The kite runner by Khaled Hosseini

થોડા દિવસ પહેલા જ Khaled Hosseiniની ‘The kite runner‘ નવલકથા પૂરી કરી.

આ નવલકથા માત્ર એક કથા નથી, પરંતુ દોસ્તી, અપરાધ, પ્રેમ, ધર્મ, રાજકારણ, આતંકવાદ અને માનવતાવાદ જેવાં અનેક લેયર્સની ઝાંખી કરાવતું દર્પણ છે.

સમગ્ર વાર્તા અફઘાનીસ્તાનના બે છોકરા-આમીર અને હસન-ની આસપાસ ફરે છે. એક છે માલિકનો છોકરો, બીજો નોકરનો. પણ બાળપણના દિવસોમાં આવો ભેદ ઓગળી જતો હોય છે. પતંગની સ્પર્ધા, બાળપણની રમતો, એકબીજાને કરાયેલા ભોળા વાયદાઓથી કથામાં માસુમિયત આવે છે. પરંતુ જેવા સામાજિક, રાજકિય અને આર્થિક પરિવર્તનોનાં પગલાં પડે છે કે તરત માસૂમિયત મહાત્રાસમાં ફેરવાઈ જાય છે. સૌથી મહત્ત્વની વાત એ કે નવલકથા માત્ર અફઘાનિસ્તાનની સામાજિક-રાજકીય પરિસ્થિતિની વાત નથી કરતી, પરંતું માણસના મનમાં રહેલા અપરાધભાવ અને પસ્તાવાની મોટી પાળ બાંધે છે, જેમાં વસવવસાનું જળ સંઘરાયેલું હોય છે.

પ્રેમ અને ઈર્ષા, વફાદારી અને પ્રામાણિકતા, ધર્મ અને ધાર્મિક અંધતા, ગરીબી-અમીરી, સન્માન-અપમાન જેવી અનેક વાતોને સ્પર્શીને લેખક આપણને આપણા અમુક અંગત વસવસા તરફ ખેંચી જાય છે. ભૂતકાળમાં કરેલી ભૂલો ક્યારેક જીવનભર પીછો નથી છોડતી. સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ અંદર ને અંદર ઘૂમરાતી રહે છે.

ખાલીદ હુસૈનીની શૈલી સરળ અને હૃદયસ્પર્શી છે. એક વાર વાંચવાનું શરૂ કર્યા પછી પુસ્તકને અધવચ્ચે મૂકવું અઘરું છે. વાર્તાનું સ્ટ્રક્ચર, પાત્રો અને શૈલી તમને ચૂંબકની જેમ ખેંચ્યા કરશે. આ પુસ્તક એવા લોકોને પણ ગમશે, જેમને વાંચવાનો શોખ નથી.

ગુજરાતી વાંચવા માગતા લોકો માટે આનંદની વાત છે. નવભારત સાહિત્ય મંદિરે ગુજરાતી અનુવાદ પ્રકાશિત કર્યો છે.

રસ ધરાવતા મિત્રો નીચેની લિંક પરથી ખરીદી શકશે

હું ને મારું ફળિયું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

હું ને મારું ફળિયું,
એકબીજાની આંખે વળગી, બની જતાં ઝળઝળિયું.

પગરવનાં એંધાણ મળે તો ફૂટે હરખની હેલી;
રોમ રૂવાંડા દોટ મૂકે છે ખખડે જ્યારે ડેલી.
જેમ રેત પર પાણી વહેતું, એમ વહે છે તળિયું,
હું ને મારું ફળિયું.

સાંજ પડે ને એકલવાયાં, ભાંભરતાં અજવાળાં;
અંધારાની અંદર પુરી, કોણે માર્યાં તાળાં?
હું ને ફળિયું બહુ હાંફતાં, તાળી પાડે નળિયું,
હું ને મારું ફળિયું.

કેટકેટલાં સુખ ચાવ્યાનાં, સ્મરણ સ્વાદમાં ઝૂલે;
કંઈક જનમની પીડા લઈને, બળ્યાં-ઝળ્યાંતા ચૂલે.
કાંઈ નથી આ નગર હવેલી, એ તો ખાલી ઠળિયું,
હું ને મારું ફળિયું.

- નરેશ સોલંકી

આજે જ્યારે બહુમાળી બિલ્ડિંગના વધતા વસવાટમાં આંગણા ઓછાં થતાં જાય છે, ત્યારે નરેશ સોલંકીની આ કવિતા ખાસ ધ્યાનથી વાંચવા જેવી છે, માત્ર વાંચવા જેવી જ નહીં, અનુભવવા જેવી પણ છે. જૂની સ્મૃતિના પટારાને ખોલીને ફળિયામાં જીવાયેલી જિંંદગીનાં થોડાંક ચિત્રો આંખની ઝાંખી થઈ ગયેલી દીવાલ પર ચીતરવા જેવાં છે. એપાર્ટમેન્ટની અટારીએ બેસીને બહાર ચાલતાં વાહનો જોવા ટેવાઈ ગયેલી આંખોને ફળયે ઊગેલાં ફૂલોનાં દર્શન કરાવવાની જરૂર છે, તેની મહેકથી મઘમઘતી કરાવવાની જરૂર છે. ઘરનુંં બારણુંં ખોલતાની સાથે લિફ્ટમાં ગોઠવાઈ જતુંં શરીર ફળિયાથી ટેવાયેલું નથી હોતું. આજે, ઘણાં બાળકોને ફળિયામાં રમવાનું કહેશો તો પણ બાપડાં મૂઝાંશે, પૂછશે- એ વળી કઈ જગા?

એક ફળિયું કેટકેટલી ઘટનાનું સાક્ષી હોય છે.

બાળપણમાં મિત્રો સાથેની રમતો, ઝઘડાઓ, ખાટામીઠાં અનુભવોનો એક આખો યુગ જિવાયો હોય છે ફળિયામાંં. જ્યાં દીકરીની પાપા પગલીઓ પડી હોય છે, જ્યાં દીકરીએ પોતાના મખમલિયા હાથે રંગોળી પૂરીને આંગણાને અવસરવંતું કર્યું હોય છે, જે બારણે દીકરીએ લીલાં તોરણ લટકાવી આખા ઘરને હરિયાળું કર્યુંં હોય છે, એ દીકરીની વરવી વિદાયનું સાક્ષી પણ હોય છે ફળિયું. એ જ ફળિયું કોઈ નવવધૂના આગમનની ઉજવણીનુંં મૂક છતાં જીવંત દૃષ્ટા પણ હોય છે. દિવાળી જેવા તહેવારમાંં દીવડાં જ નથી પ્રગટતાં, એ ફળિયામાં આખા ઘરનો ઉમંગ અજવાળું થઈને પથરાતો હોય છે.

કવિ કાગે લખ્યું છે- તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે… ફળિયુંં આતિથ્યના મંદિરનું પ્રથમ પગથિયું છે. કેટકેટલા અતિથિઓને મળતો આદર અને પ્રેમ તેણે સગી આંખે નિહાળ્યો હોય છે. સારા-નરસા પ્રત્યેક સમાચાર સૌથી પહેલાં તેણે સાંભળ્યા હોય છે. જાણે અજાણે, પૂછીને કે ચોરીછૂપીથી આવેલાં દરેક પગલાંનો હિસાબ તેની પાસે હોય છે.

સુખ-દુઃખની વાતો, હસી-મજાક અને ટોળટપ્પાં, ખીખિયાટાં અને દેકારાં, તોફાની છોકરાઓની ફરિયાદો અને વહાલાંદવલાં, અઢળક ઊભરાતા પ્રેમના પ્રસંગો અને ઝઘડાની જમાવટ, બધું જ ફળિયાએ સાક્ષીભાવે જોયું હોય છે.

આજે જ્યારે ઘરમાંથી આંગણું ગાયબ થતું જાય છે, ત્યારે માત્ર અમુક ચોરસવારની જગ્યા ઓછી નથી થતી, પણ એક આખી જીવંત સંસ્કૃતિ ભૂંસાતી જાય છે. બાળકોના ઉછેરથી લઈને, યુવા યુગલોના રોમાન્સ સુધી, આધેડ દંપત્તિથી લઈને વૃદ્ધાવસ્થાના ઊંબરે ઊભેલ વ્યક્તિઓના અનુભવ-ભાથા સુધીના તમામ લોકોના જીવનમાં ફળિયુંં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગાઢ અસર કરતુંં હોય છે. ફળિયું જવાથી એક પરંપરા આછી થતી હોય તેવો અનુભવ પણ થાય.

આજના સમયમાં ફળિયાવાળા ઘર હોવા એ મોઘીં મૂડી છે. કવિ નરેશ સોલંકીએ ફળિયામાં જીવાતી જિંંદગીને માત્ર કવિતામાં નથી પરોવી, પણ વાંચનારનાં હૃદયમાં પરોવી છે. જેણે ફળિયાની જાહોજલાલી ભોગવી છે, તેમને તો પ્રત્યેક પંક્તિ સ્મરણોત્સવ જેવી છે.

ઘર, ઉંબર અને ફળિયું એ સ્થાન નથી, અનુભૂતિ છે, વાંચો ભગવતીકુમાર શર્માની આ કવિતામાં.

લોગઆઉટઃ

હું ‘હું’ ક્યાં છું? પડછાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં;
હું જન્મોજન્મ પરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

તું રાત બની અંજાઈ જજે આ ગામનાં ભીનાં લોચનમાં;
હું ઘેનભર્યું શમણાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

આ માઢ,મેડી ને હિંડોળો ફોરે છે તારા ઉચ્છવાસ્;
હું હિના વગરનો ફાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

કંકુ ખરખર, તોરણ સૂકાં, દીવાની ધોળી રાખ ઊડે;
હું અવસર એકલવાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં

સાન્નિધ્યનો તુલસીક્યારો થૈ તું આંગણમાં કૉળી ઊઠે;
હું પાંદ-પાંદ વીખરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

શ્વાસોના પાંખાળા અશ્વો કંઈ વાંસવનો વીંધી ઊડ્યાં;
હું જડ થઈને જકડાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

ગઈકાલના ઘૂઘરાઓ ઘમક્યા, સ્મરણોનાં ઠલવાયાં ગાડાં;
હું શીંગડીએ વીંધાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

– ભગવતીકુમાર શર્મા

બૉમ્બ જેટલો દેખાય એટલો નાનો નથી હોતો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો
અને એની અસરકારક પહોંચનો વ્યાસ લગભગ સાત મીટર હતો,
જેમાં છે ચાર મૃતક અને અગિયાર ઘાયલ.
અને એની ફરતે, દર્દ અને કાળના
વધુ મોટા વર્તુળમાં, પથરાયેલ છે બે હૉસ્પિટલ
અને એક કબ્રસ્તાન. પણ યુવાન સ્ત્રી
જેને દફનાવાઈ, જ્યાંથી એ આવી હતી એ શહેરમાં
જે સો કિલોમીટરથીય વધુ અંતરે છે,
વર્તુળને નોંધપાત્ર રીતે વિસ્તારે છે;
અને દરિયાપારના એક દેશના દૂરના કિનારાઓ પર
એના મોત પર શોક કરનાર એકાકી પુરુષ
આખી દુનિયાને વર્તુળમાં સમાવી લે છે.
અને અનાથોના હીબકાંઓનો તો હું ઉલ્લેખ પણ નહીં કરું
જે પહોંચે છે ઈશ્વરના સિંહાસન સુધી અને
એથીય આગળ, એક વર્તુળ
બનાવતાં જેનો નથી કોઈ અંત અને નથી ઈશ્વર.

– યહુદા અમિચાઈ (અનુ. વિવેક મનહર ટેલર)

બ્રિટનની કવયિત્રી Carol Ann Duffyએ લખેલું, “યુદ્ધ ત્યારે ખતમ નથી થતું, જ્યારે બંદૂકો ચુપ થઈ જાય, એ ટકે છે એવાં આક્રંદિત હાલરડાંઓમાં જે ક્યારેય ગવાયાં જ નથી હોતાં.” દેખાવે સાવ નાનો લાગતો બૉમ્બ નાનો નથી હોતો. તેની અસર ક્યાં ક્યાં પહોંચે છે તેની વાત યહુદા અમિચાઈએ ખૂબ ઊંડાણથી કરી છે, છે અંતરથી ધ્રૂજાવી દે તેવી છે. યહુદા અમિચાઈ ઇઝરાયેલના અગ્રણી આધુનિક કવિ હતા, જેમણે હિબ્રૂ ભાષાને વિશ્વકવિ સ્તરે પહોંચાડી. તેમણે યુદ્ધ, શોક, પ્રેમ અને માનવતા વિશે ગહન અને સરળ શૈલીમાં લખ્યું.

કવિ કહે છે, બોમ્બનો વ્યાસ માત્ર ત્રીસ સેન્ટિમીટર હતો. અર્થાત્ સાવ નાનો, પણ આ તો થયું એનું ભૌતિક માપ. એ ફૂટ્યો ત્યારે તેના ધડાકાએ સાત મીટર સુધીનું બધું ભસ્મીભૂત કરી નાખેલું. તેના લીધે ચાર માણસો મૃત્યુ પામ્યા અને અગિયાર ઘાયલ થયા. ઘાયલો હૉસ્પિટલમાં ગયા અને મૃતકો સ્મશાનમાં. હૉસ્પિટલ સારવારનુંં પ્રતીક અને સ્મશાન મૃત્યુનુંં! બૉમ્બે બંનેને ઘેરી લીધા. તેણે જિંદગી, સારવાર અને મૃત્યુની વચ્ચેની રેખાઓ ધૂંધળી બનાવી દીધી.

મૃતકોમાં એક સ્ત્રી સો કિલોમીટર કરતા પણ વધારે દૂરના કોઈ શહેરથી અહીં આવી હતી. બૉમ્બનો વ્યાપ સો કીલોમીટર કરતાં પણ વધારે વિસ્તર્યો. એ સ્ત્રી કોઈનું અડધું અંગ હતી. પોતાના અડધા અંગને ગુમાવનાર પુરુષ દરિયા પારના કોઈ દેશમાં વિલાપ કરે છે. બોમ્બનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યો! તેણે આખા વિશ્વને પોતાના વર્તુળમાં સમાવી લીધું.

અને એથીય આગળ, તેનો વ્યાપ વિશ્વ પૂરતો સીમિત નથી રહેતો, કવિ કહે છે કે તે બૉમ્બના વિસ્ફોટથી જે બાળકો અનાથ થયાં છે, મારી કલમ તેમની વ્યથાના વ્યાપને દર્શાવવા માટે અસમર્થ છે. તેનો વ્યાપ તો ઈશ્વરની ગાદીથીયે આગળ જાય છે.

ટી.એસ. એલિયટે લખેલું, ‘દુનિયા બૉમ્બના મહાધડાકાથી નહીં, પણ ડૂસકાંથી ખતમ થાય છે.’ નરી આંખે ત્રીસ સેન્ટિમીટરનો દેખાતો બૉમ્બ ત્રીસ સેન્ટિમીટરનો નથી હોતો, તેનું ભૌતિક માપ એ ખરું માપ નથી. તેનું સાચું માપ તો માનવજીવનની મહાવ્યથાઓથી જ આંકવું પડે, જેની અસર માત્ર એક ઘટના પૂરતી સીમિત ન રહેતા મહિનાઓ, દાયકાઓ અને યુગો સુધી વિસ્તરે છે. જાપાનમાં થયેલા અણુબૉમ્બની યાતના આજે પણ પડઘાય છે. જે બતાવે છે કે બોમ્બનુંં માપ માત્ર સેન્ટિમીટર, મીટર, ઈંચ કે ફૂટ પૂરતુંં નથી રહેતુંં, એક સ્થળ કે પ્રદેશ પૂરતુંં પણ નથી રહેતું, તે કાળની મામપટ્ટીથી અંકાય છે. જેના પડઘા માનવતાની સંવેદનભરી ગલીઓમાં યુગો સુધી પડઘાય છે.

પોલેન્ડની નોબેલ પુરસ્કાર વિજેતા કવયિત્રી વિસ્લાવા શિમ્બોર્સ્કાએ બોમ્બ ફૂટ્યા પહેલાની ઘટનાને પોતાની કવિતામાં કેદ કરી છે, તેનાથી લોગાઉટ કરીએ.

લોગઆઉટઃ

કેન્ટિનમાં બરોબર એકને વીસ મીનિટે બૉમ્બ ફૂટશે
હજી બારને સોળ મીનિટ થઈ છે
અમુક લોકો પાસે અંદર જવાનો સમય છે,
અમુક પાસે બહાર આવવાનો.

આતંકવાદી પહેલા જ બહાર નીકળીને સલામત સ્થળે ગોઠવાઈ ગયો છે,
આ અંતર તેને ભયથી બચાવે છે
અને તક આપે છે આખું દૃશ્ય બેરહેમીથી જોવાની!

પીળું જેકેટ પહેરેલી સ્ત્રી અંદર જઈ રહી છે
કાળા ચશ્માવાળો માણસ બહાર આવી રહ્યો છે
જિન્સવાળા છોકરાઓ વાતોમાં મશગુલ છે
સમય 1:13 મીનિટ.

નાનો છોકરો ભાગ્યશાળી તે સ્કૂટરમાં બહાર બેઠો,
મોટો હડબડાટી કરતો અંદર ગયો

હવે દસ સેકન્ડ બચી છે
હવે માત્ર પાંચ
એક સ્ત્રી પસાર થઈ,
તેના હાથમાં છે લીલા રંગની બેગ
અફસોસ કે અંદર જઈ રહી છે

અને બૉમ્બ….

- વિસ્લાવા શિમ્બોર્સ્કા

મા વિશે તો ખૂબ લખાયું કેમ ન પપ્પા વિશે?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કવિઓને ને લેખકોને સમજાવો કોઈ રીતે,
મા વિશે તો ખૂબ લખાયું કેમ ન પપ્પા વિશે ?

બાપ બન્યો એ ત્યારે એની આંખોમાં ઝાંકેલું?
સપનાઓનું એક પતંગિયું એમાં પણ નાચેલું.

એની કદર પણ થવી જ જોઈએ સર્જનહાર તરીકે,
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે?

ઘણા દિવસ તો એ પણ એક જ પડખે સૂઈ રહેલો,
ઘણા દિવસ તો પત્નીથી પણ અળગો થઈ ગયેલો,

તો પણ બજાર, બેન્ક બધે બસ મુન્નો એની જીભે
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે?

- ભરત ભટ્ટ 'પવન'

માને યાદ કરતાની સાથે પાલવનો છાંયડો, ખોળાની હૂંફ, રસોઈનો સ્વાદ, અને અપાર વહાલ આપોઆપ ઊભરી આવે. પણ પિતા… એ હોય છે દ્વારની બહાર ઘસાયેલા પગરખામાં, બંધ પડેલી ઘડિયાળમાં, પુરાણા વાહનની ઘરઘરાટમાં, બારણા પાછળ લટકાવેલ જૂના શર્ટમાં, જે બારણું ઊઘડતાની સાથે ઢંકાઈ જાય. ક્યારેક તે હોય છે ઘરની કોઈ જૂની છત્રીમાં, જેણે વર્ષો સુધી પરિવાર પડતા તાપ, ટાઢ, ચોમાસાં ઝીલ્યા હોય છે, પણ જેવી મોસમ પતે કે માળિયે ચડી જાય.

માનો મર્માળુ સ્નેહ જગતમાં બધે ગવાયો, પણ પિતા એ ચોકથી થોડેક દૂર અંધારી ગલીમાં ખોવાઈ ગયેલા નામ જેવા છે. તેમને સમજવા સરળ નથી. તે ન પોતાનો થાક જણાવે છે, ન તો પસંદગી. તે એક એવા આગિયા જેવા હોય છે, જે અંધારામાં પ્રકાશિત થઈને અજવાળામાં ખોવાઈ જાય છે.

દરેક પિતા પાસે ગજબનું ગાંભીર્ય હોય છે – ભારે, ઠોસ, અને ખૂબ જરૂરી. તેમનું ગાંભીર્ય બાળપણમાં ધમકી જેવું જેવું લાગે, કિશોરાવસ્થામાં સરમુખત્યાર જેવું, યુવાનીમાં પડકાર સમાન, એ સમયે તે લાઇબ્રેરીના જૂનાં પુસ્તક દેખાય, જેને વાંચવાની ઇચ્છા જ ન થાય. પણ પોતે પિતા બનીએ ત્યારે ખબર પડે કે એ જર્જરિત પુસ્તક નહોતા, મહાકાવ્ય હતા, અને આપણે વાંચવામાં મોડું કરી નાખ્યું. આધેડ ઉંમરે પહોંચીએ ત્યારે સમજાય કે એમના કૂવા જેવા ઊંડા ગાંભીર્યના તળિયે તો નર્યો નિતરતો પ્રેમ હતો – અમૃતનો દરિયો.

ગમે તેટલો થાક હોય, છતાં બાળકનું મુખ જોતાની સાથે પિતાનો ચહેરો ખીલી ઊઠે. પણ શું એ થાક માત્ર કામનો હોય છે? ના, આ થાક હોય છે જવાબદારીઓનો, પોતાનાં અધૂરાં સપનાંઓનો, અને એવા સંઘર્ષનો જે માત્ર ને માત્ર પોતે જોઈ શકે છે.

બાળક માંદું હોય તો મા રાતભર જાગે, પણ પિતા સૂઈ ગયાનો ઢોંગ કરીને બાજુમાં પડ્યા રહે. બાળકના ખાંસવાનો અવાજ આવે તો આપોઆપ તેમનું શરીર પથારીમાંથી ઊભું થઈ જાય. જ્યારે મા એમ કહે, તમે સૂઈ જાવ, સવારે કામે જવાનું છે, ત્યારે તે એટલું જ કહે, હું તો સૂઈ ગયો’તો, અવાજ આવ્યો તો ઊંઘ ઊડી ગઈ. પણ હકીકતમાં એમની આંખોએ ઊંઘને ચાખી પણ નથી હોતી. છતાં સવારે ઊઠીને ચુપચાપ કામે ચાલી જાય છે. તે જાગે છે, જેથી પરિવાર નિરાંતે ઊંઘી શકે.

બાળક પડી જાય તો માનો જીવ ઊંચો થઈ જાય, દોડીને બાથોડી લે. પણ પિતા દૂર ઊભા રહીને તેને પડતું જોઈ રહે, એ રાહ જુએ કે તેના જાતે ઊભા થઈ જવાની, આ નિર્દયતા નથી, આ એવો પ્રેમ છે, જે આત્મનિર્ભરતા તરફ દોરી જાય છે. પિતાની આંખો ઘણું કહેવા માગે છે, પણ કંઈ બોલતી નથી, એ રડે છે, પણ એકાંતમાં. એ દરેક આંસુ પોતાના સુધી સીમિત રાખે છે. એ જાણે છે કે દરિયો તૂટે પૃથ્વી રસાતાળ જાય. એનો પરિવાર એ જ એની પૃથ્વી છે.

સમય જતા આપણે માની વધારે નજીક આવીએ, અને પિતાથી વધારે દૂર. કેમકે મા નદી જેવી છે, તેમાં ઓગળી જવાની ઇચ્છા થાય, જ્યારે પિતા ખરબચડા પર્વત જેવા. કોઈ પહાડને બાથ ક્યાંથી ભરી શકે? માત્ર તેની છાંયામાં ઊભા રહી શકે.

બાળકની આંખમાં આખું આકાશ તરવરતું હોય, પણ તે આકાશ આવ્યું હોય છે પિતાના ખિસ્સામાંથી. પિતાનો પ્રેમ પ્રદર્શન નથી કરતો, એ ચૂપચાપ તમારી સ્કૂલના ફોર્મ ભરી દે, ખબર ન હોય તેમ કોચિંગ ક્લાસની ફી જમા કરી દે, તમે જ્યારે નવા જાકીટમાં શોભતા હોવ, ત્યારે શિયાળામાં જૂના સ્વેટરમાં થિજીને પડ્યો હોય છે પિતાનો પ્રેમ. તેમના વિચારો તમને જૂના એટલા માટે લાગતા હોય, કેમકે પોતાની તમામ નાવિનતા તેમણે તમને આપી હોય છે.

પિતાના ગયા પછી તેમનો વારસો મિલકતમાં શોધવાને, મહેનતમાં શોધતા બાળકોને ફાધર્સ ડે ઉજવવાની જરૂર નથી હોતી. કેમકે તેઓ જાણે છે, પિતા એક એવું ઝાડ છે, જેના છાંયડા નીચે બેસીને આપણે મોટા થઈએ. તેનાં ફળ-ફૂલથી રાજી થઈએ, પણ તેનાં મૂળ જમીનમાં ક્યાં, કેટલાં ધરબાયેલાં છે, તે આપણે ક્યારેય નથી જાણી શકતા. વૃક્ષ પડી ભાંગે ત્યારે પણ નહીં.

લોગઆઉટઃ

દીકરી આવી ત્યારે પણ રાખી'તી ભવ્ય ઊજાણી
સાસરિયે ગઈ, તો પપ્પાની આંખો બહુ ભીંજાણી
આખું ઘર સચવાઈ રહે છે પપ્પાની છત નીચે,
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે ?

- ભરત ભટ્ટ ' પવન '

વાત કપડાંની નથી, રંગની છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

વાત કપડાંની નથી, રંગની છે
હું ઘણીવાર કપડાં ધોઉં છું
અમુક કપડામાંથી રંગ નીકળે છે
આપણે કહીએ છીએ કે
રંગ કાચો છે.

પણ એ રંગ સાથે રહેલા બીજા કપડામાં લાગી જાય છે
એવો કે પછી નીકળે જ નહીં
જાણે કે રંગને હવે એ મળ્યું,
જેના પર એને લાગવું હતું.

રંગ કાચા નથી હોતા
આપણને જે કાચા લાગે છે
એમને સાચું પાત્ર નથી મળ્યું હોતું
કે જેના પર સરખું લાગી શકાય

વ્હેલા મોડા આપણને પણ પોતાનો રંગ મળશે
ને જ્યારે એ મળશે ત્યારે એ છૂટશે નહિ

– ચંદન યાદવ (ભાવાનુવાદ : યાજ્ઞિક વઘાસિયા)

ચંદન યાદવે બહુ સરળ શબ્દોમાં ગહન વાત કરી આપી છે. ઘણી વાર બધાં કપડાં એક સાથે ધોવા નાખીએ ત્યારે પલળેલાં કપડામાં પરસ્પર રંગ લાગી જતો હોય છે. અને આપણે કહ્યા કરીએ છીએ કે આ કપડાનો રંગ ખરાબ છે, એના લીધે બીજાં કપડાં બગડ્યાં, એનો રંગ અન્ય વસ્ત્રો પર લાગ્યો. આ ઘટના મોટાભાગના માણસોના જીવનમાં બની હશે. પણ કવિ અહીં માત્ર કપડાના રંગની વાત નથી કરતા. એ તો કપડાને પ્રતીક બનાવીને મનુષ્યના આંતરમનની વાત કરે છે.

કાચો રંગ અન્ય કપડામાં લાગી જાય છે, વળી લાગે તો એવો લાગે કે નીકળે જ નહીં, જેને પાકો સમજતા હોઈએ એને પણ ઢાંકી દે એટલો ઘટ્ટ રીતે ઊપસી આવે. ત્યારે પ્રશ્ન થાય કે જે કપડાં પર એ હતો ત્યાં તો ટક્યો નહીં હવે નવાં વસ્ત્ર પરથી જતો કેમ નથી? કદાચ એ રંગ આ કપડને લાગવા ઇચ્છતું હતું, પણ રંગારાએ તેને અન્ય કપડાં પર રંગી દીધું. દરેક રંગને પોતાની પસંદગીનું કપડુંં હોય છે, દરેક કપડાને ગમતીલો રંંગ. એ મળી જાય તો ઉમંગ.

માણસોનું પણ આવું જ હોય છે. ઘણી વાર વિરોધાભાષી પાત્રો મળી જાય છે, જોડાય છે. કવિએ અહીં કપડાં અને રંગની વાત કરી છે તેમ જ. બંને એકબીજામાં એકરૂપ થવા પ્રયત્ન કરે છે, પણ અંદરથી રંગ નથી ચડતો. મથામણ વધતી જાય છે તેમ રંગ ઝાંખો થતો જાય છે. કપડુંં પોતાનો રંગ શોધે છે અને રંગ પોતાનું ઇચ્છિત કપડું. પછી જ્યારે સમયના પ્રવાહમાં બંને પરિસ્થિતિ નામના વોશિંગ મશીનમાં પડે ત્યારે એકમેકના રંગ છૂટા પડી જાય છે અને જ્યાં લાગવા ઇચ્છતા હતા તે તરફ ગતિ કરવા લાગે છે. વૃક્ષો પોતાના પરથી પસાર થતાં વાદળોને ખેંચીને વરસાદ લાવી દે, એવી રીતે આ રંગોનું આકર્ષણ પોતાનું કપડું પામીને તેમાં ભળી જવા પ્રયત્ન કરે છે.

અમુક રંગો એવા ચુપચાપ આવીને હૃદયમાં ઊતરી જાય છે કે ગમે તેવા કાળના થપેડા વાગે, ઘસારા આવે, પણ તે ઉખડતા જ નથી. તે રક્તમાં ભળી જાય છે, રક્ત બનીને વહેતા રહે છે.

આ માત્ર બે પુરુષ-સ્ત્રીના બે પાત્રો પૂરતું સીમિત નથી. એ રંગના છાંટણા પ્રત્યેક સંબંધમાં થતા રહે છે. દરેક લાગણીનો રંગ પોતાના ગમતા સંબંધનું વસ્ત્ર ઇચ્છે છે, જ્યાં તે પોતાના અસ્તિત્વને ઓગાળી શકે. દરેક વ્યક્તિત્વ આવા રંગની શોધમાં હોય છે. હૃદયમાં ઊંડાણમાં પાંગરતી ઇચ્છાઓ રંગ જેવી હોય છે, તે અન્ય રંગની શોધમાં હોય છે. ભૂલમાં ક્યાંક લાગી જાય તો તે સંજોગોના ઘસારા સાથે ઊખડી જાય છે અને પોતાને અનુરૂપ અન્ય વસ્ત્ર શોધવાનો પ્રયત્ન કરે છે. પણ જ્યારે યોગ્ય વસ્ત્ર મળી જાય ત્યારે આયખું ખપાવી દે છે એને ઉજાગર કરવામાં. દરેક રંગની આ જ તો નિયતિ છે - અને દરેક વસ્ત્રની પણ.

લોગઆઉટઃ

ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
મળે છે તે સહુ કહે છે, મજાનો રંગ લાગ્યો છે.

ભલે ના ના કહો, એના વિના ન્હોયે ચમક આવી,
તમે મારું કહ્યું, માનો ન માનો રંગ લાગ્યો છે.

મલકતું મોં અને ચમકી જતી આંખો કહી દે છે,
ભલે છૂપી એ રાખો વાત, છાનો રંગ લાગ્યો છે.

નથી લાલાશ આંખોમાં હૃદય કેરી બળતરાથી,
પડ્યા ચરણોમાં એના કે હિનાનો રંગ લાગ્યો છે.

અહીં ને ત્યાં, બધે એક જ સમંદર રંગનો રેલે,
કહેશે કોણ, કોને કેની પાનો રંગ લાગ્યો છે?

થયો રંગીન વાતો લાવતો ગઝલોમાં તું ‘ગાફિલ’ !
તને આ અંજુમન કેરી હવાનો રંગ લાગ્યો છે.

– મનુભાઈ ત્રિવેદી

બૉમ્બ જેટલો દેખાય એટલો નાનો નથી હોતો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો
અને એની અસરકારક પહોંચનો વ્યાસ લગભગ સાત મીટર હતો,
જેમાં છે ચાર મૃતક અને અગિયાર ઘાયલ.
અને એની ફરતે, દર્દ અને કાળના
વધુ મોટા વર્તુળમાં, પથરાયેલ છે બે હૉસ્પિટલ
અને એક કબ્રસ્તાન. પણ યુવાન સ્ત્રી
જેને દફનાવાઈ, જ્યાંથી એ આવી હતી એ શહેરમાં
જે સો કિલોમીટરથીય વધુ અંતરે છે,
વર્તુળને નોંધપાત્ર રીતે વિસ્તારે છે;
અને દરિયાપારના એક દેશના દૂરના કિનારાઓ પર
એના મોત પર શોક કરનાર એકાકી પુરુષ
આખી દુનિયાને વર્તુળમાં સમાવી લે છે.
અને અનાથોના હીબકાંઓનો તો હું ઉલ્લેખ પણ નહીં કરું
જે પહોંચે છે ઈશ્વરના સિંહાસન સુધી અને
એથીય આગળ, એક વર્તુળ
બનાવતાં જેનો નથી કોઈ અંત અને નથી ઈશ્વર.

– યહુદા અમિચાઈ (અનુ. વિવેક મનહર ટેલર)

બ્રિટનની કવયિત્રી Carol Ann Duffyએ લખેલું, “યુદ્ધ ત્યારે ખતમ નથી થતું, જ્યારે બંદૂકો ચુપ થઈ જાય, એ ટકે છે એવાં આક્રંદિત હાલરડાંઓમાં જે ક્યારેય ગવાયાં જ નથી હોતાં.” દેખાવે સાવ નાનો લાગતો બૉમ્બ નાનો નથી હોતો. તેની અસર ક્યાં ક્યાં પહોંચે છે તેની વાત યહુદા અમિચાઈએ ખૂબ ઊંડાણથી કરી છે, છે અંતરથી ધ્રૂજાવી દે તેવી છે. યહુદા અમિચાઈ ઇઝરાયેલના અગ્રણી આધુનિક કવિ હતા, જેમણે હિબ્રૂ ભાષાને વિશ્વકવિ સ્તરે પહોંચાડી. તેમણે યુદ્ધ, શોક, પ્રેમ અને માનવતા વિશે ગહન અને સરળ શૈલીમાં લખ્યું.

કવિ કહે છે, બોમ્બનો વ્યાસ માત્ર ત્રીસ સેન્ટિમીટર હતો. અર્થાત્ સાવ નાનો, પણ આ તો થયું એનું ભૌતિક માપ. એ ફૂટ્યો ત્યારે તેના ધડાકાએ સાત મીટર સુધીનું બધું ભસ્મીભૂત કરી નાખેલું. તેના લીધે ચાર માણસો મૃત્યુ પામ્યા અને અગિયાર ઘાયલ થયા. ઘાયલો હૉસ્પિટલમાં ગયા અને મૃતકો સ્મશાનમાં. હૉસ્પિટલ સારવારનુંં પ્રતીક અને સ્મશાન મૃત્યુનુંં! બૉમ્બે બંનેને ઘેરી લીધા. તેણે જિંદગી, સારવાર અને મૃત્યુની વચ્ચેની રેખાઓ ધૂંધળી બનાવી દીધી.

મૃતકોમાં એક સ્ત્રી સો કિલોમીટર કરતા પણ વધારે દૂરના કોઈ શહેરથી અહીં આવી હતી. બૉમ્બનો વ્યાપ સો કીલોમીટર કરતાં પણ વધારે વિસ્તર્યો. એ સ્ત્રી કોઈનું અડધું અંગ હતી. પોતાના અડધા અંગને ગુમાવનાર પુરુષ દરિયા પારના કોઈ દેશમાં વિલાપ કરે છે. બોમ્બનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યો! તેણે આખા વિશ્વને પોતાના વર્તુળમાં સમાવી લીધું.

અને એથીય આગળ, તેનો વ્યાપ વિશ્વ પૂરતો સીમિત નથી રહેતો, કવિ કહે છે કે તે બૉમ્બના વિસ્ફોટથી જે બાળકો અનાથ થયાં છે, મારી કલમ તેમની વ્યથાના વ્યાપને દર્શાવવા માટે અસમર્થ છે. તેનો વ્યાપ તો ઈશ્વરની ગાદીથીયે આગળ જાય છે.

ટી.એસ. એલિયટે લખેલું, ‘દુનિયા બૉમ્બના મહાધડાકાથી નહીં, પણ ડૂસકાંથી ખતમ થાય છે.’ નરી આંખે ત્રીસ સેન્ટિમીટરનો દેખાતો બૉમ્બ ત્રીસ સેન્ટિમીટરનો નથી હોતો, તેનું ભૌતિક માપ એ ખરું માપ નથી. તેનું સાચું માપ તો માનવજીવનની મહાવ્યથાઓથી જ આંકવું પડે, જેની અસર માત્ર એક ઘટના પૂરતી સીમિત ન રહેતા મહિનાઓ, દાયકાઓ અને યુગો સુધી વિસ્તરે છે. જાપાનમાં થયેલા અણુબૉમ્બની યાતના આજે પણ પડઘાય છે. જે બતાવે છે કે બોમ્બનુંં માપ માત્ર સેન્ટિમીટર, મીટર, ઈંચ કે ફૂટ પૂરતુંં નથી રહેતુંં, એક સ્થળ કે પ્રદેશ પૂરતુંં પણ નથી રહેતું, તે કાળની મામપટ્ટીથી અંકાય છે. જેના પડઘા માનવતાની સંવેદનભરી ગલીઓમાં યુગો સુધી પડઘાય છે.

પોલેન્ડની નોબેલ પુરસ્કાર વિજેતા કવયિત્રી વિસ્લાવા શિમ્બોર્સ્કાએ બોમ્બ ફૂટ્યા પહેલાની ઘટનાને પોતાની કવિતામાં કેદ કરી છે, તેનાથી લોગાઉટ કરીએ.

લોગઆઉટઃ

કેન્ટિનમાં બરોબર એકને વીસ મીનિટે બૉમ્બ ફૂટશે
હજી બારને સોળ મીનિટ થઈ છે
અમુક લોકો પાસે અંદર જવાનો સમય છે,
અમુક પાસે બહાર આવવાનો.

આતંકવાદી પહેલા જ બહાર નીકળીને સલામત સ્થળે ગોઠવાઈ ગયો છે,
આ અંતર તેને ભયથી બચાવે છે
અને તક આપે છે આખું દૃશ્ય બેરહેમીથી જોવાની!

પીળું જેકેટ પહેરેલી સ્ત્રી અંદર જઈ રહી છે
કાળા ચશ્માવાળો માણસ બહાર આવી રહ્યો છે
જિન્સવાળા છોકરાઓ વાતોમાં મશગુલ છે
સમય 1:13 મીનિટ.

નાનો છોકરો ભાગ્યશાળી તે સ્કૂટરમાં બહાર બેઠો,
મોટો હડબડાટી કરતો અંદર ગયો
હવે દસ સેકન્ડ બચી છે
હવે માત્ર પાંચ
એક સ્ત્રી પસાર થઈ,
તેના હાથમાં છે લીલા રંગની બેગ
અફસોસ કે અંદર જઈ રહી છે

અને બૉમ્બ….

- વિસ્લાવા શિમ્બોર્સ્કા

આવો તો સંવાદ રચીશું સપનામાં

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

આવો તો સંવાદ રચીશું સપનામાં
ઊંઘ અમે રાખી છે નહિતર અથવામાં.

ધીમે ધીમે એની આદત થઈ ગઈ છે
વર્ષોથી છું ખાલીપાના કબજામાં.

લોકો વચ્ચે જલદી વહેતાં કરવા’તા,
તેથી સત્યો ફરતાં કીધાં અફવામાં.

કૂંપળ ફૂટું ફૂટું થાતી જોઈને
પીળા પાને વાર ન કીધી ખરવામાં

સહેલો ક્યાં છે સતરંગી દુનિયાનો ત્યાગ ?
કંઈક તો આકર્ષણ હોવાનું ભગવામાં.

એની સામે કાયમ સાચુ રહેવું છે
દુનિયા સામે છો ને દંભી પડદામાં.

તેથી અમને લગની લાગી ગઝલોની
આપ રહ્યા છો હરદમ એના મત્લામાં

– શબનમ ખોજા

ગુજરાતી ગઝલ સાથે સંવાદ કરતી કવયિત્રી શબનમ ખોજા ‘તસ્બીહના બે પારા વચ્ચે’ પોતાનું તેજ મૂકે છે. એ શબ્દનું તેજ ભાવકને પણ પ્રકાશિત કરે છે. સરળ બાનીમાં સહજ કાવ્ય રચતી તેમની કલમ વર્તમાન ગુજરાતી કવયિત્રોમાં પોતાની આગવી છાપ ઉપસાવે છે.

આપણે હંમેશાં શબ્દોની સડક પર ચાલીને સંવાદ રચવા ટેવાયેલા છીએ. પણ નજરથી બંધાતા પુલ ક્યારેક શબ્દમાંથી નીકળતા અર્થને ઓળંગી જાય છે. વાણીના વહેણ કરતા કરતા મૌનનું કહેણ વધારે ધારદાર હોય છે. કવિને અહીં સંવાદ તો રચવો છે, પણ સપનામાં. જો પ્રિયતમ આવે તો સ્વપ્નમાં સંવાદની સાખે બેસીશું, વાતો કરીશું, પણ જો ન આવે તો આરામથી ઊંઘી જઈશું. તમે આવશો એવી પ્રતીક્ષાનું પોટલુંં ઊંચકીને શું કામ ઊભા રહીએ? અમે તો એ જ પોટલાને ઓશીકું બનાવી નીરાંતે પોઢીશું. પણ હા, જો તમે આવશો તો જાગીને સંવાદની રંગોળી પૂરીશું એમાં ના નહીં.

ગાલિબે કહેલું, दर्द का हद से गुज़रना है दवा हो जाना. વ્યથા વધી જાય ત્યારે એ પોતે જ ઇલાજનું સ્વરૂપ લઈ લે છે, જેમ પાણીનું એક ટીપું સમંદરમાં ભળીને સમંદરનું રૂપ લઈ લે છે! અહીં કવિના જીવનમાં વ્યથા દરિયાની જેમ મોટી થઈ ગઈ છે એમ નથી, પણ ખાલીપાની બેડીઓ એટલા વર્ષોથી જડાઈ છે કે હવે તે એક ટેવમાં પરિણમી ગઈ છે - આદત બની ગઈ છે. જેમ હાથીના નાના બચ્ચાને જન્મથી એક નાના દોરડાથી બાંધી દેવામાં આવે, તે ગમે તેટલું છૂટવા પ્રયત્ન કરે, તો પણ છૂટી નથી શકતું, પછી જ્યારે તે મોટા હાથીનું સ્વરૂપ ધારણ કરે - દોરડાને એક ઝાટકે તોડી નાખવાની ક્ષમતા પામી લે, છતાં દોરડુંં તોડતો નથી કેમ કે એ દોરડું એની આદત બની ગયું છે. કવિ ખાલીપાના દોરડે વર્ષોથી બંધાઈ ગયેલા છે, અને હવે એ ખાલીપો આદત બની ગયો છે.

માર્ક ટ્વેને કહેલું, “જ્યાં સુધીમાં સત્ય પોતાનાં પગરખાં પહેરી રહે, ત્યાં સુધીમાં તો જૂઠ આખી દુનિયામાં ફરી વળ્યુંં હોય છે.” હિટલરના મંત્રી ગોબેલ્સે પણ કહેલું કે, એક જુઠ્ઠાણું સોવાર બોલવામાં આવે તો તે સાચું થઈ જાય છે.

લોકો વારંવાર જે સાંભળે છે તે સત્ય માની લે છે. ભાગ્યે જ કોઈ હકીકતની પુષ્ટિ કરે છે. બધા એમ જ માને છે કે આટલા બધા લોકો તો ખોટું ના જ બોલતા હોયને? ઈસપની એક કથા સરસ કથા છે, તેમાં નવ્વાણું પૂંછડી વગરના વાંદરા એક પૂંછડીવાળા વાંદરા પર હસતા હતા. અરે આને તો પૂંછડી છે, કેવો વિચિત્ર વાંદરો છે આ! પણ પૂંછડી એ વાંદરાનો મુખ્ય આધાર છે - લાંબી છલાંગો મારવા અને કૂદવા માટે, એ પેલા નવ્વાણું વાંદરા ભૂલી જાય છે. એ પોતાના બાંડિયાપણાને જ સત્ય માની લે છે. આપણે પણ બહુમતીને જ ખરી સમજવાની ભૂલ કરી બેસીએ છીએ. સત્ય એકલું હોય કે ટોળામાં સત્ય સત્ય જ રહે છે. પણ સત્યની ચાલ બહુ ધીમી હોય છે, એના માર્ગમાં અનેક શંકાના પથ્થરો પડ્યા હોય છે, એને હટાવટા હટાવતા એણે આગળ વધવું પડે છે, પણ અફવા તો પર્વતોને ઓળંગીને પણ પળમાં પહોંચી જાય છે. આ વાત કવિ સારી રીતે સમજે છે, એટલે તેમણે સત્યનું મોતી જ અફવાના ધાગામાં પરોવી દીધું.

શબનમ ખોજાની ગઝલ અર્થસભર છે, તેના અન્ય શેર ભાવકના આનંદને સમર્પીને લોગાઉટ કરીએ, તેમના જ બે શેરથી-

લોગઆઉટઃ

વાત સુધરી શકે, વાત જો થાય તો,
આટલી વાત બંનેને સમજાય તો!
આપ સીધા જ રસ્તે જતા હો અને
માર્ગ સામે ચડી જાતે ફંટાય તો?

- શબનમ ખોજા

ચિનારના વૃક્ષોનાં લોહિયાળ વૃક્ષો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

चिनार के पेड़
अब
खारे उगेंगे
अब सींचे जा चुके हैं
उन्हें हमारे
आँसुओं से।
वो अब, तब तक रहेंगे
खारे
जब तक उनकी जड़ें
बदली नहीं जाती ।

- અજ્ઞાત હિન્દી કવિ

કાશ્મીરનો એક ભાગ મિની સ્વીત્ઝરલેન્ડ તરીકે ઓળખાય છે, આ ધરા પર કુદરત સોળે કળાએ ખીલી છે. કાશ્મીરમાં હોવાનો અર્થ છે સ્વર્ગમાં હોવું, આ પ્રદેશની સુંદરતા માટે સુફી કવિ હઝરત અમીર ખુશરોએ ગાયું હતું ‘અગર ફિરદૌશ બર-રુ-એ-ઝમીં અસ્ત, હમીં અસ્ત, ઓ હમીં અસ્ત, ઓ હમીં અસ્ત’. અર્થાત્ ધરતી ઉપર જો ક્યાંય સ્વર્ગ છે – તો તેં અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે.’ આપણા ગરવા ગુજરાતી કવિ કલાપીએ પણ કાશ્મીરદર્શન કરીને આ જ પંક્તિઓ ઉચ્ચારેલી.

ચિનારના વૃક્ષોથી છવાયેલા બરફીલા પર્વતોને જોઈને હૃદયમાં પ્રેમ પાંગરે છે, ખળખળ વહેતા નાનાં ઝરણાંઓ જોઈ અંદરનો આનંદ ઉછાળા મારે છે. લીલીછમ નાની ટેકરીઓ આંખોને ઠારે છે. સુંવાળા ઘાસ વચ્ચેથી નીકળતી નાની પગદંડીઓ પગલાને આવકારે છે. તેના મનમોહક દૃૃશ્યોને જોઈને આંખો ઠરે છે. એટલા માટે જ લોકો આ ભૂમિ પાછળ આટલા ઘેલા છે.

આ આંખો ઠારતાં થાનકો હવે આંખો દઝાડી રહ્યાં છે. જ્યાં તાંજાં પુષ્પોની મહેક નાસિકામાં પ્રવેશતાની સાથે પ્રસન્નતા થતી હતી ત્યાં હવે દારૂખાનાની ગંધ આવે છે, પંખીના ટહુકા અને ઝરણાના ખળખળની જગ્યાએ હવે બંદુકની ગોળીઓ અને ઘરમશીનોની ધણધણાટી સંભળાયે છે. જે દૃશ્ય જોઈને આંખો આનંદથી છલકાવી જોઈએ, તે દૃશ્યોથી હવે આંખો ભીંજાઈ રહી છે. જેની રળિયામણી કેડીઓ પર હરખભેર સફર કરવા તલસતા પગ હવે ખીલો થઈને એક જગાએ ખોડાઈ ગયા છે. ચિનારથી શોભતા રળિયામણા લીલા પર્વતો હવે લોહીથી લાલ થઈ ગયા છે.

ઉપરોક્ત હિન્દી કવિતામાં કવિએ ચિનારના વૃક્ષોના માધ્યમથી પોતાની પીડા વ્યક્ત કરી છે. ખારું પાણી વૃક્ષને પીવડાવવામાં આવે ત્યારે તે વિકસી શકતા નથી, અહીં કવિ કહે છે હવે પછી ચિનારના બધાં વૃક્ષો ખારા ઊગશે, કારણ કે તેના મૂળમાં અમારાં આંસુઓ સીંચાયાં છે. એ વૃક્ષોમાં ત્યાં સુધી ખારાશ રહેશે જ્યાં સુધી તેનાં મૂળ બદલી નાખવામાં ન આવે. અને મૂળ બદલાવવા માટે તો વૃક્ષ ઉખાડવુંં પડે! હવે આવાં પોતાનાં મૂળિયાં મજબૂત કરીને બેઠેલા આતંકી ઓછાયાને હટાવવા પડશે.

અમેરિકન લેખક ડેવિડ લેવિથોને લખેલું, એક જ ખાસ વાત એવી છે જે આપણને પ્રાણીઓથી અલગ કરે છે, અને તે એ છે કે આપણે જે લોકોને ક્યારેય મળ્યા પણ નથી હોતા, તેવા લોકોની કરૂણતા સાંભળીને આપણે શોકમાં ડૂબી જઈએ છીએ. કાશ્મીરમાં બનેલી બીનામાં સામેલ લોકોને ઘણા પ્રત્યક્ષ ક્યારેય મળ્યા નહીં હોય, ઓળખતા પણ નહીં હોય છતાં તેમના વિશે સાંભળીને તેમની આંખો ભીની થઈ ગઈ હશે, હૃદય પીડાથી ઊભરાઈ ગયું હશે. આજ તો તેમનામાં રહેલી માનવતાની સાબિતી છે.

પૃથ્વી પરનું સ્વર્ગ હવે નર્કમાં ફેરવાઈ ગયું છે. કોઈ નવોઢા પોતાના પિયુસંગે એ આહલાદક ભૂમિમાં પોતાના નવજીવનને જિંદગીભર યાદ રાખી શકાય તેવાં સમણા સજી રહી હતી, પણ એ શમણા આવી પીડામાં પરિવર્તિત થશે એનો તો સપનેય ક્યાંથી ખ્યાલ હોય? કોઈ સહપરિવાર કુદરતના ખોળે થોડા દિવસો ગમતો આનંદ એકઠો કરવા ગયા હોય ત્યારે અચાનક ધરબાયેલી ગોળીઓ પરિવારને ખેદાનમેદાન કરી નાખશે એવી તો કલ્પના જ ન હોયને. આ એક પ્રવાસે કેટકેટલા લોકોની જિંદગી લોહિયાળ બનાવી નાખી. આતંકવાદની યાદના આજે આખો દેશ ભોગવી રહ્યું છે.

હિન્દી કવિ રાજેન્દ્ર રંજને કહ્યું આવા હિણપતભર્યા આતંકવાદ પર કવિતા શું લખવાની?

લોગઆઉટઃ

तू मनुष्यता के तन-मन पर विषमय डंक
तू मनुष्यता के ज्योतिर्मय पथ का पंक

तू मनुष्यता के शशिमुख का कलुष कलंक
तू मनुष्यता के विरुद्ध अपकर्म अशंक

तू अनक्ष, तू अनय अनंकुश, तू आतंक!
तुझ पर कैसी कविता! तुझ पर थू आतंक!

- राकेश रंजन

ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

એ ટોટલ સોળ હતા.
એક અસહાય છોકરી પર બળાત્કાર કરનારા.
આઠ હિંદુ
છ મુસલમાન
બે ખ્રિસ્તી.

યુરેકા યુરેકા
સાંપ્રદાયિક એકતા !
સાંપ્રદાયિક એકતા !

- મલયાલી કવિ કુરીપુઝા શ્રીકુમાર, અનુવાદઃ ઇલિયાસ શેખ


ગ્રીસના પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક આર્કિમિડિઝને તેમના રાજાએ એક મુગટ આપ્યો અને કહ્યું કે આમાં મને અન્ય ધાતુની મિલાવટ કરી હોય તેમ લાગે છે. તપાસ કરો. વળી આ મુગટને તોડ્યા વિના જ તેમાં ધાતુની મિલાવટ છે કે નહીં તે જાણવાનું હતું, કેમ કે મુગટ સાથે રાજાની ધાર્મિક શ્રદ્ધા જોડાયેલી હતી. મુગટને તોડીએ તો તો દેવતાઓ કોપાયમાન થાય. આર્કિડિઝ બહુ દિવસ મથ્યો પણ મુગટને જરા પણ નુકસાન કર્યા વિના કઈ રીતે તપાસવું તે સમજાતું નહોતું. એક દિવસ તે બાથટબમાં નહાતા અને અને અચાનક તેમને ધાતુના મિશ્રણને શોધી કાઢવાનો આઇડિયા મળી ગયો. તે એટલા ઉત્સાહમાં આવી ગયા કે નિર્વસ્ત્ર સ્થિતિમાં જ શહેરની ગલીમાં યુરેકા યુરેકા કરીને દોડવા માંડ્યા. અર્થાત્ મળી ગયું, મળી ગયું…


આ જ યુરેકા શબ્દનો ઉપયોગ કરીને મલ્યાલમ કવિ કુરીપુઝા શ્રીકુમારે ખૂબ ધારદાર કવિતા લખી છે. જાણી કોઈ મોટી શોધ કરી હોય તેવા સંદર્ભમાં તે સમાજ પર, અને આપણી સાંપ્રદાયિક એકતાની દંભી વાતો પર જનોઈવઢ ઘા કરે છે. કવિતાનું શીર્ષક છે - યુરેકા.


મલયાલમ ભાષાના આ મોડર્ન મલ્યાલમ સાહિત્યમાં મોખરાનુંં નામ છે. સમાજમાં પ્રવર્તતા પ્રશ્નોને પોતાની કવિતામાંં તેઓ બખૂબી રજૂ કરે છે. ધર્મ, પરંપરા અને સમાજના નામે ચાલતા દંભો પર તેમણે આકરા ચાબખા માર્યા છે. તેમના શબ્દો તીખા છે, હૃદયમાં ખંજર ઘોંપાયું હોય તેમ વાગે છે. કવિ ઇલિયાસ શેખે તેમની કવિતાનો ખૂબ સરળ રીતે અનુવાદ કર્યો છે.

આપણે ત્યાં અનેકવાર ગેંગરેપના કિસ્સાઓ બને છે. નાની બાળકી પર તૂટી પડેલા નરાધમો, એકલી જોઈને યુવતી પર પાશવી બળાત્કાર, જેવા અનેક સમાચારો વાંચીને આપણે ધ્રૂજી ઊઠતા હોઈએ છીએ. આવી ઘટનામાં ન્યાય અન્યાયને બાજુમાં મૂકીને ઘણા લોકો ધર્મના ઉંબાડિયાં કરવા માંડે છે. રાજકીય રંગ પણ અપાય છે. કવિએ કવિતામાં એક બળાત્કારના કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. એક અસહાય છોકરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. તેમાં કોણ કોણ હતું તેમણે જણાવ્યું છે. સામુહિક બળાત્કારના આ કિક્સામાં ટોટલ સોળ વ્યક્તિઓએ જવાબદાર હતા. એ સોળ વ્યક્તિઓમાં આઠ હતા હિન્દુ, છ મુસલમાન અને બે ખ્રિસ્તી. આટલું કહીને પછી તરત કહે છે યુરેકા યુરેકા… અર્થાત્ તેમને સાચું કારણ મળી ગયું છે - તેનું કારણ છે સાંપ્રદાયિક એકતા!

કેવી સાંપ્રદાયિક એકતા! આપણી કહેવાતી સાંપ્રદાયિક દંભી એકતા પર આકરો ચાબુક ફટકાર્યા પછી કશું કહેવાનું રહેતું નથી. બળાત્કારીઓનો ધર્મ હોતો નથી. પણ આપણે જ્યારે ન્યાય અન્યાયની વાતો કરવા બેસીએ છીએ ત્યારે ધર્મની ધજા લઈને છાપરે ચડીએ છીએ. ધર્મ, જાતિ, જ્ઞાતિ, જેવા વાડામાં રહીને આપણે જોવા લાગીએ છીએ. કુરીપૂજાએ અહીં બળાત્કારીઓને તો આડેહાથે લીધા જ છે, પણ ધાર્મિક એકતાની ફિક્કી વાતો કરતા લોકો પર કટાક્ષ કર્યો છે.

માટીમાં ભળી ગયેલો માણસ નથી હિન્દુ હોતો નથી મુસલમાન. અમૃત ઘાયલનો સરસ શેર છે-
ન હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયુંં તો ઇન્સાન નીકળ્યા.

આપણે એ વાત ભૂલી ગયા છીએ કે ધર્મ આપણી માટે છે, આપણે ધર્મ માટે નથી. કુરીપુઝા શ્રીકુમારની ‘કુહાડી’ શીર્ષકથી લખાયેલી અન્ય કવિતા પણ એટલી જ ધારદાર છે.

લોગઆઉટઃ

હિંદુની કુહાડીએ
મુસલમાનની કુહાડીને કહ્યું:
'આજે જે લોહી આપણે ચાખ્યું,
એનો સ્વાદ એક સરખો હતો.!'

- કુરીપુજ્જા શ્રીકુમાર, અનુ. ઇલિયાસ શેખ

શિવના ત્રીજા નેત્ર જેવો આકરો તડકો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

સૌમ્ય બે શિવનાં નેત્રો સમાં પ્રાતઃ અને નિશા,
મધ્યે મધ્યાહ્નની ત્રીજા હરનેત્રની ઉગ્રતા.

ઘટામાં વૃક્ષની ઘેરી ક્લાન્ત આતપથી ઢળ્યો,
માતરિશ્વા રહ્યો હાંફી ઉષ્ણ શ્વાસે દઝાડતો.

આકાશી આમ્રના વૃક્ષે, પાતળાં જલદાન્વિત,
શોભે મધ્યાહ્નનો સૂર્ય, પાકેલી શાખ સો પીત.

ઉઘાડે અંગ જાણે કો જોગી ફાળ ભરી જતો,
છુટ્ટી ઝાળજટા એની તામ્રવર્ણી ઉડાડતો.

ઢળતી સાંજ ને ઓછી થતી સર્યની ઉગ્રતા,
વળતી સૃષ્ટિની મૂર્છા; રૂંધાયા શ્વાસ છૂટતા.

ઢળેલો દ્રુમછાયામાં ધીમેથી વાયુ જાગતો,
લહેરોમાં શીળી ધીમી ગતિનું ગાન ગુંજતો.

આકરા તાપને અંતે રાત્રિ શી સૌમ્ય ને શીત!
આકરા તપને અંતે જાણે પાર્વતીનું સ્મિત!

– જયંત પાઠક

આપણે ત્યાં ઋતુકાવ્યોનો આગવો મહિમા છે. અત્યારે ઉનાળો પૂરબહાર ખીલ્યો છે ત્યારે જયંત પાઠકની ગ્રિષ્મઋતુની આ કવિતા માણવી સૌને ગમે તેવી છે.

ઉનાળાના આકરા તાપને વર્ણવવા નિરંજન ભગતે લખેલું, “તગતગતો આ તડકો, ચારેકોર જુઓને કેવી ચગદાઈ ગઈ છે સડકો!” બપોરે બહાર નીકળવું એ યુદ્ધે જવા બરોબર છે. ઘણા માણસો બફાયેલા બટેકા જેવા થઈ જતા હો છે. તાપની તોરભરી તુમાખીને સહન કરવી જેવાતેવાનું કામ નથી. સવારે મીઠો લાગતો તડકો બપોર સુધીમાં તો અગ્નિની જ્વાળા જેવો બની જાય છે. મકાઈના દાણા પોપકોર્ન બની જાય એ હદનો તાપ વરસતો હોય છે. તડકામાં સૂકાવા મૂકેલા કાચા પાપડોને શેકવાની જરૂર રહેતી નથી.

રમેશ પારેખે લખેલું, “ઉનાળો ફેલાતો જાય… માતેલો તાપ ઠેઠ જીવ સુધી પહોંચ્યો તે દરિયા પણ સુક્કા દેખાય…” એના તાપમાં તપીને દરયા જેવા દરયા ઠરીને સૂક્કા ભઠ થઈ જતા હોય છે. આ લેખ લખનાર કવિએ લખેલું, “ઉનાળો કાળઝાળ થાય છે, પાંપણથી ગાલ સુધી પહોંચે એ પહેલાં તો આંસુ વરાળ થઈ જાય છે.” આવેલુંં આંસુ ગાલ પર રેલાય એ પહેલાં તો બાષ્પીભવન થઈ જતું હોય છે. દલપતરામે મનહર છંદમાં લખેલું, “ક્રોધમય કાયા ધરી અરે આ આવે છે કોણ, જેના અંગઅંગોમાંથી ઉપજતી ઝાળ છે.”

કાકાસાહેબ કાલેલકરે ઉનાળાને મધ્યાહ્નનું કાવ્ય કહેલું. ઘણાને તે ગરમાળો અને ગુલમહેલરનો પીળચટ્ટો રળિયામણો સંગમ દેખાય છે. ખલિલ જિબ્રાને કહેલું કે ઉનાળો વધારે અજવાળું લઈને આવે છે. એ ગાળામાં દિવસો મોટા થઈ જાય છે. સમય તો એટલો જ રહે છે, પણ સૂરજની અવધિ વધી જતા આપણને દિવસ મોટો લાગે છે, કામ માટે વધારે સમય મળે છે. અર્થાત્ આ સમય વધારે જિદગી જીવવાનો છે.

જયંત પાઠકે ગ્રિષ્મઋતુનું છંદોબદ્ધ આલેખ્યું છે. પ્રભાત અને સંધ્યા શિવનાં બે શાંત નયનો જેવાંં છે. પરોઢ ઊઘડે તો થાય કે જાણે પ્રભુનાં બે નેત્રો ઊઘડ્યાં. સાંજ ઢળતા લાગે ભોળાનાથની આંખ મીંચાઈ. પણ બપોરના સમય તો એવો અહેસાસ થાય જાણે શિવનું ત્રીજું નેત્ર ખૂલી ગયુંં. ચારે બાજુ અગનજ્વાળાઓ… જાણે સમગ્ર ધરતી પર ક્રોધપૂર્વક તેમની નજર ફરી રહી હોય… બધું બાળીને ભસ્મીભૂત કરી દેવાનું હોય તેમ ધરતી સળગતી હોય છે. સૂર્ય તો જાણે આકાશના આંબાની પક્વ ડાળ પર પાકેલુંં પીળું ફળ. બપોરનો સમય કોઈ તામ્રવર્ણી જોગી જટાળો ઉઘાડે ડિલો નીકળ્યો હોય અને તેની ઝાળજટા ચારેબાજુ લહેરાઈ રહી તેવો લાગે છે.

ઢળતી સાંજના સમયે સૂર્યનું રદ્રરૂપ શાંત પડે છે. આખા દિવસના ધધગતા તાપથી મૂર્છિત થઈ ગયેલી વસુંંધરાના શ્વાસ ધબકતા થાય છે. પવન પણ લૂ મટીને શીતળ વાયુનું સ્વરૂપ ધારણ કરે છે. દિવસભરના આકરા તાપને અંતે થયેલી રાત્રી સૌમ્ય અને શીતળ લાગે છે, શિવના ખૂલેલા ત્રીજા નેત્ર જેવો વરવો તાપ વેઠ્યા પછીની રાત્રી પાર્વતીના મધુર સ્મિત જેવી લાગે છે.

જયંત પાઠકે ઉનાળાને કાળ સાથે પણ સરખાવ્યો છે. આ રહી તેમની અન્ય કવિતા.

લોગઆઉટઃ

રે આવ્યો કાળ ઉનાળો
અવની અખાડે, અંગ ઉઘાડે, અવધૂત ઝાળજટાળો.

એના શ્વાસે શ્વાસે સળગે ધરતી કેરી કાયા;
એને પગલે પગલે ઢળતા પ્રલય તણા પડછાયા.
ભરતો ભૈરવ ફાળો. રે આવ્યો કાળ ઉનાળો….

એના સૂકા હોઠ પલકમાં સાત સમુન્દર પીતા
એની આંખો સગળે જાણે સળગે સ્મશાન ચિતા.
સળગે વનતરુડાળો, રે આવ્યો કાળ ઉનાળો…
કોપ વરસતો કાળો રે આવ્યો કાળ ઉનાળો.

- જયંત પાઠક