ભેંત્યની તેડ્ય તો ગારાથી હોંધીએ

લોગઇન:

ભેંત્યની તેડ્ય તો ગારાથી હોંધીએ માંયલીન ચ્યમ કરી હોંધવી?
ઊંઘનારું લોંબું ન પશેડી ટૂંકી ઓંમ ટૂંટીયે તે રાત ચ્યંમ કાઢવી?

તોય મનં ઈમ કો’ક ઉપા કરીએ જો થોડા ઘણા ફેર કાંય થાય
એટલામાં તેડ્ય તો બાકોરું થઈ જઈ, મું હં નાખું તો એ પુરાય!
દનિયોના કીધ તારો રાશ્યો ભરૂંહો અવ તનજ લાજ જોઈય આવવી.

હૌના તો લેખ તમે લખો લલાટે પણ મારા લસ્યા તમે ઓંશ્યે
ન – કાપાય પાસા એવા પાડ્યા ક – મારઅ ચોમાહા રે’હે બારમાશે
ઓંશ્યોનાં પોંણી તો પાતાળે ઠેલ્યાં એ આવ એવી રાશ ચ્યોંથી લાવવી.

હારી થાચીન મીં તો મનનું મનાયું ક – આપણ જ આપણાં ફોડવાં
પણ આ બધું ગન્યાંન તો ઘડી બે ઘડી પસ મંન હાથે માથાં રોજ ફોડવાં
કાઠ્ઠાં થઈ પીડ્યા માં ભોમાં ભંડારી તોય દેખાય તો ચ્યમની હંતાડવી?

– પ્રશાંત કેદાર જાદવ

આપણે ત્યાં કહેવત છે બાર ગાઉએ બોલી બદલાય. ભાષા તો ગુજરાતી જ, પણ તેમાં વિવિધ પ્રદેશોમાં બોલાતી જુદી જુદી બોલીઓ ભાષાનુંં ઘરેણું છે. ભાષા એક, બોલી અનેક. લોકબોલીનો અર્થ જ એ છે કે લોકો દ્વારા બોલાતી બોલી. તેને કાગળ પર છપાતી લિપિ કરતા બોલાતી વાણી સાથે વધારે સંબંધ છે. કોઈ પણ બોલી રચાય તો તેમાં જે તે પ્રદેશના લોકોની જાતિ-જ્ઞાતિ, સામાજિક રીતરિવાજો, પરંપરાઓ, રહેણીકરણી, વ્યવહાર-વર્તન પણ જવાબદાર હોય છે. ગુજરાતમાં પારસીઓ અને નાગરોની બોલી અલગ છે, તો વળી વોરા, આહિર, મેર, અને ખારવાની બોલી પણ જુદી છે. પ્રદેશ પ્રમાણે બોલી તેનું સ્વરૂપ બદલે છે. ગુજરાતમાં જ સોરઠી, ઝાલાવાડી, કચ્છી, પારસી, ચરોતરી, મહેસાણી, સુરતી જેવી વિવિધ બોલીઓ બોલાય છે. પ્રાદેશિક ભાષા જે તે પ્રદેશની લોકો દ્વારા બોલાતી બોલીની છબી છે. ચારણો દ્વારા વપરાતી દેશી ભાષા જ તેમના કાવ્યસર્જનને રોશન કરે છે. ઘણાને એવુંં કહેતા પણ સાંભળ્યા છે, બોલીમાંં બમણી મજા.

પ્રશાંત કેદાર બારોટે પોતાના ઉત્તર પ્રદેશના તળની બોલીને કવિતામાં ખપમાં લીધી છે અને સમગ્ર કાવ્યમાં વપરાયેલી આ લોકબોલી જ કાવ્યમાં મજબૂત રીતે પ્રાણ પૂરે છે. આ એ જ પ્રશાંત કેદાર જાદવ કે જેમણે ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય’, ‘સનેડો’, ‘કુમકુમનાં પગલાં પડ્યાં’, ‘મેં તો થોડો પીધો ને ઘણો ચડિયો રે…’, ‘હંબો હંબો વીંછુંડો’ જેવાં અનેક સુપ્રસિદ્ધ ગીતો ગુજરાતી ભાષાને આપ્યાં. આ ગીતો વિના અનેક ગાયકોના કાર્યક્રમો અને નવરાત્રીઓ પૂરી નથી થતી. જેમણે આ ગીતો નથી સાંભળ્યાં તે પૂરો ગુજરાતી નથી. આ ગીતો ગવાતાની સાથે લોકોના પગ ઝૂમવા લાગે છે.

કવિએ પ્રાદેશિક બોલીમાં ઊંડાણવાળી ગહન લાગતી વાતને બહુ સરળતાથી આપણી સામે મૂકી આપી છે. બોલીની એ જ તો વિશેષતા હોય છે કે ગંભીર જ્ઞાનને પણ સરળતાથી પીરસી આપે. ગામના માટીવાળા ઘરમાં તિરાડ પડે તો એને ગારાથી અર્થાત્ માટીથી સાંધી શકાય, પણ માંહ્યલામાં-અંતરમાં તિરાડ પડે એને કોઈ કાળે ઠીક નથી કરી શકાતી. તેને સાંધવા માટે કરવામાં આવતા તમામ પ્રકારના લેપ નિર્લેપ પૂરવાર થાય છે. દેહ પર મરાયેલા ચાબૂક કરતા શબ્દનો ચાબખો બહુ વરવો હોય છે. આપણે ત્યાં એક લોકગીત છે, ‘લાકડીના માર્યા કદી ના મરીએ, મેણાંના માર્યાં મરી જઈએ…’ દેહ પર પડેલા ઘાવ સમય જતાંં ભરાઈ જાય છે, દિલ પર પડેલા ઘા જીવનભર દુઃખતા રહે છે. આપણને ખબર હોય કે મનમાં પડેલી આ તિરાડ ક્યારેય પૂરાવાની નથી, છતાં આપણે મથતા રહીએ છીએ. સમય જતાં તિરાડ મોટું બાકોરું થઈ જાય છે, તોય આપણે વલખાં માર્યા કરીએ છીએ તેને સાંધવા.

વિધિના લેખ લલાટે લખાય તેવી આપણે ત્યાં માન્યતા છે. એક પ્રસિદ્ધ ગીત પણ છે, ‘વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય થાય…’ આ ત્રણ વખત ‘થાય’માં દૃઢતા દર્શાવાઈ છે કે વિધિએ જે ભાગ્યમાં લખ્યું છે તે થઈને જ રહેશે. કવિએ પોતાની વ્યથાને વ્યક્ત કરવા સરસ પ્રયુક્તિ કરી છે, તેમણે કહ્યું કે વિધિએ બધાના લેખ લલાટે લખ્યા છે, પણ મારા લેખ તો આંખે લખ્યા છે. એટલે જ તો અશ્રુ અટકતાં નથી. પ્રભુએ મારી આંખે બારેમાસ ચોમાસું રોપી દીધું છે. આ બધું થયા પછી એટલું જ સમજાય છે કે આપણી મુશ્કેલીઓ સાથે આપણે જ લમણા લેવાના છે. આપણી મદદ કોઈ કરવાનું નથી, આપણા સિવાય.

લોગઆઉટઃ

ચાલો સાજણ થંભેલી ચોપાટ ફરી પાથરીએ,
વેરાણછેરણ વેરાયેલાં સોગઠાં ભેગાં કરીએ.
હારજીત તો મનની વાતો કહુ વાયરા જેવી,
કશું જ નક્કી હોય નહીં એ અદ્દલ માણસ જેવી.
સોગઠાં ટેરવાની ઓળખાણ ફરીથી તાજી કરીએ.
- પ્રશાંત કેદાર જાદવ

પ્રેમના ગ્રંથોમાં તો એની ઘણી ગાથા હતી

પ્રેમના ગ્રંથોમાં તો એની ઘણી ગાથા હતી,
પણ જુઓ ઇતિહાસમાં તો ક્યાં કશે રાધા હતી!

આજ કોઈ 'ના' કહે તો અર્થ એનો 'ના' જ થાય.
એ સમય નોખો હતો 'ના'માંય જ્યારે 'હા' હતી.

પામવા નીકળ્યા પરમને તો કહો છો ત્યાગ કેમ?
પામવું‘તું કૈંક મતલબ કે હજી માયા હતી!

જો રહી નહિ કામની તો જઈ કતલખાને દીધી,
આપ્યું ગાયે દૂધ જ્યાં લગ ત્યાં સુધી માતા હતી.

આજ જો કંઈ નહિ કરો તો કાલ પૂછશે બાળકો,
"શું અહીં ગુજરાતી જેવી કોઈ એક ભાષા હતી?"

- અનિલ ચાવડા

એમ કંઈ અમથા જ હું હસતો નથી

એમ કંઈ અમથા જ હું હસતો નથી
એ વિના બીજો કશો રસ્તો નથી!

મૃત્યુનો ઢીંકો પડે તો કામ થાય;
જિંદગીનો ઘોબો ઉપસતો નથી!

કોઈ પણ ખાતું નથી મારી દયા,
સાપ જેવો સાપ પણ ડસતો નથી!

સાવ સામે છું છતાં એ ના જુએ,
આ તમાચો એક તસતસતો નથી?

ગમતું સૌ મળવાથી એ ત્રાસ્યો હશે,
એટલે ચિરાગને ઘસતો નથી!

~ અનિલ ચાવડા

મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં

લોગઇન:

અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.

શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.

પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં
કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં.

જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.

તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.

પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,
સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.

– હર્ષવી પટેલ

સો વર્ષ કરતા પણ વધારે સમય પ્રગટેલી ગુજરાતી ગઝલની જ્યોત આજે એક મુકામે પ્રજ્વળી રહી છે, કે તેના અજવાળામાં અનેક શાયરો પોતાની કલમના પોતને પ્રકાશવા મથી રહ્યા છે. ગઝલ બાલાશંકર કંથારિયા અને કલાપીથી માંડીને વર્તમાન સમયના અનેક સર્જકોની કલમનું કામણ પામી છે, વધારે નિખરી છે, વિસ્તરી છે, ફુલી-ફાલી છે. આજનો કોઈ ફૂટડો નવયુવાન હોંશથી છંદોબદ્ધ ગઝલ રજૂ કરે ત્યારે વર્ષો સુધી જેઓ ગઝલને પ્રતિષ્ઠા આપવામાં જિંદગી ખર્ચી નાખી, તેમનો આત્મા ખૂબ રાજી થતો હશે. મરીઝે લખ્યુંં છે,
આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.

મરીઝ-ઘાયલ-શૂન્ય-સૈફ જેવા અનેક શાયરોના શ્વાસો આજની પેઢીને નવી આબોહવા આપી રહ્યા છે. આદિલ મન્સૂરી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, ચિનુ મોદી, મનહર મોદી જેવા આધુનિક સર્જકોની કલમનું સત્વ વર્તમાન કલમવીરોને નવું જોમ પૂરું પાડી રહ્યું છે. બુઝુર્ગોના પગલે ચાલીને પોતાની આગવી કેડી કંડારનાર કવિઓએ માત્ર ગઝલને જીવતી નથી રાખી, ગુજરાતી ભાષાને પણ પ્રાણવંતી બનાવી છે. મુનવ્વર રાણાનો શેર છે-
ખુદ સે ચલકર નહીં યે તર્જ-એ-સુખન આયા હૈ,
પાંવ દાબે હૈ બુઝુર્ગો કે તબ યે ફન આયા હૈ.

હર્ષવી પટેલ પરપંરાના પથ પર ચાલવા છતાં પોતાના શબ્દના જોરે આગવી કેડી કંડારે છે. ગઝલ તેમને સહજસાધ્ય છે. કવિ ડૉ. વિવેક ટેલર તેમના વિશે લખે છે, “હર્ષવી નખશિખ ‘ભારતીય’ પરવીન શાકિર છે. એના શેરમાં પરવીનની નજાકત છે, મીનાકુમારીનું દર્દ છે અને સાથે જ અમૃતાની પરિપક્વતા પણ છે. હર્ષવી ગુજરાતી ગઝલની ઊજળી આજ છે.”

કવિને મળ્યા પછી તમે, તમે રહો કે નહીં તે ખ્યાલ નથી, પણ તેમની કવિતાને મળ્યા પછી ચોક્કસ તમે તમે ન રહી શકો. રમેશે પારેખે કવિતાએ શું કરવાનું હોય તે વિશે સુંદર કાવ્ય લખ્યું છે. “જ્યાં ઈશ્વરનાં હાથ ન પહોંચે / ત્યાં પંહોચવાનું હોય કવિતાએ / એ બધું તો ખરું જ / પણ સૌથી મોટું કામ એ કે / તેણે આખું ગામ ઊંઘતું હોય ત્યારે / જગાડવાનો હોય કવિને…”

કવિનો આત્મા જાગ્રત હોવો જોઈએ. અંદરનું ઓજસ આથમી ગયેલુંં હોય ત્યારે તે બહાર રોશની ક્યાંથી રેલાવી શકે? જે કવિનો શબ્દ ભાવકના હૃદયની ભાવના, સંભાવના કે વિભાવનાને વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર નથી કરતો તેના શબ્દનું આયુષ્ય લાંબું નથી હોતું. એક સારો કવિ આ વાત સારી રીતે જાણતો હોય છે અને તે પોતાના હૃદયભાવ તો શબ્દની પ્યાલીમાં રેડતો જ હોય છે, પણ એ ભાવવ વાચકને પણ પોતાના લાગે તેની તકેદારી રાખે છે. હર્ષવી પટેલની કવિતામાં આ તકેદારી અનુભવાય છે. એટલે તે આત્મવિશ્વાસપૂર્વક ગઝલમાં કહી શકે છે કે, મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.

તેમની અન્ય સુંદર ગઝલથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

જાણે કે ખુદ ‘મરીઝ’,’અખા’,’કાન્ત’ હોય છે,
થોડાક ‘પેનપકડુ’ અજબ ભ્રાંત હોય છે.

હૈયું ચહે છે શાંતિ ને હુલ્લડ મગજ કરે,
ભીતર બધાંને બે’ક અલગ પ્રાંત હોય છે.

એક જ જગા ઉપર ન ઘડીભર ટકી શકે,
પૂર્વજ ઘણામાં એટલો ઉત્ક્રાંત હોય છે.

કૈં કેટલાને માટે સમય તો સમય નહીં,
સરકારે ફાળવેલ કશીક ગ્રાન્ટ હોય છે.

ધરતી હલી ય જાય, જો બોલે કશુંક એ;
એવા વિચારથી તો અમુક શાંત હોય છે.

– હર્ષવી પટેલ

તંગ સલવાયેલ વીંટી નીકળી ગઈ

તંગ સલવાયેલ વીંટી નીકળી ગઈ,
જોકે એને કાઢવામાં આંગળી ગઈ.

મુગ્ધતા ગઈ વજ્રતાને પામવામાં,
ચક્ર તો મેં મેળવ્યું પણ વાંસળી ગઈ!

રણમાં જે ખોવાઈ ગઈ એની કથા કહે,
એની નહિ જે જઈને દરિયામાં ભળી ગઈ.

કાન છે પણ જીભ ક્યાંથી લાવશે ભીંત?
સાંભળી ગઈ તો ભલેને સાંભળી ગઈ!

જે ગયા એ તો પરત આવ્યા નહીં પણ,
છાતી કૂટી કૂટીને તો પાંસળી ગઈ.

આગ હૈયાની હવે બુઝાઈ જાશે,
દેહમાંની આગ આગળ નીકળી ગઈ.

‘ચાલ દેખાડું તને સુંદર સિતારા‘,
એમ કહીને રાત સૂરજને ગળી ગઈ.

- અનિલ ચાવડા

પ્રણયના રંગ મરીઝને સંગ

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.
- મરીઝ

પૂરું નામ અબ્બાસઅલી વાસી, અટક વાસી, પણ ગઝલો આજે ય એકદમ તાજી - ફ્રેશ ફ્રેશ… તખલ્લુસ મરીઝ, પણ તેમનો શબ્દ આજે પણ એટલો જ તંદુરસ્ત અને સ્વસ્થ છે, જેટલો લખાયો ત્યારે હતો. ગુજરાતી ગઝલને આકાશ આંબતી કરવામાં મરીઝની કલમનો ફાળો અનન્ય છે. જીવવના અનેક રંગો તેમની ગઝલમાં ગૂંજ્યા કરે છે. જીવનની અમુક વણસ્પર્શાયેલી બાબતોને તેમની કલમ એટલી સહજતાથી અને ગહન રીતે સ્પર્શી શકતી કે આપણે આશ્ચર્ય અને અચંભામાં મુકાઈ જઈએ. અનેક ઊંડી વ્યથાને તેમણે ખૂબ સરળતાથી આપણી સામે મૂકી આપી. ઘણા શેરમાં તો તેમનુંં પોતાનું જીવન પણ પડઘાયા કરે.

જાણીતા કવિ શોભિત દેસાઈ મરીઝના અનેક કિસ્સાઓ અવાર નવાર શેર કરતા હોય છે. મરીઝની એક પ્રેમિકા હતી. એની તરફ એમને એક તરફી પ્રેમ હતો. એમની પ્રેમિકાનાં લગ્ન થઇ ગયા. પ્રેમિકાનું નામ ‘રબાબ’. એક દિવસ પ્રેમિકાએ કહ્યું, મેં તો સાંભળ્યું છે કે મારી યાદમાં તમે મોટા શાયર થઇ ગયા. તો મારું નામ આવે એવી ગઝલ લખોને. એમણે ગઝલ લખી નાંખી.
હવે ગમે તે કહે કોઈ હુનર બાબત
કરી રહ્યો છું મારી સમજથી પર બાબત

ગઝલ સાંભળીને પ્રેમિકાએ કહ્યું કે, પણ આમાં મારું નામ ક્યાં છે? નામ તો ગઝલમાં હતું જ, કાફિયામાંથી છેલ્લો અક્ષર ‘ર’ લો અને રદિફમાંથી પહેલા બે અક્ષર ‘બાબ’ લો, એટલે પ્રેમિકાનું નામ બની જાય, પણ મરીઝે જવાબમાં બીજો શેર કહ્યો,
જુઓ શી કલાથી તમને છુપાવ્યા
ગઝલમાં આવ્યા તો નામે ન આવ્યા

એક વખત મરીઝ તેમની પત્ની સાથે મુંબઇની લોકલ બસમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેની મુગ્ધાવસ્થાની પ્રેમિકા તેમને તે જ બસમાં જોવા મળી. એકદમ નિખાલસતાથી પત્નીને પોતાના ભૂતકાળ વિશે જણાવતા કહ્યું કે, "આ છોકરી જે સામે બેઠી છે તે એ જ છે... " થોડો સમય જોયા પછી પત્ની બોલી, "કેવી પ્રેમિકા છે, બોલાવવાની વાત તો દૂર એ તો તમારી સામે પણ જોતી નથી." મરીઝ બોલ્યા "રાહ જો. હમણા જોશે" પણ લાંબા સમય સુધી પેલી છોકરીએ આ તરફ નજર પણ ન કરી. ફરી પત્નીએ કહ્યું. તમે ગપ્પાં મારો છો. થોડા સમય પછી એક સ્ટોપ આવ્યું. ઉતરતા પહેલા પેલી છોકરીએ ત્રાંસી નજરે મરીઝ સામે જોઈ લીધું અને જતી રહી. ત્યારે મરીઝે એક શેર કહ્યો-
બધો આધાર છે તેની જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવા.

શાયરો-સાહિત્યકારોના પ્રયણરંગી કિસ્સાઓ ગજબના હોય છે. મને વિનોદ ભટ્ટે કહેલો એક કિસ્સો યાદ આવે છે. ચંદ્રવદન ચી. મહેતાનો એક દોસ્ત તેમની પત્ની વિલાસ સાથે પ્રેમમાં પડ્યો. તે સમયે સ્ત્રી માટે એક બીજા સામે તલવાર ખેંચાઈ જાય. જોકે આજે પણ એવું ક્યાં નથી થતું? પણ આ તો લેખક નાટ્યકાર ચંદ્રવદન મહેતા. એમણે એ જમાનામાં સામે ચાલીને પોતાની પત્નીને મિત્ર સાથે પરણાવી. થોડાં વર્ષો પછી વિલાસનું અવસાન થયું. ચંદ્રવદન મહેતા પણ ત્યાં ગયા. એ વખતે અવસાન પામેલ પત્નીનો એક હાથ વર્તમાન પતિના હાથમાં હતો ને બીજો હાથ ચંદ્રવદનના હાથમાં! પેલો મિત્ર ચંદ્રવદનના ખભા પર માથું મૂકી પોક મૂકીને રડવા લાગ્યો. ત્યારે ચંદ્રવદને તેને આશ્વાસન આપેલું કે, “ દોસ્ત રડીશ નહીં હું હજી બીજું લગન કરવાનો છું.”

લોગઆઉટઃ

એ રીતે એ છવાઈ ગયાં છે ખયાલમાં;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફતગૂ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

– મરીઝ

વિક્ટર હ્યૂગોની મહાન નવલકથા ‘લે મિઝરેબ્લ’

[ પુસ્તકનું નામઃ લે મિઝેરાબ્લ, લેખકઃ વિક્ટર હ્યૂગો અનુવાદઃ ગોપાળદાસ જીવાભાઈ પટેલ, પ્રકાશકઃ નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ ]

પુસ્તક તમે આ લિંક પર ક્લિક કરીને ખરીદી શકશો

હિન્દીમાંઃ Vipadaa Ke Maare by  by Victor Hugo
અંગ્રેજીમાંઃ Les Miserables by Victor Hugo

જિન વાલજિન નામનો એક માણસ 19 વર્ષની આકરી સજા કાપીને જેલમાંથી છૂટ્યો છે, ત્યાંથી કથાની શરૂઆત થાય છે. ઓગણીસ વર્ષ પહેલાં તેણે એક બ્રેડનો ટુકડો ચોરેલો. આ ગુના માટે તેને ચાર વર્ષની સજા થઈ. ચાર વર્ષ તેને દરિયાઈ વહાણની કાળી મજૂરીમાં મુકાયો. મજૂરી ન વેઠાતા ત્યાંથી ભાગ્યો, પણ પકડાઈ ગયો અને ભાગવાના પ્રયત્ન બદલ તેની સજામાં બીજા ત્રણ વર્ષ ઉમેરાયા. ફરીથી ન વેઠાયું, ફરી ભાગ્યો, ફરી પકડાયો અને ફરીથી થોડાં વર્ષ ઉમેરાયાં. આ રીતે ભાગતા-પકડાતાં તેની સજા ઓગણીસ વર્ષ લંબાઈ ગઈ. એક બ્રેડના ટુકડાની ચોરી બદલ ઓગણીસ વર્ષ કાળા પાણીની જેલ! વહાણ ઉપર તે જ્યારે ચડ્યો હતો, ત્યારે ડૂસકાં ભરતો અને ધ્રૂજતો ધ્રૂજતો ચડ્યો હતો, પણ જ્યારે તે છૂટીને નીચે ઊતર્યો ત્યારે તેનું દિલ પથ્થરનું થઈ ગયું હતું.

જેલની આકરી સજા વેઠીને છુટેલો આ મુસાફર એક શહેરમાં આવે છે, સાંજ ઢળી ચૂકી છે અને હાડ થીજાવી દે તેવી ઠંડી ચારેબાજુ ફેલાઈ ગઈ છે. ક્યાંક રોકાવું જરૂરી છે. આ મુસાફર શહેરની બધી વીશીમાં ફરી વળે છે, પણ બધેથી જાકારો મળે છે, કેમ કે તે જેલમાંથી છૂટીને આવેલો ભયંકર માણસ છે, તેવી વાયકા આખા શહેરમાં ફેલાઈ ચૂકી છે. કંટાળીને એક ભલા પરિવાર પાસે મદદ માગે છે, ત્યાંથી પણ હડધૂત થાય છે. રાત પડી જતાં ઠંડીથી બચવા એક બખોલ જેવી જગ્યાએ ભરાય છે, બખોલમાં સૂતેલો એક ડાઘિયો કૂતરો તેની પાછળ પડે છે. માંડ જીવ બચાવી એક દેવળની બહાર ઓટલા પર ઊંઘે છે, ત્યારે એક ડોશી કહે છે, અહીં રહીશ તો સવાર સુધીમાં મરી જઈશ. વાતવાતમાં તે શહેરના પાદરી વિશે કહે છે. ભલે બધાં બારણે જાકારો મળ્યો, પણ પાદરીને ત્યાંથી જાકારો નહીં મળે. તે પાદરીને ત્યાં જાય છે. તેને આવકાર મળે છે. જમવાનું અને સુંદર પથારી મળે છે. તેને વિશ્વાસ નથી આવતો કે ખરેખર તેના રહેવા-જમવાની વ્યવસ્થા મળી ગઈ છે.

ઓગણીસ-ઓગણીસ વર્ષ જેલની સજા કાપ્યા પછી તે એટલો બધો જડ અને ખંધો થઈ ગયો છે કે તેને દરેકમાં કાવતરાની કે અપમાનની ગંધ આવે છે. પાદરી દ્વારા આટલું સન્માન મળતા તેને ભયંકર આંચકો લાગે છે. પાદરી તેને ચાંદીનાં વાંસણો અને રૂપાની દીવી વગેરે બતાવે છે. રાત્રે અચાનક તે જાગી જાય છે અને તેનું મન વિચારે ચડે છે. આટલાં વર્ષો જેલમાં રહ્યા પછી હવે શું? માત્ર એક નાનકડા બ્રેડના ટુકડાની ચોરી બદલ ઓગણીસ વર્ષની આકરી સજા આપીને સમાજે તેની સાથે હળાહળ અન્યાય કર્યો છે. પોતાની બહેનનાં આઠ નાનાં બાળકોનું પેટ ભરવા માટે કરાયેલી આ નિર્દોષ ચોરીની તેણે કબૂલાત પણ કરી લીધેલી, છતાં આવી ભયંકર સજા ફરમાવીને સમાજે તેની સાથે જે કર્યું છે, તેનો બદલો કોઈ કાળે ચૂકવી શકાય તેમ નથી. તેની નાનકડી ચોરીના બદલામાં સમાજે તેની પાસેથી બધું જ લઈ લીધું છે અને તેને વસૂલ કરવાનો તેને પૂરેપૂરો હક છે એવું તે વિચારે છે. આ પાદરીનાં ચાંદીનાં વાસણો અને કિંમતી વસ્તુ લઈને ભાગી જાઉં તો જીવવામાં કામ આવશે આમ વિચારી રાત્રે ચોરી કરીને તે ભાગે છે અને શહેરની પોલીસ તેને પકડી લાવે છે. ફરીથી ભયંકર સજાના વિચારો તેને થથરાવી મૂકે છે.

પોલીસ તેને પકડીને પાદરી પાસે લાવે છે ત્યારે પાદરી કહે છે, અરે ભલા માણસ તું આ વાસણો લઈ ગયો, પણ ચાંદીની દીવી તો ભૂલી જ ગયો. આ પણ લઈ જા. તે તારા કામમાં આવશે. આટલું સાંભળીને તેના કાન પર વિશ્વાસ આવતો નથી. પાદરી પોલીસને કહે છે કે આ મારા મહેમાન છે અને મેં જ તેમને આ વસ્તુઓ આપી હતી. પોલીસ તેને છોડી મૂકે છે. આ બધું જોઈને જિન વાલજિન મૂર્છા ખાઈને ગબડી પડવાની સ્થિતિમાં આવી જાય છે. પાદરીએ ધીમેથી કહ્યું, “ભાઈ, તેં મને આ બધાના પૈસાનો પ્રામાણિક ઉપયોગ કરવાનું વચન આપ્યું છે, તે કદી ભૂલતો નહીં.” પોતે કંઈ વચન આપ્યું હોય તેવું જિન વાલજિનને યાદ આવતું નથી. પાદરી ગંભીરતાથી બોલ્યો, “ભાઈ જિન વાલજિન, હવે તું પાપના પંજામાંથી મુક્ત થયો છે. મેં તારો અંતરાત્મા ખરીદી લીધો છે. હું તેને ઘોર વિચારો અને અધોગતિમાંથી ઉપાડીને ઈશ્વરના હાથમાં સોંપું છું.”

પાદરીનો આવો દયાળુ વ્યવહાર તેના હૃદયમાં ઘમસાણ જગાડે છે. જે આખા જગતથી ધૂત્કારાયો છે, તે અહીં સ્વીકારાયો. સ્વીકારાયો એ પણ કેટલો અદ્ભુત રીતે! તેના હૃદયમાં દરિયાઈ તોફાન જેવાં મોજાં ઉછાળા મારવા માંડ્યાં. મન મહાસાગર જેમ મંથને ચડ્યું. આ નવલકથાની શરૂઆત માત્ર છે. આગળની કથા તો એનાથી પણ વધારે રસપ્રદ, રોચક, થ્રીલથી ભરેલી, અનેક વળાંકો લેતી વહેતી રહે છે.

આખી કથા તો લગભગ 1800-1900 જેટલાં પાનાંઓમાં પથરાયેલી છે. તેને અહીં ટૂંકમાં વર્ણવવી શક્ય પણ નથી. પરંતુ ગોપાળભાઈ જીવાભાઈ પટેલે તેનો સરસ, રસાળ અને પ્રમાણમાં ટૂંકો કહી શકાય તેવો 500 જેટલાં પાનાંઓમાં અનુવાદ કર્યો છે. જે નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેનું નામ છે - ‘લે મિઝરેબલ ઉર્ફે દરિદ્ર નારાયણ’. આ નવલકથાના લેખક છે વિક્ટર હ્યૂગો. વિક્ટર હ્યૂગો માત્ર ફ્રાન્સના જ નહીં, વિશ્વસાહિત્યના મહાન કથાકાર છે તેમાં કોઈ બેમત નથી. તેમની લેખનશૈલી અને રજૂઆતે કથારસિયાઓને રીતસર ઘેલું લગાડેલું. તેમના લેખનનું ઘેલું આજે પણ વાચકોમાં એટલું જ તીવ્ર છે. વિક્ટર હ્યુગોને વાંચનારા તેમના ચાહક થઈ જાય છે.

‘લા મિઝરેબલ’માં માણસાઈનો મહાખજાનો છે, જે ખૂટ્યો ખૂટે તેમ નથી. વેદના, સંવેદના, દયા, પ્રેમ અને આશા-નિરાશાના વિશ્વમાં અનોખી સફર કરાવતી આ કૃતિ માત્ર ફ્રેન્ચ ભાષાની જ નહીં, વિશ્વસાહિત્યના ઘરેણા સમાન છે. મેં અત્યાર સુધી વાંચેલી તમામ કૃતિઓમાં આ મારી પ્રિય રહી છે. માનવમનની આંટીઘૂંટી અને બુઝાઈ જતી આશાની દીવડીને લેખકે અનેક રીતે જલતી રાખી છે. આ કથા વાંચ્યા પછી તેનું અજવાળું તમારા આંતરમનને પણ સ્પર્શી જશે તેમાં કોઈ બેમત નથી.

આ નવલકથા બુરાઈથી ભલાઈ તરફ, નિર્દયતાથી દયા તરફ, અંધકારથી પ્રકાશ તરફ, અસત્યથી સત્ય તરફ અને અપ્રામાણિકતાની આંધીમાંથી પ્રામાણિકતાના પ્રદેશ લઈ જાય છે. આ કથામાં વિક્ટર હ્યૂગોએ માનવમનની આંટીઘૂટીઓ એટલી ચીવટથી અને હૃદય વલોવાઈ જાય એ રીતે આલેખી છે કે કથા વાંચતી વખતે અને વાંચ્યા પછી પણ વાચકના હૃદયમાં રીતસર તોફાન ઊઠતાં રહે છે.

મૂળ ફ્રેન્ચ ભાષામાં લખાયેલી અને લગભગ 1900 પાનાંઓની આસપાસ પથરાયેલી આ કથા અંગ્રેજીમાં અનુવાદિત થઈ ત્યારે 1450 પાનાંઓમાં વિસ્તરેલી. જગતની અનેક ભાષાઓમાં તેના અનુવાદો, રૂપાંતરો થયાં છે, ત્યારે ગુજરાતી તેમાંથી કેમ બાકાત રહે? ગુજરાતીમાં પણ અનેક અનુવાદકોએ તેને આપણી ભાષામાં સુપેરે ઉતારી છે.

મને ખ્યાલ છે ત્યાં સુધી પાંચેક અનુવાદકોએ આ નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તેમાં ‘દુખિયારા’ નામે શ્રી મૂળશંકર મો. ભટ્ટે કરેલો અનુવાદ પણ એટલો જ અદ્ભુત અને રસાળ છે. આ અનુવાદ લગભગ પાંચસો-છસો પાનામાં સીમિત કરાયો છે. ગોપાળદાસ જીવાભાઈ પટેલે ‘લે મિઝરેબલ ઉર્ફે દરિદ્રનારાયણ’ નામે કરેલો અનુવાદ પણ અત્યંત રોચક, રસપ્રદ અને પ્રવાહી છે. તેમાં અનુવાદપણાનો જરાકે ભાર લાગતો નથી. વાચકો નદીના પટમાં સરળતાથી તરતી નાવડી જેમ કથાના પટમાં વિહાર કરી શકે છે. ત્યાર બાદ મુકુલ કલાર્થીએ ‘પારસમણિના સ્પર્શે’ નામથી લગભગ દોઢસોએક પાનામાં તેનો અનુવાદ કર્યો છે. જે વધારે પડતો સંક્ષિપ્ત છે. એ જ રીતે મનસુખ કાકડિયાએ ‘લા મિઝરેબલ’નો કરેલો અનુવાદ પણ લગભગ આટલો જ ટૂંકાણમાં છે. આ સિવાય કદાચ માવજી સાવલાએ પણ લા મિઝરેબલનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. જે પુસ્તક બે હજારની આસપાસ પાનાં ધરાવતું હોય તેને દોઢસો-બસો પાનામાં સમાવવું કપરું છે. તેમાં મૂળ સ્વાદ પામવો અસંભવ જેવું થઈ પડે છે. પણ એની સરખામણી નાનાભાઈ ભટ્ટ અને ગોપાળદાસ જીવાભાઈ પટેલે કરેલા અનુવાદો ખૂબ સારા છે.

આ નવલકથામાંથી વારંવાર ફિલ્મો, વેબસિરિઝ, નાટકો, સિરિયલ્સ વગેરે બનતાં જ રહે છે. દસ કરતાં પણ વધારે વખત આ એક જ વાર્તા પરથી ફિલ્મ બની છે અને એ દરેક ફિલ્મે સફળતા પ્રાપ્ત કરી છે. છેલ્લે 2012માં ‘Les Misérables’ નામે ફિલ્મ આવેલી. જેને Tom Hooperએ ડિરેક્ટ કરેલી. આ ફિલ્મને લગભગ ત્રણેક ઓસ્કાર એવોર્ડ પણ મળેલા. એક્સમેન તરીકે ઓળખાતા હ્યુફ જેકમેને જિન વાલજિનનો રોલ કરેલો. પોલીસ જેવર્ટનો રોલ કરેલો રસેલ ક્રોએ. 2007માં ‘Les Misérables: Shōjo Cosette’ નામથી જાપાનિઝ એનિમેટેડ સિરિયલ બનેલી. જે ખૂબ લોકપ્રિય થયેલી. 2018માં બીબીસીએ Les Misérables નામથી વેબસિરિઝ પણ બનાવેલી. જેને Tom Shanklandએ ડિરેક્ટ કરેલી. આ વેબસિરિઝ પણ ઘણી સફળ રહેલી. અલગ અલગ સમયે આ નવલકથા પરથી મ્યૂઝિકલ કોન્સર્ટ થઈ છે, તેને પણ ભવ્ય સફળતા મળી છે. જગતમાં જુદાં જુદાં સ્થાનો-દેશો-પ્રદેશોમાં આ કથાને ધ્યાનમાં રાખીને નાટકો, ફિલ્મો, સિરયલ્સ, વેબસિરિઝ સર્જાંતાં રહે છે અને હજી સર્જાંતાં જ રહેશે. તો એવું શું છે આ નવલકથામાં કે જે વિવિધ ડાયરેક્ટરોને સતત આકર્ષતું રહે છે? એવું કયું તત્ત્વ છે આ કથામાં, જે વાચકને સતત જકડી રાખે છે? એ જાણવા માટે તમે આ નવલકથા વાંચી લો એ જ બહેતર રહેશે.

- અનિલ ચાવડા

મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંબેલું હતું

મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંબેલું હતું.
મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું.

બ્હાર ટંકાવ્યાં હતાં એ ક્યારનાં તૂટી ગયાં,
બસ ટક્યું એક જ બટન, જે માએ ટાંકેલું હતું.

કાયદામાં એક, બીજો અલકાયદામાં જઈ રહ્યો,
આમ તો એ બેઉએ કુરાન વાંચેલું હતું.

માત્ર ઝભ્ભો હોત તો પ્હેરત નહીં ક્યારેય હું,
ખાદી સાથે એમાં કોકે સત્ય કાંતેલું હતું.

ઓ અતિથિ જેને સાચું સમજો છો એ ભૂલ છે;
જે તમે જોયું હતું એ દૃશ્ય માંજેલું હતું.

જે જગા પર દબદબો રહેતો હતો તલવારનો,
ત્યાં હવે બસ જર્જરિત એક મ્યાન ટાંગેલું હતું.

એટલે મેં રાહ જોઈ હાંફ ઊતરે ત્યાં લગી,
મારી પાસે આવ્યું ‘તું એ તથ્ય હાંફેલું હતું!

~ અનિલ ચાવડા

ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના ભણકારા

ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!
સાચુકલા આવ્યા હો એમ મારી આંખ મને ખેંચીને લઈ આવે શેરીએ!

ઝાંપે જઈ નિરખીએ, ઊગેલું દેખાતું
મસમોટું ભોંઠપનું ઝાડ!
એકએક પાંદડાના કાન મહીં કહીએ કે
ધારણાને સાચી તો પાડ!
પોતે પોતાની પર ધૂળ જેમ બાઝ્યા તે પોતે પોતાને ખંખેરીએ
ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!

ધારો કે રસ્તો આ રસ્તો ના હોત અને
હોત કોઈ સૂતરનું દોરડું
પકડી હું ખેંચત, એ જલદીથી આવત,
ને મહેકી ઊઠત મારું ખોરડું!
આવી તો કેટલીય કલ્પનાઓ રાત દાડો મનમાં ને મનમાં ઉછેરીએ!
ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!

~ અનિલ ચાવડા

એ દીકરી છે

આભથી ઈશ્વરની કૃપા ઊતરી એ દીકરી છે,
સાંભળી‘તી વારતામાં જે પરી એ દીકરી છે.

વ્હાલનો દુષ્કાળ વરતાતો હતો એવા સમયમાં,
વાદળી જે સ્નેહપૂર્વક ઝરમરી એ દીકરી છે.

એક દી શરણાઈ વાગી ને ઊડી ગઈ આંગણેથી,
તોય ઘરમાં વાગતી રહી બંસરી એ દીકરી છે.

અશ્રુમાં પણ જે ઉડાડે સ્મિતનાં ધોળાં કબૂતર,
આવડે છે જેને આ જાદૂગરી એ દીકરી છે.

એક ફળિયે મૂળ નાખી ફળ દીધાં જઈ અન્ય ફળિયે,
જાતમાં રહી જગ સુધી જે વિસ્તરી એ દીકરી છે.

- અનિલ ચાવડા