ કરું કે જેથી પેટને પણ મળે ને મારો લખવા ભણવાનો ઉદ્યોગ કાયમ રહે- ગુજરાતીમાં કથા કરનાર કોઈ હરદાસ છે નહીં ને મારી વાણી સારી છે. માટે સંસ્કૃત અભ્યાસ વધારીને ગુજરાતીમાં આખ્યાનો બનાવી એ ઉદ્યોગે રહું."

ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ આત્મકથા લખવાની હિંમત તેણે કરી. ‘મારી હકીકત’ લખતી વખતે તેણે કહ્યું, 'આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારૂં તે તો હું નહીં જ લખું, પણ જે જે લખીશ તે તો... મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારૂં સારૂં સારૂં હો કે નરસું હો, લોકને પસંદ પડો કે ન પડો...' ગુજરાતી ભાષાનો પહેલો નિબંધ ‘મંડળી મળવાથી થતા લાભ’ પણ નર્મદ દ્વારા જ ગુજરાતી ભાષાને મળ્યો. ગુજરાતી ભાષાના શબ્દોનો ગુજરાતી ભાષામાં જ અર્થો આપતો અંગ્રેજી પદ્ધતિનો સળંગ વર્ણાનુક્રમિક કોશ ‘નર્મકોશ’ પણ તેણે જ તૈયાર કર્યો. તે સમયમાં સમાજમાં પ્રવર્તતી અનેક ગેરમાન્યતાઓ સામે પણ ‘દાંડિયો’ ઉગામ્યો. વિધવાવિવાહ જેવા કુરિવાજોનો તેણે દૃઢતાથી વિરોધ કર્યો.

‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે’ કે ‘જય જય ગરવી ગુજરાત, દીપો અરૂણું પરભાત’ જેવાં અનેક કાવ્યોથી તેણે લોકહૃદયમાં આગવું સ્થાન મેળવ્યું. આજે તેમની પુણ્યતિથિ છે. 24 ઓગસ્ટ 1833ના રોજ જન્મેલ નર્મદે 26 ફેબ્રુઆરી 1866ના રોજ જગતમાંથી વિદાય લીધી. તેમની તિથિએ દરેક ગુજરાતીએ તેમને ગૌરવપૂર્વક વંદન કરવા જોઈએ. આજે મૃત્યુ પછી શોક ન કરવા વિશેનું તેમનું જ કાવ્ય લોગઇનમાં મૂક્યું છે. તેમનું આખું જીવન તેમની જ આ એક પંક્તિમાં આવી જાય છે

લોગઆઉટ

‘વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી'


પ્રેમ ગલી અતિ સાંકરી

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

જબ મૈં થા તબ હરિ નહીં,
અબ હરિ હૈ મૈ નાહી,
પ્રેમ ગલી અતિ સાંકરી,
જામેં દો ન સમાહી.

— કબીર

ઘણાને પોતે શું છે એ બતાવવાની ઝંખના બહુ હોય છે. શેરીમાં નાનકડો ઝઘડો પણ થઈ જાય તો તરત બોલી ઊઠે, ‘હું કોણ છું એની તને ખબર નથી.’ આવું બોલનાર પહેલા તો પોતે પોતાને જાણતો નથી હોતો, નહીંતર આવું કહે શું કામ? ઘણા તો ઈગોમાં બરાડા પાડીને કહેતા હોય છે કે ‘હું કોનો છોકરો છું તને ખબર છે?’ આવા માણસને કહેવું જોઈએ કે, ‘અરે ભાઈ મને તો ખબર છે પણ તને નથી ખબર તારો બાપ કોણ છે, તે આમ જાહેર રસ્તા પર બરાડા પાડીને સર્ટિફિકેટો બતાવે છે.’

હુંપણું જબરું હોય છે. દરેકને એમ હોય છે કે હું બીજા કરતા વધારે સારો છું, અન્યો કરતા હું વિશેષ છે. આપણા ‘હ’ ઉપર આપણે હંમેશાં મોટું ટપકું મૂકીએ છીએ. હેમેન શાહનો શેર યાદ આવી જાયઃ

નાનું જરાક રાખો અનુસ્વાર હું ઉપર.
આખો વખત વજનને ઉઠાવી ફરાય નહિ.

કબીર પણ આવા હુંપણા તરફ આંગળી ચીંધે છે. પણ આપણે તેના વિશે વાત કરીએ તે પહેલા હર્ષ બ્રહ્મભટ્ટનો એક શેર મજેદાર યાદ આવી ગયો તે સાંભળો,

हसरत, तमन्ना, इशरत; उम्मीद, आस, निस्बत,
सामान इतना ज़ियादा छोटे सफ़र में मत रख.

ક્યા બાત હૈ! આપણે આયુષ્યના થેલામાં કેટકેટલું ભરીએ છીએ. ઇચ્છાઓ ખૂટતી જ નથી, એક સંતોષાય ત્યાં બીજી ઊભી થઈ જાય. સંબંધોના તાણાવાણા પણ ઓછા નથી થતા, નિસબતના નાણાંથી પણ ધનવાન થયા કરવાની ઝંખના સેવ્યા કરીએ છીએ. જેટલો વધારે સામાન એટલો જ વધારે થાક. આ બધા સામાનો પણ આપણા હું ઉપરના ટપકા જેવા છે. આપણે કાયમ એ ટપકાનો વજન ઊંચકીને ફરીએ છીએ.

જ્યાં સુધી તમારા હું ઉપરનું અનુસ્વાર મોટું હશે, ત્યાં સુધી તમને પ્રેમગલીમાં પ્રવેશી નહીં શકો. આશા, અપેક્ષા, ઇચ્છાના પોટલા ઊંચકીને ફરશો તો તમે હૃદયના રાજમાર્ગ પર ચાલી જ નહીં શકો. કબીર જે પ્રેમગલીની વાત કરે છે ત્યાં તો હુંપણાને અવકાશ જ નથી. પરમની કેડી પર ચાલવા માટે તો આખું અસ્તિત્વ ઓગાળવું પડે. માત્ર હું ઉપર રહેલું ટપકું જ નહીં, આખેઆખા ‘હ’ને ભૂલવાનો છે. પોતાનો ભાર મૂકીને ચાલશો તો પરમના પગથિયે સહજતાથી પગ મૂકી શકાશે.

ઈશ્વરની પ્રાપ્તિની હોય કે સ્નેહીની, હુંપણું નહીં ઓગળે ત્યાં સુધી હૃદયની ગલીમાં ડગલું માંડી નહીં શકાય. ઓશો ઘણી વાર પોતાના વ્યાખ્યાનમાં રુમીની કવિતામાં આવતી કથા કહેતા. રુમીએ લખેલુઃ

પ્રેયસીના દ્વાર પર પ્રેમીએ ટકોરા કર્યા,
અંદરથી અવાજ આવ્યો, કોણ?
દરવાજાની બહાર ઊભી રહેલી વ્યક્તિ બોલી, ‘હું છું’
અંદરથી અવાજ આવ્યો,
‘આ ઘર હું અને તું, બંનેને સાચવી શકે તેમ નથી.’
બંધ દરવાજો બંધ જ રહ્યો.
પ્રેમી આખરે થાકીને જંગલ તરફ ચાલ્યો ગયો.
ત્યાં જઈને તેણે પ્રેમીને પામવા ખૂબ તપ કર્યું, પ્રાથનાઓ કરી, ઉપવાસ કર્યા.
અનેક દિવસો પછી એ પાછો ફર્યો
ફરીથી તેણે પ્રેમીકાનું દ્વાર ખખડાવ્યું.
ફરીથી એ જ પ્રશ્ન, ‘કોણ છો?’
પ્રેમીએ જવાબ આપ્યો, ‘તું’
અને તરત જ દરવાજો ખૂલી ગયો.

પ્રેમીએ પોતાનું હુંપણું ઓગાળી નાખ્યું. આપણે તો નાનકડા સંબંધમાં પણ કેટકેટલી અપેક્ષા રાખીએ છીએ. કેટકેટલી શરતો લાદીએ છીએ. મેં તારા માટે આમ કર્યું, તેં શું કર્યું? અપેક્ષા એ કોઈ પણ સંબંધ માટે ધીમું ઝેર છે. શાહબુદ્દીન રાઠોડ વારંવાર એક જોક કહે છે. એક મિત્રને તેમણે કહ્યું, તું બીડી બહુ પીવે એ સારું નથી, એ ધીમું ઝેર છે. મિત્ર બોલ્યો, આપણે ક્યાં ઉતાવળ છે! આ વાત હસવા જેવી છે, પણ હસી નાખવા જેવી નથી.

આપણે દરેક સંબંધને અપેક્ષાની બીડીથી ફૂંકીએ છીએ. સમય જતાં ભાવનાઓ અને લગાવની ઇમ્યુનિટી ખતમ થઈ જાય છે. લાગણીને કેન્સર થઈ જાય છે, અપેક્ષાના જીવાણુઓ તેને કોતરી ખાય છે. પછી કોઈ પણ પ્રકારની કીમોથેરેપી કામ આવતી નથી. કેમ કે આપણે સંબંધમાં હુંપણું સાથે રાખ્યું હતું, મેં જીવન ખર્ચી નાખ્યું તારી પાછળ એનો શું બદલો મળ્યો મને? જ્યારે પણ આવી બદલાની ભાવનાથી પ્રેમગલીમાં પગ મૂકશો ત્યારે ત્યારે પગ કળણમાં ખૂંપશે.

હુંપણું પેલી ગુજરાતી કહેવત જેવું છે, સીંદરી બળે પણ વળ ન જાય. આ વાતને આબીદ ભટ્ટે આબાદ રીતે ગઝલમાં ઝીલી છે. તેના બે શેરથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

કાલની જો કળ વળે તો ઠીક છે,
આજ સહેવા બળ મળે તો ઠીક છે.
‘હું’પણાના લાખ આંટા વાળેલા,
દોરડીના વળ બળે તો ઠીક છે!

– આબિદ ભટ્ટ

પેપર નથી ફૂટ્યું સાહેબ ! ફરફોલા ફૂટ્યા છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

પેપર નથી ફૂટ્યું સાહેબ...
કૂવો ખોદતાં બાપના હાથમાં પડેલા
ફરફોલા ફૂટ્યાં છે.
ફૂટ્યાં છે મારા માટે ઉઘાડા પગે ચાલીને
માતાજીની માનતા કરતી
મારી માના પગમાં પડેલા છાલાં.
પેપર નથી ફૂટ્યું સાહેબ...
ફૂટી છે ઉજાગરાના કારણે
પાક્કલ ટબ્બા જેવી થઈ ગયેલી અમારી આંખો
ને એમાંથી નીકળી રહ્યાં છે
મરી ગયેલાં સપનાઓનાં પસ અને પરું.
ફૂટ્યાં છે અમારાં ટેરવાં,
જે લખીલખીને થઈ ગયાં હતાં લોથપોથ
ને તોય ઊભા હતા અડીખમ.
પેપર નથી ફૂટ્યું સાહેબ...
ફૂટ્યાં છે અમારા અરમાનોના કાચ,
જેની કરચો હવે ભોંકાઈ રહી છે અંગેઅંગમાં...
ડર લાગે છે, આ કાચના ટુકડા
ક્યાંક હથિયાર બની જશે તો ?

- જિત ચુડાસમા

ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓ બને છે. સેંકડો વિદ્યાર્થીઓ જેની માટે મહિનાઓ કે વર્ષોથી તૈયારી કરતા હોય, તેની પર રાતોરાત પાણી ફરી જાય છે. જય વસાવડાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પેપર નથી ફૂટતું પણ માણસ ફૂટે છે. પેપર તો કાગળ છે, એ ક્યાંથી ફૂટવાનું. માણસમાં રહેલી નૈતિકતાનું પાત્ર ફૂટે છે એટલે આવી નાલેશીભરી ઘટનાઓ ઘટે છે. આટઆટલી ઘટના ઘટ્યા પછી તો જે પરીક્ષાઓ લેવાઈ અને ભરતી થઈ તેમાં પણ કેટલા અંશે પ્રામાણિકતા જળવાઈ હશે કોણ કહી શકે?

લોગઇનમાં આપેલી કવિતામાં કવિએ સાંપ્રત ઘટનાને આબેહૂબ ઝીલી છે. એક ગરીબ પરિવાર પોતાના સંતાનને ભણાવવા માટે શું શું નથી કરતો? મા લોકોનાં દળણાં દળે છે, કપડાં-વાસણ કરે છે. જરૂર પડે તો પોતાનાં ઘરેણાં ગિરવે મૂકે છે. અરે, મંગળસૂત્ર સુધ્ધાં વેચતા નથી અટકાતી માતા. પણ સરકારી કર્મચારીઓ પોતાનું ઇમાન વેચીને બેઠા છે, અને આપણે ત્યાં વેચાયેલા ઇમાનની કિંમત મંગળસૂત્ર કરતા વધારે અંકાય છે!

બાપ લારી ચલાવશે, ખેતરમાં દાડિયે જશે, કાળી મજૂરી કરશે. આકરા તાપમાં ઉઘાડા પગે વૈતરું કરતો રહેશે, સંતાનના પગમાં ક્યાંય ફરફોલા ન પડે એ માટે પોતે આખો ફરફોલા જેવો થઈ જશે. ખેતરમાં ખાળિયા ખોદશે, છાણમાટીના ખાતરો ભરશે, કડિયાકામ કરશે, લારીઓ ખેંચશે. ચોવીસ કલાક ઓછા પડે એ હદે પોતાને ગધાવૈતરું કરશે. આવા બાપના ગંધાતા પરસેવાની સામે જગતનું મોઘામાં મોઘું અત્તર પણ ફિક્કું છે.

પેપર ફૂટે છે, ત્યારે આવા પરીશ્રમના પારસપણીથી સંતાનના ભણતરની ભોંય મજબૂત કરવા મથતા માબાપ ખજાને ખોટ આવે છે. તેમના પ્રામાણિકતાથી ભર્યાભર્યા હૈયામાં કોક ચાલાકીથી ભાલો ભોંક્યા જેવી વેદના થાય છે. જે વિદ્યાર્થી મોજશોખ કરવાની ઉંમરમાં બીજાના ચોપડા માગીને વાંચે છે, ભાડું ભરવાના પૈસા ન હોય તો ઉછીનાપાછીના કરીને પરીક્ષા આપવા જાય છે, તેના આંતરડામાં જે અગ્નિ પ્રગટતો હશે તેની જ્વાળા આ ફૂટેલા માણસો સુધી નહીં જતી હોય?

સાચી વાત છે, આ પેપર નથી ફૂટ્યું, હજારો વિદ્યાર્થીઓ અને સેંકડો ગરીબ માવતરનું નસીબ ફૂટ્યું છે. જેમના હાથ પોતાના દીકરા માટે મજૂરી કરતા નહોતા થાકતા એવા બાપના હાથમાં ઉપસી આવેલા ફરફોલા ફૂટ્યા છે. દીકરો પાસ થાય તો ચાલીને ચોટીલા કે અંબાજી જવાની માનતા રાખતી માના છાલા ફૂટ્યા છે. ઈશ્વરને મહેનતુ વિદ્યાર્થીઓને પાસ કરીને આવા માતાપિતાને ન્યાલ કરવા છે, પણ આ લોકોના હાથ ઈશ્વર કરતા પણ લાંબા છે.

રાતોની રાતો જાગીને જે વિદ્યાર્થીઓ વાંચતા હતા તેમની આંખો ફૂટી છે, પેપર નથી ફૂટ્યું. અને તેમાંથી લોહીનાં આંસુ નીકળી રહ્યાં છે. એક પરીક્ષા સાથે કેટકેટલા વિદ્યાર્થીઓનું નસીબ જોડાયેલું હોય છે, માત્ર પરીક્ષા આપનાર ઉમેદવારનું જ નહીં, તેના સમગ્ર પરિવારનું ભવિષ્ય પણ તેમાં જોડાયેલું હોય છે. ક્લાર્ક, પોલીસ કે સરકારી અધિકારી બનવાનાં અરમાનો રાતોરાત કાચની બરણી જેમ તૂટી જાય છે. એની કરચો બીજાને તો ક્યાં વાગવાની, પોતાને જ વાગવાની છે વસવસો થઈને. પણ વારંવાર આવું થતું રહેશે, તો ક્યારેક આ કાચ હથિયાર બની જશે. અને એ હથિયાર ક્યારે કોને કેમ વાગશે તે કહી ના શકાય.

પેપર ફૂટ્યાની ઘટનામાં ફૂટેલા માણસો બહાર આવતા જ નથી. આકરી તપાસ થશે-ના આદેશો કચેરીઓમાંથી નીકળે છે, પણ એ નીકળીને ક્યાં જાય છે કોઈ જાણતું નથી. અગાઉ પણ આવી ઘટનાઓ ઘટી છે, પહેલા પણ સેંકડો ઉમેદવારની આશાની ધૂળધાણી થઈ છે. પણ આવું કરનારને ગોળધાણી થઈ છે. આટઆટલું થયા પછી પણ લાખો ઉમેદવારો સરકારની આંખ આડા કાન કરવાની વૃત્તિને માફ કરી રહ્યા છે. ધન્ય છે એમની ઉદારતાને. જો અગાઉની ઘટનાઓમાં દાખલો બેસે એવી સજા કરવામાં આવી હોત તો પછીથી આવું કરતા પહેલા કોઈ પણ સો વખત વિચારત.

લોગઆઉટ

દાખલા પેપર ફૂટ્યાંના તેથી વધતા જાય છે,
દાખલો બેસે કદી એવી સજા ક્યાં થાય છે?

- કિરણસિંહ ચૌહાણ


ઘણો ઊંડો થયો છે ઘાવ, હું ચાલી નથી શકતો

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ


લોગઇન

અધૂરો રહી ગયો છે દાવ, હું ચાલી નથી શકતો,
ઘણો ઊંડો થયો છે ઘાવ, હું ચાલી નથી શકતો.

અહીં કોઈ નથી હાજર, બધાં ચાલ્યા ગયેલા છે,
કરું કોને જઈને રાવ, હું ચાલી નથી શકતો.

ઘણા વેચાઈ ચૂક્યા છે, ઘણા મજબૂર છે અહીંયા,
પ્રથમ નક્કી કરી લ્યો ભાવ, હું ચાલી નથી શકતો.

નયનથી જોઈને જળ તૃપ્ત થાવું ખૂબ અઘરું છે,
જરા નજદીક લાવો વાવ, હું ચાલી નથી શકતો.

મને સંજીવનીની છે પરખ પણ શું કરું'નાજુક',
સખત આવી ગયો છે તાવ, હું ચાલી નથી શકતો.

— અશોક પંચાલ 'નાજુક'

ગુજરાતી ભાષામાં આજકાલ સૌથી વધારે ગઝલો લખાય છે. ગઝલમાં ઘોડાપુર જેવી સ્થિતિ છે. કોઈ પણ નવો કવિ લખવાની શરૂઆત ગઝલથી કરતો હોય છે. તેના કારણમાં છે ગઝલની લોકપ્રિયતા. આપણે ત્યાં એવી ગેરમાન્યતા પણ છે કે જે લોકપ્રિય હોય તે ઓછું મહત્ત્વનું, અને જે ઓછું લોકપ્રિય હોય તે ક્લાસિક. પણ ગઝલની લોકપ્રિયતાએ સિદ્ધ કર્યું છે કે દરેક વખતે આવું નથી હોતું. ગાલિબ આજે આટલા લોકપ્રિય છે, છતાં તે ક્લાસિક સાહિત્યમાં શિખર પર બિરાજે છે. જ્યારે નદીમાં પુર આવે ત્યારે તેની સાથે ઘણા ઝાડી-ઝાંખરા, ડાળી-ડાંખરા તણાઈને આવતા હોય છે. પણ જેવું નીર શાંત થાય કે બધી નકામી વસ્તુ તણાઈને ફંગોળાઈ જાય, તળિયે બેસી જાય, છેવટે વધે છે માત્ર નિર્મળ જળ. જે નિરંતર વહેતું રહે છે. ગઝલના ઘોડાપુરમાં પણ આવું થશે, ઘણું બધું તણાઈ આવે છે, હજી આવશે, સમય જતાં જળ શાંત થશે ત્યારે જે સાહિત્ય વહેવાની ક્ષમતા ધરાવે છે તે નિરંતર વહેતું રહેશે.

અહીં લોગઇનમાં આપેલી ગઝલ જીવનના જુદા જુદા પડાવોમાં ઊભરાતી નિરાશાની છબીને આબેહૂબ ઝીલે છે. કેમરામાં દૃશ્ય કંડારવામાં તેના લેન્સ મદદરૂપ થતા હોય છે, તેમ અહીં ગઝલમાં શેરિયતની છબી ક્લિક કરવામાં તેના રદીફ-કાફિયાએ સારી આવો ટેકો કર્યો છે. જિંદગીમાં ઘણા એવો પડાવો આવે છે, જ્યારે બધી જ બારીઓ બંધ થઈ ગઈ હોય એમ લાગે છે. કોઈ સસ્તો દેખાતો નથી. જે દેખાય એની પર પણ શ્રદ્ધા રહેતી નથી. દૂધથી દાઝેલો છાશ ફૂંકીને પીવે એવી સ્થિતિમાં ફૂંકીને પીધેલી છાશથી પણ દાઝવાનું થાય તેવી નોબત આવે છે. નિરાશાની એટલી ઊંડી ખાઈમાં ધકેલાઈ જવાનું થાય છે કે આશાની જ્યોતિ તો ઠીક અગરબત્તી સુદ્ધાં નથી હાથ લાગતી. આવી સ્થિતિમાં, ઝેરનું મારણ ઝેરની જેમ, નિરાશાની સ્થિતિમાં નિરાશાથી છલકાતી કવિતા જીવવાનો આધાર બની જતી હોય છે.

“જીવનની રમતમાં મારો દાવ અધૂરો રહી ગયો છે, કેમ કે હું ચાલવા સક્ષમ નથી રહ્યો. મારી પર સંજોગોની બરછી એ હદે ઝીંકાઈ છે, એટલા એટલા ઘાવ થયા છે કે એક ડગલું પણ મંડાય એમ નથી. વળી આ નિરાધાર સ્થિતિમાં કોઈ સાથીસંગી પણ રહ્યું નથી, બધા ચાલ્યા ગયા છે. સહારા માટે બૂમ કોને પાડવી, કહી શકાય તેવું કોઈ હોવું તો જોઈએને?” કવિ આવું કહે ત્યારે વાંચનાર આવી સ્થિતિમાં હોય તો તેને પોતાની સ્થિતિનો વસવસો ઓગળવાનું ઠેકાણું મળે છે. એ કવિતામાં રહેલી નિરાશા ફિલ કરે છે, અને પોતાની ઉદાસી ઓગાળે છે. રડી લીધા પછી હળવાશ અનુભવાય તેમ કવિતાની ગંભીરતા પણ જીવનની ગંભીરતાનો છેદ ઉડડાતી હોય છે. આ સ્થિતિને એરિસ્ટોટલે ‘કેથાર્સિસ’ તરીકે ઓળખાવી છે. કવિતામાં રહેલી કરૂણતા અને નિરાશા આપણી ભાવનામાં પ્રવેશીને ઊથલો મારે છે, ભીતર રહેલા દર્દને છંછેડીને તેમાંથી જ દવા નિપજાવે છે. કવિતા દર્દમાંથી જ દવા બનાવે છે. ગાલિબે લખ્યું છે ને- दर्द का हद से गुज़रना है दवा हो जाना

કવિ કવિતામાં પોતાનું દર્દ ઘૂંટે છે, પણ તે ઘૂંટાયેલ દર્દ અન્ય માટે ઔષધ સાબિત થાય છે. એ ઔષધ માટે તમારે કવિતામાં રહેલી ભાવનાત્મક સ્થિતિને ફીલ કરવી પડશે, તેમાં ઉતરવું પડશે. જો તમે કવિતામાં વર્ણવવામાં આવેલી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હશો તો તરત તેને આત્મસાત કરી લેશો, અને તમારી ઉદાસીને જાણે એક મિત્ર મળી ગયાનો આનંદ થશે. તમારું દુઃખ પણ તમને આનંદ આપવા લાગશે, તમારું કેથાર્સિસ થશે. તેની માટે તમારે કવિતા સુધી જવું પડશે.

લોગઆઉટ

છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કોઈ ઇચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કાંધ પરથી હે કીડી! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

વસંતના વહાલાં-દવલાં

લોગઇન

રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં
ને શહેરનાં મકાનોને ખબર પડી
આજે વસંત પંચમી છે.
આસ્ફાલ્ટની કાળી સડકો
ભીતરથી સહેજ સળવળી
પણ
કૂંપળ ફૂટી નહીં.
ત્રાંસી ખુલેલી બારીને
બંધ કરી
કાચની આરપાર
કશું દેખાતું નહોંતું.
ફ્લાવર વાઝમાં
ગોઠવાયેલા ફૂલો કને જઇને પૂછ્યુ:
તમને ખબર છે, આજે વસંતપંચમી છે?

– સુરેશ દલાલ

વસંતને ન્હાનાલાલે ‘ઋતુરાજ વસંત’ કહીને બિરદાવી છે. વસંત બધી ઋતુઓમાં રાજા છે. પણ સુરેશ દલાલે ઉપરોક્ત કવિતામાં કરેલી ફરિયાદ ગેરવાજબી નથી. વસંત આવે અને જતી રહે છે લોકોને ખબર પણ નથી પડતી. રેડિયો પર તેનાં ગીતો વાગ્યાં તો ખ્યાલ આવ્યો કે ઓહ, આજે વસંતપંચમી છે! જો કે હવે સોશ્યલ મીડિયાથી ખ્યાલ આવે છે. એનો અર્થ કે કોકને તો ખબર છે જ કે વસંતપંચમી છે. રેડિયો પરથી ખ્યાલ આવ્યો, અર્થાત્ રેડિયો પર જે કામ કરે છે, તેમને ખબર છે વસંત વિશે. તેમના દ્વારા તો જાણવા મળ્યું. હવે જાણ્યા પછી શેનો વસવસો? ઊજવો વસંતને. થાવ વસંતઘેલા. લખો કાવ્યો.

કવિતામાં મોટેભાગે ફરિયાદ અને રોદણાં હોય તેવી અમુક મિત્રોની ફરિયાદ હોય છે. કદાચ તેમણે ફરિયાદ વિનાની કવિતાઓ ઓછી વાંચી હોય તેમ બને. પણ કવિતાના કરુણભાવને ફરિયાદ કે રોદણાં કહેવાને બદલે તેને એક સાહિત્યિક રસ કહેવો વધારે યોગ્ય છે. જેમ હાસ્ય, રૌદ્ર, બિભત્સ, કે શાંતરસ છે, એમ કરૂણરસ એ કવિતાનો મહત્ત્વનો ભાગ છે. આ કરુણતા જ માનવની સંવેદનાને ઢંઢોળે છે. વસંત જેવી ઋતુઓ તો આપણી અંદર ઝાંખા પડેલા રંગોને ફરીથી ઘાટ્ટા કરવાની ઋતુ છે.

આજના સમયમાં કામની ધમાલમાં લોકો એ ઋતુને ઊજવવાનું ભૂલી જાય એવું બને. પણ ખબર પડે પછી તો એનો આનંદ લો. ખબર ન પડવાનું કારણ માત્ર વધારે પડતું કામ કે નોકરી જ નથી હોતાં. પ્રકૃતિ પણ એક કારણ છે. આપણે આપણી આસપાસ પ્રકૃતિ કહેવાય તેવું કશું રહેવા દીધું હોય તો એ ખીલીને તમને સંદેશો આપેને કે જુઓ અમે આવી પહોંચ્યા છીએ! ચારેબાજું કોંક્રિટનાં જંગલો ખડકાઈ ગયાં હોય, ત્યાં વસંત સાથે તંત ગમે તેમ જોડો તોય ક્યાંથી મેળ પડે? ઘણાં બિલ્ડિંગોમાં તો વૃક્ષો પણ નકલી હોય છે, તેને પાન ખરવાની કે સુકાવાની કોઈ ચિંતા જ નથી હોતી. પાન ઊગે તો ખરે ને! આવા આર્ટિફિશિયલ ઝાડની નીચે બેસીને વસંતનાં ગાણાં ગનાર પણ ઘણા હશે. આવા સુશોભિત ઝાડની સાથે સેલ્ફી લઈને વસંતની ઊજવણી કરનાર પણ ક્યાંક મળી આવશે.

વિચારીએ તો થાય કે એમાં ખોટું ય શું છે? ઘણી સ્ત્રીઓ પાસે ચોવીસ કેરેટનું સાચું સોનું ન હોય તો તે કોઈ સાદી જગ્યાએથી કામચલાઉ ઘરેણાં પહેરીને સોનાનાં ઘરેણાં પહેર્યાના અહમને સંતોષતી હોય છે. વસંત બાબતે પણ આવું છે, તમારી આસપાસ વૃક્ષોની હરિયાળી ન હોય તો જે થોડાં ઝાડ-છોડ હોય તેમાં જ વસંત શોધવી પડેને. માણસ આમ પણ ખૂબ સગવડિયો છે, પહેલાં પોતે જ બધાં વૃક્ષોને ધરાશાયી કરશે, અને જેવી કોઈ વૃક્ષોના તહેવારની ક્ષણ આવશે કે તરત ફરિયાદ પણ કરશે કે અરેરે, હવે વૃક્ષો નથી રહ્યાં, હરિયાળી જતી રહી છે. ગરમી વધવાનું કારણ આ જ છે, ઝાડ હોય તો કેટલી ટાઢક રહે. ઘણાને બાજુમાં કુહાડી મૂક્યા પછી આવા વિચારો વધારે આવતા હોય છે. જેવી વસંત જાય કે તરત આ હરિયાળીનો કેફ પણ સુકાઈ જાય છે. ફળિયામાં સ્કૂટર કે કાર પાર્ક કરવામાં નડતું ઝાડ પણ બીજા જ અઠવાડિયે ધરાશાયી થઈ જાય છે. આપણને ફરક પણ નથી પડતો. વળી આવતા વર્ષે ફરીથી વસંતપંચમીએ રોદણાં રોવા બેસીશું, રેડિયો પર ગીત સાંભળીને વસંતપંચમી છે એવી ખબર પડ્યાના વસવસા ઠાલવીશું.

વસંતમાંથી ‘વ’ કાઢી નાખ્યા પછી, સંત શબ્દ રહે છે. વસંત ઋતુ પોતે કોઈ મહાસંત જેમ આપણી બધી ભૂલોને માફ કરીને પોતે જ્યાં પણ ખીલી શકે ત્યાં ખીલવા પ્રયત્ન કરે છે. કોઈ જર્જરિત ખંડેરની દીવાલ પર પણ તે પોતાના રંગો વિખેરી નાખશે. થોડાં વર્ષો રસ્તો ન વપરાય તો ડામરની તિરાડમાંથી તેની હરિયાળી ડોકું કાઢીને બહાર નીકળી આવશે. તેને અલગથી ઉછેરવાની જરૂર નથી, બસ માત્ર તેના માર્ગમાં અડચણ ન બનો તો વસંત રંગો વિખેરવા તત્પર જ છે.

મનોજ ખંડેરિયાએ વસંતને ગઝલમાં જે રીતે વધાવી છે તે કાબિલેદાદ છે.

લોગઆઉટ

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

– મનોજ ખંડેરિયા

મેરે કત્લ પે આપ ભી ચૂપ હૈ, અગલા નંબર આપકા હૈ

લોગઇન

નાઝીઓ જ્યારે સામ્યવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સામ્યવાદી નહોતો.

એ લોકો જ્યારે સમાજવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સમાજવાદી નહોતો.

એ લોકો જ્યારે કામદાર યુનિયનવાળાઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું કામદાર યુનિયનવાળો નહોતો.

એ લોકો જ્યારે યહુદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું યહુદી નહોતો.

એ લોકો જ્યારે મને પકડવા માટે આવ્યા,
ત્યારે બોલવા માટે કોઈ બચ્યું જ નહોતું.

– માર્ટિન નાઈમુલર (અનુ. ધવલ શાહ)

ઉપરોક્ત કવિતા વાંચતાની સાથે ઉર્દૂના પ્રસિદ્ધ શાયર નવાઝ દેવબંદીનો આ શેર યાદ આવ્યા વિના ન રહે.

उस के क़त्ल पे मैं भी चुप था मेरा नम्बर अब आया
मेरे क़त्ल पे आप भी चुप है अगला नम्बर आपका है

રસ્તામાં આવતો પથ્થર પણ જ્યાં સુધી આપણને ન વાગે ત્યાં સુધી આપણે હટાવતા નથી. ઘણા તો ઠેસ ખાઈનેય આગળ નીકળી જશે, પણ પથ્થર નહીં હટાવે. માર્ગમાં કોઈને લૂંટવામાં આવતો હોય તો એ ક્યાં આપણો ભાઈ કે કોઈ સગો છે, એમ વિચારીને આપણે ચાલતી પકડીએ છીએ. વળી એવી પણ માનસિકતા હોય કે આ બધા ડખામાં આપણે શું કામ પડવું? બીજાં હજાર કામ પડ્યાં છે. કોઈને અકસ્માત થયો હોય તોય ગાડી રમરમાવી મેલતા હોઈએ છીએ. હોસ્પિટલની દોડાદોડી કે પોલિસ સ્ટેશને જવાની માથાકૂટોમાં કોણ પડે? આ જ માનસિકતા સાથે જિંદગી વીતી જાય છે. સત્તાની ખુરશી પ્રજાની આવી જ માનસિકતાને લીધે જ ટકેલી હોય છે. જે દિવસે દરેક માણસ એવું વિચારતો થઈ જાય કે આ બાજુવાળા પર આવેલી મુશ્કેલી મારી પર પણ આવી શકે છે, તે દિવસથી રાજસત્તાની ખુરશીના પાયા ડગમગવા લાગશે. પણ એવું થવાનું નથી.

માર્ટિન નાઇમુલર એક પાદરી હતા. જ્યારે હિટલરનો આખા વિશ્વમાં જયજયકાર થઈ રહ્યો હતો, ત્યારે તેમણે તેનો વિરોધ કરેલો. અત્યારે હિટલર મહાહત્યારો ગણાય છે, પણ એ વખતે તેની એટલી બધી બોલબાલા હતી કે જર્મનીમાં તો હિટલર કહે તે જ સાચું ગણાતું. તે બોલે તે પથ્થર પરની લકીર માનવામાં આવતી. લોકોને પણ એમ જ લાગતું કે હિટલર જેવો જર્મનીનો હિતેચ્છુ બીજો કોઈ હતો નહીં, છે નહીં ને થશે નહીં. તે જે કરે છે તે અમારા ભલા માટે કરે છે. આખું જર્મની હિટલરની આંખે જોતું હતું. સમય જતાં કોન્સન્ટ્રેશન કેમ્પ, ગેસચેમ્બર અને બધી હત્યાઓ બહાર આવી. સત્ય ક્યાં સુધી દબાયેલું રહે? હિટલરો દરેક સમયે હોય છે. અને કરૂણતા એ છે કે એ જ્યારે હોય છે, ત્યારે લાગતા નથી. એ વખતે તો આપણને એમની સિવાય દુનિયાની બધી વાતો ફોકટ લાગતી હોય છે. એમની આંખે આપણને બધું જોવાની ટેવ પડી ગઈ હોય છે.

સત્તાની ખુરશી મોટે ભાગે ‘મારે શું?’ની વૃત્તિ પર ટકેલી હોય છે. હિટલર જેવા ઘણા સત્તાધારીઓ ચાલાકીપૂર્વક અત્યાચારો કરતા હોય છે, એની ઘણાને જાણ પણ હોય છે. પણ જે જાણતા હોય તે મારે શું? મને ક્યાં કંઈ વાંધો છે એમ માનીને ચાલવા દે છે. આગળ જતા આ વાંધો એના માથામાં પથરા જેમ વાગે છે. એ પથરો પણ એવે વખતે વાખે છે કે એમ્બ્યુલન્સ પણ ત્યાં સમયસર ન પહોંચી સકે. અમુક માણસો ‘સૌનું થશે એ વહુનું થશે’ની વૃત્તિવાળા પણ હોય છે. આપણને એકલાને થોડી તકલીફ છે. આખા ગામને છે. અને આખા ગામને એટલા માટે તકલીફ રહે છે કેમ કે આખા ગામનો દરેક જણ એમ જ વિચારતો હોય છે કે આપણને એકલાને ક્યાં મુશ્કેલી છે! મોંઘવારીની વાત આવે તો કહે, હશે આપણને એકલાને મોંઘવારી ક્યાં નડે છે. બેકારીની ચર્ચા થાય તો તરત કહે મારો ભાઈ કે છોકરો એકલો બેકાર થોડો છે? આખો દેશ રઝળે છે! ભણતરની વાત આવે તોય કહે આપણે ત્યાં જ એજ્યુકેશનની તકલીફ છે એવું નથી. લાઇટ, પાણી, રસ્તા કે વાહનવ્યવહારની સુવિધામાં પણ આ જ માનસિકતા ચાલ્યા કરે છે.

લોગઆઉટ

अगर ख़िलाफ़ हैं होने दो, जान थोड़ी है 
 ये सब धुआँ है कोई आसमान थोड़ी है
लगेगी आग तो आएँगे घर कई ज़द में
यहाँ पे सिर्फ़ हमारा मकान थोड़ी है

– રાહત ઇન્દોરી

પતંગનો ઓચ્છવઃ મનુષ્યના ઉમળકાઓનો ઘૂઘવતો વૈભવ

લોગઇન

પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ!

નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
નભની ભડભડતી એકલતા ભૂંસવા
જુઓ, મનુષ્યો-
ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.

ઉજ્જડ નભને નમણું નજરાણું
ઉર્ફે આ પતંગ!

હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ! તું નીચે આવ!
આવ નીચે ને જરાક હળવું થા…
માર નગારે ઘા,
ગમગીનીનો ગોટો વાળી
જલદી કૂદ કછોટો વાળી
ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા!
આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…

આભ, તને
આ પતંગ રૂપે છે નિમંત્રણ-
નીચે આવી ચાખ ઉમળકો,
ચાખ જુવાની, ચાખ લાગણી
ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
આભ, તું જરાક નીચે આવ…

– રમેશ પારેખ

વિવિધ તહેવારો પર આપણે ત્યાં ઘણી કવિતાઓ લખાઈ છે અને લખાય છે. ‘નેકી કર ઔક દરિયા મેં ડાલ’ એ કહેવત મુજબ ઘણા લોકો કશુંક સર્જન કરીને વોટ્સએપના દરિયામાં નાખતા રહે છે. જે કંઈ નથી કરી શકતા, તે પણ વોટ્સએપદરિયામાં નેકી તો કરી જ શકે છે. આ નેકીનો થોડો પ્રસાદ મને પણ ચાખવા મળેલો. કોણે લખ્યું છે એ ખબર નથી, પણ ઉત્તરાયણના પર્વ પરની આ કંકોતરી વાંચવી ગમે તેવી છે.

આમંત્રણઃ
પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી
હાલ ખંભાત નિવાસી શ્રીમતી સળીબહેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચિ. પતંગના શુભલગ્ન
હાલ સુરત નિવાસી શ્રીમતી ફીરકીબહેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
ચિ. દોરી સાથે
તા. 14 જાન્યુઆરી 2023ના રોજ ઘરની અગાશી પર નિર્ધાર્યા છે.
તો, આ શુભ પ્રસંગે નવદંપતિને નવા જીવનમાં સ્થિર કરવા
સગાસંબંધીઓ સહિત પધારી ઘોંઘાટમાં અભિવૃદ્ધિ કરશોજી.
તા. ક. – ગુંદરપટ્ટી પ્રથા બંધ છે!

પતંગનો ઉત્સવની તારીખ 14મી જાન્યુઆરી છે, પણ એની ઉજવણીની શરૂઆત તો દિવાળી પતે ને તરત થઈ જાય છે. સેંકડો ગામડાઓમાં આજે પણ પ્લાસ્ટિક કે કાગળમાંથી જાતે પતંગો બનાવીને છોકરાઓ ઉત્તરાયણ આવે એ પહેલાં જ આકાશમાં રંગોળી પૂરવાનું કામ ચાલુ કરી દે છે. ઉત્તરાયણ હજી તો ‘મે આય કમીન સર’, કહે એ પહેલાં તો આવા છોકરાઓ તેને ઉંચકીને પોતાના ઉલ્લાસના ક્લાસમાં બેસાડી દે છે. ઘણા લોકોને પોતાના આ રંગપૂરણીના દિવસો આજે પણ યાદ હશે અને નાના છોકરાવને રમેશ પારેખની કવિતાના પાત્ર આલા ખાચરની જેમ કહેતા પણ હશે કે, તમે શું પતંગુ ઉડાડતા’તા, પતંગું તો અમે ઉડાડેલી. પછી મનોમન એ દિવસોને યાદ કરી પોતાના અંદરના આકાશને થોડું રંગીન પણ કરતા હશે.

ઘણા ઓછાને ખબર હશે કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ ઉત્તરાયણ પર કવિતા લખી છે. ‘પતંગ એટલે મારી માટે ઊર્ધ્વગતિનો ઓચ્છવ,’ અત્યારે આખા દેશની દોર તેમના હાથમાં છે. રમેશ પારેખ જેવા - દોમદોમ સાહ્યબીથી છલકાતા લયના કામાતુર કવિ કશુંક લખે ત્યારે તેને ધ્યાનપૂર્વક વાંચવું જોઈએ. ઉત્તરાયણના તહેવારને તેમણે એક નવા દૃષ્ટિકોણથી જોયો. અનેકરંગી કાગળો તેમને મનુષ્યના ઉમળકાનો ઉત્સવ દેખાય છે. અને આ ઉત્સવ શાના માટે ઉજવે છે મનુષ્યો? નભની એકલતાને ભૂંસવા.

દરેક પતંગ પર એક ઉમળકો લખ્યો છે. નભના ઉદાસ નીલા રંગ પર પતંગનો રંગ મૂકીને તેને પણ થોડો ઉમળકો વહેંચવો છે, એટલે બધા ખીસકોલીકર્મ કરવા લાગ્યા છે. શ્રીરામ લંકા જવા માટે પુલ બાંધતા હતા, ત્યારે એક ખિસકોલી પણ આવી. કહે કે હું પણ મદદ કરીશ. નાનકડી ખિસકોલી શું પથ્થરો ઊંચકે ને શું મૂકે? એ ધૂળમાં જાય, આળોટે અને પછી દરિયામાં એ ધૂળ ખંખેરે. મનુષ્યો પણ આ વિશાળ દરિયામાં પોતાની વેંતબેવેંત પતંગથી આકાશની મહાકાય એકલતાને રંગીન પતંગો દ્વારા રંગવાના પ્રયત્નો કરે છે. હકીકતમાં આકાશ તો બહાનું છે, એકલતા તો દરેક માણસની પોતાની છે. આકાશ ક્યાં કોઈ વ્યક્તિ છે, ક્યાં કોઈ સજીવ વસ્તુ છે, હકીકતમાં તો આકાશ જેવું કશું છે જ નહીં, જે ખાલી અવકાશ છે એ જ આકાશ છે. આભમાં જોવાનું કહેવામાં આવે તો આપણે માથું ઊંચું કરીને ઉપર જોઈએ છીએ, પણ ધરતી પૂરી થાય ત્યાંથી જ શરૂ થઈ જાય છે. જે કંઈ અવકાશ છે, શૂન્યતા છે, તે જ આકાશ. આકાશનો ખાલીપો પતંગ દ્વારા આભનો ખાલીપો પૂરવાની વાત તો એક બહાનું છે, હકીકતમાં તો દરેક મનુષ્ય આંતરિક રીતે આકાશ જેવો ખાલી છે, તેને પોતાની અંદર રંગો પૂરવા છે, એટલે તે પતંગો ઉડાડે છે.

બાકી તો જિંદગી શું છે તે વાત રાહતસાહેબનો આ એક શેર સમજાવી દે છે.

લોગઆઉટ

જિંદગી ક્યા હૈ ખુદ હી સમજ જાઓગે,
બારીશો મેં પતંગે ઉડાયા કરો!

– રાહત ઇન્દોરી

દરેક વાતે ચોખવટ કરવાની જરૂર નથી

લોગઇન

કોઇ પણ ઘટનાની મારે ચોખવટ કરવી નથી,
ચાલતી અફવાની મારે ચોખવટ કરવી નથી.

મૌન આભૂષણ મને લાગે ઘણું વ્હાલું સદા,
બોલકા લકવાની મારે ચોખવટ કરવી નથી.

એક તરફા વાતને માની અને શું શું કહો?
ઝેરના ફતવાની મારે ચોખવટ કરવી નથી.

બોલવું, હસવું અને સંબંધ ચોખ્ખા રાખવા,
એ બધી રચનાની મારે ચોખવટ કરવી નથી.

એક ડાળીના છીએ કહીને એ ડાળી કાપતા,
મૂળથી સડવાની મારે ચોખવટ કરવી નથી.

તીવ્ર તણખા આગના લઈને ફરે છે રાત દિ'
હૂંફથી ઠરવાની મારે ચોખવટ કરવી નથી.

— પારુલ બારોટ

ગુજરાતી ભાષામાં બે વિરોધાભાષી કહેવત છે. એકઃ “બોલે તેના બોર વેચાય” અને બીજીઃ “ન બોલ્યામાં નવ ગુણ”. જો તમે નહીં બોલો તો તમારું કામ નહીં થાય. અર્થાત્ કામ કઢાવવું હોય તો બોલ્યા વિના છૂટકો નથી. વાત સમજાવવી એ પણ કળા છે. મંચ પર સારું બોલનારા લોકપ્રિય થાય છે, રાજકીય ક્ષેત્રે તો ખાસ. એમાં કેટલું સાચું છે એ મહત્ત્વનું નથી, સારું હોવું જોઈએ. સાંભળનારને રસ પડવો જોઈએ. તે વાતમાં ઓળઘોળ થઈ જવા જોઈએ. તમે ઘેટાની વસ્તીમાં જઈને, તેમનું જ ઊન કાઢીને, મફત ધાબળા આપવાની વાત કરી શકો. ઘેટાઓને ગળે વાત ઉતરવી જોઈએ. આવું ચતુરાઈભર્યું બોલતા ફાવી જાય તો માત્ર બોરા જ નહીં, જે બોરડી પર એક પણ બોર નહીં હોય અને ભવિષ્યમાં ક્યારેય ઊગવાનાં જ નહીં હોય, તેવી કાંટાળી બોરડી પણ વેચાઈ જશે. પણ બીજી કહેવત મુજબ એક ભય એ પણ છે કે બોલશો તો અળખામણા થશો. અવગુણી ગણાશો. બધા કહેશે આને તો કંઈ ભાન જ નથી, જ્યાં ને ત્યાં વચ્ચે પોતાનું માથું નાખ્યા કરે છે. ન બોલવાનું હોય ત્યાં બકબક કર્યા કરે છે. આવી સ્થિતિમાં ભગવાન બુદ્ધે કહ્યું છે તેમ, મધ્યમ માર્ગ અપનાવવો. ક્યાં કઈ કહેવતનું હથિયાર વાપરવું તે પોતાની સમજણથી નક્કી કરવું. લોકો તો નહીં બોલો તો મીંઢા કહેશે ને બોલશો તો બોલકણા. લોકોની તમા રાખશો તો પોતાનો તોર ગુમાવી બેસશો. અને ક્યાં ક્યાં સ્પષ્ટતા આપવા જશો. આ તો પેલા ગધેડાની ખરીદી જેવું થશે.

એક બાપદીકરો ગધેડો ખરીદીને જતા હતા, તેમને જતા જોઈને રસ્તામાં ઊભેલા લોકોએ મશ્કરી કરી, જુઓને કેવા મૂર્ખાઓ છે. આટલો સરસ ગધેડો ખરીદ્યો છે તોય ચાલીને જાય છે. આ સાંભળીને બાપ ગધેડા પર બેસી ગયો. આગળ બીજા લોકોએ કહ્યું. બાપને શરમ જ નથી, પોતે ગધેડા પર બેઠો છે ને બિચારા દીકરાને ચલાવે છે. બાપ ઊતરી ગયો, દીકરાને બેસાડ્યો. આગળ બીજા લોકો કહે, આજના છોકરાઓમાં પિતૃપ્રેમ જેવું જ નથી. બાપની ચિંતા જ નથી. કેવો ટેસથી બેઠો છે. કંટાળીને બાપદીકરો બંને ગધેડા પર બેસી ગયા. આગળ બીજા લોકો મળ્યા. એ કહે આ લોકોમાં તો કંઈ જીવદયા જેવું જ નથી. બેય પઠ્ઠા જેવા છે ને બિચારા ગધેડા પર ચડી બેઠા છે. બાપદીકરાએ કંટાળીને ગધેડાને જ ઊંચકી લીધો. તો વળી એ જોઈને બીજા લોકો હસવા લાગ્યા. આ જુઓ ભાઈ જુઓ, બે ગધેડા એક ગધેડાને ઊંચકીને જાય છે. જેની પર બેસવાનું હોય, એને ખભે બેસાડ્યો છે.

આવા લોકોને તમે કઈ રીતે પહોંચી વળશો? એ સંભવ જ નથી. તમારા જીવનની ઘટનાની લોકો આગળ ચોખવટ કરવી જરૂરી નથી. તમારી કોઈ પણ સ્પષ્ટતાથી તેમને સંતોષ નથી થવાનો. આવા લોકો, સુરેશ દલાલની ભાષામાં કહીએ તો બેસે ત્યાં બેસણું ને ઊઠે ત્યાં ઊઠમણું કરતા હોય છે. તેમની અવળવાણીને ભરોસે જીવીએ તો એવું જીવન કાળાપાણી કરતાંય આકરું સાબિત થાય.

પારૂલ બારોટ આ વાત સારી રીતે પામી ગયાં છે. એટલે જ તેમણે આ ગઝલમાં ચોખવટ ન કરવાની ચોખવટ કરી છે. ઉડાડનારા તો ગમે ત્યાંથી વાતો ખોદીને ગામમાં અફવા ઉડાડશે. અફવાના ધુમ્મસનો રંગ પૂછશે, એનો આકાર જાણવાની જિજ્ઞાસા રજૂ કરશે. માપ પટ્ટી લઈને આપણા શ્વાસ અના ઉચ્છવાસને પણ માપવા બેસશે. તમારી પાસે કારણ વગર ચોખવટો માગશે. તમારા બોલાયેલા શબ્દોની અને તમારા મૌનની પણ. તમારા સત્યની અને અફવાની પણ. સ્મિતની અને રુદનની પણ. ચાલવાની અને થોભવાની પણ. તમે વૃક્ષ થઈને કૂંપળ ખીલવશો તો હરખપદુડા ગણશે અને સુકા રહેશો તો ઠૂંઠામાં ખપાવશે. તમને સ્પષ્ટતા આપવા મજબૂર કરી દેશે.

જ્યારે સ્પષ્ટતા કરવા જશો ત્યારે તમારી અંદરનો માંહ્યલો ખળભળી ઊઠશે. એવા સમયે કદાચ કૃણાલ શાહનો આ શેર તમારી અંદર ફૂટી નીકળે તો નવાઈ નહીં.

લોગઆઉટ

સ્પષ્ટતા કરવા ગયો ઘટના વિશે,
કારણો કારણ વિના અકળાય છે.

– કુણાલ શાહ

જ્યારે મળીએ, જે દિ' મળીએ ત્યારે તે દિ' નવું વરસ

લોગઇન

જ્યારે મળીએ, જે દિ' મળીએ ત્યારે તે દિ' નવું વરસ
મતલબ કે કો' મનથી મળવા ધારે તે દિ' નવું વરસ

ખાસ્સા ત્રણસો પાંસઠ દિ'નો વાર્ષિક ગાળો ધરા ઉપર
હું તો માનું : ક્ષણ જ્યારે પડકારે તે દિ' નવું વરસ

ચહેરા પર રંગોળી, રોમેરોમે દીપક ઝળાહળા
માણસ-માણસ રોશન બનશે જ્યારે તે દિ' નવું વરસ

આળસ જઈને પેસી ગઈ હોય સૂરજના પણ સ્વભાવમાં

એવી આળસ કવિતા સામે હારે તે દિ' નવું વરસ

દરિયો કેવળ નિજમસ્તીનો જોખમકારક બની શકે
તરવૈયાઓ એકબીજાને તારે તે દિ' નવું વરસ

ઈશ્વરનું આપેલું હૈયું ફળિયું શાને બને નહિં ?
આ જ પ્રશ્ન પર લોકો સ્હેજ વિચારે તે દિ' નવું વરસ

— જિતુ ત્રિવેદી

આપણે ત્યાં બે વખત નવું વર્ષ ઉજવાય છે. દિવાળી અને બેસતું વર્ષ તો આખું ભારત ફૂલઝડીની તારાઝરતી ચમકથી રોશન થતું હોય છે, પણ 31 ડિસેમ્બર અને 1લી જાન્યુઆરીએ પણ નવા વર્ષને આવકારવા તત્પર ઊભા રહીએ છીએ. આપણે મૂળ તહેવારપ્રિય પ્રજા છીએ. નાતાલ હોય કે હોય, હોળી, ઈદ હોય કે દિવાળી, મહોરમ હોય કે ઉતરાયણ, સેલિબ્રેશન એ આપણા અંતરાત્માની ઓળખ છે, તેમાં ક્યારેય આપણને ધર્મ નથી નડ્યો, જાતિ નથી નડી, દેશ-વિદેશના બંધનો નથી નડ્યાં. આપણે ધારીએ તો રોજે એક તહેવાર બનાવીને ઊજવી શકીએ. જલસો કરવા માટે આપણને સ્પેશ્યલ દિવસના ટેકાની જરૂર પડી જ નથી. નવરાત્રીના નવ દિવસ ઓછા પડે છે તો આપણે દશેરાએ પણ ગરબાની રમઝટ બોલાવીએ છીએ. વળી પૂનમની સ્પેશ્યલ ગરબાપાર્ટી તો અલગ. એક દિવસની દિવાળીથી આપણને ક્યાંથી પૂરી પડે? એટલે આપણે તેની ઉજવણી અગાઉથી જ શરૂ કરી દઈએ છીએ. વાકબારસ, ધનતેરસ, કાળીચૌદશ જેવા તહેવારોમાં તરબતર થતા થતા આપણે દિવાળી પાસે પહોંચીએ છીએ. પછી બેસતું વર્ષ તો ઊભું જ હોય. ભાઈબીજ, લાભપાંચમ અને તુલસીવિવાહ તો લટકામાં. એમાંથી હજી પરવાર્યા ન હોઈએ, ત્યાં દેવદિવાળી દરવાજે આવીને ઊભી રહે. દેવદિવાળીના ફટાકડાનો અવાજ પત્યો ના હોય ત્યાં તો આકાશામાં પતંગોએ રમઝટી બોલાવવાની ચાલુ કરી દીધી હોય. આકાશને રંગોથી ભરી દીધું હોય.

ઉજવણી આપણા આયખામાં ઓતપ્રોત થઈ ગઈ છે. જેમ કપાસમાં રૂ, તેમ આપણા જીવનમાં ઊજવણી. જીવન હોય કે મૃત્યુ, મિલન હોય કે વિદાય, આનંદ હોય કે શોક, આપણે બધી ભાવનાઓને સેલિબ્રેટ કરવામાં માનીએ છીએ. દિકરીની વિદાયમાં આખો પરિવાર રડવાનો આનંદ લે છે. આમાં ‘આનંદ’ શબ્દ ઉપર ખાસ ભાર આપવા જેવો છે. આ આનંદમાં પારાવાર પીડા હોય છે, છતાં હૃદયથી દીકરીને યોગ્ય ઘરે વળાવ્યાનો સંતોષ પણ હોય છે. મૃત્યુ પછીના બેસણામાં પણ આપણે કાળાં કપડાં નથી પહેરતા. તેને પણ શ્વેત રંગથી ભરી દઈએ છીએ. જેથી મૃત્યુની કાળાશને ઝાંખી પાડી શકાય.

લોગઇનમાં આપવામાં આવેલી કવિતા આપણું પાક્કું ગુજરાતીપણું દર્શાવે આપે છે. જ્યારે મળીએ, જે દિ મળીએ, એ દિવસ જ આપણી માટે નવું વર્ષ બનવું જોઈએ. આપણે નક્કી કરેલા દિવસે નવું વર્ષ ઉજવીએ, પણ શક્ય છે કે એ જ દિવસે આપણે માનસિક રીતે તે આનંદમાં સામેલ થવા માટે સમર્થ ન હોઈએ. અને જ્યારે સેલિબ્રેટ કરવાના મૂડમાં હોઈએ ત્યારે તહેવાર ન હોય. બહેતર છે કે સેલિબ્રેટ કરવાની ઇચ્છા થાય તો કરી લેવું. ઘણા લોકો કેક ખાવા માટે બર્થડેની રાહ જોઈને બેઠા હોય. અને બર્થડે આવીને ઊભી હોય ત્યારે કેક સિવાય બીજી જ ઇચ્છાની ડાળી પકડીને ઊભા હોય. કોઈ પ્રસંગમાં નાચવાની ઇચ્છા હોય ત્યારે કોઈના આગ્રહની ઝંખના રાખ્યા કરીએ અને કોઈ જ્યારે પ્રેમથી આગ્રહ કરે ત્યારે નૃત્યનો નશો ઊતરી ગયો હોય. જ્યારે જે રંગ ચિત્તમાં ઢોળાય ત્યારે તે રંગને ઊજવી લેવો, તે રંગે રંગાઈ જવું. નહીંતર ગમતા રંગ પાછળ હવાતિંયા જ મારવાનાં રહે.

આપણે જ્યારે જ્યાં હોઈએ ત્યારે ત્યાં નથી હોતા. આપણને મોટે ભાગે સામેવાળી વ્યક્તિ વધારે સુખી લાગે છે. કોઈકની નોકરીની ઈર્ષા થાય, કોઈકના ઘર અને પરિવારની, કોઈકની આર્થિક સધ્ધરતાની તો કોઈની સુંદરતાની. હંમેશાં બીજા પાસે આપણી કરતા વધારે સારું છે, તેવી માનસિક પીડાના ભાર નીચે આપણે હંમેશાં દબાયેલા રહીએ છીએ. આવી પીડાનો પથ્થર આપણા કાગળ જેવી માનસિકતા પર પડ્યો રહે છે, એટલે આપણે પણ કાગળ માફક મનોમન થરથર્યા કરીએ છીએ, ત્યાંથી હલી શકતા નથી. જેવો પેલો પથ્થર હટશે કે તરત કાગળ પવનમાં આમથી તેમ ઊડાઊડ કરી મૂકશે. જો ઊજવી શકીએ તો પ્રત્યેક પળ તહેવાર છે.

લોગઆઉટ

આમ તો જગમાં બધુ કેવું સરસ બદલાય છે
આ નદી બદલાય છે પણ ક્યાં તરસ બદલાય છે
જિંદગીમાં કંઇક તો બદલાવ હોવો જોઈએ
વાત એ સમજાવવા માટે વરસ બદલાય છે.

- કિરણસિંહ ચૌહાણ

એક કવિનું સર્જન અન્ય કવિના નામે કેમ ચડી જાય છે?

લોગઇન

ઉમ્રે દરાજ માંગ કે લાઈ થી ચાર દિન,
દો આરઝૂ મેં કટ ગયે દો ઇંતઝાર મેં.

— સીમાબ અકબરાબાદી

લોગઇનમાં આપવામાં આવેલો શેર ઉર્દૂ ભાષાના ઉત્તમ શેરમાંનો એક છે. અગાઉ આ કોલમમાં આ શેર ટાંક્યો, ત્યારે ઘણા લોકોના મેસેજ આવ્યા કે આ શેર બહાદુરશાહ જફરનો છે. આવા મેસેજિસના આધારે મને વિચાર આવ્યો કે હજી પણ ઘણા લોકો આ શેર બહાદુરશાહનો જ સમજતા હશે. પણ તેના મૂળ શાયર તો અકબરાબાદી જ છે. આ શેર 1947માં પ્રકાશિત થયેલા અકબરાબાદીના દિવાન ‘કલીમ-એ-આલમ’માં છપાયેલો છે, વળી તેમણે એક મુશાયરામાં પણ આ શેરનું પઠન કરેલું. સીમાબની આયુષ્યરેખા 1880થી 1951 સુધીની છે. તેમણે અનેક ઉત્તમ ગઝલો આપી છે. ઉર્દુના એક સમયના અગ્રગણ્ય અને આધુનિક શાયર અને અનેક શાગિર્દોના ઉસ્તાદ પણ રહી ચૂકેલા. ઉપરનો અમર શેર જે ગઝલમાં છે, એ ખૂબ લાંબી છે, અહીં ટાંકવી શક્ય નથી, પણ તેનો મત્લા આવો છે.

શાયદ જગહ નસીબ હો ઉસ ગુલ કે હાર મેં,
મૈં ફૂલ બન કે આઉંગા અબ કી બહાર મેં.

હવે પ્રશ્ન એ થાય કે તો પછી આ શેર બહાદુરશાહના નામે કેમ ચડી ગયો? તેનાં બે કારણ હતાં. એક તો આ શેર બહાદુરશાહનું જીવન અને બીજું, આ ગઝલનું બંધારણ.

બહાદુરશાહ હિન્દુસ્તાનના અંતિમ મોગલ બાદશાહ હતા. પોતે ઉત્તમ શાયર અને લોકપ્રિય હતા. ગઝલો લખતા અને મુશાયરાઓનું આયોજન કરતા. તેમનો દરબાર શાયરો કવિઓથી ભર્યો ભર્યો રહેતો હતો. કોઈ બાહશાહ પોતે શાયરી કહેતો હોય એના શાસનમાં કવિઓના માનપાન કેટલા ઊંચા હોય! બહાદુરશાહે પોતાના સમયમાં ગાલિબ, ઝોક, મોમીન, દાગ જેવા અનેક શાયરોને ખૂબ પ્રોત્સાહિત કર્યા. આના લીધે જ એ સમયની ઉર્દૂ શાયરી સમૃદ્ધ છે. આજે પણ એ સમયના શાયરોએ કરેલું કામ ઉર્દૂ સાહિત્યમાં શિલાલેખ સમાન છે. બહાદુરશાહે પોતે અનેક ઉત્તમ અને ઉમદા શેર આપ્યા.

બહારદુરશાહે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામમાં ભારતીય સૈનિકોનું નેતૃત્વ કર્યું હતું. પણ યુદ્ધમાં હારી જવાથી તેમણે ભાગવું પડ્યું. એ વખતે તે હુમાયુના મકબરામાં જઈને છુપાઈ ગયા. મેજર હડસન તેમને પકડવા માટે આવ્યા. હડસનને ખબર હતી કે બહાદુરશાહ ઉર્દૂના મોટા શાયર છે, હડસનને પણ ઉર્દૂ સારું આડતું હતું, શાયરીનો શોખ હતો. તેણે બહાદુરશાહને કહ્યું,

"દમદમે મેં દમ નહીં હૈ ખૈર માંગો જાન કી,
એ જફર ઠંડી હુઈ અબ તેગ હિન્દુસ્તાન કી."

ત્યારે બાદશાહે શાયરના મિજાજને શોભે એવો બાદશાહી જવાબ આપ્યો,
"ગાઝિયો મેં બૂ રહેગી જબ તલક ઈમાન કી,
તખ્ત એ લંદન તક ચલેગી તેગ હિન્દુસ્તાન કી."

બહાદુરશાહ હિન્દુસ્તાનને ખૂબ પ્રેમ કરતા હતા અને હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી હતા. બાદશાહ બનતાની સાથે જ તેમણે ગૌહત્યા પર પાબંદી લાદી દીધેલી. તેમના જીવનનો એક કિસ્સો પણ જાણીતો છે. અંગ્રેજોએ બહાદુરશાહને કેદ કર્યા પછી તેમની પર જુલમની તમામ હદો પાર કરી નાખી. જ્યારે બહાદુરશાહને ભૂખ લાગી ત્યારે અંગ્રેજોએ તેમની સામે થાળીમાં તેમના જ બે દીકરાના માથાં કાપીને પીરસ્યાં. ત્યારે તેમણે અંગ્રેજોને જવાબ આપ્યો કે, હિન્દુસ્તાનના પુત્રો દેશ માટે પોતાનું માથું કુરબાન કરીને બાપ સામે ગૌરવપૂર્વક આ જ અંદાઝમાં હાજર થાય છે. બાદશાહને કેદ કરીને રંગૂન મોકલી દેવામાં આવ્યા, પણ તેમનું હૃદય હિન્દુસ્તાનમાં જ રહ્યું. ઇચ્છતા હતા કે તેમનો અંતિમ સમય હિન્દુસ્તાનમાં વીતે. તેમને જિંદગીભર હિન્દુસ્તાનની ‘આરજૂ’ પણ રહી અને ‘ઇંતઝાર’ પણ રહ્યો. સીમાબ અકબરાબાદીના શેરમાં વ્યક્ત થયેલી વ્યથા બહાદુરશાહ જીવ્યા.

બહાદુરશાહના નામે આ શેર બોલાતો રહ્યો તેનું બીજું એક કારણ એ કે બહાદુરશાહની જ એક ખૂબ જાણીતી ગઝલના રદીફ - કાફીયા અદ્દલ સીમાબ અકબરાબાદીના આ શેર સાથે મળતા આવે છે. આટલું ઓછું હોય તેમ તેમની સળંગસૂત્રતા અને ભાવ પણ તેની સાથે મર્જ થઈ જાય છે, આના લીધે આ શેર તેમની જ પ્રસિદ્ધ ગઝલનો હશે તે વાત સાથે સંમત થઈ જવાય છે. કાદચ એના લીધે જ વર્ષો સુધી આ શેર બહાદુરશાહના નામે બોલાતો રહ્યો.

લોગઆઉટ

લગતા નહીં હૈ દિલ મિરા ઉજડે દયાર મેં,
કિસકી બની હૈ આલમ-એ-ના-પાએદાર મેં.

ઇન હસરતોં સે કહ દો કહીં ઔર જા બસે,
ઇતની જગહ કહાં હૈ દિલ-એ-દાગ-દાર મેં.

કાંટો કે મત નિકાલ ચમન સે એ બાગબાં,
યે ભી ગુલોં કે સાથ પલે હૈ બહાર મેં.

બુલબુલ કો બાગબાં સે ન સય્યાદ સે ગિલા,
કિસ્મત મેં કેદ લિખી થી ફસ્લ-એ-બહાર મેં.

કિતના હૈ બદનસીબ ‘જફર’ દફ્ન કે લિયે,
દો ગજ જમીન ભી ન મિલી કુ-એ-યાર મેં.

- બહાદુરશાહ જફર

‘ઘાયલ’ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએ

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ

લોગઇન

ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં
કાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં

આપણને આદિ કાળથી અકળાવતું હતું
લાવ્યો છું એ જ મૌન હું વાણીના સ્વાંગમાં

પૂનમ ગણીને જેમની પાસે ગયો હતો
એ તો હતી ઉદાસી, ઉજાણીના સ્વાંગમાં

‘ઘાયલ’ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએ
દાસીના સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં

- અમૃત ઘાયલ

મકરંદ દવેએ લખ્યું છે- ‘નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ.’ કવિ આ ધૂળિયા માર્ગનો પ્રવાસી છે. કાવડિયાના કાગળમાં બેસીને કવિતાની નદી પાર નથી કરી શકાતી. તેની માટે તો ખુવારી અને ખુમારી બંને જોઈએ. ખલીલસાહેબનો આ શેર તો કઈ રીતે ભૂલાય?

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું.

ગઝલકાર ખુમારી મુકીને ગઝલમાં આવે, ત્યારે ગઝલિયત ખૂણામાં મુકાઈ જાય છે. કવિની લાચારીમાં પણ ખુમારી હોય છે. શાહી ઠાઠમાં જીવીને સોનાની કલમથી અને ચાંદીના તાર જડેલી નોટબુકમાં લખાતી કવિતાનું મૂલ્ય કેટલું ઊંચું જશે એ કહી નથી શકાતું. પણ જિંદગીના ઝંઝાવત ઝીલીને ફાટેલા કાગળ પર ઊતરેલો કવિતાને શબ્દ, ભલે સામાન્ય બેપાંચ રૂપિયાની પેનથી લખાયો હોય, તેનું મૂલ્ય પેલી સોનાની કલમ કરતાં લાખોગણું વધારે હોય છે. જ્યાં સુધી ઘસરકો કે ઘાવ નથી, વલોપાત કે સંતાપ નથી ત્યાં સુધી કવિતા તમારી પીઠ નહીં પસવારે. તમારી પાસે નહીં બેસે. તમને હૂંફ નહીં આપે. તમે તેની પાછળ ગમે તેટલું દોડશો છતાં એ ઝાંઝવાના આભાષી જળ જેવી સાબિત થશે. એક અંગ્રેજ કવિએ લખેલું, તમારે કવિતા લખવી છે તો ક્યાં છે તમારા ઘાવ મને બતાવો.

તમે એમ વિચારીને બેસો કે સવારે સાત વાગ્યે ઊઠીને કવિતા લખવા બેસવું છે, તો કવિતા ચોક્કસ લખાશે, પણ તેમાં કાવ્યતત્ત્વનો અભાવ હશે. ગઝલ હશે, પણ ગઝલિયત નહીં હોય. તમે ગમે એટલા ભાવના ઊભરા ઠાલવશો તો એ માત્ર શાબ્દિક લાગણીવેડા પુરવાર થશે. અમુક સમય પછી એ જ કવિતા તમને પોતાને નહીં ગમે. કવિતા તો જિંદગીમાં અભાવના ઉછાળા આવવા લાગે, ત્યારે આપોઆપ પાસે આવીને બેસે છે. હૃદયમાં ખળભળાટ થવા લાગે ત્યારે તે મીઠા ઝરણાની જેમ વહે છે. ભીતરનો ખાલીપો આભને અડે એટલો ઊંચો થાય ત્યારે કવિતા તેમાં ઊર્મિની રંગોળી પૂરવા પ્રયાસ કરે છે. એનાથી ખાલીપો ભરાશે કે નહીં તેની ખાત્રી નથી, પણ કવ્યતત્ત્વ ચોક્કસ ઊભરાશે.

જ્યારે ઉદાસી સાથે પ્રેમ થવા લાગે, પીડા સાથે ઘરોબો બંધાવા લાગે. દર્દ સાથે દોસ્તીના તાર જોડાવા માંડે, ઊંડે ઊંડેથી કોઈ અભાવ કોરતો હોય એવું લાગ્યા કરે. બધું મળ્યા પછી પણ કશુંક નહીં હોવાનો રંજ રહે, હૃદય અંદર કોઈ ટીસ રહી ગયાની લાગણી અનુભવાય, ઘણું બધું વ્યક્ત કરવું હોય, પણ એ ઘણું બધું શું છે એ ન સમજાય, વિચારોની વાવના છેલ્લા પગથિયે પહોંચીને પણ કોઈ ઉકેલનું જળ ન સાંપડ્યાનો વસવસો ઊભરાય, કોઈની વાત સાંભળતા હોવા છતાં ન સાંભળી રહ્યા હોવ અને કોઈ બીજી જ જગ્યાએ ખોવાયેલા હોવ, દરિયામાં તોફાન આવ્યું હોય, લોકો જીવ બચાવવા બૂમાબૂમ કરતા હોય, ત્યારે તમને માત્ર એટલી જ ચિંતા હોય કે ભગવાન કરે ગઝલ પૂરી થઈ જાય તો સારું. ત્યારે સમજવું કે કવિતાનો ઘરોબો પાક્કો થયો છે. અબ્બાસ તાબીસનો આ શેર યાદ આવ્યા વિના ન રહે

ડૂબતી નાવ મેં સબ ચીખ રહે હૈ તાબીશ,
ઔર મુઝે ફિક્ર ગઝલ મેરી મુકમ્મલ હો જાયે.

ઘાયલ સાહેબે શુદ્ધ કવિતાની અપેક્ષા રાખી છે. તે ગઝલમાં કહે છે કે કવિતા તો આપણને જુદા જુદા સ્વાંગમાં મળે છે. ક્યારેક એ સ્મિતના પડીકામાં આંસુ પધરાવે. ક્યારેક આંખથી આંસુ વહેતાં હોય તો લોહી વહી રહ્યાની વેદના કરાવે. જીવનની વરવી ઠોકરો એક કહાણી બનીને આવે અને દરેક કહાણી એક કવિતા સ્વરૂપે હૃદયમાં વલોવાય. આ વલોપાત એટલો પજવે કે તેને શબ્દોમાં વ્યક્ત કર્યા વિના રહી ન શકાય. જો વલોપાત વાણીમાં ન ઊતરે તો પાગલ થઈ જવાનો ભય રહે. ક્યારેક વર્ષોથી અંદર ને અંદર અકળાવ્યા કરતા મૌનને વાણીના રસ્તે વહાવીએ ત્યારે તે કવિતાનું રૂપ પામે. ક્યારેક ઊજવાતી ઉજાણીનું પડ હટાવીએ તો ખ્યાલ આવે કે અહીં તો ઉદાસી ઉજવાય છે. ક્યારેક રાણી થઈને હૃદયના સિંહાસન પર બિરાજે તો ક્યારેક દાસીના સ્વાંગમાં બેઠી હોય. ઘાયલસાહેબ કહે છે, ગમે તે સ્વરૂપે આવે, પણ શુદ્ધ કવિતા આવવી જોઈએ.

જ્યારે સમયનું ઝેર ચડે ત્યારે કવિતા પાસે જજો. કવિતા એ સમયનું ઝેર ઉતારવાની કલા છે.

લોગઆઉટ

રમેશ ભાગ જલદી ભાગ કોરા કાગળમાં,
સમયનું ઝેર ચડ્યું છે ઉતારવું પડશે!

– રમેશ પારેખ

મોત કેરા નામથી ગભરાઉ એવો હું નથી

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

– ઉમર ખય્યામ (અનુ. શૂન્ય પાલનપુરી

ઉમર ખય્યામ અરબી ભાષાના પ્રખર ફિલસૂફ, તેજોમય કવિ. ખગોળ વિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી પણ ખરા. આજથી અગિયાર સો વર્ષ પહેલાં તેમની ખ્યાતિ કવિ કરતા ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી તરીકે વધારે હતી. તેમના કાવ્યોના અનુવાદ થયા અને વિશ્વભરમાં પહોંચ્યા તો તેમની કવિપ્રતિભા વધારે મોટી ગઈ. અને કવિ તરીકેની ઓળખ નીચે બાકીની ઓળખો ઢંકાઈ ગઈ. તેમના જીવનકાળ દરમિયાન તો તેમની કવિ તરીકે કોઈએ ખાસ નોંધ લીધી જ નથી. તેમના મૃત્યુના બસો અઢીસો વર્ષ પછી એ. જે. એવબરીએ અમુક હસ્તપ્રતોના આધારે ખય્યામની લગભગ 250 જેટલી રૂબાઈઓ શોધી કાઢી. એ પછી તેમના અવસાનના લગભગ સાતસોએ વર્ષ પછી આંગ્લ કવિ એડવર્ડ ફિટ્સજીરાલ્ડે આ રૂબાઈઓનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. તેનાથી અંગ્રેજી સાહિત્યને ખય્યામનો પરિચય થયો. એડ્વર્ડે ખય્યામને જગતભરમાં પહોંચાડ્યા. તેમણે ખય્યામની ઘણી રુબાઈનો મુક્ત ભાવવાહી શૈલીમાં કરેલો ‘ધ રુબાયત ઑફ ઓમર ખય્યામ’ (1859) નામનો અનુવાદ હજુ પણ સર્વોત્તમ મનાય છે. એ પછી તો ખય્યામ વિશ્વની અનેક ભાષાઓમાં પહોંચ્યા. ગુજરાતીમાં પણ તેમના પગલાં પડ્યાં. રુસ્તમ ભાજીવાલા નામના એક પારસી સખ્શે પારસી છાંટ સાથે ગુજરાતીમાં ખય્યામની રૂબાઈઓનો અનુવાદ કર્યો. પણ શૂન્ય પાલનરીએ મૂળ ભાવને જાળવીને ખય્યામની રુબાઈઓનો જે ભાવાનુવાદ કર્યો છે તે કાબિદેદાદ છે. કહેવાય છે કે જો ખય્યામ પોતે હાજર હોત તો એ રૂબાઈઓના અનુવાદ પર ઓવારી જાત. શૂન્ય પાલનપુરીએ મોટે ભાગે મુક્તક સ્વરૂપે તેમની રૂબાઈઓનો ગુજરાતીમાં અવતારી છે.

ખય્યામની રૂબાઈઓ વાંચતા અમુક લોકોને એ થોડી જૂનવાણી ટાઇપની લાગી શકે, પણ તેમાં રહેલા તર્કનો અર્ક પામીએ તો આજે પણ તે એટલી જ તાજગીસભર લાગે. મૃત્યુ, ઈશ્વર, જીવનની નશ્વરતા, પ્રેમ, વિરહ, પ્રણયભંગ, સંસારજીવન, સંબંધો જેવી અનેક વાતોને ખય્યામને બહુ સિફતથી અને ફિલસૂફની રંગન અદાથી રજૂ કરી છે.

લોગઇનમાં આપેલી રૂબાઈને વાંચતાની સાથે સુરેન ઠાકર મેહુલનું મુક્તક યાદ આવ્યા વિના ન રહે.

જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં,
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું ’મેહુલ’ અહીં
જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં

બંનેમાં વાત તો મૃત્યુની જ છે. ખય્યામને જિંદગીને ચાર દિવસની કહી છે. આ ચાર દિવસને આપણે આ રીતે વહેંચી શકીએ. બાળપણ, કિશોરાવસ્થા, યુવાની અને ઘડપણ. જોકે જિંદગી ચાર દિવસની છે એ વાત ઉર્દૂ ગઝલમાં સેંકડો વખત આવી છે. પણ ખય્યામે તો અગિયારસો બારસો વર્ષ પહેલાં જીવનની નશ્વરતાને ચાર દાડાની કહી નાખી હતી. પછી તો કેટકેટલા લોકોએ આ પ્રતિકનો સુંદર રીતે ઉપયોગ કર્યો. ફિરાક ગોરખપુરીનો પ્રસિદ્ધ શેર યાદ આવે જ.

યે માના કિ જિંદગી હૈ ચાર દિન કી,
બહુ હોતે હૈ યારો ચાર દિન ભી.

સીમાબ અકબરાબાદીનો શેર પણ કેમ ભૂલાય?

ઉમ્રે દરાજ માંગ કે લાયે થે ચાર દિન,
દો આરજૂ મેં કટ ગયે દો ઈંતજાર મેં.

આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે જરાક જેટલી જિંદગી છે એમાં ક્યાં કોઈની સાથે માથાકૂટો કરવી, મજાથી જીવી લઈએ. મંજર લખનવીએ આ જ વાતને સુંદર રીતે રજૂ કરી છે.

ચાર દિન કી હયાત મેં મંજર,
ક્યૂં કિસી સે ભી દિલ બૂરા કિજે.

ચાર દિવસની જિંદગી ગુજારવાની હોય છે, એમાં વળી શું વસવસો, શું રંજ. આ વાત અંબર ખરબંદાએ ગઝલમાં સહજ રીતે કરી છે.

ગુજારને થે યહી ચાર દિન ગુજાર દિયે,
ન કોઈ રંજ, ન શિકવા, ન અબ મલાલ કોઈ.

આ ચાર દિવસની જિંદગીવાળી ફિલસૂફી ધરાવતી કવિતાઓ, ગઝલો શોધવા જઈએ તો આજે સેંકડોની સંખ્યામાં મળી આવે. તેનું આગવું એક પુસ્તક થઈ જાય.

ખય્યામની આજે પુણ્યતિથી છે. 18 મે 1048ના રોજ તેમનો જન્મ થયો હતો અને 4 ડિસેમ્બર 1122ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમની પુણ્યતિથિએ તેમને વંદન કરી, શૂન્ય પાલનપુરીએ કરેલી અન્ય અનુવાદિત રૂબાઈ સાથે અટકીએ.

લોગઆઉટ

ઓ પ્રિયે ! પરિકરના જેવું આ જીવન છે આપણું,
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું;
વર્તુલો રચવા સુધીની છે જુદાઈની વ્યથા,
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું.

– ઉમર ખય્યામ (અનુ. શૂન્ય પાલનપુરી)


શ્વાસ લઈને પણ સતત મરતા રહેલા – યાદ છે?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

એક દરિયો આંખમાં ભરતા રહેલા – યાદ છે?
સ્વપ્ન લઈ એમાં પછી તરતા રહેલા – યાદ છે?

સંસ્મરણનાં દૃશ્ય પણ જાણે મજાનાં ચિત્ર થઈ,
આ નીલા આકાશમાં સરતાં રહેલાં – યાદ છે ?

સાવ નીરવ મૌન વચ્ચે ઓગળેલા શબ્દના,
અર્થ કેવા આ નયન કરતાં રહેલાં -યાદ છે?

પર્ણ પર ઝાકળ નિહાળી એ ક્ષણેાની યાદમાં,
અશ્રુઓ ચોધાર ત્યાં ખરતાં રહેલાં -યાદ છે?

સ્તબ્ધ ને નિઃશબ્દ પળના કારમા એકાન્તમાં,
શ્વાસ લઈને પણ સતત મરતા રહેલા – યાદ છે?

– રમેશ પટેલ ‘ક્ષ’

યાદ તારણ પણ છે અને મારણ પણ. વર્તમાનથી જે લોકો નારાજ હોય તે પોતાના ભૂતકાળની ભવ્યતાને યાદ કરીને જીવનનું ગાડું ગબડાવવા મથ્યા કરે છે. શું એ દિવસો હતા! પહેલાં આમ હતું, પહેલાં તેમ હતું. હવે એવું ક્યાં છે. પહેલા જેવી મજા રહી નથી. આવું કહીને વર્તમાનને સજા બનાવી નાખે છે. મજા નામનું મોહક સપનું આંખને અડી ન જાય એનું પૂરતું ધ્યાન રાખે છે અને સજા નામની સોય સતત પોતાને ભોંક્યા કરે છે. આવા કિસ્સામાં વર્તમાનને આશ્વાસન આપવા માટે વારંવાર ભૂતકાળને બોલાવવો પડતો હોય છે. પતિ પત્નીને કહે કે તને મારી મા જેવી રોટલી બનાવતા નથી આવડતું, દાળ તો મારી માની જ. એનું બનાવેલું શાક એટલે તો વાત જવા દો. આવું વારંવાર થવાથી પત્નીને પણ માઠું લાગે છે. ભૂતકાળના નાનાં નાનાં સુખો વર્તમાનમાં યાદ કરીને રાજી રહીએ તો સારી વાત છે, પણ તેના લીધે વર્તમાનને દોષ આપ્યા કરીએ તો જીવાતી જિંદગીમાં રહેલી મજા આથમવા લાગે છે. પછી એવી આથમે છે કે આનંદનો સૂર્ય ઊગતો જ નથી. આવા લોકોને ભૂતકાળના ભોંયરામાં ઘૂસીને રાજી રહેવાની મજા આવે છે.

કવિતા એ વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યથી પર છે. સો વર્ષ પહેલાં લખેયેલી કવિતા વર્તમાનમાં પણ એટલો જ આનંદ આપી શકે, જેટલો સો વર્ષ પહેલાં લખનાર કે સાંભળનારને આવ્યો હતો. કલાની આ ખૂબી છે. ઉત્તમ સર્જન ક્યારેય ભૂતકાળ બનતું નથી, એ દરેક સમયે વર્તમાન જ હોય છે. બે વ્યક્તિત્વો વચ્ચે રહેલો પ્રેમ પણ એટલો જ શાશ્વત હોય છે. એને સ્મરીને દુખી થવા કરતા એને યાદ કરીને હૈયાને અજવાળવામાં જ પ્રેમની સાર્થકતા રહેલી છે. ઉર્દૂની શાયરા શબીના અદીબનો એક સુંદર શેર યાદ આવ્યા વિના ન રહે.

વો બેવફા હો ગયા હૈ ફિર ભી ઉસી કી યાદો મેં ગૂમ રહૂંગી,
યે કૈસે ભૂંલું કી ઉસને મુજ સે વફા ભી કી હૈ જફા સે પહેલે.

સ્મરણ એ તો કવિતાની જડીબૂટ્ટી છે. કવિતામાં મોટે ભાગે ભૂતકાળના સુખ કે દુખના સ્મરણોની રંગોળી હોય છે. ઘણી વાર ભૂતકાળનાં દુઃખો યાદ કરીને વર્તમાનમાં સુખ મળતું હોય છે! ગર્વ પણ થતો હોય છે, કે કેટકેટલું સહન કરેલું ભૂતકાળમાં! બે પ્રેમીપાત્રોના છૂટ્યા પડ્યા પછી એકબીજાને પ્રેમપૂર્વક યાદ કરવાની ઘટના તો અનન્ય છે. તેમાં વિરહ રહેવાનો હોય કે મિલન થવાનું હોય, એ સ્મરણથી દુઃખ થતું હોય કે આનંદ મળતો હોય, ચહેરા પર સ્મિતનાં ફૂલ ઊગતાં હોય કે આંસુનું ઝાકળ બાઝતું હોય, ગમે તે હોય પણ પ્રણયનું સ્મરણ એક અલાયદો અનુભવ છે. એ તો મીરાંબાઈ કહે છે તેમ, પ્રેમની પ્રેમની પ્રેમની રે મને વાગી કટારી પ્રેમની રે. જેને પ્રેમની કટારી વાગી હોય તે જ જાણી શકે.

રમેશ પારેખે લખ્યું છે, ‘ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ’ સોનલને ફૂલ દીધાની ઘટના ગુજરાતી કવિતાને રળિયાત કરી ગઈ. આ જ કવિએ એમ પણ લખેલું, મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?’ સુરતના કવિ નયન દેસાઈ તો કોઈ યાદ આવે તેની લાંબા મીટરની એક સુંદર ગઝલ લખી છે. કલાપીની ગઝલ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની’ તો ગુજરાતી ગઝલના ગુરુશિખર સમાન છે. આમ તો યાદ પર અનેક ગીતો, ગઝલો, કવિતાઓ લખાઈ છે, તેની પર સ્વતંત્ર આખું એક પુસ્તક થઈ શકે. અહીં રમેશ પટેલ ‘ક્ષ’એ કોઈ પ્રિય વ્યક્તિને ભૂતકાળની વાતો યાદ અપાવતા હોય તેવા સહજ અંદાજમાં ગઝલ કહી છે. બે પ્રેમીઓ ઘણા સમય પછી મળે અને ભૂતકાળને યાદ કરીને હૃદયના એ ઉમંગોને ફરી તાજા કરી લે, મનના ઉપવનમાં બે ઘડી જીવી ગયેલા દિવસોને ફરી જીવંત કરે. ઘૂઘવતો દરિયો ફરી આંખમાં ભરે, જૂનાં સ્વપ્નમાં નવેસરથી તરે, મૌન રહીને પણ ઘણી વાતો થતી રહે, વર્ષો પછી મળ્યાનો આનંદ હોય અને સાથે જીવનભર સાથે ન રહી શક્યાનો રંજ પણ હોય. મુલાકાતનું ફૂલ સોળે કળાએ ખીલ્યું હોય અને એની પર આંસુનું ઝાકળ પણ બાઝ્યું હોય! છેવટે છૂટા પડ્યાની ઘટના આંખ સામે તાજી થાય, એ વખતે શ્વાસ લેતા હોવા છતાં મરી ચૂક્યા હોઈએ તેવું લાગે.

આ જ સ્થિતિ પર તેજસ દવેએ લખેલા ગીતની થોડી પંક્તિઓ પણ જોવા જેવી છે.

લોગઆઉટ

પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?

વરસોની ભીડ કોઈ ચોર જેમ આપણા એ
દિવસોને ચોરી ફરાર થઈ
એમ ઉભાં’તાં રસ્તાની સામસામે આપણે
ને વચ્ચેથી જિંદગી પસાર થઈ

દિવસ ઓઢ્યા ને પછી તડકામાં દોડ્યાં ને
છાંયડાઓ શોધ્યાં’તાં યાદ છે?

– તેજસ દવે

તૂટવા વિશે પુલ પોતે શું કહેતો હશે?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

અમથો નથી હું કાંઈ તૂટ્યો,
જર્જર થઈ ગયો તો મારો દેહ તે છતાંયે મને ટિકિટે ટિકિટે લૂંટ્યો

નહિંતર આ છાતી પર રમતાં ને ઝૂલતાં ઈ પગલાં ને મારે શું વેર?
કાટકાટ ખાઈખાઈને હું કાકલૂદી કરતો પણ સાંભળે તો શેનું અંધેર?

ઉપરથી રંગરૂપ બદલ્યે શું થાય, જેનો ભીતરનો શ્વાસ હોય ખૂટ્યો?
અમથો નથી હું કાંઈ તૂટ્યો!

સૌને આવે છે એમ મારે પણ આવેલી પોતાની એક્સપાયરી ડેઈટ,
આજે સમજાયું તમે કરતાં હતાં ને આવા ગોઝારા દિવસોની વેઇટ?

મચ્છુના પાણીને પૂછો જરાક જીવ બધ્ધાનો કઈ રીતે તૂટ્યો?
અમથો નથી હું કાંઈ તૂટ્યો!

— કૃષ્ણ દવે

મોરબી ઝૂલતા પુલની ગોઝારી ઘટનાએ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં બહુ મોટો આઘાતજનક પડઘો પાડ્યો છે. જ્યારે જ્યારે આવી ગોઝારી ઘટના ઘટે છે ત્યારે સત્તાની ખુરશી નીચે પાણીનો રેલો આવે છે. જર્જરિત હોસ્પિટલો રાતોરાત નવી થઈ જાય છે. મોરબીને એકવીસનું ગ્રહણ છે. એકવીસ વર્ષ પહેલાં ભૂંકપે તેને ધ્વસ્ત કરેલું, તેના એકવીસ વર્ષ પહેલાં મચ્છુ નદીના પાણીએ રગદોળેલું, આજે ફરી ઝુલતો પુલ તૂટતા મચ્છુના જળમાં જ ઘણાના અંતિમ શ્વાસ છૂટ્યા. અગાઉની બબ્બે ઘટનામાં તો સીધી કુદરત જવાબદાર હતી, પણ નવો જ ખુલ્લો મૂકાયેલો પુલ ઉદઘાટનના થોડા દિવસોમાં તૂટી જાય તે એક્ટ ઓફ ગોડ છે કે એક્ટ ઓફ ફ્રોડ? કોણ જવાબદાર?

આપણે ત્યાં કરન્ટ વિષયો પર લખનાર સર્જકો બહુ ઓછા છે. કૃષ્ણ દવે તેમાંના એક છે. ઘટનાની સંવેદનાને સમજીને પોતાની કવિતાનું કૌવત તેઓ રજૂ કરે છે. તેમાં માત્ર તેમનું કાવ્યકૌવત નથી હોતું, જે તે સ્થિતિમાંથી નીકળતી વેદના તરફ અંગુલીનિર્દેશ પણ હોય છે. અહીં લોગઇનની કવિતા જુઓ. કવિએ ઝૂલતા પુલને જ એક પાત્ર બનાવીને પોતાની વાત રજૂ કરી છે. તે બહુ સારી રીતે જાણે છે કે કોના મોઢે કઈ મૂકાય તો તે વધારે અસરકાર થાય.

ઝૂલતો પુલ પોતે આત્મવ્યથા ઠાલવી રહ્યો છે. પુલ દ્વારા દુર્વ્યવસ્થા પર તેમણે સીધો પ્રહાર કર્યો છે. જર્જરિતપણાને રંગરોગાન થયા છે. ક્ષમતા કરતા વધારે વજન લદાઈ ગયો છે. વૃદ્ધ માણસના માથે વધારે વજન મૂકવાથી તે બેવળ વળી જાય તેવી જ સ્થિતિ કદાચ પુલની હતી. ટિકિટે ટિકિટે લૂંટવાની વાત પણ ઘણું કહી જાય છે. પુલ પોતે કહે છે કે મારે નદીએ ફરવા આવેલા લોકો સાથે જરાકે દુશ્મની નથી. હું તો કટાઈ ગયો હતો, મારું જર્જરિતપણું વારંવાર ફરિયાદ કરતું હતું, પણ એ તો અંધાર આંખમાં આંજીને બેઠેલાને દૃશ્યો બતાવવા જેવું હતું. જે સમજતા ન હોય તેમને સમજાવી શકાય, પણ સમજીને પણ નામસજ થાય તેમને કેમ સમજાવવા? મારા અવાજો તો બહેરા કાને નખાયેલી બૂમ હતી.

એક દુર્ઘટના માત્ર એ ઘટના પૂરતી સીમિત નથી હોતી. તેના પડઘા દૂર સુધી પડે છે. તેની કરૂણ ચીસો વર્ષો સુધી સચવાય છે. ઇઝરાયલના કવિ યેહુદા અમિચાઈની સુંદર કવિતા છે. બોમ્બના વ્યાસ વિશે વાત કરે છે. બોમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમિટર હોય છે, તેની વિનાશશક્તિના વર્તુળનો વ્યાસ લગભગ સાત મીટર. એમાં ઘવાયેલા કે મરેલા દવાખાના કે કબ્રસ્તાનમાં પહોંચે છે ત્યારે બોમ્બનો વિસ્તાર એનાથીયે વધે છે. એમના સ્વજનો દરિયાપાર રહેતા હોય તો એ બોમ્બનો વિસ્તાર આખી દુનિયા સુધી લંબાય છે. એમની પાછળ જિંદગીભર આંસુ સારતા સ્વજનો થકી વિસ્તરતી ઉદાસીની તો કોઈ ગણતરી જ નથી. એમનાથી અનાથ થઈ ગયેલાં બાળકોના હિંબકાનો વિસ્તાર તો ઈશ્વરના સિંહાસનથીયે આગળ પહોંચે છે.

પુલ તૂટવાની ઘટના મોરબીમાં બની પણ તેનો વિસ્તાર તો સમગ્ર ગુજરાત, ભારત અને દેશવિદેશ સુધી પહોંચ્યો છે. એ ઘટના રાજકીય રીતે એક દિવસની છે, સામાજિક રીતે અમુક અઠવાડિયાઓની પણ તેમાંથી ઊભી થતી વેદના તો વર્ષો સુધી જે ભોગ બન્યા તેમના હૃદયમાં ચૂભ્યા કરવાની છે. એ પીડા બેપાંચ લાખની સરકારી મદદથી ઠરવાની છે? કરોડો રૂપિયા આપી દીધા પછીય ગયેલા થોડા પાંછા આવવાના છે? જે માબાપ કે સંતાન વિનાના થયા તેમના હૃદયમાં તો આ ઘટનાની ચીસો આજીવન રહેવાની છે. આ ઘટના કંઈ એક દિવસ પૂરતી નથી. આ બધું કોની ભૂલે?

લોગઆઉટ

હાય પ્રભુ આ ચારે પા ચીસો ખડકાઈ કોની ભૂલે?
હાય પ્રભુ આ સંધ્યા આખીયે ખરડાઈ કોની ભૂલે?

કોની ભૂલે હસતાં સપનાં હાથ છૂટતા ખરી પડ્યાં છે?
કોની ભૂલે બે કાંઠાઓ પોક મૂકીને રડી પડ્યાં છે?
હાય પ્રભુ આ કોની ભૂલે કિલકારીની ચીસ બની ગઈ?
હાય પ્રભુ આ કોની ભૂલે હૈયામાં એક ટીસ બની ગઈ?

હાય પ્રભુ આ મહેફિલ માતમમાં બદલાઈ કોની ભૂલે?
હાય પ્રભુ આ ચારે પા ચીસો ખડકાઈ કોની ભૂલે?

જળ ઉપર જ્યાં ચમક હતી ત્યાં ચીચીયારીઓ તરી રહી છે
નદી બિચારી નદીપણાને દોષ ગણીને રડી રહી છે.
કાંઠા પરનાં ઝાડ બાપડાં સાવ શોકમાં સરી પડ્યાં છે
કંઈક જ્યોતિઓ, કંઈક દીવડા એક ઝાટકે ઠરી પડ્યા છે

હાય પ્રભુ આ અજવાળાની આંખ ભરાઈ કોની ભૂલે?
હાય પ્રભુ આ ચારે પા ચીસો ખડકાઈ કોની ભૂલે?