ના ગાઈએ કશું ય કે રંગાઈએ નહીં

ના ગાઈએ કશું ય કે રંગાઈએ નહીં;
ખુદને જ કોઈ દી અમે સમજાઈએ નહીં!

આથી કરૂણ બીજી તો બરબાદી હોય કઈ?
બરબાદ હોઈએ અને દેખાઈએ નહીં!

એવું ઘણીય વાર આ વરસાદમાં થતું;
પલળી તો જઈએ પણ અમે ભીંજાઈએ નહીં!

ચુપચાપ તોય ખાઈ ગયો ગમ બધાય હું;
માએ કહ્યું‘તું એકલા કંઈ ખાઈએ નહીં!

તૂટ્યું ફૂટ્યું હૃદય છીએ બસ આપણે અનિલ;
આકાશ તો નથી જ કે સંધાઈએ નહીં!

~ અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો