માણસ માણસ સિવાય બધું જ છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે 
આવતી કૉલમ 
અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇન: 

अब तो मज़हब कोई ऐसा भी चलाया जाए।
जिसमें इंसान को इंसान बनाया जाए। 

जिसकी ख़ुशबू से महक जाय पड़ोसी का भी घर
फूल इस क़िस्म का हर सिम्त खिलाया जाए। 

आग बहती है यहाँ गंगा में झेलम में भी
कोई बतलाए कहाँ जाके नहाया जाए। 

प्यार का ख़ून हुआ क्यों ये समझने के लिए
हर अँधेरे को उजाले में बुलाया जाए। 

मेरे दुख-दर्द का तुझ पर हो असर कुछ ऐसा
मैं रहूँ भूखा तो तुझसे भी न खाया जाए। 

जिस्म दो होके भी दिल एक हों अपने ऐसे
मेरा आँसू तेरी पलकों से उठाया जाए। 

गीत उन्मन है, ग़ज़ल चुप है, रूबाई है दुखी
ऐसे माहौल में ‘नीरज’ को बुलाया जाए।

~ गोपालदास नीरज

ભારત સરકારની સર્વોચ્ચ ન્યાયાલયનું એક આદર્શ વાક્ય છે - धर्मो रक्षति रक्षितः આ જ વાક્ય ‘મહાભારત‘ અને ‘મનુસ્મૃતિ‘માં પણ મળી આવે છે. તેનો સરળ અર્થ થાય, જે ધર્મનું રક્ષણ કરે છે ધર્મ તેનું રક્ષણ કરે છે. મોટા ભાગના લોકો ધર્મ એટલે ઈશ્વરની આરાધના, પૂજા, આરતી, યજ્ઞ એવો કરતા હોય છે. ધર્મને આપણે ઈશ્વર સાથે જોડવાથી ટેવાયેલા છીએ. કેમ કે વર્ષોથી પુજારીઓ-સંતો-પંડિતો સત્ય, અહિંસા, માણસાઈ, પરોપકાર, પ્રેમ, સદાચાર, ઉદારતા, દાન વગેરે વિશે વાત કરતા આવ્યા છે. આપણે એ વાતને ધર્મ સમજવાને બદલે વાત કરનારને જ ધર્મ ગણી લીધો. વિચારને ખસેડી વ્યક્તિને કેન્દ્રમાં મૂકી દીધી. એટલા માટે આપણે ત્યાં સંતોનું મહત્વ સત્ય કરતા પણ વધારે છે, ભગવાન કરતા પુજારીનું મહત્વ વધારે છે, જ્ઞાન કરતા ગુરુનું મહત્વ વધુ છે. માણસાઈને હડસેલી માણસ આગળ બેસી ગયો છે. સેંકડો મંદિરો, મસ્જિદો, દેવળો એનું જીવતું જાગતું ઉદાહરણ છે. દર્શન માટે પૈસા, આરતી માટે રીતસર હરાજી થતી હોય તેમ બોલી લગાવાય. ધર્મ અને ભગવાનના નામે જેટલી છોતરપીંડી થઈ છે એટલી બીજા કોઈના નામે નથી થઈ. આ બધા થપ્પા મારી મારીને માણસને માણસ નથી રહેવા દીધો. એ કાં હિન્દુ છે, કાં મુસ્લિમ, કાં ખ્રિસ્તી છે, કાં ઈસાઈ, ખાં બૌદ્ધ છે અથવા જૈન. માણસ માણસ સિવાય બધું જ છે.

મહાન કવિઓ-દાર્શનિકોએ અનેકવાર કહ્યું છે, અનેક વાર લખ્યું છે. પણ આપણી સમજણ સ્મશાનવૈરાગ્ય જેવી છે. સ્મશાનમાં જવાનું થાય ત્યારે જીવનની નશ્વરતા સમજાય. આ ભેદવાવ, આ નાતજાત, આ પદ-પ્રતીષ્ઠા, મારું-તારું, ઉચ્ચ-નિમ્ન બધું વ્યર્થ છે. છેવટે બધાએ આ માટીમાં ભળી જવાનું છે. મૃત્યુ એ જ જીવનનું અંતિમ સત્ય છે. જ્યાં સુધી જીવવું હંમેશાં નીતિના માર્ગે ચાલવું. આવી આવી વાતોનું એક મોટું કીડિયારું ઊભરાય છે મનમાં, પણ જેવા બહાર નીકળીએ કે મનમાં ઊભરાયેલા કીડિયારાને પદ-પ્રતીષ્ઠા જેવા ખાંડના દાણા દેખાવા માંડે છે. નાત-જાત રૂપી લાલચો ઘેરી વળે છે. પોતે શ્રેષ્ઠ હોવાની હવા ભરાઈ જાય છે. કોઈ માણસ પોતાને નિમ્ન માનવા તૈયાર નથી. અને શું કામ માને? બધા જ શ્રેષ્ઠ છે એવું માનીને ન ચાલી શકીએ? તકલીફ ત્યારે થાય છે જ્યારે પોતે બીજા કરતા શ્રેષ્ઠ છે એવા બણગાં ફુંકાવા માંડે. જ્ઞાતિના વાડા રચીને પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવાનું છળ યુગોથી ચાલ્યું આવે છે, કાળા-ધોળા રંગોના ભેદ ઊભા કરીને પણ પોતાની ઉચ્ચતા સાબિત કરવાના પ્રયત્નો થાય છે. અમીર-ગરીબની માપપટ્ટીથી પણ માણસને મપાય છે. 

માણસાઈ કરતા કહેવાતા ધર્મનું મહત્ત્વ વધવા માંડે ત્યારે સમજવું કે સાવધાન થવાનો સમય થઈ ગયો છે. પોતાનો ધર્મ બીજા કરતા શ્રેષ્ઠ છે તેવું બતાવવાની હોડ જામે ત્યારે ખતરાની લાલ બત્તી થઈ રહી છે તેમ સમજવું. એટલા માટે જ ગોપાલદાસ નીરજ જેવા કવિઓએ લખવું પડ્યું કે હવે એવો ધર્મ એવો હોવો જોઈએ જેમાં માણસને માણસ બનાવી શકાય. ભાઈચારાની જ્યોત જ્યાં નિરંતર જલતી રહે. સદાચારના સૂર વહેતા રહે. પ્રેમનાં પુષ્પો ખીલતા રહે. કોઈ એક જણ ભૂખ્યું હોય તેને જોઈને બીજાના ગળે કોળિયો ન ઊતરે તેવી ભાવનાત્મક ચેતના વેકસે ત્યારે ધર્મ પોતે ધન્ય થાય છે. કોઈની આંખો રડતી હોય ત્યારે નાતજાત, ઊંચનીચ જોયા વિના કોઈનો હાથ રૂમાલ બની જાય ત્યારે આપોઆપ ધર્મની ધજા વ્હેંત ઊંચી થાય છે.

લોગઆઉટ:

જ્યાં પાય મારા તહીં શીશ મારું,
જ્યાં દેહ મારો તહીં હૈયું મારું,
વસુંધરાનું વસુ થાઉં તો સાચું,
હું માનવી માનવ થાઉં તો ઘણું!
~ સુંદરમ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો