પિતા, સંતાન, મહેલ અને ઝૂંપડી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

પિતાની ઝૂંપડી મધ્યે પાંચ પુત્રો વસી શકે,
પુત્રોના પાંચ મહેલમાં પિતા એક સમાય કે?
– ચંપકલાલ વ્યાસ

એક પિતા પોતાના સંતાનો માટે આખી જિંદગી ખર્ચી નાખે છે. તેમની ઝંખના એટલી જ હોય છે, બાળકો મોટા થઈને બે પાંદડે થાય, તેમનું જીવન વ્યવસ્થિ વીતે, અને ખાસ — પોતે જે હાલાકી ભોગવી છે, જે પીડા વેઠી છે તે સંતાનોને ન વેઠવી પડે એ માટે તે વધારે પીડા વહોરી લે છે. પણ આખરે, જ્યારે સંતાનો સંપત્તિના ભાગ પાડે છે, પિતા પણ તે ભૌતિક વસ્તુઓ સાથે વહેંચાઈ જાય છે. આખી જિંદગી જેમની એકતા માટે ખર્ચી નાખી હોય, જેમના વહાલના વાવેતર કરવામાં લોહી-પાણી એક કર્યા હોય, તે તમને ડાળીએ ડાળીએ કાપે છે. તેનાથી વિશેષ દુઃખ એકે નથી હોતું. ચંપકલાલ વ્યાસે પિતાની આ વ્યથાને કાવ્યમાં વાચા આપી છે. નાનકડી ઝૂંપડીમાં રહીને જે પિતાએ સંતાનોને એવા પગભર બનાવ્યા હોય કે તે મહેલમાં વસી શકે, પણ સમય આવ્યે એ મહેલમાં ક્યાંય પિતાનું સ્થાન નથી હોતું.

પિતા એ એક એવો સ્તંભ છે, જે કદી દેખાતો નથી, પણ આખું ઘર એના ટેકે ઊભું હોય છે. એ પોતાના દુઃખની ચર્ચા સંતાનો સાથે નથી કરતો, કારણ કે તેના માટે આ ભવિષ્યની આશા અને અજવાળું છે. એવી આશા, જેને તે ક્યારેય મુરઝાઈ દેવા નથી માગતો, એવું અજવાળું, જે બધાને પ્રકાશિત કરે. સંંતાન નામનો સૂર્ય ઝળહળે, પ્રકાશ પાથરે તેવી તેની મનોકામના હોય છે, અને જ્યારે ખરેખર એવુંં સંભવ બને, ત્યારે સૌથી વધારે ખુશી જે કોઈની આંખમાં હોય છે, તે પિતા હોય છે. એમની થાકેલી આંખોને વાંચવી અઘરી હોય છે, કારણ કે તેણે તમારા અનેક કોયડાઓ ઉકેલ્યા હોય છે. તમારા સુધી પહોંચતા પહેલા જ અમુક સમસ્યાઓ ભાંગીને ભુક્કો થઈ ચૂકી હોય છે, એ સમસ્યાના પહાડ પર પિતાના મજબૂત બાહુઓ ફરી વળ્યા હોય છે. ખરબચડા કાંટાળા માર્ગને તેમણે સુંદર કેડી બનાવી દીધી હોય છે. પણ આપણને માત્ર સુંદર કેડી જ દેખાય છે, એ કેડી કેવી રીતે કંડારાઈ, ક્યારે કંડારાઈ, કેવી સ્થિતિમાં કંડારાઈ તેનો અંદાજ નથી આવતો. એટલા માટે જ પિતાના પરિશ્રમની ખરી કિંમત સંતાનને ભાગ્યે જ સમજાય છે. તેમની નાની નાની સાવચેતી, કાળજી, હિસાબો એ બધું બાળકોને નિરસ અને કામ વગરનું લાગતુંં હોય છે, યુવાન સંતાનોને લાગે છે પિતા તેમની વાત સમજતા નથી. તેમના વિચારો જૂનવાણી છે.

ઝાકીર ખાને એક કાર્યક્રમમાં પિતા વિશે સરસ વાત કરેલી, પિતા તમારાં સપનાઓની વિરુદ્ધમાં નથી હોતા, તે માત્ર તમને ગરીબ નથી જોવા માગતા.

આપણે ત્યાં શિક્ષકો વિશે એવું કહેવાય છે કે એક શિક્ષક સો માતાની ગરજ સારે છે. પિતા વિશે અંગ્રેજીના લેખક George Herbertએ કહ્યું છે કે, “એક પિતા સો શિક્ષકો કરતા પણ વિશેષ મૂલ્યવાન છે.” વિશ્વના મહાન મનોવૈજ્ઞાનિક સિગ્મંડ ફ્રોઇડે પણ એક વાર કહેલું, “મને લાગે છે કે બાળપણમાં પિતા દ્વારા મળતા રક્ષણ કરતા વધારે ઘનિષ્ઠ અને ઊંડી જરૂરિયાત એકે નથી.” પરંતુ આ બધું કહ્યા પછી પિતાએ સંતાનો પર અધિકાર નથી જન્માવવાનો, તેમને મુક્ત પાંખો આપવાની છે. તેમનું પોતાના વ્યક્તિત્વના છોડને બરોબર પાંગરવા દેવાનો છે, તો જ પિતૃત્વ ખરું. સંતાન પોતાના જેવા થાય તેવી ઇચ્છા રાખીએ ત્યાં સુધી બરોબર છે, પણ હઠાગ્રહ રાખીએ તો નકામું. સંતાનને તેમના પોતાના જેવા બનવા દો. ખલીલ જિબ્રાને કહ્યું છે તે ગાંઠે બાંધી રાખવા જેવું છે, તમારાં બાળકો તમારાં નથી,એ તમારા દ્વારા જગતમાં આવેલાં છે.

ચંપકલાલ વ્યાસે આજના સમયની એક વ્યથાને વાચા આપી છે. સંતાન જેમની માટે ઘસાઈ જાય છે, એ જ સંતાને ખરા સમયે વસ્તુ માત્ર બની જાય છે. અને પિતા પણ સંતાનોમાં વહેંચાઈ જાય છે, વસ્તુની જેમ જ. કવિ રાજેશ વ્યાસ મિસ્કીને ઘરમાં, છતાંય બેઘર બની ગયેલા, જુદા ઓરડામાં રહેતા પિતાની વ્યથાને પોતાની ગઝલમાં ગંભીરતાથી રજૂ કરી છે.

લોગઆઉટઃ

ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે,
બેસે છે ઘરના મેમ્બર એ ઓરડો જુદો છે.

એકેક શ્વાસ જાણે ચાલી રહ્યા પરાણે
ઘરમાં છતાં ય બેઘર એ ઓરડો જુદો છે.

મહેમાન કોઈ આવે વાતો જૂની સુણાવે
લાગે કદીક પળભર એ ઓરડો જુદો છે.

ઘરમાં જૂનું જે થાતું, બદલાઈ તરત જાતું
બદલાય ના તસુભર એ ઓરડો જુદો છે.

મૃત્યુ પછી પિતાના ખર્ચે કરી સજાવ્યો,
લાવ્યા ખરીદી ઈશ્વર એ ઓરડો જુદો છે.

- રાજેશ વ્યાસ મિસ્કીન

અમારા હાલથી સ્હેજેય એ અવગત નથી જોને!

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

બધું ગમતું મળી રહે સુખ, એવું કિસ્મત નથી જોને!
નવું શમણુંય જોવાની હવે હિંમત નથી જોને!
હજીયે ત્યાં જ ખૂણો પાળતું મન એકલું બેઠું,
અમારા હાલથી સ્હેજેય એ અવગત નથી જોને!

~ મેધાવિની રાવલ

કવિએ ચાર પંક્તિના મુક્તકમાં, બોલચાલની ભાષા વાપરીને, માત્ર પોતાની હાલત નથી વર્ણવી, તેમણે એક ઊંડી ફિલસૂફી પણ રજૂ કરી છે, જે દરેક માણસને સમાનપણે લાગુ પડે છે. કવિતાની એ જ તો ખૂબી હોય છે કે દરેક વાંચનારને પોતાની લાગે, પોતાનો મનોભાવ રજૂ કરતી હોવાનો અનુભવ થાય. કવયિત્રી મેઘાવિની રાવલે બોલચાલના એક-એક અક્ષરના બે શબ્દો ‘જો-ને’થી હૃદયમાં પડેલી અમુક મૂક વાતોને ખરેખર મૂક-તક આપી છે.

માનવમનમાં ઉદભવતી ઇચ્છાની કરૂણતા એ છે કે તે ભાગ્યે જ સાકાર થાય છે. આપણે બધા જ જીવનભર આપણું ગમતું ઇચ્છીએ છીએ. પ્રેમ હોય કે મિત્રતા, પૈસો હોય કે પ્રતિષ્ઠા, સંબંધ હોય કે સંવેદના, બધું જ, અરે દુશ્મનાવટ કે નફરત પણ આપણને આપણી ગમતી રીતે અને આપણી શરતે જોઈએ છે. દુઃખનું આ જ સૌથી મોટું કારણ હોય છે. ઘણા લોકો પાસે અઢળક સંપત્તિ હોય છે, સિદ્ધિ હોય છે, પ્રતિષ્ઠા પણ હોય છે, છતાં અંદરથી દુઃખી હોય છે, કારણ માત્ર એટલું જ કે આ બધું તેમણે જે રીતે ઇચ્છ્યું હતું તે રીતે નથી મળ્યું હોતું. અને અમુક પાસે માંડ ગણી ગાંઠી સંપત્તિ હોય છે, ગણીને બે-પાંચ માણસો ઓળખતા હોય છે, છતાં પરમ સંતોષી હોય છે. તેમણે જે ઇચ્છ્યું હતું તે તેમની શરતે મળ્યું હોય છે.

મેળવવું, ગુમાવવું, સુખ અને દુઃખ ઘણી બધી રીતે સાપેક્ષ હોય છે અને એક જ વસ્તુ બધાને સુખી નથી કરી શકતી. કોઈકને એક ટંકનું ભોજન મળી જાય તો જિંદગી જીતી લીધા જેટલું સુખ થતું હોય છે અને અમુક લોકો સાત પેઢી ખાય તોય ન ખૂટે તેટલું હોવા છતાં ચોવીસે કલાક અભાવમાં ડૂબેલા રહેતા હોય છે. આ બધાના પાયામાં મૂળ વાત એક જ — બધું ગમતું મળી રહે તેવું નસીબ કોઈનું હોતું નથી.

જીવન એ બજાર નથી કે જ્યાં આપણી ઈચ્છાઓનાં ભાવ લખેલા હોય અને થોડાક પૈસા ફેંકીએ એટલે મળી જાય. તેમાં તો ડગલે ને પગલે કાંટાળી ઘટમાળમાંથી પસાર થવું પડે છે. સુખ-દુઃખની ઘંટીએ દળાવું પડે છે. પરંતુ એ પરિસ્થિતિમાં પણ આપણે સપનાં જોવાનું બંધ નથી કરતાં, કેમકે સપનાં જ તો આપણને જીવતાં રાખતાં હોય છે. કશુંક કરવાની, પામવાની, મેળવવાની ઝંખનાના પાયામાં આવી સ્વપ્નીલ ઇચ્છાઓ હોય છે. પણ પરિસ્થિતિનો માર ક્યારેક ઇચ્છાને ધરમૂળથી ઉખાડીને ફેંકી દે છે, દુઃખ અને નિરાશાની ભીંતો ચારે તરફ ચણી દે છે અને મન અંધારિયા ઓરડામાં પુરાઈ ગયાની અનુભૂતિ કરે છે. એવું નથી કે જીવનમાં ફરી ક્યારેય સવાર આવતી જ નથી, પણ અમુક રાતો એટલી લાંબી હોય છે કે આપણું મન સવારનું અજવાળું જોવાની આશા ગુમાવી બેસે છે. પછી નવું સ્વપ્ન જોવાની ઇચ્છા સુધ્ધાં નથી થતી, નથી થતી હિંમત.

હિંમત હારેલું મન કરે શું? ચુપચાપ એક ખૂણામાં બેસી રહે. નિરાશાનાં વાદળોને વઘારે ગાઢ બનાવે, દુઃખના ડુંગરો વધારે ઊંચા કરે, અફસોસની ભીંતોને મજબૂત બનાવે, અંદર ને અંદર સોરવાયા કરે, વલોવાતું રહે. વ્યથાની આગમાં ટળવળતું રહે. અને કરૂણતા એ કે આપણી આ પરિસ્થિતિથી આપણા અંગત સ્વજનો અવગત નથી હોતા. ચલો બધા ન હોય, કંઈ નહીં, પરંતુ એ વ્યક્તિ પણ નથી હોતી, જેને આપણે ખાસ ગણતા હોઈએ, શ્વાસ ગણતા હોઈએ.

દુનિયાને આપણા દુઃખની ખબર નથી. નજીકનાં લોકો પણ એ ખૂણા સુધી પહોંચી શકતા નથી. આપણું મન જ્યાં બેઠું છે, ત્યાં સુધી કોઈની આંખ નથી પહોંચી શકતી. આપણે લોકો સાથે વાતો કરીએ છીએ, મલકીએ છીએ પણ એ બધું એક અદૃશ્ય માસ્ક પહેરીને. અંદરથી મન ચીસો પાડતું હોય છે. અને એ ચીસોનો અવાજ માત્ર આપણે જ સાંભળતા હોઈએ છીએ. આપણે અંદરથી અત્યંત એકલા હોઈએ છીએ. અને એ એકલાનો ભાર એટલા માટે નથી હોતો કે જગત આપણને ન જાણી શક્યું, એટલા માટે હોય છે કે એ વ્યક્તિ પણ ન જાણી શકી, જેણે જાણવું જોઈતું હતું.

અન્ય એક સરસ હૃદયસ્પર્શી મુક્તથી વિરમીએ.

લોગઆઉટઃ

જાત સાથે વાત જ્યારે થાય છે
ઘાવ ભીતરના ઘણા રુઝાય છે
અવઞણે દુનિયા ભલે તારા ગુણો
રોશની શું વાદળે ઢંકાય છે?
~ દિવ્યા વીધાણી

અવસરે તોરણ વિનાનાં આપણે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કાળની સમજણ વિનાનાં આપણે,
કેસૂડાં ફાગણ વિનાનાં આપણે.
સહેજ હર્ષોલ્લાસ ના નજરે ચડે,
અવસરે તોરણ વિનાનાં આપણે.

– ઉર્વીશ વસાવડા

જીવન એ માત્ર આપણા ભાગમાં આવેલો સમયનો એક ટુકડો નથી. તેમાં રંગ છે, ઉમંગ છે, પ્રવાસ છે સહવાસ છે, હર્ષ છે શોક છે, એક એવી યાત્રા છે જેમાં આપણું હોવું, ન હોવું, અને કેમ હોવું એ તમામ પ્રશ્નો સામેલ છે. ઘણી વાર માણસ જીવતો હોય છે, પણ જીવી રહ્યો હોતો નથી. એ હસે છે, વાતો કરે છે, નાચે છે, કૂદે છે, વ્યવહારો કરે છે, પ્રસંગોમાં જોડાય છે, પણ અંદરથી ક્યાંક ખાલી છે, સાવ લાગણીશૂન્ય, સંવેદનાશૂન્ય. આવો માણસ રોજ પરાણે દિવસના પગથિયાં ચડે છે. જિંદગીમાં દુઃખો છે જ નહીં, એવું નથી. પણ જીવન સાવ નિરાશાની નદી નથી. એ અવસરો અને ઉત્સવ પણ છે. પણ જો અવસરોને ઓળખી શકતી આંખ ન હોય તો સમજી લેવું કે આંખ છે, પણ દિશા નથી. દૃશ્યો છે, પણ દિશા નથી. એવા સમયે દિશાવિહીન કડવાશ જીવનને ઝેર જેવું બનાવી નાખે છે.

જીવન ફિક્કું લાગવા માંડે છે, નિરર્થક યાત્રા જેવું. જ્યાં ન તો આગમનનું મહત્ત્વ છે, ન વિદાયનું. આનંદના અવસરે પણ આપણે સોગિયું મોઢું લઈને બેસી રહીએ છીએ. ત્યારે તોરણ વિનાના અવસર જેવા લાગીએ છીએ.

કવિ ઉર્વિશ વસાવડાએ ચાર પંક્તિમાં જ માનવમનનાં ઊંડાણને તાગી લીધું છે. તે જાણે છે કે આનંદ હોય કે શોક, સફળતા હોય કે નિષ્ફળતા, પ્રાપ્તિ હોય કે મુક્તિ, માણસને ક્યારેય પણ, ક્યાંય પણ પૂરો સંતોષ નથી થતો. અને આ અંસોતષ જ બતાવે છે કે આપણે કાળની, સમયની અને સાર્થકતાની સમજણ નથી.

ઘણીવાર માણસનું જીવન નિશ્ચિત માળખા મુજબ ચાલે છે. શાળાની વયે ભણવું, તરત નોકરી, પછી લગ્ન, પછી બાળકો, પછી જવાબદારીઓ, પછી નિવૃત્તિ, અને પછી સ્તબ્ધતા. આ ઢાંચો આપણને માફક આવી ગયો છે. આપણે તમામ ચીલા પહેલેથી કોતરી નાખ્યા છે, કોણે ક્યાં, કેમ, કઈ રીતે, અને કેટલું ચાલવાનું બધું નક્કી કરી નાખ્યુંં છે. એના લીધે આવેલ તહેવાર માત્ર વહેવાર બનીને રહી જાય છે. જીવનમાં અનેક ઉત્સવો એવા હોય છે, જે કેલેન્ડરના પાને નથી હોતા, પણ આપણા અંતરાત્માના આંગણામાં અવાર નવાર ઉજવાતા હોય છે. જ્યારે કોઈ આંખોમાં આનંદ ઊભરાય, કોઈ બાળક પહેલી વાર બોલે, કોઈ મિત્ર દૂર રહીને પણ હૃદયની નજીક લાગે, અથવા કોઈના દુ:ખમાં કશું બોલ્યા વિના જ નિશબ્દ સાથ આપીએ. આ બધી જ ક્ષણો એક પ્રકારના તહેવારો છે. ત્યાં આપણા અંતરાત્માને ઉજવવાની તક મળે છે. પણ આ બધી જ તકો ટૂંટિયું વાળીને ખૂણામાં પડી રહે છે. તે આપણને ઇશારો કરે છે, આનંદિત થવાનો, હર્ષોલ્લાસમાં ડૂબી જવાનો, મન ભરીને મોજ માણવાનો, પણ આપણે તો અંદરના ઉનાળે બળબળતા રહીએ છીએ. તાપમાં ખીલી ઊઠતા ગરમાળાને નિહાળી નથી શકતા, ન તો કેસૂડાને માણી શકીએ છીએ.

બહુ ઓછાને ખબર હોય છે ક્યારે થોભવું, ક્યારે ચાલવું, ક્યારે દોડવું, ક્યારે બોલવું, અને ક્યારે માત્ર સાંભળવું. આ સમજણ જીવનને ઘાટ આપે છે. આપણી અંદરનો ઊત્સવ સૂકાઈ જાય ત્યારે કોઈને દેખાતું નથી, પણ આપણને પોતાને અનુભવાય છે. કદાચ કોઈ ન પૂછે કે તું કેમ ચુપચાપ રહે છે, પણ અંદર એક પ્રશ્ન સન્નાટા જેમ સૂસવાતો રહે છે.

આપણે સંવેદનાના ઊંડા તળાવો ખોદીએ છીએ, પણ વરસાદ સાથ ન આપે ત્યારે તે માત્ર મોટા ખાડા બનીને રહી જાય છે. આવું થવાનું કારણ આનંદ અને ઉમંગના વાદળો આપણે બંધાવા નથી દેતા, અંદર ચોમાસું ઊભારતું હોય ત્યારે પણ નહીં.

અશરફ ડબાવાલા કહે છે તેમ કરવું, કોઈ અવસર હોય કે ન હોય, ઉત્સવ માણવો.

લોગઆઉટઃ

કોઈ પણ અવસર વિના આંગણમાં ઉત્સવ માણીએ
આંગણું ન હોય તો પાદરમાં ઉત્સવ માણીએ

મનના મુંબઈની ગજબની હોય છે જાદુગરી
હોઈએ અંધેરી ને દાદરમાં ઉત્સવ માણીએ

માછલી થઈને ન લાગે જીવ દરિયામાં કશે
તો પછી ખુદ જળ બની ગાગરમાં ઉત્સવ માણીએ

ભીંજવી ભીંજાઇ જાવાના ગયા દિવસો હવે
ચાલને વરસ્યા વિના વાદળમાં ઉત્સવ માણીએ

શ્રાપ છે કે છે કૃપા લેખણની અમને શું ખબર?
માંડવે ગુમસુમ અને કાગળમાં ઉત્સવ માણીએ

– અશરફ ડબાવાલા

…કે આજ હવે ચોમાસું બેઠું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ઢોલ વગડાવી લાપશીના મૂકો આંધણ, ગોળધાણે મોઢું તે કરો એઠું
કે આજ હવે ચોમાસું બેઠું.

હવે મારી જેમ ખેતરને હાશ થશે હાશ,
અને કૂવાને ઓડકાર આવશે.
કાગળની હોડી ને અબરખની કોડી,
એવા તે દિવસો એ લાવશે.
આભ ફાટીને આજ પડ્યું હેઠું.

કૂવા તો ઠીક હવે બેડાંની સાથસાથ,
નમણી વહુવારુઓ ધરાશે.
બેડાં નહીં ને તું ભીંજવશે છોરીઓ,
તરસ્યા તે છોકરાઓ થાશે.
વરસે છે મધ જેવું મેઠું.

– જતીન બારોટ

ઉપરોક્ત કવિતામાં કવિએ વરસાદી આગમનને શબ્દોના કંકુચાંદલા સાથે મન મૂકી વધાવ્યું છે. શુભઅવસરે લાપસીના આંધણ મુકાય છે, ગોળધાણાથી મોઢું મીઠું કરાય છે. આવો જ એક શુભ અવસર આવી પહોંચ્યો છે, પણ તે કોઈ એક બારણે નહીં, પ્રત્યેક દ્વારે દસ્તક દઈ રહ્યો છે — ચોમાસું બેઠું છે.

ચોમાસું માત્ર એક ઋતુ નથી, સંકેત છે. જે કંઈ સૂકાઈ ગયું હતું, જીવંતતા ગુમાવી બેઠું હતું, ચીમળાઈ ગયું હતુંં, અને ફરી ઉગવાની આશા ગુમાવી ચૂક્યું હતુંં, તેને ફરીથી જીવંત કરતો ભીનો સંકેત. એ સંકેતનો અવાજ વાદળોની ગર્જના જેવો સંગીતમય છે, મોરના ટહુકા જેવો સુરીલો છે. તેની સુગંધ, માટીની મહેક જેવી છે અને તેનું આગમન – ભીનું, તરબોળ કરનારુંં અને ઉલ્લાસભર્યું. આ ઉલ્લાસ ન માત્ર ખેડૂતો, પ્રત્યેક જીવમાં દોરીસંચાર કરે છે. પછી એ કીડી હોય કે હાથી, હિંસક હોય કે અહિંસક. મનુષ્ય હોય કે વૃક્ષ. પ્રત્યેકને પોતાના આગમનથી આનંદિત કરી દે છે. સૂકો પડેલો નિર્જીવ કૂવો પણ સજીવ થઈ ઊઠે છે, તેના બે કાંઠે છલકાતા નીરને ભરવા આવેલી ગામની વહુવારુના પગલાથી એ સ્થાન વધારે પવિત્ર થઈ ઊઠે છે.

આપણા જીવનમાં પણ ચોમાસાવિહીન સૂકા દિવસો આવતા હોય છે, જે ચોમાસાની પ્રતીક્ષામાં રહે છે. એ વખતે તમામ સંબંધો ધૂળમાં ફેરવાઈ ગયા હોય છે અને સંવેદના — કઠોર પથ્થર જેવી. પ્રત્યેક આશા સૂકી ડાળ જેમ અસ્તિત્વના ઝાડ સાથે ચોંટેલી રહે છે, તેને પ્રતીક્ષા હોય છે માત્ર એક હરિયાળી વાછટની, કોઈકની હૂંફની, કોઈકના સથવારાની, માત્ર એટલા સ્નેહભર્યા શબ્દોની — “હું તારી સાથે છું”. અને આ શબ્દો જ ક્યારેક દુકાળભર્યા હૃદયમાં લીલોતરી લાવવાનું જાદુઈ કામ કરે છે.

જ્યારે આંતરમન ભીનું થવાને બદલે આંખ ભીની થાય, ત્યારે સમજી લેવું આ પાણી વરસાદનું નહીં, દુકાળનું છે. જેમ સૂર્ય હર્યાભર્યાં તળાવને પણ શોષી લે, તેમ જીવતરનો તાપ આપણી ભીનાશ શોષે છે. ત્યારે વરસાદની ઝંખના જાગે છે. આપણી અંદરની ભૂમિ કોઈના હેતપૂર્વક વરસી પડવાની પ્રતીક્ષામાં રહે છે. આપણું મન સૂકી ધરતી જેવું, વરસાદની ઝંખના કરતું, ટળવળે છે.

કવિ કહે છે ‘ચોમાસું બેઠું’ ત્યારે તેમનો ઇશારો માત્ર વરસતા જળ તરફ નથી, કે નથી માત્ર ઋતુના આગમનની એંધાણી તરફ. કવિ તો દરેક જીવમાં ઉદભવતા લીલાછમ સ્નેહ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

વરસાદ આવવાની ઘટના માત્ર આભથી ધરતી પણ પાણી વરસવા પૂરતી સીમિત નથી. તેમાં અનેક સંવેદનાઓ સળવળી રહી હોય છે. ક્યાંક કોઈ બાળક પોતાની હથેળીમાં વરસાદ ઝીલવા પ્રયત્ન કરતું હોય, ક્યાંક કોઈ છોકરી વરસાદમાં પોતે મધુરા ગીત જેવી થઈ ગઈ હોય, ક્યાંંક વળી કોઈ વૃદ્ધ આંખ પર છાજલી કરીને આભની વરસતી કૃપાને નેહપૂર્વક નિહાળી રહ્યો હોય. ક્યાંક વળી, કોઈ યુગલનો પરસ્પરનો રોષ ઓગળીને અમૃત થઈ ગયો હોય — નાની લાગતી આવી અનેક પળો સેંકડો હૈયામાં ઉત્સવ થઈને ઉજવાતી હોય છે. અને એ સમયે આપણાં 'કાગળની હોડી' જેવા સપનાં પણ સાચકલું વહાણ બનીને વહેવા લાગે છે. આપણી ભાંગેલી આશાઓ 'અબરખની કોડી' બનીને ફરી ઝળહળે છે. એ પળે સમજાય છે કે કેટલીય ઋતુઓ માનવીના જીવનમાં ફક્ત પ્રકૃતિગત નિયમો માટે નહીં, પણ અર્થ માટે, અવાજ માટે, અને આંતરિક રૂપાંતર માટે આવતી હોય છે.

લોગઆઉટઃ

પથરા આઘા પાછા થૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું,
છત્રી પણ ચોરીને લૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

રેઇનકોટ ને ગમશુઝથીયે જાડી ચામડીયુ વાળા ક્યે,
ભીંજાતા ભીંજાતા રૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

નહિંતર એ કેવા કંજુસ છે! કદિ કોઈને કૈં આપે? પણ-
મને ગિફ્ટમાં વાદળ દૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

કઈ રીતે ભીંજાવુ એનું લાંબુ લાંબું ભાષણ દઈને
પોતે પાછા ઘરમાં વૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

બીજા તો કોરાકટ સમજ્યા, પણ સોંસરવા જે પલળ્યા એ,
મને કાનમાં આવી કૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

– કૃષ્ણ દવે

પોતાનો જ શબ્દ સાચો હોવાનો દાવો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કોરા કાગળનો એક ટુકડો.
મુસલમાને લખ્યું, 'કુરાન',
ખ્રિસ્તીએ લખ્યું, ' બાઈબલ',
યહૂદીએ લખ્યું, ' ટોરાહ' ,
અને હિંદુએ લખ્યું, ' ગીતા' .
દરેકે પોતાનો જ શબ્દ સાચો હોવાનો દાવો કર્યો.
ધાંધલ મચી.
મિજાજ ભડક્યા.
અચાનક, તીવ્ર વેદનામાં કાગળે ચીસ પાડી-
બસ કરો, દખલ ન કરો,
રહેવા દો મને માત્ર, એક કોરો ટુકડો કાગળનો.

– વિજય જોષી

એક રીતે જોવા જઈએ તો સમગ્ર માનવજાત પ્રારંભે કોરા કાગળનો ટુકડો હતી. સમય જતા માનવી પરસ્પર જોડાયા, કબીલાઓ બન્યા, સમાજો ગૂંથાયા, પ્રથાઓ રચાઈ, સંસ્કૃતિ સર્જાઈ, કલાના પગરણ થયાં અને માનવજાત વિકસતી ગઈ. આ વિકાસ દરેક ક્ષેત્રનો, દરેક પ્રદેશનો અલગ અલગ હતો. દરેકની પોતાની મર્યાદાઓ અને વિશેષતાઓને ધ્યાનમાં રાખીને તે જગ્યાઓની સંરચના, શૈલી, પરંપરા, પ્રથા, નીતિ અને સંસ્કૃતિ વિકસી. દરેક સમાજે, સંસ્કૃતિએ પોતાનાં ઉદ્દાત્ત મૂલ્યોની જાળવણી કલા સ્વરૂપે કરી. ક્યાંક ચિત્રોમાં, ક્યાંક ગ્રંથોમાં. તેમાં મૂળ ભાવ એક જ છે, એક માનવની બીજા માનવ પ્રત્યેની શ્રદ્ધા. એક જીવની બીજા જીવ પ્રત્યેની આસ્થા. એ આસ્થાના મૂળ ખૂબ ઊંડા છે. જેને આપણે પરમતત્ત્વ તરીકે જોઈએ છીએ તેની સાથે જોડાયેલાં છે. તે તત્ત્વ માત્ર એક ધર્મમાં નહીં, પ્રત્યેક સ્થાને, પ્રત્યેક જીવનમાં પ્રત્યેક વિચારમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વણાયેલું છે.

આ આસ્થાનું નામ ક્યાંક બાઇબલ છે, ક્યાંક કુરાન તો ક્યાંક ગીતા. ગુજરાતીમાં કેટલું સરસ ભજન છે — “હરિ તારાં નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી.”

ધર્મની રચના એક રીતે માનવમનમાં રહેલી કરૂણા, શ્રદ્ધા અને સદ્ભાવના તત્ત્વમાંથી થઈ છે. જે મૂળ રૂપે અદૃશ્ય છે, પણ તેને દૃશ્યમાન કરવા માટે આપણે મંદિરો, મસ્જિદો અને દેવળો રચ્યાં. કાયદા બનાવ્યા, સિસ્ટમ વિકસાવી. જેથી આપણી આંતરિક શ્રદ્ધાને પ્રતિકાત્મક રૂપે પ્રત્યક્ષ જોઈ-અનુભવી શકાય. કાળક્રમે થયેલા મહાપુરુષોએ પણ મહત્ત્વનો ફાળો આપ્યો છે. ક્યાંક કોઈ પયગંબર સ્વરૂપે પ્રગટ્યું અને રાહ ચીંધ્યો, ક્યાંક કોઈએ ઈસુ તરીકે દયાસાગર રચ્યો તો ક્યાંક મહાવીર, બુદ્ધ, કૃષ્ણ અને રામે માનવતાનો દીવો પ્રગટાવ્યો. ક્યાંક વળી પરંપરા, પ્રતિષ્ઠા, અને સત્યની શોધની જિજ્ઞાસાએ સ્વયં ઈશ્વરનું રૂપ ધર્યું.

આમાં દરેકની અનુભૂતિ અલગ, સમજ નોખી, પણ આંતરિક તત્ત્વ તો એક જ છે.

વર્ષો પહેલાં એક વાર્તા વાંચેલી. તે ધર્મ અને તેની વિવિધતા સમજવા બાબતે ખૂબ ઉપયોગી થાય તેવી છે. પાંચ અંધ માણસોને હાથી પાસે લઈ જવામાં આવ્યા. બધા હાથીને સ્પર્શીને તેનું વર્ણન કરવા લાગ્યા. એકે તેના વિશાળ પેટ પર હાથ ફેરવ્યો અને કહ્યું, હાથી મોટી દીવાલ જેવો છે. બીજાએ હળવેકથી પૂંછડું પકડ્યું અને કહ્યું, ના ભાઈ, હાથી તો પાતળા દોરડા જેવો છે. ત્રીજાના હાથમાં હાથીના કાન આવ્યા. તેણે કાન પકડીને કહ્યું, અરે મારા ભાઈઓ, મારું માનો, હાથી તો મોટા સૂપડા જેવો છે. ચોથાએ તેની સૂંઢ પકડી હતી, તેણે કહ્યું, ભાઈઓ, તમે બધા ખોટ્ટા. હાથી તો મોટી પાઇપ જેવો હોય છે. પાંચમાએ તેનો પગ પકડ્યો અને કહ્યું, ભાઈઓ, તમે બધા ગેરસમજમાં છો, ખોટી માન્યતા ન ફેલાવો. હાથી તો જાડા થાંભલા જેવો હોય છે. અને અત્યારે હું એને અનુભવી રહ્યો છું.

અહીંયાં તમે પરમ તત્ત્વને હાથી તરીકે જુઓ અને પાંચેય અંધને વિવિધ ધર્મ તરીકે. પાંચમાંથી એકેય ખોટા નથી, તેમની અનુભૂતિ પણ સાચી છે, પરંતુ તેમણે જે સ્થાનેથી હાથીને અનુભવ્યો તેનું સ્વરૂપ અલગ છે. એ પાંચેય અલગ અનુભવો અંતે તો એક જ હાથીના સ્પર્શથી ઉદભવ્યા હતા. જેમ એક જ પરમ તત્ત્વને હન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહુદી જેવા અલગ અલગ ધર્મથી પૂજવામાં આવે છે. આ બધાની અનુભૂતિ અલગ છે, ત્યાં સુધી વાંધો નથી. પણ પોતે જ સાચા છે તેવો આગ્રહ રાખે ત્યારે તકલીફ. અને ધર્મના નામે કેટલી હિંસા થઈ છે તે માનવજાત સદીઓથી જોતું આવ્યું છે.

અહીં કવિ વિજય જોષીએ કાગળના પ્રતિક દ્વારા માણસના ચેતન મનનો પડઘો પાડ્યો છે. કાગળ એ માણસનું કોરું મન છે. જ્યાં દરેક સમાજ, વિચાર, સંસ્કૃતિ, પરંપરા, પ્રથા અને પંથ પોતાની છાપ મૂકે છે. જ્યારે દરેક વિચાર પોતાને જ સાચો માને, ત્યારે એ ચેતન મન તૂટે છે. આજે આપણો સમાજ પણ એવો જ છે — ઓવરલોડેડ. વિવિધ આઇડિયોલોજીના વધારે પડતા ભારથી લદાયેલો. આજનું સૌથી મોટું ‘સત્ય’ છે અન્યના અલગપણાને આદર આપવો. પોતાનો જ કક્કો સાચો કરીને ઘર્ષણમાં સહભાગી થવા કરતા, કવિ કહે છે તેમ, કોરો કાગળ રહેવું સારું.

લોગઆઉટઃ

ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.
- અમૃત ઘાયલ

કરવા જેવું નહીં કરીને મંદિર જઈને શું કરશો?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કરવા જેવું નહીં કરીને મંદિર જઈને શું કરશો?
આવેલી તક જતી કરીને મંદિર જઈને શું કરશો?

શેરી, ફળિયે, ખુદના ઘરમાં, નજર ઝુકાવી, ચૂપ રહી,
અન્યાયો પર સહી કરીને મંદિર જઈને શું કરશો?

ખોળે લીધા એકલતા ઓગાળે એવા શ્વાનકુંવર!
પણ કુત્તાની ખસી કરીને મંદિર જઈને શું કરશો?

જાણો છો કે જેના મુદ્દા ચકમકના પિતરાઈ છે,
એવી વાતો ફરી કરીને મંદિર જઈને શું કરશો?

તમે ભલે તલવાર, તીરનો વિચાર સુદ્ધાં નથી કર્યો,
સૂતેલાને સળી કરીને મંદિર જઈને શું કરશો?

દલીલ, દાવા ને ઝઘડાની છૂટ હતી પણ તમે 'મધુ',
દર્પણ સામે ટણી કરીને મંદિર જઈને શું કરશો?

- મધુસૂદન પટેલ 'મધુ'

મંદિર પવિત્રતાનું પ્રતીક છે. જ્યારે જગતનાં અન્ય સ્થાનો નકારે ત્યારે મંદિરનું પગથિયું ચડતો માણસ અંદરથી તૂટેલો હોય છે. અંદરની તિરાડોને પૂરવાની આશા સાથે તે મંદિર, મસ્જિદ, દેવળમાં જાય છે. વારંવારની આવી આશાને તે ભક્તિનું નામ આપી દે છે. કવિ મધૂસુદન પટેલે આ કવિતા દ્વારા, પીળા રંગની – તાંબાને કલાઈ કરી સોનું કહીને ખપાવવાની કોશિશ કરતી ખોટી – શ્રદ્ધાનો ઢોળ ઉતારવાનું કામ કર્યું છે. આપણે ત્યાં અંદર સુધી ઘૂસી ગયેલી અશાંતિ અને ખોખલી વૃત્તિઓ સામે બહેરી થઈ ગયેલી ચેતનાઓને ધર્મના ઓથા હેઠળ સંતાડતા માણસોની કમી નથી. આવી સ્થિતિમાં આ કવિતા આંતરિક ઈમાનદારીનો દીવો પ્રગટાવે છે.

સમાજમાં રોજબરોજ અનેક એવી ઘટનાઓ ઘટે છે, જેમાં આપણે ઇચ્છીએ તો કંઈક યોગદાન આપી શકીએ, આપણે આપીએ પણ છીએ, પણ શું? નરી સલાહો, આદેશો. અરે, આપણો જ ફેંકેલો કચરો ઊઠાવવામાં પણ આપણને શરમ આવે છે, ત્યારે મંદિર જઈને પવિત્રતા અને સ્વચ્છતાનો પોલો ઢોલ વગાડવાનો શો અર્થ?

અનેક નિર્બળોનો અવાજ દબાવવામાં આવે છે, શ્રમિકોના અધિકારોથી ઝૂંટવાય છે, જાતિવાદના ઝંડા ફરફરી રહ્યા છે, લાંચ અને લાગવગના વાવટા ઓફિસોમાં ફરે છે, એ બધું જોવા છતાં આપણે છાતી ફુલાવીને મંદિર તરફ મોઢું ફેરવીશું? એ પવિત્રતાની યાત્રા છે, કે પાપ સામેથી નજર દૂર કરવાનો કીમિયો? આવી વૃત્તિનો વિરોધ ન કરી શકો તો કંઈ નહીં, તેમાં ભાગીદાર બનીને તેને પ્રોત્સાહન આપવાનું બંધ કરીએ, એ પણ મંદિર જવા જેટલું જ પવિત્ર કામ છે.

આપણે કેટલી રકમનું દાન આપ્યું, કેટલી મોંઘી આરતી ઉતારી, કેટલાં પુષ્પો ચડાવ્યાં અને કઈ તક્તીમાં નામ લખાવ્યું, એની કરતા વધારે ભક્તિપણું એમાં છે કે જરા પણ જાહેરાત કર્યા વિના કેટલા ભૂખ્યાને ખવડાવ્યુંં, કેટલાં ગરીબોના ઘરે જઈને પણ ખબર ન હોય તેમ ચુપચાપ અનાજ મૂકી આવ્યાં? કેટલાં શ્રમિકોનાં બાળકોની સ્કૂલ ફી ભરવામાં મદદ કરી? કઈ અનાથ દીકરીની સેંથીનું સિંદૂર શોભે તે માટે તમારા રંગ આપ્યા? પણ આપણે ભક્તિ સાબિત કરવી છે, મંદિર ગયાનો સિક્કો ખખડાવવો છે. આપણે મંદિરમાં શ્રદ્ધા માટે નહીં, માંગણી માટે જઈએ છીએ. પછી કપાળે લાંબું ટિલુંં તાણીને ફરીએ છીએ, જાણે ખુદ પ્રભુએ સહી કરી હોય.

માણસ પોતાના અસત્યને ઢાંકવા માટે મધુર વાણીનો લેપ કરતો હોય છે. જેને માત્ર એ પોતે જ જાણતો હોય છે. આપણા સુકર્મો પણ આવું જ એક પરિણામ સાબિત થાય છે. ડાબા હાથને પણ ખબર ન પડે એમ જમણા હાથે દાન કરું છું, એવું કહેનાર માણસ આ વાત વારંવાર, સો-બસોના ટોળા વચ્ચે કરતો હોય છે. એ દાન કરે છે એ વાત માત્ર એનો ડાબો હાથ જ નથી જાણતો હોતો, બાકી આખું ગામ જાણતું હોય છે. એટલો ગુપ્ત દાની હોય છે. એની કરતા ય વિશેષ, તેનું અંતર જાણતું હોય છે.

જ્યારે કોઈ વ્યક્તિ દુઃખી હોય, ત્યારે એને એકશન જોઈએ છે, આશ્વાસન નહીં. જ્યારે કોઈને ન્યાય ન મળે ત્યારે એને અવાજ જોઈએ, અર્ધસત્યની ઓથ નહીં. પણ આપણે માત્ર આશ્વાસન અને અડધા સત્યની અણીઓ ભોંકીએ છીએ. આમ તો મંદિર દરેક ઠેકાણે છે — ઘરમાં, શેરીમાં, ગામના ચોકે, પાદરમાં. સ્કૂલમાં, વૃક્ષમાં કે દરેક ફૂલમાં. રોજ કોઈ વૃક્ષને પાણી પાવું એ પણ પ્રાર્થના છે. અંધને રસ્તો ક્રોસ કરાવવો એ પણ મંદિર જવા જેટલું જ, કદાચ એનાથી પણ વિશેષ પવિત્ર કાર્ય છે. કોઈના અંતરના આશીર્વાદ પામવા એ ઈશ્વરની કૃપા બરોબર છે.

લોગઆઉટઃ

હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.
- ગૌરાંગ ઠાકર

પ્લેનમાં બેઠા અમે ત્યારે ખબર થોડી હતી?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કેટલા અરમાન સાથે લઈ અમે નીકળ્યા હતા,
હોઠ પર મુસ્કાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

કામધંધા કાજ રહેતા’તા ભલે પરદેશમાં,
દેશનું અભિમાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

મિત્ર-સ્નેહીઓ-સંબંધી, ગામ-શેરી-ઘર-ગલી
સૌનું હૈયે ધ્યાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

જિંદગી તો બેવફા હૈ .. જાણતા’તા, ને છતાં,
જિંદગીનું ગાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

- દક્ષેશ કોન્ટ્રાકટર 'ચાતક'

અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની ઘટનાએ માત્ર એક શહેરની આંખો નથી ભીની કરી, પણ વિશ્વના દરેક ખૂણે વસતા પરિવાર આ સમાચાર જાણીને ભાવભીના થઈ ગયાં હતાં. અનેક કવિઓની કલમમાંથી આ દુર્ઘટનાની સંવેદના કવિતા રૂપે વહી. કવિ દક્ષેશ કોન્ટ્રાક્ટરનું હૃદય પણ આ ઘટના વિશે સાંભળીને ધ્રૂજી ઊઠ્યું. એ સમાચાર સાંભળીને તેમના અંતરાત્મામાંથી જે ફૂટ્યું તે આ કવિતા.

આપણા જીવનમાં દરેક પ્રસ્થાન માત્ર યાત્રા ન હોય શકે; તેમાં અનેક સપનાઓ, ભાવનાઓ અને સંબંધો વણાયેલા હોય છે. ઉપર આપેલી કવિતામાં માત્ર દુર્ઘટનાનું દર્દ નથી, તેમાં સાંત્વનાનો સાર પણ છે. દરેક મુસાફર પોતાની સાથે એક અભિલાષા ભરી કથા લઈને નીકળતો હોય છે. ક્યાંક કોઈ માતાને મળવા નીકળ્યો હોય છે, તો કોઈ પોતાના બાળકના પ્રથમ જન્મદિવસને ઉજવવા. કોઈ નોકરી માટે, તો કોઈ પરિવાર સાથે થોડો સમય વિતાવા. કોઈ પત્ની અને બાળકોને પોતાની સાથે લઈ આવવા માટે પણ નીકળ્યા હોય. કોઈ બિઝનેસના કામ માટે, કોઈ પ્રથમ વાર એકલા લાંબા પ્રવાસમાં નીકળ્યા હોય તેમ પણ બને. વળી કોઈ એવું પણ હોય કે જેણે ઘરને અલવિદા કહી હોય – હંમેશ માટે. કોઈ રિસાઈને નીકળ્યું હોય તો કોઈ આનંદિત થઈને. પણ દરેક પોતાની વ્યથા અને કથા હોય છે. એ કથાનો અચાનક અણધાર્યો અંત આવે તે આઘાત પમાડનારું હોય છે.

કોઈ વ્યક્તિ જ્યારે પરદેશ જાય છે, ત્યારે માત્ર પોતાના ભૂતકાળને પાછળ નથી છોડતો, એ પોતાના વતનના રસ્તાઓ, માતાની હાથની રસોઈનો સ્વાદ, પિતાના ખભાની હૂંફ, મિત્રો સાથેની મોજ, પરિવારનો પ્રેમ, અને એવી અનેક કથાઓ જે જિવાઈ હોય, હૃદયમાં સચવાઈ હોય, અને હજી પણ જીવવાની ઝંખના હોય… બધું પાછળ છૂટી જાય છે, છોડવું પડે છે… કશું મેળવવા માટે કશુંક ખોવું પડે છે, પણ મનમાં તો ઊંડે ઊંડે વતનની વાણી સદા ગૂંજતી રહેતી હોય છે, એ વાણીને આ રીતે અચાનક અણધાર્યો વિરામ મળે ત્યારે કેટકેટલાં અરમાનો સ્વાહા થતા હોય છે એ તો પીડિત પોતે જ જાણી શકે.

વિમાનના દરેક પ્રવાસીએ સામાનમાં કેટકેટલી આશાઓ ભરી હશે, ઝટ પહોંચીશું અને પ્રિયજનને મળીશું એવી આશા હશે, ઘણાએ પરત ફરવાનાં વચનો પણ આપ્યાં હશે. આ એક પ્રવાસ માટે કેટકટલી તૈયારીઓ કરી હશે, કેટકેટલી ખરીદી પણ કરી હશે, વિદાયને હળવી બનાવવા અમુક વ્યક્તિઓએ એમ પણ કહ્યું હશે, આમ ગયો ને આમ આવ્યો, ચિંતા શું કરે છે… મિત્રોને હરખભેર કહ્યું પણ હશે કે જાઉં છું. પણ એ વિદાય આવી કારમી બની રહેશે તેવી હરખથી ‘આવજો’ કહેનારને ક્યાંથી ખબર હોય?

પ્રવાસ વિનાશ બને ત્યારે માત્ર એક વ્યક્તિની વિદાય નથી થતી, તેની સાથે જોડાયેલી અનેક ઘટનાઓ, ભાવનાઓ પણ બળીને ખાખ થતી હોય છે. મૃત્યુ બધું જ લઈ લે છે, સિવાય કે સ્મરણો. વ્યક્તિના ગયા પછી જો કશું રહી મૂલ્યવાન રહી જતું હોય તે માત્ર યાદો છે. આપણા ગયા પછી આપણે જગતને જે મીઠી યાદો આપી છે તે જ હંમેશાં રહેવાની છે.

લોગઆઉટઃ

પ્લેનમાં બેઠા અમે ત્યારે ખબર થોડી હતી,
મોતનું ફરમાન સાથે લઈ અમે નીકળ્યા હતા!

મ્હેંકશે વરસો સુધી સાથે વીતાવેલી ક્ષણો,
ફક્ત એ વરદાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

- દક્ષેશ કોન્ટ્રાકટર 'ચાતક'

મા વિશે તો ખૂબ લખાયું કેમ ન પપ્પા વિશે?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કવિઓને ને લેખકોને સમજાવો કોઈ રીતે,
મા વિશે તો ખૂબ લખાયું કેમ ન પપ્પા વિશે ?

બાપ બન્યો એ ત્યારે એની આંખોમાં ઝાંકેલું?
સપનાઓનું એક પતંગિયું એમાં પણ નાચેલું.
એની કદર પણ થવી જ જોઈએ સર્જનહાર તરીકે,
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે?

ઘણા દિવસ તો એ પણ એક જ પડખે સૂઈ રહેલો,
ઘણા દિવસ તો પત્નીથી પણ અળગો થઈ ગયેલો,
તો પણ બજાર, બેન્ક બધે બસ મુન્નો એની જીભે
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે?

- ભરત ભટ્ટ પવન

માને યાદ કરતાની સાથે પાલવનો છાંયડો, ખોળાની હૂંફ, રસોઈનો સ્વાદ, અને અપાર વહાલ આપોઆપ ઊભરી આવે. પણ પિતા… એ હોય છે દ્વારની બહાર ઘસાયેલા પગરખામાં, બંધ પડેલી ઘડિયાળમાં, પુરાણા વાહનની ઘરઘરાટમાં, બારણા પાછળ લટકાવેલ જૂના શર્ટમાં, જે બારણું ઊઘડતાની સાથે ઢંકાઈ જાય. ક્યારેક તે હોય છે ઘરની કોઈ જૂની છત્રીમાં, જેણે વર્ષો સુધી પરિવાર પડતા તાપ, ટાઢ, ચોમાસાં ઝીલ્યા હોય છે, પણ જેવી મોસમ પતે કે માળિયે ચડી જાય.

માનો મર્માળુ સ્નેહ જગતમાં બધે ગવાયો, પણ પિતા એ ચોકથી થોડેક દૂર અંધારી ગલીમાં ખોવાઈ ગયેલા નામ જેવા છે. તેમને સમજવા સરળ નથી. તે ન પોતાનો થાક જણાવે છે, ન તો પસંદગી. તે એક એવા આગિયા જેવા હોય છે, જે અંધારામાં પ્રકાશિત થઈને અજવાળામાં ખોવાઈ જાય છે.

દરેક પિતા પાસે ગજબનું ગાંભીર્ય હોય છે – ભારે, ઠોસ, અને ખૂબ જરૂરી. તેમનું ગાંભીર્ય બાળપણમાં ધમકી જેવું જેવું લાગે, કિશોરાવસ્થામાં સરમુખત્યાર જેવું, યુવાનીમાં પડકાર સમાન, એ સમયે તે લાઇબ્રેરીના જૂનાં પુસ્તક દેખાય, જેને વાંચવાની ઇચ્છા જ ન થાય. પણ પોતે પિતા બનીએ ત્યારે ખબર પડે કે એ જર્જરિત પુસ્તક નહોતા, મહાકાવ્ય હતા, અને આપણે વાંચવામાં મોડું કરી નાખ્યું. આધેડ ઉંમરે પહોંચીએ ત્યારે સમજાય કે એમના કૂવા જેવા ઊંડા ગાંભીર્યના તળિયે તો નર્યો નિતરતો પ્રેમ હતો – અમૃતનો દરિયો.

ગમે તેટલો થાક હોય, છતાં બાળકનું મુખ જોતાની સાથે પિતાનો ચહેરો ખીલી ઊઠે. પણ શું એ થાક માત્ર કામનો હોય છે? ના, આ થાક હોય છે જવાબદારીઓનો, પોતાનાં અધૂરાં સપનાંઓનો, અને એવા સંઘર્ષનો જે માત્ર ને માત્ર પોતે જોઈ શકે છે.

બાળક માંદું હોય તો મા રાતભર જાગે, પણ પિતા સૂઈ ગયાનો ઢોંગ કરીને બાજુમાં પડ્યા રહે. બાળકના ખાંસવાનો અવાજ આવે તો આપોઆપ તેમનું શરીર પથારીમાંથી ઊભું થઈ જાય. જ્યારે મા એમ કહે, તમે સૂઈ જાવ, સવારે કામે જવાનું છે, ત્યારે તે એટલું જ કહે, હું તો સૂઈ ગયો’તો, અવાજ આવ્યો તો ઊંઘ ઊડી ગઈ. પણ હકીકતમાં એમની આંખોએ ઊંઘને ચાખી પણ નથી હોતી. છતાં સવારે ઊઠીને ચુપચાપ કામે ચાલી જાય છે. તે જાગે છે, જેથી પરિવાર નિરાંતે ઊંઘી શકે.

બાળક પડી જાય તો માનો જીવ ઊંચો થઈ જાય, દોડીને બાથોડી લે. પણ પિતા દૂર ઊભા રહીને તેને પડતું જોઈ રહે, એ રાહ જુએ કે તેના જાતે ઊભા થઈ જવાની, આ નિર્દયતા નથી, આ એવો પ્રેમ છે, જે આત્મનિર્ભરતા તરફ દોરી જાય છે. પિતાની આંખો ઘણું કહેવા માગે છે, પણ કંઈ બોલતી નથી, એ રડે છે, પણ એકાંતમાં. એ દરેક આંસુ પોતાના સુધી સીમિત રાખે છે. એ જાણે છે કે દરિયો તૂટે પૃથ્વી રસાતાળ જાય. એનો પરિવાર એ જ એની પૃથ્વી છે.

સમય જતા આપણે માની વધારે નજીક આવીએ, અને પિતાથી વધારે દૂર. કેમકે મા નદી જેવી છે, તેમાં ઓગળી જવાની ઇચ્છા થાય, જ્યારે પિતા ખરબચડા પર્વત જેવા. કોઈ પહાડને બાથ ક્યાંથી ભરી શકે? માત્ર તેની છાંયામાં ઊભા રહી શકે.

બાળકની આંખમાં આખું આકાશ તરવરતું હોય, પણ તે આકાશ આવ્યું હોય છે પિતાના ખિસ્સામાંથી. પિતાનો પ્રેમ પ્રદર્શન નથી કરતો, એ ચૂપચાપ તમારી સ્કૂલના ફોર્મ ભરી દે, ખબર ન હોય તેમ કોચિંગ ક્લાસની ફી જમા કરી દે, તમે જ્યારે નવા જાકીટમાં શોભતા હોવ, ત્યારે શિયાળામાં જૂના સ્વેટરમાં થિજીને પડ્યો હોય છે પિતાનો પ્રેમ. તેમના વિચારો તમને જૂના એટલા માટે લાગતા હોય, કેમકે પોતાની તમામ નાવિનતા તેમણે તમને આપી હોય છે.

પિતાના ગયા પછી તેમનો વારસો મિલકતમાં શોધવાને, મહેનતમાં શોધતા બાળકોને ફાધર્સ ડે ઉજવવાની જરૂર નથી હોતી. કેમકે તેઓ જાણે છે, પિતા એક એવું ઝાડ છે, જેના છાંયડા નીચે બેસીને આપણે મોટા થઈએ. તેનાં ફળ-ફૂલથી રાજી થઈએ, પણ તેનાં મૂળ જમીનમાં ક્યાં, કેટલાં ધરબાયેલાં છે, તે આપણે ક્યારેય નથી જાણી શકતા. વૃક્ષ પડી ભાંગે ત્યારે પણ નહીં.

લોગઆઉટઃ

દીકરી આવી ત્યારે પણ રાખી'તી ભવ્ય ઊજાણી
સાસરિયે ગઈ, તો પપ્પાની આંખો બહુ ભીંજાણી
આખું ઘર સચવાઈ રહે છે પપ્પાની છત નીચે,
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે?
- ભરત ભટ્ટ ' પવન '

હવે અમે એક જ ઘરમાં પાડોશી છીએ

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

પાડોશી બનવાની પૂર્વશરત એ છે,
બંને વચ્ચે કમસે કમ એક દીવાલ હોવી જોઈએ.
લાંબા દાંપત્યજીવનને અંતે
અમે એને ઊભી કરવામાં સફળ થયા છીએ,
હવે અમે એક જ ઘરમાં પાડોશી છીએ.

– મુકેશ જોષી

અંગ્રેજીમાં એક કહેવત છે, Good fences make good neighbors. મુકેશ જોશીની ઉપરોક્ત કવિતા બાજુમાં રહેતા પડોશી પર નહીં, પર પોતાના જ ઘરમાં પોતાનું જણ પડોશી થઈ જાય તેની બહુ ગંભીરતાથી વાત કરે છે. વળી આમાં કોઈ એક પર દોષનું પોટલું નથી, બંનેના પ્રયત્નોની ઈંટોથી એ દીવાલ ઊભી થઈ છે. તેમણે શરૂઆત જ એક વ્યાખ્યા આપીને કરી છે કે પડોશી થવા માટે વચ્ચે એક ભીંત હોવી જોઈએ. અને લાંબા ગાળાના દાંપત્યજીવન પછી તેમણે એ ભીંત સફળતાપૂર્વક ઊભી કરી છે.

દાંપત્યજીવનને નિભાવવામાં દમ નીકળી જતો હોય છે. એ ખાડાની ધાર પર ચાલવા જેવું કપરું કામ છે. એકબીજા પ્રત્યેની અપેક્ષા અને ઉપેક્ષા વચ્ચે રહેલી સાંકડી ગલીમાંથી હેમખેમ નીકળવાનું સહેલું નથી હોતું. લગ્ન માત્ર બે વ્યક્તિઓ વચ્ચે નથી થતા - બે પરિવારો, બે પરંપરા, બે વારસા અને બે વિચારો વચ્ચે થતાં હોય છે. શારીરિક, માનસિક અને આત્મીયતાના ઊંડા તળ સાથે સંબંધની એક સુક્ષ્મ સાંકળ જોડાયેલી હોય છે. એ સાંકળ લોખંડની નહીં - લાગણીની હોય છે. તેને તોડવા માટે મોટા હથોડા નહીં, ગેરસમજની એક નાનકડી કાંકરી પૂરતી છે. અને એક વાર તૂટ્યા પછી ગમે તેટલા સાંધા કરો, છેવટે એક ગાંઠ રહી જતી હોય છે. રહીમનો દુહો છે-
રહીમન ધાગા પ્રેમ કા, મત તોડો છિટકાય,
તૂટે સે ફિર ના મિલે, મિલે ગાંઠ પરિજાય.

શરીરમાં જ્યારે આંતરિક ઘાવ વાગે - અર્થાત એવા સ્થાને કે જ્યાં ઓપરેશન કર્યા પછી ફરી ત્યાં જઈને ટાંકા કાઢવા મુશ્કેલ હોય ત્યારે વિશેષ ટાંકા લેવામાં આવે છે, જેને absorbable sutures કહેવામાં આવે છે. આ ટાંકા જેમ ઘાવ ભરાતો જાય તેમ કાળક્રમે શરીરમાં જ ઓગળી જાય છે. દાંપત્યજીવનમાં પણ અમુક ખૂબ માર્મિક અને ઊંડા ઘાવ થતા હોય છે. તેનાથી થયેલા ચીરા ખૂબ જ મોટા હોય છે, પણ દુર્ભાગ્યે તેને માત્ર એ બે વ્યક્તિઓ જ જોઈ-અનુભવી શકે છે, જે તેના ભોગ બન્યા હોય. દુનિયાની અન્ય કોઈ પણ વ્યક્તિ આવે - પછી ભલે તે ગમે તેટલી મોટી સાઇકોલોજિસ્ટ હોય કે જાદુગર હોય, પણ તે બે જે અંદરથી અનુભવે છે - પીડા, વ્યથા, કણસાટ… તેનો અહેસાસ કોઈ એટલે કોઈ કરી જ નથી શકતું. આવી વ્યથાના વાઢિયા ભરવા ખૂબ મુશ્કેલ હોય છે. મનના અમુક માર્મિક સ્થાનો પર પડેલા આવા ચીરા પૂરવા માટે પ્રેમ, લાગણી અને વિશ્વાસના absorbable sutures ટાંકા લેવાની જરૂર હોય છે. જેથી એ ટાંકા ન તોડવા પડે… સમય જતા મતભેદની ગાંઠો આપોઆપ ઓગળી જાય.

જોકે દાંપત્યજીવન હોય અને મતભેદ ન હોય તો મજા જ શું. મતભેદ ન હોય તો સમજી લેવાનું કે બહુ મોટો પ્રોબ્લેમ છે. દાંપત્યજીવનમાં થતા ઝઘડા ધૂળેટી જેવા હોય છે, જેમાં એકના ચહેરા પર રંગ લાગે તો બીજાના હાથ પણ એ જ રંગથી રંગાયેલા હોવાના જ. માટે તકરાર માટે માત્ર એકને દોષિત ઠેરવવા ભૂલભરેલું ગણાશે. મતભેદની કાંકરીઓ ખરે ત્યાં સુધી વાંધો નથી, પણ એ કાંકરી ઈંટ બની જાય ત્યારે દીવાલ ચણાવાની પૂરી સંભાવના હોય છે.

જાણીતા અમેરિકન મનોચિકિત્સક જોન ગોટમેનનું એક બહુ સરળ, પણ માર્મિક વાક્ય છે, “સૌથી સફળ લગ્નજીવન એ છે જેમાં બંને જણા છાના છપના એવું માનતા હોય કે મને તો બહુ સારું મળ્યું છે.”

ખલીલ જિબ્રાને તેમને સુપ્રસિદ્ધ પુસ્તક ધ પ્રોફેટમાં લગ્નજીવન વિશે જે વાત કરીએ છે, તે દરેક ગાંઠે બાંધી રાખવા છે.

લોગઆઉટઃ

એકમેકને પ્રેમ કરો, પણ પ્રેમને બંધન ન બનવો.
તમારા આત્માના કિનારાઓ વચ્ચે ઘૂઘવતા દરિયા જેવા બની રહો.
એકમેકના પ્યાલા ભરો, પણ એક જ પ્યાલામાંથી ન પીઓ,
એકબીજાને રોટલી આપો, પણ એક જ ટુકડામાંથી ન ખાશો
સાથે ગાઓ, નાચો અને આનંદ કરો,
પણ એકમેકને તેમનું એકાંત પણ આપો
જેમ વીણાના તાર અલગ અલગ હોય છે,
પણ સાથે ગૂંજીને તેઓ એક જ સંગીત રચે છે.

- ખલીલ જિબ્રાન

The kite runner by Khaled Hosseini

થોડા દિવસ પહેલા જ Khaled Hosseiniની ‘The kite runner‘ નવલકથા પૂરી કરી.

આ નવલકથા માત્ર એક કથા નથી, પરંતુ દોસ્તી, અપરાધ, પ્રેમ, ધર્મ, રાજકારણ, આતંકવાદ અને માનવતાવાદ જેવાં અનેક લેયર્સની ઝાંખી કરાવતું દર્પણ છે.

સમગ્ર વાર્તા અફઘાનીસ્તાનના બે છોકરા-આમીર અને હસન-ની આસપાસ ફરે છે. એક છે માલિકનો છોકરો, બીજો નોકરનો. પણ બાળપણના દિવસોમાં આવો ભેદ ઓગળી જતો હોય છે. પતંગની સ્પર્ધા, બાળપણની રમતો, એકબીજાને કરાયેલા ભોળા વાયદાઓથી કથામાં માસુમિયત આવે છે. પરંતુ જેવા સામાજિક, રાજકિય અને આર્થિક પરિવર્તનોનાં પગલાં પડે છે કે તરત માસૂમિયત મહાત્રાસમાં ફેરવાઈ જાય છે. સૌથી મહત્ત્વની વાત એ કે નવલકથા માત્ર અફઘાનિસ્તાનની સામાજિક-રાજકીય પરિસ્થિતિની વાત નથી કરતી, પરંતું માણસના મનમાં રહેલા અપરાધભાવ અને પસ્તાવાની મોટી પાળ બાંધે છે, જેમાં વસવવસાનું જળ સંઘરાયેલું હોય છે.

પ્રેમ અને ઈર્ષા, વફાદારી અને પ્રામાણિકતા, ધર્મ અને ધાર્મિક અંધતા, ગરીબી-અમીરી, સન્માન-અપમાન જેવી અનેક વાતોને સ્પર્શીને લેખક આપણને આપણા અમુક અંગત વસવસા તરફ ખેંચી જાય છે. ભૂતકાળમાં કરેલી ભૂલો ક્યારેક જીવનભર પીછો નથી છોડતી. સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ અંદર ને અંદર ઘૂમરાતી રહે છે.

ખાલીદ હુસૈનીની શૈલી સરળ અને હૃદયસ્પર્શી છે. એક વાર વાંચવાનું શરૂ કર્યા પછી પુસ્તકને અધવચ્ચે મૂકવું અઘરું છે. વાર્તાનું સ્ટ્રક્ચર, પાત્રો અને શૈલી તમને ચૂંબકની જેમ ખેંચ્યા કરશે. આ પુસ્તક એવા લોકોને પણ ગમશે, જેમને વાંચવાનો શોખ નથી.

ગુજરાતી વાંચવા માગતા લોકો માટે આનંદની વાત છે. નવભારત સાહિત્ય મંદિરે ગુજરાતી અનુવાદ પ્રકાશિત કર્યો છે.

રસ ધરાવતા મિત્રો નીચેની લિંક પરથી ખરીદી શકશે