એકલો ચાલું, સહારો ના ખપે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

એકલો ચાલું, સહારો ના ખપે;
માર્ગ છો ભૂલું, સિતારો ના ખપે.

પાનખરને આવકારું હર્ષથી,
કાયમી કેવળ બહારો ના ખપે.

વેગળી મંજિલ રહે મંજૂર છે,
રાહમાં એકે ઉતારો ના ખપે.

સાગરે ડૂબું ભલે મઝધારમાં-
સાવ પાસે હો કિનારો, ના ખપે.

— શિલ્પિન થાનકી

રવીન્દ્રનાથ ટાગોરનું એક સુપ્રસિદ્ધ ગીત છે- “તારી જો હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે...” મૂળ બંગાળી ગીતનો મહાદેવભાઈ દેસાઈએ ખૂબ સરસ ભાવાનુવાદ કર્યો છે. હાક માર્યા પછી કોઈ આવે કે ન આવે એકલા નીકળી પડવું. આગળ જતા આપોઆપ કાફલો થઈ જશે. મજરૂહ સુલ્તાનપુરીનો શેર કેટલો અદ્ભુત છે!

મૈં અકેલા હી ચલા થા જાનિબે મંજિલ મગર,
લોગ સાથ આતે ગયે ઔર કારવા બનતા ગયા.

શરૂઆતમાં કોઈ સાથે નહીં આવે. તમારો રસ્તો કાંટાળો છે એ બધા જાણે છે. ચાલવાનું શરૂ કરશો એટલે આપોઆપ લોકોને તમારી મહેનત, ખંત અને પરિશ્રમ દેખાશે. ધીમે ધીમે લોકો તમને પ્રોત્સાહન આપતા થશે. જે લોકો તમને નકારતા હતો એ જ લોકો આગળ જતા તમારા રસ્તા પર ચાલવા લાગશે. દશરથ માંઝીને યાદ કરો. એકલા માણસે પહાડ ખોદીને રસ્તો કર્યો હતો. તેને કોનો સહારો હતો? તેણે માત્ર પોતાના હૃદયનું સાંભળ્યું. જ્યારે તમે કંઈક નવું કરવા જશો ત્યારે જગત તમારી વાતનો વિરોધ કરશે જ, પણ જ્યારે તમે તમને સાબિત કરી દેશો, ત્યારે જે વાત માટે જગત તમને નકારતું હતું, એ જ વાત માટે જગત તમને શાબાશી આપશે.

કવિ શિલ્પીન થાનકી કોઈના સહારા વિના એકલા ચાલવાની વાત કરે છે. કોઈનો ટેકો ખપે તેમ નથી. ‘ટેકો’ શબ્દ તો રાજકારણ સાથે પણ સંબંધ ધરાવે છે, અહીં એ ટેકાની વાત નથી. રાજકારણને તો ટેકા ને ટીકા વિના ચાલે તેમ નથી. ટેકા વિના સરકાર ક્યાં ટકે છે. અહીં ટેકાની નહીં, ટેકની વાત છે, પ્રણની વાત છે. ગમે તેવી મુશ્કેલી આવે, હું ડગીશ નહીં એવી અંતરાત્માને હામ આપી દો પછી વાંધો નથી આવતો. આગળ જતાં ભૂલા પડાશે, ભટકવાનું થશે. જિંદગીમાં દરેક પળ સુગંધિત નથી હોતી. ફૂલ ક્યાં કાયમ ટકે છે? એ પણ ખરવાનું છે. પાનખરને પણ હર્ષથી સ્વીકારવાની છે, કાયમ બગીચામાં બહારો ના હોય. એકધારું સુખ તો આપણને વધારે નબળા પાડી દે. ભગવાન બુદ્ધ, બુદ્ધ બનતા પહેલાં સિદ્ધાર્થ નામે રાજકુમાર હતા. તેમને જીવનમાં ક્યારેય દુઃખ પડ્યું નહોતું, અચાનક તેમને એક દિવસ એક વૃદ્ધ માણસ જોયો, એક રોગીષ્ઠ જોયો અને એક મૃત માણસ જોયો. અગાઉ તેમણે ક્યારેય આવા માણસો જોયા નહોતા. તેમણે પોતાના ચાકરને પૂછ્યું આ કોણ છે? ચાકરે કહ્યું, એ વૃદ્ધ છે. જીવનના અંતે દરેક ઘરડા થાય છે. જીવનમાં માણસ બીમાર પણ પડે છે અને દરેક માણસને અંતે મરવાનું તો છે જ. સિદ્ધાર્થ વિચારવા લાગ્યો, શું હું પણ ઘરડો થઈશ? હું પણ બીમારીમાં સપડાઈશ? હું પણ એક દિવસ મૃત્યુ પામીશ? અનેક દિવસો સુધી તેમના મનમાં આ વાત ઘૂમરાતી રહી. આખરે તેમણે સંસારત્યાગ કરી પરમ સત્યની શોધ કરવાનું નક્કી કર્યું. એ ઘટના મહાભિનિષ્ક્રમણ નામે ઓળખાઈ. ત્યાર બાદ લાંબા તપ પછી તેમને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ ભગવાન બુદ્ધ તરીકે જાણીતા બન્યા. વાત એકધારા છે. માણસ સુખથી પણ કંટાળે છે. માણસ વિવિધ લેયર્સમાં જીવે છે. કોઈ પણ વાતે એકધારાપણું નથી ગમતું.

કવિ શિલ્પીન થાનકીઓ કોઈની સહાય લીધા વિના પોતાની કેડી જાતે કંડારવાની વાત કરી છે. જ્યારે તમે ચાલવાનું નક્કી કરી જ નાખો ત્યારે ગમે તેવી મુશ્કેલી હોય, રોકી નથી શકતી. જે માણસ પોતાની અંદરની હિંમત લઈને ચાલતા હોય તેમને પગની જરૂર નથી હોતી. ભલે મંજિલને સમયસર પામી ના શકાય, પણ મારે વચ્ચે ઉતારો નથી જોઈતો. ડૂબવું મંજૂર પણ છે, પણ કોઈનો આપેલો કિનારો ના ખપે. જ્યારે હિંમત હોય ત્યારે તમને કોઈ ઊડતા નથી રોકી શકતું.

લોગઆઉટઃ

યે કૈંચિયા હમેં ઊડને સે ખાક રોકેગી,
કિ હમ પરોં સે નહીં, હૌંસલો સે ઊડતે હૈ.

— રાહત ઇન્દોરી


આવી શકે તો આવ, આ વરસાદી સાંજ છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

આવી શકે તો આવ, આ વરસાદી સાંજ છે;
છત્રી વગર ઝુકાવ, આ વરસાદી સાંજ છે.

કાગળ ઘણા લખ્યા છે પરસ્પરને આપણે;
એની બનાવ નાવ, આ વરસાદી સાંજ છે.

માટીની મ્હેક તારી તરફ તો ઘણી હશે;
સાથે તું લેતી આવ, આ વરસાદી સાંજ છે.

થોડી જ વારે મેઘધનુ ખીલી ઊઠશે;
ગજરે તું એ ગૂંથાવ, આ વરસાદી સાંજ છે.

નેવાં છલી ઊઠ્યાં છે ને વૃક્ષો ટપક-ટપક;
સંતૂર તું બજાવ, આ વરસાદી સાંજ છે.

કેવળ ગહેકે મોર તો જલસો નથી થતો;
મલ્હાર તું સુણાવ, આ વરસાદી સાંજ છે.

છે કલ્પનાની વાત કે વરસાદ ભીંજવે;
તું આવ ને ભીંજાવ, આ વરસાદી સાંજ છે…

– ભગવતીકુમાર શર્મા

વરસાદ ઉપર કેટકેટલાં કાવ્યો લખાયાં છે. એમાંય રમેશ પારેખનું ‘વરસાદ ભીંજવે’ ગીત તો યાદ આવ્યા વિના રહે જ નહીં. જેમની ગઝલ અહીં આપવામાં આવી છે, તે કવિ ભગવતીકુમાર શર્માનું આ ગીત પણ કેમ ભૂલાય?

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં,
હવે માટીની ગંધ, અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં.

મે 21, 1934માં સુરતમાં જન્મેલ ભગવતીકુમાર શર્માએ 2018માં વિદાય લીધી, આ દરમિયાન તેમણે સાહિત્યના અનેક સ્વરૂપોમાં કામ કર્યું. ગઝલ, ગીત, અછાંદસ જેવા પદ્યસ્વરૂપોની સાથે તેમણે અનેક ગદ્યસ્વરૂપો પણ ખેડ્યાં. ‘અસૂર્યલોક’ તેમની ખૂબ જાણીતી નવલકથા છે. પણ તેમની પ્રથમ ઓળખ હંમેશાં કવિ તરીકેની રહી.

વરસાદી સાંજના મિજાજને તેમણે આ ગઝલમાં ખૂબ સુંદર રીતે કંડારી આપ્યો છે. વરસાદી સાંજે આપોઆપ ગમતા પાત્રને ઇજન અપાઈ જાય. મિલન માટે આનાથી વધારે યોગ્ય સમય બીજો કયો હોઈ શકે? આકાશમાં વાદળ ઘેરાવાના શરૂ થાય ત્યારે હૃદયમાં પણ વીજળી કડાકા નાખવાનું શરૂ કરી દે છે. આકાશમાં ગર્જના થતાની સાથે હૃદયના ધબકારા પણ મોટે મોટેથી કોઈકને પોકારવા લાગે છે. નયન કોઈને જોવાની ઝંખના સેવે છે. એવી ક્ષણોમાં છત્રી વિઘ્નરૂપ થતી હોય છે. ભીંજાવામાં જે મજા છે તે છત્રીમાં ક્યાં છે. એમાંય એક છત્રીમાં બે જણા ભીંજાય એનાથી વધારે રૂડું બીજું શું? એક છત્રીમાં બે જણા કઈ રીતે કોરા રહી શકે? એમાં ખરેખર તો ભીંજાવાની મજા જ લેવાની હોય. છત્રી તો માત્ર બે જણાને વધારે નજીક લાવવાનું કામ કરતી હોય છે. છત્રી ખરેખર તો બે હૈયાને છત્ર ધરતી હોય છે.

આવી વરસાદી સાંજે પ્રેમપત્રોની નાવડી બનાવીને તેને વરસાદી જળમાં વહાવી દેવાની ઇચ્છા થાય. એ બહાને પ્રેમ એકમેકના હૈયામાં હરહંમેશ વહેતો રહે. મોબાઇલના આ સમયમાં પ્રેમપત્રોનો સુવર્ણકાળ જાણે કે આથમી ગયો છે. પત્ર લખવાની જે મજા છે, તે મેસેજ ટાઇપ કરવામમાં ક્યાં છે. છાનામાના પત્રો લખવા, એની માટે ખાસ રંગીન કાગળો લાવવા. વિવિધ રંગની પેન વાપરવી. પ્રિય પાત્રને ગમે એવું દિલ દોરવું, આ બધી બાલીશ લાગતી વાતો ખરેખર તો ઊર્મિના આંગણામાં ઊગેલાં ફૂલ જેવી હોય છે એની મહેક આજીવન હૃદયમાં સચવાતી હોય છે. એ સુગંધ જીવનભર આપણને મઘમઘતા રાખે છે. પહેલો વરસાદ પડતા માટીની મીઠી સુગંધ અનુભવાય તેવી અનુભૂતિ પ્રથમ પ્રેમપત્રની પણ હોય છે. એ પછી ગમે તેટલા સારા પત્રો લખાય, પણ પહેલો પત્ર એ પહેલો પત્ર છે. પ્રેમપત્રોની નાવડી બનાવનીને ઊર્મિઓને વહાવવાની ઇચ્છા થાય તેમ મેઘધનુષને ગજરામાં ગૂંથવાનું મન પણ થાય. ધીમા વરસાદમાં પ્રિય પાત્ર સાથે હોય ત્યારે ટપકતાં નેવાં અને વરસાદનાં ટીપાં જાણે કે સંતુર વાગતી હોય અને હૃદયના તાર ઝણઝણતા હોય એવી અનુભૂતિ કરાવે. આ અનુભૂતિને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. તે વખતે મોરનો ટહુકો મલ્હાર જેવો લાગતો હોય છે. અને પેલી કાગળની નાવમાં બેસીને જ જાણે કે આપણે વહી રહ્યા હોઈએ, પ્રેમના દરિયાની ઊંડી સફરે નીકળી ચૂક્યા હોઈએ એવું લાગે છે.

ચોમાસાએ પોતાનાં પાવન પગલાંથી ધરતીને ભીની કરી દીધી છે, ત્યારે તેમાં ભીંજાવાની મજા જવા દેવા જેવી નથી.

લોગઆઉટઃ

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!
ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!
અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

– ભગવતીકુમાર શર્મા


મારી દીકરી ક્યાં?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

આખરે ઉજાગરાનો અંત આવ્યો:
લગન ઊકલી ગયાં.
મા હવે
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છે
સંભાળી સંભાળી ગોઠ્વે છે:
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ-
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી-
પણ

અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન :
‘મારી દીકરી ક્યાં?’

— જયંત પાઠક

દીકરી વિશે આપણે ત્યાં કેટકેટલાં કાવ્યો લખાયાં છે. દીકરીની વિદાયનો પ્રસંગ તો ખૂબ હૃદયસ્પર્શી રીતે આલેખાયો છે. કવિ કાગે તો દીકરીને કાળજાનો કટકો કહ્યો છે. લોકગીતો હોય કે લોકકથાઓ, દીકરી પ્રત્યેનું વહાલ આપણા સાહિત્યમાં સતત નિતરતું રહ્યું છે. હૃર્ષદ ચંદારણાએ કહ્યું છે તેમ, ‘શૈશવના સપનામાં જોયેલી પરી, સદેહે અવતરી, થઈ દીકરી!’ બાળપણમાં આપણે સપનામાં પરીને જોતા હોઈએ, મોટા થઈને આપણે ત્યાં એ જ પરી દીકરી થઈને અવતરે છે... તેનો અવતાર અજવાળું લઈને આવે છે. તેની પગલી પડતાં ઝૂપડી પણ રજવાડા જેવી થઈ જાય છે. જેને જીવ રેડીને ઉછેરી હોય અને જે વહાલના દરિયા જેવી હોય તે દીકરીને એક દિવસ વિદાય કરવાનો સમય આવે છે. દરેક માતાપિતા માટે દીકરીને વળાવવી એ આનંદમિશ્રિત કરૂણતા છે. માતા જાણે છે કે પોતે પણ ક્યારેક દીકરી હતી. દીકરીમાં તે પોતાની છબીને જુએ છે. એની અલ્લડતા, તોફાન, એની ખૂબી કે ખામીને તે પોતે અરીસામાં જોતી હોય તેમ જુએ છે. તે એમ વિચારીને રાજી થાય છે કે મારી દીકરી અદ્દલ મારા જેવી થઈ છે. વળી આ જ વિચારે તે દુઃખી પણ થઈ જાય છે કે મારી દીકરી પણ મારા જેવી જ થશે?

પિતા માટે દીકરી એ વહાલનો એક અલાયદો દાયરો છે. પરિવારમાં દીકરી જન્મ્યા પછી કઠણ પથ્થર જેવા લાગતા માણસમાં પણ અચાનક વહાલનાં ઝરણાં ફૂટી નીકળે છે. તેની સૂકી આંખોમાં અચાનક ભીનાશ ઊભરી આવે છે. તેની છાતીમાં જાણે એક કૂણી કૂંપણ પાંગરી હોય તેવો અનુભવ થવા લાગે છે. દીકરીને જરા આંચ પણ આવે તો પિતાની છાતી ચિરાય છે.

મા-દીકરીનો સંબંધ તો વિશેષ અલાયદો છે. દીકરી પહેલીવાર રજસ્વાલા થાય, ત્યારે માતાને પણ પોતાની કિશોરાવસ્થા યાદ આવે છે. દીકરીની આ અવસ્થા પછી તે માદીકરી મટીને મિત્રો બને છે. ઘરની નાની નાની વસ્તુને સહિયારી આંખે જોતી થાય છે. થાળી-વાટકા-ચમચીથી લઈને ઘરમાં આવતા સારા-નરસા પ્રસંગોને તે મૈત્રીભાવે પાર પાડે છે. પિતા નામનું છત્ર તેમને હરહંમેશ હૂંફ આપતું રહે છે.

આપણે ત્યાં દીકરીને પારકી થાપણ કહેવાય છે. એવી થાપણ કે જેને આપણે બીજા માટે સાચવી રાખવાની છે. પારકાને સોંપવાની છે. પણ આ પારકાને પારકા નથી રાખવાના, પોતાના કરવાના છે. દીકરી નામના દીવાનું અજવાળું બે ઘરને અજવાળે છે. જ્યારે અજવાળું વહેંચવાનું થાય છે ત્યારે માતાને હરખ થાય છે અને મનમાં ચિંતા પણ થાય છે કે બધું સુપેરે પાર તો પડશે ને? કદાચ એટલા માટે જ આપણે ત્યાં લગ્નની વિધિઓ લાંબી હોય છે, જેથી અંગત સ્વજનને હંમેશ માટે બીજાને સોંપવાનું છે તેવો મન પર ભાર ન રહે અને મન સતત આ વિધિઓ અને રિવાજોમાં જ અટવાયેલું રહે. મહેમાનોનું જમવાનું, તેમની આગતાસ્વાગતા, રહેઠાણ, લગ્નની વિધિઓ, મંડપ, સામૈયા આ બધામાં પરિવારજનો એટલા બધા અટવાયેલા રહે છે કે તેમને દુઃખી થવાનો પણ સમય નથી મળતો. પણ લગ્ન ઉકલ્યા પછી, અનિલ જોશીના શબ્દોમાં કહીએ તો કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને જાય પછી, બધી વસ્તુઓની ગણતરી થાય છે. વાસણો, કપડાં, મહત્ત્વની અનેક વસ્તુઓ બધું બરોબર તો છેને? ક્યાંય કશું ખોવાયું તો નથીને? આ બધું પત્યા બાદ અચાનક એક ઊંડો ખાલીપો આખા ઘરને ઘેરી વળે છે. અવસર પત્યા અવસરની ઉધાસી ઉડીને આંખે વળગે છે. વિરલ દેસાઈનો શેર યાદ આવી જાય, “અવસરના જોશ કરતાં એ હોય છે વધારે, અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી.”

માતાને આ સૂનકાર ઘેરી વળે છે. તે ઓરડામાં અધવચ્ચે જ ઊભી રહી જાય છે, તેની આંખમાંથી એક પ્રશ્ન આંસુનું રૂપ ધારણ કરીને સરી પડે છે, મારી દીકરી ક્યાં?

લોગઆઉટઃ

દીકરીની વિસ્મયભરી આંખોમાં છે
પ્રશ્નો, આશ્ચર્ય અને ભોળપણ
એના પ્રશ્નો
મને મૂંઝવી દે છે
એના ફૂલોના ઢગલા જેવા હાસ્યને
સૂંઘીને હું જીવવા માટેના શ્વાસ
એકઠા કરી લઉં છું
કદાચ… આવતી કાલે…
એનું હાસ્ય
આટલું બધું સુગંધિત નહીં હોય.

– શેફાલી રાજ

કરે કોઈ જીતની ચર્ચા, કરે કોઈ હારની ચર્ચા

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

કરે કોઈ જીતની ચર્ચા, કરે કોઈ હારની ચર્ચા;
રમત તો થઈ પૂરી બાકી રહી બેકારની ચર્ચા.

ભૂખે મરતાઓને કહી દો જરા થોભે ને રાહ જોવે,
હજુ ચાલે છે એ પ્રશ્નો ઉપર સરકારની ચર્ચા!

હતો જે ભાર માથા પર એ નો'તું થાકનું કારણ,
ગયા થાકી હકીકતમાં કરી એ ભારની ચર્ચા.

જીવનભરની કમાણીને ગુમાવીને હું બેઠો'તો,
તમે આવીને છેડી ત્યાં જીવનના સારની ચર્ચા.

ગરીબી જો હટી જાશે તો નેતાઓનું શું થાશે?
પછી કરશે અહીં કોના ભલા ઉદ્ધારની ચર્ચા?

વહે છે ખૂન જખ્મોથી અને એ જખ્મીઓ સામે,
અમે કરતા રહ્યા 'કાયમ' ફક્ત ઉપચારની ચર્ચા.

— કાયમ હજારી

આસીમ રાંદેરીએ લખ્યું છે,

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી.

આપણે મૌનનું મહત્ત્વ સમજવા છતાં ચર્ચાની ચ્વિંગમ ચાવવાનું મૂકતા નથી. આ કામ આપણને બરોબરનું માફક આવી ગયું છે. રમત પૂરી થાય પછી કે પહેલાં, જીત થાય કે હાર, ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. કશું ન થાય તો કશું ન થયાની ચર્ચા કરવાની, તેના વિના ચાલતું નથી. કવિ કાયમ હજારી માનવસ્વભાવમાં રહેલી ચર્ચાવૃત્તિને સારી પેઠે ઓળખી ગયા છે, એટલા માટે જ તેમણે આ ગઝલ લખી છે. ઘાયલસાહેબે લખ્યું કે, ‘ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે.’ તેમને ચર્ચામાં લિજ્જત દેખાય છે, પણ એ તો ગભરુ આંખોમાં કાજળ થવાની તક મળે તો! બાકી લિજ્જત ક્યારેક ઇજ્જત લઈ લે. લોકોને ચર્ચાવાનું ગમતું હોય છે. ઘણા ફિલ્મએક્ટરો કંઈક ને કંઈક કરી સતત ચર્ચામાં રહેતા હોય છે. તેમને એવું લાગે છે કે કોઈ ચર્ચા જ ન કરે તો આપણે માર્કેટમાંથી ફેંકાઈ જઈશું. ચર્ચા જ ન થાય તો એ ય એક પ્રકારની વગોવણી કહેવાય. સૈફ પાલનપુરીનો એક અદ્ભુત શેર છે,

મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું,
આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું.

કોઈ આપણો જરા સરખો નામોલ્લેખ સુધ્ધાં ન કરે એ આપણી ફજેતી નહીં તો બીજું શું? ઘણી વખત ઘણી જગ્યાએ એકદમ ચાલાકીપૂર્વક આપણી બાદબાકી થઈ જતી હોય છે.

ઘણાને કામ કરવા કરતા કામની ચર્ચામાં જ રસ હોય છે. સરકાર ગરીબી દૂર કરવાની ચર્ચા વર્ષોથી કરે છે. સરકાર વર્ષોથી ગરીબી અને ભૂખમરો દૂર કરવાની ચર્ચા કરે છે. પંચવર્ષીય યોજનાઓ બનાવે છે. કરોડો, અબજો રૂપિયા ખર્ચાઈ ગયાં આટલાં વર્ષોમાં છતાં હજી ભૂખમરો તો દૂર થતો જ નથી. આમાં તો ધરાયેલા જ ધરાય છે. ભૂખ્યા બાપડા ભૂખ્યા રહે છે. કાગળ પર અને સરકારી ફાઇલોમાં ગરીબી દૂર થાય છે. ગરીબ તો બાપડો વધારે ને વધારે ગરીબ થતો જાય છે. આ જ આપણા દેશની કરૂણતા છે. ગરીબી દૂર કરવાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે મોટા રોડશો યોજાય, મંડપો બંધાય, નગર આખું રોશનીથી શણગારાય ને આ રીતે લાખો-કરોડોનું આંધણ થાય. આ બધી ઝાકઝમાળ પાછળ ખર્ચાતો પૈસો સીધો ગરીબોને જ આપી દેવામાં આવે તો કેટલું સારું? કાયમ હજારીએ બીજા એક શેરમાં નેતાઓ પર આકરો કટાક્ષ કર્યો છે, ગરીબી હટી જશે તો બાપડા નેતાઓ બેકાર થઈ જશે, તેમનું શું થશે? તે કોના ઉદ્ધારની ચર્ચા કરશે? તેમનાં ભાષણો, યોજનાઓ બધું જ અભરાઈ પર ચડી જશે.

ઘણી વાર જો આપણે કોઈ કામમાં એવા લીન થઈ જઈએ કે આપણને વાગ્યું હોવા છતાં એનો અહેસાસ થતો નથી. પણ સાવ નવરા હોઈએ અને જરાક અમથું પણ વાગ્યું હોય તો દુખાવો થયા કરે છે, એનું કારણ એટલું જ હોય છે કે આપણું મન સતત તેની પર જ કેન્દ્રિત હોય છે. એ નાનકડા ઘાવને વારંવાર પંપાળતા જ રહીએ છીએ. ચિંતા, વ્યગ્રતા, વ્યથા કે ઉદાસીનું પણ એવું જ છે. આપણે જેટલા પંપાળીએ તેટલા તે આપણને વધારે પરેશાન કરે છે. માનસિક ભારનો થાક ત્યારે વધારે લાગે છે, જ્યારે એ ભારની વારંવાર ચર્ચા કરવામાં આવે.

જિંદગીમાં લક્ષ્ય હોવું જ જોઈએ એવું કોણે કહ્યું. ક્યાંક પહોંચવું જ એવું નક્કી થોડું છે? ખરો આનંદનો સફરનો છે, મંજિલ પામવાનો નહીં. મંજિલ મળી ગયા પછી તો એક ખાલીપો ઊભો થતો હોય છે કે હવે શું? જીવનના સાર સમાન બધું જ ગુમાવીને બેઠા હોઈએ ત્યારે કોઈક આવીને સારની ચર્ચા કરે તો શું થાય?

મંચ અને પ્રસિદ્ધિને જ બધું માનતા શાયરોને ઉદ્દેશીને કહેલો ભાવિન ગોપાણીનો આ શેર ખાસ વાંચવા જેવો છે.

લોગઆઉટઃ

પ્રસિદ્ધિ મંચની મોહતાજ છે એવું કહ્યું કોણે? 
કવિને એક સારો શેર પણ ચર્ચામાં રાખે છે. 

— ભાવિન ગોપાણી



કાન ખોલીને બધા પડકારનો આદર કરો

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

કાન ખોલીને બધા પડકારનો આદર કરો,
હાથમાં જે હોય તે હથિયારનો આદર કરો.

સાવ બોદા થઈ ગયેલા હોય જો સંબંધ તો,
જેમ જેવો થાય તે રણકારનો આદર કરો.

સત અસતનો જો કદીયે તાગ લેવો હોય તો,
દાવા સાથેના બધા આધારનો આદર કરો.

રક્તમાં થીજી ગયેલા જીવને જીવાડવા,
શ્વાસ મધ્યે ધ્રૂજતા ધબકારનો આદર કરો.

વાત નિરાકાર સાથે હોય જો કરવી કદી,
તો પછી એના બધા આકારનો આદર કરો.

— વારિજ લુહાર

‘વન્સ અપન અ ટાઇમ ઇન મુંબઈ’ ફિલ્મમાં એક સુંદર સિન છે. સુલતાન મિર્જા (અજય દેવગન) ફિલ્મની અભિનેત્રી રેહાના (કંગના રનૌત)ને મળવા જાય છે, આટલી મોટી હિરોઈનને મળવા ખાલી હાથે થોડા જવાય? પણ મોંઘી ગિફ્ટ લેવાનો સમય નથી. એટલે જ્યાં શૂટિંગ ચાલતું હતું ત્યાં બહાર એક લારીવાળો જામફળ લઈને ઊભો હોય છે તેની પાસેથી જામફળ ખરીદે છે. એક જામફળની કિંમત માત્ર ચાર આના છે. હિરોઇનને આવી સસ્તી ભેટ આપીએ તો સારું ન લાગે. એટલે તે જામફળવાળાને પૂછે છે, ‘ધાર કે આ દુનિયાનું સૌથી અંતિમ જામફળ છે, આના પછી ધરતી પર કોઈ જામફળ જ નહીં રહે, તો આની કીંમત કેટલી?’ પેલો કહે, ‘ચાર રૂપિયા.’ તેણે ફરી પૂછ્યું, ‘ધાર કે મુમતાજે પોતે જ આ જામફળ ઉગાડ્યું છે અને સલીમના હાથમાં ફૂલ નહીં પણ આ જામફળ હતું, હવે આની કિંમત કેટલી?’ પેલાએ કહ્યું, ‘ચાલીસ રૂપિયા.’ છતાં અજય દેવગનને સંતોષ ન થયો, તેણે કહ્યું, ‘ધાર કે આદમે સૌથી પહેલાં સફરજન નહીં, પણ આ જામફળ ખાધું હતું, હવે આની કિંમત કેટલી?’ પેલો કહે ચારસો રૂપિયા. ચાર આનાનું સફરજન ચારસો રૂપિયામાં ખરીદ્યું. પછી કંગનાને આપતી વખતે કહે છે, મોંઘું કશું ન મળ્યું તો સસ્તાને જ મોંઘું કરીને લઈ લીધું. વાત સસ્તા કે મોંઘાની નથી, પણ આપણને જે સરળતાથી મળી છે તેની આપણને કિંમત નથી હોતી.

સુખ અને દુઃખ બંનેને પ્રેમથી સ્વીકારતા થઈ જઈએ તો બેડો પાર થઈ જાય. સુખ આવે કે તરત જ આપણે છકી જઈએ છીએ. આપણે જાણે કે ક્યારેય દુઃખી હતા જ નહીં અને ભવિષ્યમાં ક્યારેય થઈશું પણ નહીં એવી રીતે વર્તવા લાગીએ છીએ. પણ જેવો કશો પડકાર આવ્યો કે પાછા ધરતી પર આવી જઈએ છીએ. કેમ કે આપણે આપણી પરિસ્થિતિનો આદર કરવાનું ભૂલી જઈએ છીએ. વારિજ લુહારે ગઝલ દ્વારા આપણા જીવનમાં આવતા તમામ પડકારોનો આદર કરવાનું કહ્યું છે, પછી તે સારો હોય કે ખરાબ. જિંદગીના યુદ્ધમાં જ્યારે જે હથિયાર હાથમાં આવ્યું તેનાથી આપણે લડતા રહેવાનું છે, એ હથિયારનું સન્માન કરવાનું છે. આ હથિયાર યોદ્ધાની જેમ હાથમાં ધારણ કરેલું હોય તે જરૂરી નથી. આ હથિયાર માનસિક પણ હોઈ શકે. ઝઝૂમતું કોણ નથી? કરોડોપતિથી લઈને ભીખારી સુધીના માણસો પોતાની જિંદગીમાં ઝઝૂમતા રહે છે, એ દરેકના હાથમાં તલવાર કે ભાલાં નથી, એમના હાથમાં તેમનો જુસ્સો છે, જોમ છે. બસ એનો આદર કરવાનો છે.

લાંબાગાળે સંબંધોમાં એકધારાપણું આવવાથી તેમાં નિરસતા આવી જાય છે અને આ નિરસતા તિરાડમાં ફેરવાય છે. ત્યારે આપણે તે તિરાડો કેમ સર્જાઈ છે તેના મૂળમાં જવાની તસ્દી બહુ લેતા નથી. એ પરિસ્થિતિનો પણ આદર કરીએ તો ચોક્કસ નવો રસ્તો નીકળે. પણ સ્થિતિ જ એવી હોય છે કે સાચું શું કે ખોટું શું તે સમજાતું નથી. અને આમ પણ એક માણસને મન જે સત્ય હોય તે બીજાને મન ન પણ હોય. દરેકનું સત્ય અલગ હોય છે. દરેકનું સત્ય એનું પોતાનું જ હોય છે, એ બીજા પર થોપી ન શકાય. અકબર બિરબલની એક સરસ વાર્તા છે. એક દિવસ અકબરે બિરબલને કહ્યું કે મને એવી વાત કહો કે જે સુખમાં દુઃખનો અનુભવ કરાવે અને દુઃખમાં સુખનો. બિરબલે બહુ વિચારીને એક વાક્ય કહ્યું, ‘આ સમય પણ ચાલ્યો જશે.’ અકબર જ્યારે ખૂબ સુખના શિખરે બેઠો હોય ત્યારે એક વાક્ય બોલે કે આ સમય પણ ચાલ્યો જશે ત્યારે તે સીધો ધરતી પર આવી જાય કે ઓહ, આ સુખ વધારે નથી. મારે છકી ન જવું જોઈએ. અને જ્યારે દુઃખની ઊંડી ખાઈમાં ધકેલાઈ જાય ત્યારે પણ એ જ વાક્ય દવા જેવું કામ કરે. આ દુઃખી સમય પણ લાંબો ટકવાનો નથી.

બસ, માણસ પોતાના સુખી કે દુઃખી સમયનો આદર કરતો થઈ જાય તો જીવનમાં મુશ્કેલી રહેતી જ નથી.

લોગઆઉટઃ

સર્વોપરી આદર રહ્યો મૂંગો આદર,
કે લાગણી ખાતર રહ્યો મૂંગો આદર;
શબ્દોની મહત્તા છે, પરંતુ એટલી ક્યાં?
સાચો રહ્યો સુંદર રહ્યો મૂંગો આદર.

— મરીઝ

મને મારા સુધી લઈ જાવ, ભાડું થાય તે લેજો!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

નદીમાં કોઈ મુકો નાવ, ભાડું થાય તે લેજો
મને મારા સુધી લઈ જાવ, ભાડું થાય તે લેજો

અમારે એક ક્ષણમાં કેટલાયે યુગ રહેવું છે
અમે મૂકી દીધો પ્રસ્તાવ, ભાડું થાય તે લેજો

તમારી આંખમાં જોયું, ને જોયું કે પગથિયાં છે
રહીશું ત્યાં ઉતારી વાવ, ભાડું થાય તે લેજો

અમારી વેદનાઓ બહાર ખુલ્લામાં પડી રહેશે
ફક્ત ઘરમાં તો રહેશે ઘાવ, ભાડું થાય તે લેજો

રમત રમવા જીવનનું સ્વપ્ન માગીને લીધું છે તો,
અમે પૂરો કરીશું દાવ, ભાડું થાય તે લેજો.

— સુરેન્દ્ર કડિયા

આપણે ત્યાં કવિતામાં સ્વશોધની વાતો ખૂબ થઈ છે. મોનોટોની લાગે એ હદે આ વાત લખાઈ છે. ભાવેશ ભટ્ટનો આ સંદર્ભે એક જુદા પ્રકારનો શેર છે,
એટલે શોધતો નથી હું મને,
મારી ઉપર કોઈ ઇનામ નથી.

કોઈ ખૂંખાર ડાકુ, કે જેના માથા પર મોટું ઇનામ હોય, તેને જીવતો કે મરેલો શોધી લાવનારને મોટી રકમ આપવામાં આવવાની હોય તો તેને શોધવા માટે અમુક લોકો સાહસ કરે. પણ જેની કોઈ કિંમત નથી, શોધવા-ન શોધવાથી કંઈ ફેર નથી પડવાનો, તેને કોણ શોધે? અહીં સ્વશોધની વાત છે, જાતને પામવાની વાત છે, પોતાને પામી જવું એ જ મોટું ઇનામ હોઈ શકે.

સુરેન્દ્ર કડિયાની આ ગઝલની આ રદીફ તરત ધ્યાન ખેંચે એવી છે. આવી રદીફ નિભાવવી ખૂબ અઘરી હોય છે, પણ તેમણે સાદ્યંત નિભાવી છે. નદીમાં કોઈ નાવ મૂકો, એનું જે ભાડું થાય તે તમતમારે લઈ લેજો. પણ મારે સામે કાંઠે નથી જવું, મારે તો મારા સુધી જવું છે. હવે આ નાવ કઈ? નદી કઈ? અને ભાડું કેટલું? આવા પ્રશ્નો મનોમંથનના ઊંડાણમાં લઈ જાય છે. ધન, પ્રતિષ્ઠા, મોભો બધું જ પામ્યા પછી પણ માણસને કશોક ખાલીપો રહેતો હોય છે. માનવી ક્યાંય સંપૂર્ણતા નથી અનુભવતો. જેની પાસે કશું નથી તેને એમ થાય કે એક સુંદર સાઇકલ હોય તો કેટલું સારું, સાઇકલવાળાને બાઇકનો મોહ, બાઇકવાળાને કારની ખેવના, ને કારવાળાને હેલિકોપ્ટર કે વિમાનની ઝંખના... આ ચક્ર અટકતું જ નથી. એ પામ્યા પછી એમ થાય કે હવે શું? આ બધું કરવામાં છેવટે તો માણસે પોતાના સુધી જ પહોંચવું હોય છે. માણસને કયું વાહન પોતાના સુધી લઈ જાય? એ વાહન મળી જાય તો આયખું ઉત્સવ બની જાય.

ક્યારેક આપણી સાથે એકાદ ઘટના એવી બની જતી હોય છે કે એ ભૂલી ભૂલાતી નથી. આખું જીવન એ એક ઘટનામાં જ કેદ થઈ જતું હોય છે. એના પછી જે કંઈ બનતું હોય છે એ માત્ર બનતું હોય છે. પછીની દરેક ઘટનામાં આપણે હાજર હોઈએ, છતાં હોતા નથી. આપણા માનસપટ પર તો પેલી એક ઘટના જ ઘુંટાતી રહેતી હોય છે. એ ક્ષણ કોઈનો ભરપૂર પ્રેમ હોય, હાડોહાડ થયેલું અપમાન હોય, કાળજું કકડાવતી વેદના હોય, આયખાભરનો વિરહ હોય, જેની પર ખૂબ વિશ્વાસ કરતા હોઈએ તેણે આપેલો દગો હોય કે કંઈ પણ હોઈ શકે. આવી એક ક્ષણમાં યુગોનું જીવતર એકસામટું જિવાઈ જતું હોય છે. પણ એ એક ક્ષણ જીવનભર ટકી જાય તો જિંદગી રળિયાત થઈ જાય, મરીઝે લખ્યું છેને,

કાયમ રહી જો જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈવાર હોય છે.

એક ક્ષણમાં જે દર્દ આપણને અદ્ભુત અનુભવ કરાવી દે, એ અનુભવ જિંદગીભર રહે તો તો સંવેદનના શિખર સુધી પહોંચી જઈએ. જેમ ભગવાન બુદ્ધ પહોંચ્યા, જીવનની નશ્વરતાનું દર્દ એમના હૈયે એવું અડ્યું કે સત્ય પામવા માટે જિંદગી ખર્ચી નાખી. રાજમહેલ, સિદ્ધિ-પ્રસિદ્ધિ બધું ત્યાગીને ચાલી નીકળ્યા એ પરમ સત્યની શોધમાં, અને બોધીજ્ઞાન પામ્યા. એક દર્દ એમના હૈયામાં જીવનભર ટક્યું, એ દર્દે જ એમને સિદ્ધાર્થમાંથી ભગવાન બુદ્ધ બનાવ્યા. પ્રત્યેક માનવમાં એક બુદ્ધ પડ્યો છે, માત્ર તેણે શુદ્ધ થવાની જરૂર છે. આત્મા પર બાઝેલો મેલ નીકળે તો આપોઆપ મનખો મહેલ થઈ જાય. એને કોઈ મંત્ર, તંત્ર કે શ્લોકની જરૂર નથી. જિંદગી પોતે જ એક શ્લોક છે.

વેદનાઓ બહાર ખુલ્લામાં પડી રહેશે, ઘરમાં તો માત્ર ઘાવ જ રહેવાના છે. આ શેર તો ગઝલને ઓર સુંદર બનાવે છે. આખી ગઝલ ખૂબ અર્થસભર છે. પ્રત્યેક શેર મોટું ભાવવિશ્વ ખોલી આપી છે. જીવનમાં કોઈ વસ્તુ મફત નથી મળતી, દરેકની કિંમત ચૂકવવી પડે છે. ભાડું ભર્યા વિના છૂટકો નથી. આપણે લીધેલા દરેક શ્વાસની કિંમત પણ આપણે ઉચ્છ્વાસ રૂપે કિંમત ચૂકવીએ છીએ, અને તેનો અંતિમ હિસાબ આપણું જીવન હોય છે. ‘જીવ શાને ફરે છે ગુમાનમાં? તારે રહેવું ભાડાના મકાનમાં!’ શરીર નામે એક ભાડાના મકાનમાં આપણે રહીએ છીએ અને જિંદગીભર વિવિધ રીતે તેનું ભાડું ચૂકવીએ છીએ.

લોગઆઉટઃ

ન જાણ્યો દોડવાનો અર્થ, કેવળ દોડવા લાગ્યા,
ભટકતા કાફલા સાથે સ્વયંને જોડવા લાગ્યા.

ઘણા જન્મો પછી ભાડે મળ્યું’તું એક સારું ઘર,
અમે એમાંય ચારેકોર ખીલા ખોડવા લાગ્યા.

— હરજીવન દાફડા

મારા પડછાયાનું હું જ કદી જોઉં નહિ મોઢું

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

અજવાળું આવે ના' ફ્લેટમાં.
ચોખ્ખું ચટાક આભ, પંખીનું ટોળું, આ સૂરજ લ્યો ચિતરું છું સ્લેટમાં.

ગમતું બપોર હવે જોવાની રોજરોજ
કેવી આ માનતાઓ લેતા?
ભીંતે ટીંગાડેલા ખોટા અજવાસને
તડકાનું નામ પછી દેતા.

કંકુને ચોખા લઈ પોંખી વધાવું કોઈ અજવાળું આપે જો ભેટમાં.
અજવાળું આવે ના' ફ્લેટમાં.

ક્યાં છે સવાર અહીં, કુણેરી ધાર અહીં
હોય તો હું રોમરોમ ઓઢું,
કેવું કહેવાય કે મારા પડછાયાનું
હું જ કદી જોઉં નહિ મોઢું.

લીમડાને પૂછ્યું કે આવો અજવાસ તને મળે છે કેવા બજેટમાં?
અજવાળું આવે ના' ફ્લેટમાં!

— દીપક બેબસ

જગત રાત્રે ન બદલાય તેટલું દિવસે ને દિવસે ન બદલાય તેટલું રાત્રે બદલાઈ રહ્યું છે. આમ લાગે કે એક ક્ષણ વીતતી નથી. ને આમ લાગે કે વર્ષો વીતી ગયાં ને ખબર પણ ન પડી. આધુનિક ટેકનોલોજી આવતા સમય બદલાયો, માણસો બદલાયા, વાહનવ્યવહાર બદલાયાં, રહેણીકરણી પણ બદલાઈ. નાનાં મોટાં શહેરોમાં અત્યારે નવા ફ્લેટની સ્કિમોની ભરમાર છે. વનબીએચકે, ટુબીએચકે, થ્રી, ફોર, ફાઇબીએચકે ને લક્ઝ્યુરિયસ ફ્લેટની બોલબાલા છે. ફ્લેટ આમ તો એક ઉપર એક મકાનની થપ્પી કરવામાં આવી હોય એવું જ હોય છે. પણ એ આજના ઘણાં શહેરની જરૂરિયાત થઈ ગઈ છે. પણ આ જરૂરિયાત સામે શું શું ચૂકવવું પડે છે તેની વાત દીપક બેબસે પોતાના ગીતમાં સરસ રીતે કરી છે.

મોટા મોંઘેરા મહેલ જેવા ફ્લેટને બાદ કરતાં મધ્યમ ગરીબ વર્ગના લોકોએ જે ફ્લેટમાં આવીને પ્રકૃતિ સાથેના સમાધાન કરવા પડે છે તે પણ ધ્યાને લેવા જેવા છે. સાત કે ચૌદ કે ચોવીસ માળના મકાનની થપ્પીમાં આપણું ઘર કયા માળે હોય, કયા ખૂણામાં હોય, ત્યાં સરખું અજવાળું, હવાઉજાસ આવે છે કે નહીં તેની પણ ઘણી વાર દરકાર નથી કરાતી હોતી. મૂળ પ્રશ્ન બજેટનો છે. આ પ્રશ્ન નાનાથી લઈને મોટા લોકો સુધી બધાને સતાવે છે. એક સંવેદનશીલ વ્યક્તિ ફળિયાવાળું ઘર છોડી ફ્લેટમાં રહેવા જાય ત્યારે તે ફળિયામાં આવતો સૂર્યનો મીઠો તડકો, હુંફાળી હવા, પંખીનો કલબલાટ ને બીજું ઘણું ગુમાવે છે. સૂર્ય તો સીધો ફ્લેટમાંથી ભાગ્યે જ દેખાય. ભીંત ઉપર ખોટા આર્ટિફિશિયલ અજવાળાથી સૂર્યને નીરખ્યાનો આનંદ લેવાનો રહે. રાજેશ વ્યાસ મિસ્કીનનો શેર યાદ આવ્યા વિના ન રહે.

આય મોડર્ન લાઇફસ્ટાઇલની મજા, બંધ બારી બારણા પડદા વળી,
ચિલ્ડ એ.સી. રૂમ અંદરથી કરી, સૂર્ય ભીંતે ચીતરાવ્યા હોય છે.

પણ કોઈ સાધારણ મકાનની આસપાસ ઊંચા ઊંચા ફ્લેટ બંધાઈ જાય તો એમને બિચારાને સૂરજના તડકો પણ મહેમાન જેવો થઈ જાય. આવે તો આવે! આવી સ્થિતિમાં જાવેદ અખ્તરનો શેર ચોક્કસ યાદ આવે,

ઊંચી ઇમારતો સે મકાં મેરા ઘિર ગયા,
કૂછ લોગ મેરે હિસ્સે કા સૂરજ ભી ખા ગયે.

દસ બાય દસની ઓરડીમાં સમાધાનપૂર્વક રહેતા ફ્લેટવાસીઓને પણ આવો પરોઢનો કુણો તડકો, હવાની મીઠી લહેરખીઓ, પંખીઓનો કલરવ દુર્લભ હોય છે. એ તો ઠીક પોતાના પડછાયાનુંય મોઢું જોવા નથી મળતું. જે શહેરવાસી છે, એ કદાચ આ બધાથી સારી રીતે ટેવાઈ ગયો છે, પણ કોઈ તળના ગામમાં રહેતી વ્યક્તિ, પ્રકૃતિના ખોળે નિરંતર રહેતો માણસ આવા નાનકડા ફ્લેટમાં આવી ચડે તો એનો તો જીવ રુંધાય. આ કાવ્યનો નાયક કદાચ આવો જ છે. જેને ફ્લેટમાં આવ્યા પછી સૂરજનું અજવાળું, સ્વચ્છ આભ, પંખીનું ટોળું, તડકો, વૃક્ષોની લીલોતરી ને બીજા ઘણા બધાની ખોટ સાલે છે. પણ છતાં આવું ચાલે છે.

ઘણી વાર એવું થાય કે તમને જે ફ્લેટ સારો લાગતો હોય તે બજેટની બહાર જતો હોય ને બજેટમાં હોય તે ગમતું ન હોય. આમાં અંતે જિંદગીનું બજેટ ખોરવાઈ જાય છે. આ તડજોડમાં જીવન પતી જાય છે. પછી એ પણ ખ્યાલ નથી રહેતો કે શું પ્રકૃતિ, શું આધુનિકતા, શું શ્હેર કે શું ગામ! પણ ફ્લેટમાં રહેતા અને પ્રકૃતિથી દૂર થવાની વેદના વેઠતા સંવેદનશીલ માનવીને પોતાની વ્યથાકથામાં ક્યારેક શીતળ છાંયડો આપતું લીમડાનું ઝાડ મળી જાય તો તે કદાચ મનોમન પૂછી બેસે કે આવો શીતળ છાંયડો અને આ સૂર્યનું અજવાળું કેટલા બજેટમાં પડ્યું? જિંદગીની ધાંધલધમાલમાં એ ભૂલી ગયો છે કે પ્રકૃતિની કૃપા તો બધા પર સરખી છે. પણ તેનું ચિત્ત ફ્લેટ જેવું થઈ ગયું છે. એ જિંદગીને જુદી જુદી લાંચ આપ્યા કરે છે, આટલું કરીશ એટલે આટલું મળશે. માણસ પોતે જ પોતાને રિશવત આપ્યા કરે છે અને તેને ખબર જ હોતી નથી.

વિપીન પરીખનું એક સુંદર કાવ્ય માણવા જેવું છે.

લોગઆઉટઃ

વૃક્ષ કદાચ એમ પણ કહે –
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું.’

કોયલ કદાચ આગ્રહ રાખે –
‘કોઇ સરસ જગ્યા જોઇ મને ફ્લેટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું’

થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઇ નહીં.

ચાલ મન ! એવા દેશમાં જઇએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !

— વિપીન પરીખ

શિકાગો-અમેરિકામાં યોજાયેલ કવિસંમેલન (હૃદયથી હૃદય સુધી)

અહેવાલ સૌજન્યઃ ગુજરાત ટાઇમ્સ, ફોટોગ્રાફ્સઃ સુરેશ બોડીવાલા (એશિયન મીડિયા, યુએસએ)

શિકાગોના ગુજરાતીઓ કવિતા દ્વારા ‘હૃદયથી હૃદય સુધી’ જોડાયા

કોઈ પણ સમાજ કે સંસ્કૃતિનો પડઘો તેના ભાષા અને સાહિત્ય દ્વારા પડતો હોય છે. આજનું સાહિત્ય આવતી કાલનો બહુ મોટો દસ્તાવેજ હોય છે. તેમાંય કવિતા એ હૃદયની ભાષા છે. હૃદયની ઊર્મિઓને વ્યક્ત કરતી વાણી છે. શિકાગો આર્ટ સર્કલ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંગીતનો પ્રચાર-પ્રસાર કરી લોકોના જીવનમાં પોઝિટિવ એટિટ્યૂડ વિકસતો રહે તેવા પ્રયત્નો કરે છે. આ પ્રયત્નના ભાગરૂપે એપ્રિલ 30 2022ના રોજ, શિકાગોના રાના રેગન કમ્યુનિટી હોલમાં એક સુંદર કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવિસંમલેન ખરેખર અનોખું હતું. શીર્ષક પ્રમાણે તેમાં હાજર રહેનાર તમામ શ્રોતાગણ ખરેખર ‘હૃદયથી હૃદય સુધી’ પહોંચ્યા હતા. હૈયે હૈયું દળાય એવી સ્થિતિમાં આખો હૉલ ખીચોખીચ ભર્યો હતો. અમેરિકામાં–શિકાગોમાં પાંચસો કરતાં વધારે શ્રોતા કવિસંમેલન માણવા આવે એ શિકાગોમાં વસતા ગુજરાતીઓનો સાહિત્યપ્રેમ દર્શાવે છે.

શિકાગો આર્ટ સર્કલ સંસ્થા 1996થી સતત ગુજરાતી સાહિત્યની સેવા કરી રહી છે. અગાઉ આદિલ મન્સૂરી, મધુરાય અને ચંદ્રકાન્ત શાહ જેવા દિગજ્જ સાહિત્યકારોને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ આપી ચૂકી છે. ત્યારે આ પ્રસંગે કવિ અનિલ ચાવડાને તેમના સાહિત્યિક પ્રદાન માટે — ખાસ કરીને કવિતા માટે સ્પેશ્યલ રેકોગ્નાઇઝેશન એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતીય સિનિયર સિટિઝન એસોશિયેશનના સ્થાપક પ્રમુખ શ્રી હરિભાઈ પટેલને તેમની સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને એવોર્ડ આપીને સન્માનવામાં આવ્યા હતા. છેલ્લા 26 વર્ષોથી શિકાગો આર્ટ સર્કલમાં વોલન્ટિયર તરીકે સેવા આપનાર 87 વર્ષે અડીખમ એવા શ્રી મુકુંદભાઈ દેસાઈને વિશેષ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઇન્ડિયાથી ખાસ પધારેલા સુપ્રસિદ્ધ કવિઓ રઈશ મનીઆર, અનિલ ચાવડા અને ઉષા ઉપાધ્યાયે પોતાની ઉત્તમ રચનાઓ રજૂ કરી હતી. સાથેસાથે અમેરિકામાં રહીને ગુજરાતી ભાષામાં અનેક અદભુત શેર અને ગઝલો લખનાર કવિ અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાએ પણ પોતાની રચનાઓ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આકાશ ઠક્કર, અબ્દુલ વહીદ સોઝ અને ભરત દેસાઈએ પણ સ્થાનિક કવિ તરીકે ભાગ લીધો હતો. કવિ રઈશ મનીઆરનું હળવી શૈલીનું રમૂજી સંચાલને શ્રોતાઓને આનંદ કરાવ્યો હતો. કાર્યક્રમ એટલો રસપ્રદ થયો હતો કે શ્રોતાઓએ એક જ કાર્યક્રમમાં ત્રણ વખત સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. આવું જવલ્લે જ બનતું હોય છે.

મલક કંઈ કેટલા ખુંદ્યા, બધાની ધૂળ ચોંટી પણ,
હજી મારો આ ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.

ગુજરાતી ધબકારાથી છલકાતું સભાગાર શરૂઆતથી જ કવિતામાં રસતરબોળ થઈ ગયું હતું. દરેક શેર પર લોકોએ તાળીઓનો વરસાદ વરસાવ્યો હતો. એક એક શેર પર આફરીન પોકારતા હતા. ભારતીય સિનિયર સિટિઝન એસોશિયેશનના પ્રમુખ અને સાહિત્યરસિક શ્રી હરિભાઈએ જણાવ્યું હતું કે છેલ્લાં ઘણાં વર્ષોથી હું અહીં વિવિધ કાર્યક્રમો કરું છું, પણ આ આટલો સુંદર કાર્યક્રમ મેં કદી નિહાળ્યો નથી.
આ કાર્યક્રમમાં બોલાયેલી ગઝલના કેટલાક ઉમદા શેરઃ

બોલું ના ને મૌન રહું તો વાંધો શું છે?
તોયે તમને પ્રેમ કરું તો વાંધો શું છે?
— ભરત દેસાઈ

મળે છે તુંય તે ઇચ્છાની ઓઢણી ઓઢી,
અને છું હુંય હજી પણ ત્વચાથી સંબંધિત.
— અબ્દુલ વહીદ સોઝ

બેય તરફે આપણે સાથે જ સ્પર્શ્યા ફૂલને,
એ તરફનું ફૂલ અડધું કેમ કરમાતું રહ્યું?
— આકાશ ઠક્કર

ભલે હો પ્હાડ રસ્તામાં, અડીખમ છું ઇરાદામાં,
ભગિરથ છું ધરા પર તપ થકી ગંગા ઉતારું છું.
— ઉષા ઉપાધ્યાય

આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો,
“આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નહીં.”
— અનિલ ચાવડા

વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુષાસન?
કંઈ કેટલાની એમાં નિઃશબ્દ સંમતી છે.
— રઈશ મનીઆર

હું નથી દરિયો કે દટ્ટાયેલ મોહે-જો-દડો,
હું નદીનું વ્હેણ છું, ઇતિહાસ જેવું કંઈ નથી.
— મધુમતી મહેતા

પાપને ધોયાં નથી જેણે કોઈ રીતે,
એય ગંગાજળ ઉપર પીએચડી કરે છે.
— અશરફ ડબાવાલા
કવિસંમેલનમાં ભાગ લેનાર કવિઓ

અનિલ ચાવડાને શિકાગો આર્ટ સર્કલ તરફથી સ્પેશિયલ રેકગ્નાઇઝેશન એવોર્ડ અર્પણ કરતા અશરફ ડબાવાલા

કવિ અનિલ ચાવડા

કવિ અશરફ ડબાવાલા

કવિ રઈશ મનીઆર

કવયિત્રી મધુમતી મહેતા

કવયિત્રી ઉષા ઉપાધ્યાય



કવિ આકાશ ઠક્કર

કવિ ભરત દેસાઈ સ્પંદન

કવિ અબ્દુલ વહીદ સોઝ

માતૃભાષાની ડાળી અને કુહાડીકર્મ

લોગઇનઃ

વાત મારી જેને સમજાતી નથી,
એ ગમે તે હોય, ગુજરાતી નથી.

– ખલીલ ધનતેજવી

આવતી કાલે વિશ્વ માતૃભાષા દિવસ છે. આપણે દિવસોમાં દબાયેલા માણસો છીએ. જ્યારે વેલેન્ટાઇન ડે આવે ત્યારે પ્રેમ થાય, મધર ડે આવે ત્યારે માતા યાદ આવે, પંદરમી ઓગસ્ટ આવે એટલે તાત્કાલિક ઝંડા લેવા દોડીએ. માતૃભાષા દિન છે એ જાણીને ઘણા લોકો માતૃભાષા દિનની ઊજવણી કરતાં સુવાક્યો, કવિતાઓ, વાર્તાઓ ને એવું બધું શોધવા લાગશે. ગુજરાતી પુસ્તકો વાંચતી સેલ્ફી કે ફોટોગ્રાફ પાડીને અપલોડ કરવા મંડી જશે. આગ લાગે ત્યારે કૂવો ખોદવાની મનોવૃત્તિ ધરાવતા આપણે સૌ ભાષાની ભાંગતી ડાળી પર બેઠા છીએ. કાલિદાસના જીવનનો એક કિસ્સો તમે સાંભળ્યો હશે. તે મહાકવિ ગણાય છે, પણ પહેલાં તેઓ અભણ અને મૂર્ખ હતા. તો પછી એ મહાકવિ કેવી રીતે થયા તે જાણવા જેવું છે.

એમ કહેવાય છે કે ઉજ્જૈનના રાજાની કુંવરી વિદ્યોત્તમા ખૂબ જ્ઞાની અને વિદ્વાન હતી. જ્યારે તેના લગ્નની વાત આવી ત્યારે તેણે નક્કી કર્યું કે મને જ્ઞાનમાં પરાસ્ત કરે તેની સાથે જ હું લગ્ન કરીશ. અનેક વિદ્વાનો આ સુંદર કુંવરીને પરણવા માટે તેની સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યા, પણ બધા જ કુવંરની વિદ્વતા સામે પાણી ભરતા થઈ ગયા. મોટામાં મોટા વિદ્વાનો પણ તેની સામે ફિક્કા પડવા લાગ્યા. આથી વિદ્યોત્તમાને પોતાના જ્ઞાનનું અભિમાન જાગ્યું. બીજી તરફ પરાસ્ત થયેલા વિદ્વાનોને પોતાનું હળાહળ અપમાન થતું લાગ્યું. પોતાના અપમાનનો બદલો લેવા માટે બધા વિદ્વાનોએ મળીને આ ઉદ્ધત કુંવરી કોઈ મૂર્ખા જોડે પરણે તેવો કારસો ઘડ્યો. બધાએ મળીને એક મૂર્ખ માણસ ગોતવા લાગ્યા. અચાનક એક દિવસ એક વિદ્વાને જંગલમાં એક માણસ જોયો. તે માણસ જે ડાળી પર બેઠે હતો, તે જ ડાળી કાપી રહ્યો હતો. તેની આ મૂર્ખતા જોઈને વિદ્વાનોએ નક્કી કર્યું કે આ મૂરખને જ વિદ્યોત્તમા સાથે પરણાવવો જોઈએ.

અને આ મૂર્ખ માણસ એટલે કાલિદાસ. પછી તો તેમને વિદ્યોત્તમા પાસે લઈ જવામાં આવ્યા અને મૂર્ખતા વિદ્વત્તામાં ખપી ગઈ અને વિદ્યોત્તમા સાથે લગ્ન પણ થયા. અને વાર્તા આગળ વધતી રહે છે. પણ મૂળ વાત જે ડાળ પર બેસવું તે ડાળ કાપવાની છે. આપણે ગુજરાતી નામની ભાષાની એક ડાળી પર બેઠા છીએ, પણ કાલિદાસે જે મૂર્ખતા કરી હતી તે જ આપણે કરી રહ્યા છીએ. જે ડાળ પર બેઠા છીએ તે કાપી રહ્યા છીએ. તેમાં આપણા અંગ્રેજી પ્રત્યેના આકર્ષણની અણિયાળી કુહાડી જવાબદાર છે. ચપોચપચ અંગ્રેજી બોલતી વ્યક્તિ તરત બધાનું ધ્યાન ખેંચે છે એવો આપણો ભ્રમ પણ એની પાછળ જવાબદાર છે. અંગ્રેજી મીડિયમની સ્કૂલોમાં આપણા બધા જ મિત્રોનાં બાળકો ભણી રહ્યાં છે તો આપણું બાળક પાછળ રહી જશે એવી પણ આપણને બીક છે. આ બધી બીક એક કુહાડીનું કામ કરે છે. આ ભાષાની ફેશન, પાછળ રહી જવાની બીક, એ બધું એક રીતે કુહાડી જેવું છે. જે આપણી ભાષા નામની ડાળીને કાપી રહી છે.

ખબરદારે લખ્યું, “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.” ઉમાશંકર જોશીએ લખ્યું, “સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી.” ઉપરોક્ત શેરમાં ખલીલ ધનતેજવી પણ એ જ કરી રહ્યા છે, જેમને મારી ખુમારી, મારા સંસ્કાર, મારું પોત પમાતું નથી એ ગુજરાતી નથી. અર્થાત્ મને સમજવા માટે તમારે ગુજરાતી સમજવું પડશે. કોઈ પણ સંસ્કૃતિને સમજવા માટે તેની માતૃભાષા સમજવી ખૂબ જરૂરી છે.

આપણા કવિઓ-સર્જકો માતૃભાષાનું ગૌરવગાન કરીને થાકી ગયા, પણ પવનની દિશા તો બીજી તરફની જ રહી છે. ઘણા લોકો પોતાના વ્યાકરણદોષ કે જોડણીદોષને છાવરવા માટે અખાની કાવ્યપંક્તિ ટાંકતા હોય છે, “ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર.” ભૂલ ઢાંકવામાં આપણે શૂરા છીએ.

એક વાત સમજી લેવા જેવી છે. માતૃભાષાનું ગૌરવ કરવાનો અર્થ અંગ્રેજીનો વિરોધ કરવો, એવો નથી. અંગ્રેજીનો વિરોધ કરનાર મૂર્ખ છે, અને માતૃભાષાનો વિરોધ કરનાર મહામર્ખ છે. અંગ્રેજી આજે વૈશ્વિક ભાષા છે, એટલે તે તમને જગત સાથે જોડી આપશે, પણ માતૃભાષા તમને જાત સાથે જોડી આપશે. ભાષા એક અર્થમાં આશા છે.

માતૃભાષા વિશે આઈઝેક બાસેવિક સિંગર નામના એક મોટા યહૂદી લેખકે સરસ વાત ગાંઠે બાંધવા જેવી છે. એમને નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારે એમને પૂછવામાં આવ્યું: “તમે યીડિશ જેવી મરણોન્મુખ ભાષામાં શું કામ લખો છો ?” જવાબમાં લેખકે કહ્યું: “મને પાકી ખાતરી છે કે મૃત્યુ પામેલા કરોડો યહૂદીઓ એક દિવસ એમની કબરમાંથી બેઠા થશે અને પ્રશ્ન પૂછશે: યીડિશ ભાષામાં પ્રગટ થયેલી લેટેસ્ટ બૂક કઈ છે? એ લોકો માટે યીડિશ ભાષા મરી પરવારેલી ભાષા નહીં હોય. મને તો ફક્ત આ એક જ ભાષા બરાબર આવડે છે, જેમાં હું આખો ને આખો ઠલવાઈ શકું. યીડિશ મારી માતૃભાષા છે અને મા ક્યારેય મરતી નથી.”

લોગઆઉટઃ

એના કરતા હે ઈશ્વર દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું?

- હરદ્વાર ગોસ્વામી

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો

લોગઇનઃ

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ,
પણ કલરવની દુનિયા અમારી,
વાટે રખડ્યાની વાટ છીનવી લીધી
ને તોય પગરવની દુનિયા અમારી.
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પોર
બંધ પોપચામાં રંગોની ભાત,
લોચનની સરહદથી છટકીને ઝળહળતું
રૂપ લઈ રસળે શી રાત!
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી,
ફૂલોના રંગો રિસાઈ ગયા,
જાળવતી નાતો આ સામટી સુગંધ,
સંમા સંમાના દઈ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ.
ટેરવાને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી!

- ભાનુપ્રસાદ પંડ્યા

24 એપ્રિલ 1932માં અમરેલીના એક નાનકડા ગામમાં જન્મનાર આ કવિએ સોનેટ, ગીત, છાંદસ-અછાંદસ એમ વિવિધ સ્વરૂપોમાં નોંધનીય પ્રદાન કર્યું છે. વિવેચન અને સંપાદનક્ષેત્રે પણ તેમણે સારું કામ કર્યું છે. થોડા દિવસ પહેલાં જ તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. કવિ જગતને અલવિદા કહે ત્યારે શબ્દોનું ધન મૂકી જાય છે અને તેનો વારસો તે ભાષાના તમામ ભાવકોને ખોળે ધરીને જાય છે. ભાનુપ્રસાદ પંડ્યાના આ વારસામાંથી એક સુંદર ગીત આજે માણીએ.

આંખ શરીરનું ખૂબ મહત્ત્વનું અગં છે. તેના દ્વારા જ આપણે જગતને પ્રત્યક્ષ નિહાળી શકાય છે. ભાનુપ્રસાદ પંડ્યાએ આ ગીતમાં અંધજનો લાગણીને ખૂબ હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કરી છે. દુનિયા અમારી, અર્થાત જેમને આંખ નથી તેમની. આખું ગીત અંધોની ઉક્તિરૂપે કહેવાયું છે. દૃષ્ટિ વિના પણ ભૌતિક જગતનો અનુભવ થઈ છે તેની સાબિતી આ ગીત આપે છે. દેખ્યાનો દેશ લઈ લીધો, દૃષ્ટિ લઈ લીધી, પણ કલરવની દુનિયા અમારી, અર્થાત શ્રવણેદ્રિયો વધારે સજાગ છે. ભલે દર્શન નથી, પણ શ્રવણ સતેજ છે. અહીં દૃષ્ટિ નહીં હોવાની નિરાશા નથી, પણ દૃષ્ટિ ન હોય તો કેવી આશાથી જીવી શકાય તેવા હકારાત્મક અભિવ્યક્તિ છે. ભલે દૃશ્યોની દોમદોમ સાહ્યબી આંખ ન માણી શકે, પણ કલરવની દુનિયા કોઈ છીનવી નહીં શકે. મોજથી રસ્તા ઉપર ચાલી નહીં શકાય, બહુ ધ્યાન રાખવું પડશે, કેમ કે દેખાતું નથી, ભલે, પણ પગરવને સાંભળીને બધું પામવાની શક્તિ તો જતી નથી રહી. એ વધારે તીવ્ર બની છે. પગરવની આખી દુનિયા અમારી છે.

વહેલી સવારે પહેલો પોર પંખીના કલબલાટથી શરૂ થાય અને જાણે કે હૃદયમાં સૂરજ ઊગે. એ સૂર્યની રોશની ભલે આંખોમાં ન હોય, ભલે બંધ પોપચામાં તમામ રંગોની ભાત ઢબુરાઈ ગઈ હોય, ભલે આંખોની સરહદમાંથી છટકીને રાત પોતાનું ઝળહળતું રૂપ લઈને આમ તેમ ભટકતી હોય. આંખના દીવડામાં ભલે જ્યોત ન જલતી હોય, પણ અજવાસને અનુભવી શકાય છે. કોઈને એક લ્હેકા માત્રથી તે કોણ છે પારખી શકાય છે. ચ્હેરેથી પારખવાની શક્તિ ભલે છીનવાઈ ગઈ હોય, પણ અવાજના વૈભવની દુનિયા કોઈ નહીં છીનવી શકે. ફૂલના રંગો ભલે અમારાથી રિસાઈ ગયા, પણ તેની સુગંધે અમારી સાથે નાતો જાળવી રાખ્યો છે. એ સુગંધ જ અમને કહે છે કે હું ગુલાબ છું, હું મોગરો, હું ચંપો... કોઈના સ્પર્શ માત્રથી પિછાણી જવાય એ શક્તિ પણ ઓછી નથી. ચહેરા પર જે આંખ નથી તે આંખ જાણે ટેરવા પર ફૂટી છે. એટલે જ કદાચ સ્પર્શમાત્રથી વ્યક્તિને ઓળખી શકાય છે.

અંધ માણસની અનુભૂતિને નિરાશાના નહીં, પણ આશાના ભાવ સાથે ભાનુપ્રસાદ પંડ્યાએ બખૂબી રીતે વ્યક્ત કરી છે. મોટેભાગે આવા વિષય પર કવિતા લખવાની થાય ત્યારે તેમાં ઘોર નિરાશાનો સૂર ભળી જતો હોય છે, પણ અહીં કવિ તેનાથી આબાદ રીતે બચી શક્યા છે. અંધ વિશે કવિતાની વાત આવે ત્યારે નિરંજન ભગત યાદ આવ્યા વિના ન રહે. તેમણે વિવિધ પાત્રો પર કવિતાઓ લખી છે, તેમાં એક પાત્ર અંધ છે. તે કવિતા પણ માણવા જેવી છે. તેનાથી જ લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

કે શું હજુ હું ગર્ભમાંથી નીકળ્યો ના બ્હાર
તે મારા જનમને કેટલી છે વાર?
કે શું ઝાળ પણ ઝંપી ગઈ છે ચેહમાં
તે હું હવે વસતો નથી મુજ દેહમાં?
તે કંઈક એની આંખથી આ આંખમાં
છે ભૂલથી જોવાઈ ગયું?
જેથી અચાનક આમ મારું તેજ બસ ખોવાઈ ગયું.
મેં આ જગતની કેટલી કીર્તિ સુણી'તી સ્વર્ગમાં
તે આવવાની લ્હાયમાં ને લ્હાયમાં
હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાંયમાં!
ત્યારે જગતનું રૂપ જોવાનું મને કેવું હતું સપનું!
હવે ચશ્મું થવા ચાહે સળગતો આ સૂરજ
રે તોય શા ખપનું?
ઊંચે માથું ઉઠાવી આભ સામે
પણ હવે ધરવું નથી,
આ એકમાંથી એ બીજા અંધારમાં સરવું નથી.
ને કોણ ક્હે છે ચન્દ્રસૂરજતારલા એ સૌ જલે?
એ તો પલક અંધારનું હૈયું હલે!
મેં જોઈ લીધો છે જગતનો સાર
કે અહીં તેજની ભીતર વસ્યો અંધાર.
હું તો નીંદમાં ચાલી રહ્યો, ફિલસૂફ છું,
એવું કશું ક્હેશો નહીં;
તો આંધળો છું એમ કહીને
આંધળા રહેશો નહીં!

— નિરંજન ભગત