એવી ખબર થોડી જ હોય?

એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય?
ને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય?
હા ખબર છે મેં જ તો કીધું હતું એને: સ્મરણ કોદાળી જેવાં હોય છે,
એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય?
જેમને દિવસે નહોતાં આવવા દીધાં મેં મારી આંખમાં એ દૃશ્ય સૌ,
અડધી રાતે પાંપણોનાં બારણાં ખખડાવશે એવી ખબર થોડી જ હોય?
મન ઉપર ઇચ્છાની નાની ફોડલી થઈ ગઈ હતી તો ફોડી નાખી એને મેં,
આ ગુનામાં દેહ આખો ફાંસીએ લટકાવશે એવી ખબર થોડી જ હોય?
ભીતરી દુષ્કાળને જો નાથવો હો તો બલિ તો જોઈએ એવું કહી,
માથું મારાં સેંકડો સપનાંઓનું છેદાવશે એવી ખબર થોડી જ હોય?
ઝેર, ફાંસો કે નદીમાં ડૂબવી દેવાની સઘળી કોશિશો પણ વ્યર્થ ગઈ,
જિંદગી! તું વારતાને આ હદે લંબાવશે એવી એવી ખબર થોડી જ હોય?
– અનિલ ચાવડા
કાવ્યપઠન સાંભળો યૂટ્યુબ પર...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો