ઇચ્છાઓ ‘છે’ મટી, ‘હતી’ થઈ જાય તો મજા

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

આ સ્થિરતા હવે ગતિ થઈ જાય તો મજા,
ઇચ્છાઓ ‘છે’ મટી, ‘હતી’ થઈ જાય તો મજા.

તણખો હતો હવે એ અગનઝાળ થઈ ગયો,
શંકા એ આગમાં સતી થઈ જાય તો મજા.

ખુલ્લી કે બંધ આંખ હો, રહે એક સમાન દૃશ્ય,
જીવને આ સ્થિતિની રતિ થઈ જાય તો મજા.

જગથી છૂપી હૃદયમાં બદીઓ હશે ઘણી,
ખુદની જ સામે એ છતી થઈ જાય તો મજા.

વૈરાગ્ય માટે ત્યાગ જગતનો કર્યા વગર,
સંસારમાં જ મન યતિ થઈ જાય તો મજા.

– કિરણ જોગીદાસ 

માનવજીવન દુઃખથી ભરેલું છે. આ દુઃખનું કારણ શોધવામાં જ સિદ્ધાર્થ નામનો એક રાજકુમાર ભગવાન બુદ્ધ થઈ ગયો. જીવન દુઃખી હોવાનાં મુખ્ય ત્રણ કારણ બુદ્ધે આપ્યાં. એક છે એષણા અર્થાત ઇચ્છા. બીજું બુઢાપો અને ત્રીજું મૃત્યુ. દરેક માણસ ઇચ્છાની સાદડીઓ સીવ્યા કરે છે. જિજીવિષાના અનેક તાંતણાઓ મનમાં બેક્ટેરયાની જેમ સતત ફર્યા કરતા કરે છે. આટલું કરી નાખું, આમ થઈ જાય, પેલુંં કામ પતી જાય… આવી વિવિધ ઝંખનાઓના ઝાડ પર માણસ રોજ ચડઉતર કર્યા કરે છે. વિચારોનું વહાણ મનના દરિયામાં સતત વિહરતુંં રહે છે. તે ઇચ્છાની જાળ નાખ્યા કરે છે પાણીમાં, કોઈ મોટી માછલી પકડવાની આશાએ. જેમ પૃથ્વી પોતાની ધરી પર અટક્યા વિના ચાલ્યા જ કરે છે, તેમ વિચારો પણ જ્યાં સુધી આપણું મન અસ્તિત્વમાં રહે, ત્યાં સુધી અટકતા નથી. આપણે ઊંઘી પણ જઈએ, છતાં વિચારો સ્વપ્નસ્વરૂપે દેખા દીધા કરે છે. એટલા માટે જ સંતોએ નિર્વિચારની સ્થિતિનું માહાત્ત્મ્ય ગાયું હશે..

માણસ હોવું અને ઇચ્છાનું વળગણ ન હોવું એ કઈ રીતે સંભવ બને? ઇચ્છા એક રીતે બંધન છે - વળગણ છે. એમાંથી મુક્તિ મળી જાય તો બેડો પાર. કિરણ જોગીદાસે આ ગઝલમાં સ્થિરતાથી ગતિ ભણીની દિશા ચીંધી છે. જે ઇચ્છા વર્તમાનમાં ‘છે’ છ, તે ભવિષ્યમાં ‘હતી’ થઈ જાય તેવી ઝંખના સેવે છે. આના બે અર્થ થાય, એક તો જે અત્યારે ઇચ્છાઓ છે તે પૂર્ણ થઈ જાય, બીજો અર્થ એવો કે ઇચ્છા કરવાની ઇચ્છા જ મરી જાય. ચિનુ મોદીએ કહ્યું છે ને,
કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો
એ ય ઇચ્છા છે હવે એ પણ નહો.

આવી પંક્તિઓ ચિનુ મોદી જ કહી શકે, કેમ કે તેમને ખબર છે કે ઇચ્છાને હાથ અને પગ બંને છે, તેમણે પોતે જ એક ગઝલમાં લખેલું, 
આંસુ ઉપર આ કોનાં નખની થઈ નિશાની,
ઇચ્છાને હાથપગ છે એ વાત આજે જાણી.

આપણે સંબંધના તપેલામાં અપેક્ષાના આંધણ મૂકીએ છીએ. તેને ઉકાળ્યા કરીએ છીએ. ફલાણાએ મારી માટે આટલું તો કરવુંં જોઈએને? હું આટલી આશા ય ના રાખી શકું? એકબીજા પ્રત્યે રાખેલી આવી અપેક્ષાની અણીઓ જ વધારે ધારદાર થઈને સમય જતાં આપણને ભોંકાય છે. અપેક્ષા ક્યારે આક્ષેપબાજીમાં ફેરવાઈ જાય તે ખબર નથી રહેતી. શંકાનું એક તણખળું હર્યાભર્યા સંબંધના બગીચાને બાળીને ખાખ કરી શકે છે. પણ કવિ તો અહીં એ શંકાને જ બાળીને ખાખ કરી નાખવાની કામના રાખે છે. કયો માનવી પૂર્ણ છે ધરતી પર? કયા માનવીએ એક પણ વાર કોઈની પર અપેક્ષા ન રાખી હો હોય કે શંકા ન કરી હોય? આપણે ભગવાન રામને પૂર્ણપુરુષોત્તમ કહીએ છીએ. પરંતુ એમણે પણ ધોબીના કહેવાથી સીતાની અગ્નિપરીક્ષા લીધેલી જ. ગર્ભવતી હોવા છતાંં લક્ષ્મણ દ્વારા તેમને જંગલમાં મોકલી દેવાયા હતા. અર્થાત્ ઈશ્વર જ્યારે માનવરૂપ ધારણ કરે ત્યારે તે પણ ઈશ્વર હોવા છતાં પૂર્ણ નથી રહી શકતો, કેમ કે માનવજીવન અપૂર્ણતાની છબી છે. આ અપૂર્ણતા જ તમારા માનવ હોવાની નિશાની છે. જીવનની તમામ બદી-અપૂર્ણતા જગત સામે છતી થાય ન થાય, જાત સામે તો છતી થવી જોઈએ. 

આપણે ત્યાં સંસારમાંથી મન ઊઠી ગયું હોય અને સાધુ થઈ ગયા હોય એવા સેંકડો દાખલાઓ છે. તેમની કથાઓથી ગ્રંથો ભર્યા છે. પણ કવિ તો અહીં સંસારમાં રહીને સાધુત્વની વાત કરે છે. અર્થાત્ સંસારની સ્થિરતાને તે જુદી રીતે ગતિ આપવા માગે છે. સ્થિર રહીને ગતિ માપવાની વાત કેટલી અદ્ભુત છે. આ ક્ષણે જવાહર બક્ષીની શિલાલેખ જેવી ગઝલ યાદ ન આવે તો જ નવાઈ.

લોગઆઉટ:

દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.

કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે,
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે.

દશે દિશાઓમાં સતત એક સામટી જ સફર,
અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે.

અટકવું એ ગતિનું કોઈ રૂપ હશે,
હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.

– જવાહર બક્ષી

અમે આદિમ ઉપેક્ષિતો

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

પહાડો વચ્ચેથી નીકળી નગરમાં આવશું એ ભય હજી તમને,
નગરનાં શ્વેત સુરજ ધૂળથી ખરડાવશું એ ભય હજી તમને.

બહુમાળી મકાનોની અડોઅડ આવીને ઊભા હશે પહાડો;
અમે કાળા, ઠીંગુજી કારસા સરજાવશું એ ભય હજી તમને.

અમોને ઝાડવાનાં છાલ, પર્ણો આપે છે ખોરાક ને વસ્ત્રો,
છતાંયે પેટ ખાલી શહેરમાં ખવડાવશું એ ભય હજી તમને.

અમે અમનેય પણ અહીંથી કશે કાઢી નથી શક્તા,
અને તમને ઉચાળા કો’ક દિ’ બંધાવશું એ ભય હજી તમને.

અમે આદિમ ઉપેક્ષિતો અમોને કોઈ ભય કેવો કદીયે પણ,
છતાં ક્યારેક ભયભીત થઈ નગર ધ્રુજાવશું એ ભય હજી તમને.

- કરસનદાસ લુહાર

આઝાદીનાં આટલાં વર્ષો પછી આભડછેટ, મંદિરપ્રવેશ અને જાતિવાદના ઝેરની કડવાશમાં જો ઘટાડો થયો હોય, પરસ્પર ઐક્યભાવ વિકસ્યો હોય, સમાનતાના સૂર વહેતા થયા હોય તો તેમાં એક માત્ર વ્યક્તિ કારણભૂત છે, એ છે આજના જ દિવસે અર્થાત્ 14 એપ્રિલના રોજ મહારાષ્ટ્રની શૂદ્ર ગણાતી મહારજાતિમાં જન્મેલ ડૉ. બાબાસાહેબ આંબેડકર. તેમણે કાયદાની કડક હથોડીથી પીડિતની બેડીઓને તોડીને સમાન હકનું રણશિંગું ફૂંક્યું. જો કે એ કામ એટલું સહેલું નહોતું. આઝાદીનાં પંચોતેર વર્ષ વીત્યાં પછી પણ એક શૂદ્ર-દલિત યુવાન વરઘોડો કાઢી પરણવા જાય તે અમુક કહેવાતા ઉચ્ચ સજ્જનોથી સહન ન થાતું હોય તો પંચોતેર વર્ષ પહેલા કેવી દશા હશે? આજે પણ દલિત કે આદિવાસી જ્ઞાતિના લગ્નમાં વાગતા બેન્ડવાજા ઘણા ઉચ્ચ જાતિનો અહમ લઈને ફરનારના કાનમાં ખીલાની જેમ ભોંકાય છે. એક દલિત સમાજનો માણસ મૂછને વળ ચડાવે તો તેમના ઈગો પર ગાળિયો ટૂંપાતો હોય તેવું તેમને લાગે છે. શૂદ્રએ પહેરેલા શૂટબૂટ જોઈને પોતાના અધિકારો પર આકરા પ્રહારો થતા હોય તેમ છંછેડાઈ જાય છે ઘણા લોકો. અભ્યાસના જોરે ઉચ્ચ આસને બેસનાર છેવાડાનો માણસ તેમની આંખને કણાની જેમ ખૂંચે છે.

આજે પણ જાતિવાદ, જ્ઞાતિવાદ, ધાર્મિક અંધશ્રદ્ધા અને કોમવાદનું રાજકીય ઝેર ઓકાતું દેખાય ત્યારે એકતા અને સમાનતાના બણગાં ખોખલાં પુરવાર થતા હોય તેવું લાગે છે. ચૂપચાપ એક લોહિયાળ રમત ખેલાઈ રહ્યાની પ્રતિતિ થાય છે. કરસનદાસ માણેકે આ વાત બહુ સાવધાનીપૂર્વક આલેખી આપી છે તેમની ગઝલમાં. આજે પણ મહાનગરને એવો ભય છે કે છેવાડાનો માનવી આવીને એમની ઇમારતના પાયા હચમચાવી દેશે, તેમની સત્તાની ખુરશીમાં હક માગશે. તેમના ઓરડામાં પથરાયેલું અજવાળું કોકની કાળી મજૂરીના પ્રતાપે છે તેવું સોય ઝાટકીને સંભળાવી જશે તો તેમની આબરુ કેટલી રહેશે? તમારા ઘરને અજવાળવામાં અમારું અસ્તિત્વ દાઝીને ખાખ થવા આવ્યું છે એવું બંડ પોકારીને કહેવાવા લાગશે ત્યારે ઊંચી ઇમારતના પાયાની શી વલે થશે? આ જ વાતનો ભય છે મહેલવાસીઓને. અનાજોના ગોદામ સંઘરીને બેઠેલા શેઠિયાઓને ખોફ છે કે જમીનને ખેડનાર અને ખરા હકદાર એક દિવસ તેમની ડેલીઓના તોતીંગ દરવાજા ઉખાડી ફેંકશે. એટલે બધા જ પોતાનો ગઢ વધારે મજબૂત કરવામાં પડ્યા છે.

ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની બૂમો પડાઈ રહી છે, જો કે એ આજકાલની નથી પડી રહી. ભારત આઝાદ નહોતો થયો ત્યારની આ માથાકૂટો ચાલે છે. તેની સામે 1940માં જ આંબેડકરે લાલ બત્તી ધરતા કહેલું, "જો ભારત હિંદુરાષ્ટ્ર બની જાય તો તેમાં કોઈ શંકા નથી કે આ દેશ માટે મોટો ખતરો બની જશે. હિંદુ કંઈ પણ કહે, પણ હિંદુત્વ સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારા માટે એક ખતરો છે." આજથી વર્ષો પહેલાં જે ખતરા પ્રત્યે આંબેડકરે ચેતવણી ઉચ્ચારી હતી એ આજે ભારતના દરવાજા પર દસ્તક આપી રહ્યો છે. સારી નોકરી ધરાવનાર દલિતને સારા વિસ્તારમાં ઘર લેવું હોય તો કહેવાતા એકતાવાદીઓ ઘૂસવા નથી દેતા. સોસાયટીના સેક્રેટરીઓના નાકનું ટેરવું ચડી જાય છે. અને મંચ પર ઊભા રહીને એકતાની પીપુડીઓ વગાડવી છે. આવા બે મોઢાળાઓ ભેગા થઈને હિન્દુ રાષ્ટ્ર લાવવા માગે છે, કોની ખાતર? ગુજરાતી દલિત સાહિત્યના દાદા જોસેફ મેકવાની તેમની ખ્યાતિપ્રાપ્ત નવલકથા ‘આંગળિયાત’માં કહેવાતા સ્વરાજની ખોખલી પોલ બહુ સચોટતાથી ખોલી આપી છે. આજે અધિકારો અપાય છે તો અધિકારોનું પણ એક રાજકારણ ખેલાય છે. સમાનતાના ચશ્મા ચડાવીને જ્ઞાતિવાદની કણીઓ આંખમાં નાખવામાં આવે છે. ઉંબાડિયું પકડાવનારા દૂર ઊભા ઊભા હસ્યા કરે છે અને દાઝનારા દાઝ્યા કરે છે અને સિફતથી છેવાડાના માણસને બહાર ધકેલી દેવાય છે.

લોગઆઉટ:

ગલી શેરી મહોલ્લો ને કબરની બહાર રાખ્યો છે,
મને બહુ કાળજીપૂર્વક નગરની બહાર રાખ્યો છે.

જો તારું હોત તો હું પણ ખુશીથી બહાર આવી જાત,
અહીં તો તેં મને મારા જ ઘરની બહાર રાખ્યો છે.

નજરમાં કેમ આવું હુંં કે મારી વેદના આવે,
સદીઓની સદીથી બસ નજરની બહાર રાખ્યો છે.

કદી ના કોઈએ જાણ્યું કે મારા પર વીતી છે શું?
ખબર કેવળ તને છે તેં ખબરની બહાર રાખ્યો છે.

જમાનાની નવી આબોહવાને માન આપીને,
મને સાથે જ રાખીને સફરની બહાર રાખ્યો છે.

- અશોક ચાવડા

સ્મરણોત્સવ અને મરણોત્સવ

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

ભીડમાં યાદો ભલે શાણી બની ગભરાય છે
એકલામાં ભલભલા માણસને ફાડી ખાય છે.
આપમેળે કોઈ પુસ્તકનું વજન થોડી વધે!
ક્યાંક ખૂણે એકલામાં ધૂળ ચોક્કસ ખાય છે.

- મહિમ્ન પંચાલ

સુપ્રસિદ્ધ વેબસિરિઝ ગેમ ઓફ થ્રોનનો વિલન નાઇકિંગ મડદાંઓની ફોજ લઈને માનવ વસાહતો પર ચડાઈ કરવા આવી ચડે છે. સમગ્ર માનવજાતને ખતમ કરી મડદાંઓનું સામ્રાજ્ય સ્થાપવું છે તેણે. તેની માટે તે ખાસ થ્રી આય રેવનને ખતમ કરવા માગે છે. આ થ્રી આય રેવન એક છોકરો છે, જે વર્તમાનમાં બનેલી અને ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓને પ્રત્યક્ષ જોઈ શકે છે. સમજો કે એ સ્મરણોના એક મહાગ્રંથ જેવો છે. કોઈ કહે છે કે તેણે થ્રી આય રેવનને જ શા માટે મારવો છે, એ તો યુવાન છોકરો છે, અપંગ છે. તે જ શું કામ? ત્યારે વેબસિરિઝનું એક મહત્ત્વનું પાત્ર ટાર્લી જવાબ આપે છે. યાદો. એ માનવજાતની તમામ યાદોને ખતમ કરી નાખવા માગે છે. જ્યારે આપણી સારીનરસી યાદો ખતમ થઈ જાય, તેમાંથી મળતો આનંદ કે શોક મટી જાય પછી માણસ અને પ્રાણીમાં કશો જ ફર્ક નથી રહેતો. એ જીવતો શું કે મરેલો શું?

દરેક વ્યક્તિ જીવનમાં એક કરતા વધારે વખત સ્મરણની સાંકડી ગલીઓમાંથી પસાર થાય છે. જ્યાં તે મીઠી યાદોની મહેક તો માણે જ છે, પણ ભૂતકાળમાં બનેલી કડવાશના ઘૂંટડાનો સ્વાદ પણ ફરી અનુભવે છે. યાદો માતાપિતાની હોય કે મિત્રની, પ્રેમની હોય કે નફરતની, વસ્તુની હોય કે વ્યક્તિની, કોઈ નિશ્ચિત જગ્યાની હોય કે અનિશ્ચિત સ્થાનની. એ આપણી અંદર હંમેશાં સંઘરાયેલી રહે છે.

યાદોને જુદી જુદી રીતે અનુભવે છે લોકો. અમુક લોકો ભૂતકાળને યાદ કરીને રાજી થાય છે કે કેવા સરસ મજાના દિવસો હતા. ભૂતકાળને વખાણી વખાણીને વર્તમાનને ભાંડ્યા કરે છે. જ્યારે અમુક એવા હોય છે જે ભૂતકાળના દુઃખને વર્તમાનમાં યાદ કરીને ફરીથી એટલાં જ દુઃખી થાય છે જેટલા ભૂતકાળમાં થયા હતા. અમુક લોકો ભૂતકાળની ખરાબ યાદો એટલા તાજી રાખે કે જેથી વર્તમાનમાં ફરી એ જ ભૂલ ન થાય. અમુક લોકો સ્મરણોની જમાપૂંજી પૂજાની આરતીમાં રહેલા ફૂલોની જેમ સાચવે છે, તેની મહેકને માણે છે - વર્તમાનને જરા પણ નુકસાન કર્યા વિના કે તેને ભાંડ્યા વિના. સ્મરણો રોજબરોજ હૃદયની થેલીમાં વધતાં જ જવાનાં છે. માણસ એક સ્મરણપોથી છે. રોજરોજ ભૂતકાળના પાનાંને વાંચીને શું અનુભવવું તે આપણા હાથમાં છે. જો આપણે તે પાનાંને વાંચીને તેનો મનોમન ઉત્સવ મનાવીએ તો સ્મરણોત્સવ નહીંંતર મરણોત્સવ. અર્થાત્ સ્મરણ ઝેર છે અને મારણ પણ. એનામાં અગ્ની જેવી લાહ્ય છે તો બરફ જેવી શીતળતા પણ છે. એ તીર માફક છાતીમાં ખૂંપે છે તો વળી ફૂલ માફક મહેકવંતા પણ કરે છે.

સ્મરણની થોડી મૂડીથી જીવન- વેપાર માંડ્યો છે,
કદી ત્યાં ખોટ ખાધી છે, કદી ત્યાં લાભ લાગ્યો છે.

આ પંક્તિઓ કોની છે, ખબર નથી. પણ સ્મરણની મૂડીથી જીવનના વેપારમાં થતા નફા-નુકસાનનો ચિતાર સરસ આપે છે.

વર્ષોથી ખાલી પડેલા ઘરની ભીંતે કૂણી કૂંપળો ફૂટી નીકળે અને સમય જતાં તે વૃક્ષનું રૂપ ધારણ કરે તેમ ખાલીપાના ખંડેરની ખખડધજ ભીંતો પર પણ યાદની કૂંપળો ફૂટે છે. તેમાંથી ફૂલોની મહેક મળે છે તો સાથે કાંટા પણ ચૂભે છે.

કવિ મહિમ્ન પંચાલે યાદની સારી અને ખરાબ બંને શક્તિનો ટૂંકમાં અને સચોટ રચિચય આપી દીધો. રણયુદ્ધમાં બાહોશ ગણાતો યોદ્ધો સ્મરણયુદ્ધમાં બેહોશ થઈ જાય છે. દરેક વ્યક્તિ એક જીવંત પુસ્તક છે. તેને વાંચો તો અનેક કવિતાની કળીઓ પુષ્પકળી જેમ ઉઘડતી અને કરમાતી અનુભવાય. રોજ તેમાં કશુંક ને કશુંક ઉમેરાતુંં રહે છે, પાનાં વધતાં રહે છે. ઘણાં વ્યક્તિત્વો ક્યારેય ન વંચાયેલાં પુસ્તકો જેમ રહી જતાં હોય છે. તેમની પર સમયની ધૂળ ચડે છે. જો કે આ ધૂળ તો એકલાપણાનું - ખાલીપાનું - વ્યથાના વલવલાટનું પ્રતીક છે. અને સ્મરણમાં વલોવાવું પ્રથમ શરત છે. તમે જેવા એકાંતની ગલીમાં પગ મૂકશો કે ખાલીપાના ખંડેરમાં પ્રવેશ કરશો કે તરત સ્મરણનું વલોણું ચાલું થઈ જશે. એ તમને ઝેરતું રહેશે.

લોગઆઉટ:

સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે,
બહુ વલોવે છે સ્મરણની એ જ તો તકલીફ છે.

- પ્રણવ પંડ્યા

શરત આવવાની હો તારી અગર

લોગઇન:

ફરી ચાલ, નખને અણી કાઢીએ;
ફરી સ્પર્શ તાજા ખણી કાઢીએ !

શરત આવવાની હો તારી અગર;
બધાં પાન વનનાં ગણી કાઢીએ!

બધી કોર તારી પ્રતીક્ષા કરી;
હવે દોટ કોના ભણી કાઢીએ?

તને કેવી રીતે ભૂલી જાઈએં?
કઈ પેર પગની કણી કાઢીએ?

ઈ તો આપમેળે ઊગે-પાંગરે;
ઈને ચ્યમ કરી ઝટ ચણી કાઢીએ?

– બાપુભાઈ ગઢવી

બાપુભાઈ ગુજરાતી ગઝલમાં થોડું હાંસિયામાં ધકેલાઈ ગયેલું નામ છે. પણ તેમણે જે લખ્યું, નક્કર લખ્યું. તેમની કવિતાનું પુષ્પ હૃદયની ક્યારીમાં ફૂલીફાલી હૃદય અને મનને તો રાજી કરે જ છે, આત્માનું ઓજસ પણ વધારે છે. તેમની એક ગઝલનો મત્લા ખૂબ લોકપ્રિય છે.

તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.

મનહર ઉધાસના સ્વરમાં આ ગઝલ ઠેરઠેર ગુંજતી થયેલી અને ખાસ્સી લોકપ્રિય પણ બનેલી. બે પ્રેમીઓ વચ્ચે સર્જાતી પરિસ્થિતિની વિસંવાદિતામાં કયા પ્રેમીને આ શેર ન લાગુ પડે? ઘણા સંજોગોમાં તો આ શેર શિલાલેખ જેવો સાબિત થાય. બાપુભાઈએ આવા અને ઉમદા અને યાદગાર શેર આપ્યા છે. 

તેમની ઉપરોક્ત ગઝલના દરેક શેરમાં પ્રતીક્ષા પડધાય છે. ફરી નખની અણીથી સ્પર્શને ખણી કાઢવાથી લઈને…. ચણી કાઢવા સુધી પ્રતીક્ષાનો પીંડ વધારે ઘાટો થતો જાય છે. 

પ્રતીક્ષાનું પંખી દરેક વ્યક્તિની જિંદગીના ઝાડ પર માળો બાંધતું હોય છે. કોઈકની ડાળી પર તેનો સમય લાંબો હોય તો કોકનો સાવ ટૂંકો. કોકને તો આયખાભર આ જ ડાળી પર બેસીને બુલબુલ જેમ ગાયા કરવું પડે છે ગીત. ઊજવ્યા કરવુંં પડે છે પોતાનું શબરીપણું. એ પછી પણ પોતાના મનના માનેલ રામ આવે તો ઠીક, નહીંતર એ ગીતને લંબાવ્યા કરવું પડે છે છેલ્લા શ્વાસ સુધી. બધા શબરી કે અહલ્યા જેવા ભાગ્યશાળી ઓછા હોય કે જેની રાહ જોતા હોઈએ તે આવે ! વહાલપૂર્વક બોરની જેમ પોતાની જિંદગીને ચાખે ! અને સ્પર્શથી પથ્થર જેવું થઈ ગયેલું અહલ્યાપણું દૂર કરે ! ઘણાનું જીવન રામમિલન વિનાના શબરીપણા જેવુંં હોય છે. પ્રભુસ્પર્શ વિનાના અહલ્યા જેવું હોય છે. તેમને ક્યારેય નથી સાંપડતી ગમતી વ્યક્તિના મિલનની મહેક. આવાં વ્યક્તિનું જીવન કદી નહીં વંચાયેલ કે કદી નહીં લખાયેલ પ્રતીક્ષાની પોથી જેવું હોય છે, જે ક્યાંક ખૂણેખાંચરે પડી રહે છે, ઊધઈ લાગી જાય ત્યાં સુધી. શબરી અને અહલ્યા તો ભાગ્યશાળી કે તેમને રામ મળ્યા અને તેમની કથા આલેખાઈ રામાયણ જેવા મહાકાવ્યમાં - વાલ્મીકિ જેવા મહાકવિ દ્વારા. કેટકેટલી અધૂરી કથાઓ પ્રતીક્ષામય પડી છે આપણી આપસપાસ આલેખાયા વિના !

ઘણા સંજોગોમાં તો પ્રતીક્ષા એટલી વસમી હોય છે કે કોઈને ખબર પણ નથી પડવા દેવાની હોતી કે આપણે પ્રતીક્ષામાં છીએ. ભીતરની આગને એક રાગ તરીકે આલાપવી પડે છે. ભભકતી જ્વાળાને પુષ્પો તરીકે વ્યક્ત કરવા પડે છે. અને એની મહેકની ચર્ચાઓ કરવી પડે છે ઠાલી ઠાલી. વ્યથામાં બાઝી જતાં ઝળઝળિયાંને હરખનાં આંસુ તરીકે ઉઘાડા પાડવા પડે છે. પ્રતીક્ષાને પીંડને ચોક્કસ ઘાટ આપી શકીએ તો શબરી, નહીંતર આજીવન બેસબ્રી! મોટાભાગના માણસોની જીવન શબરી અને બેસબરી નામના બે પાટા પરથી પસાર થતી ટ્રેન જેવું હોય છે.

બાપુભાઈએ આ ગઝલમાં પ્રતીક્ષાને બરોબર ઘૂંટી છે. ભક્તિમાં લીન ભક્ત શ્રદ્ધામાં ડૂબીને મંદિરનાં પગથિયાં ચડે તેમ આ ગઝલમાં કવિ પ્રતીક્ષારૂપી મંદિરનાં પગથિયાં ચડી રહ્યાં છે. પ્રતીક્ષાના પગથિયાં ચડવામાં તેમને જરાકે દુઃખ નથી. કવિ તો એટલું જ ઇચ્છે છે કે આ બધાં પગથિયાં ચડ્યાં પછીયે જેની ઝંખનાં છે તેનાં દર્શન થવા જોઈએ. રાહ જોવામાં કશો વાંધો છે જ નહીં, આવવાની શરત હોય તો તો આખા જંગલનાં એકેએક પાનને ગણી કાઢવાની તૈયારી છે. એકએક દિશામાં નેજવું કરીને નજર નાખવાની તત્પરતા છે. પણ બધી દિશાના દરવાજા પર સજ્જડબંબ તાળાં લાગી જાય ત્યારે કઈ બાજુ નજર નાખવી?

અગન રાજ્યગુરુએ પણ પ્રતીક્ષાને પોતાની ગઝલમાં સરસ રીતે ઘૂંટી છે.


લોગઆઉટ:


કોને ખબર છે ક્યારે તારી જુદાઈ જાશે,
લાગે છે વૃક્ષનાં સૌ પર્ણો ગણાઈ જાશે.

એની નજર પડે આ સંયમ ઉપર તો સારું,
ઝાઝું હસાવશે તો શાયદ રડાઈ જાશે.

છે ભાગ્ય પર ભરોસો કે ચાલવા જશું તો,
રસ્તા વચાળે ઊંચી ભીંતો ચણાઈ જશે.

તો પણ મને છે આશા કાગળની નાવ પાસે,
જાણું છું મેઘ વધતાં હમણાં તણાઈ જશે.

તારા વિરહની પીડા એવી હદે વધી છે,
કે બોલવા જશું તો ગઝલો ગવાઈ જાશે.

મારા જીવન વિશે કૈં પૂછો નહીં તો સારું,
બાકી ‘અગન’ તમારી આંખો ભરાઈ જાશે.

– ‘અગન’ રાજ્યગુરુ

કાઢું તમસ ભીતરના પ્રકટાવું એક હોળી

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

બાળું અનિષ્ટ જગના પ્રકટાવું એક હોળી
કાઢું તમસ ભીતરના પ્રકટાવું એક હોળી

આસુરી વૃત્તિ ડામું, ભય, ક્રોધને મિટાવું
સંતાપ ખાળું મનના, પ્રકટાવું એક હોળી

~ અજ્ઞાત

હોળીમાં આગ છે, ધૂળેટીમાં રંગ. હોળીમાં ભભકતી જ્વાળાની જલન છે, ધૂળેટીમાં રંગપીચકારીઓની છાલક. એકમાં પ્રેમ, ઉમંગ અને મસ્તીભર્યો માહોલ છે, જ્યારે બીજામાં અગનજાળ સામે અડગ રહેતી ભક્તિની શક્તિ. જિંદગી આવા બે છેડા એક સાથે લઈને ચાલે છે. જ્યારે તમે જીવનના મહત્ત્વના આનંદમાં લીન હોવ ત્યારે જ કોઈ છાના ખૂણે ચુપચાપ એક તણખો પડતો હોય છે, જે સમય જતાં હોળીનું રૂપ ધારણ કરે છે. તેમાંથી ઊગરી ગયા તો પ્રહલાદ્ ને બળી ગયા હોલિકા!

આપણે આપણી પુરાણકથાને આદર આપીને તેનો તહેવાર ઊજવીએ છીએ. એ આપણી સંસ્કૃતિ છે, તહેવારરૂપે આપણે તેનું સન્માન કરીએ છીએ. પણ જીવનમાં ડગલે ને પગલે હોળી અને ધૂળેટી તો ઊજવાતી જ રહે છે. નાનાં નાનાં સુખનાં કેટકેટલા રંગો છે જીવનમાં અને જોઈએ તો પીડાનો પણ પાર નથી. ઘણા અવસરોમાં તો હોળીની આગ સળગે છે કે ધૂળેટીનું રંગીન મેઘધનુષ રચાઈ રહ્યું છે તે કળવું અઘરું પડી જાય છે. ભેદરેખા નથી દોરી શકાતી.આનંદ અને શોક એક જ પ્રકારના કપડાં પહેરીને આવી જાય છે. જાણે ફિલ્મમાં આવતા બે ડુપ્લીકેટ પાત્રો. કયું પાત્ર કોણ છે સમજાય જ નહીં.

દીકરીની વિદાયના પ્રસંગ કેવો સુંદર છે, છતાં કરૂણ પણ ખરો. નવસંસાર ઉત્સવ છે, તો સાથે એક પરિવારથી અળગા થવાનો રંજ પણ છે. એક બાજુ કાળજાનો કટકો, જે વીસ પચીસ સુધી ઘરમાં રહ્યો. ઘરના ખૂણેખૂણાને કિલકારીઓથી ગૂંજતો કર્યો, એને હંમેશ માટે - પારકી થાપણ ગણીને બીજાને સોંપી દેવાની, અને એ પણ હસતા હસતા. અહીં સ્મિતના રંગો તો છે જ, આનંદનો અબીલગુલાલ તો ઉડે જ છે, પણ હૃદયમાં એક પ્રકારની જ્વાળા પ્રકટી રહી છે, કાયમી વિદાયની વસમી આગ લાગેલી છે ભીતર. દીકરી વિદાયના પ્રત્યેક પ્રસંગે માબાપના મનમાં હોળી અને ધૂળેટી ઉજવાઈ જાય છે અને આ ઘટનાની જાણ માત્ર તે બેને જ હોય છે.

અનેક પ્રસંગો જીવનમાં સુખ અને દુઃખ એક સાથે લાવે છે. તહેવારો આપણને એ જ તો શીખવે છે! આનંદ અને શોકની વચ્ચેથી નીકળતી એક પાતળી રેખા જ કદાચ ભાગ્યરેખા છે. દરેક વ્યક્તિમાં બે વ્યક્તિ જીવે છે, એક છે હિરણ્યકશ્યપ, બીજો પ્રહલાદ. સંજોગ પ્રમાણે બંને ગુણો વ્યક્તિત્વમાં ડોકિયા કર્યા કરે છે. ઘણાને ખરાબ નથી થવું હોતું, પણ સંજોગોની આંટીઘૂંટીમાં એવા અટવાય છે, ગોથે ચડે છે કે પરાણે પથ્થર થવું પડે છે. બાકી ફૂલ જેવા નરમ, રંગીન, સુગંધિત અને બધાનું સન્માન પામવાની ઝંખના કોને ન હોય? અને સામે પક્ષે અમુક ધરાર પથ્થર થતા હોય છે. વાતાવરણ અનુકૂળ હોય, જમીન ફળદ્રુપ હોય, હવા માપસર હોય, ખાતરપાણી સમયસર મળી રહેતા હોય છતાં ફાલવું જ ન હોય તેનું શું કરી શકાય? જેમને ધરાર હિરણ્યકશ્યપ થવું છે, અનીતિનો માર્ગ જ અપનાવવો છે, અંધારને જ પોતાની ઓળખ બનાવવી છે, ખરબચડા થઈને બીજાને વાગવું છે, તેનો ઇલાજ તો ભગવાન પણ ન કરી શકે. વિવેકાનંદે કહેલું, ભગવાન તેને જ મદદ કરે છે, જે પોતાને મદદ કરે. આવાં વ્યક્તિત્વની સાથે રહીએ ત્યારે જ આપણા પ્રહલાદપણાની ખરી પરીક્ષા થતી હોય છે.

લોગઇનમાં આપેલી કવિતાના કવિ કોણ છે, ખબર નથી, પણ તેમણે જીવનના અનિષ્ટ આગને હવાલે કરીને તેમાંથી અજવાળું મેળવવાનો માર્ગ અપનાવવાની વાત સરસ રીતે કરી છે. દરેક વ્યક્તિની જવાબદારી છે, પોતાનાં અનિષ્ટને નષ્ટ કરવાની. પોતે જ પોતાની હોળી થઈને બળીશું તો આપોઆપ ધૂળેટીના રંગીન મેઘધનુમાં મહાલી શકીશું. ઘણી વાર આગ જરૂરી હોય છે, શેકાઈને પાકા થવા માટે. કુંભારે ઘડેલું માટલું જો આગની ભઠ્ઠીમાં ન તપે તો તેમાં પાણી ક્યાંથી ભરી શકાય? જીવન તપશે નહીં તો અમૃતજળ ક્યાંથી પામી શકાશે? જ્યારે તમે દુઃખની ભઠ્ઠીને ધીક્કારો છો ત્યારે સમજી લેવું કે તમે પાકા થવા નથી માગતા. પીડા ઘડતર છે જિંદગીનું. પીડા વિના પૂર્ણતા નથી. તમામ ધર્મગ્રંથો, નીતિ-અનીતિના પાઠ કે પ્રેરણાત્મક વાર્તાઓ શું શીખવે છે? આ જ ને! જીવનમાંથી અંધાર દૂર થાય અને અજવાળું પ્રવર્તે. દુઃખ ભાગે, સુખ આવે. ન્હાનાલાલે કહ્યું છે તેમ દરેક અંતરાત્માની એક જ પ્રાર્થના હોય છે.

લોગઆઉટ:

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા
- ન્હાનાલાલ

સરકારી હોર્ડિંગનો છાંયડો

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

આજ સુધી એને
એક પણ સરકારી યોજનાનો
લાભ મળ્યો ન હતો . .

જિંદગીથી હતાશ,
પરસેવે રેબઝેબ એવો એ
એક દિવસ છાંયડો શોધી
ફૂટપાથ પર બેઠો . .

એટલી ટાઢક વળી કે
છાંયડો શેનો છે એ જાણવા
કુતૂહલવશ એણે નજર ફેરવી . .

અંતે એને
એક સરકારી યોજનાનો લાભ
મળી જ ગયો . .

એ છાંયડો હતો
સરકારી યોજનાના
એક મસમોટા હોર્ડિંગ બોર્ડનો !

- નિનાદ અધ્યારુ

ભારતમાં દર પાંચ વર્ષે પંચવર્ષીય યોજના લાગુ કરવામાં આવે છે. પહેલી પંચવર્ષીય યોજના 1951થી 1956 સુધી કરવામાં આવેલી, જેનો ખર્ચ 2,069 કરોડ રૂપિયા હતો. એ પછી દર પાંચ વર્ષે આ યોજના નવી રણનીતિ સાથે લાગુ કરવામાં આવી, જેમાં ગરીબી અને મોંઘવારી ઘટાડવી, શિક્ષણ અને આરોગ્યની સવલતો વધારવી. સામાન્ય માણસને ઉપર લાવવો. સામાજિક ભેદભાવો દૂર કરવા, આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધવી. ગરીબોના કલ્યાણ અને સહાય માટેનાં પગલાં લેવાં… જેવાં અને પ્લાન ઘડવામાં આવ્યા. 1951થી લઈને અત્યાર સુધીમાં બારેક પંચવર્ષીય યોજનાઓ લાગુ કરવામાં આવી અને તેમાં અબજો રૂપિયા ખર્ચાયા, પણ શું દેશમાંથી ગરીબી નાબૂદ થઈ? શિક્ષણનું સ્તર સુધર્યું, બીમારીઓ ઓછી થઈ? સ્વાસ્થ્યનુંં સ્તર ઊંચું આવ્યુંં? મોંઘવારી ઓછી થઈ? ભૂખમરો નાબૂદ થયો? છેવાડાનો માણસ બે પાંદડે થયો? ખેડૂતો ઊંચા આવ્યા? તેમને તો આજે પણ - આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ પોતાના હક માટે રેલીઓ કરવી પડે છે. જાતિભેદ સરકારી ચોપડે તો ખતમ થઈ ગયો, પણ આજેય એક દલિતનો વરઘોડો નીકળી શકતો નથી. અદમ ગૌંડવીનો શેર યાદ આવે છે.

તુમ્હારી ફાઈલો મેં ગાંવ કા મૌસમ ગુલાબી હૈ,
મગર યે આંકડે જૂઠે હૈ, યે દાવા નબાવી હૈ.

સરકારી ચોપડા તો સરકારના ગુણગાનથી ભરેલાં છે. એમાં ગુણ કોના અને ગાન કોના એ કહેવાનની જરૂર નથી. જેવું બજેટ મંજૂર થાય કે અધિકારીઓના ઓળખીતા પાળખીતાના ટેન્ડરો આપોઆપ મુકાઈ જાય, પાસ થઈ જાય અને તેમના બેન્ક એકાઉન્ટમાં રૂપિયાની રેલમછેલ થઈ જાય. જેના નામે યોજના લાગુ કરાઈ હોય એ તો બાપડો જાણતો પણ ન હોય કે આપણી પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. એ તો પડ્યો હોય છે ક્યાંંક ખેતરના શેઢે કે ફૂટપાથ પર. ગરીબ તો કહેવાતા ધનલોલુપો માટેનો રસ્તો છે. તેમના નામે પોતાના તરભાણા ભરવાનો. આટઆટલી પંચવર્ષીય યોજનાઓ પછી પણ ગરીબી, બીમારી અને ભૂખમરામાં રતિભાર પણ ફર્ક ન પડતો હોય તેનો અર્થ શું છે? ગરીબો આજે પણ ફુટપાથ પર પોતાની રાત કાઢે છે. ઝૂંપડપટ્ટીઓ આજે પણ એટલી ને એટલી જ છે. સવાલ એ છે કે તો પછી આ અબજો રૂપિયાનું થાય છે શું? દર પાંચ વર્ષે બજેટમાં મૂકાતા હજારો કરોડના આંકડાવાળી રકમ ખર્ચાય છે ક્યાં? ગરીબરથ નીકળીને કોના બંગલા સુધી જાય છે?

નિનાદ અધ્યારુએ ખોખલી સરકારી યોજનાઓ પર લપડાક મારી છે. ગરીબરથ નીકળે છે, પણ તેમાં બેઠા હોય છે ધનવાનો. ઘરનું ઘરની જાહેરાતો થાય છે, પણ તે ઘરના બજેટમાંથી બને છે મળતિયાઓના બંગલા, ભૂખમરો નાબૂદી માટે ખર્ચાતા કરોડો રૂપિા જાય છે ધરાયેલાની થાળીમાં, ખેતી અને ખેડૂતો માટે ઢગલાબંધ રૂપિયા બજેટમાં મૂકાય છે, પણ તે જાય છે, શેઠિયાઓના ખિસ્સામાં. ગામડાગામનો ખેડૂત તો બિચારો એ યોજનાઓથી અજાણ પોતાની ખેતીમાં મસ્ત હોય છે. સરકારને એવો રસ પણ નથી કે તે ખરેખર જાણે અને તેનો લાભ લે. તેમને રસ છે પોતાની સરકાર ટકાવવામાં. કોઈ પણ ભોગે અને કોઈ પણ શરતે.

સમાજની આ જ વીડંબના છે. કવિ આવી વિડંબના જુએ છે ત્યારે તેનું હૃદય કકળી ઊઠે છે. તેના કકળતા હૈયામાંથી સત્યના મોતી સરી પડે છે અને તેમાંથી રચાય છે કવિતા. સમાજમાં પ્રવર્તતી અનીતિ એક કવિને અંદરથી ડિસ્ટર્બ કરી નાખે છે. તે પોતે તેની સામે ક્રાંતિકારી તો નથી થઈ શકતો, પણ કવિતારૂપી હથિયાર ઉગામી ક્રાંતિ માટેનો માર્ગ ચોક્કસ ઉઘાડો કરે છે. માનવજીવનમાં ચાલી રહેલી આવી બદીઓ સામે બત્તી કરી લોકોનું ધ્યાન ખેંચવું એ પણ એક મુહીમ છે. ઘણા લોકો આવા અન્યાય પર પછેડી ઢાંકવામાં જ સમય કાઢતા હોય છે, જ્યારે શબ્દસેવી સાચો કવિ તો તેવી પછેડીઓને ફાડતો હોય છે અને આવાં વિકૃત સત્યને સમાજ સામે લાવીને મૂકી દેતો હોય છે. પછી સમાજે નક્કી કરવાનું કે આ અન્યાય સામે આંખ મીંચામણા કરવા કે તેનો ઉકેલ લાવવો.

લોગઆઉટ:

'ઘરનું ઘર' એ યોજનાના બેનરોને,
કંઈક લોકો છત તરીકે વાપરે છે.

- કુણાલ શાહ

દૃશ્યોમાં એકધારી ભાષા નથી તો શું છે?

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

દ્રશ્યોમાં એકધારી, ભાષા નથી તો શું છે?
ખુલ્લી રહેલ બારી, ભાષા નથી તો શું છે?

ભીના ભરેલ ભાવે સૌંદર્ય થઇ ગયેલી –
ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે?

કાળી સડક પરે જે પ્રસ્વેદથી લખાતી
મઝદૂર-થાક-લારી, ભાષા નથી તો શું છે?

ડૂબી શકે બધુંયે જેની હ્રદયલિપિમાં
અશ્રુસમેત નારી, ભાષા નથી તો શું છે?

ફૂટપાથની પથારી, ભૂખ્યું સૂતેલ બાળક
ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે?

જૂના જ શબ્દમાં કૈં પ્રગટાવજો અપૂર્વ
એ માગણી તમારી, ભાષા નથી તો શું છે?

એનાં હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના
આ વેદના અમારી, ભાષા નથી તો શું છે?

- નિર્મિશ ઠાકર

સાહિત્યનું વહન ભાષા થકી થાય છે. ભાષા નામના વાહનમાં બેસીને તે તમને તેમને કલ્પનાના રંગીન મેઘધનુષ્યો બતાવે છે. તમે તેના ભાવમય રંગોમાં લીન થઈને ક્યારેક હસી પડો છો, તો ક્યારેક ભીની આંખને લૂછવા રૂમાલ ગોતો છો. વળી એ રૂમાલ પણ કોઈ પ્રિયજનનો હોય તો એક નવા રંગના દર્શન થાય. સાહિત્ય આંસુ અને સ્મિત, આનંદ અને શોક, ક્રોધ અને ઘૃણા, સંસ્કૃતિ અને વિકૃતિની છબીઓ ભાષાની દીવાલ પર ટાંગે છે. એક શિલ્પકાર છીણી અને હોથોડી વડે પથ્થરને કોતરે છે, તે જ રીતે સાહિત્યકાર સામે ભાષાની એક મોટી શિલા છે, તેને કોતરવા માટે તેની પાસે વિચારો અને મનોમંથનની છીણી-હથોડી છે. શબ્દોના ટોચા મારી મારીને તે શિલ્પ બનાવે છે, તેને આપણે ક્યારેક કવિતાનું નામ આપીએ તો ક્યારેક વાર્તાનું. ક્યારેક નવલકથાનું તો ક્યારેક નિબંધનું.

ભાષા એક રીતે આર્ટિફિશિયલ છે. માનવની પોતાની શોધ છે, ઈશ્વરદત્ત નથી. જરૂરિયાત પ્રમાણે માણસ સંકેત, શબ્દ અને ભાષાનું માળખું રચતો ગયો. વાત અને વ્યહાર માટે સર્જાયાયેલી ભાષા ધીમે ધીમે કલાનું રૂપ લેતી ગઈ. વ્યવહારમાં વપરાતી ભાષાને નોખી રીતે ખપમાં લઈ તેમાંથી કશુંક વિશેષ કહેવાની ઝંખાનાએ કદાચ સાહિત્યની સરવાણી વહેવડાવી હશે. પણ મૂળ માધ્યમ તો ભાષા જ ને. આ ભાષા ભલે રોજબરોજ ઉપયોગમાં લેવાતી ભાષા હોય, પણ તેમાંથી જે નિપજે છે, તે કશુંક અલગ હોય છે. એક અંગ્રેજ કવિએ કહેલું, શબ્દોને બાદ કર્યા પછી જે બચે તે કવિતા.

કાવ્યસર્જન માટે વિશેષ આંખ અને દૃષ્ટિ જોઈએ છે. માણસો જ નહીં, નિર્જીવ વસ્તુને પણ વાંચવાની ત્રેવડ વિકસવા માટે ત્યારે આપોઆપ કવિતાનો અંકૂર ફૂટવાની શરૂઆત થઈ જાય છે. તમારું ચિત્ત જડ પથ્થરના મોઢે ભાષા મૂકતું થઈ જાય, વૃક્ષોની હરિયાળી કે ઉજ્જડતા તમારી આંખને વંચાવા માંડે, રસ્તે રઝળતો કંગાળ કે સંપત્તિમાં આળોટતો ધનવાન તમને એક શબ્દ બોલ્યા વિના ઘણું કહેવા માંડે ત્યારે સમજવું કે કવિતા પોતાના દ્વાર ઉઘાડવા મથી રહી છે. બંધ કે ખુલ્લી બારી તમને સંકેત આપે છે કશુંંક કહેવા માટે. એ સંકેત - એ ભાષા તમારાં અંતરાત્માના કાને પડઘાવા લાગે ત્યારે આપોઆપ આંગળીઓ કલમને ઝંખવા માંડશે.

પ્રકૃતની દરેક વસ્તુ કંઈક કહેવા માગે છે, માત્ર તેને સાંભળવા જેટલો કાન સજ્જ કરવાનો છે, આપોઆપ તમને તેની ભાષા આવડી જશે, તેની માટે વાણીનું વ્યવહારુ વ્યાકરણ શીખવાની જરૂર નથી. ડાળી પર લકટતું ફૂલ કે તૂટીને ક્યારીમાં એકઠાં થયેલાં ફૂલો, મંદિરમાં ઈશ્વરના ચરણે પડેલ ફૂલો કે કોકની મૈયત પર મૂકાયેલ પુષ્પો, મજદૂરની હાથદારી કે તેનો થાક-પરસેવો, કોઈ અસહાય નારી, કે રસ્તે રઝળતું બાળક, કોઈ વૃદ્ધનું બોખું સ્મિત કે બે નવયુવાન હૈયાનું પરસ્પર ધબકવું, ચાર આંખનું એક થવું, સ્મિતની શરણાઈમાં લીન થવું…. ખડખડાટ હાસ્ય કે પીગળીને આંસુ ન થઈ શકેલો ડૂમો… આ બધું જ એક પ્રકારની ભાષા છે. જ્યારે આ વેદના-સંવેદનાની લિપિ ઉકેલતા આવડી જ્યારે ત્યારે હૃદયની ભૂમિ પર એક અલગ પ્રકારની ભાષાના ફણગા ફૂટે છે. એને જ કદાચ આપણે કવિતા, વાર્તા કે નવલકથા કહીએ છીએ.

ઘણી એવી ઘટનાઓ હોય, જ્યાં ભાષા સીધી રીતે કામ ન કરે, તે ગેરહાજર રહીને હાજરી પૂરાવે. નર્મિશ ઠાકરે આવી નાજુક સ્થિતિને ગઝલમાં સરસ રીતે કંડારી આપી છે. ગુજરાતી ભાષાના અચ્છા કવિ, કાર્ટૂનિસ્ટ, હાસ્યલેખક નિર્મિશ ઠાકરને આપણે થોડા સમય પહેલા જ ગુમાવ્યા. સાહિત્યકાર ક્યારેય મૃત્યુ નથી પામતો તે માત્ર ક્ષરદેહે વિદાય લેતો હોય છે, અક્ષર દેહે તો એ હંમેશાં હયાત હોય છે આપણી વચ્ચે. એ માત્ર મૃત્યુ નામના અંધકારમાં લીન થાય છે, દેખાતા બંધ થાય છે, પણ અનુભવાતા બંધ ન થાય, જ્યાં સુધી તેમનું સાહિત્ય રહે ત્યાં સુધી તે કોઈ ને કોઈ રૂપે અનુભવાતા રહે છે.

લોગઆઉટ:

વૃક્ષ ગાતું ઘેનભીનું ગાન, અંધારું કરો !
આંખ મીંચે છે બધાંય પાન, અંધારું કરો !

ઓગળ્યાં આ વૃક્ષ, પેલા પહાડ ને ઝાંખી નદી,
ધુમ્મસો શાં ધૂંધળાં મેદાન, અંધારું કરો !

ફૂલ નહીં તો ફૂલ કેરી પાંખડી ! આ શ્વાસથી –
વેદનાને આપવાં છે માન, અંધારું કરો !

મૌન ઝીણું કૈંક બોલે છે અને એકાંતના –
છેક લંબાતા રહે છે કાન, અંધારું કરો !

ધ્રૂજતા બાહુ પસારે છે હવાયે ક્યારની !
સ્પર્શ ઊભા છે બની વેરણ, અંધારું કરો !

- નિર્મિશ ઠાકર

બાળક, ભૂખ, વિસ્મય અને લાચારી

લોગઇન:

બાળકે શું કામ દોરી ભાખરી,
શિક્ષકે આપી વિષયમાં તો પરી.
ખાસ રડવાનું હતું કારણ છતાં,
ના રડ્યાં, આંખોની તાજી સર્જરી.

- ગુંજન ગાંધી

કવિતામાં બાળક અને ભૂખ, બાળક અને ગરીબી, બાળક અને સામાજિ વિસંવાદિતા જેવા અનેક વિષયે ખૂબ સુંદર નિરૂપણ થયાં છે. નિદા ફાજલીનો આ દુહો કોને નહીં યાદ હોય?

બચ્ચા બોલા દેખ કે મસ્જિદ આલીશાન,
અલ્લા તેરે એક કો તના બડા મકાન?

સ્વાભાવિક રીતે જ બાળકને આવો પ્રશ્ન થાય. પણ આવો પ્રશ્ન ક્યારે થાય? જ્યારે બાળક દસ બાય બસની ઓરડીમાં ભીંસોભીંસ માણસો સાથે રહેતું હોય. રાત્રે કોણ ક્યાં ઊંઘશે તેની રોજ પળોજણ થતી હોય. બે માણસ મહેમાન આવી ચડે તો ઘર આખું ફાંફે ચડે એવી નોબત હોય ત્યારે બાળકને સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે અહીં આટઆટલા માણસો રહીએ છીએ, એક નાનકડી ઓરડીમાં અને આ ભગવાન તો જુઓ. પોતે એકલો રહે છે અને આટલી બધી જગ્યા રોકીને બેઠો છે!

પ્રણવ પંડ્યાની ગઝલ ‘પ્રભુપંચાયતમાંં બાળક’ આ વિષયને સરસ રીતે ન્યાય આપે છે. પ્રભુની પંચાયતમાં બાળક પોતાની વાત રજૂ કરી રહ્યું છે. તેમાં એક અદભુત શેર છે-
બળથી બાળક તને જો વંદે તો,
બાળમજદૂરી ન ગણાય પ્રભુ?

મોટાભાગના માતાપિતાઓ મંદિરમાં જઈને બાળક પાસે આવી બાળમજૂરી કરાવતા હોય છે. જે-જે કરો બેટા - જે જે કરો બેટા… કહીને છોકરાનું લોહી પી જાય. પેલા બિચારાને પગે ના લાગવુંં હોય, રમવું હોય, આમથી તેમ દોડવુંં હોય, ખરેખર તો એનું આ રમવું એ જ ઈશ્વરને પાયલાગણ બરોબર છે. પણ મોટેરાઓના ગણિત જુદાં હોય છે. ઈશ્વરને બાળક વંદે તેમાં ઈશ્વરના આશીર્વાદ કરતા અન્ય લોકો પોતાના બાળકને કેટલું ડાહ્યું ગણે છે તેમાં તેમને વધારે રસ હોય છે.

બાળક પોતાના વિસ્મયભર્યા જગતમાં રમમાણ રહે છે. ઘણી વાર સહજ રીતે તે બહુ મોટી વાત કરી નાખે છે. મોટારાઓને મગજમાં તો એવી વાત આવે પણ ક્યાંથી? એમના મનમાં તો મોટપણાનો ભાર મૂકાઈ ગયો હોય. સહજતા ઉપર સામાજિકતાના થર ઉપર છર ચડી ગયા હોય. સમજણના પથરા મૂકાઈ ગયા હોય. ગૌરાંગ ઠાકરનો શેર આ ક્ષણે યાદ આવે-

દોસ્ત વિસ્મય વષય તો અઘરો છે,
કોઈ બાળક વગર ભણાય નહીં.

વિસ્મય વિષય મોટેરાઓ માટે ખૂબ કપરો છે. તેની માટે બાળક થવું પડે. ગુંજન ગાંધીએ આવા સહજ વિસ્મયની કેડી પર ચાલીને અદભુત શેર નિપજાવ્યો છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે શિક્ષકે તમામ બાળકોને એક સુંદર પરીનું ચિત્ર દોરવા કહ્યું છે, તો પછી પરી દોરવાને બદલે એક બાળકે ત્યાં ભાખરી શું કામ દોરી? કવિ તો આટલું કહીને અટકી જાય છે, પણ ભાવક સમજી જાય છે બાળકની ભૂખ, તેની લાચારી, તેના ઘર, પરિવાર અને મનમાં ઘેરાતા અતૃપ્તિનાં વાદળો. ઘર, પરિવાર, ગરીબાઈ, અછત અને લાચારી ઘણું બધું છતું થાય છે બે પંક્તિ દ્વારા. પન્નાલાલ પટેલે પોતાની સુપ્રસિદ્ધ નવલકથા ‘માનવીની ભવાઈ’માં લખેલું ભૂંડામાં ભૂંડી ભૂખ ને એથી ય ભૂંડી ભીખ. આ નવલકથા પરથી સુંદર ગુજરાતી ફિલ્મ પણ બનેલી, જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી મુખ્ય અભિનેતા હતા. છપ્પનિયા દુષ્કાળનું વરવુંં ચિત્ર ઊભું કરતી આ નવલકથા ભૂખને ખૂબ ઊંડાણપૂર્વક આલેખી આપે છે. ભૂખ માણસને શું ન કરાવી શકે? પણ ભીખ માગવી એનાથી ય વધારે કપરી લાગી પન્નાલાલને. ખેડૂત હતાને! જગત માટે ધાન ઉગાડતા ખેડૂતને પોતે ધાન માટે રઝળવું પડે - ભીખ માંગવી પડે એ એમનાથી ક્યાંથી સહન થાય?

ગુંજન ગાંધીએ બાળકના વિસ્મય દ્વારા ઘણું બધું કહી દીધું છે. બાળક પરીને બદલે ભાખરી દોરવા માંડે ત્યારે સમજી લેવું કે ભૂખ અને લાચારીના ડંખ અસહ્ય થઈ રહ્યાં છે. બીજો શેર પણ ધ્યાન ખેંચે છે. રડી પડાય અને રડવું જ પડે એવી નોબત આવી ગઈ છતાં ન રડ્યા, તેનું કારણ? તો કહે આંખોની સર્જરી કરાવેલી છે. રડે તો આંખને નુકસાન થાય તેમ છે. ડોક્ટરની સ્પષ્ટ ના છે, આંસુ આવશે તો આંખને ભારે નુકસાન થશે. ખારાશ હાનીકારક છે. પણ નહીં રડીને હૃદયને અને મનને જે નુકસાન થાય તેનું શું? ખેર આ જો જીવનની વિડંબના છે.

લોગઆઉટ:

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો
એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,
દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે ..
- શૂન્ય પાલનપુરી