પડતી નથી કદીયે જાણે સવાર ઘરમાં

પડતી નથી કદીયે જાણે સવાર ઘરમાં,
અંધાર ફિટ કરે છે કોઈ સુથાર ઘરમાં.

છે ક્યાં નવાં નવાં આ ખાલીપણાનાં ટોળા?
કાયમ ભરાય મારે આખી બજાર ઘરમાં.

સહેજે ઇજા વિના પણ લોહીલુહાણ થાવું,
એવું ય કંઈક લાગે છે ધારદાર ઘરમાં.

જડબેસલાક વાસ્યાં મનનાં બધાંય દ્વારો,
જોઉં છું હુંય કેવો વિચાર આવે ઘરમાં?

તારાં સ્મરણને નામે મારા તમામ શ્વાસો,
આથી વિશેષ કેવો કરીએ કરાર ઘરમાં?

સામે કશુંક વળતર મળવું તો જોઈએને?
દઉં ક્યાં સુધી હું મારાં આંસુ ઉધાર ઘરમાં?

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો