એ ગલીને હું પરાઈ ના કરું તો શું કરું?

એ ગલીને હું પરાઈ ના કરું તો શું કરું?
ત્યાં જવા પગને મનાઈ ના કરું તો શું કરું?

માત્ર મોઢે માંડ્યું ન્હોતું ઝેર મા પી ગઈ હતી;
તારી સાથે બેવફાઈ ના કરું તો શું કરું?

જાણું છું સંધાય એવું કંઈ હૃદયમાં છે જ નહિ,
ચલ નથી કરતો સિલાઈ, ના કરું તો શું કરું?

બસ હવે તો ચીંથરાં બાકી રહ્યાં છે યાદનાં,
એને સીવીને રજાઈ ના કરું તો શું કરું?

પગલે પગલે દૂર થાતો જાઉં છું તારાથી હું,
ચાલવામાં કંજુસાઈ ના કરું તો શું કરું?

પર્વતો ફેંકાય છે મારી ઉપર ધિક્કારના;
સ્મિતથી ભાંગીને રાઈ ના કરું તો શું કરું?

- અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો