ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
ગઈ કાલે
લોકશાહીના પેટમાં સખત દુખાવો ઊપડ્યો.
ડૉક્ટરે તપાસીને કહ્યું:
'પેટમાં સત્તાની ગાંઠ છે'.
– ફિલિપ ક્લાર્ક
લોકશાહી એવું શરીર છે જેમાં દેશની પ્રજાનું રુધિર વહે છે. કાયદો અને સંવિધાન તેનું હાડ છે, લોકહિત તેની માંસમજ્જા છે. તેમાં સામાન્ય પ્રજાથી લઈને શિખર પર બેસેલા તમામને સમાન હકની ખાતરી આપવામાં આવે છે. શરીરનું દરેક અંગ ખૂબ મહત્ત્વનું છે, આંખ હોય કે કાન, હાથ હોય કે પગ, પીઠ હોય કે છાતી, હૃદય હોય કે મગજ. શરીરમાંથી કંઈ પણ ઓછું થાય તો તરત શરીર જવાબ આપવા માંડે. લોકશાહી કોઈ જીવતું શરીર ન હોવા છતાં, તેની પણ આંતરિક વ્યવસ્થા છે, તેની પણ પાચનશક્તિ છે. આ વ્યવસ્થામાં ગરબડ થાય ત્યારે પેટમાં દુખાવો ઊપડે.
લોકશાહીના પેટમાં દુખાવો ત્યારે ઊપડે, જ્યારે બાગડોર સંભાળનારને પ્રશ્ન પૂછવાનું અશોભનીય કે અપ્રાસંગિક ગણાવા લાગે. વધારે પડતું ગળપણ ડાયાબિટિસ કરી નાખે છે. શાસકોને માત્ર પોતાનાં ગળ્યાં ગળ્યાં વખાણ સાંભળવામાં જ રસ હોય, પ્રજાના પ્રશ્નોમાં જરા પણ રસ ન હોય, ત્યારે એ વખાણ અંદર ખાને ડાયાબિટિસની શરૂઆત હોય છે. પણ કમનસીબ એ કે એ ડાયાબિટિસ લોકશાહીને થાય છે. સરકાર સાથેની અસમહતી જ્યારે દેશદ્રોહ ગણાવા લાગે ત્યારે સમજી જવું કે લોકશાહીના પેટમાં સત્તાની ગાંઠ છે.
સત્તાની ગાંઠ એકાએક નથી થઈ જતી. તે ધીમે ધીમે વિકસે છે, અને એ વિકાસની પ્રક્રિયા ઘણીવાર દેખાતી નથી, કારણ કે તેને સામાન્ય ગણી લેવામાં આવે છે. કોઈ પણ માણસને નાનકડી બીમારી થાય ત્યારે તે ધ્યાન નથી આપતો, સમય જતાં એ બીમારી મોટા રોગનું સ્વરૂપ ધારણ કરે છે. નાનકડી ગાંઠને ફોલ્લી સમજીને અવગણી દેતો માણસ કેન્સરને નોતરી બેસે છે. લોકશાહીના દેહમાં આવી અનેક ફોડલીઓ છે, ગુમડાંઓ છે અને એ ગૂમડાં ગંભીર ગાંઠ બની ગયાં છે.
જ્યારે શાસક પોતાને પ્રજાનો પ્રતિનિધિ નહીં, પરંતુ પ્રજાથી ઉપર માનવા લાગે ત્યાં ગાંઠની શરૂઆત થાય છે. શરૂઆતમાં આ ગાંઠ નાની હોય છે, અસ્વસ્થતા ઊભી કરતી નથી. પરંતુ સમય જતાં, તે લોકશાહીના આંતરિક અવયવોને દબાવતી જાય છે — સંસ્થાઓને, ન્યાયપ્રણાલીને, મીડિયાને, શિક્ષણને. કવિ ફિલિપ ક્લાર્કે માત્ર બેચાર પંક્તિમાં જ ખૂબ ગંભીર અને ઊંડી વાત કરી નાખી છે. કોઈ પણ સમયે પ્રાસંગિક લાગે તેવી આ કવિતા માત્ર સત્તાને જ નહીં, લોકોને પણ પ્રશ્ન કરે છે કે લોકશાહીના પેટમાં સત્તાની ગાંઠ થવા પાછળ ક્યાંક પોતે પણ જવાબદાર નથીને?
લોકશાહીના પેટમાં દુખાવો ત્યારે ઊપડે છે, જ્યારે સંસ્થાઓ પોતાની ભૂમિકા ભૂલી જાય, ન્યાય ખરડાય, અન્યાય માથું ઊંચકે. માહિતી પ્રચાર બની જાય, શિક્ષણ જ્ઞાનને બદલે અનુસરણ શીખવે વગેરે. લોકશાહી માટે આ બધું આંતરિક રોગનાં લક્ષણો છે. આ દુખાવો રસ્તા પર ઊતરે ત્યારે આપણે તેને અશાંતિ કહીએ છીએ, કોર્ટમાં પહોંચે ત્યારે તેને ભાર ગણીએ છીએ, અને ઘરમાં ચર્ચા બને ત્યારે ટાળીએ છીએ. પરંતુ હકીકતમાં, આ દુખાવો લોકશાહીની ચેતવણી છે.
લોકશાહી એટલે By the people, For the people & Of the people હોવું જોઈએ, પરંતુ આજે તે વાત કંઈક આવી થઈ ગઈ છે, Buy the people, Floor the people, Off the people.
સત્તાની ગાંઠ મોટી ત્યારે થાય, જ્યારે સત્તાને પડકારવાનો વિચાર પણ અસ્થાને લાગે. જ્યારે એક વિચારધારા, એક પક્ષ અથવા એક વ્યક્તિ પોતાને દેશ સમાન માનવા લાગે ત્યારે લોકશાહીનું સ્વરૂપ બદલાય છે. દેશ એક જીવંત, બહુસ્તરીય વ્યવસ્થા છે; તેને એક અવાજમાં સમેટવાનો પ્રયાસ એ લોકશાહીના પેટ પર દબાણ છે. આ દબાણ લાંબા સમય સુધી ચાલે તો ગાંઠ વિકસે છે અને પછી દુખાવો અનિવાર્ય બને છે. આ દુખાવાની સૌથી કટુ વાત એ છે કે તેમાં પ્રજાની પણ ભૂમિકા હોય છે. લોકશાહીમાં રોગ માત્ર ઉપરથી નથી આવતો; જ્યારે નાગરિક પોતાની જવાબદારીને માત્ર મતદાન સુધી મર્યાદિત કરે, જ્યારે ખોટી વાત સાંભળીને પણ “મને શું?” કહે, ત્યારે તે ગાંઠને પોષણ પૂરું પાડે છે. લોકશાહી માત્ર શાસકોથી બનેલી નથી; તે નાગરિકોના વિવેકથી જીવંત રહે છે. વિવેકની કમી ગાંઠને મજબૂત બનાવે છે.
લોકશાહીના પેટમાં દુખાવો કોઈ દુર્ઘટના નથી; તે સંકેત છે. જેમ શરીર દુખાવા દ્વારા આપણને ચેતવે છે, તેમ લોકશાહી પણ પોતાની પીડા દ્વારા સમાજને ચેતવે છે. આ પીડાને દબાવવી નહીં, પરંતુ સમજવી જોઈએ. પેનકિલર દુખાવો ઓછો કરે છે, રોગ નહીં. લોકશાહીને પણ તરત શાંતિ આપતી દવાઓ નહીં, પરંતુ લાંબા ગાળાનો ઉપચાર જોઈએ.
લોકશાહીનું પેટ ખાલી ન રહેવું જોઈએ, પણ અતિભરેલું પણ નહીં. ખાલી પેટમાં ભૂખ ઉદ્ભવે છે અને અતિભરેલા પેટમાં ગાંઠ. સંતુલન જ તંદુરસ્તી છે. પ્રશ્ન પૂછવાનો અધિકાર, અસહમત થવાની સ્વતંત્રતા, અને સત્તાને જવાબદાર રાખવાની હિંમત આ ત્રણે મળીને લોકશાહીને સ્વસ્થ રાખી શકે. જ્યારે લોકશાહીના પેટમાં દુખાવો ઊપડે, ત્યારે તેને અવગણવો નહીં, કારણ કે એ દુખાવો આખરે આપણો જ હોય છે.
લોગઆઉટઃ
લોક હો, લોકોપયોગી તો બને;
બોલવાથી લોકશાહી થાય નૈ.
– અશોક વાવડિયા