લોગઇન:
સતત રહીને પરી, વરી હું વિઠ્ઠલવરને વરી.
હું જાણું કે સામો ચાલી એ તો શીદને આવે,
દૂર રહીને બહુ બહુ તો એ વેણુનાદ બજાવે.
મેં તો મારી સઘળી સુરતા ચરણકમળમાં ધરી,
વરી હું વિઠ્ઠલવરને વરી.
એ પંડે ઘનશ્યામ, ગમે તો ભલે ખાબકી પડે,
હું તો ખાલી વાદલડી તે બેત્રણ છાંટા જડે,
તોય પલળતાં આવી ઊભો, શી અણધારી કરી!
વરી હું વિઠ્ઠલવરને વરી.
– હરિકૃષ્ણ પાઠક
એક ખૂબ જાણીતું પદ છે,
હરિ તારાં નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી,
રોજરોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી?
હરિ નામનો હંસલો સચરાચરમાં ઊડ્યા કરે છે. આતમ એની પાંખનો સ્પર્શ અનુભવે છે. અનેકાદિ નામમાં ઓગળી ગયેલું હરિનામ કોઈ એક નામની ખીંટીએ ટાંગીને ક્યાંથી રાખી શકાય? કોઈ એને શ્યામ કહે, કોઈ કહે ઘનશ્યામ, કોઈ કહે રણછોડ, વળી કોઈ શ્રીજી કહીને સ્મરે, કોઈ કહાન કહી બોલાવે, કોઈ વિઠ્ઠલવર કહી પોકારે કોઈ કૃષ્ણ નામની સંભારે, કોઈના હૈયામાં ઠાકોરના નામનો દરબાર ભરાય. કોઈ દ્વારકાધીશ કહીને નમન કરે, તો કોઈ ગોવાળિયો કહીને એની દોસ્તી પણ કરે. કોઈનું હૈયું મોરપીચ્છ બને તો કોઈનો સ્વર વાંસળી. હરિ તો અનેક નામમાં વિલિન થઈ ગયેલું તત્ત્વ છે. એ તત્ત્વને વિઠ્ઠલ નામે આત્મસાત કરીને કવિ હરિકૃષ્ણ પાઠકે સુંંદર પ્રેમસમર્પણભાવનું ભક્તિમય કાવ્ય લખ્યું છે. અને કવિના નામનો સંયોગ પણ અદભુત છે, કવિના નામમાં જ હરિ અને કૃષ્ણ બંને સમાઈ જાય છે.
ગોપીભાવે કૃષ્ણને ભજવાની આ ભાવમય ભક્તિપરંપરા તો આપણે ત્યાં વર્ષોથી છે. મીરાંબાઈએ લખેલું,
મોરમુગટ ને કાને રે કુંડલ, મુખ પર મોરલી ધરી
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ, વિઠ્ઠલ વરને વરી
નરસિંહે પણ ગોપીભાવે અનેક પદોની રચના કરી. આ પ્રણયરાગ અનેક કવિઓએ પોતાનાં પદોમાં ભાવપૂર્વક ઝીલ્યો છે. રમેશ પારેખે પણ મીરાંમય થઈને અનેક કાવ્યોની રચના કરી, તો માધવ રામાનુજે પણ ગોકુળમાં કોક વાર આવો તો કહાન હવે રાધાને મુખ ના બતાવશો’ દ્વારા રાધાભાવે કવિતામાં કૃષ્ણપ્રેમ વ્યક્ત કર્યો. કૃષ્ણનું દરેક સ્વરૂપ જ એટલું રળિયામણું છે કે તેમના વિશે લખતા કવિ સહજભાવે ગોપી બની જાય છે.
હરિકૃષ્ણ પાઠકે ઉપરોક્ત કવિતામાં પ્રેમભક્તિ અને આત્મસમર્પણનો ઊંડો ભાવ વ્યક્ત કર્યો છે. અહીં પ્રભુને પામવાની ઘેલછા નથી, પ્રભુ તો પામી લીધા છે, કાવ્યનાયિકા વિઠ્ઠલવરને વરી ચૂક્યાં છે. હવે તો વિઠ્ઠલને વર્યા પછીના ઊર્મિનો આનંદ છે. રિસામણા મનામણા છે. પ્રણય અને સમર્પણ છે. કાવ્યનાયિકા જાણે છે કે પ્રભુ સામે ચાલીને મારી પાસે નહીં આવે, મારે જ તેમણે બજાવેલો વેણુનાદ સાંભળીને તેમની પાસે જવું પડશે. કેમ કે મેં જ તો એમના ચરણકમળમાં મને સમર્પિિત કરી છે. બંસરીને સૂર કાને પ઼ડતાની સાથે જ હરિના સાંનિધ્યની અનુભૂતિ થઈ જાય છે.
પ્રભુ તો પ્રણયનું ગોરંભાતું આકાશ છે, ગમે ત્યારે ખાબકી પડે. ભલે એ અનરાધાર વરસે મને પરવા નથી. હું તો ભીંજાવા જ બેઠી છું. હરિનામનાં વાદળો મારી પર વરસી પડે, મને તેમના ભક્તિના ઝરણામાં વહાવીને લઈ જાય. વાંધો નથી. પણ હું તો માત્ર એક નાનકડી વાદળી છું. પ્રભુ અનરાધાર વરસે તોય હું ઝીલી ઝીલીને કેટલું ઝીલુંં, એકબે છાટાં તો બહુ… છતાં હું એ ઘનશ્યામ નામના આભને પામવા આવી ચડી છું.
કવિએ અહીં ગોપીભાવે પ્રણયપૂર્વક ભક્તિરંગ બરોબર ઘૂંંટ્યો છે. હરિકૃષ્ણ પાઠકની આ રચના હૈયાને સ્પર્શી જાય તેવી છે. તેમણે માત્ર ગીતો જ નહીં, ગઝલ, અછાંદસ, છાંદસ જેવાં વિવિધ કાવ્યસ્વરૂપોમાં સુપેરે પ્રદાન કર્યું છે. એટલું જ નહીંં, તેમણે વાર્તા, નિબંધો, વિવેચન જેવાં ગદ્યસ્વરૂપમાં પણ સારું એવું ખેડાણ કર્યું છે. આપણે થોડા દિવસ પહેલા જ આ ગૌરવવંતા સર્જકને ગુમાવ્યા. કલમની શક્તિના જોરે તેઓ લાંબા સમય સુધી ગુજરાતી ભાષામાં જીવંંત રહેશે. તેમના જ એક અન્ય ગીતથી લોગઆઉટ કરીએ.
લોગઆઉટઃ
ઝીલો જળની ધારા;
આજ છલ્યો દરિયો આકાશી તોડી સઘળા આરા,
જળની રેલમછેલ મચી છે, જળની ઝીંકાઝીંક;
જળનો સાંઢ ચડ્યો તોફાને જોજો, લાગે ઢીંક!
પડ્યો નગારે ઘાવ, કાળના દ્હાડા ગયા અકારા;
ઝીલો જળની ધારા.
પડી તિરાડો પળમાં દેતા જળના રેલા સાંઘી,
સચરાચર કોળ્યું, જે બેઠું જીવ પડીકે બાંધી!
જળહળતું નભ જળથી, નીચે જળના ભર્યા ઝગારા!
ઝીલો જળની ધારા.
– હરિકૃષ્ણ પાઠક