કાશ્મિરી પંડિતોની દાસ્તાન કવિતારૂપે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

ફેલાશે ફેલાશે અમારું મૌન
સમુદ્રના પાણીમાં મીઠાની જેમ
રગોમાં રક્ત જેમ દોડતું પહોંચશે હૃદયના ધબકારાની એકદમ નજીક
લોટની બોરીમાંથી ઢોળાતા લોટની જેમ આપશે અમારું સરનામું

અમે જ્યાં પણ હોઈએ કોઈ દુઃસ્વપ્નમાં
કે પછી દુઃસ્વપ્ન કરતાં પણ કોઈ ભયંકર વાસ્તવિકતાની ધાર પર
ધરોના ઘાસની જેમ અંધારા સાથે ગુત્થમગુત્થા થઈને
પોતાની માટે જમીન માગશે
હીરાની ચમકતી વીંટી જેમ પડ્યું રહેશે અમારી આંગળીમાં...

શરણાર્થી શિબિરોમાં હંમેશાં માટે ઉદાસ થઈ ગયેલાં બાળકોનું મૌન
બખોલમાંથી કાઢવામાં આવેલ વૃદ્ધોની આંખોનું મૌન,
જે હંમેશાં સત્ય તરફ ખૂલતી હતી
સ્ત્રીઓના હોઠો પર જામી ગયેલી શોકની કાળી નદીનું મૌન
ચૂપ કરાવી દેવામાં આવેલાં તમામ લોકોનું મૌન
બેચેન પંખીની જેમ ઊડશે આ ઝાડથી પેલા ઝાડ પર
ઊંઘના દ્વારની ગુપ્ત સાંકળો ખટખટાવીને ચુપચાપ વિચારોમાં પ્રવેશશે
અને પોતાના લોહીલુહાણ પગલાંની છાપ છોડશે

દરેક આંખ સાથે નજરના તારને બાંધીને એક લાંબું અને મજબૂત દોરડું બનાવશે
સળગતી વખતે બોમ્બની જેમ પડ્યું રહેશે એ પુલની નીચે
જ્યાંથી પસાર થશે જૂઠના હજારો-હજારો પગ
અને ત્યારે અમારા મૌનના ધમાકાથી મોટો બીજો કોઈ ધમાકો નહીં હોય.

— ડૉ. શશિશેખર તોષખાની (અનુ. અનિલ ચાવડા)

કાશ્મીરી પંડિતોની પીડા વ્યક્ત કરતી ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ હમણાથી ખૂબ ચર્ચામાં છે. માત્ર 16 કરોડમાં બનેલી આ ફિલ્મે એક અઠવાડિયામાં સો કરોડ કરતાં વધારે બિઝનેસ કરી લીધો છે. આ જ ફિલ્મની સફળતા દર્શાવે છે. કાશ્મીરી પંડિતોના દર્દની આ કહાની કોઈ પણ પથ્થરદિલ ઇન્સાનનું હૈયું વલોવી નાખે તેવી છે. આ જ વિષય પર આ જ ફિલ્મમાં કામ કરતા એક્ટર અનુપમ ખેરે 2017માં એક કવિતાનો વીડિયો બનાવીને ટ્વિટર પર શેર કર્યો હતો. કવિતાનું શીર્ષક હતું ‘ફૈલેગા હમારા મૌન’ અને તેના કવિ છે ડૉ. શશિશેખર તોષખાની. શશિશેખર તોષખાની કાશ્મીરના જાણીતા કવિ, ભાષાશાસ્ત્રી અને લેખક છે.

હિટલરે યહુદીઓ ઉપર આકરો અત્યાચાર કર્યો તેને જગત ભૂલવા દેવા માગતું ન હોય તેમ દર વર્ષે આ તેની પર એકાદ બે ફિલ્મો બને જ છે. અને તે છેક ઓસ્કાર એવોર્ડ સુધી પહોંચે છે. યહુદીઓના ચિત્ત પર પડેલા એ કારમા ઘા કોઈને કોઈ કલા રૂપે સતત જિવંત રાખવામાં આવે છે. આપણે ત્યાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર વિશે કોઈને ખબર જ નથી. પણ વિવેક અગ્નિહોત્રીઓ તેના સત્યને બખૂબી પરદા પર ફિલ્મરૂપે રજૂ કર્યું તો લોકો તે જોઈને શોકમાં ડૂબી જાય છે. ઘણું સત્ય માત્ર કડવું જ નહીં, ઝેરી પણ હોય છે, જ્વાળામુખી જેવું તીવ્ર પણ હોય છે. અમુક અત્યાચારની કલ્પના પણ થઈ શકતી નથી.

શશિશેખર તોષખાની મૂળ કાશ્મીરના વતની હોવાથી ત્યાંના પ્રશ્નો અને પીડાથી ખૂબ સારી રીતે અવગત છે. જે અનુભવમાં પરોવાય છે તેને કોઈ કલ્પના પણ પહોંચી શકતી નથી. ખરેખર તો હકીકત કલ્પના કરતા વધારે ભયંકર હોય છે અને દરેક કલ્પનાની જનની પણ અમુક રીતે હકીકત જ હોય છે. કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર વર્ષો સુધી મૌનની પછેડી ઢંકાયેલી રહી, કોઈએ તેના વિશે વાત ન કરી. પણ આ મૌન દરિયાના પાણીમાં રહેલા મીઠાની જેમ એક દિવસ ચારે તરફ ફેલાશે એવી વાત શશિશેખર તોષખાનીએ કરેલી, વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ એ વાત સાચી પાડી.

દુઃસ્વપ્નથી ડરી જતો માણસ ક્યારેક એ દુઃસ્વપ્ન કરતાં પણ વધારે ભયંકર હકીકતના છેડા પર આવીને ઊભો રહે ત્યારની સ્થિતિ અવર્ણનીય હોય છે. ધાર્મિક કટ્ટરતા માણસને કઈ હદે લઈ જઈ શકે છે તેની કોઈ સીમા નથી. ધર્મ ખરેખર તો માનવીની આધ્યાત્મિકતાને પોષવા માટે રચાયો હતો, પણ માનવી ધર્મ માટે બન્યો હોય તેવું વાતાવરણ થઈ ગયું છે. રિવાજ માણસ માટે હોય છે, માણસ રિવાજ માટે નથી હોતો તેટલું નાનકડું સત્ય સમજાઈ જાય તોય ઘણા પ્રશ્નો હલ થઈ જાય. કાશ્મીરી પંડિતોની પીડા મૌનમાં ધરબાયેલી રહી. એ મૌન શરણાર્થી શિબિરમાં રહેલા બાળકોની ઉદાસીમાંથી, વૃદ્ધોની બખોલ જેવી થઈ ગયેલી આંખોમાંથી કે શોકાકુળ સ્ત્રીઓના હોઠ પર જામી ગયેલા ચિત્કારમાંથી એક દિવસ પ્રગટશે. સત્યને કાયમ માટે ઢાંકીને રાખી શકતું નથી. કવિતામાં પ્રગટેલું સત્ય તો યુગો સુધી ટકતું હોય છે. શિશેખર તોષખાનીએ કાશ્મીરી પંડિતોના મૌનને જાણે કે વાચા આપી છે. દરેક પીડાને પોતાની અભિવ્યક્તિ હોવી જોઈએ.

લોગઆઉટઃ

જે ઘરવાપસીની વાત કરતા હતા
તેમની જીભ પર તાળાં લાગી ગયાં છે.

આઝાદ અને બેફિકરાઈપૂર્વક જીવવાના ઓરતા થાકીને લોથપોથ થઈ ગયા છે
સવાર તો રોજ પડે છે, પણ શું સાંજ પડશે?
આ સવાલ પૂછે છે એ આંખો, જેમની નજરો એકધારી આંગણાને જોઈ રહી છે
કે એ આવશે અને તેમની દિવસભરની વાતો કરશે
આ કેવી આઝાદી, આ કેવું લક્ષ્ય, આ કેવું સનકીપણું
આ કેવી શાંતિ, આ સડકો પર પથરાયેલો લાલ રંગ કોઈ રંગ નથી
આ એક સાબિતી છે, આ તો માસુમોનું લોહી છે
ફરી એક વાર તે બધાં પોતાનું મકાન છોડીને ચાલ્યા ગયા છે
પોતાની ઓળખ અને સ્મિત છોડીને ચાલ્યા ગયા છે
જે કાશ્મીરને લોહીથી રંગી દેવામાં આવ્યું એ કાશ્મીર ક્યાં અમારું છે?

— શ્રિયા ત્રિશલ (અનુ. અનિલ ચાવડા)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો