ગઝલો લખું છું દર્દ ભરી, ત્રસ્ત હાલ છે

ગઝલો લખું છું દર્દ ભરી, ત્રસ્ત હાલ છે;
ને આપ ‘વાહ વાહ‘ કરો છો, કમાલ છે!

સંબંધ, પ્રેમ, મિત્ર, સ્વજન સર્વ માર્ગ પર;
જ્યાં જ્યાં મૂકું છું ડગ બધે કેળાની છાલ છે.

ચિંતા કરી રહ્યા છો કે ચિંતન આ વાત પર?
નફરત અમારી કેવી હશે જો આ વ્હાલ છે!

આ મૂક્યું લો તણખલું મેં મારા સ્વમાનનું,
વંટોળિયા તસુ ય હલાવે મજાલ છે!

સિદ્ધિનું કાં રહસ્ય પૂછો માત્ર સિદ્ધને?
પૂછો જરાક એને ય જે પાયમાલ છે!

નીંદક ! નથી હજીય મળ્યો આપને જવાબ?
મારા આ મૌન સ્મિત વિશે શું ખયાલ છે?

‘કાલે ફરી મળીશું?‘ કદી પૂછવાનું હોય?
જબરા છો, આ સવાલ એ કાંઈ સવાલ છે!

- અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો