શિષ્ટતાના પાટિયા સામે અસંસ્કારી વિદ્રોહ

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

હર સુંવાળા શબ્દ પર પેશાબ કર,
બેધડક પેશાબ કર, પેશાબ કર.

હો બુઝુર્ગી બોર્ડ – ‘મૂતરવું નહીં’-
એ જ સ્થળ પર તાઉમર પેશાબ કર.

શ્વેત અધિવેશન થશે કર્બુર જરા,-
મંચ પર તું રાત ભર પેશાબ કર.

આ પરબ! આહા પરબ! ઓહો પરબ!
મન થયે શામોસહર પેશાબ કર.

બાઅદબ મધુમેહિયા સાહિત્ય પર
યૂરિયાથી તરબતર પેશાબ કર.

– શિલ્પીન થાનકી

કેટલીક કવિતાઓ સુગંધ ફેલાવે, કેટલીક આંખ ભીની કરે; કેટલીક આપણને આપણા સમયની દુર્ગંધનો અનુભવ કરાવે. કવિ જ્યારે વ્યવસ્થાની દુર્ગંધને ઓળખી લે ત્યારે તેની પર ઢાંકપિછોડો નથી કરતો, પણ તે જેવી હોય તેવી આપણી સામે ધરી દે છે. શિલ્પીન થાનકીએ આજથી પિસ્તાળીસ વર્ષ પહેલાં લખેલી આ ગઝલ આજે પણ એટલી જ સટીક લાગે છે.

તેમની ભાષા કદાચ અશિષ્ટ લાગી શકે, પણ તેમાં શિષ્ટતાના નામે ચાલતી સદીઓ જૂની છેતરપિંડી સામેનો વિદ્રોહ છે. અહીં ‘પેશાબ’ કોઈ શારીરિક ક્રિયા નથી; તે બનાવટી પવિત્રતાનો અસ્વીકાર છે. કવિ આ ગઝલ દ્વારા પાખંડનાં પડ ઉખાડે છે. કવિનું નિશાન એ સૌંદર્ય છે, જે ઘાવની ઉપર ગુલાબ મૂકીને, પછી ગુલાબની ચર્ચામાં ઘાવને ભુલવાડવાનું કામ કરે છે. સમાજ અશિષ્ટતાથી ડરે છે. લોકો ગાળ બોલનારને અસંસ્કારી કહે છે, પરંતુ સેંકડોની જિંદગી રફેદફે કરી નાખનારને માનનીય કહીને મંચ પર બેસાડે છે. સૌથી મોટી કરુણતા એ છે કે અપરાધ કરતાં અપરાધનું ઉચ્ચારણ વધારે અશ્લીલ માનવામાં આવે છે. આપણને ગંદકી સામે વાંધો નથી; ગંદકી બતાવતી આંગળી સામે વાંધો છે. અન્યાય ગમે તેવો ચાલશે, પણ અન્યાય સામેનો અવાજ શિષ્ટ હોવો જોઈએ! જાણે આગને સૂચના આપવામાં આવી રહી હોય કે ઘર સળગાવે, પણ ધુમાડો શિસ્તપૂર્વક કરે!

બુઝુર્ગ શુબ્દ અહીં ઉંમર માટે નહીં, પણ વ્યવસ્થાથી ઊભા થતા અંતરાય માટે છે. પરંપરા મૂળ આપે ત્યાં સુધી વાંધો નથી, પણ પગમાં સાંકળ બાંધે ત્યારે તે પૂજવા જેવી નહીં, તપાસવા જેવી બની જાય છે. જોકે માણસે દરેક પ્રતિબંધનો વિરોધ ન કરવો જોઈએ; પ્રથમ પ્રતિબંધનું કારણ જાણવું જોઈએ. કારણ વિનાનું આજ્ઞાપાલન જડતાને દૃઢ બનાવે છે. ક્રાંતિ સૂત્ર બોલવાથી જન્મતી નથી; સૂત્રની કિંમત ચૂકવવાથી જન્મે છે. ક્ષણિક બળવો તસવીર બને, આજીવન બળવો ઇતિહાસ.

કવિ સાહિત્યનાં ‘શ્વેત અધિવેશન’ સુધી પહોંચે છે. શ્વેત અર્થાત્ સ્વચ્છતાનો દાવો. પરંતુ દરેક સફેદ પડદો ચોખ્ખાઈનું પ્રતીક નથી હોતો; કેટલાંક પડદાઓ પર લોહીના ડાઘ વધુ સ્પષ્ટ દેખાય છે. બહારથી ધોળાં દેખાતાં અધિવેશનોની અંદર કાળી ગણતરીઓ ચાલતી હોય છે. કોણ મંચ પર બેસશે, કોની પ્રશંસા થશે, કોને પુરસ્કાર મળશે, કોનું મૌન ખરીદાશે અને કોનો અવાજ અટકાવી દેવાશે. મંચ વિચારને ઊંચાઈ આપવા માટે હોય છે, પણ ઘણીવાર એ માણસને ઊંચો કરીને વિચારને નીચો કરી દે છે.

જે મંચ માત્ર પરસ્પર પ્રશંસાનાં પુષ્પો જ વહેંચે, તે સાહિત્યનો ઉત્સવ નહીં, અહંકારની ઉજવણી બની જાય છે. ત્યાં દરેક વ્યક્તિ શિરોમણિ હોય છે અને સત્ય ક્યાંક ખૂણામાં બેઠું હોય છે. સાચો સર્જક મંચને નહીં; મંચ પરથી બોલાતા સત્યને પવિત્ર માને છે. મંચ ભવ્ય હોવો જરૂરી નથી, મંચ પરથી બોલાયેલો શબ્દ દિવ્ય હોવો જોઈએ. જ્યાં સત્ય બોલવા માટે મુહૂર્ત જોવામાં આવતું હોય ત્યાં અસત્ય સત્તા પર બેસી જાય છે.

વધારે પડતી મીઠાશ ડાયાબિટિસ નોતરે છે. સાહિત્યમાં પણ જ્યારે પ્રશંસા, પીઠથાબણ પ્રવૃત્તિ અને ખોખલા સૌજન્યની મીઠાશ વધી જાય ત્યારે કલાની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. અતિમીઠું સાહિત્ય સમાજના ઘા ભરી શકતું નથી; ઊલટાનું ઘાવ રુઝતા અટકાવે છે. ભાષા દરેક દુઃખને શણગારવા લાગે, વિસંગતિને રૂપકોમાં છુપાવવા લાગે અને સત્તા સામે નમવા લાગે ત્યારે સમજવું કે સાહિત્યની નસોમાં ખાંડ વધી ગઈ છે. એવા સાહિત્યને કડવી પ્રામાણિકતા જોઈએ. સમાજ જે વસ્તુને કચરો કહે છે, કુદરત ત્યાં ફૂલ ઉગાડે છે. સાહિત્યનો વિદ્રોહ પણ એવો જ હોવો જોઈએ, દુર્ગંધને ઢાંકે નહીં, તેને રૂપાંતરિત કરે.

જોકે વિદ્રોહનો અર્થ દરેક મૂલ્યને અપમાનિત કરવાનો નથી. સાચો બળવાખોર મંદિર તોડતો નથી; મંદિરમાં ચાલતા વેપારને પડકારે છે. તે વડીલને નકારતો નથી; વડીલપણાની આડમાં જીવતી જડતાને નકારે છે. તે સાહિત્યનો તિરસ્કાર કરતો નથી; સાહિત્યના નામે ચાલતા અહંકારનો ધિક્કારે કરે છે. સાચું સાહિત્ય હંમેશાં સુગંધિત નથી કરતું; ક્યારેક તે આપણને આપણી જ દુર્ગંધનો પરિચય કરાવે છે.

લોગઆઉટઃ

કદી પૂછે જો કોઈ મારી ‘આખરી ખ્વાહિશ’
કહું કે ‘કરવો છે પેશાબ આ હયાત ઉપર!’
– ભાવેશ ભટ્ટ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો