લેબલ અંતરનેટની કવિતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અંતરનેટની કવિતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

એ ટોટલ સોળ હતા.
એક અસહાય છોકરી પર બળાત્કાર કરનારા.
આઠ હિંદુ
છ મુસલમાન
બે ખ્રિસ્તી.

યુરેકા યુરેકા
સાંપ્રદાયિક એકતા !
સાંપ્રદાયિક એકતા !

- મલયાલી કવિ કુરીપુઝા શ્રીકુમાર, અનુવાદઃ ઇલિયાસ શેખ


ગ્રીસના પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક આર્કિમિડિઝને તેમના રાજાએ એક મુગટ આપ્યો અને કહ્યું કે આમાં મને અન્ય ધાતુની મિલાવટ કરી હોય તેમ લાગે છે. તપાસ કરો. વળી આ મુગટને તોડ્યા વિના જ તેમાં ધાતુની મિલાવટ છે કે નહીં તે જાણવાનું હતું, કેમ કે મુગટ સાથે રાજાની ધાર્મિક શ્રદ્ધા જોડાયેલી હતી. મુગટને તોડીએ તો તો દેવતાઓ કોપાયમાન થાય. આર્કિડિઝ બહુ દિવસ મથ્યો પણ મુગટને જરા પણ નુકસાન કર્યા વિના કઈ રીતે તપાસવું તે સમજાતું નહોતું. એક દિવસ તે બાથટબમાં નહાતા અને અને અચાનક તેમને ધાતુના મિશ્રણને શોધી કાઢવાનો આઇડિયા મળી ગયો. તે એટલા ઉત્સાહમાં આવી ગયા કે નિર્વસ્ત્ર સ્થિતિમાં જ શહેરની ગલીમાં યુરેકા યુરેકા કરીને દોડવા માંડ્યા. અર્થાત્ મળી ગયું, મળી ગયું…


આ જ યુરેકા શબ્દનો ઉપયોગ કરીને મલ્યાલમ કવિ કુરીપુઝા શ્રીકુમારે ખૂબ ધારદાર કવિતા લખી છે. જાણી કોઈ મોટી શોધ કરી હોય તેવા સંદર્ભમાં તે સમાજ પર, અને આપણી સાંપ્રદાયિક એકતાની દંભી વાતો પર જનોઈવઢ ઘા કરે છે. કવિતાનું શીર્ષક છે - યુરેકા.


મલયાલમ ભાષાના આ મોડર્ન મલ્યાલમ સાહિત્યમાં મોખરાનુંં નામ છે. સમાજમાં પ્રવર્તતા પ્રશ્નોને પોતાની કવિતામાંં તેઓ બખૂબી રજૂ કરે છે. ધર્મ, પરંપરા અને સમાજના નામે ચાલતા દંભો પર તેમણે આકરા ચાબખા માર્યા છે. તેમના શબ્દો તીખા છે, હૃદયમાં ખંજર ઘોંપાયું હોય તેમ વાગે છે. કવિ ઇલિયાસ શેખે તેમની કવિતાનો ખૂબ સરળ રીતે અનુવાદ કર્યો છે.

આપણે ત્યાં અનેકવાર ગેંગરેપના કિસ્સાઓ બને છે. નાની બાળકી પર તૂટી પડેલા નરાધમો, એકલી જોઈને યુવતી પર પાશવી બળાત્કાર, જેવા અનેક સમાચારો વાંચીને આપણે ધ્રૂજી ઊઠતા હોઈએ છીએ. આવી ઘટનામાં ન્યાય અન્યાયને બાજુમાં મૂકીને ઘણા લોકો ધર્મના ઉંબાડિયાં કરવા માંડે છે. રાજકીય રંગ પણ અપાય છે. કવિએ કવિતામાં એક બળાત્કારના કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. એક અસહાય છોકરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. તેમાં કોણ કોણ હતું તેમણે જણાવ્યું છે. સામુહિક બળાત્કારના આ કિક્સામાં ટોટલ સોળ વ્યક્તિઓએ જવાબદાર હતા. એ સોળ વ્યક્તિઓમાં આઠ હતા હિન્દુ, છ મુસલમાન અને બે ખ્રિસ્તી. આટલું કહીને પછી તરત કહે છે યુરેકા યુરેકા… અર્થાત્ તેમને સાચું કારણ મળી ગયું છે - તેનું કારણ છે સાંપ્રદાયિક એકતા!

કેવી સાંપ્રદાયિક એકતા! આપણી કહેવાતી સાંપ્રદાયિક દંભી એકતા પર આકરો ચાબુક ફટકાર્યા પછી કશું કહેવાનું રહેતું નથી. બળાત્કારીઓનો ધર્મ હોતો નથી. પણ આપણે જ્યારે ન્યાય અન્યાયની વાતો કરવા બેસીએ છીએ ત્યારે ધર્મની ધજા લઈને છાપરે ચડીએ છીએ. ધર્મ, જાતિ, જ્ઞાતિ, જેવા વાડામાં રહીને આપણે જોવા લાગીએ છીએ. કુરીપૂજાએ અહીં બળાત્કારીઓને તો આડેહાથે લીધા જ છે, પણ ધાર્મિક એકતાની ફિક્કી વાતો કરતા લોકો પર કટાક્ષ કર્યો છે.

માટીમાં ભળી ગયેલો માણસ નથી હિન્દુ હોતો નથી મુસલમાન. અમૃત ઘાયલનો સરસ શેર છે-
ન હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયુંં તો ઇન્સાન નીકળ્યા.

આપણે એ વાત ભૂલી ગયા છીએ કે ધર્મ આપણી માટે છે, આપણે ધર્મ માટે નથી. કુરીપુઝા શ્રીકુમારની ‘કુહાડી’ શીર્ષકથી લખાયેલી અન્ય કવિતા પણ એટલી જ ધારદાર છે.

લોગઆઉટઃ

હિંદુની કુહાડીએ
મુસલમાનની કુહાડીને કહ્યું:
'આજે જે લોહી આપણે ચાખ્યું,
એનો સ્વાદ એક સરખો હતો.!'

- કુરીપુજ્જા શ્રીકુમાર, અનુ. ઇલિયાસ શેખ

શિવના ત્રીજા નેત્ર જેવો આકરો તડકો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

સૌમ્ય બે શિવનાં નેત્રો સમાં પ્રાતઃ અને નિશા,
મધ્યે મધ્યાહ્નની ત્રીજા હરનેત્રની ઉગ્રતા.

ઘટામાં વૃક્ષની ઘેરી ક્લાન્ત આતપથી ઢળ્યો,
માતરિશ્વા રહ્યો હાંફી ઉષ્ણ શ્વાસે દઝાડતો.

આકાશી આમ્રના વૃક્ષે, પાતળાં જલદાન્વિત,
શોભે મધ્યાહ્નનો સૂર્ય, પાકેલી શાખ સો પીત.

ઉઘાડે અંગ જાણે કો જોગી ફાળ ભરી જતો,
છુટ્ટી ઝાળજટા એની તામ્રવર્ણી ઉડાડતો.

ઢળતી સાંજ ને ઓછી થતી સર્યની ઉગ્રતા,
વળતી સૃષ્ટિની મૂર્છા; રૂંધાયા શ્વાસ છૂટતા.

ઢળેલો દ્રુમછાયામાં ધીમેથી વાયુ જાગતો,
લહેરોમાં શીળી ધીમી ગતિનું ગાન ગુંજતો.

આકરા તાપને અંતે રાત્રિ શી સૌમ્ય ને શીત!
આકરા તપને અંતે જાણે પાર્વતીનું સ્મિત!

– જયંત પાઠક

આપણે ત્યાં ઋતુકાવ્યોનો આગવો મહિમા છે. અત્યારે ઉનાળો પૂરબહાર ખીલ્યો છે ત્યારે જયંત પાઠકની ગ્રિષ્મઋતુની આ કવિતા માણવી સૌને ગમે તેવી છે.

ઉનાળાના આકરા તાપને વર્ણવવા નિરંજન ભગતે લખેલું, “તગતગતો આ તડકો, ચારેકોર જુઓને કેવી ચગદાઈ ગઈ છે સડકો!” બપોરે બહાર નીકળવું એ યુદ્ધે જવા બરોબર છે. ઘણા માણસો બફાયેલા બટેકા જેવા થઈ જતા હો છે. તાપની તોરભરી તુમાખીને સહન કરવી જેવાતેવાનું કામ નથી. સવારે મીઠો લાગતો તડકો બપોર સુધીમાં તો અગ્નિની જ્વાળા જેવો બની જાય છે. મકાઈના દાણા પોપકોર્ન બની જાય એ હદનો તાપ વરસતો હોય છે. તડકામાં સૂકાવા મૂકેલા કાચા પાપડોને શેકવાની જરૂર રહેતી નથી.

રમેશ પારેખે લખેલું, “ઉનાળો ફેલાતો જાય… માતેલો તાપ ઠેઠ જીવ સુધી પહોંચ્યો તે દરિયા પણ સુક્કા દેખાય…” એના તાપમાં તપીને દરયા જેવા દરયા ઠરીને સૂક્કા ભઠ થઈ જતા હોય છે. આ લેખ લખનાર કવિએ લખેલું, “ઉનાળો કાળઝાળ થાય છે, પાંપણથી ગાલ સુધી પહોંચે એ પહેલાં તો આંસુ વરાળ થઈ જાય છે.” આવેલુંં આંસુ ગાલ પર રેલાય એ પહેલાં તો બાષ્પીભવન થઈ જતું હોય છે. દલપતરામે મનહર છંદમાં લખેલું, “ક્રોધમય કાયા ધરી અરે આ આવે છે કોણ, જેના અંગઅંગોમાંથી ઉપજતી ઝાળ છે.”

કાકાસાહેબ કાલેલકરે ઉનાળાને મધ્યાહ્નનું કાવ્ય કહેલું. ઘણાને તે ગરમાળો અને ગુલમહેલરનો પીળચટ્ટો રળિયામણો સંગમ દેખાય છે. ખલિલ જિબ્રાને કહેલું કે ઉનાળો વધારે અજવાળું લઈને આવે છે. એ ગાળામાં દિવસો મોટા થઈ જાય છે. સમય તો એટલો જ રહે છે, પણ સૂરજની અવધિ વધી જતા આપણને દિવસ મોટો લાગે છે, કામ માટે વધારે સમય મળે છે. અર્થાત્ આ સમય વધારે જિદગી જીવવાનો છે.

જયંત પાઠકે ગ્રિષ્મઋતુનું છંદોબદ્ધ આલેખ્યું છે. પ્રભાત અને સંધ્યા શિવનાં બે શાંત નયનો જેવાંં છે. પરોઢ ઊઘડે તો થાય કે જાણે પ્રભુનાં બે નેત્રો ઊઘડ્યાં. સાંજ ઢળતા લાગે ભોળાનાથની આંખ મીંચાઈ. પણ બપોરના સમય તો એવો અહેસાસ થાય જાણે શિવનું ત્રીજું નેત્ર ખૂલી ગયુંં. ચારે બાજુ અગનજ્વાળાઓ… જાણે સમગ્ર ધરતી પર ક્રોધપૂર્વક તેમની નજર ફરી રહી હોય… બધું બાળીને ભસ્મીભૂત કરી દેવાનું હોય તેમ ધરતી સળગતી હોય છે. સૂર્ય તો જાણે આકાશના આંબાની પક્વ ડાળ પર પાકેલુંં પીળું ફળ. બપોરનો સમય કોઈ તામ્રવર્ણી જોગી જટાળો ઉઘાડે ડિલો નીકળ્યો હોય અને તેની ઝાળજટા ચારેબાજુ લહેરાઈ રહી તેવો લાગે છે.

ઢળતી સાંજના સમયે સૂર્યનું રદ્રરૂપ શાંત પડે છે. આખા દિવસના ધધગતા તાપથી મૂર્છિત થઈ ગયેલી વસુંંધરાના શ્વાસ ધબકતા થાય છે. પવન પણ લૂ મટીને શીતળ વાયુનું સ્વરૂપ ધારણ કરે છે. દિવસભરના આકરા તાપને અંતે થયેલી રાત્રી સૌમ્ય અને શીતળ લાગે છે, શિવના ખૂલેલા ત્રીજા નેત્ર જેવો વરવો તાપ વેઠ્યા પછીની રાત્રી પાર્વતીના મધુર સ્મિત જેવી લાગે છે.

જયંત પાઠકે ઉનાળાને કાળ સાથે પણ સરખાવ્યો છે. આ રહી તેમની અન્ય કવિતા.

લોગઆઉટઃ

રે આવ્યો કાળ ઉનાળો
અવની અખાડે, અંગ ઉઘાડે, અવધૂત ઝાળજટાળો.

એના શ્વાસે શ્વાસે સળગે ધરતી કેરી કાયા;
એને પગલે પગલે ઢળતા પ્રલય તણા પડછાયા.
ભરતો ભૈરવ ફાળો. રે આવ્યો કાળ ઉનાળો….

એના સૂકા હોઠ પલકમાં સાત સમુન્દર પીતા
એની આંખો સગળે જાણે સળગે સ્મશાન ચિતા.
સળગે વનતરુડાળો, રે આવ્યો કાળ ઉનાળો…
કોપ વરસતો કાળો રે આવ્યો કાળ ઉનાળો.

- જયંત પાઠક

વરી હું વિઠ્ઠલવરને વરી

લોગઇન:

સતત રહીને પરી, વરી હું વિઠ્ઠલવરને વરી.

હું જાણું કે સામો ચાલી એ તો શીદને આવે,
દૂર રહીને બહુ બહુ તો એ વેણુનાદ બજાવે.
મેં તો મારી સઘળી સુરતા ચરણકમળમાં ધરી,
વરી હું વિઠ્ઠલવરને વરી.

એ પંડે ઘનશ્યામ, ગમે તો ભલે ખાબકી પડે,
હું તો ખાલી વાદલડી તે બેત્રણ છાંટા જડે,
તોય પલળતાં આવી ઊભો, શી અણધારી કરી!
વરી હું વિઠ્ઠલવરને વરી.

– હરિકૃષ્ણ પાઠક

એક ખૂબ જાણીતું પદ છે,
હરિ તારાં નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી,
રોજરોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી?

હરિ નામનો હંસલો સચરાચરમાં ઊડ્યા કરે છે. આતમ એની પાંખનો સ્પર્શ અનુભવે છે. અનેકાદિ નામમાં ઓગળી ગયેલું હરિનામ કોઈ એક નામની ખીંટીએ ટાંગીને ક્યાંથી રાખી શકાય? કોઈ એને શ્યામ કહે, કોઈ કહે ઘનશ્યામ, કોઈ કહે રણછોડ, વળી કોઈ શ્રીજી કહીને સ્મરે, કોઈ કહાન કહી બોલાવે, કોઈ વિઠ્ઠલવર કહી પોકારે કોઈ કૃષ્ણ નામની સંભારે, કોઈના હૈયામાં ઠાકોરના નામનો દરબાર ભરાય. કોઈ દ્વારકાધીશ કહીને નમન કરે, તો કોઈ ગોવાળિયો કહીને એની દોસ્તી પણ કરે. કોઈનું હૈયું મોરપીચ્છ બને તો કોઈનો સ્વર વાંસળી. હરિ તો અનેક નામમાં વિલિન થઈ ગયેલું તત્ત્વ છે. એ તત્ત્વને વિઠ્ઠલ નામે આત્મસાત કરીને કવિ હરિકૃષ્ણ પાઠકે સુંંદર પ્રેમસમર્પણભાવનું ભક્તિમય કાવ્ય લખ્યું છે. અને કવિના નામનો સંયોગ પણ અદભુત છે, કવિના નામમાં જ હરિ અને કૃષ્ણ બંને સમાઈ જાય છે.

ગોપીભાવે કૃષ્ણને ભજવાની આ ભાવમય ભક્તિપરંપરા તો આપણે ત્યાં વર્ષોથી છે. મીરાંબાઈએ લખેલું,
મોરમુગટ ને કાને રે કુંડલ, મુખ પર મોરલી ધરી
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ, વિઠ્ઠલ વરને વરી

નરસિંહે પણ ગોપીભાવે અનેક પદોની રચના કરી. આ પ્રણયરાગ અનેક કવિઓએ પોતાનાં પદોમાં ભાવપૂર્વક ઝીલ્યો છે. રમેશ પારેખે પણ મીરાંમય થઈને અનેક કાવ્યોની રચના કરી, તો માધવ રામાનુજે પણ ગોકુળમાં કોક વાર આવો તો કહાન હવે રાધાને મુખ ના બતાવશો’ દ્વારા રાધાભાવે કવિતામાં કૃષ્ણપ્રેમ વ્યક્ત કર્યો. કૃષ્ણનું દરેક સ્વરૂપ જ એટલું રળિયામણું છે કે તેમના વિશે લખતા કવિ સહજભાવે ગોપી બની જાય છે.

હરિકૃષ્ણ પાઠકે ઉપરોક્ત કવિતામાં પ્રેમભક્તિ અને આત્મસમર્પણનો ઊંડો ભાવ વ્યક્ત કર્યો છે. અહીં પ્રભુને પામવાની ઘેલછા નથી, પ્રભુ તો પામી લીધા છે, કાવ્યનાયિકા વિઠ્ઠલવરને વરી ચૂક્યાં છે. હવે તો વિઠ્ઠલને વર્યા પછીના ઊર્મિનો આનંદ છે. રિસામણા મનામણા છે. પ્રણય અને સમર્પણ છે. કાવ્યનાયિકા જાણે છે કે પ્રભુ સામે ચાલીને મારી પાસે નહીં આવે, મારે જ તેમણે બજાવેલો વેણુનાદ સાંભળીને તેમની પાસે જવું પડશે. કેમ કે મેં જ તો એમના ચરણકમળમાં મને સમર્પિિત કરી છે. બંસરીને સૂર કાને પ઼ડતાની સાથે જ હરિના સાંનિધ્યની અનુભૂતિ થઈ જાય છે.

પ્રભુ તો પ્રણયનું ગોરંભાતું આકાશ છે, ગમે ત્યારે ખાબકી પડે. ભલે એ અનરાધાર વરસે મને પરવા નથી. હું તો ભીંજાવા જ બેઠી છું. હરિનામનાં વાદળો મારી પર વરસી પડે, મને તેમના ભક્તિના ઝરણામાં વહાવીને લઈ જાય. વાંધો નથી. પણ હું તો માત્ર એક નાનકડી વાદળી છું. પ્રભુ અનરાધાર વરસે તોય હું ઝીલી ઝીલીને કેટલું ઝીલુંં, એકબે છાટાં તો બહુ… છતાં હું એ ઘનશ્યામ નામના આભને પામવા આવી ચડી છું.

કવિએ અહીં ગોપીભાવે પ્રણયપૂર્વક ભક્તિરંગ બરોબર ઘૂંંટ્યો છે. હરિકૃષ્ણ પાઠકની આ રચના હૈયાને સ્પર્શી જાય તેવી છે. તેમણે માત્ર ગીતો જ નહીં, ગઝલ, અછાંદસ, છાંદસ જેવાં વિવિધ કાવ્યસ્વરૂપોમાં સુપેરે પ્રદાન કર્યું છે. એટલું જ નહીંં, તેમણે વાર્તા, નિબંધો, વિવેચન જેવાં ગદ્યસ્વરૂપમાં પણ સારું એવું ખેડાણ કર્યું છે. આપણે થોડા દિવસ પહેલા જ આ ગૌરવવંતા સર્જકને ગુમાવ્યા. કલમની શક્તિના જોરે તેઓ લાંબા સમય સુધી ગુજરાતી ભાષામાં જીવંંત રહેશે. તેમના જ એક અન્ય ગીતથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

ઝીલો જળની ધારા;
આજ છલ્યો દરિયો આકાશી તોડી સઘળા આરા,

જળની રેલમછેલ મચી છે, જળની ઝીંકાઝીંક;
જળનો સાંઢ ચડ્યો તોફાને જોજો, લાગે ઢીંક!
પડ્યો નગારે ઘાવ, કાળના દ્હાડા ગયા અકારા;
ઝીલો જળની ધારા.

પડી તિરાડો પળમાં દેતા જળના રેલા સાંઘી,
સચરાચર કોળ્યું, જે બેઠું જીવ પડીકે બાંધી!
જળહળતું નભ જળથી, નીચે જળના ભર્યા ઝગારા!
ઝીલો જળની ધારા.

– હરિકૃષ્ણ પાઠક

શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી

લોગઇન:

ચણોઠીઓના ઢગલે દાઝ્યા કંઈક કવિના કિત્તાજી,
શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી.

– અનિલ જોશી

શબ્દના સર્જનહારે અનેકવાર અગ્નિપરીક્ષા આપવી પડતી હોય છે તે વાત બે જ પંક્તિમાં કેટલી સચોટ રીતે દર્શાવી આપી છે કવિએ.

ગુજરાતી ગીતોમાં નવોન્મેશ લાવનાર બે મહત્ત્વના કવિઓ તે અનિલ જોશી અને રમેશ પારેખ. બંનેમાં ફાટફાટ મૌલિકતા, અભિવ્યક્તિનું નાવિન્ય અને કલ્પનાની સચોટ રજૂઆત કરવાની ઊંડી આવડત. રમેશ પારેખનું સર્જનવિશ્વસ ખૂબ બહોળું - વિશાળ પટમાં પથરાયેલું, જ્યારે અનિલ જોશીનું સર્જન ઓછું, પણ ખૂબ મજબૂત. તેમણે કેટકેટલાં નવકલ્પનોના રસથાળ આપણને ધર્યા. એમાંય ગીતમાં તેમની સવિશેષ હથોટી. તે એમ લખે, ‘મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું’ તુલસીના પાંદડાને આપણે ત્યાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે, તેને બિયરમાં નાખવાનું સાહસ કોણ કરે? એમાં તો ઘણા પરંપરાગત મૂલ્યો ધ્વસ્ત થાય. વળી એ એમ પણ લખે કે ‘મેં તો આબરૂના કાંકરાથી પાણીને કૂંડાળું દીધું’ આપણે ત્યાં નાલેશી વહોરવાની થાય ત્યારે લોકો કહે છે કે આબરૂના કાંકરા થઈ ગયા. બાળકોને પાણીમાં પથ્થર નાખીને કુંડાળાં કરવાની રમતમાં મજા પડે છે. આ કવિ પણ પોતાની મહામૂલી આબરૂના કાંકરા થઈ ગયા, તો એ કાંકરા પાણીમાં ફેંકીને તેમાંથી કુંડાળા કરે છે.

અનિલ જોશીની કવિતામાં મૌલિકતા નિરંતર મહોરતી રહે છે. તેમણે દીકરી-વિદાય વિશે લખેલું કાવ્ય ગુજરાતી ભાષાના ઘરેણા જેવું છે.
‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.’

ક્યાંય વરરાજાનો ઉલ્લેખ નથી, પણ પંક્તિ વાંચતાની સાથે આંખ સામે એક દૃશ્ય ખડું થઈ જાય કે સાંજની વેળા છે, જાન ઊઘલી રહી છે, ઢોલ વાગી રહ્યો છે, તમે કવિનો કમાલ જુઓ, ‘ઢોલ ઢબૂકતો’ શબ્દને વારંવાર બોલશો તો ખરેખર ઢોલ ઢબૂકતો હોય તેવો નાદ સર્જાશે. શબ્દોનો ઉપયોગ પણ ખૂબ મહત્ત્વનો છે. ક્યાં કયો શબ્દ વાપરવો તેની ઊંડી સૂઝ હોવી જરૂરી છે. આ સમજ કવિતામાં પ્રાણ પૂરે છે. ‘ઢોલ ઢબૂકતો’ શબ્દો માત્ર શબ્દો ન રહેતામાં તેમાંથી અવાજ પણ ઉત્ત્પન્ન થાય છે. તેને બદલે ‘ઢોલ વાગતો’ શબ્દો વાપરીએ તો પણ લયભંગ નથી થવાનો, પણ કવિને ખબર છે કે કવિતા વધારે તીવ્રતાથી અને ભાવનાત્મક રીતે વ્યક્ત કરવા કયા શબ્દોનું પ્રયોજન જરૂરી છે. તેણે પ્રયોજેલો એકેએક શબ્દ ખૂબ મૂલ્યવાન મોતી છે. એ મોતીની ચમક પામવા માટે શબ્દના અર્થને ઉજાગર કરવો પડે. અનિલ જોશી શબ્દની આ શક્તિને ખૂબ ઊંડાણપૂર્વક સમજતા હતા, તેથી જ તેમણે લખેલો શબ્દ પોતાની આગવવી છાપ છોડે છે.

વળી આ કવિ એમ પણ લખે, ‘સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ’ અરે! પાણીમાં તે કાંઈ ગાંઠ પડતી હશે? પણ કવિએ ખૂબ સમજપૂર્વક પંક્તિ વાપરી છે. યુવતી વહેલી પરોઢે પાણી ભરવા ગઈ છે, અને પાણીની સપાટી પર તે બરફના ટુકડાઓ તરતા જુએ છે, તે બરફના ટુકડાને પાણીમાં પડેલી ગાંઠ તરીકે જુએ છે!

મોટા કર્કશ ઘોંઘાટમાં નાના માણસોનો અવાજ ક્યાં દબાઈ જાય છે, ખબર પણ નથી પડતી. એ વાતને ઉજાગર કરતા અનિલ જોશીએ લખેલું, ‘ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો, તમને નથીને કાંઇ વાંધો?’ ધ્યાનથી જોશો તો હિંમતભેર ખોંખારો ખાનાર કીડીઓ તમને દેખાશે. જ્યાં જ્યાં ક્રાંઉ ક્રાંઉ વધતું જતું હશે ત્યાં ત્યાં આવી કીડીઓ ખોંખારા ખાવાનું સાહસ કરતી જોવા મળશે. કીડીની વાત સાથે આ કવિની અન્ય પંક્તિઓ પણ તરત સાંભરી આવે છે, ‘એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર!’

આવાં અનેક ઉમદા કાવ્યો સર્જનાર કવિ હવે આપણી વચ્ચે નથી. ચોરાસી વર્ષનું આયુષ્ય ભોગવી તેમણે જગતથી વિદાય લીધી, અને આપણે ખોળે ધરતા ગયા તેમનાં અમૂલ્ય કાવ્યો. તેમનો ક્ષરદેહ આથમ્યો છે, પણ અક્ષરદેહ તો હરહંમેશ ગુજરાતી ભાષાના પાલવમાં કિંમતી મોતી જેમ સચવાશે.

લોગઆઉટઃ

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે;
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો!

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર,
એક પછી એક ડાળ ખરતી જોઈને
થાય પડવાને છે કેટલી વાર?
હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો!

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો!

- અનિલ જોશી

બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિંદગી

લોગઇન:

આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો ઓ તરફ,
બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિંદગી.

હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં,
ફક્ત શ્વાસોચ્છ્વાસની અટકળ બની ગઈ જિંદગી.

સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું,
હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઈ જિંદગી.

વિશ્વમાં કો સાવકું સરનામું લઈ આવી પડ્યો,
કાળની અબજો અજીઠી પળ, બની ગઈ જિંદગી.

ફૂલને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો–
ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી.

દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો,
આપ આવ્યા? હાય! દાવાનળ બની ગઈ જિંદગી.

– વેણીભાઈ પુરોહિત

મોટાભાગના માણસો બે પ્રકારની જિંદગીમાં અટવાયા કરે છે. એક - પોતે જીવી રહ્યા છે તે જિંદગી, અને બીજી, જે જીવવા માગે છે તે. આ બે છેડા ભેગા કરવામાં ઉંમરનાં થર પર થર બાઝતાં જાય છે અને છેલ્લે કબરમાં જઈને એ થર તૂટે છે. ઇચ્છિત જિંદગીને પામવાની ઝંખના દિવસે દિવસે ઝાંખી થતી જાય છે અને જે જીવી રહ્યા હોઈએ એ જ જિંદગી આખરે ઇચ્છેલી લાગવા માંડે છે. ઘણા લોકો કહેતા હોય છે, જે જિદગી જીવવા માગો છો તે પામો, અથવા જે જીવી રહ્યા છો તેને ગમાડી લો. પણ તે ઇચ્છિત જિંદગી પામવી અને અનિચ્છિત જિંદગીને સ્વીકારી લેવી તે મંચ પર જુસ્સાથી બોલવા જેટલું સરળ નથી હોતું. ગમતી જિંદગીનું ગીત બધા નથી ગાઈ શકતાં. ઘણાને અન્યએ જીવેલી જિંદગીનાં ગીત સાંભળીને આનંદ લેવો પડે છે. એટલા માટે જ તો આપણને ફિલ્મનાં ગીતો આટલો રોમાંચ આપે છે. સિનેમાના પરદા પર નાચતાં હીરો-હીરોઈનો જેમ આપણે બગીચામાં નાચવાના નથી. એક હીરો દસ વીલનને ધોઈ નાખે, તેવું પણ આપણે કરી શકવાના નથી, પણ આપણે મનોમન એવું ઇચ્છતા હોઈએ છીએ ખરા. એ જિંદગી આપણે પણ જીવવા માગતા હોઈએ છીએ. પણ રિયલ લાઇફમાં આપણે તે નથી જીવી શકતા એટલા માટે પરદા પરનીએ જિંદગીને જોઈને સંતોષ માનીએ છીએ. ગમે તેવા ખેરખાંને મોઢામોઢ સંભળાવી દેવું, એક સ્મિતમાં અપ્સરા જેવી છોકરીને પોતાની કરી નાખવી. આ બધું સિનેમાના પરદા પર દેખાતા પાત્રોની જિંદગીમાં બનતું હોય છે, પણ એ જ પાત્ર ભજવનાર પોતાની રિયલ જિંદગીમાં તેમ નથી કરી શકતા. પવિત્ર અમર પ્રેમીનું પાત્ર ભજવાનાર અભિનેતા રિયલ લાઇફમાં ચાર ચાર છૂટેછેડા કરીને બેઠો હોય છે અને પાંચમી સાથેની સગાઈના સમાચાર આપણે ન્યૂઝમાં વાંચી રહ્યા હોઈએ છીએ. ઇચ્છિત જિંદગીની દોડ ઘણી વાર નદી જેમ આમથી તેમ કૂદતી ઊછળતી ચાલતી રહે છે. પર્વતો જેવી અડચણો કે ખીણો જેવી મુશ્કેલીઓમાંથી પણ વહીને છેવટે તે દરિયામાં વિલિન થઈ જાય છે. આપણી ઝંખનાઓ પણ આખરે મૃત્યુના મહાસાગરમાં જઈને ઓગળી જાય છે. મરીઝનો એક સુંદર શેર છે.
જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.

આજે આટલું દુઃખ વેઠી લઈને પછી કાલે સુખ જ છે. એ દોડમાં દોડમાં જિંદગીનું ઝરણું વિલુપ્ત થઈ જાય છે. એ કાલ ક્યારેય આવતી જ નથી. મરીઝ એ જ ફિલસૂફી સમજાવે છે કે જે સુખ આજે મળે છે તેને આજે જ માણી લેવું, કાલ પર છોડવાનો કશો અર્થ નથી. વેણીભાઈ પુરોહિતે જીવનની ફિલસૂફી પોતાની આંખે નિહાળી છે. તેમની મત્લા વગરની આ ગઝલને આસ્વાદના પથ્થર પર લસોટીને તેમાંથી રસ કાઢવાની હિંમત કરવા જેવી નથી. કવિતા સ્વયંસ્પષ્ટ છે. જિંદગની સંઘર્ષમય અટપટી આંટીઘૂંટીને તેમણે પોતાના શબ્દોના દોરામાં પરોવી છે.

મકરંદ દવેએ જિંદગીને પોતાની આંખે નિરખી છે, જે અનુભવી તેને ગઝલમાં પરોવી છે. તેનાથી વિરમીએ.

લોગઆઉટઃ

જિંદગી, કાચી નિશાની જિંદગી,
સાચની જૂઠી કહાની જિંદગી.

કંકુ ઝરતી કોઈ પાની જિંદગી,
કે રહસ્યોની રવાની જિંદગી!

કોઈ મારકણાં નયન જેવી છતાં,
મ્હોબતીલી છે મજાની જિંદગી.

તુચ્છ તલ શી કોઈ ગોરા ગાલ પર,
તે છતાં કેવી તુફાની જિંદગી!

મોત - આલમગીરની છાતી ઉપર,
નાચતી હરદમ ભવાની જિંદગી.

જોતજોતામાં અલોપ થઈ જતી,
ભૂતિયા વ્હાણે સુકાની જિંદગી.

શ્વાસ ને ઉચ્છ્વાસ પર દેતી કદમ,
દોડતી હરણી હવાની જિંદગી.

રાખતાં રાખી શક્યો ના ઈશ પણ,
એક એવી વાત છાની જિંદગી.

કેટલા ભોળા ગુન્હાની, હે પ્રભુ!
બાવરી, તૂટક જુબાની જિંદગી!

બે ઘડી - ને માય છે, ક્યાંયે બરો!
વાહ રે! મારી ગુમાની જિંદગી!

- મકરંદ દવે

ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ

લોગઇન:

ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

રંગ બ્હારનો હોય તો એને ભૂંસું હું પળભરમાં,
ફૂલગુલાબી પડ્યો શેરડો, ઊતરી ગ્યો અંતરમાં.
રુંવે રુંવે રંગ ફૂંવારા ઉડ્યા રે તત્કાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

ઊંચાનીચા શ્વાસ અને ધબકારા પીટે ઢોલ,
સખીઓ પૂછે, ગામ વચાળે કોણ રંગી ગ્યું બોલ,
દોટ મૂકી હું દોડી પાછળ પગલાં રહી ગ્યા લાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

– વિમલ અગ્રાવત

દયારામ એક પદમાં કહે છે,
“મુજને અડશો મા, આઘા રહો અલબેલા છેલા, અડશો મા!”

રાધાજી કૃષ્ણને વિનંતી કરી રહ્યા છે કે હે શ્યામ તમે મને અડશો નહીં, તમે કાળા છો, અને હું તો કેટલી રૂપાળી… તમે મને અડશો તો મને પણ તમારો રંંગ લાગાડશો, હું પણ કાળી થઈ જઈશ. આવું કહીને રાધાને પોતાના વહાલા પ્રેમી સામે ખોટું ખોટું રિસાવું છે. પણ આ તો કૃષ્ણ છે, એની પાસે બધા જ જવાબ હોય છે. રાધાના રીસામણાનો જવાબ કૃષ્ણ બહુ તાર્કિક રીતે આપે છે, કહે છે, મને અડીને તું કાળી પડી જવાની હોય તો તને અડીને હું પણ ગોરો તો થઈશ જ ને! જો એમ થાય તો ફરી આપણે એકબીજાને અડકી લઈશું, જેથી મારો રંગ ફરી કાળો થઈ અને તારો ફરીથી ગોરો. “ફરી મળતાં રંગ અદલાબદલી, મુજ મોરો, તુજ તોરો!” ધૂળેટીના રંગભર્યાં ગીતોની વાત હોય અને રાધા-કૃષ્ણ ન સાંભરે એ તો બને જ કેવી રીતે?

પણ વિમલ અગ્રાવતનું ગીત વાંંચીને કોઈ રંગની જરૂર જ નથી રહેતી, ન તો પિચકારીની, ન અબિલ ગુલાલની. તેમણે શબ્દોના લસરકાથી હોળી-ધૂળેટીના રંગોનું અદ્ભુત પ્રણયચિત્ર દોરી આપ્યું છે. તેમાં હૃદયના રંગો ઊડે છે. શરમના શેરડા ફૂટે છે, ફૂલગુલાબી ચહેરા ખીલે છે, અને ગુલાબી રંગ છેક અંતરના આંગણામાં રંગોળી પૂરે છે. ગીત વાંચીને કૃષ્ણ-રાધાની કલ્પના તો થાય જ, પણ કોઈ પણ પ્રેમી જોડાંને આ ગીતમાં કલ્પી શકાય.

શેરીમાં પ્રેમીની નજર પ્રેમિકા પર પડે છે. પ્રેમિકાને તેનું ભાન થતા જ તે શરમમાં લાલલાલ થઈ જાય છે. તેના ગાલે શરમના શેરડા ફૂડે છે. રુંવેરુંવે રંગ રેલાવા લાગે છે. શ્વાસોમાં મઘમઘતી ફોરમ વહેવા લાગે છે. રાજેન્દ્ર શુક્લ લખે છે તેમ, “અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી, ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી!” અહીં ભૌતિક રીતે કોઈ રંગ નથી કે નથી ગુલાલ. પણ પ્રેમીની એક નજર કાફી છે રંગાવા માટે. બહારનો રંગ તો સમય જતા ઝાંખો થાય, ભૂંંસાઈ જાય. દુનિયા એને નરી આંખે જોઈ પણ શકે કે રંગ લાગ્યો છે, પણ અંદર લાગેલા રંગને તો ક્યાંથી કાઢી શકાય, અને જગત એને જોઈ પણ નથી શકતું. બીજો તે રંગ સાવ કાચો, એક હૃૃદિયાનો રંગ સાવ સાચો.

પ્રેમી સંગે નજર મળે, તારામૈત્રક રચાય ત્યારે જાણે શ્વાસ ખુદ શરણાઈના સૂર રેલાવા માંડે છે. ધબકારા તો ઢોલ પર પડતી દાંડી જેમ વાગે છે. પ્રેમિકાની આવી હાલત બીજા કોઈ જાણે ન જાણે, બહેનપણીઓ પામી જાય છે, તે વહાલથી ટોણો મારીને પૂછે છે, અલી આ શું થઈ ગયું તને? આમ ભરબજારે કોણ રંગી ગયું કે આવી શરમમાં લાલઘૂમ થઈ રહી છે? બહેણપણીઓનો આવો સવાલ સાંભળીને તો વળી શરમ બેવડાય છે. જવાબ આપવાને બદલે પ્રેમિકા તો શેરીમાંથી દોટ મૂકે છે. પણ એની દોટમાં પણ જાણે કે દરેક પગલે લાલ રંગ રેલાતો હોય એવું લાગે છે.

વિમલ અગ્રાવતે પ્રણયના રંગને બરોબર ઘોળ્યો છે. તેમણે પોતાની કલમ દ્વારા રંગો વિના જ સૌને રંગી નાખ્યા છે. એક અચ્છા કવિની આ જ તો ખાસિયત હોય છે.

લોગઆઉટઃ

ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
મળે છે તે સહુ કહે છે, મજાનો રંગ લાગ્યો છે.
મલકતું મોં અને ચમકી જતી આંખો કહી દે છે,
ભલે છૂપી એ રાખો વાત, છાનો રંગ લાગ્યો છે.
– મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

ભેંત્યની તેડ્ય તો ગારાથી હોંધીએ

લોગઇન:

ભેંત્યની તેડ્ય તો ગારાથી હોંધીએ માંયલીન ચ્યમ કરી હોંધવી?
ઊંઘનારું લોંબું ન પશેડી ટૂંકી ઓંમ ટૂંટીયે તે રાત ચ્યંમ કાઢવી?

તોય મનં ઈમ કો’ક ઉપા કરીએ જો થોડા ઘણા ફેર કાંય થાય
એટલામાં તેડ્ય તો બાકોરું થઈ જઈ, મું હં નાખું તો એ પુરાય!
દનિયોના કીધ તારો રાશ્યો ભરૂંહો અવ તનજ લાજ જોઈય આવવી.

હૌના તો લેખ તમે લખો લલાટે પણ મારા લસ્યા તમે ઓંશ્યે
ન – કાપાય પાસા એવા પાડ્યા ક – મારઅ ચોમાહા રે’હે બારમાશે
ઓંશ્યોનાં પોંણી તો પાતાળે ઠેલ્યાં એ આવ એવી રાશ ચ્યોંથી લાવવી.

હારી થાચીન મીં તો મનનું મનાયું ક – આપણ જ આપણાં ફોડવાં
પણ આ બધું ગન્યાંન તો ઘડી બે ઘડી પસ મંન હાથે માથાં રોજ ફોડવાં
કાઠ્ઠાં થઈ પીડ્યા માં ભોમાં ભંડારી તોય દેખાય તો ચ્યમની હંતાડવી?

– પ્રશાંત કેદાર જાદવ

આપણે ત્યાં કહેવત છે બાર ગાઉએ બોલી બદલાય. ભાષા તો ગુજરાતી જ, પણ તેમાં વિવિધ પ્રદેશોમાં બોલાતી જુદી જુદી બોલીઓ ભાષાનુંં ઘરેણું છે. ભાષા એક, બોલી અનેક. લોકબોલીનો અર્થ જ એ છે કે લોકો દ્વારા બોલાતી બોલી. તેને કાગળ પર છપાતી લિપિ કરતા બોલાતી વાણી સાથે વધારે સંબંધ છે. કોઈ પણ બોલી રચાય તો તેમાં જે તે પ્રદેશના લોકોની જાતિ-જ્ઞાતિ, સામાજિક રીતરિવાજો, પરંપરાઓ, રહેણીકરણી, વ્યવહાર-વર્તન પણ જવાબદાર હોય છે. ગુજરાતમાં પારસીઓ અને નાગરોની બોલી અલગ છે, તો વળી વોરા, આહિર, મેર, અને ખારવાની બોલી પણ જુદી છે. પ્રદેશ પ્રમાણે બોલી તેનું સ્વરૂપ બદલે છે. ગુજરાતમાં જ સોરઠી, ઝાલાવાડી, કચ્છી, પારસી, ચરોતરી, મહેસાણી, સુરતી જેવી વિવિધ બોલીઓ બોલાય છે. પ્રાદેશિક ભાષા જે તે પ્રદેશની લોકો દ્વારા બોલાતી બોલીની છબી છે. ચારણો દ્વારા વપરાતી દેશી ભાષા જ તેમના કાવ્યસર્જનને રોશન કરે છે. ઘણાને એવુંં કહેતા પણ સાંભળ્યા છે, બોલીમાંં બમણી મજા.

પ્રશાંત કેદાર બારોટે પોતાના ઉત્તર પ્રદેશના તળની બોલીને કવિતામાં ખપમાં લીધી છે અને સમગ્ર કાવ્યમાં વપરાયેલી આ લોકબોલી જ કાવ્યમાં મજબૂત રીતે પ્રાણ પૂરે છે. આ એ જ પ્રશાંત કેદાર જાદવ કે જેમણે ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય’, ‘સનેડો’, ‘કુમકુમનાં પગલાં પડ્યાં’, ‘મેં તો થોડો પીધો ને ઘણો ચડિયો રે…’, ‘હંબો હંબો વીંછુંડો’ જેવાં અનેક સુપ્રસિદ્ધ ગીતો ગુજરાતી ભાષાને આપ્યાં. આ ગીતો વિના અનેક ગાયકોના કાર્યક્રમો અને નવરાત્રીઓ પૂરી નથી થતી. જેમણે આ ગીતો નથી સાંભળ્યાં તે પૂરો ગુજરાતી નથી. આ ગીતો ગવાતાની સાથે લોકોના પગ ઝૂમવા લાગે છે.

કવિએ પ્રાદેશિક બોલીમાં ઊંડાણવાળી ગહન લાગતી વાતને બહુ સરળતાથી આપણી સામે મૂકી આપી છે. બોલીની એ જ તો વિશેષતા હોય છે કે ગંભીર જ્ઞાનને પણ સરળતાથી પીરસી આપે. ગામના માટીવાળા ઘરમાં તિરાડ પડે તો એને ગારાથી અર્થાત્ માટીથી સાંધી શકાય, પણ માંહ્યલામાં-અંતરમાં તિરાડ પડે એને કોઈ કાળે ઠીક નથી કરી શકાતી. તેને સાંધવા માટે કરવામાં આવતા તમામ પ્રકારના લેપ નિર્લેપ પૂરવાર થાય છે. દેહ પર મરાયેલા ચાબૂક કરતા શબ્દનો ચાબખો બહુ વરવો હોય છે. આપણે ત્યાં એક લોકગીત છે, ‘લાકડીના માર્યા કદી ના મરીએ, મેણાંના માર્યાં મરી જઈએ…’ દેહ પર પડેલા ઘાવ સમય જતાંં ભરાઈ જાય છે, દિલ પર પડેલા ઘા જીવનભર દુઃખતા રહે છે. આપણને ખબર હોય કે મનમાં પડેલી આ તિરાડ ક્યારેય પૂરાવાની નથી, છતાં આપણે મથતા રહીએ છીએ. સમય જતાં તિરાડ મોટું બાકોરું થઈ જાય છે, તોય આપણે વલખાં માર્યા કરીએ છીએ તેને સાંધવા.

વિધિના લેખ લલાટે લખાય તેવી આપણે ત્યાં માન્યતા છે. એક પ્રસિદ્ધ ગીત પણ છે, ‘વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય થાય…’ આ ત્રણ વખત ‘થાય’માં દૃઢતા દર્શાવાઈ છે કે વિધિએ જે ભાગ્યમાં લખ્યું છે તે થઈને જ રહેશે. કવિએ પોતાની વ્યથાને વ્યક્ત કરવા સરસ પ્રયુક્તિ કરી છે, તેમણે કહ્યું કે વિધિએ બધાના લેખ લલાટે લખ્યા છે, પણ મારા લેખ તો આંખે લખ્યા છે. એટલે જ તો અશ્રુ અટકતાં નથી. પ્રભુએ મારી આંખે બારેમાસ ચોમાસું રોપી દીધું છે. આ બધું થયા પછી એટલું જ સમજાય છે કે આપણી મુશ્કેલીઓ સાથે આપણે જ લમણા લેવાના છે. આપણી મદદ કોઈ કરવાનું નથી, આપણા સિવાય.

લોગઆઉટઃ

ચાલો સાજણ થંભેલી ચોપાટ ફરી પાથરીએ,
વેરાણછેરણ વેરાયેલાં સોગઠાં ભેગાં કરીએ.
હારજીત તો મનની વાતો કહુ વાયરા જેવી,
કશું જ નક્કી હોય નહીં એ અદ્દલ માણસ જેવી.
સોગઠાં ટેરવાની ઓળખાણ ફરીથી તાજી કરીએ.
- પ્રશાંત કેદાર જાદવ

મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં

લોગઇન:

અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.

શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.

પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં
કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં.

જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.

તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.

પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,
સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.

– હર્ષવી પટેલ

સો વર્ષ કરતા પણ વધારે સમય પ્રગટેલી ગુજરાતી ગઝલની જ્યોત આજે એક મુકામે પ્રજ્વળી રહી છે, કે તેના અજવાળામાં અનેક શાયરો પોતાની કલમના પોતને પ્રકાશવા મથી રહ્યા છે. ગઝલ બાલાશંકર કંથારિયા અને કલાપીથી માંડીને વર્તમાન સમયના અનેક સર્જકોની કલમનું કામણ પામી છે, વધારે નિખરી છે, વિસ્તરી છે, ફુલી-ફાલી છે. આજનો કોઈ ફૂટડો નવયુવાન હોંશથી છંદોબદ્ધ ગઝલ રજૂ કરે ત્યારે વર્ષો સુધી જેઓ ગઝલને પ્રતિષ્ઠા આપવામાં જિંદગી ખર્ચી નાખી, તેમનો આત્મા ખૂબ રાજી થતો હશે. મરીઝે લખ્યુંં છે,
આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.

મરીઝ-ઘાયલ-શૂન્ય-સૈફ જેવા અનેક શાયરોના શ્વાસો આજની પેઢીને નવી આબોહવા આપી રહ્યા છે. આદિલ મન્સૂરી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, ચિનુ મોદી, મનહર મોદી જેવા આધુનિક સર્જકોની કલમનું સત્વ વર્તમાન કલમવીરોને નવું જોમ પૂરું પાડી રહ્યું છે. બુઝુર્ગોના પગલે ચાલીને પોતાની આગવી કેડી કંડારનાર કવિઓએ માત્ર ગઝલને જીવતી નથી રાખી, ગુજરાતી ભાષાને પણ પ્રાણવંતી બનાવી છે. મુનવ્વર રાણાનો શેર છે-
ખુદ સે ચલકર નહીં યે તર્જ-એ-સુખન આયા હૈ,
પાંવ દાબે હૈ બુઝુર્ગો કે તબ યે ફન આયા હૈ.

હર્ષવી પટેલ પરપંરાના પથ પર ચાલવા છતાં પોતાના શબ્દના જોરે આગવી કેડી કંડારે છે. ગઝલ તેમને સહજસાધ્ય છે. કવિ ડૉ. વિવેક ટેલર તેમના વિશે લખે છે, “હર્ષવી નખશિખ ‘ભારતીય’ પરવીન શાકિર છે. એના શેરમાં પરવીનની નજાકત છે, મીનાકુમારીનું દર્દ છે અને સાથે જ અમૃતાની પરિપક્વતા પણ છે. હર્ષવી ગુજરાતી ગઝલની ઊજળી આજ છે.”

કવિને મળ્યા પછી તમે, તમે રહો કે નહીં તે ખ્યાલ નથી, પણ તેમની કવિતાને મળ્યા પછી ચોક્કસ તમે તમે ન રહી શકો. રમેશે પારેખે કવિતાએ શું કરવાનું હોય તે વિશે સુંદર કાવ્ય લખ્યું છે. “જ્યાં ઈશ્વરનાં હાથ ન પહોંચે / ત્યાં પંહોચવાનું હોય કવિતાએ / એ બધું તો ખરું જ / પણ સૌથી મોટું કામ એ કે / તેણે આખું ગામ ઊંઘતું હોય ત્યારે / જગાડવાનો હોય કવિને…”

કવિનો આત્મા જાગ્રત હોવો જોઈએ. અંદરનું ઓજસ આથમી ગયેલુંં હોય ત્યારે તે બહાર રોશની ક્યાંથી રેલાવી શકે? જે કવિનો શબ્દ ભાવકના હૃદયની ભાવના, સંભાવના કે વિભાવનાને વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર નથી કરતો તેના શબ્દનું આયુષ્ય લાંબું નથી હોતું. એક સારો કવિ આ વાત સારી રીતે જાણતો હોય છે અને તે પોતાના હૃદયભાવ તો શબ્દની પ્યાલીમાં રેડતો જ હોય છે, પણ એ ભાવવ વાચકને પણ પોતાના લાગે તેની તકેદારી રાખે છે. હર્ષવી પટેલની કવિતામાં આ તકેદારી અનુભવાય છે. એટલે તે આત્મવિશ્વાસપૂર્વક ગઝલમાં કહી શકે છે કે, મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.

તેમની અન્ય સુંદર ગઝલથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

જાણે કે ખુદ ‘મરીઝ’,’અખા’,’કાન્ત’ હોય છે,
થોડાક ‘પેનપકડુ’ અજબ ભ્રાંત હોય છે.

હૈયું ચહે છે શાંતિ ને હુલ્લડ મગજ કરે,
ભીતર બધાંને બે’ક અલગ પ્રાંત હોય છે.

એક જ જગા ઉપર ન ઘડીભર ટકી શકે,
પૂર્વજ ઘણામાં એટલો ઉત્ક્રાંત હોય છે.

કૈં કેટલાને માટે સમય તો સમય નહીં,
સરકારે ફાળવેલ કશીક ગ્રાન્ટ હોય છે.

ધરતી હલી ય જાય, જો બોલે કશુંક એ;
એવા વિચારથી તો અમુક શાંત હોય છે.

– હર્ષવી પટેલ

પ્રણયના રંગ મરીઝને સંગ

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.
- મરીઝ

પૂરું નામ અબ્બાસઅલી વાસી, અટક વાસી, પણ ગઝલો આજે ય એકદમ તાજી - ફ્રેશ ફ્રેશ… તખલ્લુસ મરીઝ, પણ તેમનો શબ્દ આજે પણ એટલો જ તંદુરસ્ત અને સ્વસ્થ છે, જેટલો લખાયો ત્યારે હતો. ગુજરાતી ગઝલને આકાશ આંબતી કરવામાં મરીઝની કલમનો ફાળો અનન્ય છે. જીવવના અનેક રંગો તેમની ગઝલમાં ગૂંજ્યા કરે છે. જીવનની અમુક વણસ્પર્શાયેલી બાબતોને તેમની કલમ એટલી સહજતાથી અને ગહન રીતે સ્પર્શી શકતી કે આપણે આશ્ચર્ય અને અચંભામાં મુકાઈ જઈએ. અનેક ઊંડી વ્યથાને તેમણે ખૂબ સરળતાથી આપણી સામે મૂકી આપી. ઘણા શેરમાં તો તેમનુંં પોતાનું જીવન પણ પડઘાયા કરે.

જાણીતા કવિ શોભિત દેસાઈ મરીઝના અનેક કિસ્સાઓ અવાર નવાર શેર કરતા હોય છે. મરીઝની એક પ્રેમિકા હતી. એની તરફ એમને એક તરફી પ્રેમ હતો. એમની પ્રેમિકાનાં લગ્ન થઇ ગયા. પ્રેમિકાનું નામ ‘રબાબ’. એક દિવસ પ્રેમિકાએ કહ્યું, મેં તો સાંભળ્યું છે કે મારી યાદમાં તમે મોટા શાયર થઇ ગયા. તો મારું નામ આવે એવી ગઝલ લખોને. એમણે ગઝલ લખી નાંખી.
હવે ગમે તે કહે કોઈ હુનર બાબત
કરી રહ્યો છું મારી સમજથી પર બાબત

ગઝલ સાંભળીને પ્રેમિકાએ કહ્યું કે, પણ આમાં મારું નામ ક્યાં છે? નામ તો ગઝલમાં હતું જ, કાફિયામાંથી છેલ્લો અક્ષર ‘ર’ લો અને રદિફમાંથી પહેલા બે અક્ષર ‘બાબ’ લો, એટલે પ્રેમિકાનું નામ બની જાય, પણ મરીઝે જવાબમાં બીજો શેર કહ્યો,
જુઓ શી કલાથી તમને છુપાવ્યા
ગઝલમાં આવ્યા તો નામે ન આવ્યા

એક વખત મરીઝ તેમની પત્ની સાથે મુંબઇની લોકલ બસમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેની મુગ્ધાવસ્થાની પ્રેમિકા તેમને તે જ બસમાં જોવા મળી. એકદમ નિખાલસતાથી પત્નીને પોતાના ભૂતકાળ વિશે જણાવતા કહ્યું કે, "આ છોકરી જે સામે બેઠી છે તે એ જ છે... " થોડો સમય જોયા પછી પત્ની બોલી, "કેવી પ્રેમિકા છે, બોલાવવાની વાત તો દૂર એ તો તમારી સામે પણ જોતી નથી." મરીઝ બોલ્યા "રાહ જો. હમણા જોશે" પણ લાંબા સમય સુધી પેલી છોકરીએ આ તરફ નજર પણ ન કરી. ફરી પત્નીએ કહ્યું. તમે ગપ્પાં મારો છો. થોડા સમય પછી એક સ્ટોપ આવ્યું. ઉતરતા પહેલા પેલી છોકરીએ ત્રાંસી નજરે મરીઝ સામે જોઈ લીધું અને જતી રહી. ત્યારે મરીઝે એક શેર કહ્યો-
બધો આધાર છે તેની જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવા.

શાયરો-સાહિત્યકારોના પ્રયણરંગી કિસ્સાઓ ગજબના હોય છે. મને વિનોદ ભટ્ટે કહેલો એક કિસ્સો યાદ આવે છે. ચંદ્રવદન ચી. મહેતાનો એક દોસ્ત તેમની પત્ની વિલાસ સાથે પ્રેમમાં પડ્યો. તે સમયે સ્ત્રી માટે એક બીજા સામે તલવાર ખેંચાઈ જાય. જોકે આજે પણ એવું ક્યાં નથી થતું? પણ આ તો લેખક નાટ્યકાર ચંદ્રવદન મહેતા. એમણે એ જમાનામાં સામે ચાલીને પોતાની પત્નીને મિત્ર સાથે પરણાવી. થોડાં વર્ષો પછી વિલાસનું અવસાન થયું. ચંદ્રવદન મહેતા પણ ત્યાં ગયા. એ વખતે અવસાન પામેલ પત્નીનો એક હાથ વર્તમાન પતિના હાથમાં હતો ને બીજો હાથ ચંદ્રવદનના હાથમાં! પેલો મિત્ર ચંદ્રવદનના ખભા પર માથું મૂકી પોક મૂકીને રડવા લાગ્યો. ત્યારે ચંદ્રવદને તેને આશ્વાસન આપેલું કે, “ દોસ્ત રડીશ નહીં હું હજી બીજું લગન કરવાનો છું.”

લોગઆઉટઃ

એ રીતે એ છવાઈ ગયાં છે ખયાલમાં;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફતગૂ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

– મરીઝ

દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે.

દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.

એક છત નીચે રહે બે માનવી,
જોજનોની તોય દૂરી હોય છે.

શક્ય છે, શ્રધ્ધા કદીયે ડગમગે,
સાથ દેવાને સબૂરી હોય છે.

આ ગઝલ, ‘ચાતક’ લખાયે શી રીતે ?
લાગણીની જીહજૂરી હોય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

ચિનુ મોદીનો એક અદભુત શેર છે-
કોઈ ઇચ્છાનું હવે વળગણ ન હો,
એ ય ઇચ્છા છે હવે એ પણ ન હો.

ક્યા બાત હૈ. કેટલો સહજ, સ્પષ્ટ અને ગહન શેર છે. ભગવાન બુદ્ધે પણ કહેલું કે તૃષ્ણા અર્થાત્ ઇચ્છા માણસના દુઃખનું મુખ્ય કારણ છે. આપણને કશુંક મેળવવાની, પામવાની કે કશુંક સિદ્ધ કરવાની ઇચ્છા થાય છે અને તેમ ન થાય ત્યારે દુઃખ જન્મે છે. આ દુઃખમાંથી મુક્ત થવા માટે ઇચ્છામુક્તિ જરૂરી છે. એટલા માટે જ કદાચ સંતો વિચારમુક્તિ, ઇચ્છામુક્તિ અને નિર્વિકાર સ્થિતિને ખૂબ પ્રાધાન્ય આપતા હોય છે. ધ્યાનમાં તો વિચારવિહિન થવું ખૂબ જરૂરી હોય છે. રાજેશ વ્યાસ મિસ્કીને પણ લખ્યું છેને, ‘રસ્તા જોયા, વાહન જોયા, વિચારને પણ જોતા શીખ્યો’ એક વસ્તુ જેમ વિચારને જોવાનું કૌવત આવડી જાય પછી આપોઆપ નિર્વિચારના જગતમાં પગલું માંડી શકાતું હોય છે. પણ ઇચ્છા જ નથી રાખવી, એ પણ એક ઇચ્છા છે, અને તેનાથી પણ મુક્ત થવું જરૂરી છે. એ વાત ચિનુ મોદીએ બહુ માર્મિક રીતે કરી છે. ઇચ્છાનો પાર નથી. પણ પ્રત્યેક ઇચ્છા ફલિત થાય જ એ જરૂરી નથી. અને એ અધૂરી રહે એમાં જ તો મજા છે. અધૂરા રહીને મધુરા રહીને જીવવામાં જે આનંદ છે, એ તો પૂર્ણતામાં પણ નથી. પૂર્ણતા એ તો મૃત્યુની નિશાની છે. એટલા માટે જ સંતોષી માણસ કહેતો હોય છે કે જીવનમાં બધું મેળવી લીધું, હવે મોત આવે તોય વાંધો નથી. પણ ખરેખર આવું કહેનાર માણસ પણ બધી રીતે પૂર્ણ તો નથી જ હોતો, પૂર્ણ છું એવું તો એનામાં રહેલો સંતોષ બોલતો હોય છે. એનો એક અર્થ એવો થાય છે કે તેણે જે મેળવ્યું છે તેનાથી તે સંતુષ્ટ છે. પૂર્ણતા પામી ગયા પછી તો નર્યો ખાલીપો રહેતો હોય છે. મંજિલને પામીને તો આનંદનો અંત આવી જતો હોય છે. ખરી મજા તો રસ્તાની જ હોય છે.

દક્ષેશ કોન્ટ્રાક્ટરે અધૂરી ઇચ્છાની મધુરી વાત કરી છે. તેમના શબ્દોમાં જિંદગીના ઊંડાણને સાદગીપૂર્વક સમજવાનું કૌવત છે. એ અધૂરપનો ભાર માથે લઈને રોદણાં રડવા કરતા તેનો આનંદપૂર્વક સ્વીકાર કરે છે. એટલા માટે જ તે સરળ શબ્દોમાં આટલી સુંદર વાત કરી શક્યા છે. દિલીપ શ્રીમાળીનો એક સુંદર શેર છે-
અડધી અડધી ઓઢી છે બેઉ જણે,
અડધી અડધીમાં બહુ પલળાય છે.

કવિએ ક્યાંય છત્રીનો ઉલ્લેખ નથી કર્યો, છતાં આપણી આંખ સામે છત્રી લઈને ઊભેલું એક યુગલ છતું થાય છે, વરસતો વરસાદ દેખાય છે. બંને થોડા થોડા ભીંજાઈ પણ રહ્યા છે એ પણ દૃશ્યમાન થાય છે. આ અડધા ભીંજાવામાં જ તો આખી મજા હોય છે. આખી છત્રી માથે આવી જાય તો આનંદ સૂકો રહી જાય, ભીંજાય નહીં. દક્ષેશ કોન્ટ્રાક્ટર અધૂરી ઇચ્છામાં કંઈક આ જ રીતે મધુરતા શોધે છે.

ઘણી બાબતોમાં આપણી પહોંચ ન હોય ત્યારે તેને શિયાળની વાર્તા જેમ દ્રાક્ષ ખાટી છે કહીને અવગણી નાખતા હોઈએ છીએ. એનો સ્વાદ નથી બરોબર એવું કહીને દોષ તેને આપીએ છીએ. આપણી મર્યાદા નથી જોતા. આપણો કૂદકો ટૂંકો છે એ નથી સ્વીકારતા. તાવ આવે એટલે આપોઆપ સ્વાદિષ્ટ વાનગી પણ ફિક્કી લાગવા માંડે છે. આપણને સંજોગોનો તાવ ચડ્યો હોય છે. આપણી ઊણપનું તાપમાન આપણા વિચારોને એટલે શેકી નાખે છે કે પોતાની કમી સ્વીકારવાને બદલે જે તે વસ્તુ કે વ્યક્તિની ખામી આપણે બધાને બતાવીએ છીએ. આમ હતું એટલે મેં આમ કર્યું, બાકી તો હું આમ કરત જ. ટૂંકમાં દ્રાક્ષ ખાટી છે! એ નથી જોતા કે આપણી જીભ તૂરી છે!

દક્ષેશ કોન્ટ્રાક્ટરની ગઝલનો પ્રત્યેક શેર સરળ, સહજ છતાં કેટલો માર્મિક છે! આવા જ કાફિયો સાથેની વિવેક ટેલરની ગઝલના બે શેર માણીએ.

લોગઆઉટઃ

છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.
પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે.

– વિવેક મનહર ટેલર

સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
ઉક્કેલવી એ કેમ કરી આ પરપોટાની વાણી?

આંખ ખોલું તો મોસૂઝણું
ને આંખ મીંચું તો રાત
ખૂલવા ને મીંચવા વચ્ચે
આપણી છે ઠકરાત
પળમાં પ્રગટે ઝરણાં જેવી કોઈની રામકહાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

ટહુકો નભમાં છલકી ઊઠે
એટલો હો કલરવ
સાંજનો કૂણા ઘાસ ઉપર
પથરાયો પગરવ
લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

- દિલીપ જોશી

યુગોથી માનવી સુખ પાછળ ભાગતો રહ્યો છે. સુખ પાછળની આંધળી દોટે જ તો માણસને ગુફામાંથી નીકળીને ઘર બાંધવાનો અને ખેતી કરવાનો વિચાર આપ્યો. વધારે સગવડો પામવાની ભૂખે જ તો પૈડું શોધ્યું, વાહનો શોધ્યાં, વિમાન ઉડાડ્યુંં… વળી એનાથી સંતોષ નહોતો તો મનોરંજનનાં સાધનો વિકસાવ્યા… નાટકો, કવિતાઓ, વાર્તાઓ જેવી કલાઓ રચી. એ કલાને વધારે પ્રાણવાન બનાવવા રેડિયો, ટીવી મોબાઇબલ ઉમેરાયાં. આ બધુ જ માણસની સુખની ભૂખ સંતોષવા માટે જ ને! પણ સુખ છે શું? એક મૃગજળ? કે જે દૂરથી પાણી હોવાનો ભાસ કરે, પણ પાસે જઈએ તો કશું નહીં! કે પછી આકાશના દૂરના તારા? જેને જોઈ શકાય, પણ સ્પર્શી ન શકાય! કે પછી આપણી અંદર રહેલો એક છુપો ઇચ્છાનો રાક્ષસ, જેને આપણે ગમે તેટલું સુખ આપીએ છતાં તે ભૂખ્યો ને ભૂખ્યો રહે છે.

ઓશો રજનીશે એક વાર્તા કહેલી. એક જ્ઞાની ઋષિ હતા. ધોધમાર વરસતા વરસાદમાં અડધી રાત્રે એક માણસ તેમની પાસે આવી ચડ્યો. અને પૂછ્યું, પ્રભુ મને જણાવો કે સુખ શું છે? અડધી રાત, વરસાદ, અને હાંફળોફાંફળો માણસ… ઋષિ કહે, ભાઈ બેસ, થાકી ગયો હોઈશ. આ જો કેટલો સરસ વરસાદ આવે છે. પેલો માણસ કહે હું ઉતાવળમાં છું.

આપણી એ જ તકલીફ છે, આપણે હંમેશાં ઉતાવળમાં હોઈએ છીએ અને ઉતાવળિયો ક્યારેય આનંદ નથી પામી શકતો. પેલા માણસે ફરી કહ્યું, ગુરુજી મને જલદી જણાવો સુખ એટલે શુંં? ઋષિએ એક ટોપલી તરફ આંગળી ચીંધીને કહ્યું, જો પેલી ટોપલીમાં બે ફળ છે, એક ખાઈશ તો તને આનંદનો અનુભવ થશે અને બીજું ફળ ખાઈશ તો આનંદનું જ્ઞાન થશે. પણ એ ફળની ખાસિયત એ છે કે જો કોઈ પણ એક ફળ ખાઈશ તો બીજા ફળનો સ્વાદ નહીંં આવે. આપણા જીવનમાં પણ એ જ થાય છે. જો સુખનું જ્ઞાન થાય તો અનુભવ નથી થતો અને અનુભવ થાય તો જ્ઞાન નથી થતું.

કવિ દિલીપ જોશીએ સુખની સરળ અને સચોટ વ્યાખ્યા કરી આપી છે. વરસાદ પછી ઝાડના પાદડાં પર કેટલો સમય પાણી ટકી રહે છે? વહેલી પરોઢે ઘાસ પર ઝાકળ ક્યાં સુધી ઝમેલું રહે છે? સુખનું અસ્તિત્વ પણ જીવનમાં એટલુંં જ હોય છે. એક રીતે સુખના છુપા તાર તમારા સુસુપ્ત સમજણ સાથે જોડી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી તમે માનશો નહીં ત્યાં સુધી સુખી થશો નહીં. અર્થાત્ સુખ આંતરિક અનુભવમાં રહેલુંં છે, બાહ્ય વસ્તુમાં નહીંં. અંધકાર એ આશ્વત છે, પ્રકાશ નહીં. પ્રકાશિ થવા માટે કશુંક ને કશુંક પ્રગટતું હોવું જોઈએ. આપણે દિવસે અજવાળું મળે છે, કારણે કે નભમાં સૂર્ય સતત તપી રહ્યો છે. રાત્રે આપણને અજવાળું મળે છે, કારણ કે આપણે વીજળીનો ઉપયોગ કરીએ છીએ. લાઇટની સ્વીચ પડે છે ત્યારે કશેક વીજળી બળતી હોય છે. જ્યારે અંધકાર માટે એવું નથી. લાઇટ જશે એટલે આપોઆપ અંધકાર થઈ જશે, અર્થાત્ સુખના અજવાસ માટે સતત કોઈ ઊર્જા પ્રગટેલી રહેવી જોઈએ. અને એ ઊર્જા બહાર ક્યાંય નથી. બહાર સુખનું સરનામું ક્યાં છે એની તો કોઈને ખબર નથી.

લોગઆઉટઃ

સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો;

સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?
એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો?
સુખનું સરનામું આપો.

- શ્યામલ મુનશી

મંદિર, મસ્જિદ, મઠ ઊભાં છે

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

રસ્તે રસ્તે શઠ ઊભા છે
મંદિર, મસ્જિદ, મઠ ઊભાં છે.

પાણી લઈને હઠ, ઊભાં છે
ખેતર સૂકાં ભઠ ઊભાં છે.

કાચાં, લીલાં પાન ખરે છે,
ઠૂઠાં સાવ જરઠ ઊભાં છે.

કોઈ ફરકતું ચકલું ક્યાં છે?
લોકો હકડેઠઠ ઊભા છે.

પ્રશ્ન હજી તો એક જ ઊકલ્યો,
ત્રણસો તે ચોસઠ ઊભા છે.

- હેમેન શાહ

દુનિયામાં કશું જ મફત નથી મળતું, અને જે મફત હોય છે તેની કિંમત ઊલટાની ચૂકવવી પડતી હોય છે. નોબેલ પ્રાઇઝ વિજેતા ડેસમંડ ટુટૂએ કહ્યું હતું, જ્યારે મિશનરીઓ આફ્રિકા આવ્યા ત્યારે તેમની પાસે બાઈબલ હતું અને અમારી પાસે જમીન. તેમણે કહ્યું કે અમે તમારા ભલા માટે પ્રાર્થના કરવા આવ્યા છીએ. તમને ધર્મનો રાહ બતાવવા આવ્યા છીએ. અમે આંખો બંધ કરી પ્રાર્થના કરવા લાગ્યા, જ્યારે આંખો ખોલી ત્યારે અમારા હાથમાં બાઈબલ હતું અને તેમની હાથમાં અમારી જમીન.

વર્ષો પછી સોશ્યલ નેટવર્ક આવ્યા. તેમણે કહ્યું કે અમારી પાસે ફેસબુક છે, વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે. આ બિલકુલ ફ્રી છે. તમારી અભિવ્યક્તિ અને તમારા આનંદ માટે જ છે. આપણે મોઢું નીચું કરીને તેમાં ધૂસી ગયા. હવે આપણી પાસે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ વગેરે પર એકાઉન્ટ્સ છે અને તેમની પાસે આપણી તમામ માહિતી… આપણી આઝાદી. તે આપણા વિચારો, વાણી, રહેણીકરણી ઉપર કાબૂ મેળવી ચૂક્યા છે.

ફ્રીનો ધંધો વધારે કમાણીવાળો છે. ભારતમાં ઠેરઠેર મંદિરો ઊભાં છે, તેના કારણમાં શ્રદ્ધા કરતા વધારે પૈસો છે. લોકો તો શ્રદ્ધાળુ છે, ધર્મને ખાતર જીવ પણ આપી દેશે. ધર્મના વેપારીઓ સારી રીતે જાણે છે કે જ્યારે ભગવાનની વાત આવશે ત્યારે લોકો જિંદગીભરની મૂડી ખર્ચી નાખવામાં જરા પણ પાછી પાની નહીં કરે. અને આ દુઃખતી રગ પર તે હંમેશાં પોતાનો હાથ રાખે છે, જેવા પણ આઘાપાછા થયા કે તરત એ તમારી નસને દબાવી દેશે. આપણે ત્યાં એવા દાખલા પણ ક્યાં ઓછા છે કે બીજા કોઈ રાજ્યમાં મોટો ગુનો કરીને અન્ય રાજ્યમાં જઈને સાધુ બની જાય, લોકો તેમને પૂજવા માંડે, મંદિરના અધિપતી થઈ જાય અને કરોડો રૂપિયાની સંપત્તિના માલિક બની બેસે. તેમનો ભૂતકાળ ખોદીએ તો ઘણો લોહિયાળ હોય છે. પૂજારી, સંતો, મહંતો કરતા સામાન્ય લોકો વધારે શ્રદ્ધાળુ હોય છે.

કવિ હેમેન શાહ ધર્મના આવા પોલા મર્મને બરોબર સમજે છે. મંદિર, મસ્જિદ, મઠ વગેરેમાં શઠ અર્થાત ધુતારાઓ બેઠા છે. તેઓ ઈશ્વરને ઢાલ બનાવીને પોતાના અંગત હેતુઓ સિદ્ધ કરે છે. સામાન્ય પ્રજા ખેતર જેમ સૂકી ભઠ થતી જાય છે છતાં અમુક મઠાધિપતીઓ વરસતા નથી. પાણી રોકીને બેસી રહે છે. તેમને હાથ ઊંચા કરીને આશીર્વચન વરસાવવામાં મજા આવે છે. કેટલા સાધુસંતો એવા છે કે જે પ્રજામાં જઈને પ્રજાની સેવા કરતા હોય? તેમને માત્ર મેવામાં રસ છે, સેવા તો દેખાડવાના દાંત છે. ચાવવાના દાંત અલગ છે. જો સેવા કરે છે તો એ ય લોકોના પૈસે, લોકોની મહેનતે, લોકો પાસે કરાવડાવે છે. પોતે તો આસનબદ્ધ હોય છે. મહારાજા માફક મોંઘા સુવર્ણઆસનો પર બિરાજમાન હોય છે. કયા ભગવાન એમ કહે છે કે તમે મોંઘા મોંઘા સાધનો જ વાપરો. કીમતી માળાઓ જ પહેરો. સર્વોપરી જ રહો. ધર્મ તો નામ છે, તેમને તો અધિપતિ બનવું હોય છે, સત્તા જોઈતી હોય છે, કાબૂ જોઈતો હોય છે. જેમ શોશ્યલ મીડિયા કરે છે, આપણને બધુંં ફ્રી આપીને તે આપણી પર કાબૂ કરી રહ્યા છે. આપણે એ જ જોઈએ છીએ, જે તેઓ બતાવે છે.

હેમેન શાહની ગઝલનો પ્રત્યેક શેર ચાબખા જેવો છે. તેમણે સમાજમાં પ્રવર્તતા ધર્મના દુરુપયોગ પર પ્રહાર કર્યો છે, તો સામે બની બેસેલા મઠાધિપતીઓને પણ આડે હાથે લીધા છે. અધિપતિઓની અંગત લાલચ સામે લાલ આંખ કરી છે, તો અમુક જરઠ ખખડેલા થડિયા જેવા લોકોની અડગતા અને લીલાછમ પાન જેમ કરતા કાચી વય તરફ પણ આંગળી ચીંધી છે. અનેક વણઉકલ્યા પ્રશ્નો પર તેમણે લાલ બત્તી ધરી છે. કવિનું કામ માત્ર ફૂલોની સુગંધ અને પ્રકૃતિની સુંંદરતા વ્યક્ત કરવાનું જ નથી, પણ ધર્મ અને સમાજમાં પ્રવર્તતી કાળી બાજુને ઉજાગર કરવાનું પણ છે.

લોગઆઉટઃ

ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે,
ક્યાંક કંકુ પણ ખરે તો તર્ત દેવાલય ઊગે,
– અનિલ ચાવડા

એક માણસ હારવાનો વારતાનાં અંતમાં

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

એક માણસ હારવાનો વારતાનાં અંતમાં,
હું દિલાસો આપવાનો વારતાનાં અંતમાં.

સોળ આના સાવ સાચી વાત લઈને આવજો,
હું પુરાવો માગવાનો વારતાનાં અંતમાં.

પાનખરની કેટલી થઈ છે અસર એ શોધવા,
ડાળ લીલી કાપવાનો વારતાનાં અંતમાં.

હું તમારી જીતનો હિમાયતી છું એટલે,
સાથ કાયમ આપવાનો વારતાના અંતમાં.

કોણ મારા શ્વાસનો હકદાર છે એ જાણવા,
રાત આખી જાગવાનો વારતાનાં અંતમાં.

જિંદગીભર આપતાં આવ્યાં છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો વારતાના અંતમાં.

– દિનેશ કાનાણી ‘પાગલ’

અંગ્રેજી ભારતીય યુવાલેખિકા સાવિ શર્માની એક બેસ્ટસેલર નવલકથાનું નામ છે - Everyone Has a Story. દરેકની પોતાની એક વાર્તા હોય છે. તેમાં ક્યાંક આંસુ હોય છે, ક્યાંક સ્મિત, ક્યાંક ખડખડાટ હાસ્ય હોય છે તો ક્યાંક હૈયું ફાટી જાય તેવી ચીસ. ક્યાંક કદી ન ઓગળે તેવા ડૂમા હોય છે, તો ક્યાંક પળમાં પીગળતું અસ્તિત્વ. ક્યાંક ઝૂરાપો તો ક્યાંક મિલનનો આનંદ. ક્યાંક કર્કશ ઘોંઘાટ તો ક્યાંક ભેંકાર ખાલીપો, ક્યાંક પોતાના કહી શકાય તેવા માણસો તરફથી મળતા આઘાતો, તો ક્યાંક સાવ અજાણ્યા તરફથી મળતો મહામૂલો ભરોસો. જિંદગીની વારતામાં કેટકેટલા ચડાવ-ઉતાર છે, કેટકેટલા વળાંકો છે. કેટલાટલા ખાડાખળિયા છે, તેમાં ક્યાંક ડુંગર છે, ક્યાંક ખીણો, ક્યાંક દરયાઈ મોજાં જેવા તોતિંગ તોફાનો છે, તો ક્યાંક સરોવરની સહજતા. જ્યારે આપણને થાય કે આપણે બધું જ જાણીએ છીએ એની બીજી જ પળે એવી થપાટ આવે કે આપણી તમામ જાણકારીનો ભાંગીને ભુક્કો થઈ જાય. સોક્રેટિસે કહેલુંં, હું માત્ર એટલું જ જાણુંં છુંં કે હું કંઈ જાણતો નથી. પણ આ સત્ય આપણને છેક વાર્તાના અંતમાં જ સમજાય છે.

દિનેશ કાનાણીની ગઝલ જાત અને જગતને સાથે સંવાદ કરતી હોય તેવું લાગે છે. એક દૃષ્ટિએ લાગે કે આખી ગઝલ આપણે જ આપણી જાતને કહી રહ્યા છીએ અને ક્યારેક લાગે કે જગતને, અથવા કોઈ એવી ખાસ વ્યક્તિને કહી રહ્યા છીએ જે આપણી માટે પ્રાણથી વિશેષ છે. આ કવિ સરળ શૈલીમાં ગહન ગઝલ લખવામાં કાબેલ છે. સરળતા જ તેમની વિશેષતા છે.

એક રીતે જોવા જઈએ તો આપણે જ આપણા સૌથી સારા મિત્ર હોઈએ છીએ. આપણી ભૂલોને આપણે જેટલી સારી રીતે ઓળખીએ છીએ તેટલી સારી રીતે અન્ય કોઈ ઓળખી શકતું નથી. રસ્તામાં આવતી ઠોકરની આપણને ખબર હોય છે છતાં ચાલવાનું બંધ નથી કરતા. કોઈ આપણા પગને ચેતવણી આપે કે ન આપે, આપણું મન તો આવનારી આફતને થોડે ઘણે અંશે પામી જતું હોય છે. જ્યારે ઠોકર વાગે ત્યારે આપણે પોતે જ પોતાને આશ્વાસન આપવા બેસીએ છીએ. ક્યારેક આપણી તમામ પરિસ્થિતિમાં કોઈક આપણી સાથે હોય છે. તેને આપણી જીત કે હારથી ફર્ક તો પડે છે, પણ વાર્તાના અંતે, વિજય કે પરાજયમાં હરહંમેશ આપણી પડખે ઊભા હોય છે. ક્યારેક આપણે હારવાની અણી ઉપર હોઈએ ત્યારે કોઈ ચમત્કારની જેમ આવી ચડે છે અને બાજીમાં જીતમાં પલટાઈ જાય છે.

અમેરિકન લેખિકા હાર્પર લીની એક અદ્ભુત નવલકથા છે - To Kill a Mockingbird. આધુનિક અમેરિકન કથાસાહિત્યમાં ક્લાસિક ગણાતી આ નવલકથાનું એક પાત્ર ખૂબ સંદિગ્ધ છે. તે ભયાનક ડરામણું લાગે છે, પણ વાર્તાના અંતે તે જ મદદરૂપ થાય છે અને સત્યની સાથે ઊભું રહે છે. અમુક માણસો આપણને કાયમ અવગણતા રહે છે. તક મળે ત્યારે ટોન્ટ મારવાનું પણ તેઓ ચૂકતા નથી. ડગલે ને પગલે આપણને ધીક્કારતા રહે છે. પણ જ્યારે કારમી ઠોકર વાગે છે, ત્યારે તેમને સમજાય છે કે કોણ પોતાનું છે અને કોણ પરાયું…

લોગઆઉટઃ

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?
– કૈલાસ પંડિત

તુંબડું મારું પડ્યું નકામું, કોઇ જુએ નહીં એના સામું

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

આપને તારા અંતરનો એક તાર, બીજું હું કાંઇ ન માંગું,
સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઇ ન માંગું…

તુંબડું મારું પડ્યું નકામું, કોઇ જુએ નહીં એના સામું
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર, પછી મારી ધૂન જગાવું
સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઇ ન માંગું …

એકતારો મારો ગૂંજશે મીઠું, દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું
ગીતની રેલાશે એક અખંડિત ધાર, તેમાં થઇ મસ્ત હું રાચું
સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઇ ન માંગું …

– રવીન્દ્રનાથ ટાગોર (અનુ. શ્રી ભાનુશંકર વ્યાસ)

ગાંધીજીએ કહેલું, પ્રાર્થના આત્માનો ખોરાક છે. ભાષા કોઈ પણ હોય, પ્રાર્થનાનો ભાવ તો એક જ રહે છે. હૃદયની પવિત્રતા, આત્માના ઓજસમાં ઉન્નતિ… ન્હાનાલાલે લખેલું, “અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,

ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા” કવિ જાણે છે કે આપણું જીવન અસત્ય, સ્વાર્થ, અહમ, અને અંધકારથી ઘેરાયેલું છે. આપણે અંદરથી ભાંગી પડેલા માણસો છીએ. નાની નાની વાતે આપણે દુઃખી થઈ જઈએ છીએ. કવિ રાજેન્દ્ર શાહે લખ્યું છે, “ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર…” આપણે રાઈનો પહાડ બનાવવામાં પાવરધા છીએ. જરાક અમથા દુઃખને ડુંગર જેવડું બતાવીને લોકોની લાગણી ઉઘરાવવાની આપણને મજા આવે છે. પણ આ જ બાબત આંતરિક રીતે આપણી વ્યથામાં વધારો કરે છે. નાની વાતનો શોર મચાવીને દુઃખને આપણી અંદર પ્રવેશવાની આપણે જાતે તક આપી દઈએ છીએ.

રવીન્દ્રનાથ ટાગોર ભારતીય ભાષાઓનું ઘરેણું છે. તેમની કલમથી જે સુવર્ણમોતીઓ પ્રગટ્યા તેની ચમક સમગ્ર વિશ્વ સુધી પહોંચી છે. ગાંધીયુગના કવિ ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’એ તેમની કવિતાનો સુંદર ભાવાનુવાદ કર્યો છે.

આપણું હૈયું અહમ, ઈર્ષા, ક્રોધ અને લોભના ડાઘથી મલીન થઈ ગયેલું છે. તેને સ્વચ્છ કરવા માટે પ્રાર્થના જરૂરી છે. આપણી પાસે જે નથી એની ચિંતા હોય તેની કરતા વધારે આપણા આસપાસના લોકો પાસે જે વધારે છે તેની ચિંતા વધારે થતી હોય છે. બુદ્ધે કહેલું આપણા દુઃખનું કારણ એષ્ણા - અર્થાત્ ઇચ્છા છે. જોકે માત્ર ઇચ્છા નહીં, પણ વધારે ને વધારે મેળવવાની ઇચ્છા દુઃખનું મુખ્ય કારણ છે. ઇચ્છાના મેલથી મલિન થઈ ગયેલા મનને પ્રાર્થનાથી સ્વચ્છ કરવું પડે છે. આપણા આજીવન એક જ પ્રયત્નમાં જિંદગી વિતાવી દઈએ છીએ, દુઃખથી મુક્તિ. જુદાં જુદાં દુઃખોમાંથી મુક્ત થવા માટે જિંદગીભર દોડતા રહીએ છીએ. પણ અમુક દુઃખોને સ્વીકારીને જ આગળ વધવું પડે છે, તેનાથી ભાગી નથી શકાતું.

એક વાર ભગવાન બુદ્ધ પાસે એક મહિલા આવી અને કહ્યું, સ્વામી આપ બધાનાં દુઃખો દૂર કરો છો. નિર્જીવને સજીવન કરો છો. મારી દીકરીને સાપ ડંખી ગયો છે, તેને સાજી કરી આપો. ભગવાન બુદ્ધ એક ક્ષણ અટક્યા અને કહ્યું, જરૂર. પણ તેની માટે મારે એક વાટકી રાઈના દાણાની જરૂર પડશે, તમે ઝડપથી લઈ આવો. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, એવા ઘરમાંથી રાઈના દાણા લાવજો જે ઘરમાં આજ સુધી કોઈનું મૃત્યુ ન થયુંં હોય. મહિલા દોડાદોડ ગઈ. સવારથી રાત સુધી બધે રઝળી. આખુંં ગામ ફરી વળી પણ એક ઘર એવું ન મળ્યું કે જેમાં ક્યારેય કોઈનું મૃત્યુ ન થયું હોય. સાંજે બુદ્ધ પાસે આવી ત્યારે તે સમજી ગઈ હતી કે મૃત્યુ એ અંતિમ સત્ય છે. તેને સ્વીકારવું જ પડે છે.

1905માં જન્મેલા બાદરાયણે ગુજરાતી ભાષામાં કાવ્યો, ભજનો, સૉનેટો, મુક્તકો અને દીર્ઘ રચનાઓ આપી છે. 1941માં તેમણે ‘કેડી’ નામનો કાવ્યસંગ્રહ આપેલો. તેમણે જિંદગીને હસી-હસાવીને વીતાવવાનો સંદેશો આપતી સરસ કવિતા રચી છે, તેનાથી વિરમીએ.

લોગઆઉટઃ

મજા જિંદગી છે હસો ને હસાવો,
પ્રણયગાનના સૂર ઉરથી વહાવો.

વહી જાય તો કાળ પાછો ન આવે,
લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.

અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે,
બધાં બંધનો એહ દૂરે ફગાવો.

જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો,
ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો.

ભરી છે મજા કેવી કુદરત મહીં જો,
જિગર-બીન એવું તમેયે બજાવો.

ભૂલી જાઓ દુ:ખો ને દર્દો બધાંયે,
અને પ્રેમ-મસ્તીને અંતર જગાવો.

ડરો ના, ઓ દોસ્તો! જરા મોતથીયે,
અરે મોતને પણ હસીને હસાવો.

– ભાનુશંકર વ્યાસ ’બાદરાયણ’

પડી રહ્યા છે પતંગો પવન નથી એથી

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

મળી છે પાંખ પરંતુ ગગન નથી એથી,
ખરી રહ્યાં છે પીંછા ઊડ્ડયન નથી એથી.

તમન્ના હોય છતાં કંઈ જ થઈ નથી શક્તું,
પડી રહ્યા છે પતંગો પવન નથી એથી.

પડી છે સંપદા ભીતરમાં પણ, ધરા ઉજ્જડ
નથી ખણકતા ખજાના ખનન નથી એથી.

ઉડાઉ હાથે વ્યથા કેમ ખર્ચી નાંખે છે ?
પસીનો પાડી કમાયેલું ધન નથી એથી ?

હજીયે ધસમસી આવે છે આંખમાં પાણી
હજી આ દર્દનું અમને વ્યસન નથી એથી.

- પંકજ વખારિયા

ઘણી વાર આવડતનો બરફ પરિસ્થિતિના પ્યાલામાં ઓગળી જતો હોય છે. તળના ગામડામાં ઘણા એવા ક્રિકેટરો હશે જે નેશનલ કે ઇન્ટરનેશનલ ક્ષેત્રે જોરદાર રમી શકે. ઘણા એવા કલાકારો પણ હશે યોગ્ય સંજોગોના અભાવે કે રોજીરોજીની ગૂંચમાં જ અટવાઈ ગયા, તેમની કલા જગતના કાન સુધી પહોંચી જ નહીં. આજે અનેક કલાકારો આપબળે આગળ આવ્યા જ છે, પણ જે નથી આવી શક્યા તેમની સંખ્યા પણ ઓછી નથી. તમને પાંખ તો મળી જાય, પણ ઊડવા માટે ગગન જ ના હોય તો તમે પીંજરામાં ક્યાં સુધી પાંખો ફફડાવશો? આવા સંજોગોમાં કલાનું કૌવત ઓસરી જાય છે. આમ ને આમ ઝાવાં મારવાથી તો પીંછાં ખરી જશે ને ઘાયલ થશો તે અલગ. પંકજ વખારિયાની આ ગઝલને અનેક દૃષ્ટિકોણથી જોઈ શકાય તેવી છે. તેમની કવિતામાં સમજપૂર્વકની ગંભીરતા હોય છે, તેમાં માત્ર વ્યથાના વલખાં નથી હોતાં, પણ આંતરિક સૂઝમાંથી નીતરેલું સત્ય હોય છે. અને એ સત્ય કવિનું પોતાનું હોય છે. આમ તો પ્રત્યેક કવિ કવિતા દ્વારા પોતાનો દૃષ્ટિકોણ જ જગત સામે રજૂ કરતો હોય છે. તેમાં ક્યાંક હકીકતની ચમક હોય છે તો ક્યાંક કલ્પનાની. બસ એ ચમકારામાં જ ભાવકે પોતાની સમજણનું મોતી પરોવવાનું હોય છે.

અફઘાની-અમેરિકી લેખક ખાલીદ હુસૈનીની પ્રસિદ્ધ નવલકથા ‘કાઇટ રનર’ વાંચી હશે તેમને ખબર હશે કે અફઘાનીસ્તાનમાં થતી પતંગ ઉડાડવાની સ્પર્ધાથી ગૂંથાતી આ કથા સામાજિક, રાજકીય અનેક આંટીઘૂંટીઓમાં ગૂંથાઈને એક જુદા જ મુકામ પર પહોંચે છે - પતંગની જેમ જ. કદાચ એટલે જ તેમણે નવલથાનું નામ ‘કાઈટ રનર’ રાખ્યું હશે. આપણી જિંદગી અને પતંગમાં ઝાઝો ફેર નથી. જીવનનો પતંગ આકાશમાં માંડ માંડ ઠુમકા મારીને ઊંચે ચડતો હોય ત્યાં તરત જ કાચ પાયેલી ધારદાર દોરી જેવા લોકો આપણને નીચે પાડવા આવી જાય છે. ખૂબ ઊંચે આકાશમાં જવું અને સ્થિર થઈને મુક્તમને ઊડતા રહેવું બહુ ઓછા પતંગોના નસીબમાં હોય છે. કોક તો બાપડા આકાશને પણ પામતા નથી. ફુદરડાં ફરીને જરાક ઊડ્યા નથી કે પડ્યા નથી. અમુક કપાઈને ઝાડીઝાંખરામાં ફસાઈને લટકેલા રહે છે દિવસો સુધી. આપણે પણ સંજોગોના દોરાથી કપાઈને દુઃખના ઝાડીઝાંખરામાં દિવસો સુધી પડ્યા જ રહીએ છીએને. જો કોઈ સમયસર બહાર ન કાઢે તો આપણે પણ ત્યાં પડ્યા પડ્યા અંતરથી તૂટી જતા જોઈએ છીએ.

તમે ગમે તેવા પતંગબાજ હોવ, તમારી પાસે ઉત્તમમાં ઉત્તમ દોરી હોય, હવામાં સડસડાટ ઊડી શકે તેવા પતંગો પણ હોય, પરંતુ પવન જ સાથ ન આપે તો શું કરો? દિવસો સુધી તૈયારીઓ કરીએ અને ઉત્તરાયણના દિવસે જ પવન પડી જાય તો ઉત્સાહ ધૂળભેગો થઈ જાય છે. મહિનાઓથી નવા બિઝનેસ માટે મહેનત કરતા હોઈએ અને જે દિવસે દુકાન ખુલે એ જ દિવસથી શહેરમાં હડતાલ ચાલુ થઈ જાય તો તમે શું કરો? રાતદાડો એક કરીને, કેરોસિનવાળા દીવાના અજવાળે ચોપડીઓ વાંચી વાંચીને આંખો ફોડી હોય અને પરીક્ષાના દિવસે જ પેપર ફૂટી જાય, ત્યારે મહેનતુ પ્રામાણિક વિદ્યાર્થી બાપડો શું કરે?

જિંદગીની આ પતંગબાજીમાં અમુક માપસરના પવન જેવા માણસો પણ હોય છે, જે હરહંમેશ આપણી સાથે રહે છે. આવા લોકો જીવનમાં હાજર છતાં તેમની હાજરી વરતાતી નથી. અદ્દલ પવનની જેમ જ. આવા માણસોને આપણી જીતથી ફુલાઈ નથી જતા, પણ આપણી હારથી દુઃખી ચોક્કસ થઈ જાય છે. તે દરેક ક્ષણે પતંગને ઠુમકા મારતા હાથની જેમ આપણું બેલેન્સ બરાબર જળવાઈ રહે તેવા પ્રયત્નો કરતા રહે છે. તે ઇચ્છે છે કે આપણે આકાશમાં મુક્તમને ઊડીએ. તમારી આસપાસ પણ કોઈક આવું હશે જ, જરા ઝીણવટથી નજર કરશો તો એ દેખાશે પણ ખરા.

લોગઆઉટઃ

ક્યારેક પતંગ હાથમાં જ હોય
ત્યારે દોરી ન હોય
ને દોરી હોય ત્યારે
પતંગ જ ન હોય
બસ, વહેતા પવનની આંખે
તાક્યા કરવાનું
પતંગોથી ભર્યું ભર્યું
સુરીલું આકાશ
કેવળ તાક્યા જ કરવાનું
મનમાં કદાચ
કોઈ મેઘધનુષી પતંગ
ચગે તો ચગે…

- યોગેશ જોશી

આંગળીના નખથી ખોદી કાઢું કૂવો

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

તમે કે’તા હો તો
એક રાતમાં કાછોટો વાળી
નખથી ખોદી કાઢું કૂવો.

તમે કે’તા હો તો પરોઢમાં તારોડિયું ઊગે તે પહેલાં
લેણમાં સૌ પહેલું મૂકી આવું મારું માટલું.
તમે કે’તા હો તો એકલી પંડે કોશ હાંકીને
આખા ગામને પાઉ પાણી,
પણ-
આ લેણથી છેટા બેસી
સૌથી છેલ્લા
કો’ક ઊંચેથી ચાંગળું પાણી રેડે માટલામાં
એ સહાતું નથી,
કો’તો આખો ઉનાળો તરસે મરું
પણ તરસની આ ભીખ માગતાં
એમ થાય કે ધરતી ચ્યમ માર્ગ આપતી નથી
સીતાજીની જેમ?

– પ્રવિણ ગઢવી

દલિતો-પીડિતોની અનેક વણકહી વ્યથાઓને વાચા આપનાર ગુજરાતી ભાષાના મુઠ્ઠી ઊંચેરા સર્જક જોસેફ મેકવાને એક વખત કહેલું કે સમાજજીવનમાં દલિત તરીકે જીવવું ખૂબ વરવું છે, અને એથી ય વરવું છે દલિત સ્ત્રી તરીકે જીવવું. આ બેવડી વેદના સહનશીલતાથી પર હોય છે. ડગલે ને પગલે જાત અને જગત સામે લડ્યા કરવું પડે છે. આ વ્યથાની વાત આજકાલની નથી, મેઘાણીએ કહ્યું છેને, ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ…’ તેમ આ પીડાનો પથારો સદીઓમાં પથરાયેલો છે. આજે એકવીસમી સદીની આધુનિકતા વચ્ચે પણ અનેક લોકો વામણી માનસિકતાને મોભા તરીકે જુએ છે. પોતાની ઉચ્ચ જ્ઞાતિના દરજ્જાનું ગાન કરતા લોકો આજે પણ મળી આવે છે. એક દલિત મૂછ રાખે કે વરઘોડો કાઢે એ પણ સહાતું નથી. જે લોકો કાયમ તેમની સામે નીચી નજરે ચાલ્યા હોય, ઢોર માફક મજૂરી ઢસડી હોય તે ઈનશર્ટ કરીને બજારમાં નીકળે તો પણ અમુક લોકોની આંખમાં કણીઓ ભોંકાતી હોય છે. અને એ પણ ક્યારે? જ્યારે આપણે ચંદ્ર પર યાન મોકલવામાં વ્યસ્ત છીએ, મંગળ પર વસવાટની યોજનાઓ ઘડી રહ્યા છીએ ત્યારે! પૃથ્વી પર પૂરેપૂરી મંગળતા ત્યારે જ આવશે જ્યારે આ જાતિવાદ જડમૂળથી નીકળે. ઐક્યની ભાવના પ્રસરે. જ્ઞાતિ, પૈસા, પ્રસિદ્ધિને આધારે થતા મૂલ્યાંકનોને ફગાવી સર્વમાનવસમાનની ભાવના વિકસે. કાયદો તો બધાને સમાન જ ગણે છે, પણ તેને પાળનારા પણ ગણવા જોઈએને. પુસ્તકોમાં તો એકતાનાં મૂલ્યો રંગેચંગે દર્શાવાય છે, પણ એ જીવનમાં પણ ફલિત થવા જોઈએને. આ ઐક્યની ભાવના માત્ર કાગળ પર ફૂટી નીકળેલી કૂંપળ ન બની રહેતા, વાસ્તવિક જીવનમાં અમલમાં મૂકાવી જોઈએ.

પ્રવીણ ગઢવીએ ‘અછૂત સીતા’ નામની કવિતામાં એક દલિત નારીની હૃદયદ્રાવક વેદના વ્યક્ત કરી છે. તેમની કાવ્યનાયિકા કહે છે, આંગળીના નાનકડા નખથી એક મસમોટો કૂવો ખોદવા જેવું કપરું અને અશક્ય કામ પણ કરવાનું થાય તો હરખભેર કરવા તૈયાર છું. પણ એ કૂવામાંથી નીકળતું પાણી લેવા માટે મારે આમ અલગ લાઇનમાં ઊભા રહેવું પડે. એ સહન નહીં થાય. જેમ વર્ષો પહેલાં સ્કૂલમાં એકલવ્યને અલગ બેસાડવામાં આવ્યો હતો, જેમ બાબાસાહેબ આંબેડકરને અલગ બેસાડવામાં આવ્યા હતા. આ અભાવગ્રસ્ત તરસ આજકાલની નથી. કાવ્યનાયિકા કહે છે કે હું કોશ હાંકીને આખા ગામને પાણી પીવડાવવાનો પરિશ્રમ કરવા પણ તૈયાર છું. પણ કોક મને અછૂત ગણીને આમ ઊંચેથી પાણી મારા માટલામાં રેડે તો એ અસહ્ય છે. એની કરતા તો કાળઝાળ ઉનાળામાં તરસે મરી જવું સારું. કરૂણતા એ કે આવી અભાવગ્રસ્ત સીતાઓને ધરતી પણ મારગ નથી આપતી હોતી.

જાતિ જન્મની સાથે જળોની જેમ ચીપકી જાય છે. જાતિ જાતી નથી. અટક બદલાવો કે નામ, ગામ બદલાવો કે પ્રદેશ, લોકો તમારો ઇતિહાસ ખોદી કાઢે છે. જેને આ બધી વાતોથી ફર્ક નથી પડતો એમની વાત નથી, પણ જેમને ફર્ક પડે છે એ તો ફલાંગો ભરીભરીને બધે કહેવા જશે. કહેવાય છે કે આત્મા અમર છે, શસ્ત્ર તેને છેદી શકતું નથી. અગ્નિ બાળી શકતો નથી, પાણી ડુબાડી શકતું નથી. વાયુ સુકવી સકતો નથી. ક્યારેક લાગે છે કે આ બધું જાતિને પણ એટલું જ લાગુ પડે છે.

લોગઆઉટઃ

‘શસ્ત્ર છેદી શકતું નથી
અગ્નિ બાળી શકતો નથી
પાણી ડુબાડી શકતું નથી અને
વાયુ તેને સૂકવી શકતો નથી’
પરંતુ હે પ્રભુ ! કરજો માફ !
મારી પીડા-વ્યથા જુદી છે !
વાત આપની આત્મા કરતાં તો મને
જાતિભેદ માટે લાગે છે વધુ સાચી
નખશિખ આખુંયે શબ
વરાળ થઈને ભળી જાય છે
પંચમહાભૂતમાં,
પણ મૃતદેહ સાથે કદી અહીં
અસ્પૃશ્યતા બળીને રાખ થતી નથી,
એ તો સજીવન થઈને જન્મતી રહે છે
ફરી ફરીને એ જ અતિઘાતક વિરુપે
ભડભડતી ચિતામાંથીય બહાર !

- થોભણ પરમાર

શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’
ભીંતનો અટ્ટહાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

એક ગમતી સાંજ ચાખ્યે કેટલાં વર્ષો થયાં
આંખનો ઉપવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

સાવ નિર્જન કોઈ ટાપુ છે હૃદયની મધ્યમાં
ત્યાં જ કારાવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

પાંગર્યું છે ઊર્મિલાનું મૌન મારી ભીતરે
જાતનો વનવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

– મિલિન્દ ગઢવી

ભગવતીકુમાર શર્માની ખૂબ જાણીતી પંક્તિ છે.
ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.

પ્રેક્ટિકલી જોવા જઈએ તો સાંજ ડૂસકે નથી ચડતી કે નથી સૂરજ ઉદાસ થતો. એ તો પોતાના ક્રમ પ્રમાણે બ્રહ્માંડમાં ચક્કરો લગાવ્યા કરે છે. ઉદાસ થાય છે સાંજને અનુભવનાર વ્યક્તિ. આથમતો સૂરજ ઝાંખા પ્રકાશ સાથે સાંજમાં ગંભીરતાના રંગો પૂરી જાય છે. પ્રિય વ્યક્તિ હાજર હોય ત્યારે તે રંગો રોમેન્ટિક લાગે છે, પણ ગમતી વ્યક્તિની ગેરહાજરી એ જ રંગોને રુદનમાં ફેરવી નાખે છે. કવિ પોતાની ઉદાસી સાંજના નામે ચડાવે છે. અંદરથી હૈયુંં રડી રહ્યુંં છે, પણ કવિ કહે છે કે સાંજ ડૂસકે ચડી છે. એ સાંજ અર્થાત પોતાનું હૃદય. એ સાંજ અર્થાત ‘કોઈ નથી’નો વસવસો. એ સાંજ અર્થાત એક ઊંડો અભાવ. કવિ મિલિંદ ગઢવીએ પોતાની ગઝલમાં આ અભાવને બહુ અસરસકાર રીતે ઘૂંટ્યો છે.

ગમતી વ્યક્તિની ગેરહાજરી વ્યક્ત કરવા માટે એક સામાન્ય માણસ કહે કે તારા વિના મને ભીંતો ખાવા દોડે છે. પણ આ વાત કવિ કહે ત્યારે તે સાદી વાત પણ સુરીલી થઈને વહેવા લાગે છે. પ્રિય વ્યક્તિ પાસે ન હોવાની સ્થિતિમાં અનેક અભાવો મનના કાગળ પર વિવિધ ચિત્રો દોર્યા કરે છે. એ ચિત્રમાં ક્યાંંક ખાલીપાનાં ખખડતાં ખંડેરો હોય છે, તો ક્યાંક શૂન્યતાનાં રાસ લેતાં દૃશ્યો. ક્યાંક અભાવમાં અટ્ટહાસ્ય કરતી ભીંંતો તો ક્યાંક ડૂમો બની ગયેલાં ગીતો. ક્યાંક ઉદાસીમાં ભીની થયેલી આંખ તો ક્યાંક ડૂસકે ચડેલી સાંજ.

કવિ ભાવેશ ભટ્ટે લખેલું,
જો વીતે આપના વિચાર વગર
એ દિવસ મનનો ઉપવાસ ન થાય?

ગાંધીજીએ કહેલું કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. આત્માને પોષણ આપવા પ્રાર્થના જરૂરી છે. પણ હૃદયના પોષણ માટે તો પ્રિય વ્યક્તિનાં સ્મરણો જ રામબાણ ઇલાજ છે. ગમતી વ્યક્તિ સાંભરે ત્યારે સુક્કા સૂસવાટા પણ વાંસળીના સૂર બનીને વહેવા લાગે છે. તેના સ્મરણમાત્રથી આકરા તાપમાં પણ ટાઢકની અનુભૂતિ થતી હોય છે. જે દિવસે ગમતી વ્યક્તિ યાદ ન આવે એ દિવસ મન માટે ઉપવાસ સમાન છે. અને જે દિવસે પ્રિય વ્યક્તિને ન જોઈએ, તેને નજરમાં ન ભરીએ, તે દિવસ આંખ માટે ઉપવાસ સમાન હોય છે. લાબાં ગાળા સુધી ગમતી વ્યક્તિ જોવા જ ન મળે તો સમજવું કે નયનનો નમણો પ્રદેશ ઉજ્જડ થઈ રહ્યો છે, તેમાં દુષ્કાળ ચાલી રહ્યો છે.

હૃદય પણ કોઈ નિર્જન ટાપુથી કમ નથી. તેમાં ક્યારેક ભાવનાઓનો મેળો ભરાય છે, તો ક્યારેક વ્યથાનું વાવાઝોડું ફુંકાય છે. પ્રિય વ્યક્તિનું સાથે ન હોવું એ પોતે જ પોતાના હૃદયમાં કારાવાસ ભોગવતા હોવાની વરવી અનુભૂતિ છે. પછી કોઈ પણ જગાએ જઈએ - ભરચક મહેફિલમાં કે ધમાચકડી કરતા જલસામાં - આપણા માટે એ સ્થાન નિર્જન ટાપુથી વિશેષ કશું નથી હોતો. બહાર ચાલતી ધમાલથી વિરક્ત થઈને મન પોતાની અંદર જ ક્યાંક ઊંડે ઊંડે ખોવાઈ જાય છે. ભીતરમાં મૌન એક જંગલની જેમ વિસ્તરતું જાય છે. વનવાસ રામને મળ્યો, પણ વિરહ તો ઊર્મિલા અને લક્ષ્મણને મળ્યો. રામની સાથે સીતા હતાંં, પણ ઊર્મિલા તો મહેલમાં એકલી હતી, લક્ષ્મણ ચાલી નીકળ્યા હતા ભાઈની સાથે વનવાસે. ખરો વનવાસ તો ઊર્મિલા ભોગવતી હતી, મહેલમાં રહ્યા પછી પણ તે જંગલમાં હતી.

લોગઆઉટઃ

સૂના ઘરમાં ખાલી-ખાલી માળ-મેડિયું ફરશે,
તમે જશો, ને ઉંબર ઉપર ઘર ઢગલો થઈને પડશે.

પછી પછીતેથી હોંકારાનો સૂરજ ઉગશે નહિં,
અને ઓસરીમાં કલરવનાં પારેવા, ઉડશે નહિં.
સમી સાંજનો તુલસી-ક્યારો, ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડશે.
તમે જશો, ને ઉંબર ઉપર ઘર ઢગલો થઈને પડશે.

ખળી, ઝાંપલી, વાવ, કૂવોને, પગદંડી, ખેતર, શેઢા,
બધા તમારા સ્પર્શ વિનાના પડી રહેશે રેઢા.
તમે હતાનું ઝાકળ પહેરી, પડછાયાઓ ફરશે.
તમે જશો, ને ઉંબર ઉપર ઘર ઢગલો થઈને પડશે.

- નયન દેસાઈ

એક વિષય પર વિવિધ શાયરોના મતમતાંતરો અને ફિલસૂફી

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:
તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારાં,
પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી?
- ઘાયલ

ગુજરાતી ગઝલમાં ઘાયલનું સ્થાન આગવું છે. ખમીર અને ખુમારી તેમની ઓળખ છે. અસ્સલ કાઠિયાવાડી મિજાજ સાથે તેમણે આપેલા અનેક ઉત્તમ શેર આજે ગુજરાતી ગઝલમાં સાચા મોતીની જેમ ચમકી રહ્યાં છે. આ શેર પણ તેમના શ્રેષ્ઠ શેરમાંનો એક છે. અસ્તિત્વના આનંદને ઉજવતા આવડે તો પ્રત્યેક સ્થાન મહેફિલ છે. આનંદના અવસરે પણ પોતાનાં રોદણાં રડ્યા કરતા માણસને જલસાનું જોમ નથી ચડી શકતું. તેને ગમે તેવા ઉત્સવમાં મૂકો તે ભીતરથી દુઃખી જ રહે છે. જીવી શકીએ તો દરેક વસ્તુમાં જિંદગી છે. પ્રત્યેક સ્થાન વ્યક્તિ કે વસ્તુમાં એક નશાથી કમ નથી. ગાબિ (1797-1869)નો શેર પણ યાદ આવ્યા વિના નથી રહેતો.
જાહિદ શરાબ પીને દે મસ્જિદ મેં બૈઠ કર,
યા વો જગહ બતા દે જહાં પર ખુદા ન હો.

જોકે આ શેર ગાલિબનો છે તે બાબતે વિદ્વાનોમાં મતભેદ છે. ઈસ્લામ ધર્મમાં સુરાપાન ઘોર પાપ છે. ગાલિબ અને શરાબના કિસ્સા તો ખૂબ જાણીતા છે, એટલે એમણે જાહિદ અર્થાત્ ધર્મોપદેશને દલીલ કરીને કહ્યું કે હું દારૂના પીઠામાં જઈને શરાબ પીઉં કે મસ્જિદમાં બેસીને, તેનાથી શું ફર્ક પડવાનો છે? કેમ કે ખુદા તો દરેક જગ્યાએ છે. આપણે ત્યાં કણ કણ મેં હૈ ભગવાનની માન્યતા સદીઓથી છે. અઢારમી સદીમાં થઈ ગયેલા આ મહાન શાયરના શેરનો જવાબ ઓગણીસમી સદીના મહાન શાયર ઇકબાલ (1877-1938) કંઈક આ રીતે આપે છે.
મસ્જિદ ખુદા કા ઘર હૈ, પીને કી જગહ નહીં,
કાફિર કે દિલ મેં જા, વહાં ખુદા નહીં.

ગાલિબ જરા પણ ધાર્મિક નહીં, પણ ઇકબાલ ધાર્મિક ખરા. એટલે એ કહે છે કે મસ્જિદ એ તો ખુદાનુંં ઘર છે, ત્યાં સાક્ષાત ખુદા વસે છે, ત્યાં બેસીને શરાબ પીવો એ તો ઘોર પાપ છે, તમારે પીવો જ હોય તો કોઈ નાસ્તિકના હૃદયમાં જઈને પીવો, કેમ કે એ તો ખુદામાં માનતો જ નથી, તો તેના હૃદયમાં ખુદા ક્યાંથી હોય?

ઇકબાલના આ શેરનો જવાબ વીસમી સદીમાં જન્મેલા મહાન શાયર અહમદ ફરાઝ (1931-2008) આપે છે-
કાફિર કે દિલ સે આયા હૂં, મૈં યે દેખકર,
ખુદા મૌજૂદ હૈ વહાં, પર ઉસે પતા નહીં.

અહમદ ફરાઝ ઉપરના બંને શાયરને કહે છે મસ્જિદની વાત જવા દો, પીઠામાં બેસીને પીવાની વાત પણ ભૂલી જાવ, મેં તો છેક કાફિરના અર્થાત્ નાસ્તિકના હૃદયમાં જઈને પણ જોઈ લીધુંં, ભગવાન તો ત્યાં પણ છે જ, પણ એ નાસ્તિકને ખબર નથી. અને ખબર નથી એટલે એ માનતો નથી. પણ શરાબનો પ્રશ્ન તો પાછો ત્યાં ને ત્યાં જ આવીને ઊભો રહ્યો.

એટલે 1976માં પાકિસ્તાનમાં જન્મેલ વસી શાહ એ શેરનો જવાબ આ રીતે આપે છે-
મૌજૂદ હૈ ખુદા યહાં દુનિયામાં મેં હર જગહ,
જન્નત મેં જા કે પી વહાં પીના મના નહીં.

એણે જુદી વાત કરી. દુનિયાના અણુએ અણુમાં ભગવાન છે, અહીં તો શરાબ હરામ છે. જો શરાબ પીવો જ હોય તો તુંં સ્વર્ગમાં જઈને પીઓ, ત્યાંં સુરા અને અપ્સરા બંંને છે. આ બધાની વાત સાંભળીને ફહીમ કીદવાઈ નામનો શાયર છંછેડાઈ ઊઠે છે અને લખે છે,
છોડો મસ્જિદ, જન્નમત ઔર દિલો કી યે બહસે,
શરાબ પીના હરામ હૈ ક્યા તુમકો પતા નહીં?

અરે ભઈ આ મસ્જિદ, જન્નત આ બધી વાતો મૂકો. એની ચર્ચા કરવાની રહેતી જ નથી. તમને ખબર નથી કે શરાબ આપણે ત્યાં હરામ છે?

કવિતામાં વ્યક્ત થતા એક વિચારને અલગ અલગ શાયર કેવા પોતાની રીતે આગળ વધારતા હોય છે તેનો આ દાખલો છે. દરેક શાયર પોતાની સૂઝ-સમજ અને માન્યતા-ગેરમાન્યતાઓને આધારે દાવા-દલીલો કરે છે. તમામ શાયરોની દાલાદલિતોમાં ભાવકે પોતાનું સત્ય તારવવાનું છે. જોકે ઉપર થયેલી આટલી ચર્ચા પછી પણ શરાબવાળો મુદ્દો તો હજી ઉકેલાયો જ નથી. ગાલિબના સમયના અન્ય મહાન શાયર ઝૌક તો સીધા ધર્મોપદેશક સામે દલીલ કરે છે. તેમને પૂછે છે કે હે જાહિદ, હે ધર્મોપદેશક, શરાબ પીવાથી હું કઈ રીતે નાસ્તિક થઈ ગયો? શું ધર્મ એટલો નબળો હોય છે કે શરાબ જેવું નશીલું પાણી પીવાથી ભ્રષ્ટ થઈ જાય? મેં ચપટીક પાણી પીધું મારું આખું ઇમાન એ પાણીમાં વહી ગયુંં? મારો ધર્મ નાશ પામ્યો?

લોગઆઉટઃ
જાહિદ શરાબ પીને સે કાફિર હુઆ મૈં ક્યોં,
ક્યાં દેઢ ચુલ્લૂ પાની સે ઈમાન બહ ગયા?
- ઝૌક

હું છું, ઘર છે, રાત છે, એથી વધારે કંઈ નથી

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

હું છું, ઘર છે, રાત છે, એથી વધારે કંઈ નથી,
આહ છે, એકાંત છે, એથી વધારે કંઈ નથી,

જન્મ, જીવન, મૃત્યુની ઘટનામાં છે સરખાપણું,
યાતના નિતાંત છે, એથી વધારે કંઈ નથી.

સહેજ પીડા સાથે આવે ખારું પાણી માપસર,
આંખની આયાત છે, એથી વધારે કંઈ નથી!

સાવ નિર્જન પ્રાંત છે રાખું છું જ્યાં તારા સ્મરણ,
મનની યાતાયાત છે, એથી વધારે કંઈ નથી.

સૂર્ય ડૂબ્યાની ક્ષણે આ આપણું અળગા થવું,
ઘાત પર આઘાત છે, એથી વધારે કંઈ નથી.

સુફિયાણી વાત જેને માનતું ગઝલો જગત,
ઠેસ પર વૃતાંત છે, એથી વધારે કંઈ નથી.

- દિક્ષિતા શાહ

ગુજરાતી ભાષામાં વર્તમાન સમયમાં ઉષા ઉપાધ્યાય, પારુલ ખખ્ખર, લક્ષ્મી ડોબરિયા, હર્ષવી પટેલ, એષા દાદાવાલા, રાધિકા પટેલ, માર્ગી દોશી, યામિની વ્યાસ, લિપિ ઓઝા, રક્ષા શુક્લ જેવી અનેક કવયિત્રીઓ ખૂબ સમજપૂર્વક ખેડાણ કરી રહી છે, તેમાં એક નામ દિક્ષિતા શાહનું પણ ખરું.

વ્યથાના વહાણમાં બેસીને ભવસાગર પાર કરવાનો હોય છે. ધરતી પર જન્મેલી એક પણ વ્યક્તિ એવી નથી જેણે કદી દુઃખ ન અનુભવ્યું હોય. પછી તે દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ હોય કે કંગાળ, રાજા હોય કે રંક. સુખ અને દુઃખનાં રંગોથી જ આયખાના આંગણામાં રંગોળી પૂરાય છે. તેમાંથી અમુક પ્રસંગો જીવનપોથીમાં એટલા ઘાટા અક્ષરે લખાઈ જાય છે કે સમયનું ડસ્ટર પણ તેને સાફ કરી શકતું નથી. જગત એ પ્રસંગો વાંચે કે ન વાંચે આપણો જીવ ડગલે ને પગલે છપાયેલા અક્ષરો પણ આંગળી ફેરવી લેતો હોય છે. એ પ્રસંગો કયા? કશુંક અંગત ગુમાવ્યાનો ગમ, જેના એક બોલ પર આખી જિંદગી ફના કરવાની તૈયારી હોય તેવા વિશ્વાસુ વ્યક્તિ દ્વારા થતો દગો, પ્રાણપ્રિય વ્યક્તિના પ્રાણ ચાલ્યા ગયાનું દુઃખ, વહાલથી ખોળો ખુંદનાર સંતાનને કાંધે ઊંચકીને સ્મશાન સુધી લઈ જવાની વ્યથા તો જેણે ભોગવી હોય તે જ કહી શકે.

ટ્રેનના પાટા જેવી જિંદગી છે, જેમાં એક પાટા પર સુખ છે અને બીજા પર દુઃખ. એક પાટા પર ક્યારેય ટ્રેન ચાલી નથી શકતી. સુખ અને દુઃખ બંનેને સાથે રાખીને જ સફર ખેડવાની છે. દિક્ષિતા શાહની ગઝલના પ્રત્યેક શેરમાં જીવનની વ્યથા ડોકાય છે. તેમાં આહ છે અને આઘાત પણ છે. વેદના અને વ્યથાનું વૃત્તાંત છે. જીવનમાં દુઃખ હોવું એટલે શું તેની વાત વિકી ત્રિવેદીએ બહુ અસરકારક રીતે કરી છે.
મારા જીવનમાં દુઃખ ઘણાં છે પણ દરેક દુઃખ,
સાગરમાં એક વહાણ છે બીજું કશું નથી.

પ્રિયજનના વિરહની વ્યથા વાણીથી વ્યક્ત થઈ શકતી નથી. એ માત્ર એકાંતપૂર્વક અનુભવાય છે. તેને વ્યક્ત કરવા પ્રયત્ન પણ કરીએ તો પ્રત્યેક શબ્દ વામણો લાગે છે. ઘણું કહ્યા પછી પણ જાણે કશુંં નક્કર કહી ન શકાયું હોય તેવું જ લાગે છે. ક્યારેક લાગે કે એ વ્યક્ત કરવા જતા જીવ નીકળી જશે, પણ વધારે દુઃખ એ કે જીવ પણ નીકળતો નથી. જે અવ્યક્ત છે એવાં સ્મરણને હૃદયતની તિજોરીમાં તાળું મારીને સંઘરી રાખવાનાં હોય છે. જીવનનું ઝેર ચડે ત્યારે આ સ્મરણનું તાળું ખોલી તેને માણી લેવાનાં અને ફરી જીવાાનું જોમ પ્રાપ્ત કરવાનું. સાપ-નોળિયાની રમતમાં નોળિયાને જ્યારે સાપના ડંખનું ઝેર ચડે ત્યારે તે ત્યાંથી ભાગીને ઝડપથી નોળવેલ સુંઘી આવે છે, જેથી સાપનું ઝેર ઊતરે. ઝેર ઉતરતા ફરી પાછો આવીને તે લડાઈ કરે છે. જિંદગી અમુક અંશે સાપ-નોળિયાના યુદ્ધ જેવી છે. ડગલે ને પગલે કપરા પ્રસંગો ઝેરી સાપ જેમ ડંખ મારે છે. તેનું વિષ ગમતાં સ્મરણની નોળવેલ સુંઘીને ઉતારવાનું હોય છે.

આંખથી વહેલાં કે ન વહી શકેલાં આંસુ પીડાના દસ્તાવેજ સમાં હોય છે. એ દસ્તાવેજ શબ્દોમાં સંઘવો હોય તો કવિતા તેની માટેનું ઉત્તમ સાધન છે. કાવ્યમાં ભાવક પોતાની વ્યથા પણ વાંચી શકે છે. વાંચતી વખતે કવિ બાદ થઈ જાય છે, રહે છે માત્ર અનુભૂતિ. અર્થાત્ કવિતાના શબ્દોમાં માત્ર ફિલસૂફીનાં ફૂલો નથી પણ અનુભવનું અત્તર પણ છે. પરંતુ ઘણી વાર જગતને કવિતામાં કહેવાયેલી ગહન વાતો પણ સૂફિયાણી લાગતી હોય છે. તેવા લોકોને દીવો પ્રગટ્યા પછી થતું અજવાળું દેખાય છે. હંમેશ માટે ગુમાવે દીધેલ વ્યક્તિની છબી આગળ કરેલા દીવાથી થયેલું અજવાળું જગતને દેખાય છે, પણ પ્રાણપ્રિ વ્યક્તિને ગુમાવ્યાથી જીવનમાં કેટલું અંધારું થઈ ગયું છે તે તો ગુમાવનાર જ જાણે.

લોગઆઉટઃ

એક છબી આગળ દીવો કરવો પડ્યો છે જ્યારથી,
અર્થ અંધારાનો અલબત હું ય સમજી ત્યારથી.
- દિક્ષિતા શાહ