ઘર

(1)
બળદની ખૂંધ પર જે રીતે ખેડૂત પરોણાની આર મારે તેમ
વર્ષોથી ખાલી પડેલા ઘરના મોભારાની એક તિરાડમાંથી
સૂરજ રોજ ઘરની ખૂંધ પર કિરણના પરોણાની આર માર્યા કરે છે.

(2)
ઈંટ, સિમેન્ટ અને લાકડાઓના ટેકે શું ઊભું છે?
એ તો રામ જાણે
ઘર તો ક્યારનું ઘર છોડીને ભાગી ગયું છે.

(3)
રોજ અડધી રાત્રે
ક્યાંકથી એક દીવાની જ્યોત
ઊડતી ઊડતી આવે છે
અને ઘરમાં જઈને અદૃશ્ય થઈ જાય છે
ઘરમાં અજવાળાનો એક ટુકડો
સતત રિબાય છે

(4)
લોકો કહે છે
રોજ રાત્રે એ ઘરમાં કોઈક રડતું હોય છે
બધા કહે છે એ ભૂત છે…
પણ શું
ઘર પોતે રડતું ન હોઈ શકે?

(5)
તું કહેતો હતો,
ઘરની અંદર વર્ષોથી કોઈ ચિત્રો દોરી રહ્યું છે’
તો દોરે જ છે ને!’
પણ અંદરની દીવાલ પર તો ઊખડેલાં પોપડાં સિવાય બીજું કંઈ જ લાગતું નથી,
બધું વર્ષોથી આમ જ ખાલીખમ પડ્યું હોય એમ લાગે છે.’
હું એ જ તો કહું છું, ત્યાં વર્ષોથી કોઈ ખાલીપો ચીતરે છે.’

અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો