ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
જો મેં જાણ્યું હોત કે
પ્રેમ આટલો જંગલી છે
તો મેં પ્રેમના મકાનના દરવાજા
બંધ કરી દીધા હોત !
પીટીને, બરાડ્યો હોત ‘દૂર રહેજો !’
પણ હું મકાનમાં છું… અસહાય…
- રૂમી (અનુવાદઃ સુરેશ દલાલ)
પ્રેમ અગ્નિકુંડમાં ઊગેલા ફૂલ જેવો છે, તેમાંથી તમને મહેક તો મળશે, પણ તેને પામવામાં દાઝવાની તૈયારી રાખવી પડશે. રુમીની ઉપરોક્ત કાવ્યપંક્તિઓ વાંચીને તરત મીરાં યાદ આવે-
जो मैं ऐसा जानती, प्रीत करे दुख होय,
नगर ढिंढोरा पीटती, प्रीत ना करिये कोई।
આ જ મીરાંએ એમ પણ લખેલું, “પ્રેમની પ્રેમની પ્રેમની રે, મુને વાગી કટારી પ્રેમની રે…” પ્રેમ મીઠી છરી જેવો હોય છે, તે હૃદયની આરપાર ઊતરી જાય તો પુષ્કળ પીડા થાય છે, પરંતુ એ પીડાના ઊંડાણમાં ક્યાંક કોઈ મીઠું દર્દ પણ હોય છે. દર્દમાં રહેલી એ મીઠાશ જ વારંવાર પ્રેમ તરફ ખેંચે છે. ફૂલમાંથી મધુરસ ગ્રહણ કરનાર ભમરાને ખબર છે કે પુષ્પ બડાઈ જશે, તો હું અંદર કેદ થઈ જઈશ. પરંતુ તે મધુરસને નથી છોડી શકતો. કમળમાં કેદ થઈ ગયેલા ભમરો કમળની પાંદડી તોડીને બહાર નથી આવતો, તે એમાં જ પ્રાણ ત્યાગે છે. પ્રેમ જીવ સાથે જડાઈ ગયેલું તત્ત્વ છે.
માણસો પ્રેમ કરે છે, ત્યારે માત્ર કોઈ વ્યક્તિને નહીં, એક વિચારને પ્રેમ કરે છે. એવી કલ્પનાને, જે કલ્પના તેમણે પોતાની ભીતર ઊછેરી હોય છે. અને સામેના પાત્રમાં એ કલ્પનાને સાકાર થતી જુએ છે. પ્રેમમાં મોટું દુઃખ વ્યક્તિ બદલાઈ જાય તેનું નથી હોતું, પણ એનું હોય છે કે આપણી કલ્પના ભાંગી પડી. આપણી શ્રદ્ધા એળે ગઈ. શ્રદ્ધાનું મરવું એ કોઈ પ્રિયજનના મૃત્યુ કરતાં પણ વિશેષ દુઃખદ હોય છે. પ્રણયનો માર્ગ કાંટાળો છે. ડગલે ને પગલે દુઃખ છે. સંઘર્ષ છે, વ્યથા છે, છતાં તેનાથી બચવું સંભવ નથી. જેમ રાત્રીના અંધકારમાં અજવાસને જોઈને પતંગું જ્યોતને સ્પર્શવા લલચાય છે, તેમાં જ બળીને પ્રાણ ત્યાગે છે, છતાં તેના તરફ આકર્ષાય છે, તેમ આપણે માનવીઓ પણ, દાઝવાની સંભાવનાથી પૂરા પરિચિત હોવા છતાં, પ્રેમના પ્રકાશ તરફ આકર્ષાયા કરીએ છીએ.
ઘણા લોકો કહે છે કે પ્રેમમાં પડવું મૂર્ખતા છે. પરંતુ એ મૂર્ખતા જ આપણને ખરા મનુષ્ય બનાવે છે. પ્રેમમાં રહેલી પીડા જ આપણને અંદરથી જાગૃત કરે છે. પ્રેમની આગથી શેકાઈને જ આપણે વધારે પક્વ થતા હોઈએ છીએ. પ્રેમ કુંભારના હાથ જેવો હોય છે, જે તમને વારંવાર ટપલીઓ મારીને આકાર આપે છે, ઘાટ આપે છે. તમે તમારા અસ્તિત્વના પીંડને એક આકારમાં ઢાળી શકો છો — જેમ કુંભાર માટલાને. પછી એ આકારમાં તમારા અંદરનું અમૃત એકઠું થાય છે.
પ્રેમમાં હુંપણાને સ્થાન નથી. ત્યાં હું અને તું, તારું અને મારું — ન હોઈ શકે. ત્યાં બે વ્યક્તિ સંભવ જ નથી. ત્યાં એટલી જગા જ નથી બે વ્યક્તિ સમાઈ શકે. એક વાર કૃષ્ણએ રાધાને હળવા મજાકમાં પૂછ્યું, હું તારા જીવનમાં ક્યાં છું? રાધાએ કહ્યું, “તમે તો મારા રોમેરોમમાં છો.” કૃષ્ણએ ફરી પૂછ્યું, “તો ક્યાં નથી?” રાધાએ કહ્યું, “મારા નસીબમાં.” પછી રાધાએ પૂછ્યું, “કૃષ્ણ તમે પ્રેમ મને કર્યો, પણ લગ્ન તો રુક્મણિ સાથે કર્યા, આવું કેમ?” ત્યારે કૃષ્ણએ જવાબ આપ્યો, “રાધા, લગ્ન માટે બે વ્યક્તિની જરૂર પડે. અને આપણે તો એક જ છીએ.”
લોગઆઉટઃ
પ્રેયસીના દ્વાર પર પ્રેમીએ ટકોરા કર્યા,
અંદરથી અવાજ આવ્યો, કોણ?
દરવાજાની બહાર ઊભી રહેલી વ્યક્તિ બોલી, ‘હું છું’
અંદરથી અવાજ આવ્યો,
‘આ ઘર હું અને તું, બંનેને સાચવી શકે તેમ નથી.’
બંધ દરવાજો બંધ જ રહ્યો.
પ્રેમી આખરે થાકીને જંગલ તરફ ચાલ્યો ગયો.
ત્યાં જઈને તેણે પ્રેમીને પામવા ખૂબ તપ કર્યું, પ્રાથનાઓ કરી, ઉપવાસ કર્યા.
અનેક દિવસો પછી એ પાછો ફર્યો
ફરીથી તેણે પ્રેમીકાનું દ્વાર ખખડાવ્યું.
ફરીથી એ જ પ્રશ્ન, ‘કોણ છો?’
પ્રેમીએ જવાબ આપ્યો, ‘તું’
અને તરત જ દરવાજો ખૂલી ગયો.
- રુમી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો