ના ગાઈએ કશું ય કે રંગાઈએ નહીં;
ખુદને જ કોઈ દી અમે સમજાઈએ નહીં!
આથી કરૂણ બીજી તો બરબાદી હોય કઈ?
બરબાદ હોઈએ અને દેખાઈએ નહીં!
એવું ઘણીય વાર આ વરસાદમાં થતું;
પલળી તો જઈએ પણ અમે ભીંજાઈએ નહીં!
ચુપચાપ તોય ખાઈ ગયો ગમ બધાય હું;
માએ કહ્યું‘તું એકલા કંઈ ખાઈએ નહીં!
તૂટ્યું ફૂટ્યું હૃદય છીએ બસ આપણે અનિલ;
આકાશ તો નથી જ કે સંધાઈએ નહીં!
~ અનિલ ચાવડા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો