વરી હું વિઠ્ઠલવરને વરી

લોગઇન:

સતત રહીને પરી, વરી હું વિઠ્ઠલવરને વરી.

હું જાણું કે સામો ચાલી એ તો શીદને આવે,
દૂર રહીને બહુ બહુ તો એ વેણુનાદ બજાવે.
મેં તો મારી સઘળી સુરતા ચરણકમળમાં ધરી,
વરી હું વિઠ્ઠલવરને વરી.

એ પંડે ઘનશ્યામ, ગમે તો ભલે ખાબકી પડે,
હું તો ખાલી વાદલડી તે બેત્રણ છાંટા જડે,
તોય પલળતાં આવી ઊભો, શી અણધારી કરી!
વરી હું વિઠ્ઠલવરને વરી.

– હરિકૃષ્ણ પાઠક

એક ખૂબ જાણીતું પદ છે,
હરિ તારાં નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી,
રોજરોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી?

હરિ નામનો હંસલો સચરાચરમાં ઊડ્યા કરે છે. આતમ એની પાંખનો સ્પર્શ અનુભવે છે. અનેકાદિ નામમાં ઓગળી ગયેલું હરિનામ કોઈ એક નામની ખીંટીએ ટાંગીને ક્યાંથી રાખી શકાય? કોઈ એને શ્યામ કહે, કોઈ કહે ઘનશ્યામ, કોઈ કહે રણછોડ, વળી કોઈ શ્રીજી કહીને સ્મરે, કોઈ કહાન કહી બોલાવે, કોઈ વિઠ્ઠલવર કહી પોકારે કોઈ કૃષ્ણ નામની સંભારે, કોઈના હૈયામાં ઠાકોરના નામનો દરબાર ભરાય. કોઈ દ્વારકાધીશ કહીને નમન કરે, તો કોઈ ગોવાળિયો કહીને એની દોસ્તી પણ કરે. કોઈનું હૈયું મોરપીચ્છ બને તો કોઈનો સ્વર વાંસળી. હરિ તો અનેક નામમાં વિલિન થઈ ગયેલું તત્ત્વ છે. એ તત્ત્વને વિઠ્ઠલ નામે આત્મસાત કરીને કવિ હરિકૃષ્ણ પાઠકે સુંંદર પ્રેમસમર્પણભાવનું ભક્તિમય કાવ્ય લખ્યું છે. અને કવિના નામનો સંયોગ પણ અદભુત છે, કવિના નામમાં જ હરિ અને કૃષ્ણ બંને સમાઈ જાય છે.

ગોપીભાવે કૃષ્ણને ભજવાની આ ભાવમય ભક્તિપરંપરા તો આપણે ત્યાં વર્ષોથી છે. મીરાંબાઈએ લખેલું,
મોરમુગટ ને કાને રે કુંડલ, મુખ પર મોરલી ધરી
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ, વિઠ્ઠલ વરને વરી

નરસિંહે પણ ગોપીભાવે અનેક પદોની રચના કરી. આ પ્રણયરાગ અનેક કવિઓએ પોતાનાં પદોમાં ભાવપૂર્વક ઝીલ્યો છે. રમેશ પારેખે પણ મીરાંમય થઈને અનેક કાવ્યોની રચના કરી, તો માધવ રામાનુજે પણ ગોકુળમાં કોક વાર આવો તો કહાન હવે રાધાને મુખ ના બતાવશો’ દ્વારા રાધાભાવે કવિતામાં કૃષ્ણપ્રેમ વ્યક્ત કર્યો. કૃષ્ણનું દરેક સ્વરૂપ જ એટલું રળિયામણું છે કે તેમના વિશે લખતા કવિ સહજભાવે ગોપી બની જાય છે.

હરિકૃષ્ણ પાઠકે ઉપરોક્ત કવિતામાં પ્રેમભક્તિ અને આત્મસમર્પણનો ઊંડો ભાવ વ્યક્ત કર્યો છે. અહીં પ્રભુને પામવાની ઘેલછા નથી, પ્રભુ તો પામી લીધા છે, કાવ્યનાયિકા વિઠ્ઠલવરને વરી ચૂક્યાં છે. હવે તો વિઠ્ઠલને વર્યા પછીના ઊર્મિનો આનંદ છે. રિસામણા મનામણા છે. પ્રણય અને સમર્પણ છે. કાવ્યનાયિકા જાણે છે કે પ્રભુ સામે ચાલીને મારી પાસે નહીં આવે, મારે જ તેમણે બજાવેલો વેણુનાદ સાંભળીને તેમની પાસે જવું પડશે. કેમ કે મેં જ તો એમના ચરણકમળમાં મને સમર્પિિત કરી છે. બંસરીને સૂર કાને પ઼ડતાની સાથે જ હરિના સાંનિધ્યની અનુભૂતિ થઈ જાય છે.

પ્રભુ તો પ્રણયનું ગોરંભાતું આકાશ છે, ગમે ત્યારે ખાબકી પડે. ભલે એ અનરાધાર વરસે મને પરવા નથી. હું તો ભીંજાવા જ બેઠી છું. હરિનામનાં વાદળો મારી પર વરસી પડે, મને તેમના ભક્તિના ઝરણામાં વહાવીને લઈ જાય. વાંધો નથી. પણ હું તો માત્ર એક નાનકડી વાદળી છું. પ્રભુ અનરાધાર વરસે તોય હું ઝીલી ઝીલીને કેટલું ઝીલુંં, એકબે છાટાં તો બહુ… છતાં હું એ ઘનશ્યામ નામના આભને પામવા આવી ચડી છું.

કવિએ અહીં ગોપીભાવે પ્રણયપૂર્વક ભક્તિરંગ બરોબર ઘૂંંટ્યો છે. હરિકૃષ્ણ પાઠકની આ રચના હૈયાને સ્પર્શી જાય તેવી છે. તેમણે માત્ર ગીતો જ નહીં, ગઝલ, અછાંદસ, છાંદસ જેવાં વિવિધ કાવ્યસ્વરૂપોમાં સુપેરે પ્રદાન કર્યું છે. એટલું જ નહીંં, તેમણે વાર્તા, નિબંધો, વિવેચન જેવાં ગદ્યસ્વરૂપમાં પણ સારું એવું ખેડાણ કર્યું છે. આપણે થોડા દિવસ પહેલા જ આ ગૌરવવંતા સર્જકને ગુમાવ્યા. કલમની શક્તિના જોરે તેઓ લાંબા સમય સુધી ગુજરાતી ભાષામાં જીવંંત રહેશે. તેમના જ એક અન્ય ગીતથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

ઝીલો જળની ધારા;
આજ છલ્યો દરિયો આકાશી તોડી સઘળા આરા,

જળની રેલમછેલ મચી છે, જળની ઝીંકાઝીંક;
જળનો સાંઢ ચડ્યો તોફાને જોજો, લાગે ઢીંક!
પડ્યો નગારે ઘાવ, કાળના દ્હાડા ગયા અકારા;
ઝીલો જળની ધારા.

પડી તિરાડો પળમાં દેતા જળના રેલા સાંઘી,
સચરાચર કોળ્યું, જે બેઠું જીવ પડીકે બાંધી!
જળહળતું નભ જળથી, નીચે જળના ભર્યા ઝગારા!
ઝીલો જળની ધારા.

– હરિકૃષ્ણ પાઠક

શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી

લોગઇન:

ચણોઠીઓના ઢગલે દાઝ્યા કંઈક કવિના કિત્તાજી,
શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી.

– અનિલ જોશી

શબ્દના સર્જનહારે અનેકવાર અગ્નિપરીક્ષા આપવી પડતી હોય છે તે વાત બે જ પંક્તિમાં કેટલી સચોટ રીતે દર્શાવી આપી છે કવિએ.

ગુજરાતી ગીતોમાં નવોન્મેશ લાવનાર બે મહત્ત્વના કવિઓ તે અનિલ જોશી અને રમેશ પારેખ. બંનેમાં ફાટફાટ મૌલિકતા, અભિવ્યક્તિનું નાવિન્ય અને કલ્પનાની સચોટ રજૂઆત કરવાની ઊંડી આવડત. રમેશ પારેખનું સર્જનવિશ્વસ ખૂબ બહોળું - વિશાળ પટમાં પથરાયેલું, જ્યારે અનિલ જોશીનું સર્જન ઓછું, પણ ખૂબ મજબૂત. તેમણે કેટકેટલાં નવકલ્પનોના રસથાળ આપણને ધર્યા. એમાંય ગીતમાં તેમની સવિશેષ હથોટી. તે એમ લખે, ‘મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું’ તુલસીના પાંદડાને આપણે ત્યાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે, તેને બિયરમાં નાખવાનું સાહસ કોણ કરે? એમાં તો ઘણા પરંપરાગત મૂલ્યો ધ્વસ્ત થાય. વળી એ એમ પણ લખે કે ‘મેં તો આબરૂના કાંકરાથી પાણીને કૂંડાળું દીધું’ આપણે ત્યાં નાલેશી વહોરવાની થાય ત્યારે લોકો કહે છે કે આબરૂના કાંકરા થઈ ગયા. બાળકોને પાણીમાં પથ્થર નાખીને કુંડાળાં કરવાની રમતમાં મજા પડે છે. આ કવિ પણ પોતાની મહામૂલી આબરૂના કાંકરા થઈ ગયા, તો એ કાંકરા પાણીમાં ફેંકીને તેમાંથી કુંડાળા કરે છે.

અનિલ જોશીની કવિતામાં મૌલિકતા નિરંતર મહોરતી રહે છે. તેમણે દીકરી-વિદાય વિશે લખેલું કાવ્ય ગુજરાતી ભાષાના ઘરેણા જેવું છે.
‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.’

ક્યાંય વરરાજાનો ઉલ્લેખ નથી, પણ પંક્તિ વાંચતાની સાથે આંખ સામે એક દૃશ્ય ખડું થઈ જાય કે સાંજની વેળા છે, જાન ઊઘલી રહી છે, ઢોલ વાગી રહ્યો છે, તમે કવિનો કમાલ જુઓ, ‘ઢોલ ઢબૂકતો’ શબ્દને વારંવાર બોલશો તો ખરેખર ઢોલ ઢબૂકતો હોય તેવો નાદ સર્જાશે. શબ્દોનો ઉપયોગ પણ ખૂબ મહત્ત્વનો છે. ક્યાં કયો શબ્દ વાપરવો તેની ઊંડી સૂઝ હોવી જરૂરી છે. આ સમજ કવિતામાં પ્રાણ પૂરે છે. ‘ઢોલ ઢબૂકતો’ શબ્દો માત્ર શબ્દો ન રહેતામાં તેમાંથી અવાજ પણ ઉત્ત્પન્ન થાય છે. તેને બદલે ‘ઢોલ વાગતો’ શબ્દો વાપરીએ તો પણ લયભંગ નથી થવાનો, પણ કવિને ખબર છે કે કવિતા વધારે તીવ્રતાથી અને ભાવનાત્મક રીતે વ્યક્ત કરવા કયા શબ્દોનું પ્રયોજન જરૂરી છે. તેણે પ્રયોજેલો એકેએક શબ્દ ખૂબ મૂલ્યવાન મોતી છે. એ મોતીની ચમક પામવા માટે શબ્દના અર્થને ઉજાગર કરવો પડે. અનિલ જોશી શબ્દની આ શક્તિને ખૂબ ઊંડાણપૂર્વક સમજતા હતા, તેથી જ તેમણે લખેલો શબ્દ પોતાની આગવવી છાપ છોડે છે.

વળી આ કવિ એમ પણ લખે, ‘સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ’ અરે! પાણીમાં તે કાંઈ ગાંઠ પડતી હશે? પણ કવિએ ખૂબ સમજપૂર્વક પંક્તિ વાપરી છે. યુવતી વહેલી પરોઢે પાણી ભરવા ગઈ છે, અને પાણીની સપાટી પર તે બરફના ટુકડાઓ તરતા જુએ છે, તે બરફના ટુકડાને પાણીમાં પડેલી ગાંઠ તરીકે જુએ છે!

મોટા કર્કશ ઘોંઘાટમાં નાના માણસોનો અવાજ ક્યાં દબાઈ જાય છે, ખબર પણ નથી પડતી. એ વાતને ઉજાગર કરતા અનિલ જોશીએ લખેલું, ‘ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો, તમને નથીને કાંઇ વાંધો?’ ધ્યાનથી જોશો તો હિંમતભેર ખોંખારો ખાનાર કીડીઓ તમને દેખાશે. જ્યાં જ્યાં ક્રાંઉ ક્રાંઉ વધતું જતું હશે ત્યાં ત્યાં આવી કીડીઓ ખોંખારા ખાવાનું સાહસ કરતી જોવા મળશે. કીડીની વાત સાથે આ કવિની અન્ય પંક્તિઓ પણ તરત સાંભરી આવે છે, ‘એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર!’

આવાં અનેક ઉમદા કાવ્યો સર્જનાર કવિ હવે આપણી વચ્ચે નથી. ચોરાસી વર્ષનું આયુષ્ય ભોગવી તેમણે જગતથી વિદાય લીધી, અને આપણે ખોળે ધરતા ગયા તેમનાં અમૂલ્ય કાવ્યો. તેમનો ક્ષરદેહ આથમ્યો છે, પણ અક્ષરદેહ તો હરહંમેશ ગુજરાતી ભાષાના પાલવમાં કિંમતી મોતી જેમ સચવાશે.

લોગઆઉટઃ

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે;
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો!

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર,
એક પછી એક ડાળ ખરતી જોઈને
થાય પડવાને છે કેટલી વાર?
હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો!

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો!

- અનિલ જોશી

એક એવી કવિતા

જેના દ્વારા
કડકડતી ઠંડીમાં મેળવી શકાય હૂંફ
ઉનળામાં ટાઢક
ને
ચોમાસામાં પહેરી શકાય રેઈનકોટની જેમ…
જે
લોહીના બટલાની અવેજીમાં ચડાવી શકાય
જેવલેણ ઘાવ પર લગાડી શકાય મલમની જેમ
વસ્ત્ર પર અત્તર જેમ છાંટી શકાય
જેના દ્વારા
લૂછી શકાય સૌ કોઈનાં આંસુ
જેનાથી
ભૂખ્યા માણસને ગમતું ભોજન જમ્યાનો ઓડકાર આવે
અનાથ બાળકને માતા મળી ગયાનો સંતોષ થાય
જે વાંચ્યા પછી ક્યારેય ન કરવી પડે ઈશ્વરને પ્રાથના…

લખવી છે
એક એવી કવિતા…!

– અનિલ ચાવડા

માર્યું હો જેમ તાળું

માર્યું હો જેમ તાળું સજ્જડ ભીડ્યાં કમાડે,
હું પણ છું સાવ એવો; છે કોઈ જે ઉઘાડે?

જન્મ્યો ટપાલ થઈને હું માંડમાંડ ત્યાં તો,
દુનિયા ચડી ગઈ છે ઈમે’લના રવાડે!

ઇચ્છાની સૌ અહલ્યા રઘવાઈ થઈ ગઈ છે,
ભીતરનો રામ જબરો, ચરણો જ ના અડાડે!

એ કામ શંખ ફૂંકી કરવું પડે છે કાયમ,
જે કામ થઈ શકે નહિ અહીં વાંસળી વગાડે.

આવું સમયની બાબત પણ થાય, કેવું સારું!
દુકાનદાર માફક પહેલાં એ પળ ચખાડે!

~ અનિલ ચાવડા

બાળપણમાં રોઈ રોઈને

બાળપણમાં રોઈ રોઈને રમકડાં જે ખરીદાવ્યાં હતાં,
એ જ પાછા મારી ઘડપણની કરચલી ભાંગવા આવ્યાં હતાં.

એક ગમતી વ્યક્તિ સામે શું મળી કે સઘળું તાજું થઈ ગયું,
નોટમાં વર્ષો પહેલાં જે પ્રસંગોને મેં ટપકાવ્યાં હતાં.

જેલની દીવાલમાં બાકોરું પાડી થઈ ગયાં છે એ ફરાર,
સાવ રંગેહાથ જે બે નંબરી સપનાં મેં પકડાવ્યાં હતાં.

પાંડવોના જુગટું જેવો સમય હો તોય શું, પ્હોંચી વળું,
ફક્ત આબરુ રાખવા આ કૃષ્ણની મેં ચીર પૂરાવ્યાં હતાં.

- અનિલ ચાવડા

મીરાંની જેમ

આંખ, હોઠ ને શ્વાસ બધામાં થયું મીરાંની જેમ,
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ?

જીવતરના ગણિતનો
ના ગણતા ફાવે ઘડિયો,
ભીતરમાં મંદિર ચણે છે
કોઈ અજાણ્યો કડિયો.

નહીં જ ભીંતો, નહીં જ બારી, નહીં કશીયે ફ્રેમ.
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ ?

નામ આ કોનું લઈને બેઠા
અમે એક ઓટલીએ,
મન તો ચાલ્યું નીજના ડગ લઈ
કોઈ અજાણી ગલીએ.

વધતો જાતો મારગ એનો, આગળ ધપતા તેમ.
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ ?

- અનિલ ચાવડા

જિંદગી પોતે જ એક મોકાણ છે

જિંદગી પોતે જ એક મોકાણ છે,
સારું છે કે એની અમને જાણ છે!

જો મળી તું, તો દિવસ મંદિર થયો,
ક્ષણ બધી જાણે કે આરસપાણ છે.

મારી મૂડી ફક્ત મારું સ્મિત છે,
જે ગણો તે આટલું રોકાણ છે.

જળ ઉપર તરતી રહી મારી કથા
લોક કહેતા, 'તું ડુબેલું વ્હાણ છે.'

એમના ઘરમાં ઉદાસી વહુ બની,
સાંજ તેથી તેમની વેવાણ છે.

કોલસો છે મનમાં જે અફસોસનો,
જો ગઝલ થઈ તો હીરાની ખાણ છે.

‘કંઈ નથી’ એવું કહું કઈ રીતથી?
દેહમાં મારા હજીયે પ્રાણ છે!

- અનિલ ચાવડા

બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિંદગી

લોગઇન:

આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો ઓ તરફ,
બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિંદગી.

હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં,
ફક્ત શ્વાસોચ્છ્વાસની અટકળ બની ગઈ જિંદગી.

સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું,
હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઈ જિંદગી.

વિશ્વમાં કો સાવકું સરનામું લઈ આવી પડ્યો,
કાળની અબજો અજીઠી પળ, બની ગઈ જિંદગી.

ફૂલને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો–
ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી.

દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો,
આપ આવ્યા? હાય! દાવાનળ બની ગઈ જિંદગી.

– વેણીભાઈ પુરોહિત

મોટાભાગના માણસો બે પ્રકારની જિંદગીમાં અટવાયા કરે છે. એક - પોતે જીવી રહ્યા છે તે જિંદગી, અને બીજી, જે જીવવા માગે છે તે. આ બે છેડા ભેગા કરવામાં ઉંમરનાં થર પર થર બાઝતાં જાય છે અને છેલ્લે કબરમાં જઈને એ થર તૂટે છે. ઇચ્છિત જિંદગીને પામવાની ઝંખના દિવસે દિવસે ઝાંખી થતી જાય છે અને જે જીવી રહ્યા હોઈએ એ જ જિંદગી આખરે ઇચ્છેલી લાગવા માંડે છે. ઘણા લોકો કહેતા હોય છે, જે જિદગી જીવવા માગો છો તે પામો, અથવા જે જીવી રહ્યા છો તેને ગમાડી લો. પણ તે ઇચ્છિત જિંદગી પામવી અને અનિચ્છિત જિંદગીને સ્વીકારી લેવી તે મંચ પર જુસ્સાથી બોલવા જેટલું સરળ નથી હોતું. ગમતી જિંદગીનું ગીત બધા નથી ગાઈ શકતાં. ઘણાને અન્યએ જીવેલી જિંદગીનાં ગીત સાંભળીને આનંદ લેવો પડે છે. એટલા માટે જ તો આપણને ફિલ્મનાં ગીતો આટલો રોમાંચ આપે છે. સિનેમાના પરદા પર નાચતાં હીરો-હીરોઈનો જેમ આપણે બગીચામાં નાચવાના નથી. એક હીરો દસ વીલનને ધોઈ નાખે, તેવું પણ આપણે કરી શકવાના નથી, પણ આપણે મનોમન એવું ઇચ્છતા હોઈએ છીએ ખરા. એ જિંદગી આપણે પણ જીવવા માગતા હોઈએ છીએ. પણ રિયલ લાઇફમાં આપણે તે નથી જીવી શકતા એટલા માટે પરદા પરનીએ જિંદગીને જોઈને સંતોષ માનીએ છીએ. ગમે તેવા ખેરખાંને મોઢામોઢ સંભળાવી દેવું, એક સ્મિતમાં અપ્સરા જેવી છોકરીને પોતાની કરી નાખવી. આ બધું સિનેમાના પરદા પર દેખાતા પાત્રોની જિંદગીમાં બનતું હોય છે, પણ એ જ પાત્ર ભજવનાર પોતાની રિયલ જિંદગીમાં તેમ નથી કરી શકતા. પવિત્ર અમર પ્રેમીનું પાત્ર ભજવાનાર અભિનેતા રિયલ લાઇફમાં ચાર ચાર છૂટેછેડા કરીને બેઠો હોય છે અને પાંચમી સાથેની સગાઈના સમાચાર આપણે ન્યૂઝમાં વાંચી રહ્યા હોઈએ છીએ. ઇચ્છિત જિંદગીની દોડ ઘણી વાર નદી જેમ આમથી તેમ કૂદતી ઊછળતી ચાલતી રહે છે. પર્વતો જેવી અડચણો કે ખીણો જેવી મુશ્કેલીઓમાંથી પણ વહીને છેવટે તે દરિયામાં વિલિન થઈ જાય છે. આપણી ઝંખનાઓ પણ આખરે મૃત્યુના મહાસાગરમાં જઈને ઓગળી જાય છે. મરીઝનો એક સુંદર શેર છે.
જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.

આજે આટલું દુઃખ વેઠી લઈને પછી કાલે સુખ જ છે. એ દોડમાં દોડમાં જિંદગીનું ઝરણું વિલુપ્ત થઈ જાય છે. એ કાલ ક્યારેય આવતી જ નથી. મરીઝ એ જ ફિલસૂફી સમજાવે છે કે જે સુખ આજે મળે છે તેને આજે જ માણી લેવું, કાલ પર છોડવાનો કશો અર્થ નથી. વેણીભાઈ પુરોહિતે જીવનની ફિલસૂફી પોતાની આંખે નિહાળી છે. તેમની મત્લા વગરની આ ગઝલને આસ્વાદના પથ્થર પર લસોટીને તેમાંથી રસ કાઢવાની હિંમત કરવા જેવી નથી. કવિતા સ્વયંસ્પષ્ટ છે. જિંદગની સંઘર્ષમય અટપટી આંટીઘૂંટીને તેમણે પોતાના શબ્દોના દોરામાં પરોવી છે.

મકરંદ દવેએ જિંદગીને પોતાની આંખે નિરખી છે, જે અનુભવી તેને ગઝલમાં પરોવી છે. તેનાથી વિરમીએ.

લોગઆઉટઃ

જિંદગી, કાચી નિશાની જિંદગી,
સાચની જૂઠી કહાની જિંદગી.

કંકુ ઝરતી કોઈ પાની જિંદગી,
કે રહસ્યોની રવાની જિંદગી!

કોઈ મારકણાં નયન જેવી છતાં,
મ્હોબતીલી છે મજાની જિંદગી.

તુચ્છ તલ શી કોઈ ગોરા ગાલ પર,
તે છતાં કેવી તુફાની જિંદગી!

મોત - આલમગીરની છાતી ઉપર,
નાચતી હરદમ ભવાની જિંદગી.

જોતજોતામાં અલોપ થઈ જતી,
ભૂતિયા વ્હાણે સુકાની જિંદગી.

શ્વાસ ને ઉચ્છ્વાસ પર દેતી કદમ,
દોડતી હરણી હવાની જિંદગી.

રાખતાં રાખી શક્યો ના ઈશ પણ,
એક એવી વાત છાની જિંદગી.

કેટલા ભોળા ગુન્હાની, હે પ્રભુ!
બાવરી, તૂટક જુબાની જિંદગી!

બે ઘડી - ને માય છે, ક્યાંયે બરો!
વાહ રે! મારી ગુમાની જિંદગી!

- મકરંદ દવે

કવિ કવિતા વાંચે છે

શબ્દે શબ્દે તેજ ખરે છે, કવિ કવિતા વાંચે છે,
ઇશ્વર પોતે કાન ધરે છે, કવિ કવિતા વાંચે છે.

રતુંબડા ટહુકાઓ પ્હેરી આવી બેઠાં પંખીઓ સૌ,
ટહુકાઓ ઇર્ષાદ કરે છે, કવિ કવિતા વાંચે છે.

એકેક પાંદડે જાણે કે હરિયાળીની મ્હેંદી મૂકી,
ડાળે ડાળે સ્મિત ઝરે છે, કવિ કવિતા વાંચે છે.

ટપાલ સહુને વ્હેંચે છે એ ભીતરથી ભીંજાવાની,
શ્વાસે શ્વાસે ભેજ ભરે છે, કવિ કવિતા વાંચે છે.

આગ, પવન, જળ, આભ, ધરા આ પાંચે જાણે,
આવ્યા થઈ મહેમાન ઘરે છે, કવિ કવિતા વાંચે છે.

– અનિલ ચાવડા

ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ

લોગઇન:

ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

રંગ બ્હારનો હોય તો એને ભૂંસું હું પળભરમાં,
ફૂલગુલાબી પડ્યો શેરડો, ઊતરી ગ્યો અંતરમાં.
રુંવે રુંવે રંગ ફૂંવારા ઉડ્યા રે તત્કાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

ઊંચાનીચા શ્વાસ અને ધબકારા પીટે ઢોલ,
સખીઓ પૂછે, ગામ વચાળે કોણ રંગી ગ્યું બોલ,
દોટ મૂકી હું દોડી પાછળ પગલાં રહી ગ્યા લાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

– વિમલ અગ્રાવત

દયારામ એક પદમાં કહે છે,
“મુજને અડશો મા, આઘા રહો અલબેલા છેલા, અડશો મા!”

રાધાજી કૃષ્ણને વિનંતી કરી રહ્યા છે કે હે શ્યામ તમે મને અડશો નહીં, તમે કાળા છો, અને હું તો કેટલી રૂપાળી… તમે મને અડશો તો મને પણ તમારો રંંગ લાગાડશો, હું પણ કાળી થઈ જઈશ. આવું કહીને રાધાને પોતાના વહાલા પ્રેમી સામે ખોટું ખોટું રિસાવું છે. પણ આ તો કૃષ્ણ છે, એની પાસે બધા જ જવાબ હોય છે. રાધાના રીસામણાનો જવાબ કૃષ્ણ બહુ તાર્કિક રીતે આપે છે, કહે છે, મને અડીને તું કાળી પડી જવાની હોય તો તને અડીને હું પણ ગોરો તો થઈશ જ ને! જો એમ થાય તો ફરી આપણે એકબીજાને અડકી લઈશું, જેથી મારો રંગ ફરી કાળો થઈ અને તારો ફરીથી ગોરો. “ફરી મળતાં રંગ અદલાબદલી, મુજ મોરો, તુજ તોરો!” ધૂળેટીના રંગભર્યાં ગીતોની વાત હોય અને રાધા-કૃષ્ણ ન સાંભરે એ તો બને જ કેવી રીતે?

પણ વિમલ અગ્રાવતનું ગીત વાંંચીને કોઈ રંગની જરૂર જ નથી રહેતી, ન તો પિચકારીની, ન અબિલ ગુલાલની. તેમણે શબ્દોના લસરકાથી હોળી-ધૂળેટીના રંગોનું અદ્ભુત પ્રણયચિત્ર દોરી આપ્યું છે. તેમાં હૃદયના રંગો ઊડે છે. શરમના શેરડા ફૂટે છે, ફૂલગુલાબી ચહેરા ખીલે છે, અને ગુલાબી રંગ છેક અંતરના આંગણામાં રંગોળી પૂરે છે. ગીત વાંચીને કૃષ્ણ-રાધાની કલ્પના તો થાય જ, પણ કોઈ પણ પ્રેમી જોડાંને આ ગીતમાં કલ્પી શકાય.

શેરીમાં પ્રેમીની નજર પ્રેમિકા પર પડે છે. પ્રેમિકાને તેનું ભાન થતા જ તે શરમમાં લાલલાલ થઈ જાય છે. તેના ગાલે શરમના શેરડા ફૂડે છે. રુંવેરુંવે રંગ રેલાવા લાગે છે. શ્વાસોમાં મઘમઘતી ફોરમ વહેવા લાગે છે. રાજેન્દ્ર શુક્લ લખે છે તેમ, “અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી, ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી!” અહીં ભૌતિક રીતે કોઈ રંગ નથી કે નથી ગુલાલ. પણ પ્રેમીની એક નજર કાફી છે રંગાવા માટે. બહારનો રંગ તો સમય જતા ઝાંખો થાય, ભૂંંસાઈ જાય. દુનિયા એને નરી આંખે જોઈ પણ શકે કે રંગ લાગ્યો છે, પણ અંદર લાગેલા રંગને તો ક્યાંથી કાઢી શકાય, અને જગત એને જોઈ પણ નથી શકતું. બીજો તે રંગ સાવ કાચો, એક હૃૃદિયાનો રંગ સાવ સાચો.

પ્રેમી સંગે નજર મળે, તારામૈત્રક રચાય ત્યારે જાણે શ્વાસ ખુદ શરણાઈના સૂર રેલાવા માંડે છે. ધબકારા તો ઢોલ પર પડતી દાંડી જેમ વાગે છે. પ્રેમિકાની આવી હાલત બીજા કોઈ જાણે ન જાણે, બહેનપણીઓ પામી જાય છે, તે વહાલથી ટોણો મારીને પૂછે છે, અલી આ શું થઈ ગયું તને? આમ ભરબજારે કોણ રંગી ગયું કે આવી શરમમાં લાલઘૂમ થઈ રહી છે? બહેણપણીઓનો આવો સવાલ સાંભળીને તો વળી શરમ બેવડાય છે. જવાબ આપવાને બદલે પ્રેમિકા તો શેરીમાંથી દોટ મૂકે છે. પણ એની દોટમાં પણ જાણે કે દરેક પગલે લાલ રંગ રેલાતો હોય એવું લાગે છે.

વિમલ અગ્રાવતે પ્રણયના રંગને બરોબર ઘોળ્યો છે. તેમણે પોતાની કલમ દ્વારા રંગો વિના જ સૌને રંગી નાખ્યા છે. એક અચ્છા કવિની આ જ તો ખાસિયત હોય છે.

લોગઆઉટઃ

ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
મળે છે તે સહુ કહે છે, મજાનો રંગ લાગ્યો છે.
મલકતું મોં અને ચમકી જતી આંખો કહી દે છે,
ભલે છૂપી એ રાખો વાત, છાનો રંગ લાગ્યો છે.
– મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’