ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

એ ટોટલ સોળ હતા.
એક અસહાય છોકરી પર બળાત્કાર કરનારા.
આઠ હિંદુ
છ મુસલમાન
બે ખ્રિસ્તી.

યુરેકા યુરેકા
સાંપ્રદાયિક એકતા !
સાંપ્રદાયિક એકતા !

- મલયાલી કવિ કુરીપુઝા શ્રીકુમાર, અનુવાદઃ ઇલિયાસ શેખ


ગ્રીસના પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક આર્કિમિડિઝને તેમના રાજાએ એક મુગટ આપ્યો અને કહ્યું કે આમાં મને અન્ય ધાતુની મિલાવટ કરી હોય તેમ લાગે છે. તપાસ કરો. વળી આ મુગટને તોડ્યા વિના જ તેમાં ધાતુની મિલાવટ છે કે નહીં તે જાણવાનું હતું, કેમ કે મુગટ સાથે રાજાની ધાર્મિક શ્રદ્ધા જોડાયેલી હતી. મુગટને તોડીએ તો તો દેવતાઓ કોપાયમાન થાય. આર્કિડિઝ બહુ દિવસ મથ્યો પણ મુગટને જરા પણ નુકસાન કર્યા વિના કઈ રીતે તપાસવું તે સમજાતું નહોતું. એક દિવસ તે બાથટબમાં નહાતા અને અને અચાનક તેમને ધાતુના મિશ્રણને શોધી કાઢવાનો આઇડિયા મળી ગયો. તે એટલા ઉત્સાહમાં આવી ગયા કે નિર્વસ્ત્ર સ્થિતિમાં જ શહેરની ગલીમાં યુરેકા યુરેકા કરીને દોડવા માંડ્યા. અર્થાત્ મળી ગયું, મળી ગયું…


આ જ યુરેકા શબ્દનો ઉપયોગ કરીને મલ્યાલમ કવિ કુરીપુઝા શ્રીકુમારે ખૂબ ધારદાર કવિતા લખી છે. જાણી કોઈ મોટી શોધ કરી હોય તેવા સંદર્ભમાં તે સમાજ પર, અને આપણી સાંપ્રદાયિક એકતાની દંભી વાતો પર જનોઈવઢ ઘા કરે છે. કવિતાનું શીર્ષક છે - યુરેકા.


મલયાલમ ભાષાના આ મોડર્ન મલ્યાલમ સાહિત્યમાં મોખરાનુંં નામ છે. સમાજમાં પ્રવર્તતા પ્રશ્નોને પોતાની કવિતામાંં તેઓ બખૂબી રજૂ કરે છે. ધર્મ, પરંપરા અને સમાજના નામે ચાલતા દંભો પર તેમણે આકરા ચાબખા માર્યા છે. તેમના શબ્દો તીખા છે, હૃદયમાં ખંજર ઘોંપાયું હોય તેમ વાગે છે. કવિ ઇલિયાસ શેખે તેમની કવિતાનો ખૂબ સરળ રીતે અનુવાદ કર્યો છે.

આપણે ત્યાં અનેકવાર ગેંગરેપના કિસ્સાઓ બને છે. નાની બાળકી પર તૂટી પડેલા નરાધમો, એકલી જોઈને યુવતી પર પાશવી બળાત્કાર, જેવા અનેક સમાચારો વાંચીને આપણે ધ્રૂજી ઊઠતા હોઈએ છીએ. આવી ઘટનામાં ન્યાય અન્યાયને બાજુમાં મૂકીને ઘણા લોકો ધર્મના ઉંબાડિયાં કરવા માંડે છે. રાજકીય રંગ પણ અપાય છે. કવિએ કવિતામાં એક બળાત્કારના કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. એક અસહાય છોકરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. તેમાં કોણ કોણ હતું તેમણે જણાવ્યું છે. સામુહિક બળાત્કારના આ કિક્સામાં ટોટલ સોળ વ્યક્તિઓએ જવાબદાર હતા. એ સોળ વ્યક્તિઓમાં આઠ હતા હિન્દુ, છ મુસલમાન અને બે ખ્રિસ્તી. આટલું કહીને પછી તરત કહે છે યુરેકા યુરેકા… અર્થાત્ તેમને સાચું કારણ મળી ગયું છે - તેનું કારણ છે સાંપ્રદાયિક એકતા!

કેવી સાંપ્રદાયિક એકતા! આપણી કહેવાતી સાંપ્રદાયિક દંભી એકતા પર આકરો ચાબુક ફટકાર્યા પછી કશું કહેવાનું રહેતું નથી. બળાત્કારીઓનો ધર્મ હોતો નથી. પણ આપણે જ્યારે ન્યાય અન્યાયની વાતો કરવા બેસીએ છીએ ત્યારે ધર્મની ધજા લઈને છાપરે ચડીએ છીએ. ધર્મ, જાતિ, જ્ઞાતિ, જેવા વાડામાં રહીને આપણે જોવા લાગીએ છીએ. કુરીપૂજાએ અહીં બળાત્કારીઓને તો આડેહાથે લીધા જ છે, પણ ધાર્મિક એકતાની ફિક્કી વાતો કરતા લોકો પર કટાક્ષ કર્યો છે.

માટીમાં ભળી ગયેલો માણસ નથી હિન્દુ હોતો નથી મુસલમાન. અમૃત ઘાયલનો સરસ શેર છે-
ન હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયુંં તો ઇન્સાન નીકળ્યા.

આપણે એ વાત ભૂલી ગયા છીએ કે ધર્મ આપણી માટે છે, આપણે ધર્મ માટે નથી. કુરીપુઝા શ્રીકુમારની ‘કુહાડી’ શીર્ષકથી લખાયેલી અન્ય કવિતા પણ એટલી જ ધારદાર છે.

લોગઆઉટઃ

હિંદુની કુહાડીએ
મુસલમાનની કુહાડીને કહ્યું:
'આજે જે લોહી આપણે ચાખ્યું,
એનો સ્વાદ એક સરખો હતો.!'

- કુરીપુજ્જા શ્રીકુમાર, અનુ. ઇલિયાસ શેખ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો