એક એવી કવિતા

જેના દ્વારા
કડકડતી ઠંડીમાં મેળવી શકાય હૂંફ
ઉનળામાં ટાઢક
ને
ચોમાસામાં પહેરી શકાય રેઈનકોટની જેમ…
જે
લોહીના બટલાની અવેજીમાં ચડાવી શકાય
જેવલેણ ઘાવ પર લગાડી શકાય મલમની જેમ
વસ્ત્ર પર અત્તર જેમ છાંટી શકાય
જેના દ્વારા
લૂછી શકાય સૌ કોઈનાં આંસુ
જેનાથી
ભૂખ્યા માણસને ગમતું ભોજન જમ્યાનો ઓડકાર આવે
અનાથ બાળકને માતા મળી ગયાનો સંતોષ થાય
જે વાંચ્યા પછી ક્યારેય ન કરવી પડે ઈશ્વરને પ્રાથના…

લખવી છે
એક એવી કવિતા…!

– અનિલ ચાવડા

માર્યું હો જેમ તાળું

માર્યું હો જેમ તાળું સજ્જડ ભીડ્યાં કમાડે,
હું પણ છું સાવ એવો; છે કોઈ જે ઉઘાડે?

જન્મ્યો ટપાલ થઈને હું માંડમાંડ ત્યાં તો,
દુનિયા ચડી ગઈ છે ઈમે’લના રવાડે!

ઇચ્છાની સૌ અહલ્યા રઘવાઈ થઈ ગઈ છે,
ભીતરનો રામ જબરો, ચરણો જ ના અડાડે!

એ કામ શંખ ફૂંકી કરવું પડે છે કાયમ,
જે કામ થઈ શકે નહિ અહીં વાંસળી વગાડે.

આવું સમયની બાબત પણ થાય, કેવું સારું!
દુકાનદાર માફક પહેલાં એ પળ ચખાડે!

~ અનિલ ચાવડા

બાળપણમાં રોઈ રોઈને

બાળપણમાં રોઈ રોઈને રમકડાં જે ખરીદાવ્યાં હતાં,
એ જ પાછા મારી ઘડપણની કરચલી ભાંગવા આવ્યાં હતાં.

એક ગમતી વ્યક્તિ સામે શું મળી કે સઘળું તાજું થઈ ગયું,
નોટમાં વર્ષો પહેલાં જે પ્રસંગોને મેં ટપકાવ્યાં હતાં.

જેલની દીવાલમાં બાકોરું પાડી થઈ ગયાં છે એ ફરાર,
સાવ રંગેહાથ જે બે નંબરી સપનાં મેં પકડાવ્યાં હતાં.

પાંડવોના જુગટું જેવો સમય હો તોય શું, પ્હોંચી વળું,
ફક્ત આબરુ રાખવા આ કૃષ્ણની મેં ચીર પૂરાવ્યાં હતાં.

- અનિલ ચાવડા

મીરાંની જેમ

આંખ, હોઠ ને શ્વાસ બધામાં થયું મીરાંની જેમ,
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ?

જીવતરના ગણિતનો
ના ગણતા ફાવે ઘડિયો,
ભીતરમાં મંદિર ચણે છે
કોઈ અજાણ્યો કડિયો.

નહીં જ ભીંતો, નહીં જ બારી, નહીં કશીયે ફ્રેમ.
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ ?

નામ આ કોનું લઈને બેઠા
અમે એક ઓટલીએ,
મન તો ચાલ્યું નીજના ડગ લઈ
કોઈ અજાણી ગલીએ.

વધતો જાતો મારગ એનો, આગળ ધપતા તેમ.
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ ?

- અનિલ ચાવડા

જિંદગી પોતે જ એક મોકાણ છે

જિંદગી પોતે જ એક મોકાણ છે,
સારું છે કે એની અમને જાણ છે!

જો મળી તું, તો દિવસ મંદિર થયો,
ક્ષણ બધી જાણે કે આરસપાણ છે.

મારી મૂડી ફક્ત મારું સ્મિત છે,
જે ગણો તે આટલું રોકાણ છે.

જળ ઉપર તરતી રહી મારી કથા
લોક કહેતા, 'તું ડુબેલું વ્હાણ છે.'

એમના ઘરમાં ઉદાસી વહુ બની,
સાંજ તેથી તેમની વેવાણ છે.

કોલસો છે મનમાં જે અફસોસનો,
જો ગઝલ થઈ તો હીરાની ખાણ છે.

‘કંઈ નથી’ એવું કહું કઈ રીતથી?
દેહમાં મારા હજીયે પ્રાણ છે!

- અનિલ ચાવડા

બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિંદગી

લોગઇન:

આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો ઓ તરફ,
બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિંદગી.

હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં,
ફક્ત શ્વાસોચ્છ્વાસની અટકળ બની ગઈ જિંદગી.

સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું,
હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઈ જિંદગી.

વિશ્વમાં કો સાવકું સરનામું લઈ આવી પડ્યો,
કાળની અબજો અજીઠી પળ, બની ગઈ જિંદગી.

ફૂલને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો–
ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી.

દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો,
આપ આવ્યા? હાય! દાવાનળ બની ગઈ જિંદગી.

– વેણીભાઈ પુરોહિત

મોટાભાગના માણસો બે પ્રકારની જિંદગીમાં અટવાયા કરે છે. એક - પોતે જીવી રહ્યા છે તે જિંદગી, અને બીજી, જે જીવવા માગે છે તે. આ બે છેડા ભેગા કરવામાં ઉંમરનાં થર પર થર બાઝતાં જાય છે અને છેલ્લે કબરમાં જઈને એ થર તૂટે છે. ઇચ્છિત જિંદગીને પામવાની ઝંખના દિવસે દિવસે ઝાંખી થતી જાય છે અને જે જીવી રહ્યા હોઈએ એ જ જિંદગી આખરે ઇચ્છેલી લાગવા માંડે છે. ઘણા લોકો કહેતા હોય છે, જે જિદગી જીવવા માગો છો તે પામો, અથવા જે જીવી રહ્યા છો તેને ગમાડી લો. પણ તે ઇચ્છિત જિંદગી પામવી અને અનિચ્છિત જિંદગીને સ્વીકારી લેવી તે મંચ પર જુસ્સાથી બોલવા જેટલું સરળ નથી હોતું. ગમતી જિંદગીનું ગીત બધા નથી ગાઈ શકતાં. ઘણાને અન્યએ જીવેલી જિંદગીનાં ગીત સાંભળીને આનંદ લેવો પડે છે. એટલા માટે જ તો આપણને ફિલ્મનાં ગીતો આટલો રોમાંચ આપે છે. સિનેમાના પરદા પર નાચતાં હીરો-હીરોઈનો જેમ આપણે બગીચામાં નાચવાના નથી. એક હીરો દસ વીલનને ધોઈ નાખે, તેવું પણ આપણે કરી શકવાના નથી, પણ આપણે મનોમન એવું ઇચ્છતા હોઈએ છીએ ખરા. એ જિંદગી આપણે પણ જીવવા માગતા હોઈએ છીએ. પણ રિયલ લાઇફમાં આપણે તે નથી જીવી શકતા એટલા માટે પરદા પરનીએ જિંદગીને જોઈને સંતોષ માનીએ છીએ. ગમે તેવા ખેરખાંને મોઢામોઢ સંભળાવી દેવું, એક સ્મિતમાં અપ્સરા જેવી છોકરીને પોતાની કરી નાખવી. આ બધું સિનેમાના પરદા પર દેખાતા પાત્રોની જિંદગીમાં બનતું હોય છે, પણ એ જ પાત્ર ભજવનાર પોતાની રિયલ જિંદગીમાં તેમ નથી કરી શકતા. પવિત્ર અમર પ્રેમીનું પાત્ર ભજવાનાર અભિનેતા રિયલ લાઇફમાં ચાર ચાર છૂટેછેડા કરીને બેઠો હોય છે અને પાંચમી સાથેની સગાઈના સમાચાર આપણે ન્યૂઝમાં વાંચી રહ્યા હોઈએ છીએ. ઇચ્છિત જિંદગીની દોડ ઘણી વાર નદી જેમ આમથી તેમ કૂદતી ઊછળતી ચાલતી રહે છે. પર્વતો જેવી અડચણો કે ખીણો જેવી મુશ્કેલીઓમાંથી પણ વહીને છેવટે તે દરિયામાં વિલિન થઈ જાય છે. આપણી ઝંખનાઓ પણ આખરે મૃત્યુના મહાસાગરમાં જઈને ઓગળી જાય છે. મરીઝનો એક સુંદર શેર છે.
જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.

આજે આટલું દુઃખ વેઠી લઈને પછી કાલે સુખ જ છે. એ દોડમાં દોડમાં જિંદગીનું ઝરણું વિલુપ્ત થઈ જાય છે. એ કાલ ક્યારેય આવતી જ નથી. મરીઝ એ જ ફિલસૂફી સમજાવે છે કે જે સુખ આજે મળે છે તેને આજે જ માણી લેવું, કાલ પર છોડવાનો કશો અર્થ નથી. વેણીભાઈ પુરોહિતે જીવનની ફિલસૂફી પોતાની આંખે નિહાળી છે. તેમની મત્લા વગરની આ ગઝલને આસ્વાદના પથ્થર પર લસોટીને તેમાંથી રસ કાઢવાની હિંમત કરવા જેવી નથી. કવિતા સ્વયંસ્પષ્ટ છે. જિંદગની સંઘર્ષમય અટપટી આંટીઘૂંટીને તેમણે પોતાના શબ્દોના દોરામાં પરોવી છે.

મકરંદ દવેએ જિંદગીને પોતાની આંખે નિરખી છે, જે અનુભવી તેને ગઝલમાં પરોવી છે. તેનાથી વિરમીએ.

લોગઆઉટઃ

જિંદગી, કાચી નિશાની જિંદગી,
સાચની જૂઠી કહાની જિંદગી.

કંકુ ઝરતી કોઈ પાની જિંદગી,
કે રહસ્યોની રવાની જિંદગી!

કોઈ મારકણાં નયન જેવી છતાં,
મ્હોબતીલી છે મજાની જિંદગી.

તુચ્છ તલ શી કોઈ ગોરા ગાલ પર,
તે છતાં કેવી તુફાની જિંદગી!

મોત - આલમગીરની છાતી ઉપર,
નાચતી હરદમ ભવાની જિંદગી.

જોતજોતામાં અલોપ થઈ જતી,
ભૂતિયા વ્હાણે સુકાની જિંદગી.

શ્વાસ ને ઉચ્છ્વાસ પર દેતી કદમ,
દોડતી હરણી હવાની જિંદગી.

રાખતાં રાખી શક્યો ના ઈશ પણ,
એક એવી વાત છાની જિંદગી.

કેટલા ભોળા ગુન્હાની, હે પ્રભુ!
બાવરી, તૂટક જુબાની જિંદગી!

બે ઘડી - ને માય છે, ક્યાંયે બરો!
વાહ રે! મારી ગુમાની જિંદગી!

- મકરંદ દવે

કવિ કવિતા વાંચે છે

શબ્દે શબ્દે તેજ ખરે છે, કવિ કવિતા વાંચે છે,
ઇશ્વર પોતે કાન ધરે છે, કવિ કવિતા વાંચે છે.

રતુંબડા ટહુકાઓ પ્હેરી આવી બેઠાં પંખીઓ સૌ,
ટહુકાઓ ઇર્ષાદ કરે છે, કવિ કવિતા વાંચે છે.

એકેક પાંદડે જાણે કે હરિયાળીની મ્હેંદી મૂકી,
ડાળે ડાળે સ્મિત ઝરે છે, કવિ કવિતા વાંચે છે.

ટપાલ સહુને વ્હેંચે છે એ ભીતરથી ભીંજાવાની,
શ્વાસે શ્વાસે ભેજ ભરે છે, કવિ કવિતા વાંચે છે.

આગ, પવન, જળ, આભ, ધરા આ પાંચે જાણે,
આવ્યા થઈ મહેમાન ઘરે છે, કવિ કવિતા વાંચે છે.

– અનિલ ચાવડા

ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ

લોગઇન:

ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

રંગ બ્હારનો હોય તો એને ભૂંસું હું પળભરમાં,
ફૂલગુલાબી પડ્યો શેરડો, ઊતરી ગ્યો અંતરમાં.
રુંવે રુંવે રંગ ફૂંવારા ઉડ્યા રે તત્કાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

ઊંચાનીચા શ્વાસ અને ધબકારા પીટે ઢોલ,
સખીઓ પૂછે, ગામ વચાળે કોણ રંગી ગ્યું બોલ,
દોટ મૂકી હું દોડી પાછળ પગલાં રહી ગ્યા લાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

– વિમલ અગ્રાવત

દયારામ એક પદમાં કહે છે,
“મુજને અડશો મા, આઘા રહો અલબેલા છેલા, અડશો મા!”

રાધાજી કૃષ્ણને વિનંતી કરી રહ્યા છે કે હે શ્યામ તમે મને અડશો નહીં, તમે કાળા છો, અને હું તો કેટલી રૂપાળી… તમે મને અડશો તો મને પણ તમારો રંંગ લાગાડશો, હું પણ કાળી થઈ જઈશ. આવું કહીને રાધાને પોતાના વહાલા પ્રેમી સામે ખોટું ખોટું રિસાવું છે. પણ આ તો કૃષ્ણ છે, એની પાસે બધા જ જવાબ હોય છે. રાધાના રીસામણાનો જવાબ કૃષ્ણ બહુ તાર્કિક રીતે આપે છે, કહે છે, મને અડીને તું કાળી પડી જવાની હોય તો તને અડીને હું પણ ગોરો તો થઈશ જ ને! જો એમ થાય તો ફરી આપણે એકબીજાને અડકી લઈશું, જેથી મારો રંગ ફરી કાળો થઈ અને તારો ફરીથી ગોરો. “ફરી મળતાં રંગ અદલાબદલી, મુજ મોરો, તુજ તોરો!” ધૂળેટીના રંગભર્યાં ગીતોની વાત હોય અને રાધા-કૃષ્ણ ન સાંભરે એ તો બને જ કેવી રીતે?

પણ વિમલ અગ્રાવતનું ગીત વાંંચીને કોઈ રંગની જરૂર જ નથી રહેતી, ન તો પિચકારીની, ન અબિલ ગુલાલની. તેમણે શબ્દોના લસરકાથી હોળી-ધૂળેટીના રંગોનું અદ્ભુત પ્રણયચિત્ર દોરી આપ્યું છે. તેમાં હૃદયના રંગો ઊડે છે. શરમના શેરડા ફૂટે છે, ફૂલગુલાબી ચહેરા ખીલે છે, અને ગુલાબી રંગ છેક અંતરના આંગણામાં રંગોળી પૂરે છે. ગીત વાંચીને કૃષ્ણ-રાધાની કલ્પના તો થાય જ, પણ કોઈ પણ પ્રેમી જોડાંને આ ગીતમાં કલ્પી શકાય.

શેરીમાં પ્રેમીની નજર પ્રેમિકા પર પડે છે. પ્રેમિકાને તેનું ભાન થતા જ તે શરમમાં લાલલાલ થઈ જાય છે. તેના ગાલે શરમના શેરડા ફૂડે છે. રુંવેરુંવે રંગ રેલાવા લાગે છે. શ્વાસોમાં મઘમઘતી ફોરમ વહેવા લાગે છે. રાજેન્દ્ર શુક્લ લખે છે તેમ, “અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી, ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી!” અહીં ભૌતિક રીતે કોઈ રંગ નથી કે નથી ગુલાલ. પણ પ્રેમીની એક નજર કાફી છે રંગાવા માટે. બહારનો રંગ તો સમય જતા ઝાંખો થાય, ભૂંંસાઈ જાય. દુનિયા એને નરી આંખે જોઈ પણ શકે કે રંગ લાગ્યો છે, પણ અંદર લાગેલા રંગને તો ક્યાંથી કાઢી શકાય, અને જગત એને જોઈ પણ નથી શકતું. બીજો તે રંગ સાવ કાચો, એક હૃૃદિયાનો રંગ સાવ સાચો.

પ્રેમી સંગે નજર મળે, તારામૈત્રક રચાય ત્યારે જાણે શ્વાસ ખુદ શરણાઈના સૂર રેલાવા માંડે છે. ધબકારા તો ઢોલ પર પડતી દાંડી જેમ વાગે છે. પ્રેમિકાની આવી હાલત બીજા કોઈ જાણે ન જાણે, બહેનપણીઓ પામી જાય છે, તે વહાલથી ટોણો મારીને પૂછે છે, અલી આ શું થઈ ગયું તને? આમ ભરબજારે કોણ રંગી ગયું કે આવી શરમમાં લાલઘૂમ થઈ રહી છે? બહેણપણીઓનો આવો સવાલ સાંભળીને તો વળી શરમ બેવડાય છે. જવાબ આપવાને બદલે પ્રેમિકા તો શેરીમાંથી દોટ મૂકે છે. પણ એની દોટમાં પણ જાણે કે દરેક પગલે લાલ રંગ રેલાતો હોય એવું લાગે છે.

વિમલ અગ્રાવતે પ્રણયના રંગને બરોબર ઘોળ્યો છે. તેમણે પોતાની કલમ દ્વારા રંગો વિના જ સૌને રંગી નાખ્યા છે. એક અચ્છા કવિની આ જ તો ખાસિયત હોય છે.

લોગઆઉટઃ

ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
મળે છે તે સહુ કહે છે, મજાનો રંગ લાગ્યો છે.
મલકતું મોં અને ચમકી જતી આંખો કહી દે છે,
ભલે છૂપી એ રાખો વાત, છાનો રંગ લાગ્યો છે.
– મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

ભેંત્યની તેડ્ય તો ગારાથી હોંધીએ

લોગઇન:

ભેંત્યની તેડ્ય તો ગારાથી હોંધીએ માંયલીન ચ્યમ કરી હોંધવી?
ઊંઘનારું લોંબું ન પશેડી ટૂંકી ઓંમ ટૂંટીયે તે રાત ચ્યંમ કાઢવી?

તોય મનં ઈમ કો’ક ઉપા કરીએ જો થોડા ઘણા ફેર કાંય થાય
એટલામાં તેડ્ય તો બાકોરું થઈ જઈ, મું હં નાખું તો એ પુરાય!
દનિયોના કીધ તારો રાશ્યો ભરૂંહો અવ તનજ લાજ જોઈય આવવી.

હૌના તો લેખ તમે લખો લલાટે પણ મારા લસ્યા તમે ઓંશ્યે
ન – કાપાય પાસા એવા પાડ્યા ક – મારઅ ચોમાહા રે’હે બારમાશે
ઓંશ્યોનાં પોંણી તો પાતાળે ઠેલ્યાં એ આવ એવી રાશ ચ્યોંથી લાવવી.

હારી થાચીન મીં તો મનનું મનાયું ક – આપણ જ આપણાં ફોડવાં
પણ આ બધું ગન્યાંન તો ઘડી બે ઘડી પસ મંન હાથે માથાં રોજ ફોડવાં
કાઠ્ઠાં થઈ પીડ્યા માં ભોમાં ભંડારી તોય દેખાય તો ચ્યમની હંતાડવી?

– પ્રશાંત કેદાર જાદવ

આપણે ત્યાં કહેવત છે બાર ગાઉએ બોલી બદલાય. ભાષા તો ગુજરાતી જ, પણ તેમાં વિવિધ પ્રદેશોમાં બોલાતી જુદી જુદી બોલીઓ ભાષાનુંં ઘરેણું છે. ભાષા એક, બોલી અનેક. લોકબોલીનો અર્થ જ એ છે કે લોકો દ્વારા બોલાતી બોલી. તેને કાગળ પર છપાતી લિપિ કરતા બોલાતી વાણી સાથે વધારે સંબંધ છે. કોઈ પણ બોલી રચાય તો તેમાં જે તે પ્રદેશના લોકોની જાતિ-જ્ઞાતિ, સામાજિક રીતરિવાજો, પરંપરાઓ, રહેણીકરણી, વ્યવહાર-વર્તન પણ જવાબદાર હોય છે. ગુજરાતમાં પારસીઓ અને નાગરોની બોલી અલગ છે, તો વળી વોરા, આહિર, મેર, અને ખારવાની બોલી પણ જુદી છે. પ્રદેશ પ્રમાણે બોલી તેનું સ્વરૂપ બદલે છે. ગુજરાતમાં જ સોરઠી, ઝાલાવાડી, કચ્છી, પારસી, ચરોતરી, મહેસાણી, સુરતી જેવી વિવિધ બોલીઓ બોલાય છે. પ્રાદેશિક ભાષા જે તે પ્રદેશની લોકો દ્વારા બોલાતી બોલીની છબી છે. ચારણો દ્વારા વપરાતી દેશી ભાષા જ તેમના કાવ્યસર્જનને રોશન કરે છે. ઘણાને એવુંં કહેતા પણ સાંભળ્યા છે, બોલીમાંં બમણી મજા.

પ્રશાંત કેદાર બારોટે પોતાના ઉત્તર પ્રદેશના તળની બોલીને કવિતામાં ખપમાં લીધી છે અને સમગ્ર કાવ્યમાં વપરાયેલી આ લોકબોલી જ કાવ્યમાં મજબૂત રીતે પ્રાણ પૂરે છે. આ એ જ પ્રશાંત કેદાર જાદવ કે જેમણે ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય’, ‘સનેડો’, ‘કુમકુમનાં પગલાં પડ્યાં’, ‘મેં તો થોડો પીધો ને ઘણો ચડિયો રે…’, ‘હંબો હંબો વીંછુંડો’ જેવાં અનેક સુપ્રસિદ્ધ ગીતો ગુજરાતી ભાષાને આપ્યાં. આ ગીતો વિના અનેક ગાયકોના કાર્યક્રમો અને નવરાત્રીઓ પૂરી નથી થતી. જેમણે આ ગીતો નથી સાંભળ્યાં તે પૂરો ગુજરાતી નથી. આ ગીતો ગવાતાની સાથે લોકોના પગ ઝૂમવા લાગે છે.

કવિએ પ્રાદેશિક બોલીમાં ઊંડાણવાળી ગહન લાગતી વાતને બહુ સરળતાથી આપણી સામે મૂકી આપી છે. બોલીની એ જ તો વિશેષતા હોય છે કે ગંભીર જ્ઞાનને પણ સરળતાથી પીરસી આપે. ગામના માટીવાળા ઘરમાં તિરાડ પડે તો એને ગારાથી અર્થાત્ માટીથી સાંધી શકાય, પણ માંહ્યલામાં-અંતરમાં તિરાડ પડે એને કોઈ કાળે ઠીક નથી કરી શકાતી. તેને સાંધવા માટે કરવામાં આવતા તમામ પ્રકારના લેપ નિર્લેપ પૂરવાર થાય છે. દેહ પર મરાયેલા ચાબૂક કરતા શબ્દનો ચાબખો બહુ વરવો હોય છે. આપણે ત્યાં એક લોકગીત છે, ‘લાકડીના માર્યા કદી ના મરીએ, મેણાંના માર્યાં મરી જઈએ…’ દેહ પર પડેલા ઘાવ સમય જતાંં ભરાઈ જાય છે, દિલ પર પડેલા ઘા જીવનભર દુઃખતા રહે છે. આપણને ખબર હોય કે મનમાં પડેલી આ તિરાડ ક્યારેય પૂરાવાની નથી, છતાં આપણે મથતા રહીએ છીએ. સમય જતાં તિરાડ મોટું બાકોરું થઈ જાય છે, તોય આપણે વલખાં માર્યા કરીએ છીએ તેને સાંધવા.

વિધિના લેખ લલાટે લખાય તેવી આપણે ત્યાં માન્યતા છે. એક પ્રસિદ્ધ ગીત પણ છે, ‘વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય થાય…’ આ ત્રણ વખત ‘થાય’માં દૃઢતા દર્શાવાઈ છે કે વિધિએ જે ભાગ્યમાં લખ્યું છે તે થઈને જ રહેશે. કવિએ પોતાની વ્યથાને વ્યક્ત કરવા સરસ પ્રયુક્તિ કરી છે, તેમણે કહ્યું કે વિધિએ બધાના લેખ લલાટે લખ્યા છે, પણ મારા લેખ તો આંખે લખ્યા છે. એટલે જ તો અશ્રુ અટકતાં નથી. પ્રભુએ મારી આંખે બારેમાસ ચોમાસું રોપી દીધું છે. આ બધું થયા પછી એટલું જ સમજાય છે કે આપણી મુશ્કેલીઓ સાથે આપણે જ લમણા લેવાના છે. આપણી મદદ કોઈ કરવાનું નથી, આપણા સિવાય.

લોગઆઉટઃ

ચાલો સાજણ થંભેલી ચોપાટ ફરી પાથરીએ,
વેરાણછેરણ વેરાયેલાં સોગઠાં ભેગાં કરીએ.
હારજીત તો મનની વાતો કહુ વાયરા જેવી,
કશું જ નક્કી હોય નહીં એ અદ્દલ માણસ જેવી.
સોગઠાં ટેરવાની ઓળખાણ ફરીથી તાજી કરીએ.
- પ્રશાંત કેદાર જાદવ

પ્રેમના ગ્રંથોમાં તો એની ઘણી ગાથા હતી

પ્રેમના ગ્રંથોમાં તો એની ઘણી ગાથા હતી,
પણ જુઓ ઇતિહાસમાં તો ક્યાં કશે રાધા હતી!

આજ કોઈ 'ના' કહે તો અર્થ એનો 'ના' જ થાય.
એ સમય નોખો હતો 'ના'માંય જ્યારે 'હા' હતી.

પામવા નીકળ્યા પરમને તો કહો છો ત્યાગ કેમ?
પામવું‘તું કૈંક મતલબ કે હજી માયા હતી!

જો રહી નહિ કામની તો જઈ કતલખાને દીધી,
આપ્યું ગાયે દૂધ જ્યાં લગ ત્યાં સુધી માતા હતી.

આજ જો કંઈ નહિ કરો તો કાલ પૂછશે બાળકો,
"શું અહીં ગુજરાતી જેવી કોઈ એક ભાષા હતી?"

- અનિલ ચાવડા