ન રક્તનું હલન-ચલન...

ન રક્તનું હલન-ચલન ન શ્વાસની અવર-જવર;
ન એમનાં સગડ કશાં ન એમનાં ખબર-બબર.

હૃદય-બદય, ચરણ-બરણ, નયન-બયન, નજર-ફજર,
બધું જ અસ્તવ્યસ્ત છે, બધું જ છે લઘર-વઘર.

ન પુષ્પ કે સુગધંની ન ડાળ કે વસંતની,
હવે તો કોઈની થતી ન સ્હેજ પણ અસર-બસર.

ગલી-ગલીમાં મૌન છે ને ઘર બધાં ય સ્તબ્ધ છે,
ફરે છે કોણ શી ખબર સ્મરણના આ નગર-નગર?

ન સાન-ભાન છે કશી ન જોમ-બોમ કંઈ રહ્યું,
આ લક્ષ્ય શું છે, માર્ગ શું છે, શું છે આ સફર-બફર?

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો