તડકો... ગજ્જબ માથાફરેલો!

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

તડકો... ઘડીકમાં અલબેલો!
તડકો... પળમાં ધોમધખેલો!

સ્હેજ ઊઘડતી આંખ, ઉગમણા આભે ત્યાં તો સોનુ થઇને હળુહળુ રેલાય;
શિરે ચડીને પડછાયાનું ઢીમ ઢાળતો તડકો જાણે ધગધગતી હો લાય;
તડકો દુર્વાસાનો ચેલો!

બારી, બારી બહાર ઓટલે, ચોક, અગાસીમાં વેરાયો મૂઠામૂઠ રે ભાઈ;
ઠંડક નામે રાજને માથે ચડાઈ લઈને તડકો કરતો લૂંટાલૂંટ રે ભાઈ;
તડકો... ગજ્જબ માથાફરેલો!

– હર્ષવી પટેલ

શંકર ભગવાનની ત્રીજી આંખ જેમ ઉનાળો ઊઘડ્યો છે. બપોરે સૂર્યદેવ તો એવા આકરા પાણીએ હોય છે, જાણે કોઈકે તેમને ચીડાવ્યા હોય. તે ભલભલાને પરસેવો છોડાવી દે તેવા રાતાચોળ થઈને આકાશમાં સળગી રહ્યા હોય છે. તેમની સામે ગમે તેવી મોટી તોપ આવે, સુરસૂરિયું થઈ જાય. ગમે તેવો દાદો હોય કે ડોન, શેઠ હોય કે સુરવીર, અરે મોટો રાજા કેમ નથી. બધાને ચુપચાપ ઘરમાં ઘૂસી જવું પડે. જોકે માણસ નામનું પ્રાણી ગજબની આઈટમ છે. તેને બધું કન્ટ્રોલ કરવા જોઈએ, સૂરજ હોય કે ચંંદ્ર, ધરતી હોય કે આકાશ, બધી જગા, બધાં સ્થાન તેને પોતાના તાબામાં જોઈએ. બધું પોતાના કહ્યામાં રાખવાની ટેવ મનુષ્ય નામના પ્રાણીના જિન્સમાં વણાઈ ગઈ છે. પણ સૂરજના પ્રખર તાપની સામે તો આ પ્રાણી બાપડું શુંં કરી શકે, એટલે એણે એસી બનાવ્યું અને પોતાની બખોલને ટાઢી કરીને એયને મજાથી ક્યાંક બગાસા ખાતું પડ્યું રહે છે. પંખીઓ તો ઊડવાની હિંમત પણ નહીં કરી શકતા હોય, માળામાં ચુપચાપ લપાઈને બેઠા હશે. ને પ્રાણીઓ, જ્યાં મળે છાંયડો ત્યાં પોતાનું ઘર બનાવીને આરામ ફરમાવતાં હશે. પણ મનુષ્ય નામના વિચિત્ર પ્રાણીએ સખ નહીં પડે, તેને આજીવિકા રળવાની ચિંતા હોય, કંઈક કરી બતાવવાના ધખારા હોય, બીજા કરતા પોતે કેટલો ચડિયાતો છે, તે સાબિત કરવાની ઝંખના હોય. એટલે તડકો હોય કે ટાઢ તે જંપીને બેસે નહીં. ધનવાનો તો મોટી ટાઢી કારમાં ફર્યા કરે, પણ બાપડા ગરીબો, જેમને બે ટંકનો રોટલો પણ સ્વપ્નવત હોય, તેઓ તાપમાં શેકાતા શેકાતા ય મજૂરી ઢસડ્યા કરે છે. તેમને કદાચ સૂરજના તાપ કરતા હોજરીની આગ વધારે દઝાડતી હશે.

કવયિત્રી શ્રી હર્ષવી પટેલે તડકા વિશે સુંંદર કાવ્ય લખ્યુંં છે. કવિઓને તડકો અલગ અલગ દેખાય છે. કોકને ધોમધકતા તાપમાં ખીલી ઊઠતો પીળો ગરમાળો રાજી કરે છે, તો કોઈને આકરા તાપમાં મજૂરના પગમાં પડેલા ફરફોલા પોતાના પગમાં પડ્યા હોય તેમ દઝાડે છે. હર્ષવી પટેલને ખબર છે કે તડકો અલબેલો પણ હોય છે અને ધોમધખેલો પણ. વહેલી પરોઢે પૂર્વમાંથી અજવાળું રેલતો સોનેરી સૂરજ તો એવું લાગે જાણે સુવર્ણમુદ્રા ચમકી રહી હોય, કવિ મનીષ પરમારે લખેલું,
પર્વતોના ઢાળથી તડકો પડે છે,
સોનું દડવાના અવાજો સાંભળું છું.

રળિયામણા ડુંગર પરથી પડતો તડકો ક્યારેક સોનું દદડી રહ્યાનો ભાસ પણ ઊભો કરી શકે. પણ ખરા ઉનાળે સૂર્ય મધ્યાહ્ને પહોંચ્યો હોય ત્યારે અલગ હોય છે. સવાર-સાંજ લાંબા થઈ જતા પડછાયાઓ પણ ચુપચાપ ટૂંકાટચ થઈ જાય છે. અને પડછાયા પોતે પણ કોઈકની છાયા ઝંખતા હોય તેમ આપણા દેહ નીચે સંતાવા પ્રયત્ન કરતા હોય છે. કવયિત્રીએ તો તડકાને દુર્વાસાનો ચેલો કહ્યો છે, દુર્વાષા એટલે એ ઋષિ જેમના ક્રોધથી ભલભલાને ધોળા દિવસે તારા દેખાઈ જતા. દેવો અને દાનવો બધા દુર્વાસાના ક્રોધથી ફફડી ઊઠતા. આવા ક્રોધિત ઋષિનો ચેલો હોય તેમ તડકો પણ લાલઘૂમ થઈ જાય છે બપોરે.

શેરીમાં થઈને બારીમાં કૂદી પડતો તડકો ચોક, ઓટલા, અગાસી બધે ફરી વળ્યો હોય છે. તેને નથી પરવા કે ગરીબનું ઘર છે કે પૈસાદારનુંં. તેને દયાભાવ કે પક્ષાપાત જેવું કશું નથી. તે તેની ફરજ બરોબર નિભાવશે જ. શિયાળા પછી આવતો ઉનાળો જાણે માથાફરેલો હોય અને ઠંડી ઉપર પોતાનું લશ્કર લઈને ચડાઈ કરી બેઠો હોય તેવો પણ લાગે.

લોગઆઉટઃ

તગતગતો આ તડકો,
ચારેકોર જુઓને કેવી ચગદાઈ ગઈ છે સડકો !

કહો, ચરણ ક્યાં ચાલે? એણે એક ન રાખ્યો રસ્તો,
ઘણું હલાવા હવા મથે પણ તસુ ય તે ના ખસતો,
અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શો તસતસતો
સાવ અડીખમ પડ્યો, કશે યે જરીક તો કોઈ અડકો !

જિદ્દીજનનું મન પણ જેની પાસે લાગે હળવું,
વૈદેહીના ધનુષ્યને પણ રામ કને તો ચળવું,
ગિરિ ગોવર્ધનને યે ટચલી આંગળી ઉપર ઢળવું,
પણ આને ઓગળી દેવા કોણ મેલશે ભડકો !

– નિરંજન ભગત

તું હતી તો ઘર ખરેખર ઘર હતું મા

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા!
એક મીઠું આંગણે સરવર હતું, મા!

ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,
એક માથે વાદળું ઝરમર હતું, મા!

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા!

યાતના વચ્ચે મલકતું ને હરખતું,
એ વદન હેતાળ ને મનહર હતું, મા!

ફાયદા-નુકશાનનો હિસાબ શાનો,
તારું બસ હોવાપણું સરભર હતું, મા!

– રતિલાલ સોલંકી

‘મા’ એ કોઈ વ્યક્તિ નથી, ન તો કોઈ સંબંધ છે. મા એક અનુભૂતિ છે. આજે વિશ્વ માતૃદિવસ છે, ત્યારે અનેક લોકો કવિતાઓ શેર કરશે, લેખો લખશે, પોસ્ટ બનાવશે, ને માતા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરશે. કવિ રતિલાલ સોલંકીએ ઉપરોક્ત ગઝલમાં માતાનો અભાવ વર્ણવ્યો છે. કવિતાની શરૂઆત જ એ રીતે કરે છે કે, તું હતી તો… અર્થાત્ અત્યારે મા નથી. પણ જ્યારે મા હતી ત્યારે ઘર કેવું હતું તેના વિશે વાત કરીને કવિએ માની ગેરહાજરીમાં ઊભા થયેલા અભાવનો ઊંડો પડઘો પાડ્યો છે.

કોઈ પણ મકાનમાં મા નામની દૈવી શક્તિ ન હોય ત્યાં સુધી તેનું ‘ઘર’ બનવું મુશ્કેલ છે. મા એક ઊર્જા છે. એ ઊર્જા ગાયબ થઈ ગયા પછી આપણને સમજાય છે કે ઘર તો પહેલેથી જ ખાલી હતું, અમે જ ભરેલું માનતા હતા. માની હાજરીમાં ઘર માત્ર ઈંટ-પથ્થરનું માળખું ન રહેતા, એક જીવંત ચીજ બની જાય છે. તેની ભીંતોમાં અવાજ હોય છે, દરેક ખૂણામાં એક અજાણી હૂંફ હોય છે. એ વખતે ફળિયું પણ મીઠા સરોવર જેવું લીલુંછમ લાગે છે. ઘણાં ઘરમાં આંગણું હોય છે, પરંતુ બધાં આંગણાં સરવર નથી બનતાં. કારણ કે સરવર બનવા માટે પાણી નહીં, પરંતુ પ્રેમ જોઈએ. એ પ્રેમ માની આંખોમાંથી, તેના શબ્દોમાંથી, તેના સ્પર્શમાંથી ટપકતો હોય છે.

માનો અભાવ ધરાવતી વ્યક્તિના મનમાં એક પ્રકારનું તોફાન જીવ્યા કરતું હોય છે. મુકેશ જોશીએ તો તેફાની દરિયાને ઉલ્લેખીને લખેલું, “કાળમીંઢ પથ્થર પર માથું પછાડતા કોઈએ ખમ્મા કહ્યું જ નહીં હોય, લાગે છે દરિયાને મા નહીં હોય.” મા હોય તો દરિયો આમ રઘવાયો થઈને કાંઠા પરના તિક્ષ્ણ પથ્થરો પર માથું થોડો પછાડે? માનો અભાવ જ તેને આવો ધૂંધવાટાભર્યો બનાવતો હશે.

દરેકના જીવનમાં ‘ધોમધખતો તાપ’ આવતો જ હોય છે, આ તાપ એટલે સૂર્યપ્રકાશ નહીં, પણ જીવનનો સંતાપ, સંઘર્ષ અને માઠા દિવસો. આવા કપરાકાળમાં માતાની હૂંફ હોય તો જીવનનું કુરુક્ષેત્ર આકરું હોય, તો પણ એક આશ્વાસન જાણે અજાણે ઢાલ બનીને સાથે રહેતું હોય છે, એ આશ્વાસન એટલે મા. બહારના તાપથી તો માત્ર પગના તળિયા બળશે, પણ અંતરનો સંતાપ રુંવેરુંવે બાળશે, આવી સ્થિતિમાં એક વાદળાની જેમ ઝરમરતી રહીને અંદરના અંગારાને ઠારવાનું કામ કોઈ કરતું હોય તો તે મા છે.

યાતના વચ્ચે પણ સંતાનો માટે સદાય મલકતું રહેતું મુખ જો કોઈનું હોય તો તે માતાનું હોય છે. પોતાની પીડા છુપાવીને, પોતાનાં દુઃખને અંદર રાખીને, તે હંમેશાં હસતી રહે છે. એ હાસ્ય, ઘણીવાર, એક ઢાંકપિછોડો હોય છે, પણ એ ઢાંકપિછોડો હકીકતમાં તો સંતાનો, પરિવાર માટે એક ઢાલ બરોબર હોય છે.

આપણે મોટા થઈએ ત્યારે સમજાય છે કે દુનિયા આખી હિસાબ પર ચાલે છે. નફો નુકસાનની નીતિ પર જગત આગળ વધે છે. દરેક સંબંધમાં એક ગણિત હોય છે, પરંતુ માનું ગણિત અનોખું હોય છે. તેના સરવાળા અને બાદબાકી, તેના ભાગાકાર અને ગુણાકાર, ગણિતના નિયમોથી પર હોય છે. એ છેદ પણ ઉડાડે તો સરવાળો થઈ જાય.

માની ગેરહાજરી એ માત્ર એક વ્યક્તિની ગેરહાજરી નથી હોતી, પરંતુ એક આખા વિશ્વની ગેરહાજરી હોય છે. એ એક એવી ખાલી જગ્યા છે, જે કોઈ પણ વસ્તુથી ભરી શકાતી નથી.

લોગઆઉટઃ

જેને ઝાલીને હું બચપનમાં બધે ફરતો હતો
મારી મમતાની એ નાની આંગળી મળતી નથી.
- અદી મિર્ઝા

શું મેં મારા ભાગનો દીવો પ્રગટાવ્યો છે ખરો?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કહાં તો તય થા ચરાગા હર એક ઘર કે લીએ,
કહાં ચરાગ મયસ્સર નહીં શહર કે લીએ.
– દુષ્યંત કુમાર

આજે ત્રીજી મે, આજે વર્ડ પ્રેસ ફ્રીડમ ડે છે ત્યારે દુષ્યંતકુમાર સહજપણે યાદ આવી જાય છે. કેટલાક કવિઓ શાહીમાં નહીં, આગમાં બોળીને લખતા હોય છે. તેમની પંક્તિઓ માત્ર વાંચવાની નથી હોતી, હૃદયમાં ઉતારવાની હોય છે. અને ન ઉતારો તો પણ તે પોતાની જગ્યા જાતે બનાવી લે છે. એ તમારી અંદર ઘૂસવાનો માર્ગ કરી જ લે છે, પછી તમને બેચેન બનાવે છે, ઉશ્કેરે છે, અને પછી શાંતપણે તમને જ તમારી સામે ઊભા રાખી દે છે.

આજનું ભારત, એક અનોખી કવિતા સમાન છે, પણ એ કવિતા બે છંદોમાં વહેંચાઈ ગઈ છે. એક છંદ છે ચમકનો, વિકાસનો, ઊંચી ઇમારતોનો, જે આકાશને આંબવાની દાવેદારી કરે છે. અને બીજો છંદ છે શાંત, અંધકારમય, જેમાં હજુ પણ કોઈ ખૂણામાં દીવો પ્રગટવાની રાહ જુએ છે. એક બાજુ આપણે ચંદ્ર પર પહોંચવાની વાત કરીએ છીએ, તો બીજી બાજુ કોઈ દીકરીને ચૂલેથી નીકળીને ચોક સુધી પહોંચવામાં પણ હજારો વિઘ્નો ખડકી રહ્યા છીએ. એક બાજુ ગોડાઉનોમાં અનાજના ભંડારો સડી રહ્યા છે, તો બાજુ કરોડો લોકો ભૂખ્યા પેટે ઊંઘવા ન આવવાથી કણસી રહ્યા છે. કોઈના કબાટોમાં લાખો રૂપિયાના બૂટ-સેન્ડલ ધૂળ ખાય છે તો ક્યાંક બળબળતા તાપમાં પગના તળિયે ફરફોલા થઈ ગયા છે. વિરોધાભાસ તો કોઈ પણ દેશ કે સમાજમાં હોય, પરંતુ જ્યારે એ વિરોધાભાસ સતત વધતો જ રહે, ત્યારે દુષ્યંતકુમાર જેવા કોઈ કવિનો આત્મા સળગી ઊઠે છે.

પ્રેસ એ જ એક એવો રસ્તો છે, જેના થકી સમાજમાં પ્રવર્તતી પીડા જગત સુધી પહોંચી શકે, સત્યનો ચહેરો છતો થઈ શકે. પણ જ્યારે એના પગમાં સાંકળ નંખાય ત્યારે જગતને માત્ર એ જ ચિત્ર દેખાય, જે સાંકળ પહેરાવનાર બતાવવા માગતો હોય. ક્યારેક લાગે છે કે સમાચાર હવે માત્ર સમાચાર નથી રહ્યા, એ પ્રદર્શન બની રહ્યા છે. સત્યની જગ્યા સનસનાટીએ લઈ લીધી છે. અને પ્રશ્ન પૂછવાની જગ્યાએ પ્રશ્ન લૂછવાની ટેવો વધવા લાગી છે. હવે સમાચારનું અંતિમ સત્ય એક માત્ર છે — ટીઆરપી.

એક સમય હતો, જ્યારે અખબારના પાનાં પર પડતી શાહી ક્રાંતિનો રંગ ધરાવતી હતી. એ શબ્દો માત્ર વંચાતા નહોતા, લોકોના મનમાં વાવાઝોડું ઊભું કરતા હતો, એક પ્રકારનો જુવાળ લાવી દેતા હતા. આજે એ જ શાહી જાહેરાતોના કલરફુલ જાહેરાતોની નીચે દટાઈને પોતાનો અસલ રંગ ગુમાવી રહી છે. જોકે આ વાત માત્ર મીડિયાની નથી, આ તો આખા સમાજનો અરીસો છે. જ્યારે જનતા પ્રશ્ન પૂછવાનું છોડી દે છે, ત્યારે સત્તા જવાબ આપવાનું પણ બંધ કરી દે છે. જ્યારે સત્ય સાંભળવાની ઈચ્છા મરી જાય, ત્યારે ખોટું બોલવું સરળ બની જાય છે.

દરેક અસત્યની અંદર એક હઠ છુપાયેલી હોય છે, સત્ય બનવાની હઠ. કહેવાય છે કે સત્ય હજી પોતાના પગરખાં પહેરે ત્યાં સુધી તો જૂઠ આખા ગામમાં ફરી વળ્યું હોય છે. પણ અમુક લોકો તેનાં પગલાંને પારખી લે છે. આજે પણ દેશના ખૂણેખાંચરે એવા લોકો છે, જે કોઈ હોબાળો કર્યા વગર, કોઈ મંચ વગર, પોતાના હિસ્સાનો દીવો પ્રગટાવે છે. કોઈ શિક્ષક છે જે તૂટેલી છત નીચે બાળકોને સપનાઓ શીખવે છે, કોઈ કવિ છે જે કલમ દ્વારા પોતાના સમયની વ્યથાકથાને સચ્ચાઈપૂર્વક ગૂંથે છે. કોઈ ફોટોગ્રાફર છે, જે ચુપચાપ એક ક્લિક દ્વારા હકીકતને કેમેરામાં કંડારીને જગત સામે લાવવા મથ્યા કરે છે.

આ લોકો જ એવા દીવા છે, જે હજુ બળે છે, જેમના લીધે આશા જીવંત રહે છે. કારણ કે દીવો સરકારો નથી પ્રગટાવતી, સમાજ પ્રગટાવે છે. અને જ્યારે સમાજ પોતાનો હિસ્સો નિભાવવાનું શરૂ કરે, ત્યારે ગમે તેવો ગાઢ અંધકાર હોય, ટકી નથી શકતો. આજે જરૂર માત્ર એ નથી કે આપણે ફરિયાદ કરીએ, “कहां चराग़ मयस्सर नहीं शहर के लिए,” પણ જરૂર એ છે કે આપણે થોડી વાર માટે અટકીએ, અને પોતાના અંતરાત્માને પૂછીએ કે શું મેં મારા ભાગનો દીવો પ્રગટાવ્યો છે ખરો?

લોગઆઉટઃ

हो गई है पीर पर्वत-सी पिघलनी चाहिए,
इस हिमालय से कोई गंगा निकलनी चाहिए।

आज यह दीवार, परदों की तरह हिलने लगी,
शर्त लेकिन थी कि ये बुनियाद हिलनी चाहिए।

हर सड़क पर, हर गली में, हर नगर, हर गाँव में,
हाथ लहराते हुए हर लाश चलनी चाहिए।

सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,
सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।

मेरे सीने में नहीं तो तेरे सीने में सही,
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए।

- दुष्यंत कुमार

થાકની બે કોથળી પીધા પછી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

રાત થીજીને સડક થઈ જાય છે,
બલ્બમાંથી ચાંદની રેલાય છે.

થાકની બે કોથળી પીધા પછી,
રોજ પડછાયા લથડીયા ખાય છે.

તારલા ફૂટપાથ પર આડા પડ્યા,
વાહનોના હોર્ન લોરી ગાય છે.

ગોદડીથી પણ નરમ આકાશ છે,
ખપ પડે ને ફટ કરી ઓઢાય છે.

શું અકસ્માતે ચમત્કારો કર્યાં!
કંઈક બેઘર સ્વર્ગવાસી થાય છે.

– કુણાલ શાહ

થોડા દિવસ પછી ગુજરાત સ્થાપના દિવસ અને મજૂર દિવસ બંને એકસાથે છે. ફુટપાથ પર સૂતા સાધારણ મજૂરો વિશે વિચારું છું ત્યારે કવિ કુણાલ શાહની આ ગઝલ સહજ સાંભરી આવે છે. વર્તમાન ગુજરાતી કવિતામાં આ કવિ મજૂરો, કામદારો, ગરીબોની વાત પોતાની રચનાઓમાં સહજપણે લઈ આવે છે. તેમની આ ગઝલનો પ્રત્યેક શેર તળિયાના માણસની પીડાનો પડઘો પાડે છે.

મજૂરો શહેરના હોય કે ગામડાના, ફૂટપાથ પર રહેતા હોય કે ઝૂંપડામાં, તેમનો એક જ ધર્મ હોય છે - મજૂરી. વિવેકાનંદે એક સૂત્ર આપેલું, “ઊઠો, જાગો અને ધ્યેપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.” રોજનું કમાઈને રોજ ખાનારા મજૂરોનો ધ્યેય આવો જ હોય છે, ઊઠો, ઊભા થાવ અને કામે વળગો. બે ટંકનું કમાઈ ન શકાય ત્યાં સુધી વળગેલા રહો. વરસાદ, ટાઢ કે તડકો, તમામ ઋતુ તેમને માટે એકસમાન છે.

કાળમીંઢી મજૂરીમાં કેવળ અંધારું હોય છે. એટલા માટે જ કદાચ રાત ક્યારેક એક અવસ્થા બની જાય છે. એવી અવસ્થા, જેમાં શહેરનું શરીર ધીમે ધીમે ઠંડું પડીને સડક બની જાય છે. દિવસના ઘોંઘાટ, ઘમાસાણો અને ગીચતા બધું જ થંભી જાય છે. પછી જે બચી રહે છે તે એક લાંબી, ઠંડી, અને ઉદાસ શાંતિ… એવી શાંતિ, જે દેખાવમાં નિર્જીવ છે, પરંતુ અંદરથી અસંખ્ય વાર્તાઓથી ભરેલી છે. સામાન્ય રીતે ચાંદની આકાશમાંથી વરસે છે, પરંતુ ગરીબો માટે તો સ્ટ્રીટ લાઈટના થાંભલામાં લગાડેલો બલ્બ જ ચંદ્ર બરોબર છે. એ બલ્બ તેમની રાતોને પ્રકાશિત કરે છે.

દિવસભર રઝળતો ફૂટપાથવાસી, મજૂર, કામદાર, કચરો વીણનાર માણસ, સાંજ પડ્યો થાકીને ઠુસ થઈ જાય છે, શરીર કળતરથી ખેંચાતું હોય છે. પણ આ કળતરને કાપવા માટે તેમની પાસે મોંઘી દવાઓ કે ફિઝિયોથેરેપિસ્ટ નથી હોતા, ન તો તેમના મનના વલોપાતને કાઢવા માટે સાઇકિયાટ્રીસ્ટ. આ ભાર ક્યારેક તે એકાદ કોથળી ગટગટાવીને ઉતારતા હોય છે. કવિએ થાકને ગટગટાવનાર માણસને જાણી જોઈને માણસ નહીં, પડછાયો કહ્યો છે. તે પણ મનુષ્ય છે, તેવું કોઈ ક્યાં સમજે જ છે, તે માત્ર પડછાયા છે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે પડછાયા ત્યારે જ હોય, જ્યારે છાયા હોય.

આખા દિવસના થાક પછી ફૂટપાથ પર પડેલા માણસોને પોતાના જ જણ્યાને પ્રેમ આપવાનો સમય નથી હોતો, આ કેટલી કરૂણતા. સારા ઘરના માણસો એક બાળક માટે મોંઘું ઘોડિયું વસાવે, તેના ખાવા-પીવા, ઊંઘવા-જાગવા, રમવા-રમાડવા માટે વસ્તુઓથી લઈને વ્યક્તિઓ સુધી, દાયણથી લઈને નોકર સુધી કેટકેટલી સુવિધાઓ કરે. પણ એ સુવિધા વિશે તો આ લોકોને સપનું પણ ન આવે. બાળકો બાપડાં પડ્યાં હોય ફૂટપાથની પથરાળ ભૂમિ પર નિશ્ચિંતપણે. તેમની માટે શું ગીતો, કે શું લોરીઓ. બાજુમાંથી નીકળતાં વાહનોના કર્કશ અવાજો અને હોર્ન એ જ તેમનાં હાલરડાં. ત્યાં અધરાતે મધરાતે ઓઢવા માટે નરમ ગોદડી કે સુંવાળો કામળો ક્યાંથી આવે, ત્યાં તો આભ એ જ ઓઢણ, ને ધરા એ જ પાથરણું.

રોડની બાજુમાં પડ્યા રહેતા આવા માણસોના જીવનની કિંમત પણ કોઈને ક્યાંથી હોય. અનેક વાર છાપામાં સમાચાર આવે છે કે ફલાણી જગ્યાએ રાતે વાહન નીચે ચાર મજૂરો ચગદાઈ ગયા. ઢીંકણી જગાએ આમ થયું. અને એ સમાચાર માત્ર સમાચાર બનીને રહી જાય છે. પરંતુ કવિ અહીં એક ભયાનક સત્ય તરફ ઇશારો કરે છે. કેટલીકવાર આ અકસ્માતો બેઘરો માટે ‘ચમત્કાર’ બની જાય છે. કારણ કે તે તેમને આ જીવનની પીડામાંથી મુક્તિ આપે છે. આ વિચાર આપણને અચાનક અંદરથી ઝંઝોડી નાખે છે.

લોગઆઉટઃ

રાતે મજબૂરી સૂવે ફૂટપાથ પર,
સ્વપ્નમાં આવીને ચાલ્યું જાય ઘર.

એના હિસ્સામાં જ છે લાંબી સફર,
જે બિચારા ચાલતા ચપ્પલ વગર.

જિંદગી રસ્તે રઝળતી હોય છે,
એક્સિડન્ટનો ક્યાં પછી લાગે છે ડર!

એ તને હોળી વિશે શું કહી શકે,
ભાગ્યમાં જેના ઊડે કાળો કલર.

દૂધ ભૂખ્યા બાળને આપી દીધું,
હાથ જોડીને કહ્યું, 'મહાદેવ હર'.

– જય દાવડા

રે આવ્યો કાળ ઉનાળો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

રે આવ્યો કાળ ઉનાળો
અવની અખાડે, અંગ ઉઘાડે, અવધૂત ઝાળજટાળો.

એના શ્વાસે શ્વાસે સળગે ધરતી કેરી કાયા;
એને પગલે પગલે ઢળતા પ્રલય તણા પડછાયા.
ભરતો ભૈરવ ફાળો. રે આવ્યો કાળ ઉનાળો...

એના સૂકા હોઠ પલકમાં સાત સમુન્દર પીતા;
એની આંખો સળગે જાણે સળગે સ્મશાન ચિતા.
સળગે વનતરુડાળો. રે આવ્યો કાળ ઉનાળો...

કોપ વરસતો કાળો,
રે આવ્યો કાળ ઉનાળો.

– જયન્ત પાઠક

મક્કમ ડગે ઉનાળાએ પોતાનાં પગલાં પાડી દીધા છે. શિયાળાની સવારે મીઠો લાગતો તડકો ઉનાળાની સવારે અણિયાળા તીર જેવો આકરો લાગે છે. કવિએ તેને કાળ કહ્યો છે - “રે આવ્યો કાળ ઉનાળો”. અચ્છા અચ્છા જીવો માટે તે કાળ સમાન છે. સૂર્ય જ્યારે સોળે કળાએ ખીલ્યો હોય ત્યારે, છે કોઈની તાકાત કે તેના તાપની સામે પડે? કવિએ કાળ સમાન ઉનાળાને દર્શાવવા સરસ વર્ણન કર્યું છે. આખી પૃથ્વી જાણે કે એક મોટો અખાડો બની ચૂકી છે. એ અખાડામાં ઉઘાડા ડિલે કુશ્તી લડવા આવેલા કોઈ અવધૂત જેવો લાગે છે ઉનાળો. અને તેના માથાની ઝટાઓ જ્વાળા જેવી આમતેમ લહેરાઈ રહી છે.

તેના શ્વાસ અને ઉચ્છ્વાસ ધરતી પર અગનજ્વાળા પાથરે છે. જ્યાં પણ તેનું પગલું પડે કાળો કેર વરતાય છે. પશુ, પંખી અને માનવસહિત સમસ્ત જીવો પોતપાતાના ઘરમાં ભરાઈ જાય છે. મનુષ્યોએ તો એસી, કુલર, ફ્રીજ જેવાં સાધનો શોધી લીધાં ઉનાળાની ગરમીથી બચવા માટે, પરંતુ પશુઓ, પંખીઓ અને જનાવરો બાપડાં આ કાળસમાન ઉનાળામાં ઘણી વાર જીવ ખોઈ બેસે છે. કોઈ પાણીના અભાવે, તો કોઈ લૂના પ્રભાવે. પણ તેમના કારણમાં છે કાળમુખો ઉનાળો. આ ઉનાળો ખરા બપોરે કોઈ ભૈરવ જેમ મોટી મોટી ફાળ ભરતો બધે ફર્યા કરે છે, બળબળતો તાપ એનાં પગલાં છે, અને લૂ તેનો ઉચ્છ્વાસ.

ધોમ ધખતા ઉનાળામાં એમ લાગે છે જાણે સૂરજ ખૂબ તરસ્યો થયો છે અને તડકારૂપી હોઠથી સમંદરના સમંદર પી રહ્યોછે. નાનાં નાનાં સરોવરોને તો તે પલકવારમાં પી જાય છે. નદીઓનું બાષ્પીભવન કરી નાખે છે. આટઆટલું કર્યા પછી પણ તેની આંખો ઠરતી નથી, તે કોઈ મહાસ્મશાનની ચિતા જેમ નિરંતર સળગતી રહે છે. તેના પ્રકોપ નીચે જંગલનાં તમામ વૃક્ષો જાણે કે સળગી રહ્યાં છે.

જયંત પાઠકની આ કવિતા ઉનાળાની હાલાકી વિશે વાત કરે છે. પરંતુ કવિતા વાંચીને થાય છે કે માત્ર ઋતુમાં જ નહીં, જીવનમાં પણ ઉનાળા આવતા હોય છે. ઋતુગત ઉનાળા તો કેમ કરીને ય વેઠી લેવાય છે, પણ જિંદગીનો તાપ ક્યારેક અસહ્ય થઈ પડતો હોય છે. અતરના ઉનાળા બહુ આકરા હોય છે. આ કવિતા માત્ર બાહ્ય ઉનાળાની ગરમીનો અનુભવ કરાવવા માટે નથી. તે આપણા જીવનના ઉનાળાઓ વિશે વિચારવા મજબૂર કરે છે. દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ સમય એવો આવે છે, જ્યારે બધું જ તપતું લાગે, કાળ ચારે તરફથી અગનજાળની જેમ ઘેરી વળે. સમસ્યાના સૂર્યો જીવલેણ તાપ વરસાવવા માંડે. દરેક રસ્તો કોઈ સળગતી જ્વાળા સમાન લાગવા લાગે. આ જ સમય આપણા જીવનનો “કાળ ઉનાળો” હોય છે. આ સમયે આપણું મન ભીતર ને ભીતર સળગી ઊઠે છે અને આર્દ્ર સ્વરે પોકારે છે - રે આવ્યો કાળ ઉનાળો.

ઉનાળો એક રીતે તપસ્યા છે. તે તમને તાપે છે, પકાવે છે. જેમ ચાકડા પરથી ઉતરેલું માટલું જ્યાં સુધી નિભાડામાં આકરા તાપમાં તપે નહીં ત્યાં સુધી પાણી ભરવા યોગ્ય બનતું નથી. તેને પકાવવું પડે છે. ઈશ્વર પણ કદાચ આકરા ઉનાળા રૂપે આપણને પકાવવા માંંગે છે, જેથી આપણે કાચા ન રહી જઈએ.

કવિ ઉમાશંકરે ‘છ ઋતુઓ’ નામે એક સરસ કાવ્ય લખ્યું છે, તેમાં તેમણે પણ ઉનાળાને જોગી કહ્યો છે. એ કાવ્યથી વિરમીએ.

લોગઆઉટઃ

આવ્યો આવ્યો બળ બળ થતો દેખ જોગી ઉનાળો;
વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગ્નિઝાળો.
ઝોળા ખાતી રસદ ફળની લૂમ, લૂ વાય ઊની;
પાણી ડૂક્યાં, સજળ સરિતાઓ થઈ વારિસૂની.

~ ઉમાશંકર જોશી

સફાઈ કામદારની પત્નીનું ગીત

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

વાલમ તો આખાયે ડીલે થ્યા મેલાં!
ઉતરાવી માથેથી કોણે આ રેલાવ્યાં આતમ પર ફળફળતા રેલા?

અજવાળે ઉતરે છે ગંધાતી રાત્યુંમાં, સૂરજ જ્યાં ડોકાતાં બીવે,
મારા વાલમજી તો રોજરોજ અંધારા ઓઢે ને અંધારા પીવે.
રોંઢાની વેળાએ આવે તો લાગે છે, આવ્યા કોઈ ઋષિ અલબેલા!
વાલમ તો આખાયે ડીલે થ્યા મેલાં!

ફાટેલી ચોખ્ખાઈ સીવતા રહ્યાં રે અમે પેઢી દર પેઢી ચૂપચાપ,
બદલામાં બોલ્યાં બસ, બે'ક વેણ બોદા કે 'વાળું રે દેજો મા બાપ!'
બટકુંક રોટલાને કાજ અમે વરસોથી લાખ લાખ સૂરજ વેચેલા,
વાલમ તો આખાયે ડીલે થ્યા મેલાં!

– વિપુલ પરમાર

વિપુલ પરમારની આ કવિતામાં ભારોભાર સામાજિક નિસબત છલકાય છે. દલિત, વ્યથિત, પીડિત, શોષિત કે છેવાડાના માણસોની પીડા વ્યક્ત કરવાની હોય ત્યારે મોટાભાગના સર્જકોમાં એક પ્રકારનો આક્રોશ આપોઆપ ઊતરી આવે છે, તેમના શબ્દો જાણે અજાણે વ્યક્તિગત ગુસ્સો તેમાં રેડી બેસે છે. જ્યારે વિપુલ પરમાર તેનાથી સાવ અલિપ્ત રહ્યા છે. તેમણે વાત કરી છે સફાઈ કામદારના પત્નીની, પોતાના વહાલમ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતી એક અર્ધાંગિનીની, પરંતુ તેમા એક આખા સમાજની વ્યથા ડોકાય છે.

કવિતાની શરૂઆત જ ઘણી સૂચક છે - વ્હાલમ તો આખાયે ડિલે થ્યાં મેલાં! વ્હાલમ આખો દિવસ ગટરની અને રસ્તાની ગંદકી સાફ કરે છે, પણ એ જાણે છે કે એના કપડાં પર લાગેલી ગંદકી માત્ર કીચડની નથી, એમાં સમાજની અવગણનાનો ભાર પણ છે, વર્ષોનું અસહાય મૌન છે. તેની દુર્ગંધમાં એક એવી અજાણી ગંધ છે જે શરીર કરતાં વિશેષ છે. અને છતાં, એ સ્ત્રી જ્યારે એને જુએ છે, ત્યારે એ ગંદકીમાં પણ એને પોતાનો પ્રેમ દેખાય છે. કારણ કે તે જાણે કે તેનો પ્રેમ કાદવમાં ખીલેલા કમળ સમાન છે! જ્યાં સૂરજ પણ જતા ડરે એવી અંધારી ગંદી ગટરમાં જઈને આવેલો પોતાનો વ્હાલમ તેને તો અલબેલા ઋષિ જેવો લાગે છે.

આ ગીતમાં એક અદભૂત વિરોધાભાસ છે. એક બાજુ ગંદકી, અંધારું, થાક અને ગંધ છે; બીજી બાજુ પ્રેમ, સ્વીકાર અને શાંત ગૌરવ. આ સ્ત્રી પોતાના વ્હાલમને માત્ર એક સફાઈ કામદાર તરીકે નથી જોતી, તેને મન તો એ જ તેનું ઉપવન છે. એ જાણે છે કે દુનિયા જે ચોખ્ખાઈને પૂજે છે, એ ચોખ્ખાઈ પાછળ કોઈના હાથ ગંદા થયા છે. આ ગીતનું સૌથી મોટું સત્ય એ છે કે સમાજ જે વસ્તુઓથી નાકનું ટેરવું ચડાવે છે, એ જ કોઈકના જીવવનો આધાર હોય છે. આ સ્ત્રી કે તેનો પતિ તો માત્ર એક પ્રતીક છે સહનશીલતાનું, મૌન શક્તિનું, કઠિન પરિશ્રમનું, અને એક એવી મહેનતનું જે ક્યારેય મંચ પર આવતી નથી.

ખરી વાત તો એ છે ગંદકી બહાર નથી હોતી, એ સમાજના વિચારોમાં, વ્યવસ્થામાં, વ્યવહારમાં, વર્તનમાં અને અસમાનતામાં હોય છે. કેમકે જો કોઈ માણસ રોજ ગંદકી સાફ કરે છે, તો એ ગંદકી ક્યાંક તો ઊભી થાય છે.

આ સ્ત્રીના પ્રેમમાં એક સહજ સ્વીકાર છે. કદાચ આ જ સાચો પ્રેમ છે. એના શબ્દોમાં એક કરુણા છે, પણ એ કરુણા કમજોરી નથી. એ એક શક્તિ છે. એક એવી શક્તિ, જે માણસને તૂટવા છતાં જોડી રાખે છે.

આ ગીતમાં એક બીજી વાત પણ ખૂબ જ ઊંડી રીતે છુપાયેલી છે. એ છે પેઢીઓની વારસાગત પીડા. “ફાટેલી ચોખ્ખાઈ સીવતા રહ્યાં રે અમે પેઢી દર પેઢી ચૂપચાપ,” આ પંક્તિમાં એક આખો ઈતિહાસ છુપાયેલો છે. એ ઈતિહાસ છે એવા લોકોનો, જેઓએ પોતાની જાતને ભૂલીને, પોતાના અવાજને દબાવીને, માત્ર જીવવા માટે કામ કર્યું છે.

આ ગીત કોઈ સફાઈ કામદારની પત્નીનો પ્રેમનો નહીં, પર એક આખા પછાત સમાજની નીચલા વર્ગની પીડાનો પડઘો પાડે છે. આ ગીત એક દર્પણ છે, જેમાં આપણે જોઈ શકીએ કે કેવી રીતે અમુક લોકોના જીવનમાં અંધારું એટલું ઘેરું છે કે એમાંથી બહાર આવવું મુશ્કેલ છે. છતાં, એ અંધારામાં પણ તેઓ એક નાની ચમક શોધી લે છે. એ ચમક છે પ્રેમની.

લોગઆઉટઃ

પેટ હતું તો ઝબ્બે થઈ ગ્યું, રાત હતી તો પડી,
ઊંઘ હતી તો આવી ગઈ ને ફૂટપાથોને જડી.

હાથ હતા તો ભાર ઊંચક્યો, શ્વાસ હતા તો હાંફ્યા,
બીજે તો ક્યાં જઈને કાઢે દાઝ હતી તો દાઝ્યા.

લગન હતાં તો થયાં લગન, હતાં પોરિયાં આયાં,
પેટ હતું તો મળ્યું એમને હાથ હતા તો લાયા.

હોઠ હતા તો ગાળ હતી, કાન હતા તો લીધી,
હતો રૂપિયો મળી યેવલા, આગ હતી તો પીધી.

લોહી હતું તો ગયું સુકાઈ, હતાં હાડકાં થાક્યાં,
ભીડ હતી તો ભેગી થઇ ગઈ, હતા ખભા તો આપ્યા.

વાળ હોય તો ટાલ થાય, ને કમર હોય તો વળે,
શ્વાસ હોય તો ખૂંટી જાય ને લખચોરાસી ફળે.

~ સૌમ્ય જોશી

તું એકલી નથી એમ મારે કહેવું છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ચંદ્ર
મને અહીં જુએ છે,
તને ત્યાં જોતો હશે…
તું એકલી નથી
એમ મારે કહેવું છે.

– વસંત આબાજી ડહાકે (અનુ. જયા મહેતા)

આપણે ત્યાં ઘણા કવિઓએ વિરહિણીના ઝૂરાપાને કવિતામાં ગૂંથ્યો છે. વિરહની વાત આવે ત્યારે તરત મને પ્રાકૃતનો દુહો યાદ આવી જાય-
વાયસુ ઉડાવન્તઈ પીયુ વિહઉ સહસતિ,
અધ્ધા વલયા મહિહિ ગય, અધ્ધા ફૂટિ તડતી.

અર્થાત કાગડાને ઉડાડતી વિરહિણીએ પિયુને આવતો જોયો. ત્યારે તેના હાથમાં રહેલી અડધી ચૂડીઓ વિરહમાં સાવ દુબળા પડી ગયેલા હાથમાંથી નીચે સરી પડી. પણ જેવો સામે પિયુને જોયો કે તે હર્ષોલ્લાસથી ફુલાઈ ગઈ અને અડધી ચૂડીઓ એના લીધે તડતડ કરતી તૂટીને નીચે પડી ગઈ. ઝૂરાપાનું અને મિલનનું બે જ પંક્તિમાં કેટલું અદ્ભુત ચિત્ર ખડું કરી દીધું છે આ દુહાના સર્જકે.

‘બાગબાન’ ફિલ્મમાં અમિતાભ અને હેમા માલિની ફોન પર પોતપોતાની પરિસ્થિતિ એક ગીતસ્વરૂપે રજૂ કરે છે- “મૈં યહાં તું વહાં, જિંદગી હૈ કહાં?” બંને પરિસ્થિતિવશ એકબીજાથી અલગ થઈ ગયા છે, પોતે એકબીજાથી અલગ થઈ ગયા તેની કરૂણતા છે એ ગીતમાં. પણ મરાઠી કવિ વસંત ડહાકે જુદી વાત કરે છે. તેમની કવિતાનો નાયક પણ પોતાની પ્રેયસીથી અલગ છે, કયા કારણથી એ આપણે જાણતા નથી, કદાચ અહીં તેની જાણકારી જરૂરી પણ નથી. જરૂરી છે માત્ર વિરહ, અલગતા અને એકલતા. આપણે ત્યાં અનેક કવિઓએ જુદાઈ જીરવવી આકરી છે, તે સંદર્ભનાં ઘણાં કાવ્યો અને કથાઓ પણ સર્જી છે. પણ કવિ અહીં જણાવે છે કે આપણે અલગ છીએ, પરંતુ એકલા નથી. અલગ હોવું અને એકલા હોવામાં બહુ ભેદ છે. ઘણા લોકો પાસે હોય છે પણ સાથે નથી હોતા. અહીં બંને પાત્રો પાસે ભલે નથી, પણ સાથે તો છે.

કવિતામાં કાવ્યનાયક પ્રેયસીને આશ્વાસન આપે છે, તેમની આશ્વાસન આપવાની રીત પણ ખૂબ નિરાળી છે. તે કહે છે અહીં આકાશમાં રહેલો ચંદ્ર મને જોઈ રહ્યો છે, તું જ્યાં પણ હશે, જે સ્થિતિમાં હશે, ચંદ્ર તને પણ જોતો હશે. આપણે અલગ અલગ સ્થળે છીએ, અલગ અલગ સ્થિતિમાં, પણ કોઈ છે જે આપણને બંનેને એક સાથે નિહાળી રહ્યું છે. અર્થાત્ આપણે એકલા નથી.

ચંદ્ર હંમેશાં સંપૂર્ણ નથી રહી શકતો, ક્યારેક અડધો હોય, ક્યારેક પોણો, તો ક્યારેક સાવ પાતળી કિનાર જેવો. વળી ક્યારેક તો તે ગાયબ પણ થઈ જાય છે. છતાં આપણે ખબર છે કે તે આકાશમાં છે. જીવનમાં પણ અમુક સંબંધો આવા જ હોય છે, જે ક્યારેય સળંગ અને સંપૂર્ણ આપણી સાથે નથી રહી શકતા. તેમની હાજરી આપણા જીવનમાં ચંદ્ર જેવી હોય છે. ક્યારેક ઓછી, ક્યારેક વધારે તો ક્યારેક નહીંવત, પરંતુ પોતાની ચાંદનીથી તે હંમેશાં આપણને શીતળતા આપતા રહે છે.

દુનિયામાં આમ તો કોઈ સંપૂર્ણપણે એકલું નથી. કોઈને કોઈ રીતે, કોઈને કોઈ સાથે, દરેક વ્યક્તિ જોડાયેલી છે. કદાચ એ જોડાણ આંખે દેખાતું નથી, કદાચ તે સ્પર્શી શકાય એવું પણ નથી, પરંતુ તે છે. કવિ દીપક બારડોલીકરે પણ આવા ભાવને રજૂ કરતી એક સુંદર ગઝલ લખી છે, તેનાથી અટકીએ.

લોગઆઉટઃ
દિલ છે, દરદ છે, પ્યાસ છે, હું એકલો નથી
ને શબ્દનો ઉજાશ છે, હું એકલો નથી

એકાંતનો આ મોગરો કોળે ગુમાનમાં
એક આગવી સુવાસ છે, હું એકલો નથી

મૂકી ગયું’તું કોઈ ગુલાબો કિતાબમાં
મઘમઘતી એ કિતાબ છે, હું એકલો નથી

સહરા છે, ઝાંઝવાં છે અને ઊડતો ગુબાર
ને કોઈની તલાશ છે, હું એકલો નથી

વાળી’તી જેમાં ગાંઠ જનમભરના સાથની
મુઠ્ઠીમાં એ રૂમાલ છે, હં એકલો નથી

બોલો તો આખી સીમ કરી દઉં હરીભરી
મનની અતાગ વાવ છે, હું એકલો નથી

‘દીપક’ કોઈના સ્પર્શમાં માણી હતી કદી
એ ખુશબૂ આસપાસ છે, હું એકલો નથી

.— દીપક બારડોલીકર

આમ તો ગીતા એ કેવળ ચોપડી છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

છે બધું નિર્ભર તમારા માનવા પર,
આમ તો ગીતા એ કેવળ ચોપડી છે.
— મકરંદ મુશળે

ઉપરનો શેર વાંચતાની સાથે જ જલન માતરીનો અમર શેર યાદ આવી જાય-
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.

આપણે વાવેવાતે પુરાવા અને કારણોની પડપૂછ કરનારા માણસો છીએ. કંઈ પણ થાય તો આ આમ કેમ, પેલું તેમ કેમ? ઊંડી શ્રદ્ધાના સૂર આપણને બોદા સંભળાય છે. આપણી આસપાસ કહેવાતા બાબાઓ, સંતોએ એટલી બધી માયાજાળ પાથરી છે કે ખરા શ્રદ્ધાળુ પણ સૂકા જોડે લીલું બળે તેમ બળી જાય છે.

ગીતા, કુરાન, બાઈબલ આ ગ્રંથો આપણી શ્રદ્ધાના દીવડા છે. મકરંદ મુશળેએ બે જ પંક્તિમાં કેટલી મોટી વાત કરી દીધી છે! શ્રદ્ધાનો દીવો પેટાવતી વખતે અંધશ્રદ્ધાના વાવાઝોડાનો ભોગ બનવું પડે છે. તમે માનો તો છે, નથી માનતા તો નથી. જેમ અંધકારમાં ઊભેલું નાનું ઝાડ કોઈ માણસ હોવાની ભ્રાંતિ ઊભી કરી શકે. કાળરાત્રીએ પવનમાં હલતી ડાળી સાપ હોવાનો ભ્રમ ઊભો કરી શકે. આપણે ભ્રમને સત્ય અને સત્યને ભ્રમ માનવા ટેવાયેલા છીએ. કવિ માનવમનની આ ટેવ બહુ સારી રીતે જાણે છે. તે એમ નથી કહેતા કે આ ગ્રંથમાં જે છે તે સત્ય છે, તે તો વાંચનાર પર છોડે છે, ખરા કવિની એ જ નિશાની હોય છે કે તે પોતાની વાત સાચી ઠેરવવા કારણોનાં ખડકલાં ન કરે.

ચોપડી એ જ, શબ્દો એ જ, છતાં એક માણસ માટે એ જીવનદીપ બની જાય, તો બીજા માટે માત્ર કાગળનો ઢગલો. કેમ? કેમકે પુસ્તકમાં શક્તિ નથી, શક્તિ તો આપણા વિશ્વાસમાં છે. ગીતા એક દર્પણ છે, જેમાં આપણે આપણું જ પ્રતિબિંબ જોઈએ છીએ. જો આપણાં અંતરમાં શંકા હોય, તો ગીતા પણ શંકાસ્પદ લાગે. જો શ્રદ્ધા હોય, તો એ જ ચોપડી ઈશ્વરનો અવાજ બની જાય.

જિંદગી જમીન જેવી છે, શ્રદ્ધા બીજ સમાન અને ગીતા જેવા પવિત્ર ગ્રંથો વરસાદ જેવા. જિંદગીની જમીનમાં શ્રદ્ધાનું બીજ વાવીએ જ નહીં તો ગમે તેટલો વરસાદ ખાબકે, કશું અંકૂરવાનું નથી. કશું ફૂટવાનું નથી. જ્યાં શંકાનો ખાર જામ્યો હોય ત્યાં ગમે તેટલી ખેતી કરો — બધું નકામું.

આ વાત માત્ર ધાર્મિક ગ્રંથો સુધી મર્યાદિત નથી. જીવનના દરેક ક્ષેત્રમાં શ્રદ્ધાનું સત્ય કામ કરે છે. એક શિક્ષક માટે જ્ઞાન જાદુઈ છડીનું કામ કરે છે, તેને શિક્ષણમાં ભરોસો છે, એ જ્ઞાનની છડીથી વિદ્યાર્થીઓને રોશન કરે છે. એક ચિત્રકાર માટે રંગો જીવંનનો પર્યાય છે, કેમકે તેને કલામાં વિશ્વાસ છે. એક પ્રેમી માટે પ્રેમ ઈશ્વરનું બીજું રૂપ હોય છે. કેમકે તેને પ્રેમમાં વિશ્વાસ છે. કવિ માટે લેખન શ્વાસ લેવા બરોબર છે, કલમ હાથમાંથી છીનવો લો, તે જીવતેજીવત મરી જશે.

પણ જે માણસ દ્વિદ્ધાના દરિયામાં ડૂબેલો હોય, તે આ વાત નહીં જાણે. તેને આજે આ બાજુ જવું હોય છે, કાલે પેલી બાજું. રોજ બે-બે ફૂટ ખાડો ખોદનારો માણસ ઊંડો કૂવો ખોદી શકતો નથી. તેની માટે તો એક જ સ્થાન પર વિશ્વાસપૂર્વક મચ્યા રહેવું પડે. વાતેવાતે શંકા કરનારા માણસો રોજ નવો ખાડો ખોદે છે. જેમનું મન ખીચોખીચ અહંકાર, પૂર્વગ્રહો અને શંકાથી ભર્યું હોય તેમનામાં શ્રદ્ધા પ્રવેશી શકતી નથી.

ગીતા એ સમુદ્ર સમાન છે. કોઈ એમાં માત્ર પગ ભીંજવે, કોઈ થોડી અંદર ઊતરી તરતા શીખે, તો કોઈ ઊંડી ડૂબકી મારીને મોતી લઈને આવે. જો આપણે કિનારે ઊભા રહીને કહીએ કે “આમાં કાંઈ નથી,” તો એ આપણો ભ્રમ છે. કેમ કે મોતી તો હંમેશાં તળિયે હોય છે. સૂર્ય સૌ માટે સમાન ઊગે છે, પણ અંધ માટે સૂર્યનો કોઈ અર્થ નથી. એનો અર્થ એ નથી કે સૂર્ય અસ્તિત્વમાં નથી. એનો અર્થ માત્ર એટલો છે કે જો આંખો બંધ હોય, તો પ્રકાશ પણ અંધકાર બની જાય છે. ગીતા પણ એવો જ સૂર્ય છે. જો આપણા અંતરાત્માની આંખો ખૂલી હોય, તો એ પ્રકાશ આપે જો બંધ હોય, તો એ માત્ર એક પુસ્તક જ રહે છે.

ઘણા લોકો એવા પણ છે, જે ગીતા વાંચે છે, પણ તેમને સ્પર્શતી નથી. કેટલાક એવા પણ છે, જેમણે ક્યારેય ગીતા વાંચી નથી, છતાં તેમનાં જીવનમાં જીવંત હોય છે. કારણ કે ગીતા શબ્દોમાં નથી, વિચારમાં છે.

લોગઆઉટઃ

કાચીંડો બેઠો હતો ભગવદગીતા પર,
પંડિતો એમાં ય ઊંડા અર્થસંકેતો જુએ છે.
— અનિલ ચાવડા

કવિતાએ શું કરવાનું હોય?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

શિયાળું રાત્રિએ તાપણું પેટાવે,
ઝાડને ગળચટ્ટી છાંયડી પાડતાં
શીખવે ઉનાળામાં,
ચોમાસામાં કહે વરસાદને –
ખાબકી પડ!

શું શું બનવાનું હોય કવિતાએ?
કાચ સાંધવાનું રેણ?
ભૂખ્યાનું અન્ન?
અનિદ્રાના દરદીની ઊંઘ?
સૈનિકના ઘાવ પર પાટો?
હા!
શિશુના કલશોરનો ઉત્સવ ઉજવવાનો હોય,
ચુંબનતરસ્યાં ફૂલો માટે પતંગિયા બનવાનું હોય,
માતાના સ્તનમાં દૂધ બનવાનું હોય,
શયનખંડના શુષ્ક એકાંતમાં
મધુર ઐક્ય રચવાનું હોય કવિતાએ.

કવિતાએ શું કરવાનું હોય?
જ્યાં ઈશ્વરનાં હાથ ન પહોંચે
ત્યાં પંહોચવાનું હોય કવિતાએ.

– એ બધું તો ખરું જ,
પણ સૌથી મોટું કામ એ કે
તેણે આખું ગામ ઊંઘતું હોય ત્યારે
જગાડવાનો હોય કવિને…

— રમેશ પારેખ

એક કવિ બીજા કવિનો ઇન્ટરવ્યૂ કરે ત્યારે કેવું સુંદર સાહિત્યિક પરિણામ મળે, તે જોવું હોય તો કવિ હરીન્દ્ર દવેએ લીધેલો રમેશ પારેખનો ઇન્ટરવ્યૂ વાંચવો પડે. અહીં તેની એક નાનકડી ઝલક જુઓ.

હરીન્દ્ર દવેઃ કાવ્યની વ્યાખ્યા કરશો?

રમેશ પારેખઃ કાવ્યની વ્યાખ્યા કોણ કરી શક્યું છે? છતાં મારે વ્યાખ્યા કરવાની જ હોય તો, કાવ્ય એટલે ખાલી શીશીમાં ધુમાડો ભરવાની મથામણ.

હરીન્દ્ર દવેઃ એક કવિ તરીકે જિંદગીને કઈ રીતે જુઓ છો ?

રમેશ પારેખઃ એક માણસ પોતાના જખમને જોતો હોય તે રીતે.

કવિતાનું કામ એટલું વિશાળ છે કે તેને એક જ અર્થમાં બાંધી શકાય તેમ નથી. કવિતા જાગૃતિની અવસ્થા છે. અથવા તો, તેને જાગૃતિની અવસ્થા કહેવા કરતાં ય માત્ર એટલું જ કહીએ કે “કવિતા એક અવસ્થા છે”. એ અવસ્થામાંથી ક્યારેક જીવનનો આકરો તાપ નીપજે છે, તો ક્યારેક ધોધમાર વરસાદ. તે અન્ન બનીને ઓડકાર પણ જન્માવે. તો છાંયડો બનીને આકરા તાપમાં શેકાતા કોઈ વ્યક્તિની હામ પણ બની શકે. કોઈ ઘાયલનો મલમ પણ થાય, અને મહોબ્બત પણ. કવિતા ઊંડો ચિત્કાર છે અને ભીનો સત્કાર પણ. કવિતા ઉલ્લાસભર્યો ઉત્સવ છે તો પોકમાં રેલાતો શોક પણ.

જ્યાં સુધી દુનિયામાં માણસ જીવશે, ત્યાં સુધી કવિતા કોઈ ને કોઈ સ્વરૂપે તેનામાં હાજર રહેશે. ક્યારેક નાનાં ખળખળતાં ઝરણા સ્વરૂપે, ક્યારેક પ્રચંડ પૂર માફક. ક્યારેક જૂના-પુરાણા દર્દની યાદ થઈને તો ક્યારેક આવનારી આફતનો નાદ તરીકે. તે અંતરાઆત્માની અભિવ્યક્તિ થઈને નિરંતર વહેતી રહેશે. એક હૃદયથી બીજા હૃદય સુધી, એક મનથી બીજા મન સુધી. એક સંવેદનથી બીજા સંવેદન સુધી.

મનોજ ખંડેરિયા પણ લખે છે કે, “કવિતા તો છે કેસર વહાલમ, ઘોળો સોના વાટકડીમાં.” આ કેસર એટલે આપણી સંવેદનશીલતા અને સોનાવાટકડી એટલે લાગણીભીનું હૈયું. આપણી સંવેદના આપણા હૃદયના ખરલમાં ઘુંટાતી હોય છે, તેનો આસવરસ એ જ કદાચ — કવિતા. રમેશ પારેખ જેવો સંવેદનશીલ કવિ એટલા માટે જ કવિતા પર ભારોભાર શ્રદ્ધા રાખે છે. તે સારી રીતે જાણે છે કે કવિતાએ શું કરવાનું હોય. પોતાની કડકડતી એકલતા લઈને કોઈ ઊભું હોય ત્યાં તાપણું બનવાનું, સંઘર્ષ અને પીડાના તાપમાં કોઈ શેકાતું હોય ત્યાં શીળી છાંયડી થવાનું, સૂકાભડ સંબંધો પર પ્રેમભર્યા વરસાદને ખાબકી પાડવાનું કામ તો કવિતાએ જ કરવાનું હોય. પરંતુ શિશુની કિલકારીથી લઈને વૃદ્ધના ધ્રૂજતા અવાજનો સાદ તેણે જગતમાં પડઘાવવાનો હોય છે.

અને મોટી વાત એ છે કે જ્યાં ઈશ્વરના હાથ પણ ન પહોંચતા હોય ત્યાં કવિતાએ પહોંચવાનું હોય છે. રમેશ પારેખ કહે છે તેમ આખું ગામ ઊંઘતું હોય ત્યારે તેણે સ્વયં કવિને જાગતો રાખવાનો હોય છે. જે સમાજમાં કવિ ઊંઘતો હોય ત્યાં અત્યાચારને વાચા નથી મળતી, આનંદને વ્યક્ત કરી શકે તેવી રવાની નથી જન્મતી. ન તો ત્યાં પ્રશ્ન જન્મે છે, ન તો પડકાર. એક જાગતો કવિ આખા સમાજની ઊંઘ ઉડાડવા માટે કાફી હોય છે. કવિતા જે કરી શકે તે તલવાર પણ નથી કરી શકતી.

લોગઆઉટઃ

કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય?
સરવરો સુકાઈ જાય?
નદીઓ વહેતી થંભી જાય?
ડુંગરા ડોલી ઊઠે?
ઘાસ ઊગતું બંધ થઈ જાય?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય?
ના, ના, એવું એવું તો ના થાય–
પણ… પછી
જળપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુના ફૂલ ના ફૂટે;
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊચેં ના જાય.

કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ, તો કશું ના થાય
એટલે કે કશું થાય જ નહીં!

– જયન્ત પાઠક

આવું તે કોણ હોય કોમળ?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

આવું તે કોણ હોય કોમળ?
તાજા કપાસમાંથી ફૂટ્યું હો રૂ કે પછી વરસ્યાં વિનાનું કોઈ વાદળ!

અડકો તો લાગે કે હમણાં કરમાઈ જશે જાણે લજામણીનો છોડ,
દૃષ્ટિ પડતાં જ એના ધબકારા જાણે એક સામટી મૂકી દે છે દોટ!
ગાલને હથેળી પર એ રીતે ટેકવ્યા, પાંદડી પર બેઠું હો ઝાકળ!

એને તો એની કંઈ પરવાય નંઈ એ તો એના જ હોય સાત સૂરમાં,
ક્યારેક વિચારોના વંટોળે હોય અને ક્યારેક હો કલ્પનના પૂરમાં.
હળવેથી કાન પાસે હોઠને લઈ જાવ અને કહેવાનું એટલું કે સાંભળ-
આવું તે કોણ હોય કોમળ?

— સ્નેહલ જોષી

કવિ સ્નેહલ જોષી કાવ્યારંભે પ્રશ્ન કરે છે, ‘આવું તે હોય કોણ કોમળ?’ એ કોઈ અન્ય વ્યક્તિને આવું નથી કહી રહ્યા, પણ અન્ય વ્યક્તિ વિશે ચોક્કસ કહી રહ્યા છે. જેના વિશે કહી રહ્યા છે, એ વ્યક્તિની કોમળતા તેમના હૈયાના ગુલાબ પર ઝાકળ જેમ બાઝેલી છે. તેમનું નામ છતું નથી કરતા, પણ નમણાશ જરૂર ઊઘાડી આપે છે. વળી એ કોમળતા કેવી? તો કવિ પોતે જણાવે છે, કોઈ બિલકુલ તાજા કપાસમાંથી રૂ ફૂટ્યું હોય તેવી, અથવા તો વરસ્યા વિનાની કોઈ વાદળી આકાશમાં વિહરી રહી હોય તેવી. માત્ર પ્રથમ બે પંક્તિઓ વાંચીએ તો અમુકને કદાચ સ્પષ્ટ ન પણ થાય કે આ કોઈ વ્યક્તિ વિશે વાત થઈ હી છે. પરંતુ અંતરાના ઊંડાણમાં ઊતરીએ તો આપોઆપ કોઈ પ્રણયમગ્ન પ્રેમીની પ્રેયસી વિશેની કોમળતા હૈયાને અડે.

લજામણીના છોડ દ્વારા કવિએ ભાવ અને ભાવના બંને નિરૂપ્યા છે. લજામણીનો છોડ ખૂબ લજ્જાળુ હોય છે, સ્પર્શતાની સાથે તેનાં પાંદડાંઓ સંકોચાઈ જાય છે. અહીં સ્પર્શ માત્ર શારીરિક નથી, નજર માત્ર મળે તો એ લજ્જાળુતા હૃદયના ધબકારામાં ઊભરાતી દેખાય છે. પ્રેમમાં ઘણીવાર આવું બને છે. કોઈ ખાસ વ્યક્તિ સામે આવી જાય, નજરો મળે તો હૃદય જાણે એક ક્ષણ માટે પોતાની ગતિ ગુમાવી દે છે.

કવિએ પોતાની પ્રેયસીની નાજુકાઈ દર્શાવવા માટે એક સરસ પંક્તિ લખી છે, ‘ગાલને હથેળી પર એ રીતે ટેકવ્યા, પાંદડી પર બેઠું હો ઝાકળ!’ ઝાકળનું પ્રતિક અહીં અર્થસભર છે. ઝાકળ ખૂબ નાજુક હોય છે—થોડો પવન, થોડો સૂર્યપ્રકાશ, અને તે ગાયબ. કવિ અહીં સૂચવે છે કે જે પાત્રનું વર્ણન થઈ રહ્યું છે તે અત્યંત લાગણીસભર છે. રૂપની નમણાશ તો ખરી પરંતુ હૃદયની કોમળતા પણ પ્રાથમિક સ્થાને છે. તેની અંદર કવિને સવિશેષ નર્મળતાના દર્શન થાય છે. કયા પ્રેમીને પોતાની પ્રેમિકામાં નિર્મળતા ન દેખાય!

આવી પ્રેયસી જગતના ઘોંઘાટથી પર છે, તેને બહારની પળોજણોની તમા પણ નથી. એ તો પોતાના પ્રણયરંગોમાં લીન છે, વાદ્યોના સૂર નહી, પણ હૃદયના સૂરમાં ખોવાયેલી છે. જે હૃદયના ઋજુ માર્ગમાં ભૂલા પડ્યા હોય તેને જગતના માર્ગોની પરવા નથી હોતી. એ તો પ્રણયપંથના પ્રવાસી હોય છે. હૃદયના ઋજુ માર્ગ પર મળેલી આ પ્રેયસી જ્યારે વિચારોના વંટોળમાં ખોવાયેલી હોય, અથવા કલ્પનાના રંગીન પૂરમાં વહેતી હોય તેવા સમયે તેના કાનમાં જઈને હળવેથી તેને જ પૂછવાનું કે આવુંં કોમળ કોણ હોય? અને જ્યારે તે સમજશે કે આ તો મારા વિશે જ વાત થઈ રહી છે, મારો પ્રશ્ન જ મને પૂછાઈ રહ્યો છે, ત્યારે તેના મુખ પર શરમાળ, લજ્જાળુ સ્મિત ઊભરાઈ આવશે.

પ્રેયસીની લજ્જા અને કોમળતા વિશે અનેક કાવ્યો લખાયાં છે, પરંતુ પ્રેયસી પોતાના પ્રેમીની લજ્જાળુતા વિશે વાત કરે તેવું બહુ ઓછું લખાયું છે. આપણે ત્યાં ભાસ્કર વોરાએ આ વિષય પર એક સુંદર ગીત લખ્યું છે.

લોગઆઉટઃ

પિયુ મારો લીલો લજામણીનો છોડ,
અડકું અડકું ત્યાં તો અણિયાળી આંખ્યુંમાં શરમું ના ફૂટે પરોઢ.

વ્હાલપના વેણ બે’ક બોલું બોલું ત્યાં તો અવળું રે મુખ કરી લેતો,
ઘેન ના રે ઘુમ્મટમાં ઘેરી વળું ત્યાં તો ના રે કહેવાનું કહી દેતો;

એને જોઈ જોઈ કૂણા આ કાળજડામાં જાગે કેસરિયા કોડ
લીલી છમ લાગણીની વેલ જરા ધીરેથી ઊંચી કરીને એને વીંટું,
સાગ તણા સોટા પર ઊઘડતું ફૂલ જેવું ફૂલ હજી ક્યાંયે ના દીઠું;
એને મોહી મોહી બાંધ્યો મેં માહ્યરામાં મનના મિલનનો મોડ.

— ભાસ્કર વ્હોરા