કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

ના હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.

સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં,
જો નીકળ્યાં તો સાથ લઈ જાન નીકળ્યાં.

તારો ખુદા કે નીવડ્યાં બિન્દુય મોતીઓ,
મારાં કરમ કે અશ્રુઓ તોફાન નીકળ્યાં!

એ રંગ જેને જીવ સમા જાળવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર ક્લેશનાં મેદાન નીકળ્યાં.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

– અમૃત ‘ઘાયલ’

વર્ષો પહેલાંની વાત છે. ત્યારે હિન્દી-ઉર્દૂના મુખ્ય મુશાયરા પહેલા એક ફિલબદી મુશાયરો થતો. તેમાં એક શેરનો મિસરો દરેક શાયરને આપવામાં આવતો અને એ મિસરાને આધારે શાયરે બીજી પંક્તિ લખવાની રહેતી. સૌથી સારો શેર લખનાર શાયરનું એ દિવસે ખાસ સન્માન કરવામાં આવતું. એક વખત લખનઉમાં આવો મુશાયરો યોજાયો. દેશભરના જાણ્યા-અજાણ્યા શાયરો ત્યાં પધાર્યા. બધાને આ ફિલબંદી મુશાયરામાં કઈ પંક્તિ આપવામાં આવશે તેની ખાસ ઇંતેજારી હતી. બધાને એક મિસરો આપવામાં આવ્યો, ‘લોગ વો કાફિર હૈ જો કાયલ નહીં ઇસ્લામ કે’ આ મિસરાનો સ્પષ્ટ અર્થ એવો હતો કે જે લોકો ઇસ્લામમાં ન માનતા હોય કે કાફિર અથવા તો નાસ્તિક છે. મિસરો સાંભળીને મુશાયરામાં ભાગ લેનાર શાયરોના કપાળે ચિંતાની રેખાઓ ઊપસી આવી. આ પંક્તિને પૂરી કરવામાં વાદવિવાદ થવાની સંભાવના હતી. તેમાં વળી પંડિત બ્રજ નારાયણ ‘ચકબસ્ત’ નામે હિન્દુ શાયર પણ હતા. એટલે સાંજે જ્યારે મુશાયરો શરૂ થયો ત્યારે દરેકની નજર તેમના પર હતી કે ચકબસ્ત શું કહેશે? મિસરામાં આપેલી પંક્તિની વિરોધી પંક્તિ લખશે કે તેને સમર્થન આપશે?

પણ જ્યારે પંડિત બ્રજ નારાયણ ચકબસ્તે પોતાનો શેર રજૂ કર્યો ત્યારે મંચ પર બેઠેલા બધા શાયરોની સાથે સાથે શ્રોતાગણમાં બેઠેલા તમામ શ્રોતાઓ પણ વાહવાહ પોકારી ઊઠ્યા ને તાળીઓના ગડગડાટથી હોલ ભરાઈ ગયો. એ દિવસે તેમના શેરને શ્રેષ્ઠ ગણવામાં આવ્યો, એટલું જ નહીં, પણ હિન્દુ-મુસ્લીમ બધાએ મળીને તેમનું ખાસ સન્માન પણ કર્યું. તેમણે જે શેર કહ્યો, તેમાં તેમને આપવામાં આવેલી પંક્તિને તેમણે એક નવો વળાંક આપી દીધો. એ શેર કંઈક આવો હતો-

‘લામ’ કે માનિંદ હૈ ગેસૂ મેરે ઘનશ્યામ કે,
લોગ વો કાફિર હૈ જો કાયલ નહીં ઈસ ‘લામ’ કે.

ઉર્દૂમાં જ્યારે ‘લામ’ લખવામાં આવે ત્યારે તેનો આકાર વાંકડિયા વાળની લટ જેવો બને છે. એટલે તેને ધ્યાનમાં રાખીને શાયરે લખ્યું કે મારા પ્રભુ ઘનશ્યામ અર્થાત કૃષ્ણના વાળનો આકાર ઉર્દૂના અક્ષર ‘લામ’ જેવો છે. જે લોકોને આ વાતમાં વિશ્વાસ ન હોય તે નાસ્તિક છે. એક નાજુક અને વિવાદ ઊભો કરી શકે તેવી વાતને પણ એક કુશળ શાયરે કેવી સરળતાથી વાળી લીધી.

ઘાયલની ગઝલના પ્રથમ શેર પરથી આખો પ્રસંગ યાદ આવી ગયો. આપણે હિન્દુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ જેવા ધર્મના વાડામાં કેદ રહીને જગતને જોવા મથીએ છીએ. આપણી આંખ પર ધર્મના ચશ્માં ચડાવીને જગતને જોવાનું બંધ કરીશું તો પણ ઘણું બધું દીવા જેમ સ્પષ્ટ થઈ જશે. ઘાયલ જેવા શાયર ગઝલની બે પંક્તિમાં ઘણી મોટી વાત કરી દે છે. કોઈ પણ કાવ્યનું રસદર્શન કવિતાના ખરા અર્થને સીમિત કરે છે. ઓશોએ એક વખત કહેલું, સત્ય જ્યારે વ્યક્ત થાય છે ત્યારે તે નેવું ટકા જેટલું નાશ પામ્યું હોય છે. કવિતાનો જે આનંદ હૃદયમાં ઊભરાય છે તે તમે વ્યક્ત કરવા જાવ છો ત્યારે તે ભાષામાં બંધાઈને બહાર આવે છે, એટલે તે પૂરો વ્યક્ત નથી થઈ શકતો. ભાષા વિશેષતા છે અને મર્યાદા પણ. અનુભવવું અને કહેવું બંને અલગ વાત છે. દરેક કવિતાનો આનંદ શ્રોતાએ શ્રોતાએ જુદો હોય છે. ઘાયલના શબ્દોમાં કહીએ તો એનો ખરો આનંદ તો ‘રસના ઘોયા’ જ જાણે. આગળના શેર શ્રોતાઓની અનુભૂતિને અર્પણ કરી, ઘાયલની જ પાળિયા બેઠા કરી શકે તેવી ચાર પંક્તિઓ સાથે લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું.

— અમૃત ઘાયલ


તમારું એક સ્મિત કોઈકની જિંદગી બચાવી શકે છે!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

દસ કે વધુ વર્ષ પહેલાં
એક પુરુષે મારી સામે સ્મિત કર્યું,
ત્યારે મને કશી જ ગમ ન પડીઃ
માત્ર તેના સ્મિતનું સૌજન્ય અનુભવાયું.

એ પુરુષનું શું થયું એની મને જાણ નથીઃ
પણ હજી ટકી રહ્યું છે એ સ્મિતઃ
એને ભૂલી નથી શકતી એટલું જ નહીં,
જેમ એનો વધુ વિચાર કરું છું એમ એ વધુ નિકટ લાગે છે.

એના માટે મેં લખ્યાં છે ઘણાં પ્રેમગીતો,
ઘણી યે પરિસ્થિતિમાં એને વણી લીધો છે;
કેટલાકે વેદનાને જોવા પ્રયત્ન કર્યો છે,
કેટલાકે હર્ષને.

વેદના પણ ઠીક છે અને હર્ષ પણઃ
એ બધાથી ૫૨ એક જ વસ્તુ રહે છે – પેલું સ્મિત,
એ સ્મિત કરનાર માણસ મને હજી મળ્યો નથી
પણ એના સ્મિતના સૌજન્ય માટે હું કૃતજ્ઞ છું.

– હ્યૂ શીલ (ચીની ભાષા) – અનુ. હરીન્દ્ર દવે

થોડાં વર્ષો પહેલાં એક વાર્તા વાંચેલી. તેની કથા કંઈક આવી હતી.

એક માણસ જિંદગીથી ખૂબ કંટાળી ગયો હતો. પ્રેમ, સંબંધો, પૈસો, નોકરી બધામાં ખૂવાર થઈને હતાશાના દરિયામાં ગરકાવ થઈ ગયેલો. છતાં હિંમત ન હાર્યો. સતત જિંદગી સાથે લડ્યો. ટક્કર આપી. પણ એક દિવસે તેના આત્મવિશ્વાસે તેનો હાથ છોડ્યો. તે પડી ભાંગ્યો. વિચાર્યું કે હવે ક્યાંક જઈને પડતું મેલું. જીવનનો કોઈ અર્થ નથી. પણ આ માણસ સાવ એમ હિંમત હારી જાય તેમ નહોતો. તેણે છેલ્લી આશારૂપે પોતાની જાત સાથે એક શરત મૂકી. જો માર્ગમાં એક પણ માણસ પ્રેમથી સ્મિત આપશે તો હું મરવાનો વિચાર માંડી વાળીશ. એ માણસ ઘરેથી નીકળ્યો પછી તેનું શું થયું તેના વિશે લેખકે કશું નથી કહ્યું, તેની સામે કોઈએ સ્મિત કર્યું કે નહીં એ પણ નથી જણાવ્યું. લેખક માત્ર એટલો પ્રશ્ન મૂકીને અટકી ગયા કે એ મરવા નીકળેલ માણસ તમને તો ક્યાંક નહોતો મળ્યોને? શું તમે રસ્તામાં મળેલા એ અજાણ્યા માણસને સ્મિત આપ્યું હતું?

આ માત્ર વાર્તા નથી. માનવસ્વભાવની એક નરી હકીકત છે. આપણે હંમેશાં સોગિયું મોઢું લઈને ફરનારા માણસો છીએ. રૂપિયાની કે કોઈ વસ્તુની મદદની વાત તો દૂર છે, કોઈને પ્રેમથી સ્મિત આપવામાં પણ સત્તર વખત વિચારીએ છીએ. આપવાની વાત આવે ત્યારે તરત મન પાછું પડે. ગુજરાતીમાં તો એક જોક બહુ જાણીતો છે. એક માણસ બીજા માણસને ગાળ આપતો હતો, ગાળ ખાનારના મિત્રએ તેને કહ્યું અલા પેલો તને ક્યારનો ગાળ આપે છે ને તું કંઈ બોલતો નથી. તરત પેલો મિત્ર બોલ્યો, આપે જ છેને, લઈ તો નથી જતો ને! જોકે ઉત્તરપ્રદેશનું લખનૌ શહેર સ્મિતના પ્રતીક જેવું છે. ત્યાં તો રીતસર પાટિયાં માર્યાં હોય, “મુશ્કુરાઈએ, આપ લખનૌ મેં હૈ.”

શક્ય છે તમારું સ્મિત કોઈની નિરાશામાં આશાનો સંચાર કરે. એના તૂટેલા જીવનને ટાંકો ભરી આપે. એની ફાટી ગયેલી જિંદગીને સીવવામાં મદદ મળી જાય.

એક નાનું સ્મિત પણ જીવનમાં કેટલો મોટો ભાગ ભજવી શકે તેની વાત ચીની ભાષાની કવયિત્રી હ્યુ શીલે ખૂબ સરસ રીતે કરી છે. દસેક વર્ષ પહેલાં એક અજાણ્યા માણસે તેમની સામે સ્મિત કરેલું. એ પછી તો એ માણસ જીવનમાં ક્યારેય મળ્યો જ નથી. માત્ર તેના સ્મિતની સુગંધ હૃદયમાં સચવાઈ રહી છે. આ સુગંધે કવયિત્રીને જીવનભર મઘમઘતા રાખ્યાં. ઘણી વાર કોઈ અજાણ્યાએ કરેલા સ્મિતની એક છબી મનમાં એવી કંડારાઈ જાય કે યોસેફ મેકવાનની પંક્તિ જેવું થાય,

મનમાં કેવી ક્ષણ ઊગી ગઈ,
ચકલી આખું આભ ચૂગી ગઈ!

કવયિત્રી હ્યુ શીલના મનમાં પણ કદાચ આવું જ થયું હશે. તેમનું ચકલી જેવું નાનું હૃદય સંભાવનાઓના આખા આભને ચણી ગયું હશે. એક અજાણ્યા માણસે કરેલું સ્મિત તેમના હૃદયમાં એવું ટક્યું કે ક્યારેય ભૂલાયું નહીં. એ માણસ કોણ હતો એની તેમને જરાકે ખબર નહોતી. છતાં જીવનભર એ હૃદયની નજીક લાગ્યો. કવયિત્રીએ તેનાં પ્રેમગીતો લખ્યાં. લોકોએ તો તેમાં કવયિત્રીની વેદના જોઈ, કોઈકે આનંદ પણ જોયો. પણ એ બધામાં શિરમોર તો પેલું સ્મિત જ હતું.

શરૂમાં કરેલી વાર્તા યાદ કરાવીને ફરી કહું શક્ય છે પેલો મરવા નીકળેલો માણસ તમને પણ રસ્તામાં મળી જાય, માટે માટે મુશ્કુરાતે રહીએ.

લોગઆઉટઃ

રૂદનને ભૂલવાની રીત દેતા જાઓ તો સારું,
તમારું આ મધૂરું સ્મિત દેતા જાઓ તો સારું.

— બરકત વિરાણી બેફામ

પંખી પાછું પીંજરામાં ભરાઈ ગયું!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

પિંજરાનું બારણું ખોલીને
પંખીને કહેવામાં આવ્યું,
‘હવે તું મુક્ત છે.’
પંખીએ બહાર નીકળીને
માણસ સામે જોયું-
અને
પાછું પિંજરામાં ભરાઈ ગયું.

— હર્ષદ ત્રિવેદી

દરેક માણસ પાસે પોતપોતાનું પાંજરું છે, જેમાં તે પોતાના અસ્તિત્વના પંખીને પૂરી રાખે છે. એ પોતે જ પોતાને પીંજરાની ટ્રેનિંગ આપે છે અને પૂરી ટ્રેનિંગ મળી જાય પછી પીંજરું ખોલે છે. પછી પીંજરું ખૂલ્લું હોવા છતાં પણ અસ્તિત્વનું પંખી ઊડી શકતું નથી.

સરકસના હાથીની કહાણી જાણવા જેવી હોય છે. આપણને પ્રશ્ન થાય કે આટલો મોટો હાથી એક નાનકડા લાકડાના ખીલા સાથે બંધાઈને કઈ રીતે રહેતો હશે? એ ધારે તો પળમાં એને તોડીને જઈ શકે. પણ તે નથી જતો. હાથી તેના બંધનથી ટેવાઈ ગયો હોય છે. કારણ કે તેને આ બંધનની ટ્રેનિંગ બાળપણથી અપાય છે. તે જ્યારે સાવ નાનું મદનિયું હોય ત્યારે તેને પકડીને એક મજબૂત ખીલા સાથે બાંધી દેવામાં આવે છે. તે છૂટવા માટે ખૂબ હવાતિયાં મારે છે, જીવ ઉપર આવી જાય છે, પણ તે નથી છૂટી શકતું. રોજરોજના હાવા હવાતિયાંથી થાકી-હારીને આખરે તે ખીલો સ્વીકારી લે છે. તે મદનિયું અલમસ્ત મહાકાય હાથી થયા પછી પણ પેલા ખીલા વિશેની તેની ગ્રંથિ એટલી મજબૂત થઈ ગઈ હોય છે કે તે ખીલો તોડવાનો પ્રયત્ન જ નથી કરતો. લાકડા કે લોઢાના ખીલા કરતા મનમાં ખોડાતા ખીલા ઘણા મજબૂત હોય છે.

આપણે પણ કોઈ અલૌકિક સરકસના હાથીઓ છીએ. પોતપોતાના પૂર્વગ્રહના ખીલે બંધાઈને બેઠાં છીએ. આપણે એવું માની બેઠા છીએ કે આ ખીલો મારાથી ક્યારેય નહીં છૂટે, તેથી આપણે તેનાથી છૂટવા પ્રયત્ન પણ નથી કરતા. આપણે ખીલાને જ આપણું સરનામું માની લીધું છે. પૂર્વગ્રહના પોલા ભોંયરામાં કેદ થવાનું આપણને એટલું મીઠું લાગે છે કે આશાના આકાશમાં ઊડતા ભય લાગે છે.

હર્ષદ ત્રિવેદીએ એક નાનકડી કવિતામાં બહુ મોટી વાત કરી છે. આ વાત માત્ર પાંજરામાં પૂરાયેલા પંખીની નહીં, મારી, તમારી ને બધાની છે. જરા ઊંડાણથી વિચારો તો ખરા, તમે પણ કોઈ ને કોઈ પૂર્વાગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહના પાંજરામાં કેદ છો કે નહીં? બીજા સાચા હોવા છતાં પણ પોતે જ સાચા હોવાનો ભ્રમ થાય છે કે નહીં? તમે જ તમને મુક્ત કરવા મથો છો, ઉડાડવા મથો છો, પણ પછી તમે તમારાથી જ ડરીને પાછા તમારા ધારેલા કે અણધારેલા પીંજરામાં કેદ થઈ જાવ છો. તમે જ તમારું પીંજરું છો, તમે જ તમારી મુક્તિ છો, તમે જ તમારો ભય છો અને તમે જ તમારું આકાશ છો. તમે ચાહો તો ચોક્કસ ઊડી શકો, પણ અમુક માન્યતાઓના દોરાથી તમે તમારી પાંખો સીવી લીધી છે. એ દોરાના ટાંકા તોડવામાં તમને ખૂબ પીડા થાય છે, તમે મુક્ત નથી થઈ શકતા. પીડા સહન નથી થતી. પણ એક વાર પ્રયત્ન કરો પછી આકાશ ક્યાંય આઘું નથી.

આ વાત આંતરિક મનોસ્થિતિની છે એટલી જ બાહ્યજગતને પણ લાગુ પડે છે. એક માણસ બીજા પ્રત્યે કેટલો દુર્જન હોઈ શકે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. પગ કાપીને રસ્તા આપવા, પાંખ કાપીને આકાશ આપવું કે આંખો ફોડીને સુંદર દૃશ્યો આપવા જેવી ઘટનાઓ ઘણી બધી બનતી હોય છે. આવી સ્થિતિમાં પગ અને રસ્તાઓ, પાંખો અને આકાશ કે આંખો અને સુંદર દૃશ્યો તો માત્ર પ્રતીકો હોય છે. મૂળ વાત તો વ્યથાની હોય છે. હર્ષદ ત્રિવેદીની આ નાનકડી કવિતામાં મોટી વ્યથા છે. તેમાં માણસ અને પંખીની વાત છે, જીવ અને જગતની વાત છે, બંધન અને મુક્તિની વાત છે, ભય અને ભયાનકતાની વાત છે અને બીજું ઘણું જડી જાય તેમ છે.

હર્ષદ ત્રિવેદીની આ અદ્ભુત કવિતા વિશે વિચારતા સહજપણે અશોક વાજપેયીની એક અદ્ભુત કવિતા યાદ આવી જાય.

લોગઆઉટઃ

તેઓ એક પીંજરું લાવશે
અદૃશ્ય
પણ તેને છોડીને પછીથી
ઊડી નહીં શકાય.

તેઓ વચન આપશે આકાશનું
તેઓ ઉલ્લેખ કરશે તેની
અસીમ ભૂરાશનો
પણ તેઓ લાવશે પીંજરું.

પછી તેઓ હળવેથી સમજાવશે
કે આકાશમાં જતાં પહેલાં
પીંજરાનો અભ્યાસ જરૂરી છે.

પછી તેઓ કહેશે કે આકાશમાં ખૂબ જોખમ છે
કે ક્યાંય નથી આકાશ
કે આકાશ પણ અંતે તો પીંજરું છે.

પછી તેઓ પીંજરામાં
તમને છોડીને
આકાશમાં
અદૃશ્ય થઈ જશે.

— અશોક વાજપેયી

સરળ હપતા કરી દો તો, દરદ વેઠાય એવું છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

પ્રભુ, એકાદ નાનું કામ મારું થાય એવું છે?
સરળ હપતા કરી દો તો, દરદ વેઠાય એવું છે.

તમે છો એટલે આશા હજી પડતી નથી મૂકી,
મને વિશ્વાસ છે પૂરો, હૃદય સંધાય એવું છે.

નથી નાખી દીધાં જેવું કલેવર હાલ તો મારું,
હજી તો થીગડાં પર થીગડું દેવાય એવું છે.

નથી મોહક રહ્યું પહેલા સમું એ વાત સાચી છે,
છતાં આ ખોળિયું થોડાં વરસ પ્હેરાય એવું છે.

કરી છે કરકસર મેં શ્વાસની, વાંધો નહીં આવે,
હજી બે-ત્રણ વરસ તો પ્રેમથી ખેંચાય એવું છે.

મુસીબત છે, કરે છે જીદ સાથે આવવાની સૌ,
અને આ સ્વપ્ન કેવળ એકલા જોવાય એવું છે.

નિયમ તો છે લખીને આપવાનો, હુંય જાણું છું.
ઘણું એવુંય છે જે કાનમાં ક્હેવાય એવું છે!

— કિશોર જિકાદરા

જગદીશ વ્યાસનું એક સુંદર ગીત છે, જેમાં ભગવાન કૃષ્ણને ઉદ્દેશીને તેમણે લખ્યું છે,

તારે જબરી મજા
હું છું અડધો નાગો તારે છપ્પન ગજની ધજા!

બત્રીસ બત્રીસ પકવાનો પ્રભુની આરસની મૂર્તિને ધરાતાં હોય અને એ જ ભવ્યાતિભવ્ય મંદિરની સામે બાળકો ભૂખથી ટળવળતાં હોય એવાં દૃશ્યો આપણે ત્યાં નવાં નથી! પ્રભુને છપ્પન ગજની ધજા ચડે છે, જ્યારે બીજી તરફ સેંકડોને તન ઢાંકવા પૂરતું કપડું પણ નથી. આ આપણી કરૂણતા નહીં તો બીજું શું? કૃષ્ણને ભીડ પડી ત્યારે પોતે મથુરા મૂકીને ભાગ્યા અને દ્વારકા આવીને વસ્યા. આજે સામાન્ય માનવીથી એ પણ થાય તેમ નથી. પરિવાર, સમાજ, રિવાજ, મકાનના હપ્તા, નોકરી, સંબંધો, લેણું-દેણું આ બધામાં એટલો માણસ બધો અટવાયેલો છે કે એના કળણમાંથી નીકળી શકાય તેમ નથી. આજના સામાન્ય માનવીને ક્યાં વધારે કશું જોઈએ છે ભગવાન પાસેથી! એ તો બસ પરિવાર સુખેથી રહી શકે, મકાનના હપ્તા સમયસર ભરાય, લાઇટબિલ, ગેસબિલ ને શાકપાંદડાંનું નીકળે તો રાજી. એટલે જ કિશોર જીકાદરા જેવા સંવેદનશીલ કવિએ આ વાત લખવી પડી. આ કવિ સમજે છે, એટલે તે પ્રભુને વ્યથા નથી કહેતા, વિનંતી કરે છે, કે પ્રભુ તમારાથી મારું એક નાનું કામ થઈ શકશે? જરા પપ્તા સરળ કરી આપો તો જિંદગી વેઠાય એવી થાય. ઘણા લોકો માટે હપ્તા એ અભિમાન્યુના આઠમા કોઠા જેવા હોય છે, ભેદાતા જ નથી.

આપણને ગમતી વ્યક્તિ આપણી ન હોય તોયે ઊંડે ઊંડે એવી આશા તો રહે જ કે આજ નહીં તો કાલે તેની સાથે હૃદય જોડાશે. આવા આશાના અમીરસ ઘણીવાર જીવનને સહ્ય બનાવતા હોય છે. અને ખરેખર તો આવી આશાની ટીકડીઓ પી પીને જિંદગી વીતી જતી હોય છે. બાકી તો આયખાનો ઓશિયાળા આંગણે જિંદગીભર બેસીને દેહનું ક્લેવર જીર્ણશીર્ણ થઈ જાય. પણ આવી આશાની એકાદ દીવાદાંડી હોય તો એમ થાય કે હજી આ મેલાંઘેલાં દેહને થીંગડાં મારીને ટકાવી શકાય એમ છે. આવું કંઈક હોય તો જ શ્વાસોની કરકસર પણ કરી શકાય, થોડું ખેંચી શકાય. પણ ખેંચીને ક્યાં સુધી લાંબું થાય અને થાય તોય એની મોહકતા થોડી રહે? કશું કાયમી નથી. જગતની સુંદરમાં સુંદર સ્ત્રી પણ એક દિવસ ઘરડી થવાની છે. જીવનના છેડે પહોંચીને પછી આ વાત વધારે સારી રીતે સમજી શકાય છે. ભલે મોહકતા ન રહે, પણ ખોળિયું પહેરાય એવું હોય એ આશા પણ નકામી નથી. આવી આશાના અજવાળે બેસીને જ હૃદય અમીના ઘૂંટડા ભરી શકતું હોય છે.

સ્વપ્ન તો એકલાં જ જોવાનું હોય. દરેકનું સપનું આગવું હોય છે. બે જણા સાથે ઊંઘી જરૂર શકે, પણ સાથે એક જ સપનું જોઈ ન શકે. બંનેનાં સપનાં જુદાં જ હોવાનાં. અને સપનું તો એકલા જ જોવાનું હોય ને, સપનાના ભાગલા થોડા પડે? આપણી આંખ, આપણી ઊંઘ, અને આપણું સપનું, બધું આપણું જ હોવાનું. આ સ્થિતિમાં કોઈ એ સપનું સાથે જોવાની જીદ કરે ત્યારે મુસીબત ઊભી થાય. તમે બિઝનેસનું સપનું સાથે જોઈ શકો, એ સપનું પણ સભાનાવસ્થામાં જોવાયેલું હોય, તંદ્રાવસ્થામાં તો એકલાએ જ પોતાનું સપનું જોવાનું હોય. ઘણી વાર આવું સપનું ભાષામાં વ્યક્ત પણ નથી થઈ શકતું. તમને રાતે આવેલું સપનું સવારે તમે કોઈને કહો તો એ અક્ષરશઃ કહેવામાં પણ તકલીફ પડે છે. જે મજા જોવામાં હોય છે, તે કહેવામાં નથી હોતી. જે મજા કાનમાં કહેવાની હોય છે તે લખીને આપાવમાં પણ નથી હોતી. નિયમ લખીને આપાવનો હોય અને વાત ખૂબ અંગત હોય, કાનમાં કહેવા જેવી, ત્યારે વિમાસણ ઊભી થાય.

લોગઆઉટઃ

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું.

કોઈને કહેવું નથી એવું નથી,
સ્હેજ જો નજદીક આવે તો કહું.

— રાજેન્દ્ર શુક્લ

મારા ખભેથી મારું મડદું ઉતારવું છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

માથેથી સ્વર્ગ હળવું હળવું ઉતારવું છે.
તારી ઈંઢોણી પરથી મટકું ઉતારવું છે.

જો થઈ શકે તો થોડો ટેકો કરો હે લોકો
મારા ખભેથી મારું મડદું ઉતારવું છે.

સ્વાગત છે ઓ હકીકત સ્વાગત છે તારું કિન્તુ,
પહેરીને આવી છે એ કપડું ઉતારવું છે.

તું ઝેર છે તો મારી આંખોમાં કેમ છે તું!
મારે તને હળાહળ ગળવું-ઉતારવું છે.

આ મંચ 'ને પ્રસિદ્ધિ એવું વ્યસન છે મિત્રો,
ધીમે રહી ચડે તો અઘરું ઉતારવું છે.

— જુગલ દરજી

આપણે ત્યાં હેલ ઉતારવાની પ્રથા છે. તેમાં, વિકટ સંજોગોમાં મુકાયેલી એક સ્ત્રી, જે પોતાના માથે બેડું ઉપાડીને નીકળે છે. તેનું બેડું જે ઉતારે તે તેને વરે. ગુજરાતી ફિલ્મ ‘કડલાની જોડ’માં આ પ્રસંગ ઘણી સારી રીતે દર્શાવવામાં આવ્યો છે. આમ તો બેડું કોઈ પણ ઉતરાવી શકે, એમાં મોટી વાત નથી. પણ જે પુરુષ એ નારીનું બેડું ઉતારે તેણે બીજો ઘણો સંઘર્ષ કરવાનો હોય છે. જો એ સંઘર્ષ કરવાની તૈયારી હોય તો જ એ બેડું ઉતારાય. આપણે મોટેભાગે અંગ્રેજી ફિલ્મના ઉદાહરણોથી ટેવાયેલા છીએ. પણ હેલ ઉતારવાનો પ્રસંગ તો ગુજરાતી ફિલ્મ, કથા કે વાર્તામાંથી જ આવી શકે. ‘મારી હેલ ઉતારો રાજ’ નામથી 1978માં એક બીજી ગુજરાતી ફિલ્મ પણ આવેલી. જુગલ દરજી અહીં માથેથી મટકું ઉતારવાની વાત કરે છે. વળી એ મટકાને સ્વર્ગ સાથે સરખાવે છે. એક યુવતી, જે માથે મટકું ઉપાડીને જઈ રહી છે, તે જાણે સ્વર્ગ સમાન છે, હળવે રહીને આ સ્વર્ગ સમાન મટકું ઉતારવું છે, એ મટકું ઉતારવાની અનુભૂતિ પણ સ્વર્ગ સમાન છે.
પ્રથમ શેરમાં એક સુખદ અનુભવ કર્યા પછી બીજા શેરમાં તરત જ એક નકારાત્મક વાત આવે છે. ગઝલની આ જ મજા છે. આનંદ પછી તરત નિરાશા, ઉત્સવ પછી તરત શોકની વાત ગઝલમાં સહેલાઈથી થઈ શકે છે. ગઝલમાં એક ભાવમાંથી બીજા ભાવમાં સરળતાથી પ્રવેશી શકાય છે. પોતાના ખભે જ પોતાનું મડદું છે, તે ઉતારવું છે. કવિ નિનાદ અધ્યારુવનો શેર યાદ આવ્યા વિના ન રહે.

હું ધોળા દિવસે ખૂન મારું કરું છું,
ને મારા જ ખભે નીકળતો રહ્યો છું.

કવિ કદાચ પોતે મડદાસ્વરૂપ થઈ ગયો છે, પોતે જ પોતાના ખભે લાશ જેમ લટકી રહ્યો છે. લોકો પાસે મદદ માગે છે કે મને આ મડદું ઉતારવામાં મદદ કરો. પણ લોકો ક્યાંથી ઉતારી આપે! કેમ કે તેને મડદું બનાવવામાં તેમનો જ હાથ હોય છે. ઘણી હકીકત પડદામાં મળતી હોય છે. આપણને લાગતી હોય છે હકીકત, પણ એ હોતી નથી. અસત્ય પર સત્યનો ગલેફ ચડાવવામાં આવે છે. પિત્તળને સોનામાં ખપાવવા ઘણા કીમિયા કરાય છે. અફવા નામનું પિત્તળ જ્યારે હકીકતનું કપડું ઢાંકીને મળે ત્યારે તેનું સ્વાગત કરવાનું હોય, પણ એની પરથી કપડું તો હટાવવું પડે.

આંખમાં ઝેર હોવું એવો આપણે ત્યાં રૂઢિ પ્રયોગ છે. આ ઝેર એ પદાર્થના સંદર્ભમાં નથી, પણ એક પ્રકારનો નકારાત્મક ગુસ્સો, નકારાત્મક ભાવ છે, જે આંખો દ્વારા વ્યક્ત થાય છે. કવિ પોતાની આંખમાં રહેલી આવા નકારાત્મક ઝેરને શંકરની જેમ ગળી જવા માગે છે. શંકર કંઠ નીચે ઝેર ઉતારીને નીલકંઠ કહેવાયા, કવિ કદાચ નયનમાંથી ઝેર નિતારીને નીલનયન કહેવાઈ શકે!

ગઝલની જે બોલબાલા છે, મંચ પરથી મળતી પ્રસિદ્ધિ છે, તે ઘણી વાર ભરમાવી દે છે. શરૂમાં હૃદયથી લખાતી કવિતા અમુક સમય પછી મંચને વિચારીને લખાવા લાગે છે. શ્રોતાઓની તાળીઓથી કાન ટેવાઈ જાય છે. કૃષ્ણ દવેની એક કવિતા છે, ‘મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ’, એકાદ બેવાર મંચ પર સફળ થઈએ. તાળીઓ સાંભળતા થઈએ પછી ધીમે ધીમે તાળીઓની ટેવ પડવા લાગે છે. આગળ જતા આ ટેવ વ્યસન બની જાય છે. ક્યારેક એ વ્યસન શરાબના નશા કરતા પણ વધારે ખતરનાક નિવડે છે. કવિ પોતાનું સાચું સત્વ ખોઈ બેસે છે. એક વારની લત લાગી જાય, પછી એ લત છોડવી અઘરી હોય છે.

લોગઆઉટઃ
 
પ્રિન્ટર દિલે રાખી શકાતાં હોત તો!
ગમતાં સ્મરણ છાપી શકાતાં હોત તો!

કૈં કેટલાયે સ્વાદ પારખવા મળે,
સંબંધ પણ ચાખી શકાતા હોત તો.

જોઈ ગરીબીને તપેલી બોલી કે:
“આ પત્થરો બાફી શકાતા હોત તો!”

કારણ તપાસી, પોસ્ટમોર્ટમ પણ કરું,
આ આંસુ જો કાપી શકાતાં હોત તો.

પેટ્રોલની માફક આ બળતા શ્વાસને,
રિઝર્વમાં રાખી શકાતા હોત તો!

— જુગલ દરજી ‘માસ્તર’

એકલો ચાલું, સહારો ના ખપે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

એકલો ચાલું, સહારો ના ખપે;
માર્ગ છો ભૂલું, સિતારો ના ખપે.

પાનખરને આવકારું હર્ષથી,
કાયમી કેવળ બહારો ના ખપે.

વેગળી મંજિલ રહે મંજૂર છે,
રાહમાં એકે ઉતારો ના ખપે.

સાગરે ડૂબું ભલે મઝધારમાં-
સાવ પાસે હો કિનારો, ના ખપે.

— શિલ્પિન થાનકી

રવીન્દ્રનાથ ટાગોરનું એક સુપ્રસિદ્ધ ગીત છે- “તારી જો હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે...” મૂળ બંગાળી ગીતનો મહાદેવભાઈ દેસાઈએ ખૂબ સરસ ભાવાનુવાદ કર્યો છે. હાક માર્યા પછી કોઈ આવે કે ન આવે એકલા નીકળી પડવું. આગળ જતા આપોઆપ કાફલો થઈ જશે. મજરૂહ સુલ્તાનપુરીનો શેર કેટલો અદ્ભુત છે!

મૈં અકેલા હી ચલા થા જાનિબે મંજિલ મગર,
લોગ સાથ આતે ગયે ઔર કારવા બનતા ગયા.

શરૂઆતમાં કોઈ સાથે નહીં આવે. તમારો રસ્તો કાંટાળો છે એ બધા જાણે છે. ચાલવાનું શરૂ કરશો એટલે આપોઆપ લોકોને તમારી મહેનત, ખંત અને પરિશ્રમ દેખાશે. ધીમે ધીમે લોકો તમને પ્રોત્સાહન આપતા થશે. જે લોકો તમને નકારતા હતો એ જ લોકો આગળ જતા તમારા રસ્તા પર ચાલવા લાગશે. દશરથ માંઝીને યાદ કરો. એકલા માણસે પહાડ ખોદીને રસ્તો કર્યો હતો. તેને કોનો સહારો હતો? તેણે માત્ર પોતાના હૃદયનું સાંભળ્યું. જ્યારે તમે કંઈક નવું કરવા જશો ત્યારે જગત તમારી વાતનો વિરોધ કરશે જ, પણ જ્યારે તમે તમને સાબિત કરી દેશો, ત્યારે જે વાત માટે જગત તમને નકારતું હતું, એ જ વાત માટે જગત તમને શાબાશી આપશે.

કવિ શિલ્પીન થાનકી કોઈના સહારા વિના એકલા ચાલવાની વાત કરે છે. કોઈનો ટેકો ખપે તેમ નથી. ‘ટેકો’ શબ્દ તો રાજકારણ સાથે પણ સંબંધ ધરાવે છે, અહીં એ ટેકાની વાત નથી. રાજકારણને તો ટેકા ને ટીકા વિના ચાલે તેમ નથી. ટેકા વિના સરકાર ક્યાં ટકે છે. અહીં ટેકાની નહીં, ટેકની વાત છે, પ્રણની વાત છે. ગમે તેવી મુશ્કેલી આવે, હું ડગીશ નહીં એવી અંતરાત્માને હામ આપી દો પછી વાંધો નથી આવતો. આગળ જતાં ભૂલા પડાશે, ભટકવાનું થશે. જિંદગીમાં દરેક પળ સુગંધિત નથી હોતી. ફૂલ ક્યાં કાયમ ટકે છે? એ પણ ખરવાનું છે. પાનખરને પણ હર્ષથી સ્વીકારવાની છે, કાયમ બગીચામાં બહારો ના હોય. એકધારું સુખ તો આપણને વધારે નબળા પાડી દે. ભગવાન બુદ્ધ, બુદ્ધ બનતા પહેલાં સિદ્ધાર્થ નામે રાજકુમાર હતા. તેમને જીવનમાં ક્યારેય દુઃખ પડ્યું નહોતું, અચાનક તેમને એક દિવસ એક વૃદ્ધ માણસ જોયો, એક રોગીષ્ઠ જોયો અને એક મૃત માણસ જોયો. અગાઉ તેમણે ક્યારેય આવા માણસો જોયા નહોતા. તેમણે પોતાના ચાકરને પૂછ્યું આ કોણ છે? ચાકરે કહ્યું, એ વૃદ્ધ છે. જીવનના અંતે દરેક ઘરડા થાય છે. જીવનમાં માણસ બીમાર પણ પડે છે અને દરેક માણસને અંતે મરવાનું તો છે જ. સિદ્ધાર્થ વિચારવા લાગ્યો, શું હું પણ ઘરડો થઈશ? હું પણ બીમારીમાં સપડાઈશ? હું પણ એક દિવસ મૃત્યુ પામીશ? અનેક દિવસો સુધી તેમના મનમાં આ વાત ઘૂમરાતી રહી. આખરે તેમણે સંસારત્યાગ કરી પરમ સત્યની શોધ કરવાનું નક્કી કર્યું. એ ઘટના મહાભિનિષ્ક્રમણ નામે ઓળખાઈ. ત્યાર બાદ લાંબા તપ પછી તેમને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ ભગવાન બુદ્ધ તરીકે જાણીતા બન્યા. વાત એકધારા છે. માણસ સુખથી પણ કંટાળે છે. માણસ વિવિધ લેયર્સમાં જીવે છે. કોઈ પણ વાતે એકધારાપણું નથી ગમતું.

કવિ શિલ્પીન થાનકીઓ કોઈની સહાય લીધા વિના પોતાની કેડી જાતે કંડારવાની વાત કરી છે. જ્યારે તમે ચાલવાનું નક્કી કરી જ નાખો ત્યારે ગમે તેવી મુશ્કેલી હોય, રોકી નથી શકતી. જે માણસ પોતાની અંદરની હિંમત લઈને ચાલતા હોય તેમને પગની જરૂર નથી હોતી. ભલે મંજિલને સમયસર પામી ના શકાય, પણ મારે વચ્ચે ઉતારો નથી જોઈતો. ડૂબવું મંજૂર પણ છે, પણ કોઈનો આપેલો કિનારો ના ખપે. જ્યારે હિંમત હોય ત્યારે તમને કોઈ ઊડતા નથી રોકી શકતું.

લોગઆઉટઃ

યે કૈંચિયા હમેં ઊડને સે ખાક રોકેગી,
કિ હમ પરોં સે નહીં, હૌંસલો સે ઊડતે હૈ.

— રાહત ઇન્દોરી


આવી શકે તો આવ, આ વરસાદી સાંજ છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

આવી શકે તો આવ, આ વરસાદી સાંજ છે;
છત્રી વગર ઝુકાવ, આ વરસાદી સાંજ છે.

કાગળ ઘણા લખ્યા છે પરસ્પરને આપણે;
એની બનાવ નાવ, આ વરસાદી સાંજ છે.

માટીની મ્હેક તારી તરફ તો ઘણી હશે;
સાથે તું લેતી આવ, આ વરસાદી સાંજ છે.

થોડી જ વારે મેઘધનુ ખીલી ઊઠશે;
ગજરે તું એ ગૂંથાવ, આ વરસાદી સાંજ છે.

નેવાં છલી ઊઠ્યાં છે ને વૃક્ષો ટપક-ટપક;
સંતૂર તું બજાવ, આ વરસાદી સાંજ છે.

કેવળ ગહેકે મોર તો જલસો નથી થતો;
મલ્હાર તું સુણાવ, આ વરસાદી સાંજ છે.

છે કલ્પનાની વાત કે વરસાદ ભીંજવે;
તું આવ ને ભીંજાવ, આ વરસાદી સાંજ છે…

– ભગવતીકુમાર શર્મા

વરસાદ ઉપર કેટકેટલાં કાવ્યો લખાયાં છે. એમાંય રમેશ પારેખનું ‘વરસાદ ભીંજવે’ ગીત તો યાદ આવ્યા વિના રહે જ નહીં. જેમની ગઝલ અહીં આપવામાં આવી છે, તે કવિ ભગવતીકુમાર શર્માનું આ ગીત પણ કેમ ભૂલાય?

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં,
હવે માટીની ગંધ, અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં.

મે 21, 1934માં સુરતમાં જન્મેલ ભગવતીકુમાર શર્માએ 2018માં વિદાય લીધી, આ દરમિયાન તેમણે સાહિત્યના અનેક સ્વરૂપોમાં કામ કર્યું. ગઝલ, ગીત, અછાંદસ જેવા પદ્યસ્વરૂપોની સાથે તેમણે અનેક ગદ્યસ્વરૂપો પણ ખેડ્યાં. ‘અસૂર્યલોક’ તેમની ખૂબ જાણીતી નવલકથા છે. પણ તેમની પ્રથમ ઓળખ હંમેશાં કવિ તરીકેની રહી.

વરસાદી સાંજના મિજાજને તેમણે આ ગઝલમાં ખૂબ સુંદર રીતે કંડારી આપ્યો છે. વરસાદી સાંજે આપોઆપ ગમતા પાત્રને ઇજન અપાઈ જાય. મિલન માટે આનાથી વધારે યોગ્ય સમય બીજો કયો હોઈ શકે? આકાશમાં વાદળ ઘેરાવાના શરૂ થાય ત્યારે હૃદયમાં પણ વીજળી કડાકા નાખવાનું શરૂ કરી દે છે. આકાશમાં ગર્જના થતાની સાથે હૃદયના ધબકારા પણ મોટે મોટેથી કોઈકને પોકારવા લાગે છે. નયન કોઈને જોવાની ઝંખના સેવે છે. એવી ક્ષણોમાં છત્રી વિઘ્નરૂપ થતી હોય છે. ભીંજાવામાં જે મજા છે તે છત્રીમાં ક્યાં છે. એમાંય એક છત્રીમાં બે જણા ભીંજાય એનાથી વધારે રૂડું બીજું શું? એક છત્રીમાં બે જણા કઈ રીતે કોરા રહી શકે? એમાં ખરેખર તો ભીંજાવાની મજા જ લેવાની હોય. છત્રી તો માત્ર બે જણાને વધારે નજીક લાવવાનું કામ કરતી હોય છે. છત્રી ખરેખર તો બે હૈયાને છત્ર ધરતી હોય છે.

આવી વરસાદી સાંજે પ્રેમપત્રોની નાવડી બનાવીને તેને વરસાદી જળમાં વહાવી દેવાની ઇચ્છા થાય. એ બહાને પ્રેમ એકમેકના હૈયામાં હરહંમેશ વહેતો રહે. મોબાઇલના આ સમયમાં પ્રેમપત્રોનો સુવર્ણકાળ જાણે કે આથમી ગયો છે. પત્ર લખવાની જે મજા છે, તે મેસેજ ટાઇપ કરવામમાં ક્યાં છે. છાનામાના પત્રો લખવા, એની માટે ખાસ રંગીન કાગળો લાવવા. વિવિધ રંગની પેન વાપરવી. પ્રિય પાત્રને ગમે એવું દિલ દોરવું, આ બધી બાલીશ લાગતી વાતો ખરેખર તો ઊર્મિના આંગણામાં ઊગેલાં ફૂલ જેવી હોય છે એની મહેક આજીવન હૃદયમાં સચવાતી હોય છે. એ સુગંધ જીવનભર આપણને મઘમઘતા રાખે છે. પહેલો વરસાદ પડતા માટીની મીઠી સુગંધ અનુભવાય તેવી અનુભૂતિ પ્રથમ પ્રેમપત્રની પણ હોય છે. એ પછી ગમે તેટલા સારા પત્રો લખાય, પણ પહેલો પત્ર એ પહેલો પત્ર છે. પ્રેમપત્રોની નાવડી બનાવનીને ઊર્મિઓને વહાવવાની ઇચ્છા થાય તેમ મેઘધનુષને ગજરામાં ગૂંથવાનું મન પણ થાય. ધીમા વરસાદમાં પ્રિય પાત્ર સાથે હોય ત્યારે ટપકતાં નેવાં અને વરસાદનાં ટીપાં જાણે કે સંતુર વાગતી હોય અને હૃદયના તાર ઝણઝણતા હોય એવી અનુભૂતિ કરાવે. આ અનુભૂતિને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. તે વખતે મોરનો ટહુકો મલ્હાર જેવો લાગતો હોય છે. અને પેલી કાગળની નાવમાં બેસીને જ જાણે કે આપણે વહી રહ્યા હોઈએ, પ્રેમના દરિયાની ઊંડી સફરે નીકળી ચૂક્યા હોઈએ એવું લાગે છે.

ચોમાસાએ પોતાનાં પાવન પગલાંથી ધરતીને ભીની કરી દીધી છે, ત્યારે તેમાં ભીંજાવાની મજા જવા દેવા જેવી નથી.

લોગઆઉટઃ

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!
ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!
અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

– ભગવતીકુમાર શર્મા


મારી દીકરી ક્યાં?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

આખરે ઉજાગરાનો અંત આવ્યો:
લગન ઊકલી ગયાં.
મા હવે
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છે
સંભાળી સંભાળી ગોઠ્વે છે:
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ-
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી-
પણ

અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન :
‘મારી દીકરી ક્યાં?’

— જયંત પાઠક

દીકરી વિશે આપણે ત્યાં કેટકેટલાં કાવ્યો લખાયાં છે. દીકરીની વિદાયનો પ્રસંગ તો ખૂબ હૃદયસ્પર્શી રીતે આલેખાયો છે. કવિ કાગે તો દીકરીને કાળજાનો કટકો કહ્યો છે. લોકગીતો હોય કે લોકકથાઓ, દીકરી પ્રત્યેનું વહાલ આપણા સાહિત્યમાં સતત નિતરતું રહ્યું છે. હૃર્ષદ ચંદારણાએ કહ્યું છે તેમ, ‘શૈશવના સપનામાં જોયેલી પરી, સદેહે અવતરી, થઈ દીકરી!’ બાળપણમાં આપણે સપનામાં પરીને જોતા હોઈએ, મોટા થઈને આપણે ત્યાં એ જ પરી દીકરી થઈને અવતરે છે... તેનો અવતાર અજવાળું લઈને આવે છે. તેની પગલી પડતાં ઝૂપડી પણ રજવાડા જેવી થઈ જાય છે. જેને જીવ રેડીને ઉછેરી હોય અને જે વહાલના દરિયા જેવી હોય તે દીકરીને એક દિવસ વિદાય કરવાનો સમય આવે છે. દરેક માતાપિતા માટે દીકરીને વળાવવી એ આનંદમિશ્રિત કરૂણતા છે. માતા જાણે છે કે પોતે પણ ક્યારેક દીકરી હતી. દીકરીમાં તે પોતાની છબીને જુએ છે. એની અલ્લડતા, તોફાન, એની ખૂબી કે ખામીને તે પોતે અરીસામાં જોતી હોય તેમ જુએ છે. તે એમ વિચારીને રાજી થાય છે કે મારી દીકરી અદ્દલ મારા જેવી થઈ છે. વળી આ જ વિચારે તે દુઃખી પણ થઈ જાય છે કે મારી દીકરી પણ મારા જેવી જ થશે?

પિતા માટે દીકરી એ વહાલનો એક અલાયદો દાયરો છે. પરિવારમાં દીકરી જન્મ્યા પછી કઠણ પથ્થર જેવા લાગતા માણસમાં પણ અચાનક વહાલનાં ઝરણાં ફૂટી નીકળે છે. તેની સૂકી આંખોમાં અચાનક ભીનાશ ઊભરી આવે છે. તેની છાતીમાં જાણે એક કૂણી કૂંપણ પાંગરી હોય તેવો અનુભવ થવા લાગે છે. દીકરીને જરા આંચ પણ આવે તો પિતાની છાતી ચિરાય છે.

મા-દીકરીનો સંબંધ તો વિશેષ અલાયદો છે. દીકરી પહેલીવાર રજસ્વાલા થાય, ત્યારે માતાને પણ પોતાની કિશોરાવસ્થા યાદ આવે છે. દીકરીની આ અવસ્થા પછી તે માદીકરી મટીને મિત્રો બને છે. ઘરની નાની નાની વસ્તુને સહિયારી આંખે જોતી થાય છે. થાળી-વાટકા-ચમચીથી લઈને ઘરમાં આવતા સારા-નરસા પ્રસંગોને તે મૈત્રીભાવે પાર પાડે છે. પિતા નામનું છત્ર તેમને હરહંમેશ હૂંફ આપતું રહે છે.

આપણે ત્યાં દીકરીને પારકી થાપણ કહેવાય છે. એવી થાપણ કે જેને આપણે બીજા માટે સાચવી રાખવાની છે. પારકાને સોંપવાની છે. પણ આ પારકાને પારકા નથી રાખવાના, પોતાના કરવાના છે. દીકરી નામના દીવાનું અજવાળું બે ઘરને અજવાળે છે. જ્યારે અજવાળું વહેંચવાનું થાય છે ત્યારે માતાને હરખ થાય છે અને મનમાં ચિંતા પણ થાય છે કે બધું સુપેરે પાર તો પડશે ને? કદાચ એટલા માટે જ આપણે ત્યાં લગ્નની વિધિઓ લાંબી હોય છે, જેથી અંગત સ્વજનને હંમેશ માટે બીજાને સોંપવાનું છે તેવો મન પર ભાર ન રહે અને મન સતત આ વિધિઓ અને રિવાજોમાં જ અટવાયેલું રહે. મહેમાનોનું જમવાનું, તેમની આગતાસ્વાગતા, રહેઠાણ, લગ્નની વિધિઓ, મંડપ, સામૈયા આ બધામાં પરિવારજનો એટલા બધા અટવાયેલા રહે છે કે તેમને દુઃખી થવાનો પણ સમય નથી મળતો. પણ લગ્ન ઉકલ્યા પછી, અનિલ જોશીના શબ્દોમાં કહીએ તો કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને જાય પછી, બધી વસ્તુઓની ગણતરી થાય છે. વાસણો, કપડાં, મહત્ત્વની અનેક વસ્તુઓ બધું બરોબર તો છેને? ક્યાંય કશું ખોવાયું તો નથીને? આ બધું પત્યા બાદ અચાનક એક ઊંડો ખાલીપો આખા ઘરને ઘેરી વળે છે. અવસર પત્યા અવસરની ઉધાસી ઉડીને આંખે વળગે છે. વિરલ દેસાઈનો શેર યાદ આવી જાય, “અવસરના જોશ કરતાં એ હોય છે વધારે, અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી.”

માતાને આ સૂનકાર ઘેરી વળે છે. તે ઓરડામાં અધવચ્ચે જ ઊભી રહી જાય છે, તેની આંખમાંથી એક પ્રશ્ન આંસુનું રૂપ ધારણ કરીને સરી પડે છે, મારી દીકરી ક્યાં?

લોગઆઉટઃ

દીકરીની વિસ્મયભરી આંખોમાં છે
પ્રશ્નો, આશ્ચર્ય અને ભોળપણ
એના પ્રશ્નો
મને મૂંઝવી દે છે
એના ફૂલોના ઢગલા જેવા હાસ્યને
સૂંઘીને હું જીવવા માટેના શ્વાસ
એકઠા કરી લઉં છું
કદાચ… આવતી કાલે…
એનું હાસ્ય
આટલું બધું સુગંધિત નહીં હોય.

– શેફાલી રાજ

કરે કોઈ જીતની ચર્ચા, કરે કોઈ હારની ચર્ચા

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

કરે કોઈ જીતની ચર્ચા, કરે કોઈ હારની ચર્ચા;
રમત તો થઈ પૂરી બાકી રહી બેકારની ચર્ચા.

ભૂખે મરતાઓને કહી દો જરા થોભે ને રાહ જોવે,
હજુ ચાલે છે એ પ્રશ્નો ઉપર સરકારની ચર્ચા!

હતો જે ભાર માથા પર એ નો'તું થાકનું કારણ,
ગયા થાકી હકીકતમાં કરી એ ભારની ચર્ચા.

જીવનભરની કમાણીને ગુમાવીને હું બેઠો'તો,
તમે આવીને છેડી ત્યાં જીવનના સારની ચર્ચા.

ગરીબી જો હટી જાશે તો નેતાઓનું શું થાશે?
પછી કરશે અહીં કોના ભલા ઉદ્ધારની ચર્ચા?

વહે છે ખૂન જખ્મોથી અને એ જખ્મીઓ સામે,
અમે કરતા રહ્યા 'કાયમ' ફક્ત ઉપચારની ચર્ચા.

— કાયમ હજારી

આસીમ રાંદેરીએ લખ્યું છે,

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી.

આપણે મૌનનું મહત્ત્વ સમજવા છતાં ચર્ચાની ચ્વિંગમ ચાવવાનું મૂકતા નથી. આ કામ આપણને બરોબરનું માફક આવી ગયું છે. રમત પૂરી થાય પછી કે પહેલાં, જીત થાય કે હાર, ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. કશું ન થાય તો કશું ન થયાની ચર્ચા કરવાની, તેના વિના ચાલતું નથી. કવિ કાયમ હજારી માનવસ્વભાવમાં રહેલી ચર્ચાવૃત્તિને સારી પેઠે ઓળખી ગયા છે, એટલા માટે જ તેમણે આ ગઝલ લખી છે. ઘાયલસાહેબે લખ્યું કે, ‘ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે.’ તેમને ચર્ચામાં લિજ્જત દેખાય છે, પણ એ તો ગભરુ આંખોમાં કાજળ થવાની તક મળે તો! બાકી લિજ્જત ક્યારેક ઇજ્જત લઈ લે. લોકોને ચર્ચાવાનું ગમતું હોય છે. ઘણા ફિલ્મએક્ટરો કંઈક ને કંઈક કરી સતત ચર્ચામાં રહેતા હોય છે. તેમને એવું લાગે છે કે કોઈ ચર્ચા જ ન કરે તો આપણે માર્કેટમાંથી ફેંકાઈ જઈશું. ચર્ચા જ ન થાય તો એ ય એક પ્રકારની વગોવણી કહેવાય. સૈફ પાલનપુરીનો એક અદ્ભુત શેર છે,

મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું,
આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું.

કોઈ આપણો જરા સરખો નામોલ્લેખ સુધ્ધાં ન કરે એ આપણી ફજેતી નહીં તો બીજું શું? ઘણી વખત ઘણી જગ્યાએ એકદમ ચાલાકીપૂર્વક આપણી બાદબાકી થઈ જતી હોય છે.

ઘણાને કામ કરવા કરતા કામની ચર્ચામાં જ રસ હોય છે. સરકાર ગરીબી દૂર કરવાની ચર્ચા વર્ષોથી કરે છે. સરકાર વર્ષોથી ગરીબી અને ભૂખમરો દૂર કરવાની ચર્ચા કરે છે. પંચવર્ષીય યોજનાઓ બનાવે છે. કરોડો, અબજો રૂપિયા ખર્ચાઈ ગયાં આટલાં વર્ષોમાં છતાં હજી ભૂખમરો તો દૂર થતો જ નથી. આમાં તો ધરાયેલા જ ધરાય છે. ભૂખ્યા બાપડા ભૂખ્યા રહે છે. કાગળ પર અને સરકારી ફાઇલોમાં ગરીબી દૂર થાય છે. ગરીબ તો બાપડો વધારે ને વધારે ગરીબ થતો જાય છે. આ જ આપણા દેશની કરૂણતા છે. ગરીબી દૂર કરવાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે મોટા રોડશો યોજાય, મંડપો બંધાય, નગર આખું રોશનીથી શણગારાય ને આ રીતે લાખો-કરોડોનું આંધણ થાય. આ બધી ઝાકઝમાળ પાછળ ખર્ચાતો પૈસો સીધો ગરીબોને જ આપી દેવામાં આવે તો કેટલું સારું? કાયમ હજારીએ બીજા એક શેરમાં નેતાઓ પર આકરો કટાક્ષ કર્યો છે, ગરીબી હટી જશે તો બાપડા નેતાઓ બેકાર થઈ જશે, તેમનું શું થશે? તે કોના ઉદ્ધારની ચર્ચા કરશે? તેમનાં ભાષણો, યોજનાઓ બધું જ અભરાઈ પર ચડી જશે.

ઘણી વાર જો આપણે કોઈ કામમાં એવા લીન થઈ જઈએ કે આપણને વાગ્યું હોવા છતાં એનો અહેસાસ થતો નથી. પણ સાવ નવરા હોઈએ અને જરાક અમથું પણ વાગ્યું હોય તો દુખાવો થયા કરે છે, એનું કારણ એટલું જ હોય છે કે આપણું મન સતત તેની પર જ કેન્દ્રિત હોય છે. એ નાનકડા ઘાવને વારંવાર પંપાળતા જ રહીએ છીએ. ચિંતા, વ્યગ્રતા, વ્યથા કે ઉદાસીનું પણ એવું જ છે. આપણે જેટલા પંપાળીએ તેટલા તે આપણને વધારે પરેશાન કરે છે. માનસિક ભારનો થાક ત્યારે વધારે લાગે છે, જ્યારે એ ભારની વારંવાર ચર્ચા કરવામાં આવે.

જિંદગીમાં લક્ષ્ય હોવું જ જોઈએ એવું કોણે કહ્યું. ક્યાંક પહોંચવું જ એવું નક્કી થોડું છે? ખરો આનંદનો સફરનો છે, મંજિલ પામવાનો નહીં. મંજિલ મળી ગયા પછી તો એક ખાલીપો ઊભો થતો હોય છે કે હવે શું? જીવનના સાર સમાન બધું જ ગુમાવીને બેઠા હોઈએ ત્યારે કોઈક આવીને સારની ચર્ચા કરે તો શું થાય?

મંચ અને પ્રસિદ્ધિને જ બધું માનતા શાયરોને ઉદ્દેશીને કહેલો ભાવિન ગોપાણીનો આ શેર ખાસ વાંચવા જેવો છે.

લોગઆઉટઃ

પ્રસિદ્ધિ મંચની મોહતાજ છે એવું કહ્યું કોણે? 
કવિને એક સારો શેર પણ ચર્ચામાં રાખે છે. 

— ભાવિન ગોપાણી



કાન ખોલીને બધા પડકારનો આદર કરો

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

કાન ખોલીને બધા પડકારનો આદર કરો,
હાથમાં જે હોય તે હથિયારનો આદર કરો.

સાવ બોદા થઈ ગયેલા હોય જો સંબંધ તો,
જેમ જેવો થાય તે રણકારનો આદર કરો.

સત અસતનો જો કદીયે તાગ લેવો હોય તો,
દાવા સાથેના બધા આધારનો આદર કરો.

રક્તમાં થીજી ગયેલા જીવને જીવાડવા,
શ્વાસ મધ્યે ધ્રૂજતા ધબકારનો આદર કરો.

વાત નિરાકાર સાથે હોય જો કરવી કદી,
તો પછી એના બધા આકારનો આદર કરો.

— વારિજ લુહાર

‘વન્સ અપન અ ટાઇમ ઇન મુંબઈ’ ફિલ્મમાં એક સુંદર સિન છે. સુલતાન મિર્જા (અજય દેવગન) ફિલ્મની અભિનેત્રી રેહાના (કંગના રનૌત)ને મળવા જાય છે, આટલી મોટી હિરોઈનને મળવા ખાલી હાથે થોડા જવાય? પણ મોંઘી ગિફ્ટ લેવાનો સમય નથી. એટલે જ્યાં શૂટિંગ ચાલતું હતું ત્યાં બહાર એક લારીવાળો જામફળ લઈને ઊભો હોય છે તેની પાસેથી જામફળ ખરીદે છે. એક જામફળની કિંમત માત્ર ચાર આના છે. હિરોઇનને આવી સસ્તી ભેટ આપીએ તો સારું ન લાગે. એટલે તે જામફળવાળાને પૂછે છે, ‘ધાર કે આ દુનિયાનું સૌથી અંતિમ જામફળ છે, આના પછી ધરતી પર કોઈ જામફળ જ નહીં રહે, તો આની કીંમત કેટલી?’ પેલો કહે, ‘ચાર રૂપિયા.’ તેણે ફરી પૂછ્યું, ‘ધાર કે મુમતાજે પોતે જ આ જામફળ ઉગાડ્યું છે અને સલીમના હાથમાં ફૂલ નહીં પણ આ જામફળ હતું, હવે આની કિંમત કેટલી?’ પેલાએ કહ્યું, ‘ચાલીસ રૂપિયા.’ છતાં અજય દેવગનને સંતોષ ન થયો, તેણે કહ્યું, ‘ધાર કે આદમે સૌથી પહેલાં સફરજન નહીં, પણ આ જામફળ ખાધું હતું, હવે આની કિંમત કેટલી?’ પેલો કહે ચારસો રૂપિયા. ચાર આનાનું સફરજન ચારસો રૂપિયામાં ખરીદ્યું. પછી કંગનાને આપતી વખતે કહે છે, મોંઘું કશું ન મળ્યું તો સસ્તાને જ મોંઘું કરીને લઈ લીધું. વાત સસ્તા કે મોંઘાની નથી, પણ આપણને જે સરળતાથી મળી છે તેની આપણને કિંમત નથી હોતી.

સુખ અને દુઃખ બંનેને પ્રેમથી સ્વીકારતા થઈ જઈએ તો બેડો પાર થઈ જાય. સુખ આવે કે તરત જ આપણે છકી જઈએ છીએ. આપણે જાણે કે ક્યારેય દુઃખી હતા જ નહીં અને ભવિષ્યમાં ક્યારેય થઈશું પણ નહીં એવી રીતે વર્તવા લાગીએ છીએ. પણ જેવો કશો પડકાર આવ્યો કે પાછા ધરતી પર આવી જઈએ છીએ. કેમ કે આપણે આપણી પરિસ્થિતિનો આદર કરવાનું ભૂલી જઈએ છીએ. વારિજ લુહારે ગઝલ દ્વારા આપણા જીવનમાં આવતા તમામ પડકારોનો આદર કરવાનું કહ્યું છે, પછી તે સારો હોય કે ખરાબ. જિંદગીના યુદ્ધમાં જ્યારે જે હથિયાર હાથમાં આવ્યું તેનાથી આપણે લડતા રહેવાનું છે, એ હથિયારનું સન્માન કરવાનું છે. આ હથિયાર યોદ્ધાની જેમ હાથમાં ધારણ કરેલું હોય તે જરૂરી નથી. આ હથિયાર માનસિક પણ હોઈ શકે. ઝઝૂમતું કોણ નથી? કરોડોપતિથી લઈને ભીખારી સુધીના માણસો પોતાની જિંદગીમાં ઝઝૂમતા રહે છે, એ દરેકના હાથમાં તલવાર કે ભાલાં નથી, એમના હાથમાં તેમનો જુસ્સો છે, જોમ છે. બસ એનો આદર કરવાનો છે.

લાંબાગાળે સંબંધોમાં એકધારાપણું આવવાથી તેમાં નિરસતા આવી જાય છે અને આ નિરસતા તિરાડમાં ફેરવાય છે. ત્યારે આપણે તે તિરાડો કેમ સર્જાઈ છે તેના મૂળમાં જવાની તસ્દી બહુ લેતા નથી. એ પરિસ્થિતિનો પણ આદર કરીએ તો ચોક્કસ નવો રસ્તો નીકળે. પણ સ્થિતિ જ એવી હોય છે કે સાચું શું કે ખોટું શું તે સમજાતું નથી. અને આમ પણ એક માણસને મન જે સત્ય હોય તે બીજાને મન ન પણ હોય. દરેકનું સત્ય અલગ હોય છે. દરેકનું સત્ય એનું પોતાનું જ હોય છે, એ બીજા પર થોપી ન શકાય. અકબર બિરબલની એક સરસ વાર્તા છે. એક દિવસ અકબરે બિરબલને કહ્યું કે મને એવી વાત કહો કે જે સુખમાં દુઃખનો અનુભવ કરાવે અને દુઃખમાં સુખનો. બિરબલે બહુ વિચારીને એક વાક્ય કહ્યું, ‘આ સમય પણ ચાલ્યો જશે.’ અકબર જ્યારે ખૂબ સુખના શિખરે બેઠો હોય ત્યારે એક વાક્ય બોલે કે આ સમય પણ ચાલ્યો જશે ત્યારે તે સીધો ધરતી પર આવી જાય કે ઓહ, આ સુખ વધારે નથી. મારે છકી ન જવું જોઈએ. અને જ્યારે દુઃખની ઊંડી ખાઈમાં ધકેલાઈ જાય ત્યારે પણ એ જ વાક્ય દવા જેવું કામ કરે. આ દુઃખી સમય પણ લાંબો ટકવાનો નથી.

બસ, માણસ પોતાના સુખી કે દુઃખી સમયનો આદર કરતો થઈ જાય તો જીવનમાં મુશ્કેલી રહેતી જ નથી.

લોગઆઉટઃ

સર્વોપરી આદર રહ્યો મૂંગો આદર,
કે લાગણી ખાતર રહ્યો મૂંગો આદર;
શબ્દોની મહત્તા છે, પરંતુ એટલી ક્યાં?
સાચો રહ્યો સુંદર રહ્યો મૂંગો આદર.

— મરીઝ