ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
તડકો... ઘડીકમાં અલબેલો!
તડકો... પળમાં ધોમધખેલો!
સ્હેજ ઊઘડતી આંખ, ઉગમણા આભે ત્યાં તો સોનુ થઇને હળુહળુ રેલાય;
શિરે ચડીને પડછાયાનું ઢીમ ઢાળતો તડકો જાણે ધગધગતી હો લાય;
તડકો દુર્વાસાનો ચેલો!
બારી, બારી બહાર ઓટલે, ચોક, અગાસીમાં વેરાયો મૂઠામૂઠ રે ભાઈ;
ઠંડક નામે રાજને માથે ચડાઈ લઈને તડકો કરતો લૂંટાલૂંટ રે ભાઈ;
તડકો... ગજ્જબ માથાફરેલો!
– હર્ષવી પટેલ
શંકર ભગવાનની ત્રીજી આંખ જેમ ઉનાળો ઊઘડ્યો છે. બપોરે સૂર્યદેવ તો એવા આકરા પાણીએ હોય છે, જાણે કોઈકે તેમને ચીડાવ્યા હોય. તે ભલભલાને પરસેવો છોડાવી દે તેવા રાતાચોળ થઈને આકાશમાં સળગી રહ્યા હોય છે. તેમની સામે ગમે તેવી મોટી તોપ આવે, સુરસૂરિયું થઈ જાય. ગમે તેવો દાદો હોય કે ડોન, શેઠ હોય કે સુરવીર, અરે મોટો રાજા કેમ નથી. બધાને ચુપચાપ ઘરમાં ઘૂસી જવું પડે. જોકે માણસ નામનું પ્રાણી ગજબની આઈટમ છે. તેને બધું કન્ટ્રોલ કરવા જોઈએ, સૂરજ હોય કે ચંંદ્ર, ધરતી હોય કે આકાશ, બધી જગા, બધાં સ્થાન તેને પોતાના તાબામાં જોઈએ. બધું પોતાના કહ્યામાં રાખવાની ટેવ મનુષ્ય નામના પ્રાણીના જિન્સમાં વણાઈ ગઈ છે. પણ સૂરજના પ્રખર તાપની સામે તો આ પ્રાણી બાપડું શુંં કરી શકે, એટલે એણે એસી બનાવ્યું અને પોતાની બખોલને ટાઢી કરીને એયને મજાથી ક્યાંક બગાસા ખાતું પડ્યું રહે છે. પંખીઓ તો ઊડવાની હિંમત પણ નહીં કરી શકતા હોય, માળામાં ચુપચાપ લપાઈને બેઠા હશે. ને પ્રાણીઓ, જ્યાં મળે છાંયડો ત્યાં પોતાનું ઘર બનાવીને આરામ ફરમાવતાં હશે. પણ મનુષ્ય નામના વિચિત્ર પ્રાણીએ સખ નહીં પડે, તેને આજીવિકા રળવાની ચિંતા હોય, કંઈક કરી બતાવવાના ધખારા હોય, બીજા કરતા પોતે કેટલો ચડિયાતો છે, તે સાબિત કરવાની ઝંખના હોય. એટલે તડકો હોય કે ટાઢ તે જંપીને બેસે નહીં. ધનવાનો તો મોટી ટાઢી કારમાં ફર્યા કરે, પણ બાપડા ગરીબો, જેમને બે ટંકનો રોટલો પણ સ્વપ્નવત હોય, તેઓ તાપમાં શેકાતા શેકાતા ય મજૂરી ઢસડ્યા કરે છે. તેમને કદાચ સૂરજના તાપ કરતા હોજરીની આગ વધારે દઝાડતી હશે.
કવયિત્રી શ્રી હર્ષવી પટેલે તડકા વિશે સુંંદર કાવ્ય લખ્યુંં છે. કવિઓને તડકો અલગ અલગ દેખાય છે. કોકને ધોમધકતા તાપમાં ખીલી ઊઠતો પીળો ગરમાળો રાજી કરે છે, તો કોઈને આકરા તાપમાં મજૂરના પગમાં પડેલા ફરફોલા પોતાના પગમાં પડ્યા હોય તેમ દઝાડે છે. હર્ષવી પટેલને ખબર છે કે તડકો અલબેલો પણ હોય છે અને ધોમધખેલો પણ. વહેલી પરોઢે પૂર્વમાંથી અજવાળું રેલતો સોનેરી સૂરજ તો એવું લાગે જાણે સુવર્ણમુદ્રા ચમકી રહી હોય, કવિ મનીષ પરમારે લખેલું,
પર્વતોના ઢાળથી તડકો પડે છે,
સોનું દડવાના અવાજો સાંભળું છું.
રળિયામણા ડુંગર પરથી પડતો તડકો ક્યારેક સોનું દદડી રહ્યાનો ભાસ પણ ઊભો કરી શકે. પણ ખરા ઉનાળે સૂર્ય મધ્યાહ્ને પહોંચ્યો હોય ત્યારે અલગ હોય છે. સવાર-સાંજ લાંબા થઈ જતા પડછાયાઓ પણ ચુપચાપ ટૂંકાટચ થઈ જાય છે. અને પડછાયા પોતે પણ કોઈકની છાયા ઝંખતા હોય તેમ આપણા દેહ નીચે સંતાવા પ્રયત્ન કરતા હોય છે. કવયિત્રીએ તો તડકાને દુર્વાસાનો ચેલો કહ્યો છે, દુર્વાષા એટલે એ ઋષિ જેમના ક્રોધથી ભલભલાને ધોળા દિવસે તારા દેખાઈ જતા. દેવો અને દાનવો બધા દુર્વાસાના ક્રોધથી ફફડી ઊઠતા. આવા ક્રોધિત ઋષિનો ચેલો હોય તેમ તડકો પણ લાલઘૂમ થઈ જાય છે બપોરે.
શેરીમાં થઈને બારીમાં કૂદી પડતો તડકો ચોક, ઓટલા, અગાસી બધે ફરી વળ્યો હોય છે. તેને નથી પરવા કે ગરીબનું ઘર છે કે પૈસાદારનુંં. તેને દયાભાવ કે પક્ષાપાત જેવું કશું નથી. તે તેની ફરજ બરોબર નિભાવશે જ. શિયાળા પછી આવતો ઉનાળો જાણે માથાફરેલો હોય અને ઠંડી ઉપર પોતાનું લશ્કર લઈને ચડાઈ કરી બેઠો હોય તેવો પણ લાગે.
લોગઆઉટઃ
તગતગતો આ તડકો,
ચારેકોર જુઓને કેવી ચગદાઈ ગઈ છે સડકો !
કહો, ચરણ ક્યાં ચાલે? એણે એક ન રાખ્યો રસ્તો,
ઘણું હલાવા હવા મથે પણ તસુ ય તે ના ખસતો,
અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શો તસતસતો
સાવ અડીખમ પડ્યો, કશે યે જરીક તો કોઈ અડકો !
જિદ્દીજનનું મન પણ જેની પાસે લાગે હળવું,
વૈદેહીના ધનુષ્યને પણ રામ કને તો ચળવું,
ગિરિ ગોવર્ધનને યે ટચલી આંગળી ઉપર ઢળવું,
પણ આને ઓગળી દેવા કોણ મેલશે ભડકો !
– નિરંજન ભગત
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો