આપણે છૂટા પડ્યા ’તા જે ક્ષણે આઘાત સાથે,
એ પછી કાયમ વીત્યો મારો સમય ઉત્પાત સાથે.
જોરથી ભૂતકાળને ભટકાઈને વાગ્યો મને એ;
મેં સ્મરણનો જે દડો ફેંક્યો હતો તાકાત સાથે.
સ્મિત જ્યારે પણ કર્યું ત્યારે ઉદાસીન થઈ ગયો હું,
એમ થાતું કે અગર તું હોત તો હરખાત સાથે.
પત્ર ટુકડે ટુકડે વાંચ્યો તો અસર એની અલગ થઈ,
થાત એની પણ અસર નોખી અગર વંચાત સાથે!
ચાંદ-તારા-સૂર્ય ને સર્વે ગ્રહો ગોથે ચડ્યા છે,
ગરબડો કોણે કરી મારા દિવસ ને રાત સાથે?
કાશ, આ આગળ ધપી ચૂકેલ વેળા મારી મા હોત,
હું ય બાળક જેમ દોડીને તરત થઈ જાત સાથે.
– અનિલ ચાવડા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો