ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઈન:
મઝધારમાં ડૂબી રહ્યું હો વ્હાણ, દીકરી,
એવું જ મારું જીવવું તું જાણ, દીકરી!
હું ક્યાં રમી શકું છું તારી સાથ સ્હેજ પણ
શય્યામાં થનગને છે મારા પ્રાણ, દીકરી!
મારા વિના તું જીવવાનું લાગ શીખવા
ટૂકું છે બહુ મારું અહીં રોકાણ, દીકરી!
ભૂલી નથી શક્તો હું ઘડીકે ય કોઈને,
જબરું છે બહુ કુટુંબનું ખેંચાણ, દીકરી!
સાકાર હું કરતો હતો એક સ્વપ્ન આપણું,
એમાં પડ્યું છે અધવચે ભંગાણ, દીકરી!
જો પ્રાર્થના કરે તો તું એમાં ઉમેરજે:
મારું પ્રભુ પાસે બને રહેઠાણ, દીકરી!
– જગદીશ વ્યાસ
૪૭ વર્ષની ઉંમરે કેન્સરને લીધે અવસાન પામનાર કવિએ પોતાની દીકરીને સંબોધીને આ ગઝલ લખેલી. કવિ જગદીશ વ્યાસની આ ગઝલ વાંચતી વખતે શય્યા પર પડેલા એક પિતા દેખાય છે, મૃત્યુ ધીમેધીમે તેમની નજીક આવી રહ્યું છે અને તેની બાજુમાં નાનકડી દીકરી ઊભી છે.
કવિ પોતાના જીવનને ડૂબતા વહાણ સાથે સરખાવે છે. તે એક દૃશ્ય બતાવે છે, મઝધાર અને તેમાં ડૂબતું વહાણ. પિતા દીકરીને પોતાની વિદાય સમજાવવા માટે મૃત્યુની ભાષા નહીં, રૂપકની ભાષામાં વાત કરે છે.
પરંતુ આ ગઝલની સૌથી કરુણ બાબત મૃત્યુ નથી. કરુણ બાબત છે અધૂરું રહી જતું પિતૃત્વ. નાનકડી દીકરીને પિતા પાસેથી શું જોઈએ? કોઈ વારસો, મિલકત કે બોધપાઠ? ના, તેને તો રમવું છે. પપ્પાની આંગળી પકડીને બહાર જવું છે. કોઈ ઢીંગલી બતાવવી છે. ફરિયાદ કરવી છે. બાળકનો પ્રેમ બહુ સરળ હોય છે, તેને માત્ર સમય જોઈએ છે. અને માણસ જ્યારે મૃત્યુની નજીક પહોંચે ત્યારે તેને પહેલી વાર સમજાય છે કે દુનિયાની સૌથી મોંઘી વસ્તુ સમય જ હતો.
પિતા પથારીમાં છે. શરીર ઊઠી શકતું નથી, પરંતુ પ્રાણ ‘થનગને’ છે. આ એક શબ્દ આખી પરિસ્થિતિને અસહ્ય બનાવી દે છે.
પિતા પોતાની દીકરીને દુનિયાનો સૌથી અઘરો પાઠ શીખવી રહ્યા છે, ‘મારા વિના જીવવાનું શીખ.’ એક ક્રૂર, છતાં કેટલું વહાલભર્યું વાક્ય! સામાન્ય રીતે પિતા દીકરીને સાઇકલ ચલાવતાં, રસ્તો ઓળંગતાં, વસ્તુઓ સાચવતાં, દુનિયાથી સાવચેત રહેતાં શીખવે છે. પણ અહીં એક પિતા પોતાની દીકરીને પોતે ન હોય એવી દુનિયામાં જીવતાં શીખવવા માગે છે. મૃત્યુ નજીક આવે ત્યારે માણસને પોતાના મરવાનું દુઃખ ઓછું અને પોતાના પછી જીવતા રહેનારાઓની ચિંતા વધારે થતી હોય છે. કદાચ પ્રેમની આ જ છેલ્લી અવસ્થા છે.
માણસની સૌથી મોટી ગેરસમજ કદાચ એ જ છે કે તે ‘રોકાણ’ને ‘માલિકી’ માની બેસે છે. આપણે કહીએ છીએ મારું ઘર, મારી જમીન, મારી કાર, મારું કુટુંબ, મારું જીવન. પરંતુ એક દિવસ એવો આવે છે જ્યારે મારું મટી જાય છે ને ‘મરું‘ રહી જાય છે. મૃત્યુ માણસને શરીરમાંથી બહાર લઈ જઈ શકે, સંબંધોમાંથી નહીં. માણસ એકલો જન્મે છે અને એકલો જાય છે એવું કહેવાય છે; પરંતુ માણસ એકલો જાય છે ખરો? તેની સાથે કેટકેટલું જતું રહે છે, અને પાછળ કેટકેટલું રહી જાય છે!
દરેક પિતા દીકરી માટે ઘણાં સ્વપ્ન જોતા હોય છે. દીકરી મોટી થશે. ભણશે. સફળતા મેળવશે. લગ્ન કરી નવજીવન શરૂ કરશે. પણ આ પિતાને ખબર છે કે એ બધાં દૃશ્યોમાં તે નહીં હોય. દીકરી મોટી થશે, પરંતુ તેને જોનાર આંખો નહીં હોય. દીકરી જીતશે, પણ પીઠ થાબડનાર હાથ નહીં હોય. દીકરી પાનેતર પહેરશે, પણ વહાલથી નિરખતી પિતાની આંખો નહીં હોય.
કેટલી વિચિત્ર વાત છે મૃત્યુ માત્ર ભવિષ્યથી વંચિત નથી કરતું; તે પ્રિયજનો સાથે જોવાયેલા સપનાથી પણ વંચિત કરે છે. મૃત્યુ આવે ત્યારે માત્ર માણસ નથી મરતો; તેની સાથે અનેક અધૂરાં ભવિષ્યો પણ મરી જાય છે. પહેલાં પિતાનું રહેઠાણ ઘર હતું; હવે પ્રભુ પાસે થશે. સરનામું બદલાશે, સ્નેહ નહીં.
આ ગઝલ વાંચ્યા પછી એક અસ્વસ્થ કરતો વિચાર મનમાં રહે છે. આપણે આપણા સ્વજનો સાથે એવું વર્તીએ છીએ જાણે આપણી પાસે અખૂટ સમય છે. બાળક કહે, ‘પપ્પા, રમો ને!’ આપણે કહીએ, ‘પછી.’ પત્ની કહે, ‘થોડી વાર બેસો.’ આપણે કહીએ, કામ કરી લઉં. માતા ફોન કરે, તો કહીએ, વ્યસ્ત છું.’ મિત્ર મળવાનું કહે, આપણે પછી કહીએ. આપણું આખું જીવન ‘પછી’ નામના એક એવા ખાતામાં જમા થતું રહે છે, જેની કોઈ ગેરંટી નથી. એક દિવસ પૈસા, ઘર, પ્રતિષ્ઠા, સિદ્ધિની દોડમાં જીવન ખતમ થઈ જાય છે, પણ ‘પછી’ નથી આવતું.
જીવનની સૌથી મોટી વિડંબના મૃત્યુ નથી; જે જીવવાનું હતું તે જીવ્યા વિના મરી જવું તે છે. જગદીશ વ્યાસની આ ગઝલ આપણને મૃત્યુથી ડરાવતી નથી. તે આપણને જીવન તરફ ધકેલે છે.
લોગઆઉટઃ
દીકરીએ પ્હેરતાં પ્હેરી લીધાં
મારાં ચંપલ, માપ ખોટું નીકળ્યું
એનું પગલું, સ્હેજ મોટું નીકળ્યું
– ઉદયન ઠક્કર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો