દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં? દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.

– જવાહર બક્ષી

જવાહર બક્ષીનો આ શેર ખૂબ માર્મિક છે. ઘણાને એમ થતું હશે કે કોઈ વ્યક્તિનો અભાવ હોય તો અભાવની સ્થિતિમાં ઉત્સવ ક્યાંથી થઈ શકે? ‘અભાવ’ શબ્દમાં જ ‘ભાવ વિનાનું’ એવો અર્થ આવી જાય છે. ભાવ ન હોય ત્યાં અભાવ હોય આવું આપણું સાદું ગણિત છે. પણ અહીં જવાહર બક્ષી ગમતી વ્યક્તિની ગેરહાજરીને ઉત્સવ બનાવી દે છે. કવિની આ જ તો ખૂબી હોય છે. તે અડધી રાતે ચંદ્રને ઢાંક્યા વિના સૂર્યને ઊગાડી શકે છે. પુષ્પને નિચોવ્યા વિના તેનું અત્તર બધે પહોંચાડી શકે છે. જવાહર બક્ષીએ પ્રેમના અભાવને ઉત્સવ બનાવી દીધો. તે પ્રિય વ્યક્તિને ઉલ્લેખીને કહે છે કે, તારા અભાવમાં મારી અંદર કશુંક ઉત્સવ જેવું ઉજવાઈ રહ્યું છે. અને આ ઉત્સવના ભાગરૂપે આંખમાં મેળો ભરાય છે. અભાવથી તરબતર સ્થિતિમાં કોનો મેળો ભરાયો હોઈ શકે આંખમાં - આંસુ સિવાય? અને આસુંના કારણમાં શું હોઈ શકે - ગમતી વ્યક્તિની ગેરહાજરી સિવાય? પ્રિય પાત્રની યાદોમાં મન સ્મરણોની સુગંધમાં ગળાડૂબ હોઈ શકે અથવા તો સ્મરણોના સહરામાં ક્યાંક ભટકી રહ્યું હોય એમ પણ બને. ઘેરી ઉદાસીમાં ગરકાવ થઈ જાય તોય નવાઈ નહીં. યાદો તો મીઠી પણ હોય અને કડવી પણ. કડવી યાદો મગજ પર વધારે ઘાટ્ટા લીટા પાડતી હોય છે. એની ખાસિયત એ છે કે જેમ જેમ એને વિસરવા મથીએ એમ એમ એ વધારે તાજી થતી જાય છે. અને આપણી પીડા પણ એ જ છે કે આપણે જેને વધારે ભૂલવા મથીએ એ જ વધારે યાદ આવે છે. જેનાથી સાવ ખાલી થવા માગતા હોઈએ, એનાથી જ છલકાયા કરતા હોઈએ છીએ!

ખલીલ ધનતેજવીનો એક સરસ શેર છે, ‘દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું, દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે!’ આવી સ્થિતિમાં ક્યાંથી દરિયો તરી શકાવાનો? ઉર્દુમાં પણ કંઈક આવા જ ભાવાર્થવાળો એક શેર છે, તેમાં હંમેશ માટે વિખૂટી થઈ ગયેલી પ્રેમિકાને ઉદ્દેશીને કહેવાયું છે કે મારે તને ભૂલી જવાની છે એ વાત હું રોજ ભૂલી જાઉં છું. મરીઝના શેરમાં દર્શાવાયેલી વિચિત્રતા પણ જોવા જેવી છે, તેમણે લખ્યું છે, ‘કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું, ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.’ નસીબમાં આખી જિંદગી પ્રિય પાત્રના વિરહમાં વિતાવવાની છે એ નક્કી જ છે, અને કરૂણતા એ છે કે તેની સાથે જે જે સ્થળે હર્યાભર્યા, જે જગ્યાએ મળીને જિંદગીની અદ્ભુત વાતો કરી, એ જગ્યા વિસરાતી નથી. કાશ કે જે વ્યક્તિ જીવનમાં ક્યારેય મળવાની જ ન હોય, તેની સાથેની યાદો પણ મગજમાંથી ભૂંસી શકાતી હોત તો કેટલું સારું! એની સાથે હર્યા ફર્યા, જે સ્થળે સાથે બેઠા, વાતો કરી એ બધું જ ડિલિટ કરી નખાતું હોત તો આપણે એ સમયના બોક્ષમાંથી હંમેશાં આઝાદ થઈ શકત, પણ એવું થઈ શકતું નથી. હોલિવુડમાં એક ફિલ્મ છે - eternal sunshine of the spotless mind. તેમાં બે વ્યક્તિઓ એકબીજાને મળે છે, પણ તેની પહેલાં તેમણે આધુનિક ટેકનોલોજીની મદદથી પોતાના મનમાંથી જૂના સંબંધોનાં બધાં જ સ્મરણો ડિલિટ મારી દીધાં છે. નવેસરથી નવા સંબંધની શરૂઆત કરે છે, પણ સમય જતા ખબર પડે છે કે આ તો એ જ વ્યક્તિ છે, જેની યાદો મનમાંથી ડિલિટ કરી નાખી હતી, અગાઉ પણ આ જ વ્યક્તિ સાથે સંબંધ હતો. બહુ સુંદર ફિલ્મ છે.

તહેવારો પણ કદાચ આપણે અભાવની આંટીઘૂંટીમાં અટવાઈ ન જઈએ એટલે કશીક નવીનતા લાવવા માટે હોય છે. આપણે ધાંધલધલમાલ ભરી જિંદગીથી કંટાળી ગયા હોઈએ તો બે ઘડી કશુંક નવું કરી શકીએ, જિંદગીને મશીન જેવી ન બનવા દઈ આનંદનો અહાલેક ગાઈ શકીએ એટલા માટે જ કદાચ આપણે ઉત્સવના આશરે જતા હોઈશું. આપણને ચેન્જ જોઈએ છે. રોજ સવાર પડે અને કામ માટે નીકળી જવું, સાંજ સુધી કામ કરવું, ખાવી-પીવું અને ઊંઘી જવું. વળી સવારે પાછું એનું એ જ ચક્કર. પણ આવા તહેવારોમાં ય જ્યારે ગમતી વ્યક્તિ સાથે ન હોય ત્યારે આપોઆપ આંખ આંસુના તહેવાર ઉજવવા માંડે છે. તેમાં સ્મરણોના દીવા પ્રગટી ઊઠે છે, પણ હૃદય અંદર તો ગમતી વ્યક્તિની ગેરહાજરીનું અંધારું ફેલાઈ ગયું હોય છે. એવું બને કે સામે પક્ષે પણ એવી જ હાલત હોય. એના હૈયામાં પણ યાદોનાં વાદળો ઘેરાવા લાગ્યાં હોય અને આપણો અભાવ મોર માફક ટહુકી ઊઠ્યો હોય! મનોજ ખંડેરિયાનો આવા જ મિજાજનો એક ખૂબ સુંદર શેર છે તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

મારો અભાવ મોરની માફક ટહુકશે, ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ.

– મનોજ ખંડેરિયા

એક દીવો છાતી કાઢીને છડેચોક ઝળહળે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

એક દીવો છાતી કાઢીને છડેચોક ઝળહળે, તો એ અંધારાના સઘળા અહંકારને દળે.

હરેક ચીજને એ આપે સૌ સૌનું મૂળ સ્વરૂપ આવું મોટું દાન કરે તો પણ એ રહેતો ચૂપ

પોતાને ના કૈ જ અપેક્ષા અન્ય કાજ બસ બળે!

અંધકાર સામે લડવાની વિદ્યા ક્યાંથી મળી? કિયા ગુરુની કૃપા થકી આ રીત તપસ્યા ફળી?

હે દીવા, એ શાશ્વત પળ, તું પ્રકટે છે જે પળે…

– રમેશ પારેખ

એક દીવડો આપણને કેટકેટલું શીખવી જાય છે તેની વાત રમેશ પારેખે આ ગીતમાં સુપેરે કરી છે. રમેશ પારેખ ગુજરાતી સાહિત્યનું અજવાળું છે, તેમના કવિતાના દીવડાઓએ સમગ્ર સાહિત્યજગતને રોશન કર્યું છે. ‘દિવાળી’ શબ્દમાં ‘દિ વાળવો’ એવા રૂઢિપ્રયોગનો ગર્ભિત અર્થ આવી જાય છે. દીવો માત્ર ઘરના ઊંબરે નથી મૂકવાનો હોતો, હૈયાના ઊંબરે પણ સમજણનો દીવો પેટાવવાનો હોય છે. તો જ આપણો દિ વળતો હોય છે અને દિવાળી સાર્થક થતી હોય છે. અજવાળાનો ઉત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે આ કવિતા પણ અંતરના ઊંબરે મૂકવા જેવી છે.

બંધ પડ્યા રહેતા મકાનને પણ જો રેગ્યુલર સાફ કરવામાં ન આવે તો કરોળિયાંનાં જાળાં બાઝવા માંડતાં હોય છે. સમયની ધૂળ તેને ખંડેર થવા તરફ ધકેલવા માંડે છે. માણસ પોતે પણ એક હરતું ફરતું મકાન છે. પેલું ભજન યાદ કરો, ‘જીવ, શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં!’ ભાડાના મકાનમાં રહીએ છીએ તો ભાડું ચૂકવ્યા વિના છૂટકો નથી! આ ભાડું એટલે આપણો પ્રામાણિક પરિશ્રમ, આપણી સદનીતિની સુગંધ જ્યાં સુધી આપણે પ્રસરાવતા રહીશું ત્યાં સુધી આ મકાનમાં આનંદથી રહી શકીશું. નહીંતર એવું થશે કે આપણે મકાનમાં તો રહીશું, પણ ભાડુ ન ચૂકવવાને લીધે મૂળ માલિક વારંવાર આપણને અંદરથી ખખડાવ્યા કરશે. યાદ કરો, જ્યારે પણ તમે કંઈ ખોટું કર્યું હોય ત્યારે તમારો અંતરાત્મા તમને અંદરથી ડંખતો હશે. વારંવાર આવું ‘ખોટું થયું’નાં થર જામતાં જાય તો સમજી જવું કે આપણે પણ ભીતરથી અંધકારમય થવા માંડ્યા છીએ. અને અંતરમાં એક દીવડો પેટાવવાની જરૂર છે. એક દીવો ચોક વચાળે પ્રગટે ત્યારે આસપાસનું તમામ અંધારું તેનાથી જોજનો દૂર ભાગી જાય છે. આપણી અંદર જમા થયેલા અંધકારને દળવા માટે આપણે પોતે દીવો થવું પડશે. ભગવાન બુદ્ધે પણ કહેલું, અપ્પો દીપ્પો ભવ. અર્થાત્ તું જ તારો દીવો થા. દીવાનો અર્થ છે બળવું, બળીને ઝળહળવું. જ્યારે જાત બાળીને જગત અજવાળશો ત્યારે આપોઆપ અંધકારનાં થર ઓગળવા માંડશે.

તમે પેલા માછલી પકનારની વાર્તા સાંભળી છે? એક માણસ વહેલા અંધારામાં માછલી પકડવા જતો, અને અજવાળું થાય ત્યાં સુધી રાહ જોતો. જેવું અજવાળું થાય કે તરત માછલીઓ પકડવા માંડતો. એક દિવસ વહેલા અંધારામાં તેને કિનારેથી એક નાની થેલી જડી. તેણે ખોલી તો અંદર કાંકરા. અજવાળું થાય ત્યાં સુધી કરવું શું? એ થેલીમાંથી કાંકરા કાઢીને એક પછી એક નદીમાં ફેંકીને સમય પસાર કરવા માંડ્યો. સૂર્યનું પહેલું કિરણ તેના સુધી પહોંચ્યું ત્યારે તેની પાસે બે જ કાંકરા હતા, તેમાંથી એક ફેંક્યો ત્યારે તે સૂર્યપ્રકાશમાં ચમકી ઊઠ્યો, અરે! આ શું થયું? તેણે બચેલો છેલ્લો કાંકરો જોયો ત્યારે ખબર પડી કે આ તો સાચા હીરા છે. ઘોર અંધકારમાં તમારા હાથમાં રેહલું કીંમતી ઝવેરાત પણ કાંકરા સમાન લાગતું હોય છે. માટે જ આપણે હૃદયમાં દીવો પેટાવવાનો હોય છે. જેથી આપણી અંદરના હીરાઝવેરાત અંધકારમાં વેડફાઈ ન જાય. આપણી કુટેવોના અંધકારમાં આપણા સુલક્ષણના હીરા વેડફાઈ જતાં હોય છે.

એક દીવો દરેક પદાર્થને તેનું મૂળ સ્વરૂપ આપે છે, અર્થાત્ તેને દૃશ્યમાન બનાવે છે. નહીંતર અંધકારમાં શું સાપ કે શું દોરડું? દીવો કશી જ અપેક્ષા રાખીને નિરંતર બળ્યા કરે છે, તેને કશી પણ અપેક્ષા રાખ્યા વિના બળવાની આવી અદ્ભુત વિદ્યા કોની પાસેથી મળી હશે? જે પળે દીવો પ્રગટે તે પળ શાશ્વત થઈ જતી હોય છે. આ આવનારા પર્વમાં તમે પણ કોઈના જીવનમાં અજવાળું પેટાવી દીવો થવાનો પ્રયત્ન કરજો, તમારા અંતરનો અંધકાર પણ દળાઈ જશે!

અજવાળાનો અહાલેક જગવતા આવા દીવાને પ્રણામ!

લોગઆઉટઃ

હે દીવા! તને પ્રણામ… અંધારામાં કરતો તું તો સૂર્ય-ચંન્દ્રનું કામ

તારાં મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ! પથભૂલ્યાને પ્રાણ પાઈને કહેતાં – આગળ ધપ, ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ. હે દીવા! તને પ્રણામ…

જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત, હે દીવા! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત! તું બુઝાય તે સાથ બુઝાઈ જાતી ચીજ તમામ હે દીવા! તને પ્રણામ…

– રમેશ પારેખ

ધરતી પર સૂતાં સૂતાં આકાશના તારા પકડવા

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

આખુંયે બ્રહ્માંડ બિચારાની સાથે તેથી ઝગડે છે
સૂતા-સૂતા ધરતી પર એ મુઠ્ઠીમાં તારા પકડે છે

છોકરીઓ કોલેજ જવાનો માર્ગ બદલતી'તી જેને જોઈ
એની દિકરી નીકળે છે કોલેજ જવા, કેવો ફફડે છે

- ભાવેશ ભટ્ટ

ધરતી પર સૂતાસૂતા એક માણસ આકાશના તારા પકડવાના પ્રયત્નો કરે, અને તેના આ પ્રયત્નોથી ગિન્નાઈને આકાશ માથાકૂટ કરે, આખું બ્રહ્માંડ ઝગડા પર ઊતરી આવે એવું થાય ખરું? અમુક વાચકોને ઉપરની પંક્તિઓ વાંચીને એવો પ્રશ્ન પણ થઈ શકે કે ધરતી પર સૂતા સૂતા આકાશના તારા કઈ રીતે પકડી શકાય? શાંતિથી વિચારશો તો તમે આ રીતે તારા પકડ્યાની ઘણી ક્ષણો આંખ સામે દેખાશે. તળિયે રહેલો માણસ ટોચ સુધી પહોંચવાનું સપનું સેવે ત્યારે એ સપનાને સફળ બનાવવાના પ્રયત્નો એ તારા પકડવાની કોશિશો નહીં તો બીજું શું છે? આવું થાય ત્યારે શિખર પર બેઠેલા માણસો મોં ત્રાંસુ કરીને પહેલા તો જોઈ રહે છે, પણ લાગે કે આનો હાથ તો ખરેખર તારાઓ સુધી પહોંચવા લાગ્યો છે, ત્યારે તે વિઘ્નદાવ શરૂ કરે છે, તારાઓને તેની જગ્યાએથી હટાવી દે છે. રસ્તામાં અડચણના આખલાઓ દોડાવે છે, જેથી પેલો સ્વપ્ન સેવતો માણસ ઘવાય. ધીમે ધીમે આકાશની સાથે આખુંય બ્રહ્માંડ તેની વિરુદ્ધમાં આવી જાય છે. અસ્તિત્વની આંટીઘૂંટીમાં પડેલા માણસનો વાંક એટલો જ હોય છે કે તે ધરતીનો હતો, અને આકાશના તારા પકડવાની કોશિશ કરી. તળનો હતો અને શિખર પર પહોંચવાનાં સપનાં સેવ્યા. છેલ્લી હરોળમાં નંદવાતો હતો ને પ્રથમ હરોળની ખુરશીમાં બેસવા ગયો. તારા પકડવા મથતા આવા સેંકડો માણસોના હાથ આજે પણ કપાય છે! આપણે માત્ર એટલું વિચારવું કે એ કપાવામાં ક્યાંય આપણને નિમિત્ત ન બનીએ. આપણું જીવન આપણા સંજોગો, પરિસ્થિતિ અને પાત્રતા પર નિર્ભર હોય છે. આપણે લીધેલા નિર્ણય આપણું જીવન ઘડે છે. કદાચ નિર્ણયોના ઘડતરથી થયેલા જીવનને જ આપણે ભાગ્ય કે નસીબ કહીએ છીએ.

દરેક માતા-પિતા માટે સંતાન પ્રેમના પારસમણિ સમાન હોય છે. શરીફને પોતાનાં બાળકો પર વધારે પ્રેમ હોય ને ગુંડાને નફરત હોય એવું ન હોય. જેટલો એક ભીખારી પોતાના બાળકને પ્રેમ કરતો હોય, એટલો જ અમીર પણ ચાહતો હોય. રાતદિવસ બંદૂકની ધાંયધાંય કર્યા કરતો માણસ, કે વિના કારણે લોકોને ભડાકે દેતો શખ્શ પણ એવું નથી ઇચ્છતો કે તેનાં બાળકો પિસ્તોલની ઝપટમાં આવે. નાળચું તેમના લમણે મૂકાય. લોહીની નદીઓ વહેવરાવનાર માણસના બાળકને જરાક અમથું લોહી નીકળે તો પોતે ઊંચો નીચો થઈ જતો હોય છે. ગમે તેવો માલેતુજાર કે જાડી ચામડીનો માણસ હોય, જેના નામથી આખો મલક ધ્રૂજતો હોય એવો માણસ પણ દીકરી વળાવ્યા પછી ધ્રૂસકે ચડતો હોય છે. પોતાની સુંદર દીકરીને જોઈને એક શરીફ બાપ ચિંતા કરે કે મારી દીકરી ક્યાંક નંદવાઈ ન જાય. ઘણા સંજોગોમાં દીકરીની સાથોસાથ ઘરમાંથી માબાપની ચિંતા પણ નીકળતી હોય છે, રાત્રે જરાક વાર ઘેર પહોંચવામાં મોડું થાય, તો માતાપિતાનો જીવ તાળવે ચોંટી જતો હોય છે. યુવાવયે છોકરીઓના રસ્તા આંતરતો માણસ પોતે એક સુંદર દીકરીનો બાપ થાય, અને દીકરીને રાત્રે એકલા બહાર નીકળવાનું બને ત્યારે કેવો ફફડાટ અનુભવતો હોય છે એ તો એ બાપ પોતે જ જાણે! એ સમયે બાપે યુવાવયે કરેલી છેડતી આંખ સામે આવી જતી હશે, કદાચ મનોમન એ માટે ઈશ્વરની માફી પણ માગી લેતો હશે. એમ ઇચ્છતો હશે કે મારી ભૂલોની સજા ક્યારેય પણ મારા સંતાનને ન આપતો પ્રભુ! એક સમયે જેને જોઈને યુવતીઓ કૉલેજ જવાનો રસ્તો બદલી નાખતી હતી, એ જ માણસની દીકરી મોટી થઈને કૉલેજ જવા તૈયાર થઈ ગઈ છે, ત્યારે બાપને ચિંતા સતાવે છે.

આપણે બીજા સાથે જે અન્યાય કરતા હોઈએ છીએ, વહેલા મોડા એ જ અન્યાયના ભોગ આપણે પણ થવું પડતું હોય છે, આપણે પણ સમયના કઠેડામાં ઊભા રહીને જવાબો આપવાના થાય છે. ભાવેશ ભટ્ટે ઉપરના શેરમાં આ વાત બહુ સરસ રીતે કરી છે. તેમની ગઝલમાં આજની તાજગી છે. સમાજમાં પ્રવર્તી રહેલી કાળાશને એ પોતાની ગઝલમાં પરોવીને આપણી સામે એ રીતે રજૂ કરી છે કે ઘણી વાર વાચક પોતે આંચકો ખાઈ જાય છે! પોતાની સુંદર અને રૂપાળી દીકરીના દેહ પર ભોંકાતી જગતની અણીદાર નજરોને લઈને પિતાના મનમાં થતો વલોપાત ભાવેશ ભટ્ટે નીચેના શેરમાં અદ્બુત રીતે દર્શાવ્યો છે.

લોગઆઉટઃ

મારી દીકરીનો વાન બદલી નાખ,
કાં જગતનું ઇમાન બદલી નાખ.

- ભાવેશ ભટ્ટ

સફળતા મને બેસવાનું કહે છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઈનઃ

સ્વયંથી મને જે નિકટતા મળી છે, એ ખુદથી ઝઘડતા ઝઘડતા મળી છે.

નવાઈ કે એને અચળતા કહે છે, જે ખુદને બદલતા બદલતા મળી છે.

હવે લોકો એની જ ઈર્ષા કરે છે, જે ઠંડક સળગતા સળગતા મળી છે.

સફળતા મને બેસવાનું કહે છે, મને જે રખડતા રખડતા મળી છે.

હું ખાલી થયો છું સતત ભીતરેથી, પછીથી મને આ ગહનતા મળી છે.

લ્યો જગ એ સમજથી પ્રભાવિત થયું છે, જે જગને સમજતા સમજતા મળી છે.

- વિકી ત્રિવેદી

સમયના પ્રવહામાં કશું કાયમી નથી. ગઈ કાલે જે નવું હતું તે આજે જૂનું છે. સાહિત્યને કે દરેક ક્ષેત્રને આ વાત એટલી જ લાગુ પડે છે. ટેકનોલોજીમાં દરરોજ નવું થતું રહે છે. ધર્મ અને વિજ્ઞાનમાં એ જ તો ભેદ છે. વિજ્ઞાન દરરોજ અને નિરંતર અપડેટ થતું રહે છે. જ્યારે ધર્મ રોજ જુનવાણી થતો જાય છે. એટલે ધર્મમાં રહીને માણસ બંધિયારણું અનુભવે છે. વિશ્વમાં ધાર્મિકતાને લીધે જેટલી હાલાકી ઊભી થઈ છે, એટલી કદાચ અન્ય કશાને લીધે નથી થઈ. જોકે એ પણ એટલી જ સાચી વાત છે કે ધાર્મિકતા માણસને આંતરિક સાંત્વના આપે છે. પરંતુ ધર્મોએ પણ સમય સાથે અપડેટ થવું પડતું હોય છે. જોકે અપડેટ થવાની અને નવું કરવાની જેટલી ગતિ ટેકનોલોજીની છે, તેટલી ધર્મની નથી. વળી એ પણ એટલી જ સાચી વાત છે કે ધાર્મિક અંધ્રશ્રદ્ધા જેટલી ખતરનાક છે, એના કરતા અનેકગણી ખતરનાક વૈજ્ઞાનિક અંધશ્રદ્ધા છે. ટૂંકમાં કોઈ પણ અંધશ્રદ્ધા નુકસાન વેરે છે. સતત અપડેટ થતા રહેવું તમામ ક્ષેત્રનો એક પ્રાણપોષક ગુણ છે. મરીઝસાહેબે પણ કહ્યું છે, “નવીનતાને ન ઠુકરાવો નવીનતા પ્રાણપોષક છે, જુઓ કુદરત તરફથી શ્વાસ પણ જૂના નથી મળતા.” એમાંય સાહિત્યમાં તો નવીનતા ખૂબ જરૂરી છે.

બાલાશંકર-કલાપીથી લઈને આજ સુધી નજર કરીએ તો ગુજરાતી ગઝલમાં કેટકેટલા આરોહ-અવરોહ જોવા મળે છે. દરેક સમયના કવિઓએ પોતાના સમયને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. આજની ગઝલ આજનો પડઘો પાડે છે. અહીં લોગઇન અને લોગઆઉટમાં જે બે ગઝલો લેવાઈ છે, તે પણ નાવિન્યસભર છે. મરીઝ, શૂન્ય, સૈફના સમયે લખાતી કવિતા એ સમયે નવી હતી, ત્યાર બાદ આદિલ મન્સૂરી, ચીનુ મોદી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લના સમયની ગઝલ એ સમયનું વિચારનાવિન્ય રજૂ કરતી. આજની પેઢી પોતાની રીતે મથે છે. જોકે અમુક વિચારો સનાતન છે, જેને જુનવાણી થવાનો કાટ નડતો નથી. જે કવિ આ સનતનપણું કવિતામાં પરોવી શકે, તે લાંબું ટકે છે.

ખેર, વાત કરવી છે વિકી ત્રિવેદીની ગઝલની. વર્તમાન સમયમાં લખતા યુવાકવિઓમાં આ કવિએ ઓછા ગાળામાં સારું કાઠું કાઢ્યું છે. છંદની પ્રવાહિતા અને વિચારની નવીનતા બંને તેની ગઝલમાં ધ્યાન ખેંચે છે.

આધ્યત્મ કે કવિતા, બંનેમાં આખરે તો પોતાના સુધી પહોંચવાના પ્રયત્નો હોય છે. જોકે આ એક મત છે. એક મત એવો પણ છે કે કવિતા થકી જગત સુધી પહોંચવાનું છે, વિશ્વને સમજવાના પ્રયત્નોમાંથી ફિલસૂફી નિપજાવવાની છે. કવિ જગત સાથે માનસિક યુદ્ધે ચડે છે, તેમાં ઘવાય છે, પોતાના આ ઘાવને શબ્દોમાં પરોવીને કવિતાની સાદડી વણે છે. જગત સાથેનો ઝઘડો જ કદાચ જાત સુધી લઈ જતો હશે. બહારના દરવાજા બંધ થાય પછી જ કદાચ અંદરની કોઈ ગુપ્ત બારી ખૂલતી હશે. એ બારીમાંથી જગત પહેલાં જેવું દેખાતું હતું તેનાથી વિશેષ દેખાતું હોય છે. વિચારોના સાગરમાં ડૂબકી મારનાર મનોમંથનની મોતી લાવી શકે. કવિતા એ મનોમંથનના મોતીને દોરામાં પરોવવાના પ્રયત્નો છે. આમ તો એવું પણ કહેવાય છે કે મહાભારતમાં બધું કહેવાઈ ગયું છે, હવે કોઈએ કશું કહેવાનું રહેતું નથી. છતાં રોજ સેંકડો પ્રકારનું સાહિત્યસર્જન થાય છે, થતું રહે છે. મૂળ વાત રજૂઆતની પણ છે. વર્ષો પહેલાં કહેવાઈ ગયેલી વાત, આજે નવી રીતે રજૂ થતી હોય છે ત્યારે એ જુદી રીતે સ્પર્શતી હોય છે.

વિકી ત્રિવેદીની આ ગઝલમાં ચોક્કસ નાવિન્ય અને આકર્ષક રજૂઆત છે. આવું સર્જન નિરંતર થતું રહેવું જોઈએ. તેમના જેવા અન્ય યુવાનો કવિતાસાગરમાં પોતપોતાનું નાવડું લઈને કવિતાના સાગરખેડૂ બને તો વહેલામોડા શબ્દના હીરા-મોતી-ઝવેરાત ચોક્કસ સાંપડે, જરૂર માત્ર મરજીવા બનવાની છે. ખેર, અત્યારે તો વિકી ત્રિવેદીની જ એક અન્ય ગઝલમાં ડૂબકી મારીએ.

લોગઆઉટઃ

મારા વિશે જે સઘળા સમાચાર રાખે છે, અવગણના એમની મને બીમાર રાખે છે.

મંજિલને જોઈ લઉં તો રખે રસ મરી જશે, આભાર કે તું માર્ગ સર્પાકાર રાખે છે.

એનાં જ પગલાં હોય છે વર્ષો સુધી અહીં, જેના ખભે તું બોજ વજનદાર રાખે છે.

કેવી રીતે ક્યાં ચાલવું સમજાવતી રહી, મારા ઉપર તો ઠોકરો પણ પ્યાર રાખે છે.

મંદિરમાં જઈને મેં યદી બારાખડી કહી, સમજ્યો ન કંઈ જે ખુદને નિરાકાર રાખે છે.

એથી તો મારો ખુલ્લો અહંકાર સારો છે, જેઓ ‘અહમ નથી’નો અહંકાર રાખે છે.

- વિકી ત્રિવેદી

પ્રત્યેક આપદાનો આભાર માનવો છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઈનઃ

મારી બધી વ્યથાનો આભાર માનવો છે,
પ્રત્યેક આપદાનો આભાર માનવો છે.

જે હાથ ધોઈને મુજ પાછળ પડી ગયેલી,
મારી એ દુર્દશાનો આભાર માનવો છે.

દુર્ભાગ્ય, ઠેશ, પીડા, આંસુ અને ઉદાસી,
તેડાવી એ બધાનો આભાર માનવો છે.

મારી સફળતા માટે નિમિત્ત જે બન્યા છે,
હરએક એ દગાનો આભાર માનવો છે.

મેં પ્રેમથી પૂછ્યું ’તું, તેં સ્પષ્ટ ‘ના’ જણાવી,
તારા જવાબ ‘ના’નો આભાર માનવો છે.

પગ ખેંચવામાં બાકી રાખ્યું નથી કશુંયે,
એ આપણી કથાનો આભાર માનવો છે.

આભારી છું હું ઈશ્વર મારા અગમ ગુનાનો,
આપેલી તેં સજાનો આભાર માનવો છે.

- યુવરાજસિંહ સોલંકી ‘અગમ’

ગુજરાતી ભાષાના જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિ રાજેન્દ્ર શાહનું એક સુંદર ગીત છે. ‘ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર? નાની એવી વીતક વાતનો મચાવીએ નહીં શોર! આભ ઝરે ભલે આગ, હસીહસી ફૂલ ઝરે ગુલમહોર! ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર?’ દુઃખ ત્યાં સુધી જ આપણને પરેશાન કરે છે, જ્યાં સુધી આપણે તેનાથી પરેશાન થતાં રહીએ. એક સામાન્ય વૈજ્ઞાનિક તથ્ય છે કે તમે જેટલા જોરથી દીવાલ પર દડો મારશો એટલો જ જોરથી એ પાછો તમારા તરફ આવશે. દુઃખને જેટલું તમે પંપાળશો એ એટલું જ તમને વધારે વ્યથિત કરતું રહેશે. આભમાંથી સૂરજ જ્યારે કાળઝાળ અગ્નિ વરસાવતો હોય છે ત્યારે પણ ગુલમહોર તો હસીહસીને ફૂલો વેરતો હોય છે.

કવિ યુવરાજસિંહ સોલંકી આ વાતને કંઈક વિશેષ રીતે મૂકી આપે છે. એ કહે છે કે મારે તો મારી દરેક પીડા, દુઃખ, વ્યથા, દગો એ બધાનો આભાર માનવો છે. જનરલી, આપણે કોઈના છળનો શિકાર બનીએ, કોઈના અપમાનનો ભોગ બનીએ, કોઈના નકારનો સામનો કરવાનો થાય, આપદાનો પહાડ માથે આવી પડે, દુર્ભાગ્ય હાથ ધોઈને પાછળ પડ્યું હોય, કર્યો જ ન હોય એવા ગુનાની સજા ભોગવવાની થાય ત્યારે ઘોર નિરાશામાં ધકેલાઈ જઈએ. આપણામાં એક ભયંકર રોષ પાંગરવા માંડે અને સમય જતા એ જ્વાળામુખી થઈને બહાર આવે. અને આપણને આ ગર્તામાં ધકેલનાર માણસોનું ધનોતપનોત કાઢી નાખવાના કારસા ઘડવા માંડીએ.

પણ કવિ અહીં એનાથી અલગ કહે છે. તેમને વિરોધીઓનું વેર નથી વાળવું. પોતાને નુકસાન કરનારને નુકસાન પણ નથી પહોંચાડવું. જાકારો આપનારને કે અપમાનિત કરનારને હડધૂત કરવાની પણ ઝંખના નથી. બસ, બધાને થેન્ક્યુ કહેવું છે. બર્થડે ઉપર કોઈએ ગિફ્ટ આપી હોય અને થેન્ક્યુ કહેવામાં આવે એવું આ થેન્ક્યુ નથી. ગાંધીજીએ કહેલું કે કોઈ એક ગાલે લાફો મારે તો બીજો ધરી દેવો. પણ એવું થતું નથી. બીજો ગાલ ધરવાની આપણી ત્રેવડ નથી, બીજી જ ક્ષણે આપણો હાથ પેલાના ગાલ પર હોય છે. દુઃખના દરિયામાં ડ઼ૂબકાં ખવડાવનારને માફ કરવાની ક્ષમતા ભાગ્યે જ કોઈનામાં હોય છે. સંસ્કૃતમાં કહેવાયું છે – ક્ષમા વીરસ્ય ભૂણષમ્. ક્ષમા એ વીરનું આભૂષણ છે. પણ અહીં તો ક્ષમા કરવાની વાત પણ નથી, ઊલટાનો આભાર માનવાની વાત છે. કેમ આભાર માનવો છે? સુરેશ દલાલે કહ્યું છે તેમ, વેદના જેવી કોઈ વિદ્યાપીઠ નથી. આપણાં દુઃખ, વ્યથા, પીડા આપણને જેટલું શીખવે છે તે કોઈ યુનિવર્સિટી પણ નથી શીખવી શકતી. કોઈના છળને લીધે શિખરથી તળમાં પહોંચી ગયા પછી જાતે ફરી ઉપર આવવામાં જે શીખવા મળે છે, તે જગતના કોઈ ગ્રંથમાંથી શીખવા નથી મળતું. ત્યારે આપણને ભગવાન બુદ્ધ પણ યાદ આવે – અપ્પો દીપ્પો ભવઃ અર્થાત્ તું જ તારો દીવો થા. કોઈ આપણા જીવનમાં અજવાળું પાથરવા આવવાનું નથી. આપણો પ્રકાશ આપણે જાતે સર્જવાનો છે.

જ્યારે કોઈ તમને દુઃખી કરે, તમારી સાથે દગો કરે ત્યારે તેનો બદલો લેવામાં સમય વેડફવા કરતા તેમાંથી બહાર નીકળી નવસર્જન કરવામાં તમારી જાતને હોમી દો. જે સમય તમે વેર વાળવામાં ગાળશો એ જ સમયમાં તમે તમારી જાતને ઉન્નત કરી શકશો. વેર વાળ્યા પછી તો તમે ત્યાંના ત્યાં જ હશો, પણ એ જ સમય જો પોતાની પ્રગતિ પાછળ ખર્ચશો તો વેરના ઝેરથી બચી જશો અને સામેની વ્યક્તિને માફ કરીને – એનો આભાર માનશો તો તેને પણ પોતાના કર્યા પર ભારોભાર વસવસો થશે. કવિ યુવરાજસિંહ સોલંકીની આ ગઝલ જીવનનો ઘણો ઊંડો મર્મ સમજાવી જાય છે.

લોગઆઉટઃ

દુઃખમાં વાળ પીંખવાનો કોઈ અર્થ નથી,
ટાલથી દુઃખ ઓછું થવાનું નથી.

- સિસેરો

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે; આ સમજ કે અણસમજ એ ખુદ સરજતું હોય છે.

છે ને કલ કોલાહલે આ સાવ મૂંગું મૂઢ સમ; એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે.

એક પલકારે જ જો વીંધાય તો વીંધી શકો; બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે!

ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું; શબ્દનું એની કને કંઈ ક્યાં ઊપજતું હોય છે!

એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી; એ જ તો મોતી સમું પાછું નીપજતું હોય છે.

- રાજેન્દ્ર શુક્લ

સરળ ભાષામાં ગહન વિચાર કઈ રીતે રજૂ કરી શકાય તે રાજેન્દ્ર શુક્લની કવિતામાંથી શીખવા જેવું છે. ગુજરાતી ભાષાના ઋષિકવિ સમા આ કવિની રચનાઓમાં ગેબનો નાદ છે, તો ગુલાબની મહેક પણ છે. એ ‘ગોરખ આયા’ ગાઈ શકે છે, તો ઊંટ પર અંધારું પણ મૂકી શકે છે. મનની વાંકીચૂકી ગલીઓને ગૌરવભરી ભાષામાં પરોવીને રજૂ કરતા આ કવિની રચનાઓ હૃદય અને મન બંનેને શાતા આપે એવી છે.

આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે છે, ત્યારે મન વિશેની આ કવિતા વાંચવા જેવી છે. આપણે વાતેવાતે મનને સમજાવવામાં પડ્યા રહીએ છીએ. દિવસ ઊગ્યાથી લઈને આથમે ત્યાં સુધી મનની વ્યથાકથામાં અટવાયા કરીએ છીએ. તેને અલગ અલગ રીતે સમજાવવા મથતા રહીએ છીએ. ખાવાથી લઈને ન્હાવા સુધી, ઑફિસથી લઈને ઘર સુધી, મિત્રોથી લઈને સ્વજનો સુધી દરેક કામે, દરેક ઠામે, દરેક સામે અને દરેક નામે, ઇચ્છા હોય કે ન હોય, મનને સમજાવ્યા કરીએ છીએ. મન માને કે ન માને છતાં સંજોગની સડક પર પોતાને ચલાવ્યા કરીએ છીએ. ઘણી વાર આપણે જ આપણી પાછળ ઢસડાયા કરતા હોઈએ છીએ. મનના ન માનવા પર હેમેન શાહનો એક સરસ શેર છે, “મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ, કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.”

કવિ તો મન વલોવીનો જે વિચારનું માખણ મળે તે જગત સામે ધરતો હોય છે. જગત તેનો સ્વાદ લે, ન લે, એ જગત પર છે. મનની આવી છૂપી છતાં ખુલ્લી વાતો રાજેન્દ્ર શુક્લ અને હેમેન શાહે સરળ છતાં ધારદાર રીતે કરી છે. આપણે તેમની વાત સમજ્યા પણ ખરા, છતાં મન ન માને તેવી જગાએ જવા માટે હવાતિયાં માર્યાં કરીએ છીએ. પોતાની ઇચ્છા કે અનિચ્છાનું ધૂંસરું આપણા મનની કાંધે નાખ્યા કરીએ છીએ. અને આપણું ગાડું ચાલતું રાખવાના પ્રયત્નો આદરતા રહીએ છીએ. દરેક પીડા કે આનંદના મૂળમાં મન તો હોય છે. કામ, ક્રોધ, લોભ, મોહ દરેક ક્યાંથી જાગે છે? આપણા મનની ભૂમિમાંથી જ તો ઊગે છે એ બધું! આપણે ચિત્તની ધરામાં આપણી સારી-નરસી લાગણીઓને વાવી દઈએ છીએ અને પછી ‘જેવું વાવો તેવું ઊગે’ એ ન્યાયે તે ફૂલેફૂલે છે. તમે બાવળ વાવો તો આંબાની ઇચ્છા ક્યાંથી રાખી શકો? ક્રોધ રોપો તો સ્મિતનું ફળ મળે એવી ઝંખના વ્યર્થ છે. મન એ તો આપણી વૃત્તિનો વેપાર કરે છે અને આપણે તેને સમજાવવામાં પડ્યા છીએ. તીવ્ર કોલાહલમાં એ શાંત થઈને પડ્યું રહે અને પ્રગાઢ શાંતિમાં બૂમાબૂમ કરી મૂકે એવું બને. કવિ ચિનુ મોદીએ તો મનને ગાળ દઈને કવિતા લખી છે, “માદરબખત મન, જો તારે હોત તન, અંગે અંગે કાપત તને, ઘાએ ઘાએ મીઠું ભરત;” મનથી કંટાળેલો માણસ પણ કદાચ આવું મનોમન મનને જ ભાંડતો હોય તેવું બને!

મનના તાગ કોણ તાગી શક્યું છે? આપણા ભાવો મનના છાલિયામાં કઈ રીતે ઊભરાય છે તે આપણે પોતે પણ સમજતા નથી હોતા. કવિ રાજેન્દ્ર શુક્લએ આ ગઝલના પ્રત્યેક શેરમાં મનની જુદી જુદી દશા-દિશા સુપેરે વ્યક્ત કરી છે. કવિ હરીન્દ્ર દવેએ મનને મહોબ્બત કરવાનું કાવ્યત્મક ઇજન આપ્યું છે, તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

રે મન, ચાલ મહોબ્બત કરીએ નદીનાળામાં કોણ મરે, ચલ, ડૂબ ઘૂઘવતે દરિયે

રહી રહીને દિલ દર્દ ઊઠે ને દોસ્ત મળે તો દઈએ, કોઈની મોંઘી પીડ ફક્ત એક સ્મિત દઈ લઈ લઈએ, પળભરનો આનંદ, ધરાના કણકણમાં પાથરીએ. રે મન, ચાલ મહોબ્બત કરીએ

દુનિયાની તસવીર ઉઘાડી આંખ થકી ઝડપી લે, છલકછલક આ પ્યાલો મનભર પીવડાવી દે, પી લે, જીવનનું પયમાન ઠાલવી દઈ શૂન્યતા ભરીએ. રે મન, ચાલ મહોબ્બત કરીએ

- હરીન્દ્ર દવે

અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઈનઃ

અમે કહેતા નથી ‘ચાલે છે રાવણરાજ’ ગાંધીજી,
તમે ચાહ્યું હતું તેવું નથી કંઈ આજ, ગાંધીજી!

તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ,
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી?

અમે અંગ્રેજથી કંઈ કમ નથી, સાબિત કરી દીધું,
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ ગાંધીજી.

હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે,
વિચારું છું થયાં છે ક્યાં હજી નારાજ ગાંધીજી.

કદી ‘આદમ’ સમાધિ પર જઈને આ તો કહેવું છે,
તમે એક જ હતા, ને છો, વતનની લાજ, ગાંધીજી!

- શેખાદમ આબુવાલા

ગાંધીજી ગોળમેજી પરિષદમાં જઈ રહ્યા હતા ત્યારે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કાવ્ય લલકારેલું, ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ. સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ.’ ખબર હતી કે ત્યાં બાપુને પૂરું સન્માન નથી મળવાનું, છતાં દેશને ખાતર કડવો ઘૂંટ પીવા તે ગોળમેજી પરિષદમાં જાય છે, સામે ચાલીને અપમાન વહોરે છે. તેમની આ સ્થિતિને ભીતરથી અનુભવીને એક કવિ પોકારી ઊઠે છે કે ઝેરનો કટોરો બાપુ તમે પી જજો. કેમ કે તમે તો સાગર પીનારા છો. તમારાથી અંજલિ કઈ રીતે ઢોળી શકાય?

ગઈ કાલે બાપુનો જન્મ દિવસ હતો. ગાંધીજીનો જન્મ ભારતના ઇતિહાસનું એક સુવર્ણ પ્રકરણ છે. આજે એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમનો પ્રભાવ ન હોય. ગાંધી આવી ભૂમિમાં જ પેદા થઈ શકે. કેમ કે આ બુદ્ધ અને મહાવીરની ભૂમિ છે. નરસિંહ અને મીરાંની ભૂમિ છે, કબીર અને નાનકની ભૂમિ છે. રામ, રહિમ, ઈસુ, જરથ્રુષ્ટ કે યહોવા સૌ એક પંગતમાં આવકાર આપે તેવી આ ભૂમિ છે. અહીં ગાંધી ન જન્મે તો જ નવાઈ! સત્ય અને અહિંસા આ ધરતી પર વર્ષોથી પાંગરે છે. ગાંધીએ તો તેને ઉછેરવાનું કામ કર્યું છે. પોરબંદરમાં પાંગરેલું સત્ય સાઉથ આફ્રિકા જઈને વધારે મજબૂત થઈને પાછું આવે છે. નેલ્સન મંડેલાએ કહેલું, “તમે અમારે ત્યાં મોહનદાસ કરમચંદ ગાંધી મોકલ્યા, અને અમે તેમને મહાત્મા બનાવીને તમને પાછા આપ્યા.”

જો ગાંધી ભારતમાં ન જન્મ્યા હોત તો આ દેશ કેવો હોત? ગાંધીજી તો આજીવન પોતાના સિદ્ધાંતોની કેડી પર ચાલ્યા, પણ શું આપણે તેમના પગલે પગલે ચાલી શક્યા ખરા? આજે ગાંધીવિચારને ગાંધીવાદમાં ખપાવી નાખવામાં આવે છે, શું ગાંધી પોતે ગાંધીવાદમાં માનતા હતા ખરા? તેઓ તો એમ કહેતા હતા કે મારા પોતાના વિચારોમાં પણ જો ભેદ જણાય તો છેલ્લો વિચાર અંતિમ ગણવો. ગાંધીજીએ પોતે પોતાના સપનાનું ભારત કલ્પેલું. ‘મારા સપનાનું ભારત’ નામનું તેમનું પુસ્તક વાંચવા જેવું છે. પણ શું આજે જે ભારત છે, તે ગાંધીજીના સપનાનું છે ખરું? આવા પ્રશ્નોના જવાબમાં શેખાદમ આબુવાલા જેવો કવિ જ હળવેથી કહી શકે કે બાપુ, અમે સાવ એવું તો નહીં કહીએ કે આજે રાવણરાજ ચાલી રહ્યું છે, ચારેબાજુ અંધકાર વ્યાપી વળ્યો છે, પણ એટલું ચોક્કસ છે કે તમે જે ઇચ્છ્યું હતું તે ભારત આ નથી. બાપુ તો નાનામાં નાના માણસને અન્યાય ન થાય તેની પૂરતી કાળજી લેનાર હતા.

જુઓને, પેટ્રોલના ભાવ 100ને પાર થઈ જાય, તેલના ડબ્બાની કિંમત પચ્ચીસો ઉપર જતી રહે, ગેસના બાટલાથી લઈને શાકભાજીના ભાવ આસમાનને આંબતા હોય, મોંઘવારી માઝા મૂકતી હોય છતાં કોઈના પેટનું પાણી ન હલે! ગાંધી હોત તો અત્યારે નવરા બેઠા જ ન હોત. એ નક્કી ઉપવાસ પર ઊતર્યા હોત, સત્યાગ્રહ કર્યો હોત કે લેખો લખ્યા હોત. પ્રજાના પ્રશ્નોને તેમણે ન્યાય આપવા પૂરો પ્રયત્ન કર્યો હોત. પણ હવે રામધૂનમાં ખૂરશીઓ ખખડે છે, પ્રજા ગોતી દેખાતી નથી. આપણે સાબિત કરી દીધું કે અમે પણ અંગ્રેજોથી કમ નથી. જે કંઈ છે તે બધું તારાજ કરીને જ ઝંપીશું. આવી વિકટ પરિસ્થિતિમાં એક કવિ ભીંત પર લટકતા ગાંધીજીના ફોટાને જોઈને એટલું જ વિચારે કે બાપુ શેના લીધે નારાજ થયા હશે? જોકે આજે લોકોને ભીંત પર પણ ગાંધી નથી ગમતા. હા, તેમને ખિસ્સામાં ગાંધી જોઈએ છે.

ભારતની ભોમને જીવની જેમ ચાહતો, ચર્ચિલની ભાષામાં કહીએ તો નગ્ન ફકીર, રાજઘાટ પર કાયમ માટે પોઢી ગયો એનેય વર્ષો વીતી ગયાં. મરતા સુધી સતત પ્રવૃત્ત રહેનાર અને રાતદિન દેશ માટે વિચારનાર આ મહાત્માની સમાધિ જોઈને કવિ હસમુખ પાઠકે નાનકી કવિતા દ્વારા તેમને અદ્ભુત અંજલિ આપેલી. તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

આટલાં ફૂલો નીચે
ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી.

- હસમુખ પાઠક

શહેરના સરેઆમ રસ્તે ભીખારીનું મરણ!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

અહીં ફરસ ફૂટપાથ સરિયામ રસ્તા પરે પ્રભાત પ્રહરે થયું મરણ કો ભિખારી તણું. ધમાલ, કકળાટ, કંદન, કશો ઊહાપોહ ના, ન રોકકળ કો સગાં તણી, મરી ગયો શાંતિથી, શહેરસુધરાઈની જ શબવાહિની મોટરે ગયો અવમંજલે... ઝડપ ચીલ જેવી ગતિ. ભિખારણ ઊભી નજીક લઈ ધાવણું બાળ જે, હસી અકળ કારણે; મરણનો કશો શોક ના. બજાર વચ બેસણું નગર-રાજમાર્ગો પરે કમાવત અપાર દાન, ન મળે કદી સ્હેલથી. ઘણાંય વરસો લગી નજર ટાંપતી જે હતી ભિખારણ, મળી ગયું સ્થળ બજારનું ઠાવકું. ભિખે કુસુમકોમળું શિશુ, ન જાણતું કે જતું સ્વયં અવલમંજલે : ગતિ રહે ભલે મંથર.

– ચુનિલાલ મડિયા

ચુનિલાલ મડિયાને આપણે સમર્થ ગદ્યકાર તરીકે ઓળખીએ છીએ. ‘વ્યાજનો વારસ’, ‘વેળાવેળાની છાંયડી’, ‘લીલુડી ધરતી’ જેવી અનેક નવલકથાઓ; ‘ઘૂઘવતા પૂર’ કે ‘શરણાઈના સૂર’ જેવી મનભાવન વાર્તાઓ; ‘રંગદા’ જેવાં એકાંકીઓ કે ‘રામલો રોબીનહૂડ’ જેવાં નાટકોથી એમણે ગુજરાતી વાચકો-વિવેચકોના હૈયામાં આગવું સ્થાન મેળવ્યું છે. કવિ ઉમાશંકર જોશી તો તેમને પ્રેમથી ‘મડિયારાજા’ તરીકે સંબોધતા. તેમના ગદ્યનું ગૌરવ તો વાચકોએ સારી પેઠે જાણ્યું—માણ્યું છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે ચુનિલાલ મડિયાએ સોનેટ, ગીતો જેવી કાવ્યરચનાઓ પણ સફળતાપૂર્વક કરી છે. તાજેતરમાં અભિતાભ મડિયા દ્વારા તેમની સમગ્ર પદ્યરચનાઓનું પુસ્તક પ્રકાશિત થયું છે. મડિયાપ્રેમીઓએ તે અભ્યાસવા જેવું છે.

અમદાવાદમાં ભરાતી બુધસભામાં કવિશ્રી પ્રફુલ્લ રાવલે મડિયાનું ઉપરોક્ત સોનેટ બહુ રસપ્રદ રીતે રજૂ કરેલું. આ સોનેટનો સ્વાદ આપણે પણ માણીએ. આ સોનેટનું શીર્ષક મડિયાએ ‘ગતિ’ રાખ્યું છે. મડિયા મૂળ ગદ્યકાર. એટલે નિરંજન ભગતે કહ્યું છે તેમ તેમના પદ્યમાં ગદ્યકાર અનુભવાશે. સોનેટ સર્જતી વખતે કવિ મડિયાની સાથે વાર્તાકાર મડિયા પણ સાથે ચાલતો લાગશે. સોનેટના કેન્દ્રમાં એક પાત્ર છે – ભિખારી. શહેરના સરેઆમ રસ્તા પર વહેલી સવારે એક ભિખારીનું અવસાન થયું છે. તેનો કોઈને શોક નથી, દુઃખ નથી. કેમ કે તેની પાછળ કોઈ રડવાવાળું નથી, નથી એનું કોઈ સગું. સાવ એકલો મૃત્યુની ગર્તામાં ધકેલાઈ ગયો છે. આથી એનો અંતિમસંસ્કાર તો કોણ કરે? શહેરસુધરાઈવાળા આવીને તેના શબને લઈ જાય છે. આ આખી કરૂણતા નિહાળતી એક ભિખારણ પોતાના ધાવણા બાળકને તેડીને થોડે દૂર ઊભી છે.

ભિખારીનું મૃત્યુ જોઈને તેના ચહેરા પર છાનો આનંદ છવાઈ જાય છે. તેનો આનંદ માત્ર પેલી ભિખારીની પડેલી જગ્યાને લીધે છે. કેમ કે ભિખારી જ્યાં બેસતો હતો તે જગ્યા મોકાની છે. અનેક નગરપતિઓ કે ભીખ આપતા લોકો ત્યાંથી જ પસાર થાય છે. અપાર દાન કમાવી આપતી આવી જગ્યા મળે તો ભયોભયો... આવી મોકાની જગ્યા સહેલાઈથી ના મળે. ઘણાં વર્ષોથી એ આ જગ્યા પર ટાંપતી બેઠી હતી. બજારનું આવું ઠાવકું સ્થળ પામીને એના રુંવેરુંવે રાજીપો ઊગ્યો છે.

ત્યાં બેસીને ભિખારણ અને તેનું બાળક પણ ભવિષ્યમાં ભીખ માગશે. તેને જગ્યા પામ્યાનો આનંદ છે, પણ એ આનંદમાં જ તેને ખબર નથી કે પોતાનું બાળક પણ પેલા મરણ પામેલા ભિખારીની જેમ જ નગરની હડધૂત નજરો નીચે આજીવન કચડાશે અને અંતે એક દિવસ તેની ગતિ પણ પેલા ભિખારીએ પામેલી મૃત્યુની મંજિલ સુધી જશે. સંભવ છે કે ભિખારીના મૃત્યુટાણે ભિખારણને આ સ્થાને પોતાના બાળકનું ભવિષ્ય દેખાતું હોય, પરંતુ એ ભવિષ્ય પણ કેવું વામણું, દયનિય અને ભીખના ભારથી દલાયેલું છે! સોનેટની અંતિમ બે પંક્તિમાં આ પાત્રોના જીવનની કરૂણતા વધારે વેધક રીતે બહાર આવે છે. સુકોમળ બાળક ભીખ માગી રહ્યું છે, તેને જાણ નથી કે તેની ગતિ પણ કાળના કળણ તરફ જ તેને ખૂંપવા માટે લઈ જઈ રહી છે, પછી ભલે ગતિ મંથર હોય. અહીં એક ઠાવકા સ્થાનેથી ભિખારીની, ભિખારણની અને બાળકની મૃત્યુભણી થતી ગતિ છે, જેમાં ભોરાભર કરૂણતા છે.

મડિયા પાત્ર દ્વારા સોનેટ સર્જે છે. તેમણે ‘અડગ થંભ કોંક્રિટના’ શીર્ષકથી રૂપલલના ઉપર પણ સોનેટ રચ્યું છે. તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ:

અહીં નગરવાટમાં ગગનચુંબી ઇમારતો તણાં પગથિયાં પરે અડગ થંભ કોંક્રીટના ટકાવત પ્રચંડ બોજ શિર પે સદા. આડશે ઊભેલ લલના અકેક નિજ દેહને વેચવા, જ્યહીં ગુપત ભાવતાલ ઠરતા; અને ઠારતા સુધા મનુજ દેહની; અડગ તોય આ થાંભલા. શિરે અચળ થંભને શયનખંડ ઊભા ઘણા અકેક મજલે, જ્યાં પ્રણયકેલિ કૈં ચાલતી; વસે નફકરાં નચિંત યુગલો નિજવાસમાં હસે રસિક દંપતી સુભગ હાસ્ય ઉલ્લાસમાં, –પણે પગથિયાં પરે જીવનખેલ; ના જાણતાં– શ્વસે શ્રમિત થૈ સુખે પ્રિય-પ્રગાઢ-આશ્લેષમાં. ઊભાં ચણતરો બધાં સબળ થંભ કોંક્રીટથી, ટકે યુગલસૃષ્ટિ આ અવર દેહના થંભથી!

– ચુનિલાલ મડિયા

ક્યારેક એક કવિતા આખી જિંદગી બદલી નાખે!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

જનમોજનમની આપણી સગાઈ
હવે શોધે છે સમજણની કેડી,
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે
હવે આપણે સજાવેલી મેડી.

બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
કરતું રહ્યું છે આ મન,
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન?
મંજિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી.

રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી
ખીલેલો લાગે આ બાગ,
ટહુકાને માંડમાંડ ગોઠવી શક્યો,
પણ ખરી પડ્યો એનોય રાગ.
ઊડતાં પતંગિયાંઓ પૂછે છે ફૂલોને
તારી સુગંધને ક્યાં વેરી?

– મેઘબિંદુ

મેઘબિંદુનું પૂરું નામ મેઘજી ખટાઉ ડોડેચા. મૂળ વતન કચ્છ. 9 ડિસેમ્બર, 1941ના રોજ કરાંચીમાં જન્મેલા આ કવિનું ગયા મહિને 2 ઓગસ્ટ 2021ના રોજ નિધન થયું. કરાંચીથી સ્થળાંતર કરી મુંબઈ આવી વસ્યા. એસએસસી સુધી અભ્યાસ કરી ઓક્ટ્રોય ક્લાર્ક તરીકે નોકરી સ્વીકારી, પણ હૈયામાં કવિતાનો કલરવ થતો રહ્યો. સ્કૂલના સમયથી જ હૃદયભૂમિ પર શબ્દોની સુગંધ ફોરવા માંડેલી. અક્ષરની આંતરિક ઉજવણીમાં તેમને ગીત, ગઝલ, અછાંદસ જેવી રચનાઓ સાંપડી. પણ તેમની કલમને ગીત વિશેષ ફાવ્યાં.

એક કવિતા ક્યારેક જીવનની નોખી જ કેડી કંડારી નાખે ને ખબર પણ ન પડે. મેઘબિંદુની એક કવિતાને લઈને પણ આવું જ થયેલું. ગુજરાતી સુગમસંગીતના સૌરભ જગતભરમાં વહેંચતી ફરતી સંગીતબેલડી પુરુષોત્તમ ઉપાધ્યાય-હંસા દવે અમેરિકાપ્રવાસે હતા. ત્યાંના ડલાસ શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન હંસાબહેને કવિ મેઘબિંદુની ઉપરોક્તની રચના ભાવસભર રીતે રજૂ કરી. ગીત પૂરું થયું એટલે સ્વાભાવિકપણે શ્રોતાઓએ હથેળીઓ દ્વારાં તાળીઓનાં તળાવ છલકાવ્યાં. ગાનાર ને સાંભળનાર રુંવેરુંવે ભીનાં થયાં. પણ ખરું કૌતુક તો કાર્યક્રમ પૂરો થયો ત્યારે થયું. એક દંપતી પુરુષોત્તમભાઈ અને હંસાબહેનને મળવા આવ્યું. ભીની આંખે અને ગળગળા સાદે તેમણે કહ્યું, “સાહેબ, અમારી વચ્ચે આઠ વર્ષથી અબોલા હતા. બાળકોને ખાતર જ એક છતનું શરણ લેતા હતા. ગમે ન ગમે પરાણે એકપંથે ચાલતા હતા. સાથે હોવા છતાં પાસે નહોતા. પણ આજે તમે ‘જનમોજનમની સગાઈ’વાળું ગીત ગાયું તો અમારા અબોલાનાં તાળાબંધ બારણાં ઉઘડી ગયાં. તેની અસર અમારા મનમાં એવી થઈ છે કે આજથી જ અમે સાથે રહીને સુખ શોધવાનું નક્કી કર્યું છે.” આટલું સાંભળીને હંસાબહેન બોલી ઊઠ્યાં, “અમારા માટે આથી મોટો પુરસ્કાર બીજો ક્યો હોઈ શકે?”

‘આપણા અબોલાંથી ઝૂર્યા કરે છે હવે આપણી બનાવેલી મેડી.’

આ પંક્તિ ગવાતી હશે ત્યારે પેલા દંપતીના ચિત્તમાં કેટકેટલા વસવસાઓ વમળ ખાતા હશે! જાણ્યા-અજાણ્યા વલોપાતના વહાણ મનમાં આમથી તેમ અથડાતા-કૂટાતા હશે. પણ કવિતાનું કૌવતે આ વહાણને કાંઠે લાંગરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી. આ દંપતીએ અબોલાથી ઝૂર્યા કરતી મેડીને મહેકાવવાનું નક્કી કર્યું. કેવો કવિતાનો પ્રભાવ!

પણ આ વાત હજી અહીં પતી નથી જતી. રસપ્રદ વળાંક હજી બાકી છે.

અમેરિકા-પ્રવાસની ઘટના બાદ આશરે દસેક વર્ષ પછી આ જ સંગીતબેલડીનો કાર્યક્રમ અમદાવાદમાં ટાઉનહોલ ખાતે હતો. કાર્યક્રમમાં તેમણે ફરી ‘જનમોજનમની આપણી સગાઈ’ રચના રજૂ કરી. શ્રોતાઓ ફરીથી એ જ ભાવમાં રસતરબોળ થયા. હંસાબહેનથી સહજભાવે પેલી ઘટનાનો ઉલ્લેખ થઈ ગયો કે થોડાં વર્ષો પહેલાં અમેરિકામાં આવું થયેલું. પણ ત્યાં તો ઓડિયન્સમાંથી તરત એક બહેન ઊભા થયાં. ગદગદ કંઠે બોલી ઊઠ્યાં કે, “તમે જે વ્યક્તિનો ઉલ્લેખ કરો છો તે હું પોતે જ છું! અમે અમેરિકાથી થોડા સમય માટે અમે અમદાવાદ આવ્યાં છીએ. છેલ્લાં દસ વર્ષથી સાથે રહીને સુખમય સહજીવન ગાળી રહ્યાં છીએ.” તેમના હૈયામાંથી નીકળતા એ સુરમાં કવિતા ગાનાર અને લખનાર પ્રત્યે વણકથ્યો આભાર હશે, તેમાં કોઈ બેમત નથી. કાવ્યની એકાદ પંક્તિ ક્યારેક નિરાશાના ઘોર નર્કમાંથી ઉગારી લે છે. ક્યારેક તોફાને ફસાયેલાં વ્હાણને કિનારે લાંગરી દે છે. કાળના કળણમાં ફસાયેલા માણસને દોરડું આપીને ઊગારી લે છે. કવિના શબ્દની આ જ તો કમાલ છે!

કવિ મેઘબિંદુના દૈહિક અંશે આપણી વચ્ચેથી વિદાય લધી, પણ તેમનો અક્ષરદેહ હંમેશાં ગુજરાતી ભાષાને અજવાળતો રહેશે. રચનાઓ ગવાતી રહેશે. તેમની કલમચેતનાને વંદન કરી તેમની જ રચનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ:

સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ
લાગણીનાં દોરડાં ઘસાયાં!
વાતોની વાવનાં ઊતરી પગથિયાં
પાણી પીધું ને ફસાયા!

કેટલીય વાર મારી ડુબેલી ઇચ્છાને
નીંદડીથી કાઢી છે બ્હાર,
ગોબા પડેલી ખાલી ગાગરનો
મને ઊંચકતા લાગે છે ભાર,
નીર્જન આ પંથે સાવ ધીમી ચાલુ
તોયે સ્મરણોનાં નીર છલકાયાં.

આફવાઓ સુણી સુણીને મને રોજરોજ,
પજવે છે ઘરના રે લોકો,
એકલી પડું ત્યારે આંસુંના સથવારે
હૈયાનો બોજ કરું હલકો,
એક પછી એક ગાંઠ વધતી રે જાય
ને લાગણીનાં દોરડાં ટુંકાયાં!

– મેઘબિંદુ