ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

એ ટોટલ સોળ હતા.
એક અસહાય છોકરી પર બળાત્કાર કરનારા.
આઠ હિંદુ
છ મુસલમાન
બે ખ્રિસ્તી.

યુરેકા યુરેકા
સાંપ્રદાયિક એકતા !
સાંપ્રદાયિક એકતા !

- મલયાલી કવિ કુરીપુઝા શ્રીકુમાર, અનુવાદઃ ઇલિયાસ શેખ


ગ્રીસના પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક આર્કિમિડિઝને તેમના રાજાએ એક મુગટ આપ્યો અને કહ્યું કે આમાં મને અન્ય ધાતુની મિલાવટ કરી હોય તેમ લાગે છે. તપાસ કરો. વળી આ મુગટને તોડ્યા વિના જ તેમાં ધાતુની મિલાવટ છે કે નહીં તે જાણવાનું હતું, કેમ કે મુગટ સાથે રાજાની ધાર્મિક શ્રદ્ધા જોડાયેલી હતી. મુગટને તોડીએ તો તો દેવતાઓ કોપાયમાન થાય. આર્કિડિઝ બહુ દિવસ મથ્યો પણ મુગટને જરા પણ નુકસાન કર્યા વિના કઈ રીતે તપાસવું તે સમજાતું નહોતું. એક દિવસ તે બાથટબમાં નહાતા અને અને અચાનક તેમને ધાતુના મિશ્રણને શોધી કાઢવાનો આઇડિયા મળી ગયો. તે એટલા ઉત્સાહમાં આવી ગયા કે નિર્વસ્ત્ર સ્થિતિમાં જ શહેરની ગલીમાં યુરેકા યુરેકા કરીને દોડવા માંડ્યા. અર્થાત્ મળી ગયું, મળી ગયું…


આ જ યુરેકા શબ્દનો ઉપયોગ કરીને મલ્યાલમ કવિ કુરીપુઝા શ્રીકુમારે ખૂબ ધારદાર કવિતા લખી છે. જાણી કોઈ મોટી શોધ કરી હોય તેવા સંદર્ભમાં તે સમાજ પર, અને આપણી સાંપ્રદાયિક એકતાની દંભી વાતો પર જનોઈવઢ ઘા કરે છે. કવિતાનું શીર્ષક છે - યુરેકા.


મલયાલમ ભાષાના આ મોડર્ન મલ્યાલમ સાહિત્યમાં મોખરાનુંં નામ છે. સમાજમાં પ્રવર્તતા પ્રશ્નોને પોતાની કવિતામાંં તેઓ બખૂબી રજૂ કરે છે. ધર્મ, પરંપરા અને સમાજના નામે ચાલતા દંભો પર તેમણે આકરા ચાબખા માર્યા છે. તેમના શબ્દો તીખા છે, હૃદયમાં ખંજર ઘોંપાયું હોય તેમ વાગે છે. કવિ ઇલિયાસ શેખે તેમની કવિતાનો ખૂબ સરળ રીતે અનુવાદ કર્યો છે.

આપણે ત્યાં અનેકવાર ગેંગરેપના કિસ્સાઓ બને છે. નાની બાળકી પર તૂટી પડેલા નરાધમો, એકલી જોઈને યુવતી પર પાશવી બળાત્કાર, જેવા અનેક સમાચારો વાંચીને આપણે ધ્રૂજી ઊઠતા હોઈએ છીએ. આવી ઘટનામાં ન્યાય અન્યાયને બાજુમાં મૂકીને ઘણા લોકો ધર્મના ઉંબાડિયાં કરવા માંડે છે. રાજકીય રંગ પણ અપાય છે. કવિએ કવિતામાં એક બળાત્કારના કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. એક અસહાય છોકરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. તેમાં કોણ કોણ હતું તેમણે જણાવ્યું છે. સામુહિક બળાત્કારના આ કિક્સામાં ટોટલ સોળ વ્યક્તિઓએ જવાબદાર હતા. એ સોળ વ્યક્તિઓમાં આઠ હતા હિન્દુ, છ મુસલમાન અને બે ખ્રિસ્તી. આટલું કહીને પછી તરત કહે છે યુરેકા યુરેકા… અર્થાત્ તેમને સાચું કારણ મળી ગયું છે - તેનું કારણ છે સાંપ્રદાયિક એકતા!

કેવી સાંપ્રદાયિક એકતા! આપણી કહેવાતી સાંપ્રદાયિક દંભી એકતા પર આકરો ચાબુક ફટકાર્યા પછી કશું કહેવાનું રહેતું નથી. બળાત્કારીઓનો ધર્મ હોતો નથી. પણ આપણે જ્યારે ન્યાય અન્યાયની વાતો કરવા બેસીએ છીએ ત્યારે ધર્મની ધજા લઈને છાપરે ચડીએ છીએ. ધર્મ, જાતિ, જ્ઞાતિ, જેવા વાડામાં રહીને આપણે જોવા લાગીએ છીએ. કુરીપૂજાએ અહીં બળાત્કારીઓને તો આડેહાથે લીધા જ છે, પણ ધાર્મિક એકતાની ફિક્કી વાતો કરતા લોકો પર કટાક્ષ કર્યો છે.

માટીમાં ભળી ગયેલો માણસ નથી હિન્દુ હોતો નથી મુસલમાન. અમૃત ઘાયલનો સરસ શેર છે-
ન હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયુંં તો ઇન્સાન નીકળ્યા.

આપણે એ વાત ભૂલી ગયા છીએ કે ધર્મ આપણી માટે છે, આપણે ધર્મ માટે નથી. કુરીપુઝા શ્રીકુમારની ‘કુહાડી’ શીર્ષકથી લખાયેલી અન્ય કવિતા પણ એટલી જ ધારદાર છે.

લોગઆઉટઃ

હિંદુની કુહાડીએ
મુસલમાનની કુહાડીને કહ્યું:
'આજે જે લોહી આપણે ચાખ્યું,
એનો સ્વાદ એક સરખો હતો.!'

- કુરીપુજ્જા શ્રીકુમાર, અનુ. ઇલિયાસ શેખ

શિવના ત્રીજા નેત્ર જેવો આકરો તડકો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

સૌમ્ય બે શિવનાં નેત્રો સમાં પ્રાતઃ અને નિશા,
મધ્યે મધ્યાહ્નની ત્રીજા હરનેત્રની ઉગ્રતા.

ઘટામાં વૃક્ષની ઘેરી ક્લાન્ત આતપથી ઢળ્યો,
માતરિશ્વા રહ્યો હાંફી ઉષ્ણ શ્વાસે દઝાડતો.

આકાશી આમ્રના વૃક્ષે, પાતળાં જલદાન્વિત,
શોભે મધ્યાહ્નનો સૂર્ય, પાકેલી શાખ સો પીત.

ઉઘાડે અંગ જાણે કો જોગી ફાળ ભરી જતો,
છુટ્ટી ઝાળજટા એની તામ્રવર્ણી ઉડાડતો.

ઢળતી સાંજ ને ઓછી થતી સર્યની ઉગ્રતા,
વળતી સૃષ્ટિની મૂર્છા; રૂંધાયા શ્વાસ છૂટતા.

ઢળેલો દ્રુમછાયામાં ધીમેથી વાયુ જાગતો,
લહેરોમાં શીળી ધીમી ગતિનું ગાન ગુંજતો.

આકરા તાપને અંતે રાત્રિ શી સૌમ્ય ને શીત!
આકરા તપને અંતે જાણે પાર્વતીનું સ્મિત!

– જયંત પાઠક

આપણે ત્યાં ઋતુકાવ્યોનો આગવો મહિમા છે. અત્યારે ઉનાળો પૂરબહાર ખીલ્યો છે ત્યારે જયંત પાઠકની ગ્રિષ્મઋતુની આ કવિતા માણવી સૌને ગમે તેવી છે.

ઉનાળાના આકરા તાપને વર્ણવવા નિરંજન ભગતે લખેલું, “તગતગતો આ તડકો, ચારેકોર જુઓને કેવી ચગદાઈ ગઈ છે સડકો!” બપોરે બહાર નીકળવું એ યુદ્ધે જવા બરોબર છે. ઘણા માણસો બફાયેલા બટેકા જેવા થઈ જતા હો છે. તાપની તોરભરી તુમાખીને સહન કરવી જેવાતેવાનું કામ નથી. સવારે મીઠો લાગતો તડકો બપોર સુધીમાં તો અગ્નિની જ્વાળા જેવો બની જાય છે. મકાઈના દાણા પોપકોર્ન બની જાય એ હદનો તાપ વરસતો હોય છે. તડકામાં સૂકાવા મૂકેલા કાચા પાપડોને શેકવાની જરૂર રહેતી નથી.

રમેશ પારેખે લખેલું, “ઉનાળો ફેલાતો જાય… માતેલો તાપ ઠેઠ જીવ સુધી પહોંચ્યો તે દરિયા પણ સુક્કા દેખાય…” એના તાપમાં તપીને દરયા જેવા દરયા ઠરીને સૂક્કા ભઠ થઈ જતા હોય છે. આ લેખ લખનાર કવિએ લખેલું, “ઉનાળો કાળઝાળ થાય છે, પાંપણથી ગાલ સુધી પહોંચે એ પહેલાં તો આંસુ વરાળ થઈ જાય છે.” આવેલુંં આંસુ ગાલ પર રેલાય એ પહેલાં તો બાષ્પીભવન થઈ જતું હોય છે. દલપતરામે મનહર છંદમાં લખેલું, “ક્રોધમય કાયા ધરી અરે આ આવે છે કોણ, જેના અંગઅંગોમાંથી ઉપજતી ઝાળ છે.”

કાકાસાહેબ કાલેલકરે ઉનાળાને મધ્યાહ્નનું કાવ્ય કહેલું. ઘણાને તે ગરમાળો અને ગુલમહેલરનો પીળચટ્ટો રળિયામણો સંગમ દેખાય છે. ખલિલ જિબ્રાને કહેલું કે ઉનાળો વધારે અજવાળું લઈને આવે છે. એ ગાળામાં દિવસો મોટા થઈ જાય છે. સમય તો એટલો જ રહે છે, પણ સૂરજની અવધિ વધી જતા આપણને દિવસ મોટો લાગે છે, કામ માટે વધારે સમય મળે છે. અર્થાત્ આ સમય વધારે જિદગી જીવવાનો છે.

જયંત પાઠકે ગ્રિષ્મઋતુનું છંદોબદ્ધ આલેખ્યું છે. પ્રભાત અને સંધ્યા શિવનાં બે શાંત નયનો જેવાંં છે. પરોઢ ઊઘડે તો થાય કે જાણે પ્રભુનાં બે નેત્રો ઊઘડ્યાં. સાંજ ઢળતા લાગે ભોળાનાથની આંખ મીંચાઈ. પણ બપોરના સમય તો એવો અહેસાસ થાય જાણે શિવનું ત્રીજું નેત્ર ખૂલી ગયુંં. ચારે બાજુ અગનજ્વાળાઓ… જાણે સમગ્ર ધરતી પર ક્રોધપૂર્વક તેમની નજર ફરી રહી હોય… બધું બાળીને ભસ્મીભૂત કરી દેવાનું હોય તેમ ધરતી સળગતી હોય છે. સૂર્ય તો જાણે આકાશના આંબાની પક્વ ડાળ પર પાકેલુંં પીળું ફળ. બપોરનો સમય કોઈ તામ્રવર્ણી જોગી જટાળો ઉઘાડે ડિલો નીકળ્યો હોય અને તેની ઝાળજટા ચારેબાજુ લહેરાઈ રહી તેવો લાગે છે.

ઢળતી સાંજના સમયે સૂર્યનું રદ્રરૂપ શાંત પડે છે. આખા દિવસના ધધગતા તાપથી મૂર્છિત થઈ ગયેલી વસુંંધરાના શ્વાસ ધબકતા થાય છે. પવન પણ લૂ મટીને શીતળ વાયુનું સ્વરૂપ ધારણ કરે છે. દિવસભરના આકરા તાપને અંતે થયેલી રાત્રી સૌમ્ય અને શીતળ લાગે છે, શિવના ખૂલેલા ત્રીજા નેત્ર જેવો વરવો તાપ વેઠ્યા પછીની રાત્રી પાર્વતીના મધુર સ્મિત જેવી લાગે છે.

જયંત પાઠકે ઉનાળાને કાળ સાથે પણ સરખાવ્યો છે. આ રહી તેમની અન્ય કવિતા.

લોગઆઉટઃ

રે આવ્યો કાળ ઉનાળો
અવની અખાડે, અંગ ઉઘાડે, અવધૂત ઝાળજટાળો.

એના શ્વાસે શ્વાસે સળગે ધરતી કેરી કાયા;
એને પગલે પગલે ઢળતા પ્રલય તણા પડછાયા.
ભરતો ભૈરવ ફાળો. રે આવ્યો કાળ ઉનાળો….

એના સૂકા હોઠ પલકમાં સાત સમુન્દર પીતા
એની આંખો સગળે જાણે સળગે સ્મશાન ચિતા.
સળગે વનતરુડાળો, રે આવ્યો કાળ ઉનાળો…
કોપ વરસતો કાળો રે આવ્યો કાળ ઉનાળો.

- જયંત પાઠક

આંખ તો મીંચું જ નહિ થાકીને હું

આંખ તો મીંચું જ નહિ થાકીને હું!
બસ તને જોતો જ રહું તાકીને હું!

માત આપી દઉં છું હું મૂર્ખાઈથી,
કોક વેળા મોટી ચાલાકીને હું.

એમ કરતાં પણ સમય મારો ફરે,
ફેરવું ઘડિયાળની ચાકીને હું.

ચાખવા મળશે તો મળશે વર્તમાન,
શું કરું જૂના દિવસ ફાકીને હું?

ખેરવે વ્હેલા ન વાવાઝોડું ક્યાંક,
ઇચ્છું તો છું કે ખરું પાકીને હું.

- અનિલ ચાવડા

વરી હું વિઠ્ઠલવરને વરી

લોગઇન:

સતત રહીને પરી, વરી હું વિઠ્ઠલવરને વરી.

હું જાણું કે સામો ચાલી એ તો શીદને આવે,
દૂર રહીને બહુ બહુ તો એ વેણુનાદ બજાવે.
મેં તો મારી સઘળી સુરતા ચરણકમળમાં ધરી,
વરી હું વિઠ્ઠલવરને વરી.

એ પંડે ઘનશ્યામ, ગમે તો ભલે ખાબકી પડે,
હું તો ખાલી વાદલડી તે બેત્રણ છાંટા જડે,
તોય પલળતાં આવી ઊભો, શી અણધારી કરી!
વરી હું વિઠ્ઠલવરને વરી.

– હરિકૃષ્ણ પાઠક

એક ખૂબ જાણીતું પદ છે,
હરિ તારાં નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી,
રોજરોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી?

હરિ નામનો હંસલો સચરાચરમાં ઊડ્યા કરે છે. આતમ એની પાંખનો સ્પર્શ અનુભવે છે. અનેકાદિ નામમાં ઓગળી ગયેલું હરિનામ કોઈ એક નામની ખીંટીએ ટાંગીને ક્યાંથી રાખી શકાય? કોઈ એને શ્યામ કહે, કોઈ કહે ઘનશ્યામ, કોઈ કહે રણછોડ, વળી કોઈ શ્રીજી કહીને સ્મરે, કોઈ કહાન કહી બોલાવે, કોઈ વિઠ્ઠલવર કહી પોકારે કોઈ કૃષ્ણ નામની સંભારે, કોઈના હૈયામાં ઠાકોરના નામનો દરબાર ભરાય. કોઈ દ્વારકાધીશ કહીને નમન કરે, તો કોઈ ગોવાળિયો કહીને એની દોસ્તી પણ કરે. કોઈનું હૈયું મોરપીચ્છ બને તો કોઈનો સ્વર વાંસળી. હરિ તો અનેક નામમાં વિલિન થઈ ગયેલું તત્ત્વ છે. એ તત્ત્વને વિઠ્ઠલ નામે આત્મસાત કરીને કવિ હરિકૃષ્ણ પાઠકે સુંંદર પ્રેમસમર્પણભાવનું ભક્તિમય કાવ્ય લખ્યું છે. અને કવિના નામનો સંયોગ પણ અદભુત છે, કવિના નામમાં જ હરિ અને કૃષ્ણ બંને સમાઈ જાય છે.

ગોપીભાવે કૃષ્ણને ભજવાની આ ભાવમય ભક્તિપરંપરા તો આપણે ત્યાં વર્ષોથી છે. મીરાંબાઈએ લખેલું,
મોરમુગટ ને કાને રે કુંડલ, મુખ પર મોરલી ધરી
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ, વિઠ્ઠલ વરને વરી

નરસિંહે પણ ગોપીભાવે અનેક પદોની રચના કરી. આ પ્રણયરાગ અનેક કવિઓએ પોતાનાં પદોમાં ભાવપૂર્વક ઝીલ્યો છે. રમેશ પારેખે પણ મીરાંમય થઈને અનેક કાવ્યોની રચના કરી, તો માધવ રામાનુજે પણ ગોકુળમાં કોક વાર આવો તો કહાન હવે રાધાને મુખ ના બતાવશો’ દ્વારા રાધાભાવે કવિતામાં કૃષ્ણપ્રેમ વ્યક્ત કર્યો. કૃષ્ણનું દરેક સ્વરૂપ જ એટલું રળિયામણું છે કે તેમના વિશે લખતા કવિ સહજભાવે ગોપી બની જાય છે.

હરિકૃષ્ણ પાઠકે ઉપરોક્ત કવિતામાં પ્રેમભક્તિ અને આત્મસમર્પણનો ઊંડો ભાવ વ્યક્ત કર્યો છે. અહીં પ્રભુને પામવાની ઘેલછા નથી, પ્રભુ તો પામી લીધા છે, કાવ્યનાયિકા વિઠ્ઠલવરને વરી ચૂક્યાં છે. હવે તો વિઠ્ઠલને વર્યા પછીના ઊર્મિનો આનંદ છે. રિસામણા મનામણા છે. પ્રણય અને સમર્પણ છે. કાવ્યનાયિકા જાણે છે કે પ્રભુ સામે ચાલીને મારી પાસે નહીં આવે, મારે જ તેમણે બજાવેલો વેણુનાદ સાંભળીને તેમની પાસે જવું પડશે. કેમ કે મેં જ તો એમના ચરણકમળમાં મને સમર્પિિત કરી છે. બંસરીને સૂર કાને પ઼ડતાની સાથે જ હરિના સાંનિધ્યની અનુભૂતિ થઈ જાય છે.

પ્રભુ તો પ્રણયનું ગોરંભાતું આકાશ છે, ગમે ત્યારે ખાબકી પડે. ભલે એ અનરાધાર વરસે મને પરવા નથી. હું તો ભીંજાવા જ બેઠી છું. હરિનામનાં વાદળો મારી પર વરસી પડે, મને તેમના ભક્તિના ઝરણામાં વહાવીને લઈ જાય. વાંધો નથી. પણ હું તો માત્ર એક નાનકડી વાદળી છું. પ્રભુ અનરાધાર વરસે તોય હું ઝીલી ઝીલીને કેટલું ઝીલુંં, એકબે છાટાં તો બહુ… છતાં હું એ ઘનશ્યામ નામના આભને પામવા આવી ચડી છું.

કવિએ અહીં ગોપીભાવે પ્રણયપૂર્વક ભક્તિરંગ બરોબર ઘૂંંટ્યો છે. હરિકૃષ્ણ પાઠકની આ રચના હૈયાને સ્પર્શી જાય તેવી છે. તેમણે માત્ર ગીતો જ નહીં, ગઝલ, અછાંદસ, છાંદસ જેવાં વિવિધ કાવ્યસ્વરૂપોમાં સુપેરે પ્રદાન કર્યું છે. એટલું જ નહીંં, તેમણે વાર્તા, નિબંધો, વિવેચન જેવાં ગદ્યસ્વરૂપમાં પણ સારું એવું ખેડાણ કર્યું છે. આપણે થોડા દિવસ પહેલા જ આ ગૌરવવંતા સર્જકને ગુમાવ્યા. કલમની શક્તિના જોરે તેઓ લાંબા સમય સુધી ગુજરાતી ભાષામાં જીવંંત રહેશે. તેમના જ એક અન્ય ગીતથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

ઝીલો જળની ધારા;
આજ છલ્યો દરિયો આકાશી તોડી સઘળા આરા,

જળની રેલમછેલ મચી છે, જળની ઝીંકાઝીંક;
જળનો સાંઢ ચડ્યો તોફાને જોજો, લાગે ઢીંક!
પડ્યો નગારે ઘાવ, કાળના દ્હાડા ગયા અકારા;
ઝીલો જળની ધારા.

પડી તિરાડો પળમાં દેતા જળના રેલા સાંઘી,
સચરાચર કોળ્યું, જે બેઠું જીવ પડીકે બાંધી!
જળહળતું નભ જળથી, નીચે જળના ભર્યા ઝગારા!
ઝીલો જળની ધારા.

– હરિકૃષ્ણ પાઠક

શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી

લોગઇન:

ચણોઠીઓના ઢગલે દાઝ્યા કંઈક કવિના કિત્તાજી,
શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી.

– અનિલ જોશી

શબ્દના સર્જનહારે અનેકવાર અગ્નિપરીક્ષા આપવી પડતી હોય છે તે વાત બે જ પંક્તિમાં કેટલી સચોટ રીતે દર્શાવી આપી છે કવિએ.

ગુજરાતી ગીતોમાં નવોન્મેશ લાવનાર બે મહત્ત્વના કવિઓ તે અનિલ જોશી અને રમેશ પારેખ. બંનેમાં ફાટફાટ મૌલિકતા, અભિવ્યક્તિનું નાવિન્ય અને કલ્પનાની સચોટ રજૂઆત કરવાની ઊંડી આવડત. રમેશ પારેખનું સર્જનવિશ્વસ ખૂબ બહોળું - વિશાળ પટમાં પથરાયેલું, જ્યારે અનિલ જોશીનું સર્જન ઓછું, પણ ખૂબ મજબૂત. તેમણે કેટકેટલાં નવકલ્પનોના રસથાળ આપણને ધર્યા. એમાંય ગીતમાં તેમની સવિશેષ હથોટી. તે એમ લખે, ‘મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું’ તુલસીના પાંદડાને આપણે ત્યાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે, તેને બિયરમાં નાખવાનું સાહસ કોણ કરે? એમાં તો ઘણા પરંપરાગત મૂલ્યો ધ્વસ્ત થાય. વળી એ એમ પણ લખે કે ‘મેં તો આબરૂના કાંકરાથી પાણીને કૂંડાળું દીધું’ આપણે ત્યાં નાલેશી વહોરવાની થાય ત્યારે લોકો કહે છે કે આબરૂના કાંકરા થઈ ગયા. બાળકોને પાણીમાં પથ્થર નાખીને કુંડાળાં કરવાની રમતમાં મજા પડે છે. આ કવિ પણ પોતાની મહામૂલી આબરૂના કાંકરા થઈ ગયા, તો એ કાંકરા પાણીમાં ફેંકીને તેમાંથી કુંડાળા કરે છે.

અનિલ જોશીની કવિતામાં મૌલિકતા નિરંતર મહોરતી રહે છે. તેમણે દીકરી-વિદાય વિશે લખેલું કાવ્ય ગુજરાતી ભાષાના ઘરેણા જેવું છે.
‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.’

ક્યાંય વરરાજાનો ઉલ્લેખ નથી, પણ પંક્તિ વાંચતાની સાથે આંખ સામે એક દૃશ્ય ખડું થઈ જાય કે સાંજની વેળા છે, જાન ઊઘલી રહી છે, ઢોલ વાગી રહ્યો છે, તમે કવિનો કમાલ જુઓ, ‘ઢોલ ઢબૂકતો’ શબ્દને વારંવાર બોલશો તો ખરેખર ઢોલ ઢબૂકતો હોય તેવો નાદ સર્જાશે. શબ્દોનો ઉપયોગ પણ ખૂબ મહત્ત્વનો છે. ક્યાં કયો શબ્દ વાપરવો તેની ઊંડી સૂઝ હોવી જરૂરી છે. આ સમજ કવિતામાં પ્રાણ પૂરે છે. ‘ઢોલ ઢબૂકતો’ શબ્દો માત્ર શબ્દો ન રહેતામાં તેમાંથી અવાજ પણ ઉત્ત્પન્ન થાય છે. તેને બદલે ‘ઢોલ વાગતો’ શબ્દો વાપરીએ તો પણ લયભંગ નથી થવાનો, પણ કવિને ખબર છે કે કવિતા વધારે તીવ્રતાથી અને ભાવનાત્મક રીતે વ્યક્ત કરવા કયા શબ્દોનું પ્રયોજન જરૂરી છે. તેણે પ્રયોજેલો એકેએક શબ્દ ખૂબ મૂલ્યવાન મોતી છે. એ મોતીની ચમક પામવા માટે શબ્દના અર્થને ઉજાગર કરવો પડે. અનિલ જોશી શબ્દની આ શક્તિને ખૂબ ઊંડાણપૂર્વક સમજતા હતા, તેથી જ તેમણે લખેલો શબ્દ પોતાની આગવવી છાપ છોડે છે.

વળી આ કવિ એમ પણ લખે, ‘સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ’ અરે! પાણીમાં તે કાંઈ ગાંઠ પડતી હશે? પણ કવિએ ખૂબ સમજપૂર્વક પંક્તિ વાપરી છે. યુવતી વહેલી પરોઢે પાણી ભરવા ગઈ છે, અને પાણીની સપાટી પર તે બરફના ટુકડાઓ તરતા જુએ છે, તે બરફના ટુકડાને પાણીમાં પડેલી ગાંઠ તરીકે જુએ છે!

મોટા કર્કશ ઘોંઘાટમાં નાના માણસોનો અવાજ ક્યાં દબાઈ જાય છે, ખબર પણ નથી પડતી. એ વાતને ઉજાગર કરતા અનિલ જોશીએ લખેલું, ‘ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો, તમને નથીને કાંઇ વાંધો?’ ધ્યાનથી જોશો તો હિંમતભેર ખોંખારો ખાનાર કીડીઓ તમને દેખાશે. જ્યાં જ્યાં ક્રાંઉ ક્રાંઉ વધતું જતું હશે ત્યાં ત્યાં આવી કીડીઓ ખોંખારા ખાવાનું સાહસ કરતી જોવા મળશે. કીડીની વાત સાથે આ કવિની અન્ય પંક્તિઓ પણ તરત સાંભરી આવે છે, ‘એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર!’

આવાં અનેક ઉમદા કાવ્યો સર્જનાર કવિ હવે આપણી વચ્ચે નથી. ચોરાસી વર્ષનું આયુષ્ય ભોગવી તેમણે જગતથી વિદાય લીધી, અને આપણે ખોળે ધરતા ગયા તેમનાં અમૂલ્ય કાવ્યો. તેમનો ક્ષરદેહ આથમ્યો છે, પણ અક્ષરદેહ તો હરહંમેશ ગુજરાતી ભાષાના પાલવમાં કિંમતી મોતી જેમ સચવાશે.

લોગઆઉટઃ

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે;
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો!

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર,
એક પછી એક ડાળ ખરતી જોઈને
થાય પડવાને છે કેટલી વાર?
હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો!

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો!

- અનિલ જોશી

એક એવી કવિતા

જેના દ્વારા
કડકડતી ઠંડીમાં મેળવી શકાય હૂંફ
ઉનળામાં ટાઢક
ને
ચોમાસામાં પહેરી શકાય રેઈનકોટની જેમ…
જે
લોહીના બટલાની અવેજીમાં ચડાવી શકાય
જેવલેણ ઘાવ પર લગાડી શકાય મલમની જેમ
વસ્ત્ર પર અત્તર જેમ છાંટી શકાય
જેના દ્વારા
લૂછી શકાય સૌ કોઈનાં આંસુ
જેનાથી
ભૂખ્યા માણસને ગમતું ભોજન જમ્યાનો ઓડકાર આવે
અનાથ બાળકને માતા મળી ગયાનો સંતોષ થાય
જે વાંચ્યા પછી ક્યારેય ન કરવી પડે ઈશ્વરને પ્રાથના…

લખવી છે
એક એવી કવિતા…!

– અનિલ ચાવડા

માર્યું હો જેમ તાળું

માર્યું હો જેમ તાળું સજ્જડ ભીડ્યાં કમાડે,
હું પણ છું સાવ એવો; છે કોઈ જે ઉઘાડે?

જન્મ્યો ટપાલ થઈને હું માંડમાંડ ત્યાં તો,
દુનિયા ચડી ગઈ છે ઈમે’લના રવાડે!

ઇચ્છાની સૌ અહલ્યા રઘવાઈ થઈ ગઈ છે,
ભીતરનો રામ જબરો, ચરણો જ ના અડાડે!

એ કામ શંખ ફૂંકી કરવું પડે છે કાયમ,
જે કામ થઈ શકે નહિ અહીં વાંસળી વગાડે.

આવું સમયની બાબત પણ થાય, કેવું સારું!
દુકાનદાર માફક પહેલાં એ પળ ચખાડે!

~ અનિલ ચાવડા

બાળપણમાં રોઈ રોઈને

બાળપણમાં રોઈ રોઈને રમકડાં જે ખરીદાવ્યાં હતાં,
એ જ પાછા મારી ઘડપણની કરચલી ભાંગવા આવ્યાં હતાં.

એક ગમતી વ્યક્તિ સામે શું મળી કે સઘળું તાજું થઈ ગયું,
નોટમાં વર્ષો પહેલાં જે પ્રસંગોને મેં ટપકાવ્યાં હતાં.

જેલની દીવાલમાં બાકોરું પાડી થઈ ગયાં છે એ ફરાર,
સાવ રંગેહાથ જે બે નંબરી સપનાં મેં પકડાવ્યાં હતાં.

પાંડવોના જુગટું જેવો સમય હો તોય શું, પ્હોંચી વળું,
ફક્ત આબરુ રાખવા આ કૃષ્ણની મેં ચીર પૂરાવ્યાં હતાં.

- અનિલ ચાવડા

મીરાંની જેમ

આંખ, હોઠ ને શ્વાસ બધામાં થયું મીરાંની જેમ,
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ?

જીવતરના ગણિતનો
ના ગણતા ફાવે ઘડિયો,
ભીતરમાં મંદિર ચણે છે
કોઈ અજાણ્યો કડિયો.

નહીં જ ભીંતો, નહીં જ બારી, નહીં કશીયે ફ્રેમ.
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ ?

નામ આ કોનું લઈને બેઠા
અમે એક ઓટલીએ,
મન તો ચાલ્યું નીજના ડગ લઈ
કોઈ અજાણી ગલીએ.

વધતો જાતો મારગ એનો, આગળ ધપતા તેમ.
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ ?

- અનિલ ચાવડા

જિંદગી પોતે જ એક મોકાણ છે

જિંદગી પોતે જ એક મોકાણ છે,
સારું છે કે એની અમને જાણ છે!

જો મળી તું, તો દિવસ મંદિર થયો,
ક્ષણ બધી જાણે કે આરસપાણ છે.

મારી મૂડી ફક્ત મારું સ્મિત છે,
જે ગણો તે આટલું રોકાણ છે.

જળ ઉપર તરતી રહી મારી કથા
લોક કહેતા, 'તું ડુબેલું વ્હાણ છે.'

એમના ઘરમાં ઉદાસી વહુ બની,
સાંજ તેથી તેમની વેવાણ છે.

કોલસો છે મનમાં જે અફસોસનો,
જો ગઝલ થઈ તો હીરાની ખાણ છે.

‘કંઈ નથી’ એવું કહું કઈ રીતથી?
દેહમાં મારા હજીયે પ્રાણ છે!

- અનિલ ચાવડા