નામ શૂન્ય અને મૂલ્ય આંક્યું ન અંકાય તેવું...

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

પતવાર ને સલામ, સિતારાને રામરામ,
મજધારે જઈ રહ્યો છું, કિનારાને રામરામ.

ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહીં,
નૌકાને તારનાર ઈજારાને રામરામ.

દિલને દઝાડતો રહ્યો; ભડકી શક્યો નહીં,
નિર્માલ્ય એવા પ્રેમ-તિખારાને રામરામ.

મારો જનાજો છે હવે મારી જ ખાંધ પર,
મૃત્યુ પછીના સર્વ સહારાને રામરામ.

દીધો છે સાદ ‘શૂન્ય’ ગહનતાઓએ મને,
કાંઠે ટહેલવાના ધખારાને રામરામ.

– ‘શૂન્ય’ પાલનપુરી

એક વખત ડિસાના ગેસ્ટહાઉસમાં નવાબે અલીખાન ઉસ્માનખાન બલોચ નામના એક માણસને કહ્યું કે, હજુ સુધી પાલનપુરનું નામ રોશન કરે એવી કોઈ વ્યક્તિ નથી થઈ. આ વાત અલીખાનને લાગી આવી. તેમણે ‘અઝલ પાલનપુરી’ના નામે ગઝલો લખવાની શરૂઆત કરી. તેમની ગઝલની આ સફર ચાલતી રહી અને ઉર્દૂમાં તેમનો રંગ ‘રૂમાની’ થયો. એક દિવસ ગુજરાતી ભાષાના મોભાદાર શાયર ઘાયલ સાથે જૂનાગઢમાં તેમની મુલાકાત થઈ. અલીખાન બલોચ ઉર્ફ અઝલ પાલનપુરીની ઉર્દૂ ગઝલો સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા. ઘાયલસાહેબે આ ઉર્દૂશાયરે લખેલી ગુજરાતી ડાયરી જોઈ અને તેમને કહ્યું કે ગુજરાતી આટલું સારું છે તો ગુજરાતીમાં જ લખોને. અને અલીખાને ગુજરાતીમાં ભાષાના ફળિયે પોતાની કૂંપણ મૂકી. ઘાયલસાહેબે તેમને ‘શૂન્ય’ તખલ્લુસ આપ્યું અને તેઓ ‘શૂન્ય પાલનપુરી’ તરીકે ઓળખાયા.

પાલનપુર ગુજરાતી ગઝલનું મક્કા ગણાય છે. જેમ પટોળા પાટણના, તેમ ગઝલો પાલનપુરની એવું પણ ઘણા લોકો માનતા. કેટકેટલા શાયરો આપ્યા આ શહેરે. શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, ઓજસ પાલનપુરી, મુસાફિર પાલનપુરી, અમર પાલનપુરી, અગમ પાલનપુરી, આતિશ પાલનપુરી, કમલ પાલનપુરી, પંથી પાલનપુરી અને આવા બીજા અનેક શાયરો. ગુજરાતી ગઝલમાં પાલનપુરી કવિઓનું પ્રદાન અવગણીને આગળ વધી શકાય તેમ નથી. ગઝલને પાલનપુરી રંગ ચડાવનાર એક અદ્ભુત શાયર જનાબ શૂન્ય પાલનપુરીનો આજે જન્મ દિવસ છે. 19 ડિસેમ્બર 1922ના રોજ અમદાવાદના લીલાપુરમાં જન્મેલા આ કવિએ ગુજરાતી ગઝલની સંખ્યામાં પોતાનું મીંડું અર્થાત્ ‘શૂન્ય’ ઉમેરીને તેનું મૂલ્ય અનેકગણું વધાર્યું છે. એમાં કોઈ બેમત નથી. નામ ભલે શૂન્ય હોય, પણ તેમનું મૂલ્ય આંક્યું ન અંકાય તેવું છે.

તેમની ગઝલ અને રજૂઆતમાં રહેલી ખુમારી તેમના જીવનમાં પણ હતી. આમ પણ મા શારદાનાં સંતાનોને ખુમારી અને ખુદ્દારી વારસામાં મળતી હોય છે.

મુંબઈમાં એક હીરાના વેપારી એમની ગઝલોના ખૂબ ચાહક થઈ ગયેલા. એ વખતે શૂન્યસાહેબ કુર્લામાં રહેતા હતા. વેપારી તેમની ગઝલો પાછળ એટલા પાગલ કે એક દિવસ પૈસા ભરેલી આખી બેગ લઈને શૂન્ય સાહેબને ભેટ આપવા આવી પહોંચ્યા. પણ શૂન્યસાહેબે પૈસાને નકાર્યા અને તે ગઝલચાહકના પ્રેમને આવકાર્યો. આનાથી તે ચાહક વધારે પ્રભાવિત થયા અને શૂન્યસાહેબને તેમના ખર્ચે યુરોપપ્રવાસે જવા મનાવ્યા.

શૂન્યસાહેબના હૃદયની નેકી અને પવિત્રતા તેમના વ્યવહારમાં પણ છલકાતી. 1987માં જ્યારે શૂન્યસાહેબને બીજો એટેક આવ્યો ત્યારે તેમને ત્રણ દિવસ હૉસ્પિટલમાં રાખવા પડ્યા હતા. ત્યાંથી રજા મળી કે તરત જ તેમણે પોતાના દીકરા તનસીમને કહ્યું કે, મુંબઈ જ્યાં હું રહેતો હતો ત્યાં પ્રેસ ક્લબમાં મારું 37.50 રૂપિયાનું બિલ બાકી છે. વહેલી તકે ચૂકવી આવ. દીકરાએ કહ્યું, શું ઉતાવળ છે, તમારી તબિયત સારી થાય પછી જઈ આવીશ. તો તરત શૂન્યસાહેબે કહ્યું, ‘હું કોઈ પણ પ્રકારની ઉધારીના ભાર સાથે જગતમાંથી જવા નથી માગતો.’ આ તેમની નેકી હતી. અને કદાચ આ નેકી જ તેમને ગઝલોમાં વધારે રમમાણ થવામાં મદદરૂપ થતી.

અહીં લોગઇનમાં ટાંકવામાં આવેલી ગઝલમાં પણ શૂન્યસાહેબની ખુમારી અનુભવાશે. આપણે ત્યાં મળતી કે વિદાય લેતી વખતે ‘રામરામ’ બોલવામાં આવે છે. આ જ શબ્દને રદીફ તરીકે લઈને શૂન્યસાહેબે પોતાના કૌવતથી ગઝલને જીવંત બનાવી દીધી છે. કિનારાને રામરામ કહીને મઝધારમાં જતા આ શાયરને તેમની અંદરની ગહનતાએ તેમને સાદ દીધો હતો, એટલે જ કદાચ કાંઠે ટહેલવાના તુચ્છ ધખારાને તેઓ અલવિદા કે રામરામ કહી શકતા હતા.

‘પરિચય છે મંદિરમાં દેવનો મારો...’ કે ‘અમે તો કવિ કાળને નાથનારા’ કે ‘આવ્યો છે જમાનો ફૂલોનો’ જેવી અનેક રચનાઓમાં તેમના ભાવ, સ્વભાવ અને જીવનની ખુમારી છલકાતી જોઈ શકાય છે. આ મુક્તક જુઓઃ મોતની તાકાત શી મારી શકે? જિંદગી તારો ઈશારો જોઈએ; જેટલે ઊંચે જવું હો માનવી, તેટલા ઉન્નત વિચારો જોઈએ.’ વિચારોમાં રહેલું ઉન્નપણું કઈ રીતે વ્યક્ત કરવું તેનો કસબ તે બહુ સારી રીતે જાણતા હતા. એટલા માટે જ તે ‘શૂન્ય’ હોવા છતાં સવાયા બની રહ્યા. તેમના શબ્દનો વૈભવ ગુજરાતી ગઝલનો આગવો મુકામ છે. તેમણે કરેલો ઉમર ખય્યામનો અનુવાદ તો કાબિલેદાદ છે. અગાઉ આપણે અહીં આ કોલમમાં તેના વિશે વાત કરી ચૂક્યા છીએ. પોતાના સર્જન, વિસર્જન, અવશેષ, સ્મારક અને સ્મૃતિ થકી ગઝલનો આગવો વૈભવ ઊભો કરનાર આ શાયરને તેમના જન્મદિને દિલથી સલામ.

લોગઆઉટઃ

શ્વાસના પોકળ તકાદા છે, તને માલમ નથી,
નાઉમેદીના બળાપા છે, તને માલમ નથી;
જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે,
મોતના આ ધમપછાડા છે, તને માલમ નથી.

– શૂન્ય પાલનપુરી

શબ્દોનું ધન અને અર્થનું તેજ ધરાવનાર શાયરઃ ખલીલ ધનતેજેવી

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે,
તરણું ઊખડી જાય તો કે’જે મને.
જિંદગી તારાથી હું થાક્યો નથી,
તું જો થાકી જાય તો કે’જે મને.

– ખલીલ ધનતેજવી

શબ્દોનું ધન અને અર્થનું તેજ ધરાવનાર શાયર એટલે જનાબ ખલીલ ધનતેજવી. લગભગ શયદાથી લઈને છેક આ લખનાર સુધીના અનેક શાયરો સાથે મંચ ગજવનાર આ શાયરે ગુજરાતી ગઝલનું અજવાળું અનેક અંધારી ગલીઓ સુધી પહોંચાડ્યું છે. સતત પાંસઠેક વર્ષ સુધી ગઝલના ગરમાળાને હર્યોભર્યો રાખનાર આ શાયરે ખેતી કરી, પત્રકારત્વ કર્યું, ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું, નવલકથાઓ લખી, લેખો લખ્યા, છાપામાં કોલમો પણ લખી, પરંતુ તેમનો જીવ તો કવિતાનો જ રહ્યો. ગઝલ એ તેમની મુખ્ય ઓળખ રહી. ખલીલ ધનતેજવીના નામ માત્રથી ઘણા કાર્યક્રમો શ્રોતાઓથી છલકાઈ જતા. તેમનો ઘેઘૂર અવાજ રીતસર મોહિની ઊભી કરતો. એમાંય જ્યારે તેઓ ‘તમે મને મૂકી વરસો...’ એટલું કહે તો શ્રોતાઓ તરત બોલી ઊઠે, ‘ઝાપટું આપણને નહીં ફાવે!’ અને ખરેખર, આ શાયરને ઝાપટું ન જ ફાવ્યું, જીવ્યા ત્યાં સુધી મુશળધાર રહ્યા. ચિનુ મોદી ખલીલસાહેબની રજૂઆત અને લોકપ્રિયતાને જોતા તેમને સૌથી અંતે રજૂ કરતી વખતે કહેતા, ‘ના દાખલો, ના દલીલ, હવે માત્ર ખલીલ...’ અને પછી તો રીતસર શ્રોતાઓમાં તેમની ગઝલની ભુરકી છવાઈ જતી.

તેમની ગઝલોમાં રહેલી સરળતા શ્રોતાઓના હૃદયમાં ઊતરી જતી. સાંભળનારને એવું લાગતું જાણે આ શાયર અમારી જ વાત કરી રહ્યો છે. નહીં અલંકારના વધારે ઠઠેરા, ન વિશેષણોના વધારે પડતા વાઘા. સ્વભાવ અને શાયરીમાં રહેલી ‘સાદગી’માં જ આ શાયરના જીવનનો ‘સારાંશ’ આવી જાય છે. તેમણે કવિતારસિકોને ગઝલના ‘સરોવર’ની ‘સોગાત’ ધરી. તો ‘સૂર્યમૂખી’ સૂરજ સાથે ‘સગપણ’ બાંધે એવું ગઝલ સાથે સગપણ બાંધીને આગવાં ‘સોપાન’ પણ સર કર્યાં. ખલીલ ઈસ્માઇલ મકરાણી નામ ધરાવનાર આ શાયરે પોતાના ગામ ‘ધનતેજ’ પરથી ‘ધનતેજવી’ અપનાવીને ખરેખર ધન અને તેજ સાર્થક કર્યા. જાણીતા વિવેચક શકીલ કાદરીએ તેમના વિશે કહેલું, “ગઝલ આજે આટલી લોકપ્રિય કક્ષાએ પહોંચી છે, તેમાં ખલીલ ધનતેજવીનો બહુ મોટો ફાળો છે.”

મંચ પરથી ગઝલપાઠ કરતી વખતે તેમને ક્યારેય ડાયરી, ચિઠ્ઠી કે ચબરખીની જરૂર પડી નથી. એક વાર શરૂઆત કર્યા પછી અસ્ખલિત રીતે તેમની વાણી વહ્યા કરતી અને શ્રોતાઓમાં તેમાં ભીંજાતા રહેતા. શાયરી દ્વારા તેઓ સમાજ પર કટાક્ષ કરતા, ‘વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી.’ એવું મોં પર પરખાવી દેવાની ખુમારી પણ તેમના શબ્દોમાં હતી. તો વળી, ‘ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો, આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો.’ આમ કહીને તેઓ વિરોધીઓ અને કહેવાતા સ્વજનો પર ભારોભાર કટાક્ષ પણ કરી લેતા. ગઝલ એ માત્ર શબ્દોની રમત નથી એ વાત તેઓ સારી રીતે જાણતા હતા, એટલે જ કહેતા હતા, “ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ, આ તો હૃદયની વાત છે હાંફી જવાય છે.” હૃદયની વાત તેઓ હૃદયથી કરી શકતા હતા. પ્રેમ, વિરહ, સામાજિક મૂલ્યોનું થતું પતન, સંસ્કૃતિ, સંસ્કાર અને ખુમારીની વાતો તેમની ગઝલમાં જોવા મળતી. તેમણે પોતે પણ એક શેરમાં કહ્યું છે, ‘ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી; હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું.’

ઉર્દૂમાં પણ તેમણે ઘણી ગઝલો રચી છે. જગજિતસિંઘે ગાયેલી, ‘अब मैं राशन की कतारो में नजर आता हूं, अपने खेंतों से बिछडने की सज़ा पाता हूं ।’ ગઝલ તો ખૂબ લોકપ્રિય છે.

અહીં લોગઇનમાં આપવામાં આવેલું મુક્ત જુઓ, તેમને જે કહેવું હતું છે તે સટીક અને સરળ ભાષામાં કહ્યું છે. ઝંઝાવાત આવશે તો એને વૃક્ષ નહીં વેઠી શકે, એ તૂટી જશે. પણ તરણું અકબંધ રહેશે. વૃક્ષની અક્કડતા તેને નડશે. છેલ્લી ઘડી સુધી શાયરીને જીવનાર આ શાયર જિંદગીથી કદી થાક્યો નહીં. કદાચ જિંદગી થાકી ગઈ. એટલે જ થોડા મહિનાઓ પહેલા, તારીખ 4 એપ્રિલ 2021ના રોજ આપણે તેમને ગુમાવ્યા. આવા મુઠ્ઠી ઊંચેરા શાયરનો આજે જન્મદિન છે. તારીખ 12 ડિસેમ્બર 1938ના રોજ ધનતેજ ગામે અવતરનાર આ શાયરરત્નએ ગુજરાતી ગઝલને નામ અને દામ અપાવવામાં ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો છે. શકીલ કાદરીના શબ્દોમાં ફરી કહીએ તો, “ભલે સાહિત્યિક રીતે એ વધારે મૂલ્યવાન ન લાગે, પણ સામાન્ય લોકોને સ્પર્શે એવો સમાજનો અસલી ચહેરો તેઓ ગઝલમાં સાદી રીતે રજૂ કરતા હતા.” અને એટલે જ લોકોને તેમની ગઝલો વિશેષ ગમતી હતી. આજે તેમના જન્મદિને તેમને લાખલાખ વંદન.

લોગઆઉટઃ

લે આ મારી જાત ઓઢાડું તને;
સાહેબા, શી રીતે સંતાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.

કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને.

ઘર સુધી આવવાની જિદ્દ ન કર,
ઘર નથી, નહિતર ના પાડું તને?

તું ખલીલ, આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને.

– ખલીલ ધનતેજવી

ચાક પર શું શું ધર્યું છે, મૂર્ખ તુજને ભાન છે?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇનઃ

જામ ઘડનારા કરે છે શું તને કંઈ જ્ઞાન છે?
જેને તું ખુંદી રહ્યો છે એ તો એક ઇન્શાન છે.
આંગળી અકબરની, માથું કોઈ આલમગીરનું,
ચાક પર શું શું ધર્યું છે, મૂર્ખ તુજને ભાન છે?

– ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)


કવિએ લખેલો ઉત્તમ શબ્દ ક્યારેય નાશ પામતો નથી, તેનું જીવંત ઉદાહરણ એટલે ઉમર ખૈય્યામ. ખય્યામસાહેબ તેમના સમયમાં ગણિતમાં ગળાડૂબ રહેતા અને ખગોળશાસ્ત્રી તરીકે ખૂબ જાણીતા. જ્યોતિષનું પણ ઊંડું જ્ઞાન ધરાવતા. સુલતાન જલાલુદ્દીન મલેક શાહના દરબારમાં રાજજોષી તરીકે પણ રહેલા. 109 વર્ષની દીર્ઘ આયુષ્ય ભોગવનાર ખય્યામસાહેબ તેમના સમયમાં કવિ તરીકે કંઈ ખાસ જાણીતા નહોતા. કેટલાક વિદ્વાનો તો ખય્યામે કવિતા લખી હોવા વિશે પણ શંકા સેવતા હતા. કારણ કે તેમના કોઈ પણ સમકાલીને તેમની કવિતાની નોંધ લીધી નથી. પરંતુ એ. જે. એવબરીએ તેરમી સદીની હસ્તપ્રતના આધારે આવી 250 અધિકૃત રુબાયત શોધી કાઢી છે. તેમના અવસાનના લગભગ સાતસોએક વર્ષે આંગ્લ કવિ એડ્વર્ડ ફિટ્સજીરાલ્ડે તેમની કવિતાના અનુવાદ કર્યા. તેમણે ખય્યામની ઘણી રુબાયતોનો મુક્ત ભાવવાહી શૈલીમાં કરેલો ‘ધ રુબાયત ઑફ ઓમર ખય્યામ’ (1859) નામનો અનુવાદ હજુ પણ ઉત્તમ મનાય છે. આ અનુવાદ પછી ખય્યામસાહેબ કવિ તરીકે લોકપ્રિય થતા ગયા. તેમના ચાહકો વધતા જ ગયા. અમુક ચાહકોએ તેમના નામે ક્લબ બનાવી. અમુકે તો તેમના જન્મસ્થળે કે મૃત્યુસ્થળે જઈને ત્યાંથી માટી લાવીને તેમાં છોડ ઉછેર્યા.

ત્યાર પછી તો ખૈય્યામસાહેબની રૂબાયતોના અનુવાદો વિશ્વની સેંકડો ભાષાઓમાં થયા. રુસ્તમ ભાજીવાલા નામના એક પારસી સખ્શે લગભગ સોએક વર્ષ પહેલાં તેમની રુબાયતો ગુજરાતીમાં અવતારેલી, જેમાં પારસી બોલીની વિશેષ છાંટ જોવા મળે છે. ગુજરાતી ભાષામાં શૂન્ય પાલનપુરીએ કરેલા અનુવાદો સૌથી શ્રેષ્ઠ ગણાય છે. એવું કહેવાય છે કે જો ઉમર ખૈય્યામ પોતે આ અનુવાદો વાંચે તો પોતાની તમામ રુબાયતો શૂન્ય સાહેબને અર્પણ કરી દે! તેમણે ગુજરાતીમાં અનુવાદ કરીને સંપૂર્ણ ગુજરાતી ક્લેવર ચડાવી દીધું, એ પણ મૂળ કવિતાના ભાવમાં જરા પણ ફેરફાર કર્યા વિના!

ઉમર ખૈય્યામનું મૂળ નામ ગ્યાસુદ્દીન ફત્હ ઉમર. ‘ખૈય્યામ’ એમનું તખલ્લુસ. તેનો અર્થ થાય છે તંબુ સીવનાર. તેમના પૂર્વજો તંબુ સીવવાનો વ્યવસાય કરતા હતા. તેમનો 18 મેં 1048ના રોજ ઈરાનના નીશાપુર ગામમાં થયો હતો અને અવસાન 4 ડિસેમ્બર 1131ના રોજ થયું હતું. ગઈ કાલે તેમની પૂન્યતિથિ હતી. પોતાના સમયમાં ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, જ્યોતિષ તરીકે પ્રસિદ્ધ ખય્યામસાહેબ ભવિષ્યમાં મહાન કવિ તરીકે પ્રસિદ્ધ થશે એવું કોણ કહી શકે? પણ કવિતાનો શ્રેષ્ઠ શબ્દ ક્યારેય નાશ પામતો નથી. તે વહેલા-મોડા તે પોતાનું અજવાળું પાથરે જ છે.

ખય્યામસાહેબ પોતાની રુબાયતોમાં જીવનની નશ્વરતા વિશે બહુ સહજતાથી વાત કરે છે. તેની માટે તેઓ શાકી, શરાબ, જામ, માટી, કુંભાર જેવાં અનેક પ્રતીકોનો બખૂબી ઉપયોગ કરે છે. શૂન્યસાહેબે અનુવાદિત કરેલી આ રુબાયતોમાં પણ એ અનુભવાશે. આપણે ત્યાં કહેવાય છે કે મનખાદેહ માટીનો બનેલો છે. પરંતુ કવિ આ વાત સાવ સીધી સપાટ નથી કહેતા. તેઓ માટી ખુંદી રહેલા કુંભારને કહે છે કે ભાઈ માટી ખુંદનાર, તને કંઈ ભાનબાન છે કે નહીં, તું જે માટી ખુંદી રહ્યો છે, એ માટી નથી, પણ માનવો છે. માનવદેહ નાશ પામીને છેવટે માટીમાં ભળી જતો હોવાથી એક રીતે જોવા જઈએ તો કુંભાર માનવદેહને જ ખુંદી રહ્યો છે તેમ કહેવામાં આવે તો તેમાં જરાય ખોટું નથી. આ માટીમાં કોણ નથી ભળ્યું? સમ્રાટ, સંત, રાજા કે ભીખારી – રૂપાળું કે કદરૂપું, બધું છેવટે માટીમાં એકસમાન થઈ ગયેલું છે. તે કુંભારને એમ કહે છે કે તું શું ખુંદી રહ્યો છે તેનું કંઈ ભાનબાન છે?

આ પ્રતીકો દ્વારા ખય્યામસાહેબ જીવનની નશ્વરતા તરફ આંગળી ચીંધે છે. તેમની રુબાયતોમાં જીવનની નશ્વરતા, પ્રેમની પવિત્રતા, જીવ, જગત અને ઈશ્વર વિશેની ગહન ફિલસૂફીઓ રજૂ થઈ છે. તેમની જ અન્ય બે રુબાયતોથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

શું કુબેરો? શું સિકંદર? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ

– ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)

એક દિન હતો, એક પળ હતી...

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

એક દિન હતો, એક પળ હતી, એક આંખડી ચંચળ હતી,
ને પ્રાણના ઉપવન વિશે ઊર્મિ-નદી ખળખળ હતી,
ને જે પરાયાં થઈ પડ્યાં’તાં દૂરની ભૂમિ પરે,
રે, તેમને સૌને નજીકમાં આણવાની કળ હતી!
એક દિન હતો, એક પળ હતી!

તે દિન ગયો, તે પળ ગઈ, તે આંખડી ચંચળ ગઈ,
તે ઊર્મિઓ ગળગળ ગઈ, તે જિંદગી વિહ્વળ ગઈ;
યૌવન ગયું, ઉપવન ગયું, જીવન ગયું, નન્દન ગયું,
નર્તન ગયું, કીર્તન ગયું : બાકી હવે ક્રન્દન રહ્યું!
એક દિન હતો, એક પળ હતી!

– કરસનદાસ માણેક

આજે આ રચનાના કવિની કરસનદાસ માણેકની જન્મતિથી છે. 28 નવેમ્બર 1901ના રોજ કરાંચીમાં તેમનો જન્મ થયો, પણ તેમનું મૂળ વતન જામનગર જિલ્લાનું હડિયાણા ગામ. 18 જાન્યુઆરી 1978ના રોજ તેમણે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી. તેમની મૂળ ઓળખ કવિ તરીકેની, પરંતુ તેમણે વાર્તાઓ અને નિબંધો પણ લખ્યા છે. તેમની એક ગઝલ તો ખૂબ જ જાણીતી છે. ‘મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે / ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે!’ તેમાં સદમાર્ગે ચાલતા માણસોને વેઠવી પડતી પીડા અને ખોટાં કામો કરતાં લોકોના લહેરભર્યા જીવન પર તેમણે અદ્ભુત કટાક્ષ કર્યો છે. એકાદ મુઠ્ઠી અનાજ ચોરનાર માણસ જેલની સજા ભોગવે અને લાખોની કટકી કરનારા મહેફિલોમાં જલસા કરે એવું આજના સમયમાં પણ બને છે. જે ગાય દૂધ આપે તેને એક સૂકું તણખલું પણ ન મળે અને ચારેબાજુ શિંગડા મારતા ફરતા આખલાઓ લીલાંછમ ખેતરો ચરી જાય એવું બને. જીવતા માણસના કૂબામાં એક ટીપું તેલ પણ ન મળે, ને મરેલા માણસની કબર પર ઘીના દીવા થાય એવું પણ ક્યાં નથી થતું? આ જ તો જગતની વિસમતા છે. કરસનદાસ માણેક આ વિસમતાને બહુ સારી રીતે સમજી શકતા હતા.

આ કવિતામાં પણ એક પ્રકારની વિસમતા છે. આ કવિતા વાંચીને તમને સૈફ પાલનપુરીની ‘શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી’ યાદ આવી જાય. એક સમયે ઝરૂખા પર એક અદ્ભુત રૂપવંતી નારી બેઠી હતી, તેના સૌંદર્ય અને આભા એવા હતા કે તેના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી. પણ વર્ષો પછી ફરીથી ત્યાં જવાનું થાય છે અને કવિ એ સૌંદર્યથી છલકાતો ઝરૂખો સૂનો જુએ છે. કરસનદાસ માણેકની કવિતામાં પણ આવો વિરોધાભાસ છે.

એક સમયે કોઈની માટે આંખ ચંચળ હતી, ઉત્સુક હતી, આનંદિત હતી. અંગેઅંગમાં ઊર્મિની નદી ખળખળ વહેતી હતી. આ ઊર્મિ કોના માટે વહી રહી હતી? તેનો જવાબ તેમણે પછીની પંક્તિમાં આપ્યો છે, ‘જે પરાયા થઈ પડ્યાં’તાં દૂરની ભૂમિ પરે’. અહીં ‘પડ્યાં’તાં’ શબ્દ પર મૂકવામાં આવેલાં અનુસ્વાર સૂચક બની જાય છે. સ્ત્રીને માનાર્થે બોલાવવામાં આવે ત્યારે અનુસ્વાર વપરાય તેવો ગુજરાતી વ્યાકરણનો નિમય છે. તેના આધારે જ ખ્યાલ આવે છે કે કવિ પોતાની પ્રેમિકા કે ગમતાં સ્ત્રી પાત્રની વાત કરી રહ્યા છે. એ પાત્ર પોતાની નજીક આણવાની તેમની ઝંખના છે. તે પાસે આવે અને હૈયામાં વહેતી ઊર્મિની નદીમાં સ્નાન કરે, એવી મનોકામના પણ ખરી. એ ગમતાં પાત્રની સાથે જે કોઈ દૂર છે, એ બધાને પોતાની નજીકમાં આણવાની તેમની ઇચ્છા હતી, પણ એવું થયું નહીં. તો શું થયું?

દિન વીતી ગયો, પળ ચાલી ગઈ. જે આંખડી ચંચળ હતી, તેની ચંચળતા કાળના પ્રવાહમાં ક્યાંક તણાઈ ગઈ. આંખ ઓશિયાળી થઈ ગઈ, નજરનું નાણું વેડફાઈ ગયું. ઊર્મિઓ નદી જેમ ખળખળતી હતી તે સંજોગના પથ્થરોમાં સૂકવા લાગી. જિંદગી બેબાકળી થઈ ગઈ. આમ ને આમ આખું યૌવન જતું રહ્યું. આયખું ચાલ્યું ગયું. જેના માટે નેણમાં નર્તન થતું હતું, જેના માટે હૈયાના મંદિરમાં આઠે પ્રહર કીર્તન થતું હતું, તે કીર્તન ક્રંદનમાં ફેરવાઈ ગયું. આપણે ઇચ્છતા હોઈએ કીર્તન અને સાંપડે ક્રંદન, એ જ તો નસીબની બલિહારી છે. આશા અને નિરાશા નામની ઘંટીના બે પૈડાં વચ્ચે આપણે આજીવન અનાજ જેમ દળાતા રહીએ છીએ અને કાળ આપણને વાનગીની જેમ જમતો રહે છે. આ જ જિંદગીની એક સનાતન સત્ય છે.

કરસનદાસ માણેકની એક રચના તો પ્રાર્થનાની કક્ષાએ પહોંચી છે અને આજે પણ અનેક સ્કૂલો-કૉલેજોમાં તે પ્રાર્થનાસ્વરૂપે ગવાય છે. તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો!
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો,
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો;
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો;
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો,
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો;
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો;
મારું જીવન અંજલિ થાજો !

– કરસનદાસ માણેક

કાન્તે જલ ઉપર ચંદ્રનો ઉદય જોયો એવો કોઈએ જોયો નથી!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

આજ, મહારાજ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા! કાલના સર્વ સંતાપ શામે!
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા! કાલના સર્વ સંતાપ શામે!

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

– કવિ ‘કાન્ત’

કાન્ત ગુજરાતી કવિતાની એક વિરલ ઘટના છે. અહીં આપવામાં આવેલી કવિતા ‘સાગર અને શશી’ તેમની ઉત્તમ રચનાઓમાંની એક છે. સુરેશ જોશીએ આ કવિતાનો ખૂબ સુંદર આસ્વાદ કર્યો છે. કવિ હસમુખ પાઠકે પણ ઉમાશંકર જોશી સંપાદિત ‘સંસ્કૃતિ’ સામયિકમાં આ કાવ્ય વિશે લખેલું. ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’માં પ્રસાદ બ્રહ્મભટ્ટે પણ આ કવિતા વિશે વિદ્વત્તાપૂર્ણ લખ્યું છે. આ સિવાય અનેક વિવેચકો-આસ્વાદકોએ આ કવિતાને આસ્વાદી છે. એટલે તેમાં ઉમેરો કરવાનો અહીં જરાયે આશય નથી.

પણ આ કવિતાના કવિ મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’ની આજે જન્મતિથિ છે. આજના દિવસે તેમની આ અદ્ભુત રચનાનો સ્વાદ ગુજરાતી કવિતારસિકો સુધી પહોંચે તે જરૂરી છે. તારીખ 20 નવેમ્બર 1987માં અમરેલી જિલ્લાના ચાવંડ ખાતે જન્મેલા આ કવિએ માત્ર એક જ, ‘પૂર્વાલાપ’ નામનો કાવ્યસંગ્રહ આપીને ગુજરાતી કવિતાજગતમાં પોતાનું સ્થાન હંમેશ માટે આરક્ષિત કરી નાખ્યું છે. ૧૯૨૩માં તેઓ કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતાં રાવળપિંડીથી લાહોર આવતી ટ્રેનમાં એમનું અવસાન થયું હતું. આ પણ એક કરૂણતા કહેવાય કે તેમનો સંગ્રહ તેમના અવસાનના દિવસે જ પ્રગટ થયેલો! તેમણે રવીન્દ્રનાથ કૃત ‘ગિતાંજલિ’નો પણ અનુવાદ કરેલો. ‘ગુરુ ગોવિંદસિંહ’ અને ‘રોમન સ્વરાજ્ય’ નામે બે નાટકો પણ લખેલાં. આ ઉપરાંત ‘શિક્ષણનો ઇતિહાસ’ કાન્તની ઊંડી અભ્યાસશીલતાના ફળ સમો ગ્રંથ છે. પણ તેમની મૂળ ઓળખ અને પ્રતિભા તો કવિ તરીકેની જ!

કહેવાય છે કે આ કવિતા પાછળ એક નાનકડી ઘટના જવાબદાર છે. કવિ કાન્ત ભાવનગરના રાજા ભાવસિંહજીના વખતમાં કેળવણી ખાતાના અમલદાર હતા. એક વખત કાન્તને સાથે લ‌ઈ ભાવનગરના મહારાજા ગોપનાથ ગયા હતા. રાતના સમુદ્રકાંઠે ગાલીચાઓ બિછાવી બેઠા હતા ત્યારે આકાશમાંથી ચાંદની વેરતો ચંદ્રમા, ઘૂઘવતો સમુદ્રતટ અને શીતળ વાયુએ મહારાજના હૃદયમાં પણ કાવ્યભાવ જગાડ્યો. તેમણે કાન્તને આદેશ કર્યો, ‘કવિ, આ જોઈને કરો કંઈ કવિત’ પછી ઉમેર્યું, ‘આપ વનવિહારિણી આ સંઘ્યાને આનંદથી અવલોકો. આજ કોઈ નવી કવિતા રચાશે તો મારી પણ સાંજ સુધરી જશે.’ એ વેળા આથમણા આકાશની લાલીમાના આરે ઓવારે, ફરફરતી કેસરી રંગની સંઘ્યાની ચૂંદડીમાં ફૂલગુલાબી રંગના બુટ્ટા છપાઈ ગયા અને રચાઈ ‘સાગર અને શશી’.

જોકે આ ઘટના કેટલી સાચી તેની કોઈ ઓથેન્ટિક માહિતી આ લખનાર પાસે નથી. પણ એ હકીકત છે કે કવિ કાન્તે જલ ઉપર ચંદ્રનો ઉદય જોયો, તેવો ગુજરાતી ભાષાના કોઈ કવિએ જોયો નથી! આ ઉદયની લાલીમા અને સૌંદર્ય તેમણે જે રીતે કવિતામાં પરોવ્યું છે તે અદ્ભુત છે.

છંદો ઉપરની તેમની હથોટી, ભાષાનું લાવણ્ય અને આલંકારિક રજૂઆત તેમની આગવી ઓળખ છે. તેમાંય ખંડકાવ્ય તો કાન્તના જ! કોઈ કવિએ કાન્તની ખંડકાવ્યની પ્રતિભા, બળવંતરાય ઠાકોરની સોનેટપ્રતિભા તથા ન્હાનાલાલની રાસ પરની હથોટીને બે પંક્તિમાં નવાજી છે. ‘ખંડકાવ્ય તો કાન્તના, બ.ક.ઠા.ના સોનેટ, ન્હાનલ કવિના રાસ, એથી સઘળું હેઠ.’
કાન્ત-કલાપી-ન્હાનાલાલ એ ત્રણે એક સમયના ગુજરાતી ભાષાના આગવા અધ્યાયો છે. આ સાહિત્ય-ત્રિવેણીએ ગુજરાતી ભાષાને ગરીમા અને ઊંચાઈ આપી છે. કાન્ત તો કલાપીના બહુ મોટા માર્ગદર્શક હતા. તેમની વચ્ચેનો પત્રવ્યવાવહાર પણ ગુજરાતી સાહિત્યની સંપદા છે. એક વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનમાં કાન્ત વ્યાખ્યાન આપી રહ્યા હતા. એ જ સમયે ખંડમાં દાખલ થઈ રહેલા નાનાલાલને સંબોધીને એમની જ પંક્તિથી કાન્તે તેમને વધાવ્યા હતા, ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ!’ આગળ જતા આ વધામણીને નાનાલાલે અક્ષરશઃ સાચી પાડી બતાવી! સુન્દરમના શબ્દોમાં કહીએ તો, ‘કાન્તની કવિતા ગુજરાતી કવિતામાં કળાની વસંતના આગમન જેવી છે, તો કાન્તની પાછળ પાછળ ચાલ્યા આવતા નાનાલાલની કવિતા એ વસંતના ઉત્સવ જેવી છે.’

બહુ ઓછા લોકોને ખબર હશે કે કવિ કાન્તે ગઝલ પણ લખેલી. તેનાથી જ લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

તને હું જોઉં છું, ચંદા! કહે! તે એ જુએ છે કે?
અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને,
વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે?

સખી! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે-
સ્મરંતાં ના શકું સૂઈ! કહે, સાથી સુએ છે કે?

સલૂણી સુંદરી ચંદા! ધરી તવ સ્વચ્છ કિરણોમાં-
હૃદયનાં ધોઉં છું પડ હું! કહે, તે એ ધુએ છે કે?

– કવિ કાન્ત