ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત,
ટોળાનો પરિવેષ મૂકી વિસ્તરીએ થોડું અંગત અંગત.

ખાલીપાનો દરિયો ઘૂઘવે આંખોના ઊંડા કોતરમાં,
જામ દરદના ભરતાં ભરતાં ડૂબીએ થોડું અંગત અંગત.

ફૂલોની રંગત છે આજે, રેશમ જેવી મહેક હવાની,
કાંટાનો વિસ્તાર ભૂલીને ફરીએ થોડું અંગત અંગત.

ચારે બાજુ દર્પણ મૂક્યાં, ચારે બાજુ ચહેરાઓ છે,
મહોરાં-બુરખા ઓઢી લઈને ભૂલીએ થોડું અંગત અંગત.

મૃગજળનો વિસ્તાર ભલેને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ,
પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત.

– પ્રફુલ્લા વોરા

ભાવનગર ભાવનાઓથી ભર્યુંભર્યું નગર છે. આ નગરે કેટકેટલા ઉમદા કવિઓ આપ્યા. કૃષ્ણલાલ શ્રીધરાણી, બેફામ, નાઝિર દેખૈયા, દિલેરબાબુ, વિનોદ જોશી, વિજય રાજ્યગુરુથી લઈને ડૉ. ફિરદોસ દેખૈયા, ડૉ. પરેશ સોલંકી, હિમલ પંડ્યા, અંજના ગોસ્વામી અને રાણા બાવળિયા સુધીના અનેક સર્જકોએ ભાવનગરની ભાવનાઓને કવિતામાં પંપાળી છે, લાડ લડાવ્યા છે. પ્રફુલ્લા વોરા એમાંનાં એક. 6 જાન્યુઆરી 1951ના રોજ જન્મેલા આ સર્જકે એક ખૂણે બેસીને શાંતિથી પોતાનું કામ કરનારવામાં સાર્થકતા સમજી. સાહિત્ય કે શિક્ષણક્ષેત્રે પોંખાયા, પરંતુ મંચના મોહતાજ ન રહ્યાં. જૈન ધર્મના ઊંડા અભ્યાસુ પણ ખરા. ધર્મ, શિક્ષણ અને સાહિત્યના અક્ષરને ઘૂંટનાર આ સર્જકે લાંબી બીમારી બાદ તારીખ 5 મે 2020ના રોજ આ જગતમાંથી વિદાય લીધી. સર્જક નશ્વરદેહ છોડતો હોય, પણ અક્ષરદેહ મૂકી જતો હોય છે. આજે તેમના અક્ષરદેહમાંથી એક સરસ રચના માણીએ.
માણસો આવે છે અને જાય છે, ભવસાગર પર જીવતરની નૈયા તરતી રહે છે અને આ નૈયામાં અનેક સંબંધો મુસાફરની જેમ બેસે છે અને ઊતરે છે. આ બધામાં જો કોઈ ચોવીસે કલાક સાથે રહેતું હોય તો એ પોતાનો પડછાયો. કોઈ વસ્તુને આકાર મળે એ સાથે જ તેને છાયા-પડછાયા કે બિંબ-પ્રતિબિંબ પણ મળવાનાં. માણસ જન્મ સાથે જ પડછાયો પામે છે. ભલે એ અંધકારમાં વિલિન થઈ જતો હોય, પણ અદૃશ્ય રીતે તે હંમેશાં હાજર હોય છે. એક રીતે માણસ ક્યારેય એકાંતવાસી કે અંગત હોતો નથી, હા, એ ખાલી હોઈ શકે, એકલો નહીં. કોઈ ને કોઈ રીતે દૃશ્ય કે અદૃશ્ય રીતે તેનો પડછાયો તેની સાથે રહે છે. અહીં પડછાયો એટલે સૂર્યના પ્રકાશથી શરીરની છાયા પડે તેટલા પૂરતી વાત નથી.

આપણે સામાજમાં આપણા મોભાની એક છાયા ઊભી કરવા માગતા હોઈએ છીએ. એક વિદ્યાર્થી પોતાનો પડછાયો આખા ક્લાસ પર પડે તેવી ભાવના રાખે છે. નવી પરણીને આવનાર વહુ પણ નવા પરિવારમાં પોતાના સ્થાન, ગર્વ કે કાર્યના ઓછાયા પાથરવાની હોશ રાખતી હોય છે. ઘરની સૌથી વડીલ પણ પોતાના વડીલ હોવાનો પડછાયો ચોવીસે કલાક પોતાની સાથે રાખતી હોય છે. આવા છાયા-પડછાયા-ઓછાયાથી મુક્ત થવાતું નથી. એટલે જ કવિ તેને છોડીને થોડું અંગત થવાનું કહે છે. અંદરની તરફ જોવાનું કહે છે. માધવ રામાનુજ કહે છે, તેમ, ‘અંદર તો એવું અજવાળું અજવાળું.’ પણ આ અજવાળું આપણે અંદર જોઈએ તો દેખાય ને! આપણે તો વિવિધ પડછાયા નીચે ઢંકાયેલા છીએ. ક્યાંક મોભાનો પડછાયો છે તો ક્યાંક માયાનો, ક્યાંક પૈસાનો છે તો ક્યાંક પ્રેમનો, ક્યાંક જ્ઞાનનો તો ક્યાંક ગર્વનો. જ્યારે એક સાથે ચાર-ચાર બલ્બ નીચે ઊભા રહીએ ત્યારે ચારચાર પડછાયા પડતા હોય છે, એ જ રીતે ઘણી વાર આપણી અંદરના અભિમાનના પણ એક સાથે અનેક પડછાયા પડતા હોય છે, આપણે તેનાથી જ તો મુક્ત થવાનું છે.

આપણને ટોળામાં ટહુકવું ગમે છે. કેમ કે અંદરખાને એવી આશા હોય છે કે કોઈ આપણા ટહુકાને વખાણે, કોઈ આપણા કામને પોરસે. આપણે પંખી જેવા મુક્તમને રાગને આલાપી પણ નથી શકતા. દરેક કાર્યમાં આપણી જિજીવિષા પાંખો પ્રસારીને ઊડવા લાગે છે. એક પંખી ટહુકે ત્યારે તેના ટહુકાના વખાણ થાય, તેને શ્રેષ્ઠ ગાયકી માટે ઇનામ મળે તેવા કોઈ અભરખા હોતા નથી. એ તો બસ પોતાના નિજી આનંદ માટે ગાય છે. ટોળાની પરવા મૂકીને આપણે પણ આવા નિજી આનંદના પરિવેશમાં અંગતપણે ટહુકો કરવાનો છે.

આમ તો આખી ગઝલ સરસ અને સરભર છે, તેને આસ્વાદતા જઈએ તો પેલી હિન્દી ગઝલ, ‘બાત નીકલેગી તો બહુત દૂર તલક જાયેગી’ જેમ થાય. પણ આગળના શેર વાચકોના નિજાનંદ પર છોડી, પ્રફુલ્લા વોરાની જ એક અન્ય રચનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

કેટલાં કામણ હશે આ આંગળીના તારમાં,
સાવ કોરું મન જુઓ ભીંજાય છે મલ્હારમાં.

આજ પણ લીલી ક્ષણો ટહુકા બની પડઘાય છે,
સાચવી લો આ સમય પણ વહી જશે વિચારમાં.

ના કશી ફરિયાદ છે ને મસ્ત આતમરામ છે,
સામટું સુખ ના ચહું સંતોષ છે બે-ચારમાં .

નામ લેતા હે પ્રભુ! ચારે દિશાઓ ઝળહળે,
કેટલા દીવા થયા દિલ તણા દરબારમાં.

શ્વાસનું પંખી જુઓ પાંખો પ્રસારે છે છતાં,
શી ખબર આ ઉડ્ડયન પૂરું થશે પલવારમાં ?

– પ્રફુલ્લા વોરા

યુદ્ધની કિંમત કોણ ચૂકવે છે?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

એક દિવસ યુદ્ધ સમાપ્ત થઈ જશે,
નેતાઓ હાથ મિલાવશે.
અને
એક વૃદ્ધા શહીદ થઈ ચૂકેલ દીકરાની રાહ જોશે
એક સ્ત્રી પોતાના પતિના પાછા ફરવાની રાહ જોશે
બાળકો રાહ જોશે પોતાના બહાદુર પિતાની...
મને નથી ખબર, મારું વતન કોણે વેચ્યું,
પણ મેં જોયું છે કે
એની કિંમત કોણે ચૂકવી છે!

– મહમૂદ દરવેશ

મહમૂદ દરવેશ એટલે ફિલિસ્તાનના રાષ્ટ્રીય કવિ. તેમની કવિતાઓ વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદિત થઈ છે. ફિલિસ્તાન પર ઇઝરાયલના અત્યાચાર પર તેમણે ઘણી કવિતાઓ લખી છે. ફિલિસ્તાનીઓના દુઃખ, પીડા અને સંઘર્ષને તેમણે પોતાની કવિતામાં વાચા આપી છે. 13 માર્ચ 1941માં જન્મીને 9 ઓગસ્ટ 2008માં જગતમાંથી વિદાય લેનાર આ કવિને ફિલિસ્તાનવાસીઓએ ભરપૂર ચાહ્યા છે. જ્યારે 67 વર્ષની ઉંમરે હાર્ટ સર્જરીમાં તેમનું અવસાન થયું ત્યારે લાખો ફિલિસ્તાનીઓ એક અવાજે બોલી ઊઠેલા કે, “ઓ મહમૂદ... ઓ મહમૂદ... તું આરામથી ઊંઘી જા, અમે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું...” તેમનો પાર્થિક દેહ ફિલિસ્તાનના ઝંડામાં વીંટળાયેલો હતો અને તેમાં તેમની કવિતાઓ લખાયેલી હતી. અત્યારે યુક્રેન-રશિયા યુદ્ધની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે મહમૂદ દરવેશની આ કવિતા વાંચવા જેવી છે.

યુદ્ધ બે દેશ વચ્ચે થાય છે, પણ તેનો ભોગ આપવો પડે છે સામાન્ય પ્રજાએ. મોટે ભાગે સરહદ પરની લમણાઝીંકને લીધે થતા ઝઘડા બે સત્તાધીશોની સમજણ-ગેરસમજણ પર આધારિત હોય છે. યુદ્ધમાં લડતા બે સૈનિકો પરસ્પર એકબીજાને ઓળખતા પણ નથી હોતા. નથી તેમણે એકબીજાને ક્યારેય જોયા હોતા. બંનેએ એકબીજાની વ્યક્તિગત રીતે બગાડ્યું પણ નથી હોતું, છતાં બંને એકબીજા પર મરણિયા થઈને ત્રાટકી પડે છે. કારણ માત્ર એટલું જ કે સામેનો માણસ દુશ્મન દેશનો છે. તેમને વતનપ્રેમ અને દેશપ્રેમના ડોઝ પિવડાવવામાં આવે છે. વતનનું ગૌરવગાન ગાતા ગાતા સૈનિક દેશ માટે ફના થઈ જાય છે. રાજો તો પોતાની ખુરશી સાચવવામાં પડ્યો હોય છે. તેની માટે તે સામેના દેશ સાથે સંધિ કરી લે એવું પણ થાય. આ બધામાં ભોગ તો માત્ર સામાન્ય માણસનો લેવાય. ડેલ કાર્નેગીએ સરસ વાત કરેલી, દરેક દેશ પોતાને બીજા દેશથી બહેતર સમજે છે. આના લીધે દેશભક્તિ જન્મે છે અને આના લીધે યુદ્ધ પણ થાય છે.

મહમૂદ દરવેશે આ વાત બહુ ધારદાર રીતે કરી છે. યુદ્ધ પૂરું થઈ જશે. નેતાઓ સામસામા હાથ મિલાવી લેશે. હસીહસીને ફોટા પડાવશે. આખું વિશ્વ તેની નોંધ લેશે. સમાચારોની હેડલાઇન્સ બનશે. પણ આ યુદ્ધની કિંમત તો લડનાર સૈનિકના પરિવારને ચૂકવવાની હોય છે. એક વૃદ્ધા પોતાના દીકરાની રાહ જોતી હોય છે કે મારો મારી આંખતનું રતન ઘરે પરત ફરે. તેનો જીવ તાળવે ચોંટેલો હોય છે કે મારો પુત્ર સલામત રીતે પાછો તો આવશેને? પત્નીને ચિંતા હોય છે પોતાના કપાળે લાગેલા સિંદૂરની. પોતાના બાળકના નામ પાછળ લાગતા પિતાના નામની. બાળક તો ગૌરવભેર રાહ જોતું હોય છે બહાદુર પિતાની. જંગમાં એ દુશ્મનને હરાવીને આવશે, બધા તેમને વધાવી લેશે. દેશના ઝંડામાં લપેટાયેલું એક શબ ફળિયામાં આવે છે ત્યારે પરિવારને ગૌરવ અનુભવાય છે, કે અમારો પુત્ર-પતિ કે પિતા દેશ માટે મર્યા. પણ એ ગૌરવની પછેડી નીચે એક ચિત્કારનો આખો ડુંગર ધરબાયેલો હોય છે એ કોઈ જાણતું નથી. એક મા દીકરા વિનાની થઈ જાય છે, એક પત્ની પતિ વિનાની અને બાળકો બાપ વિનાના.

યુદ્ધ હંમેશાં વિનાશ નોતરે છે. જગતે બબ્બે વિનાશકારી વિશ્વયુદ્ધો જોયાં છે. છતાં આજે પણ અનેક અણુબોમ્બ બને છે, મિસાઇલ પરિક્ષણો થાય છે. અનેક શસ્ત્રો બને છે, દરેક દેશ યુદ્ધ માટે તૈયાર રહે છે. દરેક દેશને બીજા દેશનો ભય છે. આટઆટલી મહામારી અને ભંયકરતા પણ માણસનો યુદ્ધવિનાનો નથી કરી શકતી. એક શેરીમાં રહેતા બે પાડોશી ઝઘડે તેમ બે દેશ ઝઘડી પડતા હોય છે. માણસની અંતિમ શોધ તો શાંતિની છે. પણ કરૂણતા એ છે કે શાંતિ માટે લડવું પડે છે, યુદ્ધ કરવું પડે છે. માધવ રામાનુજે સતત ચાલતા યુદ્ધ વચાળે સૈનિકની વાત વિચારતા કરી મૂકે તેવી છે, “એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો, ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં.”

યુદ્ધની વાતને પ્રેમ સાથે સાંકળીને મહમૂદ દરવેશે લખેલી કવિતા સીધી હૃદયમાં ઊતરી જાય તેવી છે. તેમની આ અદભુત કવિતાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

તે બોલી, “આપણે ક્યારે મળીશું?”
મેં કહ્યું, “યુદ્ધ સમાપ્ત થઈ ગયાના એક વર્ષ પછી.”
તેણે પૂછ્યું, “યુદ્ધ ક્યારે સમાપ્ત થશે?”
મેં કહ્યું, “આપણે મળીશું ત્યારે.”

- મહમૂદ દરવેશ

યુદ્ધ પ્રેમ પર સમાપ્ત થાય છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

યુદ્ધમાંથી પરત ફરેલા સિપાહીએ
દોડીને જ્યારે ગળે લગાવ્યા
પત્ની અને બાળકોને
ત્યારે પ્રેમથી આંખો ઉલકાઈ ઊઠી
તેમની આંખોની ભીનાશ
કહી રહી હતી કે
યુદ્ધ પ્રેમ પર સમાપ્ત થાય છે.

– હેમંત પરિહાર

જગતભરમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઘણા તો ‘યુદ્ધ એ જ કલ્યાણ’ના નારા લગાવીને યુદ્ધને પ્રોત્સાહન આપી રહ્યા છે, ત્યારે આવા લોકોએ સમજવું જોઈએ કે યુદ્ધથી કોઈનું ભલું થયું નથી. એક સોસાયટીમાં બે પાડોશીઓ ઝઘડે તો તેમાં પણ સોસાયટીને જ નુકસાન હોય છે. જ્યારે બે દેશ ઝઘડે ત્યારે તેના નુકસાનનો ભાર આખા જગતને ઉઠાવવો પડે છે. રશિયા-યુક્રેનના યુદ્ધને લીધે ભાવવધારાથી લઈને અનેક આયાત-નિકાસની સમસ્યાઓ ઉદ્ભવી છે, તે આપણી આંખ સામે છે. વળી તેમાં અનેક નિર્દોષ માનવો, પશુ-પંખી, અન્ય નાના મોટા જીવો અને પ્રકૃતિ પોતે પણ ખપ્પરમાં હોમાઈ રહી છે તે અલગ.

મધ્યપ્રદેશના ફિરોઝ ખાન નામના એક યુવાકવિએ હિન્દીમાં લખેલી કવિતા અદ્ભુત છે. તેમણે લખ્યું છે, “ભલે મને કાઢી મૂકવામાં આવે આ પ્રદેશમાંથી કે આખા વિશ્વમાંથી. પણ હું એક હથિયાર વગરનું જગત ઇચ્છું છું. હું પણ હજરત નોઆહ માફક એક મોટું જહાજ બનાવવા માગું છું અને દુનિયાનાં તમામ હથિયારો એમાં ભરીને તેને બર્મુડા ટ્રયેંગલ તરફ વહેતા કરી દેવા માગું છું. હું જગતની તમામ પોલીસ ફોર્સને રજા આપી દેવા માગું છું. ફોજીઓના મેડલ છીનવી લેવા માગું છું, જે મેડલ સરહદ પરના કોઈ ને કોઈ મનુષ્યના રક્તથી રંગાયેલા છે. ત્યાં ફોજીઓની જગ્યાએ દિવાનાઓને બેસાડી દેવા માગું છું – મીરાં, સુર, કબીર, ખુસરો, ફરીદ, મીર, ગાલિબ, ફૈઝ, જાલિબ અને નીદાને. ઇતિહાસનાં પુસ્તકોમાંથી ભૂંસી નાખવા માગું છું યુદ્ધવિજયની કથાઓ અને હારની નાલેશીઓ. ધ્વસ્ત કરી દેવા માગું છું કિલ્લાઓ-મહેલોમાં ટંગાયેલા યુદ્ધનાં પ્રતિકો-ચિહ્નો. સંગ્રહાલયમાં રાખવામાં આવેલાં હથિયારોને બદલે ત્યાં દુનિયાભરના પ્રેમપત્રો મૂકી દેવા માગું છું. હું હજારો વર્ષ પાછળ જઈને દુનિયાભરના ધાર્મિક ગ્રંથોમાંથી યુદ્ધના કિસ્સાઓ ભૂંસી નાખવા માગું છું. રામના હાથમાંથી ધનુષ્ય અને રાજાઓના હાથમાંથી તલવારો છીનવી લેવા માગું છું. હું કુરુક્ષેત્ર, કર્બલા અને તમામ યુદ્ધના મેદાનોને રમતનાં મેદાન બનાવી દેવા માગું છું. હું કવિતાઓમાંથી વીરરસ સૂકવી નાખવા માગું છું. માત્ર એક કપ ચાના બદલામાં હું સૂરજના તાપને હવાલે કરી દેવા માગું છું જગતભરની તમામ ડિક્ષનરીઓમાં રહેલા હિંસક શબ્દો. જેથી તે બળીને રાખ થઈ જાય. હિંસા વિરુદ્ધ મેં કહેલા-લખેલા મારા તમામ હિંસક શબ્દો માટે સૌની દિલથી માફી માગું છું.”

યુદ્ધ ક્યારેય કોઈ ઉકેલ આપતું નથી. યુદ્ધ પોતે જ એક સમસ્યા છે. સાહિર લુધિયાનવીએ લખેલી પંક્તિઓ અજરામર છે, “જંગ તો ખુદ હી એક મસલા હૈ, જંગ ક્યા મસઅલોં કે હલ દેગી?” યુદ્ધ હંમેશાં વિનાશ વેરે છે, આપણા નહીં તો સામેવાળાના કોઈક તો મરવાનું જ છે. એ મર્યા પછીય સમગ્ર નુકસાન તો પૃથ્વી પર જ થવાનું છે. યુદ્ધમાં આપણે માત્ર માણસ મરે તેની ગણતરી કરતા હોઈએ છીએ. અને એ પણ આપણા તરફના માણસ મર્યા તેની ગણતરી જ આપણને વધારે અસર કરે છે. સામેનાને મારવામાં તો આપણે ગર્વ અનુભવીએ છીએ. પણ મનુષ્યના મૃત્યુ સિવાય પણ કેટકેટલું ખતમ થઈ રહ્યું છે તેના તરફ પણ નજર નાખવી જોઈએ.

એક તોપ ફેંકાય ત્યારે સેંકડો ઝાડ બળીને ખાખ થઈ જાય છે. અનેક નાનાં-મોટાં જીવજંતુઓ તેના પણ ખપ્પરમાં હોમાઈ જાય છે, તેમને તો આપણે ગણતરીમાં લેતા જ નથી. બસ મનુષ્ય જીવતો રહેવો જોઈએ. બીજાનું જે થવું હોય તે થાય. ઝાડ, પાન, ફૂલ, છોડ, પશુ, પંખીઓની સાથે આપણે ધરતીની પણ ઘોર ખોદી રહ્યા છીએ. જે ફળદ્રૂપ ધરતી પર બોમ્બ ફેંકાય છે તે બોમ્બનો વિસ્ફોટ ત્યાંની ધરતીને બિનઉપજાઉ બનાવી દે છે. તેમાંય અણુબોમ્બ હોય તો પતી ગયું. વર્ષો પહેલા જાપાનના હિરોશિમા અને નાગાશાકી પર અમેરિકા દ્વારા ફેંકાયેલા અણુબોમ્બનો પ્રભાવ જગત જોઈ ચૂક્યું છે. છતાં આવા વિનાશકારી બોમ્બ બનાવવામાંથી આપણે બાજ નથી આવતા.

આવી ભયંકર સ્થિતિમાં હેમંત પરિહાર કે ફિરોજ ખાન જેવા કવિઓની કવિતા આપણને પ્રેમ અને માનવતા તરફ લઈ જાય છે. તે આપણને જણાવે છે કે જગત યુદ્ધથી નહીં પ્રેમથી ચાલે છે. એક છોડ પર મજાનું ફૂલ ઊગે તેમાં પ્રકૃતિનો પ્રેમ પ્રગટતો હોય છે, નવજાત શુશુની આંખમાંથી વિસ્મયસહજ સ્નેહ નિતરતો હોય છે. સ્નેહ એ જ સાચો રસ્તો છે, જગતને ટકાવવાનો. યુદ્ધ તો વિનાશનો માર્ગ છે.

લોગઆઉટઃ

વે કૌન લોગ હૈ જો બમ બનાતે હૈ
ઉનસે અચ્છે તો કીડે હૈ જો રેશમ બનાતે હૈ.
 
– તનવીર ગાઝી

દરિયા શી મોજ ને ઉપરથી કુદરતી રહેમ!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,

તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે.

આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી,

સૂરજ તો ઊગે ને આથમી યે જાય મારી ઊપર આકાશ એમનેમ છે….

– ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ભટ્ટની કલમ ગદ્ય અને પદ્ય બંનેમાં મસ્તીથી ખીલી છે. એ ‘તત્ત્વમસી’, ‘સમુદ્રાન્તિકે’, ‘અકૂપાર’ જેવી નવલકથાઓ દ્વારા ગુજરાતી સાહિત્યરસિકોના હૈયામાં આગવું સ્થાન પામ્યાં છે, તો વળી ‘ગાય તેનાં ગીત’માં ફાકામસ્તી સાથે લયમાં લીન થઈને ખીલ્યા પણ છે. તેમની કવિતામાંથી નિરાશાનો સૂર ભાગ્યે જ જોવા મળે છે. તે નિજાનંદમાં મસ્ત રહેતા સર્જક છે. ઉપરની કવિતા આ વાતની પૂરેપૂરી સાબિતી આપે છે.

એક માણસ બીજા માણસને પૂછે કે, “કેમ છે?” તો તરત પેલો સોગિયું મોઢું કરીને કહેશે, “તમારી જેવું નહીં!” સામેવાળોય વળી એ જ નિરાશા સાથે જવાબ આપે છે, “તો મારી જગ્યાએ તું આવી જા,” બંને ખબરઅંતર પૂછવાને બહાને એકબીજાના માથે નિરાશાના નાળિયેર ફોડતા હોય છે. કોઈ પોતાની સ્થિતિમાં ખુશ નથી. અથવા તો કહેવા નથી માગતા કે અમે મજામાં છીએ. બધાંએ બસ દુઃખનાં દળણાં દળતાં રહેવું છે. સમયની ઘંટીમાં પોતે પિસાતા રહે છે, પોતાના સિવાય આખું જગત ખુશ છે. બીજાને મળ્યું તે મને ના મળ્યું. બીજાના માથે ફૂલ વરસ્યા ને મારા માથે પાણા! આવાં આવાં દુઃખોના ડુંગરા આપણે પોતાની માથે ધારી લેતા હોઈએ છીએ અને એમાં જ રત પણ રહેતા હોઈએ છીએ.

ત્યારે ધ્રુવ ભટ્ટ કંઈક નોખી વાત કરે છે. તેમની કવિતાનો નાયક તો આનંદનો અહાલેક જગાડે છે. અચાનક કોઈ રસ્તામાં મળી જાય ને પૂછે કે, ભાઈ, કેવું છે, તો કાવ્યનાયકના જવાબમાં તો દરિયા જેવી મોજ ઘૂઘવે છે. કુદરતની રહેમના રંગો નીતરે છે. તેની પાસે નથી ધનના ઢગલા, નથી મહેલ-મિનારા, નથી એવી સોનાની ખાણ કે મોટી મોટી ઓળખાણ. બસ એની પાસે નિજનું પ્રમાણ છે. આત્માનું ઓજસ છે. ખિસ્સું ફાટેલું છે, પણ હૈયું સાંધેલું છે. સંપત્તિની ખોટ છે, પણ મનમાં ખોટ નથી. ફાટેલા ખિસ્સાની આડમાં પણ જીવનની મોજનું મહામૂલું ધન સાચવીને બેઠો છે. તાળું પણ મોટું લાગે એટલી નાની પટારીમાં જીવનનો ખજાનો હેમખેમ રાખીને બેઠો છે કાવ્યનાયક. આવા નિજાનંદમાં મસ્ત માણસને કોણ દુઃખી કરી શકે?

પણ આપણને હંમેશાં બીજાનંદમાં રસ છે. બીજાને આવું છે ને મારે નથી. સંઘર્ષ નથી કરવો અને સફળતા મેળવી લેવી છે. ઘસાયા વિનો તો હીરો પણ પથ્થર જ રહી જાય છે, આટલું સત્ય સમજતા હોવા છતાં આપણે ઘસાવું નથી. ઘયાયા વિના ઊજળા થવાની મનોવૃત્તિ રાખીને બેઠા છીએ આપણે સૌ. સંઘર્ષ વિના કશું નથી. બીજમાંથી ફૂટતા અંકૂરને પણ માટીને હટાવીને બહાર આવવું પડે છે. નવજાત પંખીને પણ ઇંડામાંથી બહાર આવવા કોચલું તોડવું પડે છે. પાંખો ફફડાવીને ઊડવાની મહેનત કરવી પડે છે.

આપણે નાની-નાની સમસ્યાઓમાં પણ આંખમાં દરિયો છલકાવીએ છીએ. આ આંસુના દરિયામાં જ આપણી આશાનાં વહાણ પણ ડુબાડી દઈએ છીએ. આંખના પાણીને જ જીવનની વાણી સમજી લઈએ છીએ. આંસુની ખારાશને જ જો જીવન સમજી લઈશું તો આનંદનો લીલોછમ મોલ ક્યાંથી લણી શકીશું? ખારા પટમાં તો કશું ઊગતું નથી. પાણી ભરાય ને સુકાય તેનો હિસાબ તો ખાબોચિયાં રાખે. સમંદરને તેની તમા ન હોય. એ તો પોતાની મસ્તીમાં ઘૂઘવ્યા કરે. છાપરાની છતને જ આકાશ સમજી લેનાર વાવાઝોડું આવે ત્યાં સુધી જ સુખી હોય છે. એવી છાપરા જેવી મનોવૃત્તિમાં શું કામ રાચવું? સૂરજ સુધ્ધાં સાંજ પડે આથમી જશે, પણ આકાશ તો એમનું એમ જ રહેવાનું છે. આપણા આનંદનું આકાશ આપણે જ શોધવાનું છે.
તમે ઇચ્છો તો તમે પણ ધ્રુવ ભટ્ટની કવિતા માફક ‘દરિયાશી મોજમાં’ રહી શકો, અને તખ્તદાન રોહડિયાની જેમ અલગારી થઈને ગાઈ શકો...

લોગઆઉટઃ

મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે...
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે...

કાળમીંઢ પાણાના કાળજાં ચીરીને કૂંપળું ફૂટે રે,
આભ ધરા બીચ રમત્યું હાલે, ખેલ ના ખૂટે રે..
આ લહેર આવે લખલાખ રત્નાકરની લૂંટતા રહેવું રે...

લાય લાગે તોય બળે નઈ એવા કાળજા કીધાં રે,
દરિયો ખારો ને વિરડાં મીઠો દાખલા દીધા રે,
જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું રે...

- તખ્તદાન રોહડિયા ‘દાન અલગારી’

છે ગઝલ, એમાં ટણી તો જોઈએ

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇનઃ

ફૂલની સાથે અણી તો જોઈએ,
છે ગઝલ, એમાં ટણી તો જોઈએ.

સ્વપ્ન છે, એક આંખમાં રહેતું હશે?
એને જગ્યા બે ગણી તો જોઈએ.

કો’ક આવીને ઈમારત બાંધશે,
આપણે પાયો ચણી તો જોઈએ.

હું ઈબાદત એટલે કરતો નથી,
કોક એવી માંગણી તો જોઈએ.

શક્ય છે કે દુઃખ પછી આવે જ નહિ,
એક સુખને અવગણી તો જોઈએ.

જેમ બાળક શબ્દ પહેલો મા ભણે,
એમ ગુજરાતી ભણી તો જોઈએ.

- ચિરાગ ત્રિપાઠી

ગુજરાતી ભાષામાં વર્તમાન સમયમાં સૌથી વધારે લખાતો કોઈ સાહિત્યપ્રકાર હોય તો તે ગઝલ છે. અમુક લોકો એમ કહે છે કે આ ગુજરાતી ગઝલનો સુવર્ણકાળ છે, જેમાં વિપુલ પ્રમાણમાં ગઝલો લખાય છે અને શ્રદ્ધેય લખાય છે. જ્યારે અમુક લોકો એવું પણ માને છે કે આ ગુજરાતી કવિતાનો અધોગતિનો કાળ છે. કેમકે ગઝલનું સ્વરૂપ અન્ય સ્વરૂપ ઉપર એ હદે આવી થઈ ગયું છે કે નવો આવનાર કવિ મોટે ભાગે ગઝલથી જ લખવાની શરૂઆત કરે છે અને પછી ગઝલપ્રેમને લીધે મળતી લોકપ્રિયતાના નશામાં તે અન્ય સ્વરૂપોને અવગણી દે છે. પુષ્કળ ગઝલો લખાય છે તેમાં મોટાભાગની નબળી હોય છે તેવું પણ ઘણાનું માનવું છે.

જોકે કોણ શું માને છે તેનાથી સાધારણ ભાવકને કશી લેવા દેવા નથી હોતી. તે તો ઘાયલસાહેબે કહ્યું છે તેમ, ‘જે આવે ગળામાં ઊલટથી એ ગાઈ જવામાં લિજ્જત છે.’વાળી ફિલસૂફીમાં માનનારો છે. ઘણા વાતચીત અને વ્યવહારમાં પણ ગઝલના શેર ટાંકીને પોતાની વાત રજૂ કરતા હોય છે.

ગઝલ અધિક લોકપ્રિય બનવાનાં ઘણાં કારણો છે. માત્ર બે જ પંક્તિમાં વાત, સીધી રીતે થતું પ્રત્યાયન. ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજીની સરળ અભિવ્યક્તિ, જોકે હવે ગઝલમાં કોઈ વિષયબાધ નથી રહ્યો. ઇશ્કેહકીકી અને ઇશ્કેમિજાજીથી બહાર આવીને ગઝલ વિષયના વિશાળ આકાશમાં ઊડી રહી છે. ગઝલ તેના દોર-દમામને લીધે લોકહૈયામાં વધારે સ્થાન પામી શકી છે. ગઝલમાં ઠાઠ અને ઠસ્સો હોવો જોઈએ. ચિનુ મોદીએ લખ્યું છે તેમ, “ઠાઠ-ભપકા એ જ છે ઈર્ષાદના, ઘર બળે તો તાપી જોવું જોઈએ.” પોતાનું જ ઘર બળતું હોય તોય આરામથી તાપી શકવાની તાકાત હોવી જોઈએ. ગમે તેવી સ્થિતિ સામે ખુમારીથી ઊભા રહી શકવાની હામ હોવી જોઈએ, જનાબ ખલીલ ધનતેજવીએ લખ્યું છે ને, “ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી, હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું.” શાયરમાં નમ્રતાપૂર્વકની એક ખુમારી હોય છે. એ ક્યારેક પોતાના દુઃખને પણ એટલું ગુલાબી મિજાજથી રજૂ કરે કે તેની સાથે સુખ પણ ફિક્કુ લાગે, જલન માતરીનો શેર યાદ કરો, “સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આજ છે; સુખ એ અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે.” શાયર પોતાની લાચારી પણ દોર-દમામ સાથે રજૂ કરે. તોર સાથે વાત કરે ત્યારે ગઝલમાં સવિશેષ ઠસ્સો ઊભરાતો હોય છે. અને આ ઠસ્સાની પણ મજા છે. ગાલિબે લખ્યું છેને, “પૂછતે હૈ વો કિ ગાલિબ કૌન હૈ, કોઈ બતલાયે કિ હમ બતલાયેં ક્યા?” આમાં તમને ગાલિબનો ગર્વ અને મિજાજ દેખાઈ આવશે.

ચિરાગ ત્રિપાઠી તો આ ગઝલના પહેલા શેરમાં જ ટણીની વાત કરે છે. ભલે ફૂલ હોય, પણ શાયર એ ફૂલમાં દર વખતે સુગંધ જ ઉમેરે એ જરૂરી નથી. એની પાંદડીઓની કુમાશ રજૂ કરવી, તેને ચિમળાયેલી રજૂ કરવી કે ધારદાર એ તો શાયર પોતાના મિજાજ પ્રમાણે નક્કી કરશે. અહીં પણ કવિએ એ જ કર્યું છે. ગઝલ છે તો ગઝલમાં ઠાઠ અને ટણી તો રહેવાના. અમુક લોકોને તેમાં મિથ્યા અભિમાન પણ દેખાઈ શકે. પણ એ તો તેમની નજર પર નિર્ભર છે. પણ અભિમાન નથી, સ્વાભિમાન છે. અને ગઝલ માત્ર તોર અને ટણી પૂરતી બંધાયેલી નથી. એ સમાજજીવનના તમામ વિષયને સરખી રીતે સ્પર્શી શકે છે. ભરતમૂનિએ નાટ્યશાસ્ત્રમાં દર્શાવેલા નવે રસને તે શેરિયતમાં વિવિધ રીતે પરોવી શકે છે. કવિ પર નિર્ભર છે કે તેને શું કહેવું અને કઈ રીતે કહેવું. આ ટણી અને ઠસ્સો તો ગઝલનો એક ભાગ છે. પ્રથમ શેર પછીના શેર પણ ખૂબ સરળ અને સુંદર થયા છે. એ શેરનો રસાનંદ વાચકો પર જ છોડીને ચિરાગ ત્રિપાઠીની અન્ય એક નાનકડી ગઝલ સાથે લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

ગામનું એ ઘર અમે ભૂલી ગયા,
વાવ ને પાદર અમે ભૂલી ગયા.

એટલે તો શિલ્પ કંડારી શક્યા,
એ હતો પથ્થર અમે ભૂલી ગયા.

ત્યાં ય મથતાં આંસુઓને રોકવા,
સુખનો છે અવસર અમે ભુલી ગયા.

લ્યો ફરી વસ્તી ગણતરી થઈ અને,
લ્યો ફરી ઈશ્વર અમે ભૂલી ગયા .

- ચિરાગ ત્રિપાઠી

નામ શૂન્ય અને મૂલ્ય આંક્યું ન અંકાય તેવું...

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

પતવાર ને સલામ, સિતારાને રામરામ,
મજધારે જઈ રહ્યો છું, કિનારાને રામરામ.

ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહીં,
નૌકાને તારનાર ઈજારાને રામરામ.

દિલને દઝાડતો રહ્યો; ભડકી શક્યો નહીં,
નિર્માલ્ય એવા પ્રેમ-તિખારાને રામરામ.

મારો જનાજો છે હવે મારી જ ખાંધ પર,
મૃત્યુ પછીના સર્વ સહારાને રામરામ.

દીધો છે સાદ ‘શૂન્ય’ ગહનતાઓએ મને,
કાંઠે ટહેલવાના ધખારાને રામરામ.

– ‘શૂન્ય’ પાલનપુરી

એક વખત ડિસાના ગેસ્ટહાઉસમાં નવાબે અલીખાન ઉસ્માનખાન બલોચ નામના એક માણસને કહ્યું કે, હજુ સુધી પાલનપુરનું નામ રોશન કરે એવી કોઈ વ્યક્તિ નથી થઈ. આ વાત અલીખાનને લાગી આવી. તેમણે ‘અઝલ પાલનપુરી’ના નામે ગઝલો લખવાની શરૂઆત કરી. તેમની ગઝલની આ સફર ચાલતી રહી અને ઉર્દૂમાં તેમનો રંગ ‘રૂમાની’ થયો. એક દિવસ ગુજરાતી ભાષાના મોભાદાર શાયર ઘાયલ સાથે જૂનાગઢમાં તેમની મુલાકાત થઈ. અલીખાન બલોચ ઉર્ફ અઝલ પાલનપુરીની ઉર્દૂ ગઝલો સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા. ઘાયલસાહેબે આ ઉર્દૂશાયરે લખેલી ગુજરાતી ડાયરી જોઈ અને તેમને કહ્યું કે ગુજરાતી આટલું સારું છે તો ગુજરાતીમાં જ લખોને. અને અલીખાને ગુજરાતીમાં ભાષાના ફળિયે પોતાની કૂંપણ મૂકી. ઘાયલસાહેબે તેમને ‘શૂન્ય’ તખલ્લુસ આપ્યું અને તેઓ ‘શૂન્ય પાલનપુરી’ તરીકે ઓળખાયા.

પાલનપુર ગુજરાતી ગઝલનું મક્કા ગણાય છે. જેમ પટોળા પાટણના, તેમ ગઝલો પાલનપુરની એવું પણ ઘણા લોકો માનતા. કેટકેટલા શાયરો આપ્યા આ શહેરે. શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, ઓજસ પાલનપુરી, મુસાફિર પાલનપુરી, અમર પાલનપુરી, અગમ પાલનપુરી, આતિશ પાલનપુરી, કમલ પાલનપુરી, પંથી પાલનપુરી અને આવા બીજા અનેક શાયરો. ગુજરાતી ગઝલમાં પાલનપુરી કવિઓનું પ્રદાન અવગણીને આગળ વધી શકાય તેમ નથી. ગઝલને પાલનપુરી રંગ ચડાવનાર એક અદ્ભુત શાયર જનાબ શૂન્ય પાલનપુરીનો આજે જન્મ દિવસ છે. 19 ડિસેમ્બર 1922ના રોજ અમદાવાદના લીલાપુરમાં જન્મેલા આ કવિએ ગુજરાતી ગઝલની સંખ્યામાં પોતાનું મીંડું અર્થાત્ ‘શૂન્ય’ ઉમેરીને તેનું મૂલ્ય અનેકગણું વધાર્યું છે. એમાં કોઈ બેમત નથી. નામ ભલે શૂન્ય હોય, પણ તેમનું મૂલ્ય આંક્યું ન અંકાય તેવું છે.

તેમની ગઝલ અને રજૂઆતમાં રહેલી ખુમારી તેમના જીવનમાં પણ હતી. આમ પણ મા શારદાનાં સંતાનોને ખુમારી અને ખુદ્દારી વારસામાં મળતી હોય છે.

મુંબઈમાં એક હીરાના વેપારી એમની ગઝલોના ખૂબ ચાહક થઈ ગયેલા. એ વખતે શૂન્યસાહેબ કુર્લામાં રહેતા હતા. વેપારી તેમની ગઝલો પાછળ એટલા પાગલ કે એક દિવસ પૈસા ભરેલી આખી બેગ લઈને શૂન્ય સાહેબને ભેટ આપવા આવી પહોંચ્યા. પણ શૂન્યસાહેબે પૈસાને નકાર્યા અને તે ગઝલચાહકના પ્રેમને આવકાર્યો. આનાથી તે ચાહક વધારે પ્રભાવિત થયા અને શૂન્યસાહેબને તેમના ખર્ચે યુરોપપ્રવાસે જવા મનાવ્યા.

શૂન્યસાહેબના હૃદયની નેકી અને પવિત્રતા તેમના વ્યવહારમાં પણ છલકાતી. 1987માં જ્યારે શૂન્યસાહેબને બીજો એટેક આવ્યો ત્યારે તેમને ત્રણ દિવસ હૉસ્પિટલમાં રાખવા પડ્યા હતા. ત્યાંથી રજા મળી કે તરત જ તેમણે પોતાના દીકરા તનસીમને કહ્યું કે, મુંબઈ જ્યાં હું રહેતો હતો ત્યાં પ્રેસ ક્લબમાં મારું 37.50 રૂપિયાનું બિલ બાકી છે. વહેલી તકે ચૂકવી આવ. દીકરાએ કહ્યું, શું ઉતાવળ છે, તમારી તબિયત સારી થાય પછી જઈ આવીશ. તો તરત શૂન્યસાહેબે કહ્યું, ‘હું કોઈ પણ પ્રકારની ઉધારીના ભાર સાથે જગતમાંથી જવા નથી માગતો.’ આ તેમની નેકી હતી. અને કદાચ આ નેકી જ તેમને ગઝલોમાં વધારે રમમાણ થવામાં મદદરૂપ થતી.

અહીં લોગઇનમાં ટાંકવામાં આવેલી ગઝલમાં પણ શૂન્યસાહેબની ખુમારી અનુભવાશે. આપણે ત્યાં મળતી કે વિદાય લેતી વખતે ‘રામરામ’ બોલવામાં આવે છે. આ જ શબ્દને રદીફ તરીકે લઈને શૂન્યસાહેબે પોતાના કૌવતથી ગઝલને જીવંત બનાવી દીધી છે. કિનારાને રામરામ કહીને મઝધારમાં જતા આ શાયરને તેમની અંદરની ગહનતાએ તેમને સાદ દીધો હતો, એટલે જ કદાચ કાંઠે ટહેલવાના તુચ્છ ધખારાને તેઓ અલવિદા કે રામરામ કહી શકતા હતા.

‘પરિચય છે મંદિરમાં દેવનો મારો...’ કે ‘અમે તો કવિ કાળને નાથનારા’ કે ‘આવ્યો છે જમાનો ફૂલોનો’ જેવી અનેક રચનાઓમાં તેમના ભાવ, સ્વભાવ અને જીવનની ખુમારી છલકાતી જોઈ શકાય છે. આ મુક્તક જુઓઃ મોતની તાકાત શી મારી શકે? જિંદગી તારો ઈશારો જોઈએ; જેટલે ઊંચે જવું હો માનવી, તેટલા ઉન્નત વિચારો જોઈએ.’ વિચારોમાં રહેલું ઉન્નપણું કઈ રીતે વ્યક્ત કરવું તેનો કસબ તે બહુ સારી રીતે જાણતા હતા. એટલા માટે જ તે ‘શૂન્ય’ હોવા છતાં સવાયા બની રહ્યા. તેમના શબ્દનો વૈભવ ગુજરાતી ગઝલનો આગવો મુકામ છે. તેમણે કરેલો ઉમર ખય્યામનો અનુવાદ તો કાબિલેદાદ છે. અગાઉ આપણે અહીં આ કોલમમાં તેના વિશે વાત કરી ચૂક્યા છીએ. પોતાના સર્જન, વિસર્જન, અવશેષ, સ્મારક અને સ્મૃતિ થકી ગઝલનો આગવો વૈભવ ઊભો કરનાર આ શાયરને તેમના જન્મદિને દિલથી સલામ.

લોગઆઉટઃ

શ્વાસના પોકળ તકાદા છે, તને માલમ નથી,
નાઉમેદીના બળાપા છે, તને માલમ નથી;
જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે,
મોતના આ ધમપછાડા છે, તને માલમ નથી.

– શૂન્ય પાલનપુરી

શબ્દોનું ધન અને અર્થનું તેજ ધરાવનાર શાયરઃ ખલીલ ધનતેજેવી

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે,
તરણું ઊખડી જાય તો કે’જે મને.
જિંદગી તારાથી હું થાક્યો નથી,
તું જો થાકી જાય તો કે’જે મને.

– ખલીલ ધનતેજવી

શબ્દોનું ધન અને અર્થનું તેજ ધરાવનાર શાયર એટલે જનાબ ખલીલ ધનતેજવી. લગભગ શયદાથી લઈને છેક આ લખનાર સુધીના અનેક શાયરો સાથે મંચ ગજવનાર આ શાયરે ગુજરાતી ગઝલનું અજવાળું અનેક અંધારી ગલીઓ સુધી પહોંચાડ્યું છે. સતત પાંસઠેક વર્ષ સુધી ગઝલના ગરમાળાને હર્યોભર્યો રાખનાર આ શાયરે ખેતી કરી, પત્રકારત્વ કર્યું, ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું, નવલકથાઓ લખી, લેખો લખ્યા, છાપામાં કોલમો પણ લખી, પરંતુ તેમનો જીવ તો કવિતાનો જ રહ્યો. ગઝલ એ તેમની મુખ્ય ઓળખ રહી. ખલીલ ધનતેજવીના નામ માત્રથી ઘણા કાર્યક્રમો શ્રોતાઓથી છલકાઈ જતા. તેમનો ઘેઘૂર અવાજ રીતસર મોહિની ઊભી કરતો. એમાંય જ્યારે તેઓ ‘તમે મને મૂકી વરસો...’ એટલું કહે તો શ્રોતાઓ તરત બોલી ઊઠે, ‘ઝાપટું આપણને નહીં ફાવે!’ અને ખરેખર, આ શાયરને ઝાપટું ન જ ફાવ્યું, જીવ્યા ત્યાં સુધી મુશળધાર રહ્યા. ચિનુ મોદી ખલીલસાહેબની રજૂઆત અને લોકપ્રિયતાને જોતા તેમને સૌથી અંતે રજૂ કરતી વખતે કહેતા, ‘ના દાખલો, ના દલીલ, હવે માત્ર ખલીલ...’ અને પછી તો રીતસર શ્રોતાઓમાં તેમની ગઝલની ભુરકી છવાઈ જતી.

તેમની ગઝલોમાં રહેલી સરળતા શ્રોતાઓના હૃદયમાં ઊતરી જતી. સાંભળનારને એવું લાગતું જાણે આ શાયર અમારી જ વાત કરી રહ્યો છે. નહીં અલંકારના વધારે ઠઠેરા, ન વિશેષણોના વધારે પડતા વાઘા. સ્વભાવ અને શાયરીમાં રહેલી ‘સાદગી’માં જ આ શાયરના જીવનનો ‘સારાંશ’ આવી જાય છે. તેમણે કવિતારસિકોને ગઝલના ‘સરોવર’ની ‘સોગાત’ ધરી. તો ‘સૂર્યમૂખી’ સૂરજ સાથે ‘સગપણ’ બાંધે એવું ગઝલ સાથે સગપણ બાંધીને આગવાં ‘સોપાન’ પણ સર કર્યાં. ખલીલ ઈસ્માઇલ મકરાણી નામ ધરાવનાર આ શાયરે પોતાના ગામ ‘ધનતેજ’ પરથી ‘ધનતેજવી’ અપનાવીને ખરેખર ધન અને તેજ સાર્થક કર્યા. જાણીતા વિવેચક શકીલ કાદરીએ તેમના વિશે કહેલું, “ગઝલ આજે આટલી લોકપ્રિય કક્ષાએ પહોંચી છે, તેમાં ખલીલ ધનતેજવીનો બહુ મોટો ફાળો છે.”

મંચ પરથી ગઝલપાઠ કરતી વખતે તેમને ક્યારેય ડાયરી, ચિઠ્ઠી કે ચબરખીની જરૂર પડી નથી. એક વાર શરૂઆત કર્યા પછી અસ્ખલિત રીતે તેમની વાણી વહ્યા કરતી અને શ્રોતાઓમાં તેમાં ભીંજાતા રહેતા. શાયરી દ્વારા તેઓ સમાજ પર કટાક્ષ કરતા, ‘વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી.’ એવું મોં પર પરખાવી દેવાની ખુમારી પણ તેમના શબ્દોમાં હતી. તો વળી, ‘ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો, આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો.’ આમ કહીને તેઓ વિરોધીઓ અને કહેવાતા સ્વજનો પર ભારોભાર કટાક્ષ પણ કરી લેતા. ગઝલ એ માત્ર શબ્દોની રમત નથી એ વાત તેઓ સારી રીતે જાણતા હતા, એટલે જ કહેતા હતા, “ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ, આ તો હૃદયની વાત છે હાંફી જવાય છે.” હૃદયની વાત તેઓ હૃદયથી કરી શકતા હતા. પ્રેમ, વિરહ, સામાજિક મૂલ્યોનું થતું પતન, સંસ્કૃતિ, સંસ્કાર અને ખુમારીની વાતો તેમની ગઝલમાં જોવા મળતી. તેમણે પોતે પણ એક શેરમાં કહ્યું છે, ‘ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી; હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું.’

ઉર્દૂમાં પણ તેમણે ઘણી ગઝલો રચી છે. જગજિતસિંઘે ગાયેલી, ‘अब मैं राशन की कतारो में नजर आता हूं, अपने खेंतों से बिछडने की सज़ा पाता हूं ।’ ગઝલ તો ખૂબ લોકપ્રિય છે.

અહીં લોગઇનમાં આપવામાં આવેલું મુક્ત જુઓ, તેમને જે કહેવું હતું છે તે સટીક અને સરળ ભાષામાં કહ્યું છે. ઝંઝાવાત આવશે તો એને વૃક્ષ નહીં વેઠી શકે, એ તૂટી જશે. પણ તરણું અકબંધ રહેશે. વૃક્ષની અક્કડતા તેને નડશે. છેલ્લી ઘડી સુધી શાયરીને જીવનાર આ શાયર જિંદગીથી કદી થાક્યો નહીં. કદાચ જિંદગી થાકી ગઈ. એટલે જ થોડા મહિનાઓ પહેલા, તારીખ 4 એપ્રિલ 2021ના રોજ આપણે તેમને ગુમાવ્યા. આવા મુઠ્ઠી ઊંચેરા શાયરનો આજે જન્મદિન છે. તારીખ 12 ડિસેમ્બર 1938ના રોજ ધનતેજ ગામે અવતરનાર આ શાયરરત્નએ ગુજરાતી ગઝલને નામ અને દામ અપાવવામાં ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો છે. શકીલ કાદરીના શબ્દોમાં ફરી કહીએ તો, “ભલે સાહિત્યિક રીતે એ વધારે મૂલ્યવાન ન લાગે, પણ સામાન્ય લોકોને સ્પર્શે એવો સમાજનો અસલી ચહેરો તેઓ ગઝલમાં સાદી રીતે રજૂ કરતા હતા.” અને એટલે જ લોકોને તેમની ગઝલો વિશેષ ગમતી હતી. આજે તેમના જન્મદિને તેમને લાખલાખ વંદન.

લોગઆઉટઃ

લે આ મારી જાત ઓઢાડું તને;
સાહેબા, શી રીતે સંતાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.

કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને.

ઘર સુધી આવવાની જિદ્દ ન કર,
ઘર નથી, નહિતર ના પાડું તને?

તું ખલીલ, આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને.

– ખલીલ ધનતેજવી

ચાક પર શું શું ધર્યું છે, મૂર્ખ તુજને ભાન છે?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇનઃ

જામ ઘડનારા કરે છે શું તને કંઈ જ્ઞાન છે?
જેને તું ખુંદી રહ્યો છે એ તો એક ઇન્શાન છે.
આંગળી અકબરની, માથું કોઈ આલમગીરનું,
ચાક પર શું શું ધર્યું છે, મૂર્ખ તુજને ભાન છે?

– ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)


કવિએ લખેલો ઉત્તમ શબ્દ ક્યારેય નાશ પામતો નથી, તેનું જીવંત ઉદાહરણ એટલે ઉમર ખૈય્યામ. ખય્યામસાહેબ તેમના સમયમાં ગણિતમાં ગળાડૂબ રહેતા અને ખગોળશાસ્ત્રી તરીકે ખૂબ જાણીતા. જ્યોતિષનું પણ ઊંડું જ્ઞાન ધરાવતા. સુલતાન જલાલુદ્દીન મલેક શાહના દરબારમાં રાજજોષી તરીકે પણ રહેલા. 109 વર્ષની દીર્ઘ આયુષ્ય ભોગવનાર ખય્યામસાહેબ તેમના સમયમાં કવિ તરીકે કંઈ ખાસ જાણીતા નહોતા. કેટલાક વિદ્વાનો તો ખય્યામે કવિતા લખી હોવા વિશે પણ શંકા સેવતા હતા. કારણ કે તેમના કોઈ પણ સમકાલીને તેમની કવિતાની નોંધ લીધી નથી. પરંતુ એ. જે. એવબરીએ તેરમી સદીની હસ્તપ્રતના આધારે આવી 250 અધિકૃત રુબાયત શોધી કાઢી છે. તેમના અવસાનના લગભગ સાતસોએક વર્ષે આંગ્લ કવિ એડ્વર્ડ ફિટ્સજીરાલ્ડે તેમની કવિતાના અનુવાદ કર્યા. તેમણે ખય્યામની ઘણી રુબાયતોનો મુક્ત ભાવવાહી શૈલીમાં કરેલો ‘ધ રુબાયત ઑફ ઓમર ખય્યામ’ (1859) નામનો અનુવાદ હજુ પણ ઉત્તમ મનાય છે. આ અનુવાદ પછી ખય્યામસાહેબ કવિ તરીકે લોકપ્રિય થતા ગયા. તેમના ચાહકો વધતા જ ગયા. અમુક ચાહકોએ તેમના નામે ક્લબ બનાવી. અમુકે તો તેમના જન્મસ્થળે કે મૃત્યુસ્થળે જઈને ત્યાંથી માટી લાવીને તેમાં છોડ ઉછેર્યા.

ત્યાર પછી તો ખૈય્યામસાહેબની રૂબાયતોના અનુવાદો વિશ્વની સેંકડો ભાષાઓમાં થયા. રુસ્તમ ભાજીવાલા નામના એક પારસી સખ્શે લગભગ સોએક વર્ષ પહેલાં તેમની રુબાયતો ગુજરાતીમાં અવતારેલી, જેમાં પારસી બોલીની વિશેષ છાંટ જોવા મળે છે. ગુજરાતી ભાષામાં શૂન્ય પાલનપુરીએ કરેલા અનુવાદો સૌથી શ્રેષ્ઠ ગણાય છે. એવું કહેવાય છે કે જો ઉમર ખૈય્યામ પોતે આ અનુવાદો વાંચે તો પોતાની તમામ રુબાયતો શૂન્ય સાહેબને અર્પણ કરી દે! તેમણે ગુજરાતીમાં અનુવાદ કરીને સંપૂર્ણ ગુજરાતી ક્લેવર ચડાવી દીધું, એ પણ મૂળ કવિતાના ભાવમાં જરા પણ ફેરફાર કર્યા વિના!

ઉમર ખૈય્યામનું મૂળ નામ ગ્યાસુદ્દીન ફત્હ ઉમર. ‘ખૈય્યામ’ એમનું તખલ્લુસ. તેનો અર્થ થાય છે તંબુ સીવનાર. તેમના પૂર્વજો તંબુ સીવવાનો વ્યવસાય કરતા હતા. તેમનો 18 મેં 1048ના રોજ ઈરાનના નીશાપુર ગામમાં થયો હતો અને અવસાન 4 ડિસેમ્બર 1131ના રોજ થયું હતું. ગઈ કાલે તેમની પૂન્યતિથિ હતી. પોતાના સમયમાં ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, જ્યોતિષ તરીકે પ્રસિદ્ધ ખય્યામસાહેબ ભવિષ્યમાં મહાન કવિ તરીકે પ્રસિદ્ધ થશે એવું કોણ કહી શકે? પણ કવિતાનો શ્રેષ્ઠ શબ્દ ક્યારેય નાશ પામતો નથી. તે વહેલા-મોડા તે પોતાનું અજવાળું પાથરે જ છે.

ખય્યામસાહેબ પોતાની રુબાયતોમાં જીવનની નશ્વરતા વિશે બહુ સહજતાથી વાત કરે છે. તેની માટે તેઓ શાકી, શરાબ, જામ, માટી, કુંભાર જેવાં અનેક પ્રતીકોનો બખૂબી ઉપયોગ કરે છે. શૂન્યસાહેબે અનુવાદિત કરેલી આ રુબાયતોમાં પણ એ અનુભવાશે. આપણે ત્યાં કહેવાય છે કે મનખાદેહ માટીનો બનેલો છે. પરંતુ કવિ આ વાત સાવ સીધી સપાટ નથી કહેતા. તેઓ માટી ખુંદી રહેલા કુંભારને કહે છે કે ભાઈ માટી ખુંદનાર, તને કંઈ ભાનબાન છે કે નહીં, તું જે માટી ખુંદી રહ્યો છે, એ માટી નથી, પણ માનવો છે. માનવદેહ નાશ પામીને છેવટે માટીમાં ભળી જતો હોવાથી એક રીતે જોવા જઈએ તો કુંભાર માનવદેહને જ ખુંદી રહ્યો છે તેમ કહેવામાં આવે તો તેમાં જરાય ખોટું નથી. આ માટીમાં કોણ નથી ભળ્યું? સમ્રાટ, સંત, રાજા કે ભીખારી – રૂપાળું કે કદરૂપું, બધું છેવટે માટીમાં એકસમાન થઈ ગયેલું છે. તે કુંભારને એમ કહે છે કે તું શું ખુંદી રહ્યો છે તેનું કંઈ ભાનબાન છે?

આ પ્રતીકો દ્વારા ખય્યામસાહેબ જીવનની નશ્વરતા તરફ આંગળી ચીંધે છે. તેમની રુબાયતોમાં જીવનની નશ્વરતા, પ્રેમની પવિત્રતા, જીવ, જગત અને ઈશ્વર વિશેની ગહન ફિલસૂફીઓ રજૂ થઈ છે. તેમની જ અન્ય બે રુબાયતોથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

શું કુબેરો? શું સિકંદર? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ

– ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)

એક દિન હતો, એક પળ હતી...

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

એક દિન હતો, એક પળ હતી, એક આંખડી ચંચળ હતી,
ને પ્રાણના ઉપવન વિશે ઊર્મિ-નદી ખળખળ હતી,
ને જે પરાયાં થઈ પડ્યાં’તાં દૂરની ભૂમિ પરે,
રે, તેમને સૌને નજીકમાં આણવાની કળ હતી!
એક દિન હતો, એક પળ હતી!

તે દિન ગયો, તે પળ ગઈ, તે આંખડી ચંચળ ગઈ,
તે ઊર્મિઓ ગળગળ ગઈ, તે જિંદગી વિહ્વળ ગઈ;
યૌવન ગયું, ઉપવન ગયું, જીવન ગયું, નન્દન ગયું,
નર્તન ગયું, કીર્તન ગયું : બાકી હવે ક્રન્દન રહ્યું!
એક દિન હતો, એક પળ હતી!

– કરસનદાસ માણેક

આજે આ રચનાના કવિની કરસનદાસ માણેકની જન્મતિથી છે. 28 નવેમ્બર 1901ના રોજ કરાંચીમાં તેમનો જન્મ થયો, પણ તેમનું મૂળ વતન જામનગર જિલ્લાનું હડિયાણા ગામ. 18 જાન્યુઆરી 1978ના રોજ તેમણે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી. તેમની મૂળ ઓળખ કવિ તરીકેની, પરંતુ તેમણે વાર્તાઓ અને નિબંધો પણ લખ્યા છે. તેમની એક ગઝલ તો ખૂબ જ જાણીતી છે. ‘મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે / ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે!’ તેમાં સદમાર્ગે ચાલતા માણસોને વેઠવી પડતી પીડા અને ખોટાં કામો કરતાં લોકોના લહેરભર્યા જીવન પર તેમણે અદ્ભુત કટાક્ષ કર્યો છે. એકાદ મુઠ્ઠી અનાજ ચોરનાર માણસ જેલની સજા ભોગવે અને લાખોની કટકી કરનારા મહેફિલોમાં જલસા કરે એવું આજના સમયમાં પણ બને છે. જે ગાય દૂધ આપે તેને એક સૂકું તણખલું પણ ન મળે અને ચારેબાજુ શિંગડા મારતા ફરતા આખલાઓ લીલાંછમ ખેતરો ચરી જાય એવું બને. જીવતા માણસના કૂબામાં એક ટીપું તેલ પણ ન મળે, ને મરેલા માણસની કબર પર ઘીના દીવા થાય એવું પણ ક્યાં નથી થતું? આ જ તો જગતની વિસમતા છે. કરસનદાસ માણેક આ વિસમતાને બહુ સારી રીતે સમજી શકતા હતા.

આ કવિતામાં પણ એક પ્રકારની વિસમતા છે. આ કવિતા વાંચીને તમને સૈફ પાલનપુરીની ‘શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી’ યાદ આવી જાય. એક સમયે ઝરૂખા પર એક અદ્ભુત રૂપવંતી નારી બેઠી હતી, તેના સૌંદર્ય અને આભા એવા હતા કે તેના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી. પણ વર્ષો પછી ફરીથી ત્યાં જવાનું થાય છે અને કવિ એ સૌંદર્યથી છલકાતો ઝરૂખો સૂનો જુએ છે. કરસનદાસ માણેકની કવિતામાં પણ આવો વિરોધાભાસ છે.

એક સમયે કોઈની માટે આંખ ચંચળ હતી, ઉત્સુક હતી, આનંદિત હતી. અંગેઅંગમાં ઊર્મિની નદી ખળખળ વહેતી હતી. આ ઊર્મિ કોના માટે વહી રહી હતી? તેનો જવાબ તેમણે પછીની પંક્તિમાં આપ્યો છે, ‘જે પરાયા થઈ પડ્યાં’તાં દૂરની ભૂમિ પરે’. અહીં ‘પડ્યાં’તાં’ શબ્દ પર મૂકવામાં આવેલાં અનુસ્વાર સૂચક બની જાય છે. સ્ત્રીને માનાર્થે બોલાવવામાં આવે ત્યારે અનુસ્વાર વપરાય તેવો ગુજરાતી વ્યાકરણનો નિમય છે. તેના આધારે જ ખ્યાલ આવે છે કે કવિ પોતાની પ્રેમિકા કે ગમતાં સ્ત્રી પાત્રની વાત કરી રહ્યા છે. એ પાત્ર પોતાની નજીક આણવાની તેમની ઝંખના છે. તે પાસે આવે અને હૈયામાં વહેતી ઊર્મિની નદીમાં સ્નાન કરે, એવી મનોકામના પણ ખરી. એ ગમતાં પાત્રની સાથે જે કોઈ દૂર છે, એ બધાને પોતાની નજીકમાં આણવાની તેમની ઇચ્છા હતી, પણ એવું થયું નહીં. તો શું થયું?

દિન વીતી ગયો, પળ ચાલી ગઈ. જે આંખડી ચંચળ હતી, તેની ચંચળતા કાળના પ્રવાહમાં ક્યાંક તણાઈ ગઈ. આંખ ઓશિયાળી થઈ ગઈ, નજરનું નાણું વેડફાઈ ગયું. ઊર્મિઓ નદી જેમ ખળખળતી હતી તે સંજોગના પથ્થરોમાં સૂકવા લાગી. જિંદગી બેબાકળી થઈ ગઈ. આમ ને આમ આખું યૌવન જતું રહ્યું. આયખું ચાલ્યું ગયું. જેના માટે નેણમાં નર્તન થતું હતું, જેના માટે હૈયાના મંદિરમાં આઠે પ્રહર કીર્તન થતું હતું, તે કીર્તન ક્રંદનમાં ફેરવાઈ ગયું. આપણે ઇચ્છતા હોઈએ કીર્તન અને સાંપડે ક્રંદન, એ જ તો નસીબની બલિહારી છે. આશા અને નિરાશા નામની ઘંટીના બે પૈડાં વચ્ચે આપણે આજીવન અનાજ જેમ દળાતા રહીએ છીએ અને કાળ આપણને વાનગીની જેમ જમતો રહે છે. આ જ જિંદગીની એક સનાતન સત્ય છે.

કરસનદાસ માણેકની એક રચના તો પ્રાર્થનાની કક્ષાએ પહોંચી છે અને આજે પણ અનેક સ્કૂલો-કૉલેજોમાં તે પ્રાર્થનાસ્વરૂપે ગવાય છે. તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો!
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો,
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો;
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો;
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો,
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો;
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો;
મારું જીવન અંજલિ થાજો !

– કરસનદાસ માણેક

કાન્તે જલ ઉપર ચંદ્રનો ઉદય જોયો એવો કોઈએ જોયો નથી!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

આજ, મહારાજ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા! કાલના સર્વ સંતાપ શામે!
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા! કાલના સર્વ સંતાપ શામે!

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

– કવિ ‘કાન્ત’

કાન્ત ગુજરાતી કવિતાની એક વિરલ ઘટના છે. અહીં આપવામાં આવેલી કવિતા ‘સાગર અને શશી’ તેમની ઉત્તમ રચનાઓમાંની એક છે. સુરેશ જોશીએ આ કવિતાનો ખૂબ સુંદર આસ્વાદ કર્યો છે. કવિ હસમુખ પાઠકે પણ ઉમાશંકર જોશી સંપાદિત ‘સંસ્કૃતિ’ સામયિકમાં આ કાવ્ય વિશે લખેલું. ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’માં પ્રસાદ બ્રહ્મભટ્ટે પણ આ કવિતા વિશે વિદ્વત્તાપૂર્ણ લખ્યું છે. આ સિવાય અનેક વિવેચકો-આસ્વાદકોએ આ કવિતાને આસ્વાદી છે. એટલે તેમાં ઉમેરો કરવાનો અહીં જરાયે આશય નથી.

પણ આ કવિતાના કવિ મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’ની આજે જન્મતિથિ છે. આજના દિવસે તેમની આ અદ્ભુત રચનાનો સ્વાદ ગુજરાતી કવિતારસિકો સુધી પહોંચે તે જરૂરી છે. તારીખ 20 નવેમ્બર 1987માં અમરેલી જિલ્લાના ચાવંડ ખાતે જન્મેલા આ કવિએ માત્ર એક જ, ‘પૂર્વાલાપ’ નામનો કાવ્યસંગ્રહ આપીને ગુજરાતી કવિતાજગતમાં પોતાનું સ્થાન હંમેશ માટે આરક્ષિત કરી નાખ્યું છે. ૧૯૨૩માં તેઓ કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતાં રાવળપિંડીથી લાહોર આવતી ટ્રેનમાં એમનું અવસાન થયું હતું. આ પણ એક કરૂણતા કહેવાય કે તેમનો સંગ્રહ તેમના અવસાનના દિવસે જ પ્રગટ થયેલો! તેમણે રવીન્દ્રનાથ કૃત ‘ગિતાંજલિ’નો પણ અનુવાદ કરેલો. ‘ગુરુ ગોવિંદસિંહ’ અને ‘રોમન સ્વરાજ્ય’ નામે બે નાટકો પણ લખેલાં. આ ઉપરાંત ‘શિક્ષણનો ઇતિહાસ’ કાન્તની ઊંડી અભ્યાસશીલતાના ફળ સમો ગ્રંથ છે. પણ તેમની મૂળ ઓળખ અને પ્રતિભા તો કવિ તરીકેની જ!

કહેવાય છે કે આ કવિતા પાછળ એક નાનકડી ઘટના જવાબદાર છે. કવિ કાન્ત ભાવનગરના રાજા ભાવસિંહજીના વખતમાં કેળવણી ખાતાના અમલદાર હતા. એક વખત કાન્તને સાથે લ‌ઈ ભાવનગરના મહારાજા ગોપનાથ ગયા હતા. રાતના સમુદ્રકાંઠે ગાલીચાઓ બિછાવી બેઠા હતા ત્યારે આકાશમાંથી ચાંદની વેરતો ચંદ્રમા, ઘૂઘવતો સમુદ્રતટ અને શીતળ વાયુએ મહારાજના હૃદયમાં પણ કાવ્યભાવ જગાડ્યો. તેમણે કાન્તને આદેશ કર્યો, ‘કવિ, આ જોઈને કરો કંઈ કવિત’ પછી ઉમેર્યું, ‘આપ વનવિહારિણી આ સંઘ્યાને આનંદથી અવલોકો. આજ કોઈ નવી કવિતા રચાશે તો મારી પણ સાંજ સુધરી જશે.’ એ વેળા આથમણા આકાશની લાલીમાના આરે ઓવારે, ફરફરતી કેસરી રંગની સંઘ્યાની ચૂંદડીમાં ફૂલગુલાબી રંગના બુટ્ટા છપાઈ ગયા અને રચાઈ ‘સાગર અને શશી’.

જોકે આ ઘટના કેટલી સાચી તેની કોઈ ઓથેન્ટિક માહિતી આ લખનાર પાસે નથી. પણ એ હકીકત છે કે કવિ કાન્તે જલ ઉપર ચંદ્રનો ઉદય જોયો, તેવો ગુજરાતી ભાષાના કોઈ કવિએ જોયો નથી! આ ઉદયની લાલીમા અને સૌંદર્ય તેમણે જે રીતે કવિતામાં પરોવ્યું છે તે અદ્ભુત છે.

છંદો ઉપરની તેમની હથોટી, ભાષાનું લાવણ્ય અને આલંકારિક રજૂઆત તેમની આગવી ઓળખ છે. તેમાંય ખંડકાવ્ય તો કાન્તના જ! કોઈ કવિએ કાન્તની ખંડકાવ્યની પ્રતિભા, બળવંતરાય ઠાકોરની સોનેટપ્રતિભા તથા ન્હાનાલાલની રાસ પરની હથોટીને બે પંક્તિમાં નવાજી છે. ‘ખંડકાવ્ય તો કાન્તના, બ.ક.ઠા.ના સોનેટ, ન્હાનલ કવિના રાસ, એથી સઘળું હેઠ.’
કાન્ત-કલાપી-ન્હાનાલાલ એ ત્રણે એક સમયના ગુજરાતી ભાષાના આગવા અધ્યાયો છે. આ સાહિત્ય-ત્રિવેણીએ ગુજરાતી ભાષાને ગરીમા અને ઊંચાઈ આપી છે. કાન્ત તો કલાપીના બહુ મોટા માર્ગદર્શક હતા. તેમની વચ્ચેનો પત્રવ્યવાવહાર પણ ગુજરાતી સાહિત્યની સંપદા છે. એક વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનમાં કાન્ત વ્યાખ્યાન આપી રહ્યા હતા. એ જ સમયે ખંડમાં દાખલ થઈ રહેલા નાનાલાલને સંબોધીને એમની જ પંક્તિથી કાન્તે તેમને વધાવ્યા હતા, ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ!’ આગળ જતા આ વધામણીને નાનાલાલે અક્ષરશઃ સાચી પાડી બતાવી! સુન્દરમના શબ્દોમાં કહીએ તો, ‘કાન્તની કવિતા ગુજરાતી કવિતામાં કળાની વસંતના આગમન જેવી છે, તો કાન્તની પાછળ પાછળ ચાલ્યા આવતા નાનાલાલની કવિતા એ વસંતના ઉત્સવ જેવી છે.’

બહુ ઓછા લોકોને ખબર હશે કે કવિ કાન્તે ગઝલ પણ લખેલી. તેનાથી જ લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

તને હું જોઉં છું, ચંદા! કહે! તે એ જુએ છે કે?
અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને,
વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે?

સખી! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે-
સ્મરંતાં ના શકું સૂઈ! કહે, સાથી સુએ છે કે?

સલૂણી સુંદરી ચંદા! ધરી તવ સ્વચ્છ કિરણોમાં-
હૃદયનાં ધોઉં છું પડ હું! કહે, તે એ ધુએ છે કે?

– કવિ કાન્ત