ક્યાં કહ્યું એવું, ધજાની જેમ ફરફરવું નથી

ક્યાં કહ્યું એવું, ધજાની જેમ ફરફરવું નથી,
પણ હવાને એની માટે મારે કરગરવું નથી.

કમનસીબી! મારી બહુ સેવા કરી તેં, જપ હવે,
શું? હજી કરવો નથી આરામ? પરહરવું નથી?

આમ પરવશ ફૂલ કરતાં થોરનો અવતાર દે,
કોઈ માળીની કૃપાથી મારે પાંગરવું નથી.

એવું લાગે તો હું કૂણું પાન નહિ પથ્થર બનીશ,
પણ પવનની ધાકથી સ્હેજેય થરથરવું નથી!

હોય મૂશળધાર ભીંજાવા જો તત્પર તો મળો;
મારે ચપટીએક વાછટ જેમ ઝરમરવું નથી!

આંખ ખર્ચાઈ ગઈ, ઘટના જ કંઈ એવી હતી;
મન ઘણું મક્કમ કર્યું‘તું આંસુ વાપરવું નથી.

જો ઉતરવું પણ પડે તો મંચથી ઉતરીશ હું,
પણ ગઝલમાં સહેજ પણ કક્ષાથી ઉતરવું નથી!

- અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો