કાશ્મિરી પંડિતોની દાસ્તાન કવિતારૂપે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

ફેલાશે ફેલાશે અમારું મૌન
સમુદ્રના પાણીમાં મીઠાની જેમ
રગોમાં રક્ત જેમ દોડતું પહોંચશે હૃદયના ધબકારાની એકદમ નજીક
લોટની બોરીમાંથી ઢોળાતા લોટની જેમ આપશે અમારું સરનામું

અમે જ્યાં પણ હોઈએ કોઈ દુઃસ્વપ્નમાં
કે પછી દુઃસ્વપ્ન કરતાં પણ કોઈ ભયંકર વાસ્તવિકતાની ધાર પર
ધરોના ઘાસની જેમ અંધારા સાથે ગુત્થમગુત્થા થઈને
પોતાની માટે જમીન માગશે
હીરાની ચમકતી વીંટી જેમ પડ્યું રહેશે અમારી આંગળીમાં...

શરણાર્થી શિબિરોમાં હંમેશાં માટે ઉદાસ થઈ ગયેલાં બાળકોનું મૌન
બખોલમાંથી કાઢવામાં આવેલ વૃદ્ધોની આંખોનું મૌન,
જે હંમેશાં સત્ય તરફ ખૂલતી હતી
સ્ત્રીઓના હોઠો પર જામી ગયેલી શોકની કાળી નદીનું મૌન
ચૂપ કરાવી દેવામાં આવેલાં તમામ લોકોનું મૌન
બેચેન પંખીની જેમ ઊડશે આ ઝાડથી પેલા ઝાડ પર
ઊંઘના દ્વારની ગુપ્ત સાંકળો ખટખટાવીને ચુપચાપ વિચારોમાં પ્રવેશશે
અને પોતાના લોહીલુહાણ પગલાંની છાપ છોડશે

દરેક આંખ સાથે નજરના તારને બાંધીને એક લાંબું અને મજબૂત દોરડું બનાવશે
સળગતી વખતે બોમ્બની જેમ પડ્યું રહેશે એ પુલની નીચે
જ્યાંથી પસાર થશે જૂઠના હજારો-હજારો પગ
અને ત્યારે અમારા મૌનના ધમાકાથી મોટો બીજો કોઈ ધમાકો નહીં હોય.

— ડૉ. શશિશેખર તોષખાની (અનુ. અનિલ ચાવડા)

કાશ્મીરી પંડિતોની પીડા વ્યક્ત કરતી ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ હમણાથી ખૂબ ચર્ચામાં છે. માત્ર 16 કરોડમાં બનેલી આ ફિલ્મે એક અઠવાડિયામાં સો કરોડ કરતાં વધારે બિઝનેસ કરી લીધો છે. આ જ ફિલ્મની સફળતા દર્શાવે છે. કાશ્મીરી પંડિતોના દર્દની આ કહાની કોઈ પણ પથ્થરદિલ ઇન્સાનનું હૈયું વલોવી નાખે તેવી છે. આ જ વિષય પર આ જ ફિલ્મમાં કામ કરતા એક્ટર અનુપમ ખેરે 2017માં એક કવિતાનો વીડિયો બનાવીને ટ્વિટર પર શેર કર્યો હતો. કવિતાનું શીર્ષક હતું ‘ફૈલેગા હમારા મૌન’ અને તેના કવિ છે ડૉ. શશિશેખર તોષખાની. શશિશેખર તોષખાની કાશ્મીરના જાણીતા કવિ, ભાષાશાસ્ત્રી અને લેખક છે.

હિટલરે યહુદીઓ ઉપર આકરો અત્યાચાર કર્યો તેને જગત ભૂલવા દેવા માગતું ન હોય તેમ દર વર્ષે આ તેની પર એકાદ બે ફિલ્મો બને જ છે. અને તે છેક ઓસ્કાર એવોર્ડ સુધી પહોંચે છે. યહુદીઓના ચિત્ત પર પડેલા એ કારમા ઘા કોઈને કોઈ કલા રૂપે સતત જિવંત રાખવામાં આવે છે. આપણે ત્યાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર વિશે કોઈને ખબર જ નથી. પણ વિવેક અગ્નિહોત્રીઓ તેના સત્યને બખૂબી પરદા પર ફિલ્મરૂપે રજૂ કર્યું તો લોકો તે જોઈને શોકમાં ડૂબી જાય છે. ઘણું સત્ય માત્ર કડવું જ નહીં, ઝેરી પણ હોય છે, જ્વાળામુખી જેવું તીવ્ર પણ હોય છે. અમુક અત્યાચારની કલ્પના પણ થઈ શકતી નથી.

શશિશેખર તોષખાની મૂળ કાશ્મીરના વતની હોવાથી ત્યાંના પ્રશ્નો અને પીડાથી ખૂબ સારી રીતે અવગત છે. જે અનુભવમાં પરોવાય છે તેને કોઈ કલ્પના પણ પહોંચી શકતી નથી. ખરેખર તો હકીકત કલ્પના કરતા વધારે ભયંકર હોય છે અને દરેક કલ્પનાની જનની પણ અમુક રીતે હકીકત જ હોય છે. કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર વર્ષો સુધી મૌનની પછેડી ઢંકાયેલી રહી, કોઈએ તેના વિશે વાત ન કરી. પણ આ મૌન દરિયાના પાણીમાં રહેલા મીઠાની જેમ એક દિવસ ચારે તરફ ફેલાશે એવી વાત શશિશેખર તોષખાનીએ કરેલી, વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ એ વાત સાચી પાડી.

દુઃસ્વપ્નથી ડરી જતો માણસ ક્યારેક એ દુઃસ્વપ્ન કરતાં પણ વધારે ભયંકર હકીકતના છેડા પર આવીને ઊભો રહે ત્યારની સ્થિતિ અવર્ણનીય હોય છે. ધાર્મિક કટ્ટરતા માણસને કઈ હદે લઈ જઈ શકે છે તેની કોઈ સીમા નથી. ધર્મ ખરેખર તો માનવીની આધ્યાત્મિકતાને પોષવા માટે રચાયો હતો, પણ માનવી ધર્મ માટે બન્યો હોય તેવું વાતાવરણ થઈ ગયું છે. રિવાજ માણસ માટે હોય છે, માણસ રિવાજ માટે નથી હોતો તેટલું નાનકડું સત્ય સમજાઈ જાય તોય ઘણા પ્રશ્નો હલ થઈ જાય. કાશ્મીરી પંડિતોની પીડા મૌનમાં ધરબાયેલી રહી. એ મૌન શરણાર્થી શિબિરમાં રહેલા બાળકોની ઉદાસીમાંથી, વૃદ્ધોની બખોલ જેવી થઈ ગયેલી આંખોમાંથી કે શોકાકુળ સ્ત્રીઓના હોઠ પર જામી ગયેલા ચિત્કારમાંથી એક દિવસ પ્રગટશે. સત્યને કાયમ માટે ઢાંકીને રાખી શકતું નથી. કવિતામાં પ્રગટેલું સત્ય તો યુગો સુધી ટકતું હોય છે. શિશેખર તોષખાનીએ કાશ્મીરી પંડિતોના મૌનને જાણે કે વાચા આપી છે. દરેક પીડાને પોતાની અભિવ્યક્તિ હોવી જોઈએ.

લોગઆઉટઃ

જે ઘરવાપસીની વાત કરતા હતા
તેમની જીભ પર તાળાં લાગી ગયાં છે.

આઝાદ અને બેફિકરાઈપૂર્વક જીવવાના ઓરતા થાકીને લોથપોથ થઈ ગયા છે
સવાર તો રોજ પડે છે, પણ શું સાંજ પડશે?
આ સવાલ પૂછે છે એ આંખો, જેમની નજરો એકધારી આંગણાને જોઈ રહી છે
કે એ આવશે અને તેમની દિવસભરની વાતો કરશે
આ કેવી આઝાદી, આ કેવું લક્ષ્ય, આ કેવું સનકીપણું
આ કેવી શાંતિ, આ સડકો પર પથરાયેલો લાલ રંગ કોઈ રંગ નથી
આ એક સાબિતી છે, આ તો માસુમોનું લોહી છે
ફરી એક વાર તે બધાં પોતાનું મકાન છોડીને ચાલ્યા ગયા છે
પોતાની ઓળખ અને સ્મિત છોડીને ચાલ્યા ગયા છે
જે કાશ્મીરને લોહીથી રંગી દેવામાં આવ્યું એ કાશ્મીર ક્યાં અમારું છે?

— શ્રિયા ત્રિશલ (અનુ. અનિલ ચાવડા)

વિસ્થાપનની વ્યથાકથા બાળકના મુખે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

શું થયું હતું એ બાવરી બાવરી હવામાં
આપણા પરિવારનું, બાપુ!
આખું ગામ કેવું ડરી ગયું હતું,
નદી પણ ભાગી ગઈ હતી
રામભરોસે છોડીને ચિનારનાં ઝાડને.

શેરીઓમાં હજારો કાગડાઓનું બુમરાણ મચ્યું હતું
ને આપણે હતાં છાપરા વગરના ઘરમાં.
કોઈ વેલી પર બચેલા લીલી દ્રાક્ષના આખરી ઝૂમખા જેવાં.

રોતી’તી મા,
રોતી’તી દાદી,
નાનકો પણ રોતો ‘તો,
રોતી’તી કાકી,
ને તમે હાથ જોડીને બધાંને ચૂપ રહેવા કહેતા’તા.

દીવા બધા ઓલવી નખાયા હતા,
ચુપકીદી છવાઈ ગઈ હતી,
ગલીઓમાં જાણે કોઈ ખૂબ બધા ફટાકડા ફોડતું હોય
એવા અવાજો આવતા હતા, ત્યારે.

બાપુ, ગઈ કાલે ‘દૂરદર્શન’ પર બતાડતા હતા કાશ્મીરને!
બરફભર્યા પહાડો, સરોવરો, ઝરણાં, લીલાંછમ મેદાનો…

ત્યારે, મને થયું, કે આપણે પીળાં પાંદડાં છીએ,
ઝાડુના એક ઝાટકે ઉસેટાઈ ગયેલાં,
ઠલવાયેલાં આ કૅમ્પોમાં.

બાપુ, અહીંથી પણ આપણને
ઉડાવી લઈ જશે હવા?

— અગ્નિશેખર (અનુવાદઃ સિતાંશુ યશશ્ચંદ્ર)

‘કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મે વર્ષે પહેલાંના એક અત્યાચાર પર રાખેલો ઢાંકપિછોડો હટાવી દીધો. એક અસહ્ય દમનને ઉઘાડું પાડી દીધું. ફિલ્મ જોનાર શોકમાં ડૂબી જાય છે કે પછી કોઈ ઘેરા મૌનમાં સરી પડે છે. કોઈ સ્તબ્ધ થઈ જાય છે તો કોઈ અવાચક. આટલાં વર્ષો પછી એ વેદનાને ફિલ્મરૂપે વાચા મળી. પણ એ વેદના સાહિત્યના વિવિધ માધ્યમોમાં વર્ષોથી રજૂ થતી આવી છે. ક્યારેક વાર્તા સ્વરૂપે, ક્યારેક નવલકથા સ્વરૂપે તો ક્યારેક કવિતારૂપે.

અહીં આ કવિતામાં પણ અગ્નિશેરે વિસ્થાપિતપણાની પીડા એક બાળકના મુખે હૃદયદ્રાવક રીતે કહી છે. અગ્નિશેખર મૂળ શ્રીનગર કાશ્મીરના છે. વિસ્થાપિત થવાની પીડા તેમણે નજરે નિહાળી છે – અનુભવી છે. 1990માં વિભાજનવાદ અને જેહાદી આતંકવાદને લીધે નિર્વાસિત થઈને, હીટલિસ્ટમાં હોવા છતાં અગ્નિશેખરે ધાર્મિક કટ્ટરતા સામે અનેક આંદોલનો કર્યાં. સરઘસો, ધરણાં, જેલ ભરો અભિયાન જેવાં અનેક અભિયાનો કરીને તેમણે બેઘર થયેલા લોકો માટે અને કાશ્મીરમાં સર્જાતાં અનેક પ્રશ્નોમાં સામાન્ય લોકોને પડતી હાલાકીને વાચા આપવા ખૂબ મહેનત કરી. તેમનો આ પરિશ્રમ સાહિત્યમાં પણ દેખાય છે.

આ કવિતામાં સરળ અને સીધી રીતે જ વાત કરવામાં આવી હોવા છતાં તે વાચકના હૃદય સુધી સીધી પહોંચે છે. એક બાળક પિતાને પૂછે છે કે બાપુ એવું શું થયું હતું, કે જેને લીધે આખું ગામ ડરી ગયું હતું, માણસ તો ઠીક નદી સુધ્ધાં ભાગી ગઈ હતી, રામભરોસો છોડીને ચિનારના ઝાડને. અહીં નદી ચિનારના ઝાડને છોડીને ભાગી ગઈ, અર્થાત એક પરંપરા, એક સંસ્કૃતિ, જે કાશ્મીરમાં જીવતી હતી, તે પોતાના વતનને છોડીને ભાગી ગઈ તેવું સીધું પ્રતીક જોઈ શકાય છે. શેરીઓમાં હજારો કાગડાઓનું બૂમરાણ મચવું, છાપરા વગરના ઘરમાં, કોઈ વેલા પર લટકેલા દ્રાક્ષના ઝૂમખા જેવા હોવાની પીડા જ અસહ્ય છે. મા, દાદી, નાનામોટા બધા જ રડી રહ્યા હોય, પિતા છાના રાખવામાં પડ્યા હોય. ચારે તરફ અંધકાર ઘેરી વળ્યો હોય. ચુપકિદી છવાઈ હોય છતાં બહાર ફટાકડા ફૂટતા હોય તેવો અવાજ આવવો તે ઘટના ચોતરફ છવાયેલા આતંક અને ભયાવહ દ્રશ્યને દર્શાવે છે. આ બધું જોઈને બાળકને થાય છે કે આપણે પણ પીડા પાંદડાં જેવાં છીએ. ઝાડુના એક ઝાટકે આમથી તેમ ફેંકાઈ ગયાં છીએ, કેમ્પ નામની સૂપડીઓમાં. ફરીથી હવાનું એક વાવાઝોડું આવશે અને અહીંથી ઉડાવીને બીજે લઈ જશે કે શું?

આ પ્રશ્ન બાળકનો છે અને પિતાને પૂછાય છે. પણ કવિતા વાંચનાર તમામ વાચકને એ પ્રશ્ન સાથે સીધો ઘરોબો કેળવાય છે. એ પોતે પણ બાળકની વ્યથાને અનુભવી શકે છે, પિતાની લાચારીને સમજી શકે છે. કવિતા સત્ય છતું કરી આપે છે. તે કડવું પણ હોય અને મીઠું પણ. જે હોય, જેવું હોય એને એની જ રીતે રજૂ કરવાની કવિતામાં ગજબની તાકાત છે. સુંદર-અસુંદર બધું જ કવિતા ખૂબ ભાવવાહી અને હૃદયસ્પર્શી રીતે રજૂ કરી શકે છે. અહીં બાળકના સરળ-સહજ પ્રશ્નો સ્વરૂપે અગ્નિશેખરે ઘણું બધું કહી દીધું છે. આમાં જે નથી કહેવાયું તે પણ સારા વાચકો સારી રીતે સમજી જશે.

પોતાના ઘરમાંથી ઝાડના પાંદડાની જેમ ઉસેટાઈને બીજે ફેંકાઈ જવું એ પીડા જેવીતેવી નથી. ચંદ્રશેખરની કલેમે તેને ખૂબ સારી રીતે વાચા આપી છે. કેમ્પમાં રહીને તેમની દીકરી તેમને ઘેર જવાનું કહે છે, તેની વ્યથા વ્યક્ત કરતી કવિતા પણ વાંચવા જેવી છે.

લોગઆઉટઃ

આ દિવસોમાં મારી દીકરી નિહાળે છે
કેમ્પમાં એક ચકલીને
સાંભળે છે તડકામાં એની વાતો
અને ક્યાંય સુધી રહે છે ગુમ
સામસામે—

ઊડી જાય છે ટેન્ટના દોરડાં પરથી
એક સાથે સેંકડો ચકલીઓ
ઉદાસ થઈ જાય છે મારી દીકરી
લુપ્ત થઈ જાય છે એનો કલરવ
પછી અચાનક
અનાયાસે પૂછી બેસે છે,
“પપ્પા, આપણે ક્યારે જઈશું, ઘેર?”

— અગ્નિશેખર

ખાલીપો ભીતર ખખડે રે...

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

ઉજ્જડ આંખોના પાણીમાં તર્યા કરે સ્મરણોના ફોટા,
આજે અંતે એ સમજાયું ફોટા આખર છે પરપોટા!
પરપોટામાં કેદ હવાના શ્વાસ જુઓ કેવા ફફડે રે!
ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

થાય મને તું પાછો આવી સઘળાં તાળાંઓ ખોલી દે,
બંધ ગુફાને દ્વારે આવી ‘સિમસિમ ખૂલ જા’ તું બોલી દે.
મારાં સઘળાં તળિયાં તૂટે એવું આ ઇચ્છા બબડે રે!
ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

– રિષભ મહેતા

કોરોનામાં ગુજરાતી સાહિત્યએ શું ગુમાવ્યું એવો પ્રશ્ન પૂછીએ તો તરત રિષભ મહેતાનો ચહેરો આંખ સામે તાદૃશ્ય થાય. શબ્દ અને સૂર નામના બે કાંઠાની વચ્ચે તેમની સર્જનપ્રક્રિયા નદીની જેમ નિરંતર ખળખળ વહેતી રહી. તેમની સ્વરાવલીઓમાં કેટકેટલા કવિઓની કાવ્યનાવડીઓ તરી. વળી તેમનું કાવ્યસર્જન પણ તેમના સ્વભાવ જેવું નિર્મળ, સ્વચ્છ અને નિતરતું. 16 ડિસેમ્બર 1949ના રોજ જન્મેલા આ કવિએ 16 એપ્રિલ 2021ના રોજ આ ફાની દુનિયામાંથી વિદાય લીધી. કાયા વિલાય, પણ કર્મ નહીં. આ વાત કવિ સારી રીતે સમજતા હશે, કદાચ એટલે જ તેમણે લખ્યું હતું, ‘દર્દ એવું આપજે કે જે કવિતામાં ભળે.’ બાહ્ય રીતે પીડાનો કકડાટ કરવા કરતા, તે શબ્દોમાં પરોવાઈને આવે તો સરસ કૃતિ બને.

દરેક માણસ કોઈ ને કોઈ ખાલીપાથી પિડાતો હોય છે. એ પ્રેમનો હોય, લાગણીનો હોય, કોઈ ખાસ વ્યક્તિને નહીં પામી શકવાનો પણ હોય. અનેક વસવસાનાં વહાણ ખાલીપાના દરિયામાં વગર હલેસે તર્યાં કરતાં હોય છે. કવિએ આ ગીતમાં ખાલીપાને બખૂબી ઝીલ્યો છે.

જ્યારે પણ કોઈ કવિની દર્દસભર કવિતા વાંચે ત્યારે મોટે ભાગે તેના મનમાં જે તે કવિતાથી નિપજતું દર્દ પોતાના જીવનમાં અનુભવાયું હોય તે ક્ષણો યાદ આવવા લાગતી હોય છે. વાત કવિના દર્દને અનુભવવાની થાય, પણ ભીતર તો પોતાનું દર્દ જ ઘૂંટાતું હોય છે. પોતાનો ખાલીપો જ મહેસૂસ થતો હોય છે. સાહિર લુધિયાનવીએ લખ્યું છે ને, “કૌન રોતા હૈ કિસી ઔર કી ખાતિર / સબકો અપની હી કિસી બાત પે રોના આયા.” રિષભ મહેતાની આ કવિતા વાંચીને પણ તમને તમારા ખાલીપો અનુભવાય તો નવાઈ નહીં. તમે જીરવેલી શૂન્યતા કે સહન કરેલા એકલતાના વાવાઝોડા ફરી આંખ સામે છતાં થાય તો કહેવાય નહીં.

કેમ કે ભીતરમાં બાઝેલો ખાલીપો બહાર છતો થયા વિના રહેતો નથી. કાવ્યનાયકના ઘરમાં એકલતા રખડે છે, શૂન્યતાના વાવાઝોડા ફુંકાય છે અને ખાલીપો ખખડ્યા કરે છે. સૂસવાતો પવન પોલા વાંસમાંથી પસાર થાય ત્યારે એક પ્રકારનો ધ્વનિ ઊભો થતો હોય છે. તેમ, આ ખાલીપો પણ ખખડાટ કર રહ્યો છે. આવી સ્થિતિમાં આંખો પણ જાણે ઉજ્જડ વાવ જેવી થઈ ગઈ છે. વાવના અવાવરુ પાણી જેવાં આંસુમાં સ્નેહીજન સાથેની યાદોના ફોટાઓ તર્યા કરે છે. પણ ખાલીપાના શિખર પર પહોંચ્યા પછી કવિને સમજાય છે કે આ ફોટા તો માત્ર પરપોટા હતા. અને ફોટારૂપી પરપોટામાં કેદ થયેલી હવા ધ્રૂજી રહી છે. ફફડી રહી છે. અને આ હવા એટલે જ તો આપણી જિજીવિષા. આપણી મમત. જે વ્યક્તિ ક્યારેય આપણી થવાની નથી એની જ આપણને મમત રહ્યા કરતી હોય છે.

આપણે અમુક વળગણને વળગીને બેસી રહેતા હોઈએ છીએ. ઘણી વાર લાગે છે કે આ વ્યક્તિ વિના જીવાશે જ નહીં અને એ જ વ્યક્તિ વિના વર્ષો વિતી જાય ને ખબર પણ ન પડે. આપણે સ્મરણોના પરપોટામાં કેદ થઈ જઈએ છીએ. તેમાંથી બહાર આવવા માગતા નથી હોતા. આપણી એકલતા સંતાડવા માટે પણ આવી તસવીરોના આશરા શોધતા હોઈએ છીએ. મિલિંદ ગઢવીએ આ વાતને સરસ રીતે રજૂ કરી છે. “વાસણો દોર્યાં અભેરાઈ ઉપર / ખાલીપો સંતાડવાની જીદમાં.” આપણી યાદોના વાસણો આપણે ચીતર્યા કરીએ છીએ, જેથી ખાલીપો ન લાગે. પણ એ જ યાદો ખાલીપાનું કારણ બની જતી હોય છે. કદાચ ઘરનો ખાલીપો તો સહન પણ થાય, પણ ભીતરના ખાલીપાને કેમ સહેવો? બરણીમાં નાખેલો સિક્કો ખખડે એમ આપણા દેહ નામના ડબલામાં રહેલો ખાલીપો ખખડ્યા કરે છે. અને તેનો ખખડાટ કાન ફાડી નાખે એવો, હૈયું ચીરી નાખે એવો હોય છે.

માણસ એકલતાની આરીથી ધીમે ધીમે કપાતો હોય છે. એક ઝાટકે કપાઈ જવાનું થતું હોય તો વાંધો જ ક્યાં છે. ટુકડે ટુકડે મરવાનું હોય ત્યારે જ તકલીફ થાય છે. કોઈ માણસને એવી સજા કરવામાં આવે કે એક દિવસ હાથ નાખવાના, બીજા દિવસ પગ, ત્રીજા દિવસે આંખો કાઢી લેવાની, પછી જીભ, ને એમ શરીરના એક પછી એક અંગો કાપવામાં આવે, આ બધું જ એ માણસને ભાનમાં રાખીને કરવાનું, બસ તેને મરવા નહીં દેવાનો. ખાલીપો પણ આવે જ છે, એ તમને એ હદે મારી નાખે છે કે ખાલી મરવાનું જ બાકી રહે.

લોગઆઉટઃ

એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈ,
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈ.

– રિષભ મહેતા

નથી પ્હેલા, નથી છેલ્લા, અમે વચ્ચે!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

નથી પહેલા,નથી છેલ્લા, અમે વચ્ચે.
નથી વૃક્ષો, નથી વેલા, અમે વચ્ચે.

કઈ રીતે તમારાથી ઉકેલાશું,
નથી ગાંડા, નથી ઘેલા, અમે વચ્ચે.

સમયના બંધનો સાથે અહીં આવ્યા,
નથી મોડા, નથી વહેલા, અમે વચ્ચે.

બધું જાણી-જણાવી સિદ્ધ શું કરશું?
નથી ગુરુ, નથી ચેલા, અમે વચ્ચે.

અનાદી કાળથી વહેતા હતા જળવત,
નથી ચોખ્ખા, નથી મેલા, અમે વચ્ચે.

~ દર્શક આચાર્ય

ગુજરાતી ગઝલનું વહેણ અત્યારે બે કાંઠે છલકાઈ રહ્યું છે. એક સમયે સોનેટનું વહેણ ધોધમાર હતું. સમય કરવટ બદલે તેમ રુચિ અને જરૂરિયાત બદલાય છે. પણ ગઝલે જે લોકપ્રિયતાં મેળવી છે તે લાજવાબ છે. જિંદગીની અનેક ફિલસૂફી, તર્ક-વિતર્ક કે પરિસ્થિતિનિ અસમંજસતા ગઝલ પોતાની બે પંક્તિની દોરીમાં પરોવીને આબાદ રજૂ કરી જાણે છે. કદાચ તેથી જ ગઝલ વધારે સ્પર્શે છે. ગીત, સોનેટ, અછાંદસનો પણ એક આગવો મહિમા છે. ગીતના લાલિત્યમાં જે છે, તે કદાચ ગઝલ પાસે નથી. સોનેટના સ્વરૂપમાં છે તે પણ ગઝલ પાસે નથી. અછાંદસ જેવી સ્વતંત્રતા પણ તેની પાસે નથી. છતાં તેની પાસે જે છે, જેટલું છે તે અનન્ય છે.
 
દર્શક આચાર્યની આ ગઝલ, ‘નથી પ્હેલા, નથી છેલ્લા, અમે વચ્ચે...’ ધ્યાનથી વાંચવા જેવી છે. ‘અમે વચ્ચે’ રદીફ છેક સુધી આબાદ રીતે નિભાવાઈ છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં વચ્ચે રહી જવાની કશ્મકશ, કે વચ્ચે રહેવાનો સંતોષ, કે વચ્ચે ભીંસાવાની પીડા સરસ રીતે વ્યક્ત થઈ છે. ઘણી પરિસ્થિતિમાં આપણે વચ્ચે ભીંસાઈ ગયા હોઈએ એવું લાગે, ઘણામાં લાગે કે આ બેની વચ્ચે હું હતો તો સારું થયું, નહીંતર ન થવાનું થઈ જાત. ઘણી વાર એમ પણ લાગે કે આમાં વચ્ચે હું ભીંસાઈ રહ્યો છું. ઘંટીના બે પડ વચ્ચે દબાવા જેવી સ્થિતિમાં પણ ક્યારેક મૂકાવું પડે તો ક્યારેક કોઈના બે કોમળ હોઠ વચ્ચેથી મધુર શબ્દ થઈને સરી પડવાનું સદભાગ્ય પણ સાંપડે. પણ વચ્ચે રહેવું એ મનુષ્યની નિયતિ છે. જન્મ અને મૃત્યુ નામના બે બારણાની વચ્ચે આપણે છીએ. એક દરવાજેથી એન્ટ્રી કરી બીજા દરવાજેથી એક્ઝિટ કરવાની. આ બે દરવાજાની વચ્ચેના પ્રવાસને જ આપણે જીવન કહીએ છીએ. એ અર્થમાં આપણે બધા જ ‘વચ્ચે’ છીએ. આપણે બધા જ સમયના બંધન સાથે અહીં આવ્યા છીએ. એટલા માટે જ કદાચ આપણા માટે આપણા જન્મદિવસ, કે જન્મસયમનું મહત્ત્વ હશે. તેને ગ્રહો સાથે કેટલી લેવાદેવા છે, એ તો ખબર નથી પણ આગ્રહો સાથે ચોક્કસ લેવા દેવા હોય છે.

ન પહેલા હોવું કે ન છેલ્લા હોવું, તેમાં એક વસવસો પણ છે અને સંતોષ પણ. પરિસ્થિતિ કેવી છે, તેના પર નિર્ભર છે. સામેની બાજુ અને પાછળથી પણ તીર વરસી રહ્યા હોય, ત્યારે વચ્ચે હોઈએ તો પોતાને સદભાગી સમજીએ. પણ તોફાને ચડેલી નદીમાં વચોવચ હોઈએ તે દુર્ભાગ્ય જેવું લાગે અને જે કાંઠાની નજીક હોય તેની ઈર્ષા પણ થાય.
પણ જો વચ્ચે જ રહેવાનું હોય તો આ બધી જિંદગીની ફિલસૂફીઓ જાણી-જણાવીને શું કરવાનું? એ કામ તો ગુરુઓ કે ચેલાઓનું છે, આપણે તો વચ્ચેના માણસો છીએ. વચ્ચેના માણસોએ તો સંસાર સાચવવાનો હોય છે, પરિવાર તેની જવાબદારી છે. નોકરી કરવી એ પણ એક સાધના છે. સંસાર ત્યજીને જનારના દાખલા અપાય છે, તેમની સિદ્ધિના ગુણગાન ગવાય છે, પણ વચ્ચેનો માણસ, જે જીવનભર સંસારમાં ઠેબા ખાઈને પણ પોતાના પરિવારના માથે છત સલામત રહે તે માટે નિરંતર પરિશ્રમ કરતો રહે છે, સાધના કરતો રહે છે, તનતોડ મહેનત કરતો રહે છે, તે સહેજ પણ નાની સિદ્ધિ નથી. પણ આ સિદ્ધિને સિદ્ધિ કોણ ગણે? વચ્ચેના માણસની સફળતા કે નિષ્ફળતા પણ કોઈ ધ્યાને નથી લેતું. હિતેશ વ્યાસનું એક આવી જ સરસ કવિતા છે, તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ
 
અમે સાવ મધ્યમ અમે સાવ વચ્ચે અમારાથી કાંઈ ના ઉત્તમ થવાનું,
ન રાખી શક્યા એક પણ ઊંચું સપનું, અમારાં તો ઇચ્છા ને સપનાંય મધ્યમ.

સરેરાશ આવક સરેરાશ જાવક, સરેરાશ જીવન આ આખું જવાનું,
ન ટોચે જવાશે ન ઘાટીને જોશું, આ ચાલે છે એમજ ચલાયે જવાના!
નથી નાસ્તિકોમાં અમારી ગણતરી, નથી ક્યાંય મીરાં કે નરસિંહની તોલે,
અમારી તો શ્રધ્ધા ને શંકાય મધ્યમ, નથી મોક્ષ કાજે પ્રયત્નો થવાના!

ન કોઈ બગાવત ન કોઈ સમર્થન, બહુ કાચા પોચા છે તર્કો અમારા
અમારાથી કોઈ ન ક્રાંતિ થવાની, અમારે ફકત ભીડ સાથે જવાનું
ન ગાંધીના રસ્તે અમે ચાલી શકીશું, અમારાથી લાદેન પણ ના થવાશે,
અમે બન્ને ધરીઓની વચ્ચે રહીશું, અમારા જીવનમાં છે મૂલ્યોય મધ્યમ
 
— હિતેશ વ્યાસ

ઘણી લાશોની વચ્ચે બાળકે જ્યાં આંખ મલકાવી!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

ખલાસીનેય દરિયાથી થતું નુકસાન સમજાવી,
પછી એ માછલીએ ત્યાં સિફતથી જાળ બિછાવી.

તમે તો પાનબાઈ વાત મોતીની કરો છો પણ,
અમે તો વીજના ચમકારમાં આ જાત વીંધાવી.

ભયાનક દૃશ્યની તાસીરમાં ગોબો પડ્યો જાણે,
ઘણી લાશોની વચ્ચે બાળકે જ્યાં આંખ મલકાવી.

સૂરજનો પણ અહં ઢાંક્યો તમે વાદળ વડે તેથી,
અમે ત્યાં આગિયાથી જિંદગીની સાંજ ચમકાવી.

અજાણ્યા શહેરમાં ચહેરો ગમ્યો પણ ચોતરફ જોખમ,
તો એનો સાથ મેં માંગ્યો નજરના હાથ લંબાવી.

છૂપાવી વાત એણે તો ધરાના સાતમા પડમાં,
અમસ્તી હો ભલે પણ જાણવા મેં વાવ ખોદાવી.

— ચેતન શુક્લ 'ચેનમ'

ગઝલની ખૂબી એ છે કે બે જ પંક્તિમાં તે પોતાની વાત કરી દે છે. પછી તરત આગળના શેર તરફ ગતિ કરે છે. ઘણી વાર બે પંક્તિનો શેર સ્વતંત્ર કવિતાનો દરજ્જો ધરાવતો હોય છે. ઘણાબધા એવા શેર, જે લોકમાનસમાં જીવે છે, તે શેરવાળી આખી ગઝલ કદાચ ઘણાને ખબર પણ નથી હોતી. એ સ્વતંત્ર શેર જ ગઝલના બધા શેરમાં મેન ઑફ ધ મેચ હોય છે. હાંસિલે ગઝલ હોય છે. મરીઝ-શૂન્ય-સૈફ-ગની જેવા અનેક શાયરોના શેર ઠેરઠેર ટંકાતા રહે છે, તેનું કારણે તે શેરનું મજબૂત ભાવવિશ્વ અને ચોટદાર રજૂઆત. ચેતન શુક્લની આ ગઝલ આખીયે સરસ છે, પણ તેનો ત્રીજો શેર સ્વતંત્ર રીતે જોવા જેવો છે. એમાંય અત્યારે રશિયા-યુક્રેન વોર થઈ રહી છે ત્યારે તો ખાસ.

હિન્દીના કવિ શ્રીકાંત વર્માની એક સરસ કવિતા છે, તેનું શીર્ષક છે ‘કલિંગ’. અશોક જીતીને પણ ન જીતી શક્યો એની વાત તેમણે સરસ રીતે કરી છે, તેમણે લખ્યું, “માત્ર અશોક પાછો ફરી રહ્યો છે, માત્ર અશોક માથું ઝૂકાવીને ઊભો છે, બીજા બધા તો વિજયના કેફમાં છે. માત્ર અશોકના કાનમાં ચીસાચીસ મચી રહી છે અને બીજા બધા તો જીતવાના લીધે રાજીના રેડ છે. માત્ર અશોકે હથિયાર હેઠાં મૂક્યાં છે, માત્ર અશોક લડી રહ્યો હતો.” અશોક સિવાય બીજું કોઈ પાછું નથી ફર્યું. કેમ કે હિંસક વિજય મેળવીને તેમનો આત્મા મરી ગયો છે. અશોક પાછો ફરી શક્યો કેમ કે તેનો આત્મા જીવતો હતો. તેનું હૃદય લોહિયાળ જંગ પછી નિર્દોષોના લોહીની વહેતી નદી જોઈને વલોપાત કરી ઊઠ્યું. તેનું આત્મા જાગી ઊઠ્યો. સૃષ્ટિના એક પણ નિર્દોષ જીવને વિના કારણે હણવો ન જોઈએ. ભગવાન બુદ્ધે અહિંસાનું આચરણ કરવા કહ્યું. જૈન ધર્મ તો આખો અહિંસા પર ટકેલો છે. ગાંધીજીએ જીવનભર અહિંસાને ટેકો આપ્યો. આ બધા જ સમજતા હતા કે હિંસા એ ઉકેલ નથી. પણ મહત્ત્વાકાંક્ષી રાજવીઓને તેમાં પોતાની સત્તાનું વિસ્તરણ દેખાય છે. આવા આપખુદશાહી સાશકો જેની લાઠી તેની ભેંસવાળી નીતિમાં માનનારા હોય છે. જેને યુદ્ધની વાતોમાં વધારે રસ પડતો હોય અને યુદ્ધ તો થવું જ જોઈએ એવું માનનારા લોકોથી છેટા રહેવું. એ તમારી સાથે પણ ગમે ત્યારે યુદ્ધમાં ઊતરી પડે તો નવાઈ નહીં.

ભયાનક યુદ્ધના કારમા વિનાશ વચ્ચે બાળકના ચહેરા પર આવતું સ્મિત આવવું એ એક રીતે સમગ્ર માનવજાત માટે આશાનો સંચાર છે, તો વળી સમગ્ર લોહિયાળ યુદ્ધનો પ્રેમાળ જવાબ પણ છે. રવીન્દ્રનાથ ટાગરોનું એક અદ્ભુત વાક્ય છે, “પ્રત્યેક નવજાત શિશુનો જન્મ એવો સંદેશ લઈને આવે છે કે ઈશ્વર હજી માનવજાતથી નિરાશ થયો નથી.” માણસને ઈશ્વર પર કેટલી શ્રદ્ધા છે એ વાત બાજુ પર મૂકો. ઈશ્વરને માણસ પર શ્રદ્ધા છે. ઘણા નાસ્તિક એમ કહે કે હું ઈશ્વરમાં નથી માનતો, ત્યારે એની ‘નહીં માનવા’ની વાતને પણ ઈશ્વર તો માનતો જ હોય છે. અને ઈશ્વર એટલે કોણ? તમે, હું અને સમગ્ર પ્રકૃતિ! પણ જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ એમ એમ શ્રદ્ધા પર શંકાનું જોર વધતું જાય છે. બાળસહજ વિસ્મય ઓસરતું જાય છે. એકબાજુ ભયાનક યુદ્ધ છે, લાશોના ઢગ ખડકાયા છે. લોહીની નદી વહી રહી છે. માણસજાત પર ધિક્કાર થઈ આવે એવું દૃશ્ય છે, અને એની વચ્ચે એક બાળક પડ્યું પડ્યું સ્મિત કરી ઊઠે તો આ સમગ્ર ભયાનકતામાં ગોબો પડે છે. સ્મિત એ જ ધિક્કાર સામેનો વાર છે. લોહિયાળ હિંસાનો જવાબ છે. આને તમે માણસના લોહિયાળ ઝઘડા પરનો બાળક દ્વારા ઈશ્વરે કરેલો કટાક્ષ પણ કહી શકો.

લોગઆઉટઃ

યુદ્ધ જીત્યાનો કેફ ગયો છે ઉતરી બસ આ દૃશ્ય જોઈને,
લાશોના ઢગમાં એક હાથે ઝંડો હેઠો ન્હોતો મૂક્યો.

– ભાવેશ ભટ્ટ

ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત,
ટોળાનો પરિવેષ મૂકી વિસ્તરીએ થોડું અંગત અંગત.

ખાલીપાનો દરિયો ઘૂઘવે આંખોના ઊંડા કોતરમાં,
જામ દરદના ભરતાં ભરતાં ડૂબીએ થોડું અંગત અંગત.

ફૂલોની રંગત છે આજે, રેશમ જેવી મહેક હવાની,
કાંટાનો વિસ્તાર ભૂલીને ફરીએ થોડું અંગત અંગત.

ચારે બાજુ દર્પણ મૂક્યાં, ચારે બાજુ ચહેરાઓ છે,
મહોરાં-બુરખા ઓઢી લઈને ભૂલીએ થોડું અંગત અંગત.

મૃગજળનો વિસ્તાર ભલેને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ,
પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત.

– પ્રફુલ્લા વોરા

ભાવનગર ભાવનાઓથી ભર્યુંભર્યું નગર છે. આ નગરે કેટકેટલા ઉમદા કવિઓ આપ્યા. કૃષ્ણલાલ શ્રીધરાણી, બેફામ, નાઝિર દેખૈયા, દિલેરબાબુ, વિનોદ જોશી, વિજય રાજ્યગુરુથી લઈને ડૉ. ફિરદોસ દેખૈયા, ડૉ. પરેશ સોલંકી, હિમલ પંડ્યા, અંજના ગોસ્વામી અને રાણા બાવળિયા સુધીના અનેક સર્જકોએ ભાવનગરની ભાવનાઓને કવિતામાં પંપાળી છે, લાડ લડાવ્યા છે. પ્રફુલ્લા વોરા એમાંનાં એક. 6 જાન્યુઆરી 1951ના રોજ જન્મેલા આ સર્જકે એક ખૂણે બેસીને શાંતિથી પોતાનું કામ કરનારવામાં સાર્થકતા સમજી. સાહિત્ય કે શિક્ષણક્ષેત્રે પોંખાયા, પરંતુ મંચના મોહતાજ ન રહ્યાં. જૈન ધર્મના ઊંડા અભ્યાસુ પણ ખરા. ધર્મ, શિક્ષણ અને સાહિત્યના અક્ષરને ઘૂંટનાર આ સર્જકે લાંબી બીમારી બાદ તારીખ 5 મે 2020ના રોજ આ જગતમાંથી વિદાય લીધી. સર્જક નશ્વરદેહ છોડતો હોય, પણ અક્ષરદેહ મૂકી જતો હોય છે. આજે તેમના અક્ષરદેહમાંથી એક સરસ રચના માણીએ.
માણસો આવે છે અને જાય છે, ભવસાગર પર જીવતરની નૈયા તરતી રહે છે અને આ નૈયામાં અનેક સંબંધો મુસાફરની જેમ બેસે છે અને ઊતરે છે. આ બધામાં જો કોઈ ચોવીસે કલાક સાથે રહેતું હોય તો એ પોતાનો પડછાયો. કોઈ વસ્તુને આકાર મળે એ સાથે જ તેને છાયા-પડછાયા કે બિંબ-પ્રતિબિંબ પણ મળવાનાં. માણસ જન્મ સાથે જ પડછાયો પામે છે. ભલે એ અંધકારમાં વિલિન થઈ જતો હોય, પણ અદૃશ્ય રીતે તે હંમેશાં હાજર હોય છે. એક રીતે માણસ ક્યારેય એકાંતવાસી કે અંગત હોતો નથી, હા, એ ખાલી હોઈ શકે, એકલો નહીં. કોઈ ને કોઈ રીતે દૃશ્ય કે અદૃશ્ય રીતે તેનો પડછાયો તેની સાથે રહે છે. અહીં પડછાયો એટલે સૂર્યના પ્રકાશથી શરીરની છાયા પડે તેટલા પૂરતી વાત નથી.

આપણે સામાજમાં આપણા મોભાની એક છાયા ઊભી કરવા માગતા હોઈએ છીએ. એક વિદ્યાર્થી પોતાનો પડછાયો આખા ક્લાસ પર પડે તેવી ભાવના રાખે છે. નવી પરણીને આવનાર વહુ પણ નવા પરિવારમાં પોતાના સ્થાન, ગર્વ કે કાર્યના ઓછાયા પાથરવાની હોશ રાખતી હોય છે. ઘરની સૌથી વડીલ પણ પોતાના વડીલ હોવાનો પડછાયો ચોવીસે કલાક પોતાની સાથે રાખતી હોય છે. આવા છાયા-પડછાયા-ઓછાયાથી મુક્ત થવાતું નથી. એટલે જ કવિ તેને છોડીને થોડું અંગત થવાનું કહે છે. અંદરની તરફ જોવાનું કહે છે. માધવ રામાનુજ કહે છે, તેમ, ‘અંદર તો એવું અજવાળું અજવાળું.’ પણ આ અજવાળું આપણે અંદર જોઈએ તો દેખાય ને! આપણે તો વિવિધ પડછાયા નીચે ઢંકાયેલા છીએ. ક્યાંક મોભાનો પડછાયો છે તો ક્યાંક માયાનો, ક્યાંક પૈસાનો છે તો ક્યાંક પ્રેમનો, ક્યાંક જ્ઞાનનો તો ક્યાંક ગર્વનો. જ્યારે એક સાથે ચાર-ચાર બલ્બ નીચે ઊભા રહીએ ત્યારે ચારચાર પડછાયા પડતા હોય છે, એ જ રીતે ઘણી વાર આપણી અંદરના અભિમાનના પણ એક સાથે અનેક પડછાયા પડતા હોય છે, આપણે તેનાથી જ તો મુક્ત થવાનું છે.

આપણને ટોળામાં ટહુકવું ગમે છે. કેમ કે અંદરખાને એવી આશા હોય છે કે કોઈ આપણા ટહુકાને વખાણે, કોઈ આપણા કામને પોરસે. આપણે પંખી જેવા મુક્તમને રાગને આલાપી પણ નથી શકતા. દરેક કાર્યમાં આપણી જિજીવિષા પાંખો પ્રસારીને ઊડવા લાગે છે. એક પંખી ટહુકે ત્યારે તેના ટહુકાના વખાણ થાય, તેને શ્રેષ્ઠ ગાયકી માટે ઇનામ મળે તેવા કોઈ અભરખા હોતા નથી. એ તો બસ પોતાના નિજી આનંદ માટે ગાય છે. ટોળાની પરવા મૂકીને આપણે પણ આવા નિજી આનંદના પરિવેશમાં અંગતપણે ટહુકો કરવાનો છે.

આમ તો આખી ગઝલ સરસ અને સરભર છે, તેને આસ્વાદતા જઈએ તો પેલી હિન્દી ગઝલ, ‘બાત નીકલેગી તો બહુત દૂર તલક જાયેગી’ જેમ થાય. પણ આગળના શેર વાચકોના નિજાનંદ પર છોડી, પ્રફુલ્લા વોરાની જ એક અન્ય રચનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

કેટલાં કામણ હશે આ આંગળીના તારમાં,
સાવ કોરું મન જુઓ ભીંજાય છે મલ્હારમાં.

આજ પણ લીલી ક્ષણો ટહુકા બની પડઘાય છે,
સાચવી લો આ સમય પણ વહી જશે વિચારમાં.

ના કશી ફરિયાદ છે ને મસ્ત આતમરામ છે,
સામટું સુખ ના ચહું સંતોષ છે બે-ચારમાં .

નામ લેતા હે પ્રભુ! ચારે દિશાઓ ઝળહળે,
કેટલા દીવા થયા દિલ તણા દરબારમાં.

શ્વાસનું પંખી જુઓ પાંખો પ્રસારે છે છતાં,
શી ખબર આ ઉડ્ડયન પૂરું થશે પલવારમાં ?

– પ્રફુલ્લા વોરા

યુદ્ધની કિંમત કોણ ચૂકવે છે?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

એક દિવસ યુદ્ધ સમાપ્ત થઈ જશે,
નેતાઓ હાથ મિલાવશે.
અને
એક વૃદ્ધા શહીદ થઈ ચૂકેલ દીકરાની રાહ જોશે
એક સ્ત્રી પોતાના પતિના પાછા ફરવાની રાહ જોશે
બાળકો રાહ જોશે પોતાના બહાદુર પિતાની...
મને નથી ખબર, મારું વતન કોણે વેચ્યું,
પણ મેં જોયું છે કે
એની કિંમત કોણે ચૂકવી છે!

– મહમૂદ દરવેશ

મહમૂદ દરવેશ એટલે ફિલિસ્તાનના રાષ્ટ્રીય કવિ. તેમની કવિતાઓ વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદિત થઈ છે. ફિલિસ્તાન પર ઇઝરાયલના અત્યાચાર પર તેમણે ઘણી કવિતાઓ લખી છે. ફિલિસ્તાનીઓના દુઃખ, પીડા અને સંઘર્ષને તેમણે પોતાની કવિતામાં વાચા આપી છે. 13 માર્ચ 1941માં જન્મીને 9 ઓગસ્ટ 2008માં જગતમાંથી વિદાય લેનાર આ કવિને ફિલિસ્તાનવાસીઓએ ભરપૂર ચાહ્યા છે. જ્યારે 67 વર્ષની ઉંમરે હાર્ટ સર્જરીમાં તેમનું અવસાન થયું ત્યારે લાખો ફિલિસ્તાનીઓ એક અવાજે બોલી ઊઠેલા કે, “ઓ મહમૂદ... ઓ મહમૂદ... તું આરામથી ઊંઘી જા, અમે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું...” તેમનો પાર્થિક દેહ ફિલિસ્તાનના ઝંડામાં વીંટળાયેલો હતો અને તેમાં તેમની કવિતાઓ લખાયેલી હતી. અત્યારે યુક્રેન-રશિયા યુદ્ધની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે મહમૂદ દરવેશની આ કવિતા વાંચવા જેવી છે.

યુદ્ધ બે દેશ વચ્ચે થાય છે, પણ તેનો ભોગ આપવો પડે છે સામાન્ય પ્રજાએ. મોટે ભાગે સરહદ પરની લમણાઝીંકને લીધે થતા ઝઘડા બે સત્તાધીશોની સમજણ-ગેરસમજણ પર આધારિત હોય છે. યુદ્ધમાં લડતા બે સૈનિકો પરસ્પર એકબીજાને ઓળખતા પણ નથી હોતા. નથી તેમણે એકબીજાને ક્યારેય જોયા હોતા. બંનેએ એકબીજાની વ્યક્તિગત રીતે બગાડ્યું પણ નથી હોતું, છતાં બંને એકબીજા પર મરણિયા થઈને ત્રાટકી પડે છે. કારણ માત્ર એટલું જ કે સામેનો માણસ દુશ્મન દેશનો છે. તેમને વતનપ્રેમ અને દેશપ્રેમના ડોઝ પિવડાવવામાં આવે છે. વતનનું ગૌરવગાન ગાતા ગાતા સૈનિક દેશ માટે ફના થઈ જાય છે. રાજો તો પોતાની ખુરશી સાચવવામાં પડ્યો હોય છે. તેની માટે તે સામેના દેશ સાથે સંધિ કરી લે એવું પણ થાય. આ બધામાં ભોગ તો માત્ર સામાન્ય માણસનો લેવાય. ડેલ કાર્નેગીએ સરસ વાત કરેલી, દરેક દેશ પોતાને બીજા દેશથી બહેતર સમજે છે. આના લીધે દેશભક્તિ જન્મે છે અને આના લીધે યુદ્ધ પણ થાય છે.

મહમૂદ દરવેશે આ વાત બહુ ધારદાર રીતે કરી છે. યુદ્ધ પૂરું થઈ જશે. નેતાઓ સામસામા હાથ મિલાવી લેશે. હસીહસીને ફોટા પડાવશે. આખું વિશ્વ તેની નોંધ લેશે. સમાચારોની હેડલાઇન્સ બનશે. પણ આ યુદ્ધની કિંમત તો લડનાર સૈનિકના પરિવારને ચૂકવવાની હોય છે. એક વૃદ્ધા પોતાના દીકરાની રાહ જોતી હોય છે કે મારો મારી આંખતનું રતન ઘરે પરત ફરે. તેનો જીવ તાળવે ચોંટેલો હોય છે કે મારો પુત્ર સલામત રીતે પાછો તો આવશેને? પત્નીને ચિંતા હોય છે પોતાના કપાળે લાગેલા સિંદૂરની. પોતાના બાળકના નામ પાછળ લાગતા પિતાના નામની. બાળક તો ગૌરવભેર રાહ જોતું હોય છે બહાદુર પિતાની. જંગમાં એ દુશ્મનને હરાવીને આવશે, બધા તેમને વધાવી લેશે. દેશના ઝંડામાં લપેટાયેલું એક શબ ફળિયામાં આવે છે ત્યારે પરિવારને ગૌરવ અનુભવાય છે, કે અમારો પુત્ર-પતિ કે પિતા દેશ માટે મર્યા. પણ એ ગૌરવની પછેડી નીચે એક ચિત્કારનો આખો ડુંગર ધરબાયેલો હોય છે એ કોઈ જાણતું નથી. એક મા દીકરા વિનાની થઈ જાય છે, એક પત્ની પતિ વિનાની અને બાળકો બાપ વિનાના.

યુદ્ધ હંમેશાં વિનાશ નોતરે છે. જગતે બબ્બે વિનાશકારી વિશ્વયુદ્ધો જોયાં છે. છતાં આજે પણ અનેક અણુબોમ્બ બને છે, મિસાઇલ પરિક્ષણો થાય છે. અનેક શસ્ત્રો બને છે, દરેક દેશ યુદ્ધ માટે તૈયાર રહે છે. દરેક દેશને બીજા દેશનો ભય છે. આટઆટલી મહામારી અને ભંયકરતા પણ માણસનો યુદ્ધવિનાનો નથી કરી શકતી. એક શેરીમાં રહેતા બે પાડોશી ઝઘડે તેમ બે દેશ ઝઘડી પડતા હોય છે. માણસની અંતિમ શોધ તો શાંતિની છે. પણ કરૂણતા એ છે કે શાંતિ માટે લડવું પડે છે, યુદ્ધ કરવું પડે છે. માધવ રામાનુજે સતત ચાલતા યુદ્ધ વચાળે સૈનિકની વાત વિચારતા કરી મૂકે તેવી છે, “એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો, ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં.”

યુદ્ધની વાતને પ્રેમ સાથે સાંકળીને મહમૂદ દરવેશે લખેલી કવિતા સીધી હૃદયમાં ઊતરી જાય તેવી છે. તેમની આ અદભુત કવિતાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

તે બોલી, “આપણે ક્યારે મળીશું?”
મેં કહ્યું, “યુદ્ધ સમાપ્ત થઈ ગયાના એક વર્ષ પછી.”
તેણે પૂછ્યું, “યુદ્ધ ક્યારે સમાપ્ત થશે?”
મેં કહ્યું, “આપણે મળીશું ત્યારે.”

- મહમૂદ દરવેશ

યુદ્ધ પ્રેમ પર સમાપ્ત થાય છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

યુદ્ધમાંથી પરત ફરેલા સિપાહીએ
દોડીને જ્યારે ગળે લગાવ્યા
પત્ની અને બાળકોને
ત્યારે પ્રેમથી આંખો ઉલકાઈ ઊઠી
તેમની આંખોની ભીનાશ
કહી રહી હતી કે
યુદ્ધ પ્રેમ પર સમાપ્ત થાય છે.

– હેમંત પરિહાર

જગતભરમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઘણા તો ‘યુદ્ધ એ જ કલ્યાણ’ના નારા લગાવીને યુદ્ધને પ્રોત્સાહન આપી રહ્યા છે, ત્યારે આવા લોકોએ સમજવું જોઈએ કે યુદ્ધથી કોઈનું ભલું થયું નથી. એક સોસાયટીમાં બે પાડોશીઓ ઝઘડે તો તેમાં પણ સોસાયટીને જ નુકસાન હોય છે. જ્યારે બે દેશ ઝઘડે ત્યારે તેના નુકસાનનો ભાર આખા જગતને ઉઠાવવો પડે છે. રશિયા-યુક્રેનના યુદ્ધને લીધે ભાવવધારાથી લઈને અનેક આયાત-નિકાસની સમસ્યાઓ ઉદ્ભવી છે, તે આપણી આંખ સામે છે. વળી તેમાં અનેક નિર્દોષ માનવો, પશુ-પંખી, અન્ય નાના મોટા જીવો અને પ્રકૃતિ પોતે પણ ખપ્પરમાં હોમાઈ રહી છે તે અલગ.

મધ્યપ્રદેશના ફિરોઝ ખાન નામના એક યુવાકવિએ હિન્દીમાં લખેલી કવિતા અદ્ભુત છે. તેમણે લખ્યું છે, “ભલે મને કાઢી મૂકવામાં આવે આ પ્રદેશમાંથી કે આખા વિશ્વમાંથી. પણ હું એક હથિયાર વગરનું જગત ઇચ્છું છું. હું પણ હજરત નોઆહ માફક એક મોટું જહાજ બનાવવા માગું છું અને દુનિયાનાં તમામ હથિયારો એમાં ભરીને તેને બર્મુડા ટ્રયેંગલ તરફ વહેતા કરી દેવા માગું છું. હું જગતની તમામ પોલીસ ફોર્સને રજા આપી દેવા માગું છું. ફોજીઓના મેડલ છીનવી લેવા માગું છું, જે મેડલ સરહદ પરના કોઈ ને કોઈ મનુષ્યના રક્તથી રંગાયેલા છે. ત્યાં ફોજીઓની જગ્યાએ દિવાનાઓને બેસાડી દેવા માગું છું – મીરાં, સુર, કબીર, ખુસરો, ફરીદ, મીર, ગાલિબ, ફૈઝ, જાલિબ અને નીદાને. ઇતિહાસનાં પુસ્તકોમાંથી ભૂંસી નાખવા માગું છું યુદ્ધવિજયની કથાઓ અને હારની નાલેશીઓ. ધ્વસ્ત કરી દેવા માગું છું કિલ્લાઓ-મહેલોમાં ટંગાયેલા યુદ્ધનાં પ્રતિકો-ચિહ્નો. સંગ્રહાલયમાં રાખવામાં આવેલાં હથિયારોને બદલે ત્યાં દુનિયાભરના પ્રેમપત્રો મૂકી દેવા માગું છું. હું હજારો વર્ષ પાછળ જઈને દુનિયાભરના ધાર્મિક ગ્રંથોમાંથી યુદ્ધના કિસ્સાઓ ભૂંસી નાખવા માગું છું. રામના હાથમાંથી ધનુષ્ય અને રાજાઓના હાથમાંથી તલવારો છીનવી લેવા માગું છું. હું કુરુક્ષેત્ર, કર્બલા અને તમામ યુદ્ધના મેદાનોને રમતનાં મેદાન બનાવી દેવા માગું છું. હું કવિતાઓમાંથી વીરરસ સૂકવી નાખવા માગું છું. માત્ર એક કપ ચાના બદલામાં હું સૂરજના તાપને હવાલે કરી દેવા માગું છું જગતભરની તમામ ડિક્ષનરીઓમાં રહેલા હિંસક શબ્દો. જેથી તે બળીને રાખ થઈ જાય. હિંસા વિરુદ્ધ મેં કહેલા-લખેલા મારા તમામ હિંસક શબ્દો માટે સૌની દિલથી માફી માગું છું.”

યુદ્ધ ક્યારેય કોઈ ઉકેલ આપતું નથી. યુદ્ધ પોતે જ એક સમસ્યા છે. સાહિર લુધિયાનવીએ લખેલી પંક્તિઓ અજરામર છે, “જંગ તો ખુદ હી એક મસલા હૈ, જંગ ક્યા મસઅલોં કે હલ દેગી?” યુદ્ધ હંમેશાં વિનાશ વેરે છે, આપણા નહીં તો સામેવાળાના કોઈક તો મરવાનું જ છે. એ મર્યા પછીય સમગ્ર નુકસાન તો પૃથ્વી પર જ થવાનું છે. યુદ્ધમાં આપણે માત્ર માણસ મરે તેની ગણતરી કરતા હોઈએ છીએ. અને એ પણ આપણા તરફના માણસ મર્યા તેની ગણતરી જ આપણને વધારે અસર કરે છે. સામેનાને મારવામાં તો આપણે ગર્વ અનુભવીએ છીએ. પણ મનુષ્યના મૃત્યુ સિવાય પણ કેટકેટલું ખતમ થઈ રહ્યું છે તેના તરફ પણ નજર નાખવી જોઈએ.

એક તોપ ફેંકાય ત્યારે સેંકડો ઝાડ બળીને ખાખ થઈ જાય છે. અનેક નાનાં-મોટાં જીવજંતુઓ તેના પણ ખપ્પરમાં હોમાઈ જાય છે, તેમને તો આપણે ગણતરીમાં લેતા જ નથી. બસ મનુષ્ય જીવતો રહેવો જોઈએ. બીજાનું જે થવું હોય તે થાય. ઝાડ, પાન, ફૂલ, છોડ, પશુ, પંખીઓની સાથે આપણે ધરતીની પણ ઘોર ખોદી રહ્યા છીએ. જે ફળદ્રૂપ ધરતી પર બોમ્બ ફેંકાય છે તે બોમ્બનો વિસ્ફોટ ત્યાંની ધરતીને બિનઉપજાઉ બનાવી દે છે. તેમાંય અણુબોમ્બ હોય તો પતી ગયું. વર્ષો પહેલા જાપાનના હિરોશિમા અને નાગાશાકી પર અમેરિકા દ્વારા ફેંકાયેલા અણુબોમ્બનો પ્રભાવ જગત જોઈ ચૂક્યું છે. છતાં આવા વિનાશકારી બોમ્બ બનાવવામાંથી આપણે બાજ નથી આવતા.

આવી ભયંકર સ્થિતિમાં હેમંત પરિહાર કે ફિરોજ ખાન જેવા કવિઓની કવિતા આપણને પ્રેમ અને માનવતા તરફ લઈ જાય છે. તે આપણને જણાવે છે કે જગત યુદ્ધથી નહીં પ્રેમથી ચાલે છે. એક છોડ પર મજાનું ફૂલ ઊગે તેમાં પ્રકૃતિનો પ્રેમ પ્રગટતો હોય છે, નવજાત શુશુની આંખમાંથી વિસ્મયસહજ સ્નેહ નિતરતો હોય છે. સ્નેહ એ જ સાચો રસ્તો છે, જગતને ટકાવવાનો. યુદ્ધ તો વિનાશનો માર્ગ છે.

લોગઆઉટઃ

વે કૌન લોગ હૈ જો બમ બનાતે હૈ
ઉનસે અચ્છે તો કીડે હૈ જો રેશમ બનાતે હૈ.
 
– તનવીર ગાઝી

દરિયા શી મોજ ને ઉપરથી કુદરતી રહેમ!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,

તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે.

આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી,

સૂરજ તો ઊગે ને આથમી યે જાય મારી ઊપર આકાશ એમનેમ છે….

– ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ભટ્ટની કલમ ગદ્ય અને પદ્ય બંનેમાં મસ્તીથી ખીલી છે. એ ‘તત્ત્વમસી’, ‘સમુદ્રાન્તિકે’, ‘અકૂપાર’ જેવી નવલકથાઓ દ્વારા ગુજરાતી સાહિત્યરસિકોના હૈયામાં આગવું સ્થાન પામ્યાં છે, તો વળી ‘ગાય તેનાં ગીત’માં ફાકામસ્તી સાથે લયમાં લીન થઈને ખીલ્યા પણ છે. તેમની કવિતામાંથી નિરાશાનો સૂર ભાગ્યે જ જોવા મળે છે. તે નિજાનંદમાં મસ્ત રહેતા સર્જક છે. ઉપરની કવિતા આ વાતની પૂરેપૂરી સાબિતી આપે છે.

એક માણસ બીજા માણસને પૂછે કે, “કેમ છે?” તો તરત પેલો સોગિયું મોઢું કરીને કહેશે, “તમારી જેવું નહીં!” સામેવાળોય વળી એ જ નિરાશા સાથે જવાબ આપે છે, “તો મારી જગ્યાએ તું આવી જા,” બંને ખબરઅંતર પૂછવાને બહાને એકબીજાના માથે નિરાશાના નાળિયેર ફોડતા હોય છે. કોઈ પોતાની સ્થિતિમાં ખુશ નથી. અથવા તો કહેવા નથી માગતા કે અમે મજામાં છીએ. બધાંએ બસ દુઃખનાં દળણાં દળતાં રહેવું છે. સમયની ઘંટીમાં પોતે પિસાતા રહે છે, પોતાના સિવાય આખું જગત ખુશ છે. બીજાને મળ્યું તે મને ના મળ્યું. બીજાના માથે ફૂલ વરસ્યા ને મારા માથે પાણા! આવાં આવાં દુઃખોના ડુંગરા આપણે પોતાની માથે ધારી લેતા હોઈએ છીએ અને એમાં જ રત પણ રહેતા હોઈએ છીએ.

ત્યારે ધ્રુવ ભટ્ટ કંઈક નોખી વાત કરે છે. તેમની કવિતાનો નાયક તો આનંદનો અહાલેક જગાડે છે. અચાનક કોઈ રસ્તામાં મળી જાય ને પૂછે કે, ભાઈ, કેવું છે, તો કાવ્યનાયકના જવાબમાં તો દરિયા જેવી મોજ ઘૂઘવે છે. કુદરતની રહેમના રંગો નીતરે છે. તેની પાસે નથી ધનના ઢગલા, નથી મહેલ-મિનારા, નથી એવી સોનાની ખાણ કે મોટી મોટી ઓળખાણ. બસ એની પાસે નિજનું પ્રમાણ છે. આત્માનું ઓજસ છે. ખિસ્સું ફાટેલું છે, પણ હૈયું સાંધેલું છે. સંપત્તિની ખોટ છે, પણ મનમાં ખોટ નથી. ફાટેલા ખિસ્સાની આડમાં પણ જીવનની મોજનું મહામૂલું ધન સાચવીને બેઠો છે. તાળું પણ મોટું લાગે એટલી નાની પટારીમાં જીવનનો ખજાનો હેમખેમ રાખીને બેઠો છે કાવ્યનાયક. આવા નિજાનંદમાં મસ્ત માણસને કોણ દુઃખી કરી શકે?

પણ આપણને હંમેશાં બીજાનંદમાં રસ છે. બીજાને આવું છે ને મારે નથી. સંઘર્ષ નથી કરવો અને સફળતા મેળવી લેવી છે. ઘસાયા વિનો તો હીરો પણ પથ્થર જ રહી જાય છે, આટલું સત્ય સમજતા હોવા છતાં આપણે ઘસાવું નથી. ઘયાયા વિના ઊજળા થવાની મનોવૃત્તિ રાખીને બેઠા છીએ આપણે સૌ. સંઘર્ષ વિના કશું નથી. બીજમાંથી ફૂટતા અંકૂરને પણ માટીને હટાવીને બહાર આવવું પડે છે. નવજાત પંખીને પણ ઇંડામાંથી બહાર આવવા કોચલું તોડવું પડે છે. પાંખો ફફડાવીને ઊડવાની મહેનત કરવી પડે છે.

આપણે નાની-નાની સમસ્યાઓમાં પણ આંખમાં દરિયો છલકાવીએ છીએ. આ આંસુના દરિયામાં જ આપણી આશાનાં વહાણ પણ ડુબાડી દઈએ છીએ. આંખના પાણીને જ જીવનની વાણી સમજી લઈએ છીએ. આંસુની ખારાશને જ જો જીવન સમજી લઈશું તો આનંદનો લીલોછમ મોલ ક્યાંથી લણી શકીશું? ખારા પટમાં તો કશું ઊગતું નથી. પાણી ભરાય ને સુકાય તેનો હિસાબ તો ખાબોચિયાં રાખે. સમંદરને તેની તમા ન હોય. એ તો પોતાની મસ્તીમાં ઘૂઘવ્યા કરે. છાપરાની છતને જ આકાશ સમજી લેનાર વાવાઝોડું આવે ત્યાં સુધી જ સુખી હોય છે. એવી છાપરા જેવી મનોવૃત્તિમાં શું કામ રાચવું? સૂરજ સુધ્ધાં સાંજ પડે આથમી જશે, પણ આકાશ તો એમનું એમ જ રહેવાનું છે. આપણા આનંદનું આકાશ આપણે જ શોધવાનું છે.
તમે ઇચ્છો તો તમે પણ ધ્રુવ ભટ્ટની કવિતા માફક ‘દરિયાશી મોજમાં’ રહી શકો, અને તખ્તદાન રોહડિયાની જેમ અલગારી થઈને ગાઈ શકો...

લોગઆઉટઃ

મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે...
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે...

કાળમીંઢ પાણાના કાળજાં ચીરીને કૂંપળું ફૂટે રે,
આભ ધરા બીચ રમત્યું હાલે, ખેલ ના ખૂટે રે..
આ લહેર આવે લખલાખ રત્નાકરની લૂંટતા રહેવું રે...

લાય લાગે તોય બળે નઈ એવા કાળજા કીધાં રે,
દરિયો ખારો ને વિરડાં મીઠો દાખલા દીધા રે,
જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું રે...

- તખ્તદાન રોહડિયા ‘દાન અલગારી’

છે ગઝલ, એમાં ટણી તો જોઈએ

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇનઃ

ફૂલની સાથે અણી તો જોઈએ,
છે ગઝલ, એમાં ટણી તો જોઈએ.

સ્વપ્ન છે, એક આંખમાં રહેતું હશે?
એને જગ્યા બે ગણી તો જોઈએ.

કો’ક આવીને ઈમારત બાંધશે,
આપણે પાયો ચણી તો જોઈએ.

હું ઈબાદત એટલે કરતો નથી,
કોક એવી માંગણી તો જોઈએ.

શક્ય છે કે દુઃખ પછી આવે જ નહિ,
એક સુખને અવગણી તો જોઈએ.

જેમ બાળક શબ્દ પહેલો મા ભણે,
એમ ગુજરાતી ભણી તો જોઈએ.

- ચિરાગ ત્રિપાઠી

ગુજરાતી ભાષામાં વર્તમાન સમયમાં સૌથી વધારે લખાતો કોઈ સાહિત્યપ્રકાર હોય તો તે ગઝલ છે. અમુક લોકો એમ કહે છે કે આ ગુજરાતી ગઝલનો સુવર્ણકાળ છે, જેમાં વિપુલ પ્રમાણમાં ગઝલો લખાય છે અને શ્રદ્ધેય લખાય છે. જ્યારે અમુક લોકો એવું પણ માને છે કે આ ગુજરાતી કવિતાનો અધોગતિનો કાળ છે. કેમકે ગઝલનું સ્વરૂપ અન્ય સ્વરૂપ ઉપર એ હદે આવી થઈ ગયું છે કે નવો આવનાર કવિ મોટે ભાગે ગઝલથી જ લખવાની શરૂઆત કરે છે અને પછી ગઝલપ્રેમને લીધે મળતી લોકપ્રિયતાના નશામાં તે અન્ય સ્વરૂપોને અવગણી દે છે. પુષ્કળ ગઝલો લખાય છે તેમાં મોટાભાગની નબળી હોય છે તેવું પણ ઘણાનું માનવું છે.

જોકે કોણ શું માને છે તેનાથી સાધારણ ભાવકને કશી લેવા દેવા નથી હોતી. તે તો ઘાયલસાહેબે કહ્યું છે તેમ, ‘જે આવે ગળામાં ઊલટથી એ ગાઈ જવામાં લિજ્જત છે.’વાળી ફિલસૂફીમાં માનનારો છે. ઘણા વાતચીત અને વ્યવહારમાં પણ ગઝલના શેર ટાંકીને પોતાની વાત રજૂ કરતા હોય છે.

ગઝલ અધિક લોકપ્રિય બનવાનાં ઘણાં કારણો છે. માત્ર બે જ પંક્તિમાં વાત, સીધી રીતે થતું પ્રત્યાયન. ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજીની સરળ અભિવ્યક્તિ, જોકે હવે ગઝલમાં કોઈ વિષયબાધ નથી રહ્યો. ઇશ્કેહકીકી અને ઇશ્કેમિજાજીથી બહાર આવીને ગઝલ વિષયના વિશાળ આકાશમાં ઊડી રહી છે. ગઝલ તેના દોર-દમામને લીધે લોકહૈયામાં વધારે સ્થાન પામી શકી છે. ગઝલમાં ઠાઠ અને ઠસ્સો હોવો જોઈએ. ચિનુ મોદીએ લખ્યું છે તેમ, “ઠાઠ-ભપકા એ જ છે ઈર્ષાદના, ઘર બળે તો તાપી જોવું જોઈએ.” પોતાનું જ ઘર બળતું હોય તોય આરામથી તાપી શકવાની તાકાત હોવી જોઈએ. ગમે તેવી સ્થિતિ સામે ખુમારીથી ઊભા રહી શકવાની હામ હોવી જોઈએ, જનાબ ખલીલ ધનતેજવીએ લખ્યું છે ને, “ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી, હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું.” શાયરમાં નમ્રતાપૂર્વકની એક ખુમારી હોય છે. એ ક્યારેક પોતાના દુઃખને પણ એટલું ગુલાબી મિજાજથી રજૂ કરે કે તેની સાથે સુખ પણ ફિક્કુ લાગે, જલન માતરીનો શેર યાદ કરો, “સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આજ છે; સુખ એ અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે.” શાયર પોતાની લાચારી પણ દોર-દમામ સાથે રજૂ કરે. તોર સાથે વાત કરે ત્યારે ગઝલમાં સવિશેષ ઠસ્સો ઊભરાતો હોય છે. અને આ ઠસ્સાની પણ મજા છે. ગાલિબે લખ્યું છેને, “પૂછતે હૈ વો કિ ગાલિબ કૌન હૈ, કોઈ બતલાયે કિ હમ બતલાયેં ક્યા?” આમાં તમને ગાલિબનો ગર્વ અને મિજાજ દેખાઈ આવશે.

ચિરાગ ત્રિપાઠી તો આ ગઝલના પહેલા શેરમાં જ ટણીની વાત કરે છે. ભલે ફૂલ હોય, પણ શાયર એ ફૂલમાં દર વખતે સુગંધ જ ઉમેરે એ જરૂરી નથી. એની પાંદડીઓની કુમાશ રજૂ કરવી, તેને ચિમળાયેલી રજૂ કરવી કે ધારદાર એ તો શાયર પોતાના મિજાજ પ્રમાણે નક્કી કરશે. અહીં પણ કવિએ એ જ કર્યું છે. ગઝલ છે તો ગઝલમાં ઠાઠ અને ટણી તો રહેવાના. અમુક લોકોને તેમાં મિથ્યા અભિમાન પણ દેખાઈ શકે. પણ એ તો તેમની નજર પર નિર્ભર છે. પણ અભિમાન નથી, સ્વાભિમાન છે. અને ગઝલ માત્ર તોર અને ટણી પૂરતી બંધાયેલી નથી. એ સમાજજીવનના તમામ વિષયને સરખી રીતે સ્પર્શી શકે છે. ભરતમૂનિએ નાટ્યશાસ્ત્રમાં દર્શાવેલા નવે રસને તે શેરિયતમાં વિવિધ રીતે પરોવી શકે છે. કવિ પર નિર્ભર છે કે તેને શું કહેવું અને કઈ રીતે કહેવું. આ ટણી અને ઠસ્સો તો ગઝલનો એક ભાગ છે. પ્રથમ શેર પછીના શેર પણ ખૂબ સરળ અને સુંદર થયા છે. એ શેરનો રસાનંદ વાચકો પર જ છોડીને ચિરાગ ત્રિપાઠીની અન્ય એક નાનકડી ગઝલ સાથે લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

ગામનું એ ઘર અમે ભૂલી ગયા,
વાવ ને પાદર અમે ભૂલી ગયા.

એટલે તો શિલ્પ કંડારી શક્યા,
એ હતો પથ્થર અમે ભૂલી ગયા.

ત્યાં ય મથતાં આંસુઓને રોકવા,
સુખનો છે અવસર અમે ભુલી ગયા.

લ્યો ફરી વસ્તી ગણતરી થઈ અને,
લ્યો ફરી ઈશ્વર અમે ભૂલી ગયા .

- ચિરાગ ત્રિપાઠી