એ હું જ છું...

બુદ્ધનું અંતિમ જે નિર્વાણ છે એ હું જ છું,
દેહમાંથી જઈ રહેલો પ્રાણ છે એ હું જ છું.

જ્યાં સુધી પ્હોંચે નજર પાણી જ પાણી છે બધે,
મધ્યમાં ડૂબી રહેલું વ્હાણ છે એ હું જ છું.

હું જ પંખીની તકાયેલી નજીવી આંખ છું,
ને ધનુષ ઉપર ચઢેલું બાણ છે એ હું જ છું.

દૂર તારાથી જવા મથતો રહું છું એ ય હું,
તારું જેને કાયમી ખેંચાણ છે એ હું જ છું.

શાંત થઈને બેઠું છે જે તારામાં એ હું જ છું,
હરપળે તારામાં જે રમખાણ છે એ હું જ છું.

~ અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો