લોગઇન:
चिनार के पेड़
अब
खारे उगेंगे
अब सींचे जा चुके हैं
उन्हें हमारे
आँसुओं से।
वो अब, तब तक रहेंगे
खारे
जब तक उनकी जड़ें
बदली नहीं जाती ।
- અજ્ઞાત હિન્દી કવિ
કાશ્મીરનો એક ભાગ મિની સ્વીત્ઝરલેન્ડ તરીકે ઓળખાય છે, આ ધરા પર કુદરત સોળે કળાએ ખીલી છે. કાશ્મીરમાં હોવાનો અર્થ છે સ્વર્ગમાં હોવું, આ પ્રદેશની સુંદરતા માટે સુફી કવિ હઝરત અમીર ખુશરોએ ગાયું હતું ‘અગર ફિરદૌશ બર-રુ-એ-ઝમીં અસ્ત, હમીં અસ્ત, ઓ હમીં અસ્ત, ઓ હમીં અસ્ત’. અર્થાત્ ધરતી ઉપર જો ક્યાંય સ્વર્ગ છે – તો તેં અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે.’ આપણા ગરવા ગુજરાતી કવિ કલાપીએ પણ કાશ્મીરદર્શન કરીને આ જ પંક્તિઓ ઉચ્ચારેલી.
ચિનારના વૃક્ષોથી છવાયેલા બરફીલા પર્વતોને જોઈને હૃદયમાં પ્રેમ પાંગરે છે, ખળખળ વહેતા નાનાં ઝરણાંઓ જોઈ અંદરનો આનંદ ઉછાળા મારે છે. લીલીછમ નાની ટેકરીઓ આંખોને ઠારે છે. સુંવાળા ઘાસ વચ્ચેથી નીકળતી નાની પગદંડીઓ પગલાને આવકારે છે. તેના મનમોહક દૃૃશ્યોને જોઈને આંખો ઠરે છે. એટલા માટે જ લોકો આ ભૂમિ પાછળ આટલા ઘેલા છે.
આ આંખો ઠારતાં થાનકો હવે આંખો દઝાડી રહ્યાં છે. જ્યાં તાંજાં પુષ્પોની મહેક નાસિકામાં પ્રવેશતાની સાથે પ્રસન્નતા થતી હતી ત્યાં હવે દારૂખાનાની ગંધ આવે છે, પંખીના ટહુકા અને ઝરણાના ખળખળની જગ્યાએ હવે બંદુકની ગોળીઓ અને ઘરમશીનોની ધણધણાટી સંભળાયે છે. જે દૃશ્ય જોઈને આંખો આનંદથી છલકાવી જોઈએ, તે દૃશ્યોથી હવે આંખો ભીંજાઈ રહી છે. જેની રળિયામણી કેડીઓ પર હરખભેર સફર કરવા તલસતા પગ હવે ખીલો થઈને એક જગાએ ખોડાઈ ગયા છે. ચિનારથી શોભતા રળિયામણા લીલા પર્વતો હવે લોહીથી લાલ થઈ ગયા છે.
ઉપરોક્ત હિન્દી કવિતામાં કવિએ ચિનારના વૃક્ષોના માધ્યમથી પોતાની પીડા વ્યક્ત કરી છે. ખારું પાણી વૃક્ષને પીવડાવવામાં આવે ત્યારે તે વિકસી શકતા નથી, અહીં કવિ કહે છે હવે પછી ચિનારના બધાં વૃક્ષો ખારા ઊગશે, કારણ કે તેના મૂળમાં અમારાં આંસુઓ સીંચાયાં છે. એ વૃક્ષોમાં ત્યાં સુધી ખારાશ રહેશે જ્યાં સુધી તેનાં મૂળ બદલી નાખવામાં ન આવે. અને મૂળ બદલાવવા માટે તો વૃક્ષ ઉખાડવુંં પડે! હવે આવાં પોતાનાં મૂળિયાં મજબૂત કરીને બેઠેલા આતંકી ઓછાયાને હટાવવા પડશે.
અમેરિકન લેખક ડેવિડ લેવિથોને લખેલું, એક જ ખાસ વાત એવી છે જે આપણને પ્રાણીઓથી અલગ કરે છે, અને તે એ છે કે આપણે જે લોકોને ક્યારેય મળ્યા પણ નથી હોતા, તેવા લોકોની કરૂણતા સાંભળીને આપણે શોકમાં ડૂબી જઈએ છીએ. કાશ્મીરમાં બનેલી બીનામાં સામેલ લોકોને ઘણા પ્રત્યક્ષ ક્યારેય મળ્યા નહીં હોય, ઓળખતા પણ નહીં હોય છતાં તેમના વિશે સાંભળીને તેમની આંખો ભીની થઈ ગઈ હશે, હૃદય પીડાથી ઊભરાઈ ગયું હશે. આજ તો તેમનામાં રહેલી માનવતાની સાબિતી છે.
પૃથ્વી પરનું સ્વર્ગ હવે નર્કમાં ફેરવાઈ ગયું છે. કોઈ નવોઢા પોતાના પિયુસંગે એ આહલાદક ભૂમિમાં પોતાના નવજીવનને જિંદગીભર યાદ રાખી શકાય તેવાં સમણા સજી રહી હતી, પણ એ શમણા આવી પીડામાં પરિવર્તિત થશે એનો તો સપનેય ક્યાંથી ખ્યાલ હોય? કોઈ સહપરિવાર કુદરતના ખોળે થોડા દિવસો ગમતો આનંદ એકઠો કરવા ગયા હોય ત્યારે અચાનક ધરબાયેલી ગોળીઓ પરિવારને ખેદાનમેદાન કરી નાખશે એવી તો કલ્પના જ ન હોયને. આ એક પ્રવાસે કેટકેટલા લોકોની જિંદગી લોહિયાળ બનાવી નાખી. આતંકવાદની યાદના આજે આખો દેશ ભોગવી રહ્યું છે.
હિન્દી કવિ રાજેન્દ્ર રંજને કહ્યું આવા હિણપતભર્યા આતંકવાદ પર કવિતા શું લખવાની?
લોગઆઉટઃ
तू मनुष्यता के तन-मन पर विषमय डंक
तू मनुष्यता के ज्योतिर्मय पथ का पंक
तू मनुष्यता के शशिमुख का कलुष कलंक
तू मनुष्यता के विरुद्ध अपकर्म अशंक
तू अनक्ष, तू अनय अनंकुश, तू आतंक!
तुझ पर कैसी कविता! तुझ पर थू आतंक!
- राकेश रंजन
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો