મને મારા સુધી લઈ જાવ, ભાડું થાય તે લેજો!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

નદીમાં કોઈ મુકો નાવ, ભાડું થાય તે લેજો
મને મારા સુધી લઈ જાવ, ભાડું થાય તે લેજો

અમારે એક ક્ષણમાં કેટલાયે યુગ રહેવું છે
અમે મૂકી દીધો પ્રસ્તાવ, ભાડું થાય તે લેજો

તમારી આંખમાં જોયું, ને જોયું કે પગથિયાં છે
રહીશું ત્યાં ઉતારી વાવ, ભાડું થાય તે લેજો

અમારી વેદનાઓ બહાર ખુલ્લામાં પડી રહેશે
ફક્ત ઘરમાં તો રહેશે ઘાવ, ભાડું થાય તે લેજો

રમત રમવા જીવનનું સ્વપ્ન માગીને લીધું છે તો,
અમે પૂરો કરીશું દાવ, ભાડું થાય તે લેજો.

— સુરેન્દ્ર કડિયા

આપણે ત્યાં કવિતામાં સ્વશોધની વાતો ખૂબ થઈ છે. મોનોટોની લાગે એ હદે આ વાત લખાઈ છે. ભાવેશ ભટ્ટનો આ સંદર્ભે એક જુદા પ્રકારનો શેર છે,
એટલે શોધતો નથી હું મને,
મારી ઉપર કોઈ ઇનામ નથી.

કોઈ ખૂંખાર ડાકુ, કે જેના માથા પર મોટું ઇનામ હોય, તેને જીવતો કે મરેલો શોધી લાવનારને મોટી રકમ આપવામાં આવવાની હોય તો તેને શોધવા માટે અમુક લોકો સાહસ કરે. પણ જેની કોઈ કિંમત નથી, શોધવા-ન શોધવાથી કંઈ ફેર નથી પડવાનો, તેને કોણ શોધે? અહીં સ્વશોધની વાત છે, જાતને પામવાની વાત છે, પોતાને પામી જવું એ જ મોટું ઇનામ હોઈ શકે.

સુરેન્દ્ર કડિયાની આ ગઝલની આ રદીફ તરત ધ્યાન ખેંચે એવી છે. આવી રદીફ નિભાવવી ખૂબ અઘરી હોય છે, પણ તેમણે સાદ્યંત નિભાવી છે. નદીમાં કોઈ નાવ મૂકો, એનું જે ભાડું થાય તે તમતમારે લઈ લેજો. પણ મારે સામે કાંઠે નથી જવું, મારે તો મારા સુધી જવું છે. હવે આ નાવ કઈ? નદી કઈ? અને ભાડું કેટલું? આવા પ્રશ્નો મનોમંથનના ઊંડાણમાં લઈ જાય છે. ધન, પ્રતિષ્ઠા, મોભો બધું જ પામ્યા પછી પણ માણસને કશોક ખાલીપો રહેતો હોય છે. માનવી ક્યાંય સંપૂર્ણતા નથી અનુભવતો. જેની પાસે કશું નથી તેને એમ થાય કે એક સુંદર સાઇકલ હોય તો કેટલું સારું, સાઇકલવાળાને બાઇકનો મોહ, બાઇકવાળાને કારની ખેવના, ને કારવાળાને હેલિકોપ્ટર કે વિમાનની ઝંખના... આ ચક્ર અટકતું જ નથી. એ પામ્યા પછી એમ થાય કે હવે શું? આ બધું કરવામાં છેવટે તો માણસે પોતાના સુધી જ પહોંચવું હોય છે. માણસને કયું વાહન પોતાના સુધી લઈ જાય? એ વાહન મળી જાય તો આયખું ઉત્સવ બની જાય.

ક્યારેક આપણી સાથે એકાદ ઘટના એવી બની જતી હોય છે કે એ ભૂલી ભૂલાતી નથી. આખું જીવન એ એક ઘટનામાં જ કેદ થઈ જતું હોય છે. એના પછી જે કંઈ બનતું હોય છે એ માત્ર બનતું હોય છે. પછીની દરેક ઘટનામાં આપણે હાજર હોઈએ, છતાં હોતા નથી. આપણા માનસપટ પર તો પેલી એક ઘટના જ ઘુંટાતી રહેતી હોય છે. એ ક્ષણ કોઈનો ભરપૂર પ્રેમ હોય, હાડોહાડ થયેલું અપમાન હોય, કાળજું કકડાવતી વેદના હોય, આયખાભરનો વિરહ હોય, જેની પર ખૂબ વિશ્વાસ કરતા હોઈએ તેણે આપેલો દગો હોય કે કંઈ પણ હોઈ શકે. આવી એક ક્ષણમાં યુગોનું જીવતર એકસામટું જિવાઈ જતું હોય છે. પણ એ એક ક્ષણ જીવનભર ટકી જાય તો જિંદગી રળિયાત થઈ જાય, મરીઝે લખ્યું છેને,

કાયમ રહી જો જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈવાર હોય છે.

એક ક્ષણમાં જે દર્દ આપણને અદ્ભુત અનુભવ કરાવી દે, એ અનુભવ જિંદગીભર રહે તો તો સંવેદનના શિખર સુધી પહોંચી જઈએ. જેમ ભગવાન બુદ્ધ પહોંચ્યા, જીવનની નશ્વરતાનું દર્દ એમના હૈયે એવું અડ્યું કે સત્ય પામવા માટે જિંદગી ખર્ચી નાખી. રાજમહેલ, સિદ્ધિ-પ્રસિદ્ધિ બધું ત્યાગીને ચાલી નીકળ્યા એ પરમ સત્યની શોધમાં, અને બોધીજ્ઞાન પામ્યા. એક દર્દ એમના હૈયામાં જીવનભર ટક્યું, એ દર્દે જ એમને સિદ્ધાર્થમાંથી ભગવાન બુદ્ધ બનાવ્યા. પ્રત્યેક માનવમાં એક બુદ્ધ પડ્યો છે, માત્ર તેણે શુદ્ધ થવાની જરૂર છે. આત્મા પર બાઝેલો મેલ નીકળે તો આપોઆપ મનખો મહેલ થઈ જાય. એને કોઈ મંત્ર, તંત્ર કે શ્લોકની જરૂર નથી. જિંદગી પોતે જ એક શ્લોક છે.

વેદનાઓ બહાર ખુલ્લામાં પડી રહેશે, ઘરમાં તો માત્ર ઘાવ જ રહેવાના છે. આ શેર તો ગઝલને ઓર સુંદર બનાવે છે. આખી ગઝલ ખૂબ અર્થસભર છે. પ્રત્યેક શેર મોટું ભાવવિશ્વ ખોલી આપી છે. જીવનમાં કોઈ વસ્તુ મફત નથી મળતી, દરેકની કિંમત ચૂકવવી પડે છે. ભાડું ભર્યા વિના છૂટકો નથી. આપણે લીધેલા દરેક શ્વાસની કિંમત પણ આપણે ઉચ્છ્વાસ રૂપે કિંમત ચૂકવીએ છીએ, અને તેનો અંતિમ હિસાબ આપણું જીવન હોય છે. ‘જીવ શાને ફરે છે ગુમાનમાં? તારે રહેવું ભાડાના મકાનમાં!’ શરીર નામે એક ભાડાના મકાનમાં આપણે રહીએ છીએ અને જિંદગીભર વિવિધ રીતે તેનું ભાડું ચૂકવીએ છીએ.

લોગઆઉટઃ

ન જાણ્યો દોડવાનો અર્થ, કેવળ દોડવા લાગ્યા,
ભટકતા કાફલા સાથે સ્વયંને જોડવા લાગ્યા.

ઘણા જન્મો પછી ભાડે મળ્યું’તું એક સારું ઘર,
અમે એમાંય ચારેકોર ખીલા ખોડવા લાગ્યા.

— હરજીવન દાફડા

મારા પડછાયાનું હું જ કદી જોઉં નહિ મોઢું

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

અજવાળું આવે ના' ફ્લેટમાં.
ચોખ્ખું ચટાક આભ, પંખીનું ટોળું, આ સૂરજ લ્યો ચિતરું છું સ્લેટમાં.

ગમતું બપોર હવે જોવાની રોજરોજ
કેવી આ માનતાઓ લેતા?
ભીંતે ટીંગાડેલા ખોટા અજવાસને
તડકાનું નામ પછી દેતા.

કંકુને ચોખા લઈ પોંખી વધાવું કોઈ અજવાળું આપે જો ભેટમાં.
અજવાળું આવે ના' ફ્લેટમાં.

ક્યાં છે સવાર અહીં, કુણેરી ધાર અહીં
હોય તો હું રોમરોમ ઓઢું,
કેવું કહેવાય કે મારા પડછાયાનું
હું જ કદી જોઉં નહિ મોઢું.

લીમડાને પૂછ્યું કે આવો અજવાસ તને મળે છે કેવા બજેટમાં?
અજવાળું આવે ના' ફ્લેટમાં!

— દીપક બેબસ

જગત રાત્રે ન બદલાય તેટલું દિવસે ને દિવસે ન બદલાય તેટલું રાત્રે બદલાઈ રહ્યું છે. આમ લાગે કે એક ક્ષણ વીતતી નથી. ને આમ લાગે કે વર્ષો વીતી ગયાં ને ખબર પણ ન પડી. આધુનિક ટેકનોલોજી આવતા સમય બદલાયો, માણસો બદલાયા, વાહનવ્યવહાર બદલાયાં, રહેણીકરણી પણ બદલાઈ. નાનાં મોટાં શહેરોમાં અત્યારે નવા ફ્લેટની સ્કિમોની ભરમાર છે. વનબીએચકે, ટુબીએચકે, થ્રી, ફોર, ફાઇબીએચકે ને લક્ઝ્યુરિયસ ફ્લેટની બોલબાલા છે. ફ્લેટ આમ તો એક ઉપર એક મકાનની થપ્પી કરવામાં આવી હોય એવું જ હોય છે. પણ એ આજના ઘણાં શહેરની જરૂરિયાત થઈ ગઈ છે. પણ આ જરૂરિયાત સામે શું શું ચૂકવવું પડે છે તેની વાત દીપક બેબસે પોતાના ગીતમાં સરસ રીતે કરી છે.

મોટા મોંઘેરા મહેલ જેવા ફ્લેટને બાદ કરતાં મધ્યમ ગરીબ વર્ગના લોકોએ જે ફ્લેટમાં આવીને પ્રકૃતિ સાથેના સમાધાન કરવા પડે છે તે પણ ધ્યાને લેવા જેવા છે. સાત કે ચૌદ કે ચોવીસ માળના મકાનની થપ્પીમાં આપણું ઘર કયા માળે હોય, કયા ખૂણામાં હોય, ત્યાં સરખું અજવાળું, હવાઉજાસ આવે છે કે નહીં તેની પણ ઘણી વાર દરકાર નથી કરાતી હોતી. મૂળ પ્રશ્ન બજેટનો છે. આ પ્રશ્ન નાનાથી લઈને મોટા લોકો સુધી બધાને સતાવે છે. એક સંવેદનશીલ વ્યક્તિ ફળિયાવાળું ઘર છોડી ફ્લેટમાં રહેવા જાય ત્યારે તે ફળિયામાં આવતો સૂર્યનો મીઠો તડકો, હુંફાળી હવા, પંખીનો કલબલાટ ને બીજું ઘણું ગુમાવે છે. સૂર્ય તો સીધો ફ્લેટમાંથી ભાગ્યે જ દેખાય. ભીંત ઉપર ખોટા આર્ટિફિશિયલ અજવાળાથી સૂર્યને નીરખ્યાનો આનંદ લેવાનો રહે. રાજેશ વ્યાસ મિસ્કીનનો શેર યાદ આવ્યા વિના ન રહે.

આય મોડર્ન લાઇફસ્ટાઇલની મજા, બંધ બારી બારણા પડદા વળી,
ચિલ્ડ એ.સી. રૂમ અંદરથી કરી, સૂર્ય ભીંતે ચીતરાવ્યા હોય છે.

પણ કોઈ સાધારણ મકાનની આસપાસ ઊંચા ઊંચા ફ્લેટ બંધાઈ જાય તો એમને બિચારાને સૂરજના તડકો પણ મહેમાન જેવો થઈ જાય. આવે તો આવે! આવી સ્થિતિમાં જાવેદ અખ્તરનો શેર ચોક્કસ યાદ આવે,

ઊંચી ઇમારતો સે મકાં મેરા ઘિર ગયા,
કૂછ લોગ મેરે હિસ્સે કા સૂરજ ભી ખા ગયે.

દસ બાય દસની ઓરડીમાં સમાધાનપૂર્વક રહેતા ફ્લેટવાસીઓને પણ આવો પરોઢનો કુણો તડકો, હવાની મીઠી લહેરખીઓ, પંખીઓનો કલરવ દુર્લભ હોય છે. એ તો ઠીક પોતાના પડછાયાનુંય મોઢું જોવા નથી મળતું. જે શહેરવાસી છે, એ કદાચ આ બધાથી સારી રીતે ટેવાઈ ગયો છે, પણ કોઈ તળના ગામમાં રહેતી વ્યક્તિ, પ્રકૃતિના ખોળે નિરંતર રહેતો માણસ આવા નાનકડા ફ્લેટમાં આવી ચડે તો એનો તો જીવ રુંધાય. આ કાવ્યનો નાયક કદાચ આવો જ છે. જેને ફ્લેટમાં આવ્યા પછી સૂરજનું અજવાળું, સ્વચ્છ આભ, પંખીનું ટોળું, તડકો, વૃક્ષોની લીલોતરી ને બીજા ઘણા બધાની ખોટ સાલે છે. પણ છતાં આવું ચાલે છે.

ઘણી વાર એવું થાય કે તમને જે ફ્લેટ સારો લાગતો હોય તે બજેટની બહાર જતો હોય ને બજેટમાં હોય તે ગમતું ન હોય. આમાં અંતે જિંદગીનું બજેટ ખોરવાઈ જાય છે. આ તડજોડમાં જીવન પતી જાય છે. પછી એ પણ ખ્યાલ નથી રહેતો કે શું પ્રકૃતિ, શું આધુનિકતા, શું શ્હેર કે શું ગામ! પણ ફ્લેટમાં રહેતા અને પ્રકૃતિથી દૂર થવાની વેદના વેઠતા સંવેદનશીલ માનવીને પોતાની વ્યથાકથામાં ક્યારેક શીતળ છાંયડો આપતું લીમડાનું ઝાડ મળી જાય તો તે કદાચ મનોમન પૂછી બેસે કે આવો શીતળ છાંયડો અને આ સૂર્યનું અજવાળું કેટલા બજેટમાં પડ્યું? જિંદગીની ધાંધલધમાલમાં એ ભૂલી ગયો છે કે પ્રકૃતિની કૃપા તો બધા પર સરખી છે. પણ તેનું ચિત્ત ફ્લેટ જેવું થઈ ગયું છે. એ જિંદગીને જુદી જુદી લાંચ આપ્યા કરે છે, આટલું કરીશ એટલે આટલું મળશે. માણસ પોતે જ પોતાને રિશવત આપ્યા કરે છે અને તેને ખબર જ હોતી નથી.

વિપીન પરીખનું એક સુંદર કાવ્ય માણવા જેવું છે.

લોગઆઉટઃ

વૃક્ષ કદાચ એમ પણ કહે –
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું.’

કોયલ કદાચ આગ્રહ રાખે –
‘કોઇ સરસ જગ્યા જોઇ મને ફ્લેટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું’

થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઇ નહીં.

ચાલ મન ! એવા દેશમાં જઇએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !

— વિપીન પરીખ

શિકાગો-અમેરિકામાં યોજાયેલ કવિસંમેલન (હૃદયથી હૃદય સુધી)

અહેવાલ સૌજન્યઃ ગુજરાત ટાઇમ્સ, ફોટોગ્રાફ્સઃ સુરેશ બોડીવાલા (એશિયન મીડિયા, યુએસએ)

શિકાગોના ગુજરાતીઓ કવિતા દ્વારા ‘હૃદયથી હૃદય સુધી’ જોડાયા

કોઈ પણ સમાજ કે સંસ્કૃતિનો પડઘો તેના ભાષા અને સાહિત્ય દ્વારા પડતો હોય છે. આજનું સાહિત્ય આવતી કાલનો બહુ મોટો દસ્તાવેજ હોય છે. તેમાંય કવિતા એ હૃદયની ભાષા છે. હૃદયની ઊર્મિઓને વ્યક્ત કરતી વાણી છે. શિકાગો આર્ટ સર્કલ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંગીતનો પ્રચાર-પ્રસાર કરી લોકોના જીવનમાં પોઝિટિવ એટિટ્યૂડ વિકસતો રહે તેવા પ્રયત્નો કરે છે. આ પ્રયત્નના ભાગરૂપે એપ્રિલ 30 2022ના રોજ, શિકાગોના રાના રેગન કમ્યુનિટી હોલમાં એક સુંદર કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવિસંમલેન ખરેખર અનોખું હતું. શીર્ષક પ્રમાણે તેમાં હાજર રહેનાર તમામ શ્રોતાગણ ખરેખર ‘હૃદયથી હૃદય સુધી’ પહોંચ્યા હતા. હૈયે હૈયું દળાય એવી સ્થિતિમાં આખો હૉલ ખીચોખીચ ભર્યો હતો. અમેરિકામાં–શિકાગોમાં પાંચસો કરતાં વધારે શ્રોતા કવિસંમેલન માણવા આવે એ શિકાગોમાં વસતા ગુજરાતીઓનો સાહિત્યપ્રેમ દર્શાવે છે.

શિકાગો આર્ટ સર્કલ સંસ્થા 1996થી સતત ગુજરાતી સાહિત્યની સેવા કરી રહી છે. અગાઉ આદિલ મન્સૂરી, મધુરાય અને ચંદ્રકાન્ત શાહ જેવા દિગજ્જ સાહિત્યકારોને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ આપી ચૂકી છે. ત્યારે આ પ્રસંગે કવિ અનિલ ચાવડાને તેમના સાહિત્યિક પ્રદાન માટે — ખાસ કરીને કવિતા માટે સ્પેશ્યલ રેકોગ્નાઇઝેશન એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતીય સિનિયર સિટિઝન એસોશિયેશનના સ્થાપક પ્રમુખ શ્રી હરિભાઈ પટેલને તેમની સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને એવોર્ડ આપીને સન્માનવામાં આવ્યા હતા. છેલ્લા 26 વર્ષોથી શિકાગો આર્ટ સર્કલમાં વોલન્ટિયર તરીકે સેવા આપનાર 87 વર્ષે અડીખમ એવા શ્રી મુકુંદભાઈ દેસાઈને વિશેષ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઇન્ડિયાથી ખાસ પધારેલા સુપ્રસિદ્ધ કવિઓ રઈશ મનીઆર, અનિલ ચાવડા અને ઉષા ઉપાધ્યાયે પોતાની ઉત્તમ રચનાઓ રજૂ કરી હતી. સાથેસાથે અમેરિકામાં રહીને ગુજરાતી ભાષામાં અનેક અદભુત શેર અને ગઝલો લખનાર કવિ અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાએ પણ પોતાની રચનાઓ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આકાશ ઠક્કર, અબ્દુલ વહીદ સોઝ અને ભરત દેસાઈએ પણ સ્થાનિક કવિ તરીકે ભાગ લીધો હતો. કવિ રઈશ મનીઆરનું હળવી શૈલીનું રમૂજી સંચાલને શ્રોતાઓને આનંદ કરાવ્યો હતો. કાર્યક્રમ એટલો રસપ્રદ થયો હતો કે શ્રોતાઓએ એક જ કાર્યક્રમમાં ત્રણ વખત સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. આવું જવલ્લે જ બનતું હોય છે.

મલક કંઈ કેટલા ખુંદ્યા, બધાની ધૂળ ચોંટી પણ,
હજી મારો આ ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.

ગુજરાતી ધબકારાથી છલકાતું સભાગાર શરૂઆતથી જ કવિતામાં રસતરબોળ થઈ ગયું હતું. દરેક શેર પર લોકોએ તાળીઓનો વરસાદ વરસાવ્યો હતો. એક એક શેર પર આફરીન પોકારતા હતા. ભારતીય સિનિયર સિટિઝન એસોશિયેશનના પ્રમુખ અને સાહિત્યરસિક શ્રી હરિભાઈએ જણાવ્યું હતું કે છેલ્લાં ઘણાં વર્ષોથી હું અહીં વિવિધ કાર્યક્રમો કરું છું, પણ આ આટલો સુંદર કાર્યક્રમ મેં કદી નિહાળ્યો નથી.
આ કાર્યક્રમમાં બોલાયેલી ગઝલના કેટલાક ઉમદા શેરઃ

બોલું ના ને મૌન રહું તો વાંધો શું છે?
તોયે તમને પ્રેમ કરું તો વાંધો શું છે?
— ભરત દેસાઈ

મળે છે તુંય તે ઇચ્છાની ઓઢણી ઓઢી,
અને છું હુંય હજી પણ ત્વચાથી સંબંધિત.
— અબ્દુલ વહીદ સોઝ

બેય તરફે આપણે સાથે જ સ્પર્શ્યા ફૂલને,
એ તરફનું ફૂલ અડધું કેમ કરમાતું રહ્યું?
— આકાશ ઠક્કર

ભલે હો પ્હાડ રસ્તામાં, અડીખમ છું ઇરાદામાં,
ભગિરથ છું ધરા પર તપ થકી ગંગા ઉતારું છું.
— ઉષા ઉપાધ્યાય

આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો,
“આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નહીં.”
— અનિલ ચાવડા

વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુષાસન?
કંઈ કેટલાની એમાં નિઃશબ્દ સંમતી છે.
— રઈશ મનીઆર

હું નથી દરિયો કે દટ્ટાયેલ મોહે-જો-દડો,
હું નદીનું વ્હેણ છું, ઇતિહાસ જેવું કંઈ નથી.
— મધુમતી મહેતા

પાપને ધોયાં નથી જેણે કોઈ રીતે,
એય ગંગાજળ ઉપર પીએચડી કરે છે.
— અશરફ ડબાવાલા
કવિસંમેલનમાં ભાગ લેનાર કવિઓ

અનિલ ચાવડાને શિકાગો આર્ટ સર્કલ તરફથી સ્પેશિયલ રેકગ્નાઇઝેશન એવોર્ડ અર્પણ કરતા અશરફ ડબાવાલા

કવિ અનિલ ચાવડા

કવિ અશરફ ડબાવાલા

કવિ રઈશ મનીઆર

કવયિત્રી મધુમતી મહેતા

કવયિત્રી ઉષા ઉપાધ્યાય



કવિ આકાશ ઠક્કર

કવિ ભરત દેસાઈ સ્પંદન

કવિ અબ્દુલ વહીદ સોઝ

માતૃભાષાની ડાળી અને કુહાડીકર્મ

લોગઇનઃ

વાત મારી જેને સમજાતી નથી,
એ ગમે તે હોય, ગુજરાતી નથી.

– ખલીલ ધનતેજવી

આવતી કાલે વિશ્વ માતૃભાષા દિવસ છે. આપણે દિવસોમાં દબાયેલા માણસો છીએ. જ્યારે વેલેન્ટાઇન ડે આવે ત્યારે પ્રેમ થાય, મધર ડે આવે ત્યારે માતા યાદ આવે, પંદરમી ઓગસ્ટ આવે એટલે તાત્કાલિક ઝંડા લેવા દોડીએ. માતૃભાષા દિન છે એ જાણીને ઘણા લોકો માતૃભાષા દિનની ઊજવણી કરતાં સુવાક્યો, કવિતાઓ, વાર્તાઓ ને એવું બધું શોધવા લાગશે. ગુજરાતી પુસ્તકો વાંચતી સેલ્ફી કે ફોટોગ્રાફ પાડીને અપલોડ કરવા મંડી જશે. આગ લાગે ત્યારે કૂવો ખોદવાની મનોવૃત્તિ ધરાવતા આપણે સૌ ભાષાની ભાંગતી ડાળી પર બેઠા છીએ. કાલિદાસના જીવનનો એક કિસ્સો તમે સાંભળ્યો હશે. તે મહાકવિ ગણાય છે, પણ પહેલાં તેઓ અભણ અને મૂર્ખ હતા. તો પછી એ મહાકવિ કેવી રીતે થયા તે જાણવા જેવું છે.

એમ કહેવાય છે કે ઉજ્જૈનના રાજાની કુંવરી વિદ્યોત્તમા ખૂબ જ્ઞાની અને વિદ્વાન હતી. જ્યારે તેના લગ્નની વાત આવી ત્યારે તેણે નક્કી કર્યું કે મને જ્ઞાનમાં પરાસ્ત કરે તેની સાથે જ હું લગ્ન કરીશ. અનેક વિદ્વાનો આ સુંદર કુંવરીને પરણવા માટે તેની સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યા, પણ બધા જ કુવંરની વિદ્વતા સામે પાણી ભરતા થઈ ગયા. મોટામાં મોટા વિદ્વાનો પણ તેની સામે ફિક્કા પડવા લાગ્યા. આથી વિદ્યોત્તમાને પોતાના જ્ઞાનનું અભિમાન જાગ્યું. બીજી તરફ પરાસ્ત થયેલા વિદ્વાનોને પોતાનું હળાહળ અપમાન થતું લાગ્યું. પોતાના અપમાનનો બદલો લેવા માટે બધા વિદ્વાનોએ મળીને આ ઉદ્ધત કુંવરી કોઈ મૂર્ખા જોડે પરણે તેવો કારસો ઘડ્યો. બધાએ મળીને એક મૂર્ખ માણસ ગોતવા લાગ્યા. અચાનક એક દિવસ એક વિદ્વાને જંગલમાં એક માણસ જોયો. તે માણસ જે ડાળી પર બેઠે હતો, તે જ ડાળી કાપી રહ્યો હતો. તેની આ મૂર્ખતા જોઈને વિદ્વાનોએ નક્કી કર્યું કે આ મૂરખને જ વિદ્યોત્તમા સાથે પરણાવવો જોઈએ.

અને આ મૂર્ખ માણસ એટલે કાલિદાસ. પછી તો તેમને વિદ્યોત્તમા પાસે લઈ જવામાં આવ્યા અને મૂર્ખતા વિદ્વત્તામાં ખપી ગઈ અને વિદ્યોત્તમા સાથે લગ્ન પણ થયા. અને વાર્તા આગળ વધતી રહે છે. પણ મૂળ વાત જે ડાળ પર બેસવું તે ડાળ કાપવાની છે. આપણે ગુજરાતી નામની ભાષાની એક ડાળી પર બેઠા છીએ, પણ કાલિદાસે જે મૂર્ખતા કરી હતી તે જ આપણે કરી રહ્યા છીએ. જે ડાળ પર બેઠા છીએ તે કાપી રહ્યા છીએ. તેમાં આપણા અંગ્રેજી પ્રત્યેના આકર્ષણની અણિયાળી કુહાડી જવાબદાર છે. ચપોચપચ અંગ્રેજી બોલતી વ્યક્તિ તરત બધાનું ધ્યાન ખેંચે છે એવો આપણો ભ્રમ પણ એની પાછળ જવાબદાર છે. અંગ્રેજી મીડિયમની સ્કૂલોમાં આપણા બધા જ મિત્રોનાં બાળકો ભણી રહ્યાં છે તો આપણું બાળક પાછળ રહી જશે એવી પણ આપણને બીક છે. આ બધી બીક એક કુહાડીનું કામ કરે છે. આ ભાષાની ફેશન, પાછળ રહી જવાની બીક, એ બધું એક રીતે કુહાડી જેવું છે. જે આપણી ભાષા નામની ડાળીને કાપી રહી છે.

ખબરદારે લખ્યું, “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.” ઉમાશંકર જોશીએ લખ્યું, “સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી.” ઉપરોક્ત શેરમાં ખલીલ ધનતેજવી પણ એ જ કરી રહ્યા છે, જેમને મારી ખુમારી, મારા સંસ્કાર, મારું પોત પમાતું નથી એ ગુજરાતી નથી. અર્થાત્ મને સમજવા માટે તમારે ગુજરાતી સમજવું પડશે. કોઈ પણ સંસ્કૃતિને સમજવા માટે તેની માતૃભાષા સમજવી ખૂબ જરૂરી છે.

આપણા કવિઓ-સર્જકો માતૃભાષાનું ગૌરવગાન કરીને થાકી ગયા, પણ પવનની દિશા તો બીજી તરફની જ રહી છે. ઘણા લોકો પોતાના વ્યાકરણદોષ કે જોડણીદોષને છાવરવા માટે અખાની કાવ્યપંક્તિ ટાંકતા હોય છે, “ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર.” ભૂલ ઢાંકવામાં આપણે શૂરા છીએ.

એક વાત સમજી લેવા જેવી છે. માતૃભાષાનું ગૌરવ કરવાનો અર્થ અંગ્રેજીનો વિરોધ કરવો, એવો નથી. અંગ્રેજીનો વિરોધ કરનાર મૂર્ખ છે, અને માતૃભાષાનો વિરોધ કરનાર મહામર્ખ છે. અંગ્રેજી આજે વૈશ્વિક ભાષા છે, એટલે તે તમને જગત સાથે જોડી આપશે, પણ માતૃભાષા તમને જાત સાથે જોડી આપશે. ભાષા એક અર્થમાં આશા છે.

માતૃભાષા વિશે આઈઝેક બાસેવિક સિંગર નામના એક મોટા યહૂદી લેખકે સરસ વાત ગાંઠે બાંધવા જેવી છે. એમને નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારે એમને પૂછવામાં આવ્યું: “તમે યીડિશ જેવી મરણોન્મુખ ભાષામાં શું કામ લખો છો ?” જવાબમાં લેખકે કહ્યું: “મને પાકી ખાતરી છે કે મૃત્યુ પામેલા કરોડો યહૂદીઓ એક દિવસ એમની કબરમાંથી બેઠા થશે અને પ્રશ્ન પૂછશે: યીડિશ ભાષામાં પ્રગટ થયેલી લેટેસ્ટ બૂક કઈ છે? એ લોકો માટે યીડિશ ભાષા મરી પરવારેલી ભાષા નહીં હોય. મને તો ફક્ત આ એક જ ભાષા બરાબર આવડે છે, જેમાં હું આખો ને આખો ઠલવાઈ શકું. યીડિશ મારી માતૃભાષા છે અને મા ક્યારેય મરતી નથી.”

લોગઆઉટઃ

એના કરતા હે ઈશ્વર દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું?

- હરદ્વાર ગોસ્વામી

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો

લોગઇનઃ

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ,
પણ કલરવની દુનિયા અમારી,
વાટે રખડ્યાની વાટ છીનવી લીધી
ને તોય પગરવની દુનિયા અમારી.
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પોર
બંધ પોપચામાં રંગોની ભાત,
લોચનની સરહદથી છટકીને ઝળહળતું
રૂપ લઈ રસળે શી રાત!
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી,
ફૂલોના રંગો રિસાઈ ગયા,
જાળવતી નાતો આ સામટી સુગંધ,
સંમા સંમાના દઈ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ.
ટેરવાને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી!

- ભાનુપ્રસાદ પંડ્યા

24 એપ્રિલ 1932માં અમરેલીના એક નાનકડા ગામમાં જન્મનાર આ કવિએ સોનેટ, ગીત, છાંદસ-અછાંદસ એમ વિવિધ સ્વરૂપોમાં નોંધનીય પ્રદાન કર્યું છે. વિવેચન અને સંપાદનક્ષેત્રે પણ તેમણે સારું કામ કર્યું છે. થોડા દિવસ પહેલાં જ તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. કવિ જગતને અલવિદા કહે ત્યારે શબ્દોનું ધન મૂકી જાય છે અને તેનો વારસો તે ભાષાના તમામ ભાવકોને ખોળે ધરીને જાય છે. ભાનુપ્રસાદ પંડ્યાના આ વારસામાંથી એક સુંદર ગીત આજે માણીએ.

આંખ શરીરનું ખૂબ મહત્ત્વનું અગં છે. તેના દ્વારા જ આપણે જગતને પ્રત્યક્ષ નિહાળી શકાય છે. ભાનુપ્રસાદ પંડ્યાએ આ ગીતમાં અંધજનો લાગણીને ખૂબ હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કરી છે. દુનિયા અમારી, અર્થાત જેમને આંખ નથી તેમની. આખું ગીત અંધોની ઉક્તિરૂપે કહેવાયું છે. દૃષ્ટિ વિના પણ ભૌતિક જગતનો અનુભવ થઈ છે તેની સાબિતી આ ગીત આપે છે. દેખ્યાનો દેશ લઈ લીધો, દૃષ્ટિ લઈ લીધી, પણ કલરવની દુનિયા અમારી, અર્થાત શ્રવણેદ્રિયો વધારે સજાગ છે. ભલે દર્શન નથી, પણ શ્રવણ સતેજ છે. અહીં દૃષ્ટિ નહીં હોવાની નિરાશા નથી, પણ દૃષ્ટિ ન હોય તો કેવી આશાથી જીવી શકાય તેવા હકારાત્મક અભિવ્યક્તિ છે. ભલે દૃશ્યોની દોમદોમ સાહ્યબી આંખ ન માણી શકે, પણ કલરવની દુનિયા કોઈ છીનવી નહીં શકે. મોજથી રસ્તા ઉપર ચાલી નહીં શકાય, બહુ ધ્યાન રાખવું પડશે, કેમ કે દેખાતું નથી, ભલે, પણ પગરવને સાંભળીને બધું પામવાની શક્તિ તો જતી નથી રહી. એ વધારે તીવ્ર બની છે. પગરવની આખી દુનિયા અમારી છે.

વહેલી સવારે પહેલો પોર પંખીના કલબલાટથી શરૂ થાય અને જાણે કે હૃદયમાં સૂરજ ઊગે. એ સૂર્યની રોશની ભલે આંખોમાં ન હોય, ભલે બંધ પોપચામાં તમામ રંગોની ભાત ઢબુરાઈ ગઈ હોય, ભલે આંખોની સરહદમાંથી છટકીને રાત પોતાનું ઝળહળતું રૂપ લઈને આમ તેમ ભટકતી હોય. આંખના દીવડામાં ભલે જ્યોત ન જલતી હોય, પણ અજવાસને અનુભવી શકાય છે. કોઈને એક લ્હેકા માત્રથી તે કોણ છે પારખી શકાય છે. ચ્હેરેથી પારખવાની શક્તિ ભલે છીનવાઈ ગઈ હોય, પણ અવાજના વૈભવની દુનિયા કોઈ નહીં છીનવી શકે. ફૂલના રંગો ભલે અમારાથી રિસાઈ ગયા, પણ તેની સુગંધે અમારી સાથે નાતો જાળવી રાખ્યો છે. એ સુગંધ જ અમને કહે છે કે હું ગુલાબ છું, હું મોગરો, હું ચંપો... કોઈના સ્પર્શ માત્રથી પિછાણી જવાય એ શક્તિ પણ ઓછી નથી. ચહેરા પર જે આંખ નથી તે આંખ જાણે ટેરવા પર ફૂટી છે. એટલે જ કદાચ સ્પર્શમાત્રથી વ્યક્તિને ઓળખી શકાય છે.

અંધ માણસની અનુભૂતિને નિરાશાના નહીં, પણ આશાના ભાવ સાથે ભાનુપ્રસાદ પંડ્યાએ બખૂબી રીતે વ્યક્ત કરી છે. મોટેભાગે આવા વિષય પર કવિતા લખવાની થાય ત્યારે તેમાં ઘોર નિરાશાનો સૂર ભળી જતો હોય છે, પણ અહીં કવિ તેનાથી આબાદ રીતે બચી શક્યા છે. અંધ વિશે કવિતાની વાત આવે ત્યારે નિરંજન ભગત યાદ આવ્યા વિના ન રહે. તેમણે વિવિધ પાત્રો પર કવિતાઓ લખી છે, તેમાં એક પાત્ર અંધ છે. તે કવિતા પણ માણવા જેવી છે. તેનાથી જ લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

કે શું હજુ હું ગર્ભમાંથી નીકળ્યો ના બ્હાર
તે મારા જનમને કેટલી છે વાર?
કે શું ઝાળ પણ ઝંપી ગઈ છે ચેહમાં
તે હું હવે વસતો નથી મુજ દેહમાં?
તે કંઈક એની આંખથી આ આંખમાં
છે ભૂલથી જોવાઈ ગયું?
જેથી અચાનક આમ મારું તેજ બસ ખોવાઈ ગયું.
મેં આ જગતની કેટલી કીર્તિ સુણી'તી સ્વર્ગમાં
તે આવવાની લ્હાયમાં ને લ્હાયમાં
હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાંયમાં!
ત્યારે જગતનું રૂપ જોવાનું મને કેવું હતું સપનું!
હવે ચશ્મું થવા ચાહે સળગતો આ સૂરજ
રે તોય શા ખપનું?
ઊંચે માથું ઉઠાવી આભ સામે
પણ હવે ધરવું નથી,
આ એકમાંથી એ બીજા અંધારમાં સરવું નથી.
ને કોણ ક્હે છે ચન્દ્રસૂરજતારલા એ સૌ જલે?
એ તો પલક અંધારનું હૈયું હલે!
મેં જોઈ લીધો છે જગતનો સાર
કે અહીં તેજની ભીતર વસ્યો અંધાર.
હું તો નીંદમાં ચાલી રહ્યો, ફિલસૂફ છું,
એવું કશું ક્હેશો નહીં;
તો આંધળો છું એમ કહીને
આંધળા રહેશો નહીં!

— નિરંજન ભગત

મારી ફળીનાં ઝાડવાં બે હતાં કરતાં એક દિ’ વાતો

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

મારી ફળીનાં ઝાડવાં બે હતાં કરતાં એક દિ’ વાતો,
એક કહે: હદ થઈ હવે, નહીં ભાંડુવિજોગ ખમાતો.
ચાલને અહીંથી ચાલતાં થાયેં, આઘાં આઘાં વનમાં જાયેં.

બીજું કહે: એમાં જીવનું જોખમ, નિત આવે કઠિયારો,
આવી ઓચિંતાના ચલવે આપણા પર કુહાડાનો મારો:
જો કે મરવું કોઈ ન ટાળે, તોય મરવું શીદ-અકાળે?

પહેલું કહે: અહીં દન ખુટે તો પછી ન ખુટે રાત,
અહીં અટૂલું એકલું લાગે, તહીં તો આપણી નાત!
ચાલને આપણે ચાલતાં થાયેં, આઘાંઆઘાં વનમાં જાયેં

બીજું કહે: જેણે જાત ઘસીને આપણને જળ પાયાં,
એમને ક્યારે આપીશું આપણાં ફળ ને આપણી છાયા?
હું તો કહું: અહીં રોકાઈ જાયેં, એના ચૂલાનાં ઈંધણાં થાયેં.

— દેવજી રા. મોઢા

‘શિરીષ’ના તખલ્લુસ સાથે લખતા આ કવિનો આજે જન્મદિવસ છે. 8 મે, 1913ના રોજ જન્મી, 21 નવેમ્બર 1987માં વિદાય લેનાર આ કવિએ અનેક સુંદર કાવ્યો લખ્યાં છે. તેઓ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન પામ્યા અને શાળામાં આચાર્યપદે પણ રહેલા. તળપદી સરળતા અને હૃદયને સ્પર્શે તેવી પ્રેરક ભાવનાત્મક બાની તેમની કવિતાની વિશેષતા છે. કશો ઉપદેશ આપ્યા વિના જ તેઓ તેમની કવિતામાં મોટો ઉપદેશ આપી દેતા હોય છે. ઉપરની કવિતા તેની સાક્ષી પૂરે છે.

કાવ્યનાયકના ફળિયામાં બે ઝાડ ઊભાં છે. બંને વાતે ચડ્યાં છે. એક ઝાડ બીજા ઝાડને કહે છે, “ભાઈ, અહીં રહીને હવે મારાથી વિયોગ નથી ખમાતો.” આ વિયોગ અન્ય વૃક્ષોનો છે. શહેરમાં છૂટાંછવાયાં ઝાડને જંગલમાં પોતાપણું લાગે, ત્યાં અનેક વૃક્ષોની હરિયાળી હોય. જ્યારે શહેરમાં કોંક્રિટના જંગલમાં કોઈના આંગણે ઊભેલાં એકબે ઝાડને પોતાની વસ્તી વધારે હોય તેવા વિસ્તારમાં જવાની ઇચ્છા થતી હોય તેવું બને. દેવજી રા. મોઢાએ આ સરસ કલ્પના કરી છે. એક ઝાડ બીજા ઝાડને કહે છે કે, “ચાલને આપણે અહીંથી જંગલમાં જતાં રહીએ, ત્યાં આપણી જેવા – આપણી નાતનાં અનેક ઝાડ હશે. બધાની સાથે ખૂબ મજા આવશે. અહીં તો એકલવાયાપણું છે. ઈંટ-સિમેન્ટની વચ્ચે ફળિયામાં માત્ર તું ને હું ઊભાં છીએ.” બીજું ઝાડ ઘણું સમજું છે. તે કહે છે, “ત્યાં જવામાં વાંધો નથી, પણ ત્યાં જીવનું જોખમ છે. જંગલમાં રોજ કઠિયારો આવે, આપણી પર કુહાડીના પ્રહાર થાય. આપણે હતાં ન હતાં થઈ જઈએ. જો કે દરેકનું મૃત્યુ નક્કી જ છે, પણ આમ સાવ અકાળે શું કામ મરવું? એના કરતાં અહીં જેમણે જાત ઘસીને આપણને ઉછેર્યાં, પાણી પાઈ-પાઈને મોટાં કર્યાં, તેમને આપણાં ફળફૂલ ન આપીએ? તેમનું ઋણ કેમ ભૂલાય? અહીં જ રોકાઈને આપણે તેમના ચૂલામાં બળીએ તો આપણું જીવતર સાર્થક થશે.

આ જ વાતને વિદેશમાં રહેતા લોકોના સંદર્ભમાં પણ જોવા જેવી છે. અમેરિકા-કેનેડા-યુકે જેવા દેશોમાં રહેતા અનેક ગુજરાતીઓ થતું હશે કે અહીં ક્યાં આવી ચડ્યા, માજરે વતનને મૂકીને? ક્યારેક એ ભૂમિને કાયમ માટે છોડીને વતનમાં આવવાની ઇચ્છા પણ થતી હશે. પણ દેવજી રા. મોઢાએ આ કવિતામાં કહ્યું છે તેમ, જે ભૂમિએ રોટલો અને ઓટલો આપ્યો, માનસન્માન અપાવ્યું તેને સાવ આમ તરછોડી ન દેવાય. વતનનો દીવો તો હૈયામાં જલતો જ રહેવાનો છે, તે ઠાર્યો નથી ઠરવાનો. પણ વિદેશને પોતાનું વતન બનાવ્યું, તેનું લુણ ખાધું તો તેનું ઋણ પણ પોતાની માથે છે. વતનના જતન સાથે વિદેશને સ્વદેશ બનાવવો એ નાનીસૂની વાત નથી. બંનેનો આદર કરવો જોઈએ. અશરફ ડબાવાલાનો એક શેર યાદ આવે છે,

પરદેશમાં વતનને ભલે તું ઝૂરે ભલે સતત,
ક્યારેક તો વતનમાં વિલાયતનો શેર લખ.

વતનઝૂરાપો બધાને હોય. જે માટીમાં રમ્યા-ભમ્યા અને ઊછર્યાં તે માટીનું મૂલ આંકીએ તેટલું ઓછું છે. પણ જે ભૂમિએ આપણને રોજીરોટી આપી તેના પ્રત્યે પણ આદર હોવો જ જોઈએ. જેમ માતૃભાષાના ગુણગાન ગાવા માટે અન્ય ભાષાને નકામી ગણવી જરૂરી નથી, તેમ વતનને પ્રેમ કરવા માટે વિદેશને નફરત કરવી પણ જરૂરી નથી.

દેવજી રા. મોઢાની અન્ય એક સુંદર કવિતા છે, જેમાં તેમને કયાં બે ચિત્રો સૌથી વધારે ગમે છે, તેની સરસ રીતે વાત કરી છે, તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

જગનાં સહુ ચિત્રોમાં માત્ર બે જ મને ગમે:
એક તો એ કે જહીં કોઈ કન્યા, કોઈ કુમારનો
લઈને પગ ખોળામાં, વ્હાલની ભરતી ઉરે
આણી, વદી મીઠાં વેણ, ને વેણે વેદના
હરી ને હળવે હાથે કાંટાને હોય કાઢતી!
ને બીજું જ્યાં કુમાર એ કાંટાના ભયને પરો
કરી ને કોમળ અંગે ઊંડા ઊઝરડાં સહી,
ને લહી પીલુંડાં જેવા લોહીના ટશિયા કરે,
ચૂંટી પાકાં ટબા બોર કન્યાને હોય આપતો,
ને ખાધાથી ખવાડીને ખુશી ઓર મનાવતો!

— દેવજી રા. મોઢા

આજ અંધાર ખૂશ્બોભર્યો લાગતો....

લોગઇનઃ

આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી.

આજ ઓ પારથી ગંધને લાવતી
દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીંથી
મ્હેંકતી આવતી શી સુગંધી!

ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફૂવારી?

હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
હરિણ શું, તે મળ્યો આજ સૂર?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર?

- પ્રહલાદ પારેખ

આપણે ત્યાં અંધકાર, રાત્રી, કાળાશ વગેરેને એક પ્રકારની નકારાત્મકતા સાથે જોડવામાં આવતાં હોય છે. ઉદાસીનો અંધકાર, ભેંકાર રાત્રીની ભયાવહતા, અંધકારની આરી, અંધકારના ઓળાઓ જેવી અનેક શબ્દાવલીઓ દ્વારા નિરાશાનો ભાવ વ્યક્ત કરવામાં આવે છે. તેમાં અંધકારનો ખપ લેવામાં આવે છે. મનની અસીમ કાળાશ વ્યક્ત કરવા માટે ક્યારેક ભેંકાર અંધકારનું ઉદાહરણ આપવામાં આવે, તો ક્યારેક કાળમીંઢ ખીણ પણ કહેવામાં આવે. અંધકારમાં ભય છે, બીક છે, નિરવ શાંતિ અને એમાં એકલતાનો એરુ આભડવા તત્પર છે. આવાં આવાં પ્રતિકો અંધકારને વધારે નકારાત્મક બનાવે છે. ત્યારે ગાંધીયુગના એક મહત્ત્વના કવિ અંધારાને જરા જુદી રીતે જુએ છે. તે કહે છે, ‘આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો.’

નિરંતર અંધકારને નકારાત્મક રીતે જ જોનાર કોઈ વ્યક્તિ પહેલીવાર આવી પંક્તિ વાંચે તો તરત તે ચકિત થાય જ, તેમાં કોઈ બે મત નથી. તેના મનમાં રહેલી અંધકાર વિશેની માન્યતાઓનો પણ ભાંગીને ભુક્કો થાય. પ્રહલાદ પારેખે અંધારને ખુશ્બોભર્યો કહ્યો, પણ અંધકાર કંઈ સુંઘવાની વસ્તુ નથી, એને માત્ર આંખથી અનુભવી શકાય, જોઈ શકાય. પણ એ જ તો કવિની કમાલ છે. અહીં કવિએ ઈઁદ્રિયવ્યત્યય સાધ્યો છે. અંધકારની કાળાશને પ્રહલાદ પારેખે સૌંદર્યવંતી બનાવી દીધી.

કવિ રાજેન્દ્ર શુક્લએ પણ અંધારાને અદ્ભુત રીતે રજૂ કરેલું, તેમણે લખ્યું, “ઊંટ ભરીને આવ્યું રે અંધારું લ્યો...” ઘણાને વળી પ્રશ્ન થાય કે ઊંટ ભરીને અંધારું કઈ રીતે આવી શકે? મણિલાલ દેસાઈને તો અંધારાના કવિ તરીકે ઓળખવામાં આવતા, તેમની કવિતામાં ઘણાં અંધકારના પ્રતીકો-કલ્પનો જોવા મળતાં. જેમ કે, “અંધારાનું ઈંડું તૂટી ગયું છે” ‘અંધારું’ નામની કવિતામાં તો તેમણે અંધારાને કેટકેટલાં વિશેષણોથી નવાજ્યું છે, “અંધારું પીળું આકાશ નહીં બાલમાં, અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ...” એમણે પણ અંધારાને સુંવાળું ફૂલ કીધું. પણ આ અંધારાની સુગંધને પહેલીવાર ગુજરાતીમાં રજૂ કરનાર કવિ હતા પ્રહલાદ પારેખ. આ રીતે પ્રહલાદ પારેખ પોતાના સમકાલીનોથી અલગ પડ્યા. કવિ શ્રી વિનોદ જોશીએ તેમના વિશે જે કહ્યું તે એકદમ યોગ્ય જ છે, “સમકાલીન કાવ્યપ્રણાલિએ સ્થિર કરેલી કેટલીક રૂઢ પરંપરાઓનો ખપ પૂરતો લાભ લઈ આ કવિ પોતાની રીતે ફંટાયા છે. ને એમ પ્રવાહપતીત બની જવામાંથી ઊગરી શક્યા છે.”

પ્રહલાદ પારેખ પર રવીન્દ્રનાથ ટાગોરની સૌંદર્યમઢી કાવ્યકલાનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. નિસર્ગમાં જ આ કવિ સ્વર્ગ જુએ છે. તેમની કવિતામાં પ્રકૃતિ, પ્રેમ અને કુદરત સોળે કળાએ ખીલ્યાં છે. પુષ્પોની કળીઓ જેટલી સહજ રીતે ડાળ પર પાંગરે છે, એટલી સહજતાથી તેમની કવિતામાં પ્રકૃતિ પાંગરી છે. 12 ઑક્ટોબર 1912ના રોજ ભાવનગરમાં જન્મેલા આ કવિએ માત્ર બે જ કાવ્યસંગ્રહો આપીને ગુજરાતી ભાષામાં પોતાનું સ્થાન કામયી કર્યું છે. એક સંગ્રહ છે, ‘બારી બહાર’ અને બીજો, ‘સરવાણી’. બારી બહાર તેમણે જે દૃશ્યો જોયાં અને હૃદયે જે અનુભવ્યું તેની સરવાણી તેમણે કાવ્યરૂપે વહાવી છે. એમનાં કાવ્યો સંખ્યાની ર્દષ્ટિએ અલ્પ હોવા છતાં ગુણવત્તાની દ્રષ્ટિએ ઘણાં મહત્વનાં છે. તેમણે બાળવાર્તાઓ, અનુવાદ અને ગદ્યમાં પણ થોડો ઘણો હાથ અજમાવ્યો હતો. પણ કવિતામાં તેઓ સવિશેષ ખીલી શક્યા. અંધકારને ખૂશ્બોભર્યો બનાવનાર આ કવિની આજે પૂણ્યતિથિ છે. 2 જાન્યુઆરી 1962ના રોજ તેમણે આ ફાની જગતમાંથી વિદાય લીધી. તેમની પૂણ્યતિથિએ તેમને લાખ લાખ વંદન.

અંધારા વિશેની રાજેન્દ્ર શુક્લની એક સુંદર રચનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

ઊંટ ભરીને આવ્યું રે અંધારું લ્યો.
આ પોઠ ભરીને આવ્યું રે અંધારું લ્યો.

કોઇ લિયે આંજવા આંખ,
કોઇ લિયે માંજવા ઝાંખ;
અમે તે ઉંબરમાં ઉતરાવ્યું રે અંધારું લ્યો.
અમે તો આંગણામાં ઓરાવ્યું રે અંધારું લ્યો.

એના અડ્યા આભને છોડ;
એવા અડ્યા આભને કોડ –
અમે તો મુઠ્ઠી ભરી મમળાવ્યું રે, અંધારું લ્યો.
અમને ભોર થતાં લગ ભાવ્યું રે, અંધારું લ્યો.

– રાજેન્દ્ર શુકલ

ગઝલ — આપણે છૂટા પડ્યા ’તા

આપણે છૂટા પડ્યા ’તા જે ક્ષણે આઘાત સાથે,
એ પછી કાયમ વીત્યો મારો સમય ઉત્પાત સાથે.

જોરથી ભૂતકાળને ભટકાઈને વાગ્યો મને એ;
મેં સ્મરણનો જે દડો ફેંક્યો હતો તાકાત સાથે.

સ્મિત જ્યારે પણ કર્યું ત્યારે ઉદાસીન થઈ ગયો હું,
એમ થાતું કે અગર તું હોત તો હરખાત સાથે.

પત્ર ટુકડે ટુકડે વાંચ્યો તો અસર એની અલગ થઈ,
થાત એની પણ અસર નોખી અગર વંચાત સાથે!

ચાંદ-તારા-સૂર્ય ને સર્વે ગ્રહો ગોથે ચડ્યા છે,
ગરબડો કોણે કરી મારા દિવસ ને રાત સાથે?

કાશ, આ આગળ ધપી ચૂકેલ વેળા મારી મા હોત,
હું ય બાળક જેમ દોડીને તરત થઈ જાત સાથે.

– અનિલ ચાવડા

પંખાળા ઘોડા ગઢ રે કૂદીને ક્યાં ઊડિયા હો જી?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

પંખાળા ઘોડા ગઢ રે કૂદીને ક્યાં ઊડિયા હો જી?

જરીયે કીધ ના ખોંખાર,
મૂકી પછાડી અસવાર,
કીધા અજાણ્યા પસાર,
પંખાળા ઘોડા ગઢ રે કૂદીને ક્યાં સંચર્યા હો જી?

તોડી દીધી નવસેં નેક,
છોડી દીધા સઘળા ટેક,
આડા આંકી દીધા છેક,
પંખાળા ઘોડા ગઢ રે ભાંગીને ક્યાં પરહર્યા હો જી.

પાંખાળા ઘોડા ક્યાં રે અગોચર ઊપડ્યા હો જી?
સૂની મૂકી તુષ્ણાનાર,
શીળા આશાના તુષાર,
સૌને કરીને ખુવાર,
ખૂલ્લાં મૂકી નવે દ્વાર,
પંખાળા ઘોડા કિયા રે મુલક તને સાંભર્યા હો જી?

– સુંદરજી બેટાઈ

સુંદરજી બેટાઈ ગાંધીયુગના મહત્ત્વના કવિ છે. તેમણે ‘જ્યોતિરેખા’, ‘ઇન્દ્રધનુ’, ‘શિશિરે વસંત’, ‘શ્રાવણી ઝરમર’ જેવા અનેક કાવ્યગ્રંથો આપ્યા છે, સાથેસાથે અનુવાદો, સંપાદનો અને વિવેચનનાં કામો પણ ઘણાં કર્યાં છે. તેમણે લખેલાં ખંડકાવ્યો પણ ધ્યાનમાં લેવા જેવાં છે. ‘પાંજે વતની ગાલ્યું’, ‘અલ્લાબેલી અલ્લાબેલી, જાવું જરૂર છે, બંદર છો દૂર છે...’ જેવી રચનાઓ તેમની જાણીતી થયેલી. વિષાદ, અવસાદ, આધ્યાત્મિક ભાવ અને જીવનની ગતિ-અધોગતિ તેમના કાવ્યોમાં વિશેષ રીતે ઝિલાઈ છે. મુંબઈની એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે તેમણે કામ કરેલું. 10 ઑગસ્ટ 1905ના જન્મેલા આ કવિએ 16 જાન્યુઆરી, 1989ના રોજ આ જગતમાંથી વિદાય લીધી. આજે તેમની પૂણ્યતિથિ છે. તેમની કવિતા થકી તેમને વંદન કરીએ.

સુંદરજી બેટાઈ અહીં પાંખાળા ઘોડાની વાત કરે છે. આ પાંખાળા ઘોડા એટલે હેરી પોટર જેવી કાલ્પનિક કથાઓમાં કે પરીકથાઓમાં આવે છે તે નહીં. કવિ તો અહીં આત્મા અને દેહની વાત કરે છે. પાંખાળા ઘોડા, અર્થાત્ શરીર અંદર વસતો આત્મા, જે પાંખાળા ઘોડાની જેમ ઊડીને – દેહ છોડીને વિદાય લે છે. આપણી અંદર બળતો એક દીવો આપોઆપ ઓલવાઈ જાય છે. આત્મા એ કંઈ દેખાતી વસ્તુ તો છે નહીં, ઘણા આત્માના હોવા સામે જ પ્રશ્નો ઉઠાવે છે, કે આત્મા-બાત્મા જેવું કશું હોતું નથી. જે છે તે શરીર છે. અને આત્મા હોય તોય એને રહેવા માટે તો શરીર જોઈએ જ ને, કોઈ આકાર તો જોઈએ જ ને? આકાર વિનાનો આત્મા તો નિરાકારી થઈ જાય. એને ઓળખવો, પિછાણવો કે સ્પર્શવો કોઈ રીતે? આત્માના હોવા ન હોવા વિશે વૈજ્ઞાનિકોએ અમુક પ્રયોગો પણ કરેલા.

એક વિચાર પ્રમાણે આપણે બધા પહેલા તો એક આત્મા છીએ, અને સૌ પોતપોતાનું શરીર ધારણ કરેલા છીએ. શરીર જેમ વસ્ત્ર ધારણ કરે છે, તેમ આત્મા શરીર. સુંદરજી બેટાઈએ આત્માને પાંખાળા ઘોડા કહ્યું, મીરાંબાઈએ આત્માને હંસલાની ઉપમા આપી છે. યાદ કરો, ‘મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.’ ઘણા કવિઓ-ફિલસૂફોએ દેહને માટી કહ્યો છે, માટીનો દેહ છે અને માટીમાં મળી જવાનું છે એ વાત તો બહુ પ્રચલિત છે. આત્માને જ્યોતની ઉપમા પણ અપાઈ છે. એક દિવસ આ આત્મા નામની જ્યોતિ દેહ નામના કોડિયામાંથી બુઝાઈ જશે.

દેહનો ગઢ કૂદીને પાંખાળો ઘોડો ક્યાં ઊડ્યો તેનો પ્રશ્ન કવિના મનમાં થાય છે. આત્મા નામના ઘોડા પર દેહ નામનો અસવાર સવાર થયેલો છે. પણ સમય આવ્યો એટલે ઘોડાએ અસવારને પછાડ્યો અને જરાકે અવાજ કર્યા વિના કોઈ અગોચર વિશ્વમાં પ્રયાણ કર્યું. પણ દેહ તો અનેક વળગણોથઈ બંધાયેલો છે. સંસાર નામની શરણાઈ ફૂંકવામાં વ્યસ્ત છે. તૃષ્ણા નામની નારીને વરેલો છે. તેના ચિત્તની ડાળીઓ પર આશાનાં ઝાકળબિંદું બાઝેલાં છે. જેવો પેલો ઘોડો ઊડે એ સાથે જ તેના આશાનાં ઝાકળબિંદું પણ ઊડી જવાનાં છે, તૃષ્ણા નામની નારી પણ નિરાધાર થઈ જવાની છે. પણ પંખાળા ઘોડાને એવા તે કયા મુલક સાંભર્યા છે કે તેણે આ બધું મૂકીને જવું પડ્યું છે તે કવિનો મુખ્ય પ્રશ્ન છે. કવિતો પ્રશ્ન કરીને મૂકી દે છે, ભાવકે તે પ્રશ્નની કેડી પર આગળ વધવાનું છે. કવિ તમને કોઈ ચોક્કસ મુકામ સુધી ન પણ પહોંચાડે, એ માત્ર આંગળી ચીંધીને ઊભો રહી જાય.

સુંદરજી બેટાઈની અન્ય એક સરસ રચનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

પાછલી રાતુંની મારી નિંદરા ડહોળાણી, ને
આગલી રાતુંના ઉજાગરા ઓ જી રે!

ધરતી ધાવણધારા,
ધરતી ધાવણધારા ઊંડી રે શોષાણી, ને,
આભઅંગાર ઊઠે આભમાં ઓ જીરે...

લ્હેકી લંચુકી મારી,
લ્હેકી લંચુકી મારી વાડિયું વેડાણી, ને
આંગણે ઝીંકાઈ રહ્યા ઝાંખરાં ઓ જી રે.

કેસરે મ્હેકંત ક્યારી,
કેસરે મ્હેકંત ક્યારી ઉરની ઉજાડી, ને
આંખે અંધારાં ઘોર આંજિયાં ઓ જી રે.

પાછલી રાતુંની મારી નિંદરા ડહોળાણી, ને
આગલી રાતુંના ઉજાગરા ઓ જી રે!

– સુંદરજી બેટાઈ


બુદ્ધને એક સંદેશો...

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

ભાઈ મારું એક કામ કરીશ?
મારે એક સંદેશ પહોંચાડવો છે,
બુદ્ધ મળે તો કહેજે કે—
રાઈ માટે ઘેર ઘેર ભટકતી ગૌતમીને
આજે વહેલી સવારે
મળી આવ્યું છે એક નવજાત બાળક
ગામને ઉકરડેથી.

~ રાજેન્દ્રસિંહ રાયજાદા

સુરેશ દલાલનું એક ખૂબ જ સુંદર સંપદાન છે — ‘બૃહત્ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ’. 600 વર્ષની ગુજરાતી કવિતાની ઝાંખી આપતું આ પુસ્તક ખરેખર અદ્ભુત છે. નરસિંહ મહેતાથી લઈને આજના જાણ્યા-અજાણ્યા કવિઓનું પ્રતિનિધિત્વ કરતી ઉત્તમ રચનાઓ તેમાં સમાવવામાં આવી છે. રાજેન્દ્રસિંહ રાયજાદાની આ કવિતા પણ તેમાં સમાવવામાં આવી છે. આ કવિ વિશે કંઈ વિશેષ માહિતી નથી, પણ તેમનો જન્મ 7 માર્ચ 1943માં થયેલો. આ કવિતા કદાચ જૂની હશે, પણ અત્યારે, જ્યારે ક્યાંક ઉકરડેથી, રેલવે સ્ટેશનેથી કે કોઈ નિર્જન જગ્યાએથી ત્યજાયેલ નવજાત શિશુઓ મળી આવે છે ત્યારે આ કવિતા વધારે આજના સમયની વાત કરી હોય તેવું લાગે છે.

ભગવાન બુદ્ધ અને ગૌતમીનો પ્રસંગ ઘણા લોકોએ સાંભળ્યો હશે. છતાં તેને ફરી યાદ કરી લીએ। ગૌતમી નામની એક સ્ત્રીને એકનો એક દીકરો હતો. કોઈ બીમારીને કારણે તે અવસાન પામ્યો. પુત્ર ગુમાવવાથી ગૌતમીને ખૂબ આઘાત લાગ્યો. લગભગ ગાંડા જેવી થઈ ગઈ અને દીકરાનું શબ સ્મશાનમાં પણ લઈ જવા દેતી નહોતી. તે માનવા તૌયાર નહોતી કે દીકરો મરી ગયો છે. કોઈકે તેને ઉપાય સૂચવ્યો કે નજીકના વિહારમાં ભગવાન બુદ્ધ આવ્યા છે, તેની પાસે જા, કદાચ તે તારા દીકરા માટે કોઈ સારું ઓસડ આપે અને તે ઊભો થઈ જાય. તે બુદ્ધ પાસે પહોંચી ગઈ અને અ વિનંતી કરતા કહ્યું, “ભગવંત, તમે તો બધાને ઓસડ આપો છો તેવું મેં સાંભળ્યું છે, મહેરબાની કરીને મારા દીકરાને ફરી જીવતો કરી આપો.” બુદ્ધ તરત આખી વાત પામી ગયા. તેમણે સ્મિત આપતા કહ્યું, “ઓસડ માટે તું મારી પાસે આવી એ તેં ઠીક કર્યું. હવે તું એક કામ કર, શહેરમાં જા અને જે ઘરમાં જેનું કોઈનું પણ મરણ ન થયું હોય તે ઘરમાંથી ચપટી રાઈના દાણા લઈ આવ.” ગૌતમીને આશા જાગી. તે તરત શહેરમાં ગઈ અને ઘેરઘેર ફરીને રાઈના દાણા માગવા લાગી. તે ખાતરી કરી લેતી કે ઘરમાંથી કોઈનું અવાસન તો નથી થયું ને? ધીરે ધીરે તે આખું શહેર ફરી વળી પણ એકે ઘર એવું ન મળ્યું કે જ્યાં કોઈનું અવસાન ન થયું હોય. છેવટે તેને જ્ઞાન થયું કે મૃત્યુ એ સનાતન સત્ય છે. દરેકને એક દિવસ મરવું જ પડે છે. ગમે તેવું સ્વજન હોય, પ્રિય હોય, બધાનું મૃત્યુ નિશ્ચિત છે.

રાજેન્દ્રસિંહ રાયજાદાએ બુદ્ધની આ કથાનો સહારો લઈને આપણા વર્તમાનમાં બનતી ઘટનાઓ પર ધારદાર કટાક્ષ કર્યો છે. ચપટી રાઈ માટે ગૌતમી ભટકી રહી છે અને તેને ગામના ઉકરડેથી એક નવજાત શિશુ મળી આવ્યું છે. આ આપણા સમાજની કરૂણતા નહીં તો બીજું શું? એક ગૌતમી કે જે પોતાના મરેલા દીકરાને જીવતો કરવા રઘવાઈ થઈ છે, આકાશ પાતળ એક કરવા માગે છે, બીજી બાજું આજે અનેક ગૌતમીઓ પોતાના નવજાત શિશુને જન્મતાવેંત ત્યજવા મજબૂર થઈ રહી છે. આમાં જે તે વ્યક્તિની મજબૂરી જવાબદાર છે? સંજોગોને આધીન થઈને આવું કરવું પડે છે? કે આપણા સમાજનો ઢાંચો એવો છે કે જેના લીધે આવું થાય છે? ગૌતમીના મરેલા પુત્રનું સત્ય સમજાવવા તો બુદ્ધે રાઈના દાણાનો ઉકેલ શોધી કાઢ્યો. પણ હવે ઉકરડેથી મળી આવેલા બાળકનું શું? આમાં વેધક વ્યથા છે.

આ જ સ્થિતિમાં કચરાની ડોલમાંથી મળી આવેલ એક નવજાત શિશુની સ્થિતિ વર્ણવતું વિપુલ પરમારનું એક ગીત પણ ખાસ વાંચવા જેવું છે. કચરાની ડોલમાં પડેલા બાળક માનવતાની પોલ ખોલી રહ્યું છે.

લોગઆઉટઃ

કચરાની આ ડોલ!
ઊંઆં...ઊંઆં...બોલી ખોલે માનવતાની પોલ!

બણબણનાં હાલરડાં વચ્ચે માખી ભરતી ચૂમી,
હૂ.. હૂ.. કરતાં લાડ લડાવે, શ્વાનો ફરતાં ઘૂમી.
અરે.. અરે.. નું અમથું વાગે, માણસ નામે ઢોલ!
કચરાની આ ડોલ!

મઘમઘ મઘમઘ થાતી બદબો, કૂડો અડતાં ડીલે!
ફરફર ફરફર વાસી ફૂલો, હાથ અડે ત્યાં ખીલે!
ખદબદ ખદબદ થાતો કોનાં ભીતરનો માહોલ?
કચરાની આ ડોલ!

— વિપુલ પરમાર